Monday, June 12, 2017

રવીન્દ્રનાથની સંઘર્ષયાત્રા --- ડૉ. દિનકર જોશી

‘કરે છે જે મૃત્યુનો સ્વીકાર,

વરે તેને અમૃતનો અધિકાર.’

કવિ કથિત અમરત્વનો આ અધિકાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને બાલ્યાવસ્થાથી જ મળી ચૂક્યો હતો. 

૭ મે ગુરુદેવની જન્મજયંતી. આ મહિને એમને ૧૫૫ વરસ થયાં. ગુરુદેવને આપણે કવિ તરીકે ઓળખીએ છીએ. નાટ્યકાર, ચિત્રકાર, ગદ્યકાર, ચિંતક, પ્રખર વ્યાખ્યાતા એમ અનેક સ્વરૂપે આપણે એમને ઓળખીએ છીએ. કહેવું હોય તો કહેવાય કે હી વોઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. મહેલથીય અદકેરું ઘર, વિશાળ જાગીર, ત્રણ-ચાર પેઢીથી સમૃદ્ધિ છલોછલ.

કલા, સંસ્કૃતિ, સંગીત આ બધું ઘરની બધી જ વ્યક્તિઓમાં વધતા-ઓછા અંશે સીંચાયેલું. એમના જીવન, સાહિત્ય અને દર્શન વિશે તો ઘણી વાતો લખાઈ ચૂકી છે, પણ એમના સંવેદનશીલ વિશ્ર્વે કેટલા બધા આઘાતો સહન કર્યા હતા એની વાત સંભારીએ તો કદાચ આપણા હૃદયને પણ એક ધક્કો પહોંચે.

મૃત્યુ કોઈને છોડતું નથી. બધાના જીવનમાં કોઈ ને કોઈ સ્વજનના મૃત્યુનો આઘાત આવે જ છે. રવીન્દ્રનાથે એમના જીવનમાં ૧૮ સ્વજનોને ગુમાવ્યા હતા. બાલ્યાવસ્થામાં માતાએ વિદાય લીધી. અને એ પછી મૃત્યુએ એમની જે આકરી તાવણી કરી છે એ કોઈનેય વિચારતા કરી મૂકે એવી છે. માતા-પિતા સહુનાં મૃત્યુ પામે એમ યથાકાળે રવીન્દ્રનાથે પણ માતા-પિતા તો ગુમાવ્યા જ પણ પત્ની, ત્રણ સંતાનો, એક દોહિત્ર (જે એમનો એકનો એક વારસદાર હતો. એમનાં પાંચ સંતાનો બધાં જ કાં તો વહેલાં મૃત્યુ પામ્યાં છે અથવા નિ:સંતાન રહ્યાં છે. બે પુત્રી અને એક પુત્રના લગ્નજીવનનો તો વિચ્છેદ પણ થયો છે.) આઠ ભાઈબહેનો, બે ભાભી અને બનેવી એમ એકંદરે કુલ ૧૮ પરિવારજનોને રવીન્દ્રનાથે સ્વહસ્તે વિદાય આપી છે.

માતાના મૃત્યુ પછી એમણે જે મૃત્યુનો પહેલો આઘાત જીરવ્યો એ કાદંબરીભાભીનો છે. કાદંબરી રવીન્દ્રનાથને લાડમાં ‘ઠાકુરપો’ કહેતી અને રવીન્દ્રનાથ ભાભીને ‘ભાભીરાણી’ કહેતા. આ સંબંધો એટલા નાજુક અને એટલા ઊંડા હતા કે એને કોઈ પરિભાષામાં ગોઠવી શકાય નહીં. રવીન્દ્રનાથનાં લગ્ન પછી ચોથા મહિને ભાભીરાણીએ અફીણ ખાઈને આત્મહત્યા કરી. આ આત્મહત્યાનું રહસ્ય આજ સુધી અણઉકેલ છે. રવીન્દ્રનાથને કાદંબરીની વિદાયથી જે આઘાત લાગ્યો હતો એ ૧૯૪૧માં મૃત્યુ પૂર્વે પાંચ છ દિવસે એમણે લખાવેલા અંતિમ કાવ્યમાં પણ પડઘાય છે. કાદંબરી વિશે લખેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુષ્પાંજલિ’-એની અર્પણ પત્રિકામાં એમણે લખ્યું-કવિના હૃદયના ઊંડાણમાં વસેલા કવિને અર્પણ.

કવિના લગ્નના દિવસે જ એમના પોતાના જ ઘરમાં બનેવીનું અવસાન થયું. એક ઓરડામાં નનામી બંધાઈ રહી હતી ત્યારે બીજી તરફ લગ્નવિધિ સાદાઈથી આટોપાઈ રહ્યો હતો. પત્ની મૃત્યુ પામી ત્યારે મોટી પુત્રી સાસરવાસી થઈ ચૂકી હતી, પણ શેષ ચાર સંતાનોની માતા બનવાની જવાબદારી તો રવીન્દ્રનાથે જ ઉપાડવી પડી. ટૂંકા ગાળામાં બે પુત્રી અને એક પુત્ર પણ મૃત્યુ પામ્યાં ત્યારે કવિએ લખ્યું-‘ઈશ્ર્વરે આપ્યું છે એ હું સ્વીકારું છું. જો હજુ પણ વધુ દુ:ખ આપશે તો એ પણ સ્વીકારીશ. હું હાર માનવાનો નથી’-આમી પરાભૂત હઈબન!-પત્નીને વિદાય કરી ત્યારે એક કાવ્ય લખ્યું ‘સ્મરણ’-તેં ઘર છોડીને અજાણ્યા પંથે યાત્રા આદરી, તું એકલી જ ચાલી ગઈ, હું અહીં તને શોધતો રહ્યો, તું જે રીતે ઘરે મને બોલાવતી એ રીતે, જ્યાં હો ત્યાંથી બોલાવવાનું ચાલું રાખજે.’

મૃત્યુના વિકરાળ ચહેરાએ રવીન્દ્રનાથને સતત પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો એ જ રીતે પ્રેમ નામની અત્યંત મુલાયમ વિભાવનાએ પણ એમના સંવેદનશીલ હૃદયને ઓછા ડંખ નથી માર્યા. કાદંબરીભાભી સાથે તરુણ વયે-જેને નામ આપીને ઓળખવો અઘરો પડે એવો અદ્ભુત સ્નેહ સંબંધ બંધાયો. મુંબઈના ગિરગામ વિસ્તારના ડૉ. આત્મારામની પુત્રી અનુ સાથે હૃદયના તાર જોડાયા, ન જોડાયા ત્યાં એ પ્રકરણ સમાપ્ત થયું. અનુનું નવું નામાભિધાન યુવાન રવીન્દ્રે જ કરેલું-નલિની. નલિનીએ રવીન્દ્રના સુંદર ચહેરા વિશે કહેલું-‘રવીન્દ્ર, તું ક્યારેય દાઢી વધારીને તારા ચહેરાની સુંદરતાને સંતાડી નહીં દે તો.’ રવીન્દ્ર અનુને વચન આપ્યું અને અનુના મૃત્યુ સુધી એ નિભાવ્યું. અનુની અકાળ વિદાય પછી જ રવીન્દ્રે દાઢી વધારી. રવીન્દ્રનાં લગ્ન અનુ સાથે થાય એ વાત પિતા દેવેન્દ્રનાથને મંજૂર નહોતી. 

રવીન્દ્રનાથ અભ્યાસ અર્થે લંડન ગયા ત્યારે જે પરિવારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા એ પરિવારની ચુલબુલી પુત્રી લ્યુસી રવીન્દ્ર પાસેથી બંગાળી શીખતી અને રવીન્દ્ર લ્યુસી પાસેથી પાશ્ર્ચાત્ય સંગીત શીખતા. પિતા ઉપરના એક પત્રમાં લંડનથી રવીન્દ્ર લખ્યું કે લ્યુસી સરસ છોકરી છે અને મારી ખૂબ સંભાળ લે છે. પિતાને થયું, રવીન્દ્ર ભણવાને બદલે પ્રેમ નામના લફરામાં ઊતરતો જાય છે એટલે એને તાબડતોબ લંડનથી પાછો બોલાવી લીધો. લ્યુસીના પ્રકરણનો આમ અંત આવી ગયો. 

મૃણાલિનીદેવી સાથેનું લગ્નજીવન સોળેક વરસ નભ્યું છે. રર વરસના રવીન્દ્રનાથ વરરાજા હતા અને ૯ વરસની મૃણાલિનીદેવી (મૂળ નામ ભવતારીણી) નવવધૂ હતાં. ૧૩ વરસની ઉંમરે તે માતા બન્યાં. 

આ પછી લાંબા ગાળે વિક્ટોરિયા ઓકોમ્પો આવે છે. કવિ આર્જેન્ટિનામાં આ અજાણી સ્ત્રીના અતિથિ તરીકે બે મહિના રહ્યા છે. સાઠી વળોટી ચૂક્યા છે અને વિક્ટોરિયા માત્ર ૩૪ વરસની છે. વિક્ટોરિયાએ કવિને મળ્યા પહેલાં જ એમનું ઘણું ખરું સાહિત્ય વાંચી લીધું હોય છે. કાદંબરીએ કવિને તરુણ વયે શબ્દોમાં બાંધી ન શકાય એવો જે પ્રેમ કર્યો હતો એવો જ પ્રેમ હવે જીવનની આ ઉત્તરાવસ્થામાં કવિને આ વિદેશી સ્ત્રી પાસેથી મળે છે. કાદંબરીને ભાભીરાણી, અનુને નલિની કહેનાર કવિએ વિક્ટોરિયા ઓકોમ્પોનું નામ પાડ્યું છે-વિજયા. આ વિજયા કવિને અત્યંત ચાહે છે, સન્માને છે, એની સેવા કરે છે, પણ ક્યાંય કશું માગતી નથી, કશી વળતી અપેક્ષા રાખતી નથી. કવિએ વિજયાને અનુલક્ષીને એક કાવ્ય લખ્યું-‘વિદેશી ફૂલ’-‘હે વિદેશી ફૂલ, તને હું હૈયે લગાડું છું અને પૂછું છું તારું ઘર ક્યાં છે? તું માથું હલાવીને કહે છે, મને ખબર નથી. ત્યારે મને થાય છે, તારું ઘર તું જે હૈયામાં વસી હોય, એ હૈયું જ હોય!’

આ વિજયાને કવિએ પોતાનો કાવ્યસંગ્રહ ‘પૂરબી’ અર્પણ કર્યો છે અને અર્પણપત્રિકામાં લખ્યું છે-

‘ઉડાડી મૂકશે નિદ્રા

સદાસર્વદા કરુણ ને કોમળ

સંદેશ એ સન્નારીનો

જાણતો નહોતો તેની ભાષા

પણ આંખો હતી તેની બોલકી-બોલતી.’

છૂટા પડતી વેળાએ આ વિજયાએ પોતાના પ્રિય પ્રિય પ્રિય પ્રિય એવા રવીન્દ્રનાથને એક આરામખુરશી ભેટ આપી હતી. આ આરામખુરશી પાછલા તમામ વરસોમાં કવિએ પોતાની સાથે ફેરવી હતી. શાંતિનિકેતન, જોરાસાંકો, કાલિમપોંગ, બધે જ.

એક ફ્રેન્ચ મહિલા ચિત્રકાર એન્ડ્રી રવીન્દ્રનાથનું ચિત્ર બનાવવા શાંતિનિકેતનમાં દિવસો સુધી રોકાઈ. ગુરુદેવે ચિત્ર બનાવવા સંમતિ આપી. દિવસો પછી ગુરુદેવે જોયું, એન્ડ્રીના કેન્વાસ પર એકેય રેખા અંકિત થઈ નહોતી. કવિ નવાઈ પામ્યા અને પૂછ્યું-‘આ શું એન્ડ્રી?’ એન્ડ્રી બંને હથેળીઓમાં ચહેરો સંતાડીને ગુરુદેવના ચરણમાં ઢળી પડી. બોલી-‘ગુરુદેવ, તમારી સામે જોઉં છું અને સ્તબ્ધ થઈ જાઉં છું. મારો હાથ ઊપડતો નથી. તમારી હાજરીમાં મારું અસ્તિત્વ ઓગળી જાય છે. મને તમારી પાસે રહેવા દો.’ આવું જ હંગેરિયન યુવતી એલિઝાબેથ સાથે પણ બન્યું. આ એલિઝાબેથ પણ શાંતિનિકેતનમાં ચિત્રકામ શીખવા આવી હતી. અભ્યાસ પૂરો થયો ત્યારે એણે ભક્તિભાવપૂર્વક સજળ નયને કહ્યું, ‘ગુરુદેવ, મારે અહીંથી નથી જવું. મને તમારી પાસે રાખો.’ ગુરુદેવે એના માથે હાથ મૂકીને કહ્યું, ‘સાથે રહેવા કરતાં જુદા રહીને આપણે સહુ પરસ્પરનું સ્મરણ કરતા રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.’

આ પછી એલિઝાબેથે રવીન્દ્રનાથને જે પત્રો લખ્યા છે એમાં લખ્યું છે-‘હું તમને જોવા માટે તલસી રહી છું. મારું હૃદય ભાંગીને ભુક્કો થઈ જશે. તમારા વિના મારાથી રહેવાતું જ નથી. મારે શું કરવું?’

કવિએ એનો જવાબ વાળ્યો છે. લખ્યું છે-‘તારે આપણી વચ્ચે જે વયનો ગાળો છે એ યાદ રાખવો જોઈએ. હું હવે જૂના સંબંધો ભૂલતો જાઉં અને નવા સંબંધો ન બાંધું એ જ હિતકર છે.’

એવું લાગે છે કે જનેતાના માતૃપ્રેમ અને કાદંબરીભાભીના અનામ પ્રેમથી વંચિત રહેલા રવીન્દ્રનાથે આજીવન એમની નિકટ આવેલી સ્ત્રીઓમાં આ ખોટ પૂરી કરવા શોધ કરી છે. રાણુ નામની દશ-બાર વરસની વારાણસીમાં વસતા એક પ્રાધ્યાપકની પુત્રી ગુરુદેવને ‘રોબીદાદા’ કહીને પત્રો લખે અને આ રોબીદાદા આ રાણુ દ્વારા પણ પેલો પ્રેમ શોધે એ પ્રકરણ ભારે રોમાંચક છે. (‘રાનુ ઓ ભાનુ’ લેખક- સુનીલ ગંગોપાધ્યાય).

મૃત્યુ અને પ્રેમ આ બે મનોગત વિભાવનાઓ સાથે કવિએ જે સંઘર્ષ વેઠ્યો છે એ સિવાય સપાટી ઉપરનો વધુ એક સંઘર્ષ પણ સંભારી લેવા જેવો છે. શાંતિનિકેતનનો ખર્ચ સખાવતોથી પૂરો થતો નહોતો. એટલે કવિએ પ્રકાશક પાસેથી ઉધાર નાણાં માગ્યા. પ્રકાશકે વળતી શરત કરી-‘અત્યાર સુધીનાં તમારાં બધાં પુસ્તકોના કોપીરાઈટ અમને આપો.’ કવિએ આ શરત કબૂલ કરીને રૂ. ૨૦૦૦/- મેળવ્યા. (પ્રકાશકે આ રીતે હસ્તગત કરેલા કવિના કોપીરાઈટ, વિશ્ર્વભારતીએ કવિના મૃત્યુ પછી, વરસો પછી પ્રકાશકને નાણાં ચૂકવીને પાછા મેળવ્યા હતા.)

શાંતિનિકેતન માટે જ કવિએ જગન્નાથપુરીનો પોતાનો બંગલો વેચી દીધો. પત્ની મૃણાલિદેવીનાં આભૂષણો પણ વેચી નાખ્યાં હતાં. વિદેશ પ્રવાસ મારફતે વ્યાખ્યાનો કરીને જે એકઠા કર્યાં હતાં એ નાણાં પોતાના પ્રવાસને કારણે ટ્રાવેલિંગ એજન્ટ પાસે જ જમા થતાં હતા. અચાનક વિશ્ર્વયુદ્ધ શરૂ થયું તથા ડોલર અને પાઉન્ડનું અવમૂલ્યન થયું. ટ્રાવેલિંગ એજન્ટ નાદાર જાહેર થયો. કવિનાં બધાં જ નાણાં ડૂબી ગયાં. 

કલકત્તા યુનિવર્સિટીએ કવિને મેટ્રિક્યુલેશન પરીક્ષાના માનદ્ પરીક્ષક તરીકે નીમવાની ના પાડી હતી. એટલું જ નહીં, કવિને ડી. લિટની પદવી આપવાનો પ્રસ્તાવ પણ નામંજૂર કર્યો હતો. કવિએ લખેલા એક પાઠ્યપુસ્તકને પણ શિક્ષણખાતાએ મંજૂરી નહોતી આપી.

અને છેલ્લી વાત-

મૃત્યુ નિશ્ર્ચિત છે અને હવે ગણતરીના દિવસો જ બાકી છે એની પ્રતીતિ થઈ ત્યારે હોસ્પિટલમાં જતી વેળાએ રવીન્દ્રનાથે એક ચિઠ્ઠી લખીને આપી હતી. મારો અગ્નિસંસ્કાર શાંતિનિકેતનમાં જ મારા નિવાસસ્થાન ઉત્તરાયણની સામેના મેદાનમાં કરજો.’

કોણ જાણે કેમ પણ આ સૂચનનો અમલ નથી થયો. કવિ કલકત્તાના પૈતૃક નિવાસસ્થાન જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા અને એમનો અંત્યેષ્ઠિ વિધિ નીમતોલા ઘાટમાં થયો છે. 

(કાંદિવલીમાં ‘સંવિત્તિ’ આયોજિત કાર્યક્રમમાં અપાયેલા વ્યાખ્યાનના કેટલાક અંશો ટૂંકાવીને)

કુદરતની આપણા પર દયા અપરંપાર છે --- ડૉ. જે. જે. રાવલ

પાણીની સપાટી કોઈ પણ પ્રવાહીની સપાટી કે બ્રહ્માંડમાં કોઈ પણ સપાટી આપણે જોઈએ તો ઉપર ઉપરથી લાગે કે તે મુલાયમ - ઢીલી ઢીલી કે લચેલી લાગે, ન લાગે કે તે બધી દિશામાંથી તણાયેલી સપાટી છે. - સ્ટ્રેચ્ડ મેજબ્રૅન છે. હકીકતમાં તે બધી દિશાઓમાંથી તણાયેલી સપાટી હોય છે, બધી દિશાઓમાંથી તણાયેલી ચાદર જેવી હોય છે. સપાટીના આ ગુણને સપાટી પર અંદરના ભાગમાંથી લાગતું બળ કહે છે. અંગ્રેજીમાં તેને સરફેસ ટેન્શન કહે છે. પ્રવાહીમાં આપણે આ ગુણ જોઈ શકીએ છીએ.

પ્રવાહીની સપાટીના આ ગુણને લીધે જીવ - જંતુઓ તેના પર ચાલી શકે છે અને મચ્છરોએ તેની પર મૂકેલાં ઇંડાં તેની પર આસાનીથી તરી શકે છે, તે ડૂબી જતાં નથી અને જીવે છે. કુદરતે આ રીતે મચ્છરોનાં ઇંડાં પણ જીવી શકે તેની વ્યવસ્થા કરી છે. - કુદરતે ઠંડા પ્રદેશમાં જળચરોને જીવાડવા ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાનવાળા પાણીને સૌથી ભારે બનાવી રાખ્યું છે જેથી કડકડતી ઠંડીમાં પાણીનું ઉષ્ણતામાન ઘટે ત્યારે પાણી જ્યારે ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાને પહોંચે ત્યારે તે સૌથી ભારે થઈ જાય અને તળિયા પર બેસે જ્યારે વધારે ઠંડીમાં ઉપરનું પાણી બરફ થઈ જાય ત્યારે જળચરો તળિયે રહેલા હૂંફાળા પાણીમાં આવી જાય અને જીવી જાય. એવી ભયંકર ઠંડી ભાગ્યે જ પડે કે તળિયાના ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીને પણ બરફ બનવું પડે. આમ આપણા બધા ઉપર, જીવંત જળચર, ખેચર, ભૂચર પ્રાણીઓ ઉપર કુદરતની ઘણી દયા છે. આપણે કુદરતની દયા પર જ જીવીએ છીએ પણ આપણે માનીએ છીએ કે આપણે કુદરત પર દયા કરીએ છીએ.

આપણી સ્થિતિ પાણીની સપાટી પર જીવતા મચ્છરો જેવી જ છે. કુદરતે પૃથ્વી બનાવી. તેને જીવંત રાખવા તેના પેટાળમાં ધગધગતો લાવા રાખ્યો પણ તેના પર સપાટી બનાવી જેને આપણે પોપડો કહીએ છીએ અને તેની પર આપણે જીવીએ છીએ. આ પોપડો જો ડૂબે તો આપણા બધાંનું આવી જ બને. ગરમ દૂધ પર જેમ પોપડો બંધાય અને તેની નીચે ગરમ દૂધ હોય તેવું જ પૃથ્વીની સપાટીનું છે. આપણને જીવાડવા કુદરતે પૃથ્વી ફરતે વાયુમંડળ બનાવ્યું જેથી તેની હૂંફથી આપણે જીવી શકીએ. પૃથ્વીની બહારથી સૂર્યમાંથી કે બ્રહ્માંડમાંથી આવતાં શક્તિશાળી કિરણો અને વિદ્યુત ભારવાહી પદાર્થકણોથી બચાવવા પૃથ્વીની ફરતે ચુંબકીય ક્ષેત્રે (મેગ્નેટિક ફિલ્ડ) બનાવી રાખ્યું. બોલો, કુદરતની આપણા પર કેવી દયા છે? પણ આપણે એકબીજા પર દયા રાખતાં નથી. આપણે બધી વાતે નગુણા છીએ માટે જ દુ:ખી થઈએ છીએ.

જો પાણીમાં કેરોસીન રેડીએ તો પાણીનું સરફેસ ટેન્શન ઓછું થઈ જાય છે અને સપાટીની ચાદર ઢીલી પડી જાય છે અને મચ્છરોનાં ઇંડા પાણીમાં ડૂબી જઈ નાશ 

પામે છે.

પાણીના રેણુઓમાં આકર્ષણ શક્તિ છે. તે એકબીજાને આકર્ષે છે. સપાટી પરના રેણુઓ પ્રવાહીમાં રહેલા રેણુઓથી નીચેની તરફ આકર્ષાય છે, તે પ્રવાહીની સપાટીને બધી દિશાઓમાંથી તાણે છે. સપાટી તણાયેલી ચાદર બને છે. આ કુદરતનું મહાન સ્વરૂપ છે. રસ્તાઓ પર કે કોઈ પણ સપાટી પર આ ક્રિયા થાય છે.

વનસ્પતિના મૂળમાંથી પાણી તેની છેક ટોચે પહોંચે છે. તે પ્રવાહીના કેશાકર્ષણના ગુણથી ચઢે છે. તેને અંગ્રેજીમાં કેપિલારિટી એકશન કહે છે. તે આ સરફેસ ટેન્શનની દેન છે, આમ ન થતું હોત તો વૃક્ષો પૃથ્વી પર હોત જ નહીં. આપણી નસો અને તેની પેટાનસોમાં પણ આ ક્રિયા કાર્યરત છે જેથી આપણે જીવી શકીએ છીએ.

કેશાકર્ષણ બે પ્રકારના હોય છે. જો પ્રવાહી જે વાસણમાં રાખ્યું હોય તેને ભીંજવે. દા. ત. પાણી તો પ્રવાહીમાં રાખેલ નળીમાં પાણી ઊંચે ચઢે છે અને જો પ્રવાહી વાસણને ન ભીંજવે. દા. ત. પારો (મરક્યુરી) તો તેમાં પ્રવાહી નીચે ઊતરે છે. પ્રવાહીના અણુઓ કે રેણુઓ વચ્ચે જે આકર્ષણનું બળ હોય છે તેને કોહેસીવ ફોર્સ કહે છે અને પ્રવાહી અને વાસણના રેણુઓ કે અણુઓ વચ્ચે જે બળ હોય છે તેને અડહેસીવ ફોર્સ કહે છે. ફેવિકોલ જેવા પદાર્થો અડહેસીવ છે.

કેશાકર્ષણ છેવટે ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. જો ગુરુત્વાકર્ષણ વધારે તો કેશાકર્ષણ વડે પાણીની નળીમાં પાણી ઓછું ઊંચે ચઢે છે. પણ જો ગુરુત્વાકર્ષણ ઓછું હોય તો પાણીની નળીમાં પાણી વધારે ઊંચે ચઢે છે. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ, પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણથી છ ગણું ઓછું હોય છે. તેથી ચંદ્ર પર પાણી નળીમાં છ ગણું વધારે ઊંચે ચઢે છે. મંગળ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ત્રણ ગણું ઓછું હોય છે. તેથી ત્યાં પાણીની નળીમાં કેશાકર્ષણથી પાણી ત્રણગણું વધારે ચઢે છેે. આ નળી પાતળી હોય તે જરૂરી છે.

ગુરુગ્રહ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ૨.૬ ગણું વધારે છે. તેથી ત્યાં પાણીની નળીમાં પાણી ૨.૬ ગણું ઓછું ચઢે છે.

અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણ લગભગ નહીંવત્ છે ત્યાં પાણીની પાતળી નળીમાં પાણી અસીમિત ઊંચે ચઢે છે. જો નળી અસીમિત લાંબી હોય તો તેમાં પૂરા મહાસાગરનું પાણી ઊંચે ચઢી જાય અને મહાસાગર ખાલી થઈ જાય. જો કે આવડી મોટી નળી બનાવવી અઘરી પડે.

અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય પણ પૃથ્વી પર આવી લાંબી નળી ન બનાવી શકાય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ માત્ર ૧૦ કિલોમીટર ઊંચે નળીને જ સ્વીકારે, નહીં તો તેને તોડી નાખે અથવા તો વધારાની ઊંચાઈ પૃથ્વીની અંદર ઘૂસી જાય. જો અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય અને તેની વચ્ચે કોઈ ગુરુત્વાકર્ષણ ન આવે તો આ નળી ૧,૪૦,૦૦૦ અબજ અબજ કિલોમીટર લાંબી એટલે કે ઊંચી બની શકે આ સૈદ્ધાંતિક રીતે શક્ય બને પણ વાસ્તવિક રીતે શક્ય ન બને.

આશ્ર્ચર્યની વાત એ છે કે કુદરતે આપણને પશુ-પંખી - વનસ્પતિને, પૃથ્વી પરના પૂરા જીવનને જીવવા બધી જ સુવિધા કરી આપી છે. તો પણ આપણે પૃથ્વી પર દુ:ખી દુ:ખી છીએ તેના જવાબદાર આપણે જ છીએ.

વિસ્તૃત થતાં બ્રહ્માંડની ખુદની ચાદર ટેન્શનમાં છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? હરેક માનવી

કોઈને કોઈ પ્રકારના ટેન્શનમાં છે. કોઈ દુ:ખી ટેન્શનમાં છે, તો કોઈ સુખી ટેન્શનમાં છે. ટેન્સન વગર બ્રહ્માંડમાં કોઈ જગ્યા નથી. સ્થિતિસ્થાપકતા ટેન્શનને ગળી જાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ પર ટેન્શન છે. ટેન્શન ખતમ થઈ જાય તો ફુગ્ગો ફૂટી જાય છે. બ્રહ્માંડમાં ગતિ વગર જીવી શકાય નહીં અને ગતિ હોય ત્યાં ટેન્શન રહેવાનું જ. બ્રહ્માંડમાં જાતજાતના ટેન્શન છે અને સરફેસ ટેન્શન તેમાંનું એક છે. કોઈને કામનું ટેન્શન છે. તો કોઈને દામનું ટેન્શન છે. કોઈને રોટીનું, તો કોઈને કપડાંનું, તો કોઈને મકાનનું. જીવનનો અર્થ જ ટેન્શન છે. ટેન્શન વગરનું જીવન, જીવન હોતું નથી. દબાણ (પ્રેસર, ટેન્શન) કોના પર નથી.

સૂર્ય પર, તારા પર, ગ્રહો પર, મંદાકિનીઓ પર. દબાણ બધા જ પર છે. ગમે તેટલો મોટો માણસ હોય તે ટેન્શન નીચે જ હોય છે. ટેન્શનથી જ કુદરત કામ કરે છે અને કરાવે છે. જે દરેક પ્રકારના ટેન્શન મુક્ત હોય તેણે મોક્ષ પ્રાપ્તિ કરી છે તેમ જાણવું. શંકરાચાર્ય, નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્માઓ મોક્ષ પ્રાપ્ત હતા, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારના ટેન્શન મુક્ત મહાત્માઓ હતા.

ઉલ્કા, ધૂમકેતુઓ અને લઘુગ્રહો: મેસેન્જર ઑફ સ્પેસ --- ડૉ. જે. જે. રાવલ

ઉનાળામાં ગરમીમાં હવા ખાવા રાતે અગાશીમાં બેસીએ તો એકાએક ઝળહળતો તારો આકાશમાં પ્રકાશની રેખા દોરી પૃથ્વી પર આવી પડતો દેખાય. આપણા મુખમાંથી આહ, શબ્દ નીકળી પડે. આપણા મગજમાં પણ ઝબકારો થઇ જાય. તેને આપણે ખરતો તારો કહીએ છીએ, ઉલ્કા કહીએ છીએ. લોકોની માન્યતા હતી કે તારો ખરે છે. લોકો માનતાં હતાં કે મહાન પુરુષનું મૃત્યુ થાય પછી ઇશ્ર્વર તેના માનમાં આકાશમાં તારારૂપે તેને સ્થાન આપે છે અને તેનું પુણ્ય પરવારે એટલે તે પૃથ્વી પર જન્મ લેવા આવે છે. આ જબ્બર આડેધડ કલ્પના કહેવાય. 

તારા શું છે, તે તેમને ત્યારે ખબર ન હતી. તારા પંદરથી વીસ લાખ કિલોમીટરના વ્યાસ ધરાવતા મોટા આકાશીપીંડો છે, તે પંદરથી વીસ હજાર અબજ કિલોમીટર સુધી ગુરુ, શનિ જેવા પ્રમાણમાં નાના આકાશીપિંડોને પોતાના ગુરુત્વાકર્ષણના નિયંત્રણમાં રાખે છે. જો એક તારો સૂર્યમાળાની નજીકમાં આવે તો પણ ગ્રહો ધ્રૂજ્વા લાગે, ઉછળવા લાગે અને અંતરીક્ષમાં ફેંકાઇ જાય. સૂર્યને તેમને તેના નિયંત્રણમાં રાખવા અઘરું પડે, સૂર્ય પોતે તે તારાના ગુરુત્વાકર્ષણના દબાણ નીચે આવી પડે. 

ઉલ્કા સૂર્યમાળામાં ફરતાં, નાના મોટા કંકણ, પથ્થરો અને ખડકો છે. તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ધસમસતા આવે છે. પૃથ્વીના વાયુમંડળના ઘર્ષણને લીધે બળવા લાગે છે. તે જો નાની ઉલ્કા હોય તો પૃથ્વીના વાતાવરણમાં જ બળી ભસ્મ થઇ જાય છે અને થોડી મોટી ઉલ્કા હોય તો તે પૂરી બળી શકતી નથી અને ઉલ્કા-પાષાણરૂપે પૃથ્વી પર આવી પડે છે. તે જો મોટી ઉલ્કા હોય તો તે ધડાકાભેર પૃથ્વી સાથે અથડાઇને વિશાળ ખાડો કરી નાંખે છે જેને આપણે ઉલ્કાકુંડ કહીએ છીએ. આ ઘટના ઘણી વિધ્વંસક હોય છે. આ ઉલ્કાકુંડો એક, બે, ચાર દસ કે પચાસ કિલોમીટરના વિશાળ વ્યાસ ધરાવતા હોય છે. પૃથ્વી પર આવા ૧૦૦૦ ઉલ્કાકુંડો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોનાર ગામની નજીક બે કિલોમીટર વ્યાસ ધરાવતો લોનાર ઉલ્કાકુંડ છે. લોનારકુંડનું નામ લવણાસુરની કથા પરથી પાડવામાં આવ્યું છે. લોનાર ગામ આ ઉલ્કાકુંડના નામ પરથી પડ્યું છે. લોનાર એટલે લોણાર. પૃથ્વી પર બીજો સરસ ઉલ્કાકુંડ તે અમેરિકાના એરિઝોના પ્રાંતના રણમાં છે. તેનું નામ બેરીંજર ઉલ્કાકુંડ છે. બેરીંજર નામના એસ્પ્લોટરે તે શોધી કાઢ્યો હતો અને તેને પ્રકાશમાં આણ્યો હતો. માટે તેને બેરીન્જર ક્રેટર (બેરીન્જર ઉલ્કાકુંડ) કહે છે. હિમાચલમાં ડેલહાઉઝી અને ચંબા નજીક ખજિયાર તળાવ છે તે ખજિયાર ઉલ્કાકુંડ છે. ઉલ્કાકુંડો પૃથ્વીની સાથે ઉલ્કા, લઘુગ્રહો કે ધૂમકેતુની અથડામણથી બને છે અને તે ઘણી વિધ્વંસક ઘટના હોય છે. 

ઉલ્કા સાથેની અથડામણ સૂર્યમાળાના ગ્રહો, ઉપગ્રહો, સાથે થતી સતત ક્રિયા છે. અને સૂર્યમાળા જન્મી ત્યારથી જ થાય છે. સૂર્યમાં કે ગુરુ, શનિમાં આ લઘુગ્રહો કે ધૂમકેતુઓ પડે છે તો તેમાં ગરકાવ થઇ જાય છે. તેનો પત્તો લાગતો નથી. બુધ, મંગળ, પૃથ્વી, પ્લૂટો અને સૂર્યમાળાના ગ્રહોનાં ઉપગ્રહો જે ખડકાળ છે તેના પર ઉલ્કા પડીને નાના મોટા ઉલ્કાકુંડો બનાવ્યાં છે. આ બધા ગ્રહો અને ઉપગ્રહોની સપાટી ઉલ્કાકુંડ આચ્છાદિત દેખાય છે. ચંદ્રની સપાટી દૂરબીનથી જોઇએ તો તેના પર નાના મોટા કેટલાય ઉલ્કાકુંડો દૃશ્યમાન થાય છે. ચંદ્ર ઉપરના ઉલ્કાકુંડોના નામ આપવામાં આવે છે. તેમાં મહાન ગણિતવિદો, ખગોળ ચંદ્ર પર ટાયકો, કેપ્લર, કોપરનીકસ, આર્કિમિડીઝ, ઓસીજીન, મેડમ ક્યૂરી, સી.વી.રામન, મેઘનાદ શાહ, સત્યેન્દ્રનાથ બોઝ, મિત્રા, કલ્પના ચાવલા, વિક્રમ સારાબઇ વગેરેના નામો પર ઉલ્કાકુંડો છે. વિજ્ઞાનીઓ માટે આ મોટું સન્માન ગણાય છે.

ચંદ્ર પર કોપરનીકસ ઉલ્કાકુંડનો વ્યાસ ૧૦૦ કિલોમીટરનો છે. 

ચંદ્ર પરની સપાટી બસાલ્ટિક છે. લોનાર ઉલ્કાકુંડ મહારાષ્ટ્રમાં જે જગ્યાએ બન્યો છે તે પ્રદેશ-જમીન પણ બસાલ્ટિક છે. માટે લોનાર ઉલ્કાકુંડને જોવો એનો અર્થ એમ થાય કે તમે ચંદ્ર પરના ઉલ્કાકુંડને જુઓ છો. 

પૃથ્વી જીવંત છે, અહીં વરસાદ, પવન વગેરે થાય છે. તેથી પૃથ્વી પર ઉલ્કાકુંડો બને છે તે દશેક લાખ વરસે બુરાઇ નજરે પડે છે પણ ઇન્ફ્રારેડ સેટેલાઇટથી પૃથ્વીનો અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે ભૂતકાળમાં પૃથ્વી પર કેટલાય કુંડો બન્યા હતાં પણ કાળે કરીને તે બુરાઇ ગયાં છે. ચંદ્ર પર બિલકુલ વાયુમંડળ નહીં હોવાથી ત્યાંના ઉલ્કાકુંડો જેમના તેમ દેખાય છે. 

ઉલ્કાકુંડો શું છે તે નહીં જાણતા લોકો તેમના વિષે કેટલીયે ઉલટ-પુલટ કથાઓ ઘડી કાઢે છે. આ કથા પુરાણોમાં આપણે વાંચી શકીએ છીએ, અથવા મુખા-મુખ સાંભળી શકીએ છીએ. લથસાસુર ઉલ્કાકુંડ અને અજીયાર તળાવ વિષે આપણે આવી કથાઓ સાંભળી શકીએ છીએ. લોનાર ઉલ્કાકુંડમાં પણ પાણી ભરાઇ ગયા છે. તેથી તે લોનાર તળાવ કહેવાય છે. ઉલ્કાકુંડોનો આકાર તવા જેવો જ હોય છે. કુંડના આકાર પરથી કહી શકાય કે કુંડ ઉલ્કાકુંડ છે કે નહીં. 

ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓને ખગોળવિજ્ઞાનીઓ મેસેન્જર ઓફ સ્પેસ કહે છે કારણ કે તેમના દ્વારા આપણને દૂર દૂર અંતરીક્ષમાં શું છે, ત્યાં શું ચાલી રહ્યું છે તેની જાણ થાય છે. તે હકીકતમાં જ્યારે સૂર્યમાળા બંધાઇ ત્યાર પછીનો પડી રહેલો પદાર્થ છે. તેનો અભ્યાસ આપણને સૂર્યમાળાનો જન્મ, બંધારણ, રચના અને વિકાસ વિષે માહિતી આપી શકે છે. રસપ્રદ વાત એ છે કે અંતરીક્ષમાંથી આવેલી કેટલીક ઉલ્કાઓમાં જીવનરસ મળી આવ્યો છે. તે દર્શાવે છે કે અંતરીક્ષમાં જીવન છે. એન્ટાર્કટિકામાંથી એક ઉલ્કા મળી આવી છે. તે મંગળ પરથી આવી છે. તેમાં જીવનરસ હતો. તે દર્શાવે છે કે મંગળ પર કોઇક જાતનું સૂક્ષ્મજીવન હતું. 

કોઇ ઉલ્કા જ્યારે જમીન પર આવી પડે છે ત્યારે તેને ઉલ્કા-પાષાણ કહે છે. ઉલ્કાપાષાણ હકીકતમાં દૈવી હોય છે. તે ગમે તે રંગનો હોય પણ તેની દિવ્યતા પરખાઇ આવે છે. તેમાં કોલસો, ચૂનો, પથ્થર અને વિવિધ ધાતુઓ હોય છે. તેમાં લોખંડ, નિકલ, સોનું ચાંદી અને હીરા પણ હોઇ શકે છે. 

નાના-મોટા લઘુગ્રહો મંગળ અને ગુરુ વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. તેને લઘુગ્રહોનો પટ્ટો કહે છે. મોટી ઉલ્કાઓ આ લઘુગ્રહના પટ્ટામાંથી આવે છે. 

ધૂમકેતુઓ થોડા લૂઝ પદાર્થના બનેલા હોય છે. તેમાં પાણી, એમિનો એસિડ, હાઇડ્રોજન, કાર્બનડાયોક્સાઇડ, એમોનિયા જેવા વાયુઓ હોય છે. આ બધા પદાર્થોનાં બરફો કેન્દ્રીય ખડકોની ફરતે બાઝેલાં હોય છે. તે ગંદા બરફનાં ગોળા કહેવાય છે. ઉલ્કા અને ધૂમકેતુઓ માનવીને હજારો વર્ષોથી જાણીતા હતાં, પણ તેમને ખરેખર ખબર ન હતી કે તેમાં શું છે. ધૂમકેતુ જોઇને લોકો ડરતાં. તેમના વિષે લોકોએ કેટલીયે ઉલટ-પુલટ માન્યતાઓ અને કથાઓ ઘડી કાઢી છે. હવે છેલ્લાં સાઠ વર્ષથી આપણને ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ વિષે જાણવા મળ્યું છે. હકીકતમાં ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ એક જ કુટુંબના સભ્યો છે. આપણને લઘુગ્રહની જાણ ઓગણીસમી સદીના પ્રારંભે જ થઇ. પ્રથમ લઘુગ્રહ સેરેસને સીસીલીના ખગોળવિજ્ઞાની ગ્યુસીપ્પી પિઆઝાએ શોધ્યો હતો. તેનો વ્યાસ લગભગ ૧૦૦૦ કિલોમીટર છે. હવે તો લઘુગ્રહ પર નાસાના અંતરીક્ષયાન ઊતર્યાં છે. ધૂમકેતુની નજીકથી પસાર થયાં છે. લઘુગ્રહો પૃથ્વી માટે ઘણીવાર ભયાનક પણ સાબિત થઇ જાય છે. ભારતીય ઋષિમુનિઓએ એક હજાર ધૂમકેતુઓનો અભ્યાસ કર્યો હતો. તેથી ધૂમકેતુના નામો નારદ, ગર્ગ, પરાશર વગેરે પણ છે. વરાહમિહિરે તેમની બૃહતસંહિતામાં આપણા પ્રાચીન મુનિઓએ જેનું અધ્યયન કર્યું હતું તે હજાર ધૂમકેતુઓ વિષે વિસ્તારથી લખ્યું છે.

બ્રહ્માંડમાં દેખાતું કુદરતનું રુદ્ર સ્વરૂપ --- ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડ કેટલું સુંદર લાગે છે, ખરું ને? જીવન પણ કેટલું સુંદર લાગે છે. કોઈને મરવાનું પસંદ નથી. ગમે તેટલી ગરીબી હોય, વિટંબણાઓ હોય પણ કોઈને મરવાનું પસંદ નથી અને મરવું જોઈએ પણ નહીં. જ્યારે કુદરતી મૃત્યુ આવે ત્યારે જ મરવું જોઈએ. કોઈ પણ વિકરાળ સંજોગોમાં પણ આપઘાત કરવો જોઈએ નહીં. આપઘાત તો કાયર કરે. તે કુદરતનો- ઈશ્ર્વરનો ગુનેગાર બને છે જેને આપણને આ સુંદર જીવન આપ્યું છે. કોઈ પણ મુસીબત એવી નથી જેમાંથી બહાર નીકળી શકાય નહીં. જે લોકોએ ભયંકર કૃત્યો કર્યાં છે તેમને સજા થવી જ જોઈએ કારણ કે તેઓએ ખરાબ કૃત્યો કરી કુદરતને- ઈશ્ર્વરને છેહ દીધો છે જેણે તેઓને આવું સુંદર જીવન આપ્યું છે.

જીવનની ઘટમાળ પણ કેવી? બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ. ઘણીવાર મૃત્યુ કસમયે પણ આવી જાય છે ત્યારે જરૂર દુ:ખ લાગે છે, ગમગીની લાગે છે. પણ તે સહન કર્યે જ છૂટકો. તેના પણ ઘણા કારણો અને નિમિત્ત હોય છે.

જીવનની ઘટમાળ જોઈએ તો કેવી ચિત્ર-વિચિત્ર ઘણીવાર દુ:ખ આપે, ઘણીવાર સુખ આપે. રેલવે ટ્રેઈનમાં, કારમાં, વિમાનમાં, ચાલીને મુસાફરી કરવાની. દિવાળી આવે, હુતાશની આવે, ગરમી પડે, ઠંડી પડે, વસંત ઋતુ આવે, પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, સરોવરો, ઝાડ-પાન, પશુ-પંખી ઉપર આકાશ, નીચે ધરતી, દિવસે આકાશમાં વાદળીઓ ફરે, સૂર્ય આંટા મારે. રાતે ચંદ્ર, ગ્રહો, તારા આનંદ પમાડે, ઠંડો પવન વાય. જાત-જાતના પ્રસંગો થાય, ઘણા પ્રસંગો આપણા જ ઘરમાં થાય તો ઘણા પ્રસંગો સગાંવ્હાલા- મિત્રોનાં ઘરે થાય. જીવનની રેખા તો પ્રેમ છે, સંબંધ છે, ભાવના, કરુણા અને દયા છે. માટે આપણે મરવું નથી. મોક્ષ એટલે શું તેની વ્યાખ્યા અલગ માનવી માટે અલગ છે. ભક્તિ પણ અલગ અલગ માનવીની જુદી જુદી છે. કોઈને પોતાના વિષયમાં નિષ્ણાંત થવાની ભક્તિ છે, તો કોઈને પોતાની ફરજમાં ભક્તિ દેખાય છે. કોઈને ધનપતિ બનવાની 

ભક્તિ છે. બધાં જ, પ્રકાર પ્રકારની ભક્તિ અને બંધનોથી જોડાયેલાં છે.

માનવ-જીવનમાં સુખ જ છે પણ ઘણાંને અમુક ઘટના જીવનમાં બને છે તેથી દુ:ખ લાગે છે. માનવીની મહત્ત્વાકાંક્ષા તો દૈવી છે અને હોવી જ જોઈએ પણ અતિ મહત્ત્વાકાંક્ષા કે જે પોતાનું અને માનવનું કલ્યાણ ન કરે તે મહત્ત્વાકાંક્ષાનો શું અર્થ? તે આશીર્વાદને બદલે શાપરૂપ થાય. આ બ્રહ્માંડમાં સુખની વ્યાખ્યા સ્પષ્ટ નથી. માનવીને જીવનમાં કેટલા રૂપિયા જોઈએ? ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડ, પછી? જો તેની પાસે ૧૦૦૦ કરોડ રૂપિયા હોય તો તે વાપરી શકવાનો તો નથી? તો બાકીના રૂપિયાનું સત્કર્મ તે શા માટે કરતો નથી? તેને માટે બીજા રૂપિયા પથ્થર સમાન ગણાય. આ જીવનને અર્થપૂર્ણ કેમ માનવી બનાવતો નહીં હોય? આ જ આ બ્રહ્માંડની વિચિત્રતા છે.

સમય સમય પર દેખાતું બ્રહ્માંડનું વિકરાળ સ્વરૂપ જ આપણને સાચો બોધપાઠ આપી શકે. તે તેના ક્ષણભંગુર જીવનની માનવીને યાદ અપાવી શકે અને સન્માર્ગે ચાલવા રાહ ચીંધી શકે. આવે વખતે જ માનવીની શાન ઠેકાણે 

આવે છે.

પુરાતન માનવી પશુ અવસ્થામાં રહેતો હતો. પશુઓની જેમ તેને દાતણ કરવાનું ન હતું. સીધા સવારે ઊઠી શિકાર કરવા જવાનું. ધીમે ધીમે માનવી આગળ આવતો ગયો. પૈૈડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ. ઓજારો, ખેતી વગેરેની શોધ થઈ. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ માનવીમાં ખરાબી પણ વધતી ગઈ. જાતજાતની રાજવ્યવસ્થા, અર્થ-વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જાતજાતના નિયમો બનાવાયાં અને માનવી તેનો ગુલામ બનતો ગયો, કહો કે તેણે પોતાને ગૂંચવણભરી વ્યવસ્થાનો બંદી બનાવ્યો. આજે આપણી સ્થિતિ ઘણી ગૂંચવણી ભરેલી છે, આપણે પોતે તેને આવી ખરાબ બનાવી છે. વિદ્યાર્થી શાંતિથી બેસી વિચાર કરી આગળ આવી શકતો નથી. કુદરતથી દિન- પ્રતિદિન દૂર થતો જાય છે. તે માત્ર મશીનોનો ગુલામ થઈ રહ્યો છે.

આવી પરિસ્થિતિમાં પૃથ્વી પર દર મહિને મોટા મોટા ધરતીકંપો થાય છે, તે વળી ક્યાંક જ્વાળામુખી ફાટે છે અને આજુબાજુ વિનાશનું તાંડવ ખેલાય છે. અગ્નિની મહાનદીઓ વહે છે. કચ્છમાં થયેલ ધરતીકંપ, કેદારનાથમાં થયેલ જળપ્રલયે આપણને કુદરતના રુુદ્રસ્વરૂપના દર્શન કરાવ્યા છે. બ્રહ્મપુત્ર જેવી મહાનદીઓમાં આવતા ઘોડાપૂર કે મચ્છુ નદીનો ડેમ તૂટે ત્યારે કે તાપી નદીમાં આવતા ઘોડાપૂર આપણને કુદરત વિફરે ત્યારે શું ન કરે તે દર્શાવ્યું છે, પણ માનવી હજુ સુધરવાનું નામ લેતો નથી. દિવસે દિવસે તે હૃદયહીન બનતો જાય છે. આ બાજુ દુષ્કાળ, પાણીની તંગી દ્વારા પણ કુદરત રુદ્ર છે તે માનવીને દેખાઈ શકે છે. જાપાનમાં કે ભારતના પૂર્વ કાંઠે આવેલ સુનામી વળી કુદરતનું નવું રુદ્રરૂપ છે. ૫૦૦૦ વર્ષ પૂર્વે દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ તે પણ કદાચ સુનામીનો ભોગ બની હતી.

વિજ્ઞાનીઓ માને છે અને કહે છે કે હિમાલયમાં જો ૨૫-૩૦ નાના નાના ધરતીકંપો નહીં થાય તો નજીકના ભવિષ્યમાં ત્યાં ૧૦ રિકટર-સ્કેલ પર ધરતીકંપ થવાની સંભાવના છે અને જો એ થાય તો દિલ્હી ખેદાન-મેદાન થઈ જાય અને તેનો ઝટકો ઠેઠ મુંબઈમાં લાગે તેમ છે. એ વખતે જો ટહેરી ડેમ તૂટે તો હરિદ્વારમાં જળબંબાકાર થાય અને પાણીમાં હજારો લાશો તરે એમ છે. કુદરતના એ ભયંકર રૂપની તલવાર ભારત પર લટકેલી જ છે. કુદરત હવે ભારતને એમાંથી કેવી રીતે બચાવે છે કે ડૂબાડે છે તે જ જોવાનું છે. હિમાલય જો ધણધણસે તો આપણી ખેર નથી. તે વખતે મૃત્યુનું તાંડવનૃત્ય ખેલાશે અને છેલ્લા ૨૦૦૦ વર્ષમાં ન થયો હોય તેટલો વિનાશ માનવજાત જોશે. જેટલી કુદરત સુંદર અને સોહામણી છે તેટલું તેનું રુદ્રરૂપ ભયંકર છે. જો હિમાલયમાં ૧૦ રિકટર-સ્કેલ પર ધરતીકંપ થાય તો હિમાલયના ઘણા ઉત્તુંગ શિખરો ધસી પડે અને ભારત ૫૦ 

વર્ષ પાછું ઠેલાઈ જાય.

આમાં ઓછું હોય તેમ બ્રહ્માંડમાંથી આવતા લઘુગ્રહો પણ પૃથ્વીને છિન્ન ભિન્ન કરી શકે તેમ છે. આજથી ૫૦,૦૦૦ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોનાર ગામની નજીક માત્ર ૫૦ મીટરનો એક લઘુગ્રહ પડ્યો હતો. તેણે બે કિલોમીટરના વ્યાસનો ઉલ્કાકુંડ બનાવી નાખ્યો છે. વિજ્ઞાનીઓ માને છે કે બે કરોડ ૬૦ લાખ વર્ષ પહેલાં એક પાંચ કિલોમીટરનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો તેણે પૃથ્વી પરના બધા જ ડાયનોસોર્સના રામ રમાડી દીધાં હતાં. જો પૃથ્વી પર દશ કિલોમીટરના વ્યાસવાળો લઘુગ્રહ આવી પડે એટલે કે તેની સાથે અથડાય તો પૃથ્વી પરનું હાલનું જીવન પૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. આમ આપણે દર ક્ષણે કુદરતની દયા પર જીવીએ છીએ. પણ આપણે માનીએ છીએ કે આપણે અજર- અમર છીએ. આ જ માનવીનું અજ્ઞાન છે.

શંકરાચાર્યે તેમના ચર્પટમંજરિકા સ્ત્રોતમાં કહ્યું છે. નલિનીદલગત જલમતિ તાલમ્ યદ્વતજીવિતં અતિશય અપલમ્! આધિ વ્યાધિ અભિમાનં ગ્રસ્તં લોકં શોક હતં ચ સમસ્તમ॥ અર્થાત માનવીનું જીવન ક્ષણભંગુર છે. સવારે કમળના પાન પર પડેલું ઝાકળનું ટીપું ગમે ત્યારે નાશ પામી શકે છે તેમ માનવીનું જીવન ગમે ત્યારે નાશ પામી શકે છે. તે આધિ-વ્યાધિ- ઉપાધિ અભિમાનથી ગ્રસ્ત છે. કુદરત જ્યારે રૂઠે છે ત્યારે તે કોઈની હોતી નથી તે ભયંકર વિનાશ કરે છે. તે સર્જન પણ કરે છે અને વિનાશ પણ તેટલો જ મોટો કરે છે.

હિમાલયને જોઈએ તો કુદરતનું સુંદરરૂપ દેખાય, કુદરતનું મહાકાવ્ય દેખાય. રાતે તેની ઊંડી ખીણોને જોઈએ તો તેનું મહાભયંકર રુદ્રરૂપ દેખાય. બાળક જન્મે ત્યારે કુદરતનું સર્જનરૂપ દેખાય, માનવી મરે ત્યારે તેનું ભયંકર વિસર્જન રૂપ દેખાય. યજ્ઞની જ્વાળા અને ચિતાની જ્વાળા સરખી જ હોય છે. તે બંને કુદરતના જુદા જુદા સ્વરૂપોને દર્શાવે છે. એક સર્જનનું અને બીજું વિસર્જનનું. નદીમાં ખળ ખળ વહેતું પાણી કેટલું સૌમ્ય લાગે પણ ઘોડાપૂર આવે ત્યારે તે મોતનો પ્રવાહ બની જાય. પવનની વાતી લહેરીઓ મનને અને તનને આનંદ આપે પણ ભયંકર વંટોળ હવામાં મોટરકારને ઉડાડે. ઘરના છાપરા જમીન પર લાવી દે.

અદૃશ્ય બ્રહ્માંડના ગુણોને ઉજાગર કરતા ગુરુત્વાકર્ષણના તરંગો --- ડૉ. જે. જે. રાવલ

૧૯૦૫માં આઈન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંતમાં આઈન્સ્ટાઈને બ્રહ્માંડને ચાર પરિમાણવાળું લીધું. ત્રણ પરિમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના અને ચોથું પરિમાણ સમય. આ ચારેય વળી પાછા એકબીજાને કાટખૂણે હોય. સમયનું પરિમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને કેવી રીતે કાટખૂણે હોય તે જલદીથી સામાન્ય માનવીને સમજાય નહીં. કેમ કે આપણા દૃશ્ય બ્રહ્માંડમાં આપણને ત્રણ પરિમાણો જ દેખાય છે. એક-પરિમાણ જ જોઈ શકે તેવા પ્રાણી કે જંતુને બીજું પરિમાણ દેખાય જ નહીં. બે-પરિમાણવાળું બ્રહ્માંડ કેવું દેખાય તે તેને ખબર જ ન પડે. તેવી જ રીતે બે પરિમાણ જોઈ શકે તેવા પ્રાણીને ત્રીજું પરિમાણ દેખાય જ નહીં. ત્રણ પરિમાણવાળું બ્રહ્માંડ કેવું હોય તેને ખબર જ પડે નહીં. તેવી જ રીતે ત્રણ-પરિમાણ જોઈ શકે તેવા પ્રાણીને ચોથું પરિમાણ દેખાય જ નહીં. ચાર-પરિમાણવાળું બ્રહ્માંડ કેવું દેખાય તેની તેને ખબર જ પડે નહીં. પણ આઈન્સ્ટાઈને આપણને ચાર - પરિમાણવાળું બ્રહ્માંડ જોવાની દૃષ્ટિ આપી જેમાં સમય તેનું ચોથું પરિમાણ છે. જેમ જેમ પરિમાણ વધતું જાય, તેમ તેમ પ્રાણી કે જંતુ સુપર બનતું જાય. ચાર-પરિમાણ જે જોઈ શકે તે સુપરમેન બની જાય. પણ શું જે માનવી બ્રહ્માંડના પાંચ પરિમાણ સમજી શકે તે વધારે સુપરમેન બની શકે? હા. તો બ્રહ્માંડને હકીકતમાં કેટલા પરિમાણો હોઈ શકે? તે કહી ન શકાય. સ્ટ્રીંગ થિઅરીના ક્ષેત્રે કાર્ય કરનારા વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડને અગિયાર પરિમાણ હોઈ શકે. શું બ્રહ્માંડને અનંત પરિમાણ હોઈ શકે? કદાચ હોય પણ ખરાં. શું આપણે કુદરતને તેના ખરેખર વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકીશું. શું આપણે કુદરતનું અંતિમ રહસ્ય સમજી શકીશું - જાણી શકીશું? કદાચ નહીં જાણી શકીએ.

તો અંતિમ સત્ય જાણવાનો પ્રયાસ જ શા માટે કરવો, જે જાણી શકાય તેમ નથી? આ એક પ્રશ્ર્ન છે, જેનો જવાબ મળવો મુશ્કેલ છે. ન્યુટને એક સત્ય જોયું જેને તેણે આપણને સમજાવ્યું. આઈન્સ્ટાઈને વધારે આગળ સત્ય જોયું જેને તેણે આપણને સમજાવ્યું. પણ હવે શું? આપણે એક વસ્તુ જાણી શક્યાં કે બ્રહ્માંડમાં બધું જ સાપેક્ષ છે, કાંઈ પણ નિરપેક્ષ નથી. મનીષીઓ આ નિરપેક્ષ સત્યને જોવા માગે છે.

આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદે દર્શાવ્યું કે જ્યાં અંતરિક્ષ છે, ત્યાં સમય પણ હાજર છે અને સમય છે ત્યાં અંતરિક્ષ પણ હાજર જ છે. અંતરિક્ષ અને સમયને આપણે અલગ કરી શકીએ નહીં. અંતરિક્ષ મીટરમાં મપાય પણ સમય સેક્ધડમાં મપાય. તેને જોડતી કડી પ્રકાશની બ્રહ્માંડમાં અચલ અને સૌથી વધારે ગતિ છે. આ સિદ્ધાંતે એ પણ સાબિત કર્યું કે વિદ્યુતક્ષેત્ર છે ત્યાં ચુંબકીયક્ષેત્ર પણ છે અને ચુંબકીયક્ષેત્ર છે ત્યાં વિદ્યુતક્ષેત્ર પણ છે, એટલે કે સમય, અંતરિક્ષ, ચુંબકીયક્ષેત્ર, વિદ્યુતક્ષેત્ર બધાં ઉપર ઉપરથી અલગ અલગ દેખાય છે પણ તે બધાં એકના એક જ છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદે પદાર્થ અને ઊર્જાની એકરૂપતા સાબિત કરી. કમાલ કરી નાખી તેને વેદ અને શંકરાચાર્યની વૈજ્ઞાનિક રીતે અદ્વૈતવાદની સ્થાપના કરી દીધી કે છેવટે બધું એકનું એક જ છે. આવી રીતે આપણા મનીષીઓને તાત્વિક રીતે સાચા સાબિત કર્યાં. આની ઉપરથી જ આપણને બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાની જે રમત અને માયા ચાલે છે તેનું રહસ્ય આપણને સમજાયું. સૂર્ય કેવી રીતે પ્રકાશે છે તેની આપણને સૂર્યના જન્મ પછી ૪.૬ અબજ વર્ષ પછી ખબર પડી.

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે આપણને સમજાવ્યું કે રંગો, આકારો, લંબાઈ, પહોળાઈ, પદાર્થ, સમય આ બધું સાપેક્ષ છે. તમે કયા પ્લેટફોર્મ પર રહીને ગતિ કરી રહ્યા છો તેના પર બધો આધાર છે.

તેમ છતાં આ સિદ્ધાંત માત્ર એવા જ બ્રહ્માંડમાં સાચો છે, જ્યાં કોઈ બળ લાગતું ન હોય. બધા ગ્રહો, ઉપગ્રહો, તારા, મંદાકિનીઓ બધાને જ ગુરુત્વાકર્ષણ છે અને તેમની આસપાસ પણ ગુરુત્વાકર્ષણ છે તો આ વિશિષ્ટ સાપેક્ષવાદ 

ત્યાં કામ આવે નહીં. માટે તો તેને વિશિષ્ટ સાપેક્ષવાદ કહે છે. આ વિશિષ્ટ સાપેક્ષવાદને વિસ્તારવો પડે.

જો કોઈ વસ્તુ પર બળ નો લાગતું હોય તો સ્થિર વસ્તુ સ્થિર રહે અને ગતિ કરતી વસ્તુ એકધારી ગતિએ સીધી રેખામાં ચાલ્યા કરે. બળ લાગે કે તરત જ તેનો માર્ગ વક્ર બને. માટે જ્યાં બળ લાગતું હોય ત્યાં વસ્તુની ગતિ વક્ર બને. માટે આવી પરિસ્થિતિમાં યુક્લિડની ભૂમિતિ કામ આવે નહીં. માટે આ વસ્તુઓની ગતિવિધિનો અભ્યાસ કરવા વક્ર ભૂમિતિ (યુક્લિડ) અંતર ભૂમિતિ (નોન-યુક્લિડિયન ભૂમિતિ) યોગ્ય છે. ગૉસ, રીમાન, ચેબોશ્કી, ઓલ્પાઈ જેવા પ્રખર ગણિતવિદો અને ભૂમિતિવિદોએ વક્રભૂમિતિની શોધ કરી જ રાખી હતી. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણનું વર્ણન કરવા આ વક્રભૂમિતિનો ઉપયોગ કર્યો અને દર્શાવ્યું કે વક્રભૂમિતિનું વર્ણન કરવા મેઝરીંગ ટેઈપ, મીટર સ્કેલ, ફૂટપટ્ટી પોતે જ વક્ર હોવી ઘટે. વાટકાની અંદરની સપાટીને માપવી હોય અને આપણે તેની પર સીધો સળિયો કે ફૂટપટ્ટી મૂકી તો તે માત્ર કાંઠાના બે જ બિન્દુઓને અડકે, અંદરની સપાટી પરથી તે ચાલ્યો જાય. વાટકાની અંદરની સપાટી માપવી હોય તો સળિયાને કે ફૂટપટ્ટીને વાંકો વાળી વાટકાની અંદરના ભાગમાં બેસાડવો પડે.

બ્રહ્માંડ કબીરના તાણા-વાણા વાળી ચાદર જેવું છે. તેમાં જો પદાર્થ ન હોય તો આ ચાદર સમતલ રહે છે પણ એમાં પદાર્થનો ગાળો મૂકીએ તો ચાદરમાં ઝોલાં પડે છે. જેમ આ ગોળો પદાર્થમાં ભારે તેમ ચાદરમાં મોટો અને ઊંડો ઝોલો પડે. આમ ચાદરમાં પડેલ વક્રતા જ ચાદર પર રહેલા પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપે. આમ બ્રહ્માંડના અંતરિક્ષરૂપ ચાદરમાં પડેલી વક્રતા એ જ ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણની તીવ્રતા. બ્રહ્માંડના અંતરિક્ષની વક્રતાનારૂપે માપી શકાય, બ્રહ્માંડની ભૂમિતિની વક્રતારૂપે માપી શકાય. આ જ આઈન્સ્ટાઈનનો બ્રહ્માંડના અંતરિક્ષની ભૂમિતિની વક્રતાના રૂપમાં ગુરુત્વાકર્ષણને માપતો વિસ્તૃત સાપેક્ષવાદ આમ બ્રહ્માંડની ભૂમિતિ અને ગુરુત્વાકર્ષણ એકરૂપ થઈ ગયાં. આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદે દર્શાવ્યું કે પદાર્થ, ઊર્જા, બ્રહ્માંડના અંતરિક્ષની ભૂમિતિ, સમય બધું એકનું એક જ છે. બ્રહ્માંડના અંતરિક્ષની ચાદર પર ગોળો ગબડાવીએ તો તે બ્રહ્માંડની ચાદરમાં ઝોલાનારૂપે ગતિ કરતો દેખાશે. આમ પદાર્થને ભૂલી જઈને તેને અંતરિક્ષમાં પાડેલા ઝોલાની ગતિનો અભ્યાસ કરીએ તે પૂરતું થઈ જાય.

અંતરિક્ષ અને ગુરુત્વાકર્ષણ બંને એકના એક જ છે. અંતરિક્ષને કેદ કરી શકાય નહીં, તેમ ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકાય નહીં. અંતરિક્ષ લાગે છે સ્થિર પણ તે સ્થિર નથી તે જીવરું છે, જીવંત છે. હર ક્ષણે ગતિવિધિ કરે છે. એે અંતરિક્ષ જ જીવંત છે, માટે બ્રહ્માંડની બધી જ વસ્તુ જીવંત છે, ગતિવિધિ કરે છે, પરત જવાબ આપે છે.

આઈન્સ્ટાઈનનો આ વિસ્તૃત સાપેક્ષવાદ દર્શાવે છે કે, જ્યારે આકાશીપિંડ પ્રવેગી બને છે ત્યારે તેનો અર્થ એમ થાય કે બ્રહ્માંડની ચાદર એટલે કે અંતરિક્ષ પ્રવેગી બને છે અને તે તરંગો ઉત્પન્ન કરે છે. જેમ સરોવરના સ્થિર પાણીમાં પથ્થર ફેંકીએ અને તેમાં તરંગો ઉત્પન્ન થાય, તેમ અંતરિક્ષની ચાદરમાં તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોને ગુરુત્વાકર્ષણના તરંગો કહે છે.

અવાજના તરંગો છે, ધરતીકંપના તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, તેમ ગુરુત્વાકર્ષણના તરંગો છે. વિદ્યુત -

ચુંબકીય તરંગોને વહન કરનાર પ્રકાશકણ ફોટોન છે. તેમ ગુરુત્વાકર્ષણ તરંગોને વહન કરનાર 

ગ્રેવીટોન છે. વિદ્યુત - ચુંબકીય તરંગોની માફક, ગુરુત્વાકર્ષણના તરંગો પ્રકાશની ગતિથી ચાલે છે. ગુરુત્વાકર્ષણ તરંગોની તરંગ લંબાઈ વધારે છે, તેમાં ઊર્જા ઓછી છે માટે તેને પકડવા ઘણું કઠિન કામ છે.

આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણના તરંગો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ એવી જાહેરાત કર્યા પછી જોસેફ વેબર જેવા ઘણા ખગોળવિદોએ તેનું અસ્તિત્વ સાબિત કરવા પ્રયોગો સ્થાપિત કરેલા પણ તેઓ આ તરંગોને પકડવામાં નિષ્ફળ ગયેલાં, એટલા તે નબળા તરંગો છે. હવે જઈને લેઝર ઈન્ટરફીઅરોમીટર ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરીએ આ તરંગોનું વાસ્તવિક અસ્તિત્વ સાબિત કર્યું છે.

આ અગાઉ હલ્ઝ અને ટેઈલર નામના બે ખગોળવિદોએ બે ન્યુટ્રોન તારા જે યુગ્મ સિસ્ટમ બનાવે છે અને ઘણા નજીક નજીક છે તેનો અભ્યાસ કરીને તેમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે તેવી જાહેરાત કરેલી પણ આ તરંગોને પકડ્યા નહોતાં.

આ મોટી શોધ છે. તેમાં ભારતીય વિજ્ઞાનીઓનું પ્રદાન પણ છે જે આપણને ગર્વાન્વિત બનાવે છે.

અતિ અતિ ભારે તારાના અતિમહાવિસ્ફોટ સમયે કે એકબીજાની ફરતે પરિક્રમા કરતાં બે બ્લેકહોલ જ્યારે ઘણા નજીક આવે ત્યારે ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. જ્યારે અંતરિક્ષની ચાદરમાં - ગુરુત્વાકર્ષણની ચાદરમાં ખલેલ પહોંચે ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન થાય. આઈન્સ્ટાઈને તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું વર્ણન કરતા સમીકરણમાં ખલેલ પહોંચાડી ત્યારે તેને માલૂમ પડ્યું કે તેમાંથી તરંગો ઉત્પન્ન થાય છે જેને બે કમ્પોનન્ટ છે અને તે પ્રકાશની ગતિથી ચાલે છે.

ગુરુત્વાકર્ષણ તરંગો અદૃશ્ય બ્રહ્માંડના રહસ્યને શોધી આપવા સક્ષમ છે. આ તરંગોરૂપી બારીમાંથી આપણે બ્રહ્માંડના ગૂઢ રહસ્યને જોઈ શકીશું. આઈન્સ્ટાઈને તેની થિઅરીને આધારે કરેલી આ કદાચ છેલ્લી આગાહી છે. સૈદ્ધાંતિક વિજ્ઞાનની આ મહાન સફળતા ગણાય. આ ગુરુત્વાકર્ષણ તરંગો ભવિષ્યમાં ખગોળવિજ્ઞાનમાં કયા નવા દરવાજા ખોલશે તે તો સમય જ બતાવશે.

સમયમાપન બાબતે અર્વાચીન વિજ્ઞાનીઓ કરતાં વધુ જાણતલ હતા ભારતીય મનીષીઓ --- ડૉ. જે. જે. રાવલ

પુરાતન માનવી સૂર્યોદય થાય, બધે પ્રકાશ ફેલાય અને સૂર્યની ગરમી લાગે એટલે જાગી જતો. તે સૂર્યથી પ્રભાવિત હતો. આકાશમાં સૂર્ય ઉપર ચઢે, મધ્યાહ્ન થાય અને સાંજે સૂર્યાસ્ત થાય. આમાંથી તેને સમયનો ખ્યાલ આવ્યો. સૂર્ય શું છે તેની તેને ખબર ન હતી. સૂર્યોદય થાય અને બધું દેખાવા માંડે તેથી તેને સૂર્ય પ્રત્યે અહોભાવ જાગ્યો અને તેને નમન કરતો. તેને થતું કે ફરીથી બંધુ દૃશ્યમાન કરવા સૂર્ય આવી ગયો છે. સવારે આકાશમાં લાલિમા પથરાતી, સાંજે પણ આકાશમાં લાલિમા પથરાતી. સવારે પ્રકૃતિ જાગી ઊઠતી, પશુ-પંખીઓ કલરવ કરવા માંડતાં. સાંજે સૂર્યાસ્તની લાલિમાના બેકગ્રાઉન્ડમાં કાળા કાગડા ઉડતા. આ બધું તેને આહલાદક લાગતું અને આજે પણ આપણને તે આહલાદ્ક લાગે છે. રાત થાય એટલે તારાનો ચંદરવો દૃષ્ટિમાન થતો. તેમાં વળી પ્રકાશિત તારા ને એવા પ્રકાશિત આકાશપિંડને સ્થિર તારા વચ્ચે જગ્યા બદલતા દેખાતા. રાત્રિ આકાશમાં વિવિધ કલા કરતો ચંદ્ર વિહાર કરતો. તેને આ બધા વિષે કાંઇ ખાસ ખબર ન હતી. 

પુરાતન માનવી દિવસ અને રાત જોતો. તે તેના સમયને, સમયના ગાળાને સમજવા લાગ્યો. તે તેને યાદ રાખી શકતો નહીં. પણ જ્યારથી તેણે ચંદ્રદર્શન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેણે સમયની આંકડા વગર, માત્ર ચંદ્રના આકારથી ગણતરી કરવી શરૂ કરી અને આપણી પાસે શુક્લ પક્ષની અષ્ટમી (અંજવાળિયા પક્ષની અષ્ટમી)પૂર્ણિમા, કૃષ્ણ પક્ષની અષ્ટમી અને ચંદ્રના દર્શન ન થાય તે દિવસ અમાસ અસ્તિત્વમાં આવ્યાં. આમ આંકડા વગર દિવસો ગણવાની પદ્ધતિ મહિનો, અઠવાડિયા, પખવાડિયા અસ્તિત્વમાં આવ્યા. પુરાતન માનવીએ જોયું કે ચંદ્ર આકાશમાં ચક્કર મારી લે છે તે સમય દરમિયાન સૂર્ય એક તારાસમૂહમાંથી તે જ તારા સમૂહમાં પાછો ફરે છે. આમ આંકડા વગર વર્ષ અસ્તિત્વમાં આવ્યું. આ આકાશદર્શનનું માનવીના જીવનમાં મૂળભૂત અને પ્રથમ યોગદાન હતું. મહિનાઓ, રાશિઓ, નક્ષત્રો અસ્તિત્વમાં આવ્યાં, કારણ કે ચંદ્ર અને સૂર્ય દરરોજ અને દર મહિને તારક સમૂહ બદલતાં રહેતાં. 

વર્ષ અસ્તિત્વમાં આવ્યા પછી શું? કાંઇ જ નહીં, તેની દૃષ્ટિથી ગણતરી કરવી ત્યારે શક્ય ન હતી. આંકડા અસ્તિત્વમાં આવ્યા પછી તેની ગણતરી શક્ય બની. બાળકની જ્ન્મતિથિની પુરાતન માનવીને ખબર પડતી પણ કેટલામી જ્ન્મતિથિ તે જાણી શકાતું નહીં. અષ્ટમી આવે પણ કેટલામી અષ્ટમી તે ખબર પડતી નહીં. આંકડા આવ્યા પછી ગણતરી શક્ય બની. શરીરના વિકાસ પરથી માલૂમ પડતું કે માનવી મોટો થાય છે. પણ મુશ્કેલી એ હતી કે ખબર પડતી ન હતી અને આજે પણ ખબર પડતી નથી કે સમય ફેરફાર કરે છે કે ફેરફારો સમય માપે છે. 

પછી રાત્રિના આકાશ દર્શન કરતાં માલૂમ પડતું કે લગભગ સરખા સમયના ગાળે રાતે ૧૨ પ્રકાશિત તારા એક પછી એક પૂર્વ ક્ષિતિજે ઉદય પામે છે. તેના રાત્રિના ૧૨ ભાગ પાડ્યા જે કલાકો તરીકે જાણીતા થયા અને તેવી જ રીતે ૧૨ કલાક દિવસના આમ રાત-દિવસ એટલે કે પૂર્ણ દિવસના ૨૪ કલાક થયા. પુરાતન સમયમાં તે મુહૂર્તો કે ઘડી કહેવાતા. 

રસપ્રદ વાત એ છે કે ભારતીયો અને ગ્રીકોને ગ્રહણોના ૧૮ વર્ષના સારાંસ સાઇકલ (સારોસ સમયચક્ર)ની ખબર હતી જે તે વખતે સમયનો મોટામાં મોટો એકમ હતો. 

સમયને માપવા સન-ડાયલ, સૂર્યઘટિકાયંત્ર, જળઘટિકાયંત્ર વગેરે અસ્તિત્વમાં લાવવામાં આવ્યાં હતાં. સમયને ચંદ્રમાં માપી શકાય છે તે ચંદ્રની કળાના મહિને પુરાતન માનવીને જાણ કરી હતી. 

પ્રાચીન મનીષીઓને એ ખબર હતી કે વસંતસંપાત બિન્દુ ખસે છે. તે ખસવાના દરની પણ તેમને જાણ હતી. પછીથી છેક સાતમી-આઠમી સદીમાં ખબર પડી કે તે ચક્ર છે અને તેનું સમયચક્ર ૨૫૬૦૦ વર્ષનું છે. આમ ઇસુની પ્રથમ સહસ્રાબ્દીમાં વસંતસંપાતના ચક્રનો સમય મોટામાં મોટો સમયનો યુનિટ (એકમ)હતો. વિજ્ઞાનીઓમાં પણ સમયચક્ર છે કે વીસમી સદી સુધી મોટામાં મોટો સમયચક્ર રહ્યો, જ્યારે ખગોળવિજ્ઞાનીઓને ખબર પડી કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીને ફરતે પ્રદક્ષિણા કરે છે અને તેને એક પરિક્રમા પૂરી કરતાં ૨૨ કરોડ વર્ષ લાગે છે. આ સમયચક્ર નો લાંબામાં લાંબો સમયનો એકમ બન્યો. પછી ખગોળવિજ્ઞાનીઓને ખબર પડી કે આપણી મંદાકિની તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે અને તેને આ ધરી ભ્રમણ કરતાં લગભગ એક અબજ વર્ષ લાગે છે. આમ આકાશગંગાનો ધરીભ્રમણ સમય લાંબામાં લાંબો સમયચક્રનો એકમ બન્યો. 

ખગોળવિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું કે આપણું બ્રહ્માંડ વિસ્તરે છે અને તેઓ માનતા થયા હતા કે બ્રહ્માંડ લગભગ પચીસેક અબજ વર્ષ સુધી વિસ્તરશે અને પછી સંકોચાશે. જો કે બ્રહ્માંડ સંકોચાય તે સમજ્વું અઘરું છે પણ તેમ છતાં તેઓ માનતા થયા હતા કે બ્રહ્માંડ સંકોચાશે અને તે વળી પાછું બિન્દુ બની જશે. આ સમયચક્રનો તેમનો અંદાજ ૪૦ અબજ વર્ષનો હતો. હજી આ બાબત ચાલતી હતી ત્યાં જાણવા મળ્યું કે આપણું બ્રહ્માંડ તો ડિસ્લરેટિંગ નથી પણ એક્સલરેટિંગ છે, પ્રવેગી છે. તેથી સમયચક્રનો આ લાંબામાં લાંબો એકમ નિરર્થક સાબિત થયો અને ઊડી ગયો. વિજ્ઞાનીઓમાં હાલમાં સમયચક્રનો લાંબામાં લાંબો એકમ (યુનિટ)આપણી આકાશગંગા મંદાકિનીના ધરીભ્રમણના ચક્રનો એક અબજ વર્ષનો જ છે. 

આ બાજુ ભારતીય મનીષીઓ ટૂંકામાં ટૂંકા સમયનું માપ તો જાણતા હતા, પણ સમયનો લાંબામાં લાંબો એકમ પણ સ્થાપ્યો છે. હાલનું વિજ્ઞાન પણ આ કરી શક્યું નથી. તેની પાછળનું કારણ વિજ્ઞાન પ્રયોગાત્મક છે અને તેને સાબિતી જોઇએ છે. વિજ્ઞાને સમયનો ટૂંકામાં ટૂંકો યુનિટ પ્લાન્કટાઇમ સ્થાપ્યો છે જે ૧૦-૪૪ સેક્ધડ છે. તેને પેલેપાર આપણે સમયને જાણી શકતાં જ નથી પણ વિજ્ઞાન પાસે હાલમાં ગેલેક્સીના ધરીભ્રમણવાળી એક અબજ વર્ષના સમયચક્ર કરતાં લાંબા સમયનું ચક્ર નથી. 

પ્રાચીન મનીષીઓના મત મુજબ સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો અને કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે. મહાભારતના યુદ્ધ પછી કલીયુગ શરૂ થયો અને તેનાં હજુ માત્ર ૫૦૦૦ વર્ષ ગયાં છે અને ૪,૨૭,૦૦૦ વર્ષ બાકી છે. આ ચારેય યુગો મળી ૪૩,૨૦,૦૦૦ વર્ષનો મહાયુગ થાય છે. દેવોનું વર્ષ ૪,૩૨,૦૦૦૦૦૦૦(ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ)નું છે. આ સમયચક્ર હાલના વિજ્ઞાનીઓના ગેલેક્સીની સમયચક્ર કરતાં ઘણું મોટું છે. તે સમય માપવા માટે લાંબો સમયનો એકમ છે. ભારતીય મનીષીઓએ સમયના બહુ લાંબા એકમની સ્થાપના કરી છે. આ આશ્ર્ચર્ય પમાડે તેવી વાત છે. ગીતામાં પણ આ વાતની રજૂઆત છે. 

એટલું જ નહીં આ તો બ્રહ્માનો એક દિવસ કે એક રાતનો જ સમય છે. તેને કલ્પ કહેવામાં આવે છે. બે કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ અને એક રાત એટલે પૂર્ણ દિવસ જે ૮,૬૪,૦૦૦૦૦૦૦ વર્ષનો છે. આ વળી એનાથી લાંબો સમયનો એકમ બ્રહ્માંનું વર્ષ ૭૨૦ કલ્પોનું થાય અને બ્રહ્માનાં સો વર્ષ એટલે ૭૨૦૦૦ કલ્પ એટલે ૭૨૦૦૦ ડ્ઢ ૪૩૨૦૦૦૦૦૦૦=૩,૧૧,૦૪૦,૦૦૦,૦૦૦,૦૦૦= ૩૧૧ ટ્રીલિયન વર્ષ. = ૩૧૧ હજાર અબજ વર્ષ = લગભગ ૩૧ લાખ અબજ વર્ષ. આટલો મોટો સમયનો એકમ આપણા મનીષીઓ જાણતા હતા તે ખરેખર નવાઇ પમાડે છે. આ થોડું કાલ્પનિક પણ લાગે છે કે ક્યારે શરૂઆત અને ક્યારે અંત કેમ ખબર પડે. આર્યભટ્ટે વૈજ્ઞાનિક રીતે પ્રયત્ન કર્યો છે. હાલનો કલીયુગ ઇશુના ૩૧૦૨ વર્ષ પહેલાં ૧૮ ફેબ્રુઆરીએ શરૂ થયો છે.

સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે --- જયવંત પંડ્યા

નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી?

હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે, ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ છે કે બંને રાજકારણના અઠંગ ખેલાડી છે. બંને તેમના દુશ્મનોને માફ કરવામાં માનતા નથી, સાફ કરવામાં જ માને છે. નરેન્દ્ર મોદીએ તેમના પક્ષના અને પક્ષની બહારના વિરોધીઓને એકબાજુ ધકેલી દેવામાં સફળતા મેળવી અને મેળવી રહ્યા છે તો સુબ્રમણિયન સ્વામીએ અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન-હેરાન કરી મૂક્યા હતા. સુબ્રમણિયન જ્ઞાતિએ બ્રાહ્મણ છે અને ખરા અર્થમાં બ્રાહ્મણ છે. વિદ્વતા તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી છે. શિક્ષણવિદ્, વકીલ, લેખક અને રાજકારણી જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. અને એક બીજા બ્રાહ્મણ ચાણક્યના શબ્દશ: ગુણો ધરાવે છે. ચાણક્યને ધનાનંદ સાથે વેર થયું હતું તો તેઓ તેને સત્તામાંથી પદચ્યુત કરીને જ ઝંપ્યા હતા. સ્વામીનું પણ તેવું જ છે.

આવા ધૂરંધર રાજકારણીઓ સામે પડનાર આ સુબ્રમણિયન સ્વામી છે કોણ? આમ તો, સ્વામી રાજકારણમાં જ ન હોત. તેઓ ખૂબ જ સારા શિક્ષણવિદ્ હતા અને છે. સ્વામીએ હાર્વર્ડ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવેલું છે. તેમણે ૨૪ વર્ષે જ હાર્વર્ડમાંથી પીએચ.ડી. કરી લીધેલું. ઇકોનોમિક સાયન્સમાં નોબલ મેળવનાર પહેલા અમેરિકન પોલ સેમ્યેલ્સન સાથે તેમણે ઇન્ડેક્સ નંબરની થિયરીનું પેપર લખેલું. ૧૯૭૫માં તેમણે ચીનના અર્થતંત્ર પર પુસ્તક લખેલું. તેઓ માત્ર ત્રણ મહિનામાં ચીની ભાષા શીખી ગયેલા! નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેનના આમંત્રણથી તેઓ દિલ્લી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયેલા. તો પછી કયા સંજોગો આવા શિક્ષણવિદ્ને અને સંશોધનકારને રાજકારણ તરફ ખેંચી લાવ્યા?

પિતા સીતારામ સુબ્રમણિયનની જેમ સુબ્રમણિયન પણ ગણિતમાં ખૂબ જ વિદ્વાન. પિતા સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા. નોકરીના કારણે તેઓ ચેન્નાઈથી દિલ્લી આવી ગયેલા. સુબ્રમણિયન સ્વામી (સ્વામી વકીલ પણ હોવાથી વકીલની ભાષામાં એક ચોખવટ-હવે આપણે તેમના લાંબા આખા નામના બદલે સ્વામી જ લખીશું) ભણ્યા દિલ્લીમાં. તેમણે દિલ્લી યુનિવર્સિટી અંતર્ગત હિન્દુ કૉલેજમાંથી ગણિતમાં બી.એ. (ઑનરરી) ડિગ્રી મેળવી. તેઓ ત્રીજા ક્રમે આવ્યા હતા. અનુસ્નાતકનું ભણવા તેઓ કોલકાતા ગયેલા. સ્વામીને દુશ્મનોનો પનારો ત્યારથી જ પડેલો. એટલે જ કદાચ સ્વામીનો સ્વભાવ દુશ્મનોને માફ નહીં કરવાનો બની ગયો હશે.

બન્યું એવું કે કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના વડા પી. સી. મહાલાનોબિસ હતા જે તેમના પિતા સીતારામના દુશ્મન હતા. પિતાની દુશ્મની તેમણે પુત્ર સામે કાઢી. સ્વામીને ઓછા માર્ક આવવા લાગ્યા. આ મહાલાનોબિસ આયોજન પંચ સ્થાપવા પાછળનું ભેજું કહેવાય છે. મહાલાનોબિસે ઓછા માર્ક આપ્યા હોય કે ગમે તેમ, સ્વામીએ ભણી લીધા પછી આઈઆઈટીમાં હતા ત્યારે તેમણે ડાબેરીઓ પી. એન. હક્સર, મોહન કુમારમંગલમ અને નુરુલ હસ્સન સામે બાથ ભીડેલી. અર્થકારણ માટે સ્વદેશી યોજના’ આપેલી. તેમણે આ પંચવર્ષીય યોજનાને બંધ કરી દેવા સૂચવેલું. કદાચ તેમનું તીર મહાલાનોબિસ તરફ હતું, પણ આ તીર લાગ્યું ઈન્દિરા ગાંધીને.

ઈન્દિરા ગાંધીનો તે વખતે સૂર્ય મધ્યાહ્ને તપે. તેમની વિરુદ્ધ બોલવું એટલે જેલમાં જવું. તેમના જેવા દિગ્ગજ નેતાને ફરજ પડી કે તેમણે વર્ષ ૧૯૭૦માં બજેટ પરની ચર્ચામાં સ્વામીના વિચારો માટે સ્વામીને અવાસ્તવિક વિચારો સાથેના સાન્તા ક્લોઝ’ કહીને તેમની ઠેકડી ઉડાવી. એટલું જ નહીં ઈન્દિરા ગાંધીએ ડિસેમ્બર ૧૯૭૨માં આઈઆઈટીમાંથી સ્વામીને કઢાવી મૂક્યા. (સ્મૃતિ ઈરાની સામે થતા આક્ષેપો પરથી નવાઈ ન લાગવી જોઈએ. આગે સે ચલી આતી હૈ...)

અહીંથી સ્વામીના દુશ્મન બની ગયાં ઈન્દિરા ગાંધી. ભાજપના પૂર્વાવતાર જેવા જનસંઘના નાનાજી દેશમુખની પારખુ નજરે સ્વામીને માપી લીધા. તેમને થયું આ છોકરો આપણા માટે કામનો છે ૧૯૭૪નો એ સમય. જનસંઘે નાનાજીના કહેવાથી સ્વામીને રાજ્યસભામાં મોકલ્યા.

એ કટોકટી ગાળા વખતે સ્વામીએ ભજવેલી ભૂમિકાથી તેઓ સંઘ અને જનસંઘ બંનેના કાર્યકર્તાઓના હીરો બની ગયેલા. અહીં પણ નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે બીજી સામ્યતા રહેલી છે. કટોકટીના ગાળામાં ઈન્દિરા ગાંધીની પાળતું પોલીસથી બચવા બંને શીખનો વેશ ધારણ કરેલો. એમાંય સ્વામી તો અમેરિકા જઈને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને એ કટોકટી દરમિયાન જર્મનીના હિટલરની જેવા કરાતા અત્યાચારોની ગાથા વર્ણવતા. ઈન્દિરાના શાસનમાં, પેલા હિટલરની નકલ જેવા અસરાની ‘શોલે’માં કહે કે ‘પરિન્દા ભી પૈર નહીં માર સકતા’ તેવું હતું, પણ સ્વામી કોને કહે? તેઓ અમેરિકાથી ભારત આવ્યા. સુરક્ષાચક્ર તોડીને સંસદમાં ઘૂસ્યા. ૧૦ ઑગસ્ટ, ૧૯૭૬ના રોજ સંસદના સત્રમાં હાજરી આપી. ત્યાંથી પાછા ભાગી ગયા. એટલું જ નહીં, પણ ભાગીને ભારતથી પાછા અમેરિકા પહોંચી ગયા! સંસદમાં સ્વામીએ કોની સામે મુદ્દો ઉઠાવ્યો હતો? ઈન્દિરા ગાંધીનાં પુત્રવધૂ! જી હા, સોનિયા ગાંધી સામે. તેમણે અત્યારે જેમ રાજ્યસભામાં પુરાવા સહિત ઑગસ્ટા વેસ્ટલૅન્ડમાં સોનિયા-અહેમદ પટેલને ભીંસમાં લીધાં તેમ તે વખતે સંસદમાં દસ્તાવેજી પુરાવા સાથે આક્ષેપ કરેલો કે સોનિયા ઑરિયેન્ટલ ફાયર ઍન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બેનામી ઇન્સ્યોરન્સ એજન્ટ છે. અને તેમણે પોતાના ઑફિસના સરનામા તરીકે વડા પ્રધાન નિવાસનું સરનામું- ૧, સફદરગંજ રોડ આપેલું છે. આના પરિણામે ઈન્દિરા ગાંધીના આદેશથી સોનિયાને તેમની રોજગારી છોડવી પડેલી!

ઈન્દિરા ગાંધીને સ્વામીની દુશ્મનાવટ મોંઘી પડી. ઈન્દિરાના અને તે રીતે નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનનો અંત લાવવામાં સ્વામી પણ અનેક પરિબળોમાંના એક મહત્ત્વના પરિબળ હતા. જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા સ્વામી. સ્વામી સહિત અનેકોના પ્રયાસોના કારણે ઈન્દિરાને ચૂંટણી આપવી પડી. એ ચૂંટણીમાં જનતા પક્ષની સરકાર બની. અહીંથી શરૂ થઈ સ્વામીની વાજપેયી સાથેની દુશ્મની.

સ્વામી અર્થશાસ્ત્રમાં એટલા બધા નિષ્ણાત હતા કે તેઓ જ સ્વાભાવિક નાણાપ્રધાન તરીકેના અગ્રણી દાવેદાર હતા. એમ કહેવાય છે કે વાજપેયીએ એવી અફવા ફેલાવી કે સ્વામી સીઆઈએના એજન્ટ છે અને સ્વામીને નાણાં મંત્રાલય મળતું અટકાવેલું. સ્વામી કટોકટીના સમય દરમિયાન આરએસએસની અંદરનાં વર્તુળોમાં સ્થાન પામી ગયા હતા, પણ નાણાં મંત્રાલય ન મળવાના કારણે તેઓ વાજપેયી અને સંઘના વિરોધી બની ગયા. પછીથી તેમણે વાજપેયી અને તત્કાલીન સંઘ સરસંઘચાલક (પ્રમુખ) બાળાસાહેબ દેવરસ પર કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીને માફી પત્ર લખી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. વાજપેયી દારૂ પીતા હોવાનું પણ સ્વામીએ તેમની આત્મકથામાં લખેલું છે. તેમણે લખ્યું છે, મોરારજી અને ચરણસિંહ તેમની નૈતિકતા માટે જાણીતા હતા, પરંતુ જનતા પક્ષમાં રહેલા કેટલાક અનૈતિક તત્ત્વોએ તેમના અંગત ફાયદા માટે બંને વચ્ચે દુશ્મની કરાવી. દા.ત. જ્યારે મોરારજીએ વાજપેયીને દારૂ નહીં પીવા માટે કડક ચેતવણી આપી ત્યારે વાજપેયી ભોંઠા પડી ગયેલા. દિલ્લીમાં જાપાનના વિદેશ પ્રધાને એક પાર્ટી રાખી હતી. વાજપેયી વિદેશ પ્રધાન તરીકે તેમાં હાજર હતા. તેઓ પીધેલા હતા. મને પણ તેમાં ભોજન માટે આમંત્રણ હતું. મને એ જોઈને આઘાત લાગ્યો કે વિદેશ પ્રધાન (વાજપેયી) ફૂલ પીધેલી સ્થિતિમાં હતા...

જ્યારે મોરારજીએ મને પૂછ્યું ત્યારે મેં તેમને બધું કહી દીધું... (બની શકે કે નાણાપ્રધાન ન બનાવવાના કારણે સ્વામીએ વાજપેયી વિરુદ્ધ આ બધી વાર્તા ઊભી કરી હોય...સત્ય તો રામ જાણે.) તે પછી મોરારજીએ મારી હાજરીમાં વાજપેયીને બોલાવ્યા અને તેમને જોરદાર ઠપકો આપ્યો, પરંતુ વાજપેયી કંઈ બોલ્યા નહીં. તેઓ એવી રીતે ઊભા હતા જેમ કોઈ વિદ્યાર્થી શિક્ષક દ્વારા ચોરી કરતાં રંગેહાથ ઝડપાયો હોય. આની સામે બદલો લેવા અને મોરારજીને મર્યાદામાં રાખવા, વાજપેયીએ મોરારજી વિરુદ્ધ ચરણસિંહના કાનમાં ઝેર રેડ્યું. એ વાજપેયી જ હતા જેમણે સૌ પ્રથમ ચરણસિંહના મનમાં વડા પ્રધાન બનવાની ઈચ્છા રોપી. તેઓ મોરારજી અને ચરણસિંહને અલગ-અલગ મળતા અને બંનેને એકબીજા વિરુદ્ધ ચડાવતા. સામાન્ય માન્યતા એવી છે કે ચરણસિંહે જનતા પક્ષની સરકાર તોડી, પણ હકીકતે વાજપેયીએ આ કામ કર્યું.

સુબ્રમણિયન સ્વામી અતિ મહત્ત્વાકાંક્ષી છે. અલબત્ત, તેમની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થાય તે માટેની તેમનામાં લાયકાત છે પણ ખરી. લાયકાત વગર જો કોઈના મનમાં મહત્ત્વાકાંક્ષા હોય તો તે વ્યક્તિ પરત્વે આદર ન થાય, પણ સ્વામી માટે એવું નથી.

૧૯૯૮માં જયલલિતાની કૃપાથી સ્વામી મદુરાઈ બેઠક પરથી જીતી ગયા હતા. તે વખતે પણ સ્વામીને હતું કે જનતા સરકાર વખતે ન મેળ પડ્યો તો કંઈ નહીં, આ વખતે તો મેળ પડશે. જયલલિતા પણ તેમના ક્વોટામાંથી સ્વામીને નાણાપ્રધાન બનાવવા માગતા હતા, પણ વાજપેયી સ્વામીની દુશ્મની ભૂલી શકે તેમ નહોતા. સામાન્ય રીતે અજાતશત્રુ કહેવાતા વાજપેયીએ સ્વામીને મંત્રી ન બનાવ્યા. એમાં સ્વામીની વાજપેયી પ્રત્યેની કડવાશ વધી ગઈ. વાજપેયી સ્વામીને જનતા સરકાર વખતથી અલગ રાખતા હોય તેમાં કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ પક્ષની અંદર પોતાના હરીફ ઊભા થવા દેવા માગતા ન હોય. પરિણામ એ આવ્યું કે તે વખતે સ્વામીએ સોનિયા ગાંધી અને જયલલિતા વચ્ચે ટી પાર્ટી રખાવીને સરકાર ઉથલાવી દીધી, પણ કારગિલ યુદ્ધ થયું અને ૧૯૯૯માં ફરીથી વાજપેયી વડા પ્રધાન બન્યા. સ્વામીની ઈચ્છા પૂરી ન થઈ.

વી. પી. સિંહ બોફોર્સ કૌભાંડ સામે ઝુંબેશ ચલાવીને વડા પ્રધાન બન્યા હતા, પણ સ્વામીએ પુરાવા સાથે તેમનું નામ પણ તેમાં જોડી દીધું હતું!

સ્વામીએ ભાજપે ટેકો પાછો ખેંચી લીધા પછી વી. પી. સિંહના જનતા દળને તોડવામાં પણ ભાગ ભજવ્યો હતો તેમ કહેવાય છે. અજિતસિંહના જૂથના જનતા દળના ૨૦ સાંસદો તૂટીને ચંદ્રશેખર તરફ આવી ગયેલા તેનો યશ (!) સ્વામીને જાય છે. સ્વામીએ એક પત્રકારને હસતા હસતા કહેલું, તમારી પત્રકારોની કોઈ સંસ્થાને તોડવી હોય તો મને કહેજો!

જયલલિતાના એક સમયના મિત્ર સ્વામીએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ કરીને તેમને જેલ ભેગા કર્યાં હતાં. જોકે, સ્વામીનું કહેવું હતું કે જયલલિતાના કહેવાથી પોલીસે તેમને હેરાન કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ એક બાબતમાં નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી જુદા પડે છે. મોદીને જયલલિતા સાથે સારું બને છે (અને આથી ભાજપને પણ!) પરંતુ ભાજપમાં માત્ર સ્વામી જ જયલલિતાના વિરોધી છે. બાકી, ઉદારવાદી આર્થિક નીતિમાં મોદી અને સ્વામી બંને સરખા મતના છે. અલબત્ત, એમ કહેવું જોઈએ કે ઉદારવાદી નીતિ લાવવાનો યશ મનમોહનસિંહને (મીડિયાના પ્રતાપે) જાય છે, પરંતુ હકીકતે ચંદ્રશેખર સરકાર વખતે તેનો પાયો સ્વામીએ નાખ્યો હતો. અને સ્વામી ઉદારવાદી આર્થિક નીતિની તરફેણ તેઓ આઈઆઈટીમાં ભણાવતા ત્યારથી કરતા હતા. આ બધી સામ્યતાઓ અને સ્વામીની અનેક નિપુણતાઓ તેમ જ સરકાર ઉથલાવવાની ક્ષમતાના લીધે જ કદાચ મોદીએ સ્વામીને રાજ્યસભામાં લાવીને સાચવી લીધા છે.

સામાન્ય રીતે કૌભાંડોની પાછળ પડતા સ્વામીએ બોફોર્સ કૌભાંડને હાથ પણ નહોતો લગાડ્યો? કેમ? તેમનો જવાબ એવો હતો કે બીજા અનેક લોકો આ કામ કરી રહ્યા છે, મારે શું કામ કરવું? પણ હકીકત એ હતી કે તેમની રાજીવ ગાંધી સાથે ગાઢ મિત્રતા હતી. સ્વામી ઘણી વાર કહે છે કે, રાજીવને હું રાતના બે કે ત્રણ વાગે પણ મળી શકતો. એકદમ સમજી શકાય તેવી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેમ અંડરવર્લ્ડમાં પૈસા લઈને (અથવા કોઈ બીજા કારણોસર) હત્યા કરનારા ભાડૂતી/કોન્ટ્રાક્ટ કિલર હોય છે, રાજકારણમાં સ્વામીનું નામ તેવું જ છે. સ્વામીના હિટલિસ્ટમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન અને મિસ્ટર ક્લીનની છબી ધરાવનારા રામકૃષ્ણ હેગડે, એમ. કરુણાનીધિ, એ. રાજા., પી. ચિદમ્બરમ સહિત અનેક નામો હતાં/ છે. અને અત્યારે તેમણે સોનિયા-રાહુલ અને આરબીઆઈના રાજ્યપાલ રઘુરામ રાજનની સોપારી લીધી હોય તેમ લાગે છે.

બ્રહ્માંડમાં અને જીવનમાં સ્થિતિસ્થાપકતાનો અદ્ભુત ગુણ --- ડૉ. જે. જે. રાવલ

સોફા પર બેસીએ કે રાજધાની જેવી ગાડી ચાલતી હોય ત્યારે ધક્કા લાગે. હિંચકા પર બેસીએ કે ઘડિયાળ ચાલતી હોય ત્યારે સ્પ્રિંગનો પ્રભાવ વર્તાય. બોલપેનમાં પણ સ્પ્રિંગ હોય અને સ્ટેપ્લરમાં પણ સ્પ્રિંગ હોય. પૂરા એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પ્રિંગનો પ્રભાવ ફેલાયેલો છે. ગેલ્વેનો મીટર, વોલ્ટમીટર, એમમીટર વગેરેમાં પણ સ્પ્રિંગનું જ યોગદાન છે. જાડી જાડી, મોટી મોટી સ્પ્રિંગો રેલગાડીમાં લાગી હોય છે તેને જોઈએ તો લાગે કે લોખંડની પ્લેટોનો ટેકરો. એમ લાગે કે તે સ્પ્રિંગ જ નથી. તેને જોઈએ તો પૃથ્વી ધારણ કરી બેઠેલા શેષનાગ યાદ આવી જાય. સ્પ્રિંગની ઘણી જાતો છે અને આકારો પણ છે. સ્પ્રિંગને પોતપોતાના વિશિષ્ટ કાર્યો હોય છે. તે શક્તિ ગ્રહણ કરે છે અને પાછી આપે છે. તે પોતે પોતાની પાસે કશી ઊર્જા રાખતી નથી. તે સંગ્રહખોર ખરી પણ બીજાના ઉપયોગ માટે. વૃક્ષોની ફરતે વિંટળાયેલી વેલીઓ પણ સ્પ્રિંગ છે. ઉગઅ અને છગઅ પણ સ્પ્રિંગો છે. ઘરના દાદરા પણ સ્પ્રિંગ આકારના બનાવ્યા હોય છે. એવા મકાનો બનેલાં છે જે દૂરથી સ્પ્રિંગાકારના હોય પણ નજીક જઈએ તો તે ચોકઠા દેખાય. આપણા શરીરના આંતરડા પણ એક પ્રકારની સ્પ્રિંગો જ છે. સ્પ્રિંગ થોડી જગ્યામાં વધારે લાંબી રહી શકે છે. તે પાણી ચઢાવવામાં પણ કામ આવે છે. આજથી ત્રણસો વર્ષ પહેલાં આર્કિમિડીઝે સ્પ્રિંગની મદદથી સ્પ્રિંગ આકારના પાઈપની મદદથી પાણી ઊંચે ચઢાવેલું. સર્પ પણ સ્પ્રિંગાકારે ચાલે છે.

સ્પ્રિંગ આકાર કુદરતનું અદ્ભુત સ્વરૂપ છે તે વાસ્તવિક્તા છે. સીધી રેખા વાસ્તવિકતા નથી તે માત્ર કુદરતનું સ્થાનિક (લોકલ) સ્વરૂપ છે. વક્રતા જ કુદરતી છે. બ્રહ્માંડમાં જે સ્થિતિસ્થાપક છે. તે જ એ અને આગળ આવે છે. નમ્રતા, વિવેક, સર્વાઈવલ ધી ફિટેસ્ટનો સિદ્ધાંત અંતે તો સ્થિતિસ્થાપકતાનાં જ રૂપો છે. જે સ્થિતિસ્થાપક નથી તે તૂટી પડે છે. વંટોળ આવે ત્યારે વૃક્ષ જો નમી ન જાય તો તે તૂટી પડે છે. લડાઈમાં પણ સમય અનુકૂળ ન હોય તો શિવાજી મહારાજની જેમ નમી જવું. ટીપુ સુલતાનની માફક અક્કડ નહીં રહેવું. કોઈ વાર અપમાન ગળી જવું પડે તે પણ સ્થિતિસ્થાપકતા છે.

સ્પ્રિંગ વૈજ્ઞાનિક રીતે સ્થિતિસ્થાપકતાનો ભંડાર છે. ગતિશક્તિમાંથી સ્થિતિશક્તિનું રૂપાંતર સ્પ્રિંગમાં થાય છે. ગતિશક્તિ સંગ્રહ કરી શકતી નથી તે ઘણીવાર વેડફાય છે, જ્યારે સ્પ્રિંગમાં શક્તિનો સંગ્રહ થાય છે જે સ્થિતિશક્તિ છે. નદીમાં પાણીનો પ્રવાહ સમુદ્રમાં જઈ વિલીન થાય છે પણ જો તેના પર ડેમ બાંધ્યા હોય તો તે લોકોને પાણી પહોંચાડે છે. ત્યાં પણ સ્થિતિશક્તિનાં જ દર્શન થાય એ જે સ્પ્રિંગમાં છે. પાણીના ધોધ પણ આ જ શક્તિનું રૂપાંતર છે જે વીજળી ઉત્પાદન કરી શકે છે. જો સ્પ્રિંગો અસ્તિત્વમાં આવી ન હોત તો જીવન ઘણું અગવડતાભર્યું બનત. સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતા એ અધ્યાત્મતાનો ગુણ છે અને સંતનો ગુણ છે.

સ્પ્રિંગે જો અદ્ભુત કાર્ય કર્યું હોય તો તે આપણને વસ્તુમાં રહેલી સ્થિતિસ્થાપકતા (ઈલાસ્ટિસિટી)નો ગુણ દર્શાવવાનું આપણા કપડામાં, અન્ડરવૅરના કપડામાં ઈલાસ્ટિક તે સ્થિતિસ્થાપકતાના ગુણ પર કાર્ય કરે છે. નીકર કે ગંજી નાના મોટા થઈ શકે છે. આમ જુઓ તો સ્થિતિસ્થાપકતા બધે જ છવાયેલી છે. દરેકેદરેક વસ્તુમાં થોડી વધારે - ઝાઝી - થોડી સ્થિતિસ્થાપકતા હોય જ છે. કૃષ્ણનું જીવન જોશો તો તેમાં ખૂબ જ સ્થિતિસ્થાપકતાના દર્શન થશે. માટે જ તે યુગપુરુષ બની શક્યા. સ્પ્રિંગ અને સ્થિતિસ્થાપકતા એ જ સિમ્પલ હાર્મોનીક મોશન - ચક્રગતિને પણ પ્રદર્શિત કરે છે, જે સમયચક્રને પ્રદર્શિત કરે છે. સૌ પ્રથમ રોબર્ટ હૂકે દર્શાવ્યું કે સ્પ્રિંગને ખેંચવામાં જે બળ આપીએ તે સ્પ્રિંગ કેટલા અંતર સુધી ખેંચાય છે. તેના સમપ્રમાણમાં હોય છે. હૂક મહાશય ન્યુટનના સમકાલીન વિજ્ઞાની હતા. તેને અને ન્યુટનને બનતું નહીં. હૂક રોયલ સોસાયટીના અધ્યક્ષ પણ રહ્યા હતા. હૂકને ઉચ્ચ પ્રકારના વૈજ્ઞાનિક વિચારો આવતાં, પણ તેઓ તેને પૂર્ણ થિઅરીમાં ફેરવી શકતા નહીં. તે કદાચ તેની આળસને કારણે હોય કે વિચારોને થિઅરીમાં ફેરવવાના જરૂરી જ્ઞાનના અભાવને કારણે હોય. ન્યુટનને ગુરુત્વાકર્ષણનો પ્રારંભનો વિચાર હૂકના વ્યાખ્યાનમાંથી મળ્યો હતો. પણ તેણે ક્યાંય પણ હૂકનો આભાર માન્યો ન હતો. તેથી હૂક, ન્યુટન પર ખફા હતો.

સ્પ્રિંગનો નિયમ જો કે છે બહુ સરળ પણ મૂળભૂત છે. હૂકે તેને સફળતાપૂર્વક સિદ્ધ કર્યો હતો અને રજૂ કર્યો હતો. એન્જિનિયરિંગ ક્ષેત્રે હૂકનો નિયમ બહુ જ પાયાનો નિયમ છે. સ્પ્રિંગની ગતિવિધિ લોલકની જ ગતિવિધિ છે, આવર્તીત કે ચક્રીય ક્રિયા છે. ગ્રહો જે સૂર્યની ફરતે પરિક્રમા કરે છે, અણુની અંદર ઋણ વિદ્યુતભારવાહી ઈલેક્ટ્રોન જે અણુની ઘન વિદ્યુતભાવવાહી નાભિની ફરતે પરિક્રમા કરે છે તે ચક્રીય ક્રિયા છે. તે સ્પ્રિંગના આંદોલનની જ ક્રિયા છે. વસ્તુમાં રહેલો સ્થિતિસ્થાપકતાનો ગુણ, વસ્તુ કેટલી કડક છે, તે દર્શાવે છે. માનવીના જીવન માટે તે એક સંદેશ છે કે માનવીએ જેટલું બને તેટલું સ્થિતિસ્થાપક બની રહેવું જોઈએ. તો જ સમાજમાં એકતા જળવાઈ રહે અને તે તૂટે નહીં. અકડુ માણસો ગમે તેટલા સાચા હોય તો પણ તે આવકાર્ય નથી.

બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ સ્થિતિસ્થાપકતાના આપણને દર્શન થાય છે. બ્રહ્માંડ પોતે જ લચીલી સ્થિતિસ્થાપક ચાદર છે. શરીરમાં પણ ઘણા અવયવો જેવા કે અન્નનળી સ્થિતિસ્થાપક છે. પેટ જે ફૂલે છે અને સંકોચાય છે તે હૂકના સ્પ્રિંગની માફક જ કાર્ય કરે છે. માટે જ શરીર સારી રીતે કાર્ય કરે છે. સ્થિતિસ્થાપકતાને લીધે વસ્તુ ખેંચાયા પછી પોતાની મૂળ જગ્યાએ આવે છે અને મૂળ આકાર ધારણ કરે છે. પણ એ રીતે ઘસાયા પછી તે તેનો મૂળ આકાર ધારણ કરી શકતી નથી. તે વસ્તુની વૃદ્ધાવસ્થા પ્રદર્શિત કરે છે. હૂકના સ્થિતિસ્થાપકતાના નિયમથી આપણને બ્રહ્માંડમાં ચાલતી ઘણી ક્રિયાઓ સમજાઈ છે. ન્યુટનનો ત્રીજો નિયમ કે દરેકેદરેક ક્રિયાને તેટલી જ પ્રતિક્રિયા હોય છે, અને તે તત્કાળ હોય છે, તે હૂકનો નિયમ સરળતાથી દર્શાવે છે. મોટા મોટા બ્રિજ, રેલગાડીના ડબ્બાઓને જોડતી સ્પ્રિંગ વગેરે હૂકના સ્થિતિસ્થાપકતાના નિયમને અનુસરે છે. સ્પ્રિંગ વસ્તુને ગતિ પણ આપે છે. તેમ છતાં સ્થિતિસ્થાપકતાની કે સહનશીલતાની એક હદ હોય છે. વસ્તુને અમુક અંશે જ દબાવી શકાય કે અમુક હદે ખેંચી શકાય. આ વસ્તુની પોતાની હદ (સીમા, લિમિટ) બની રહે છે. 

વાયરને એક હદ સુધી જ ખેંચી શકાય. વંટોળ આપણને સ્પ્રિંગ આકાર બતાવે છે અને ઘણીવાર એમાં એટલી બધી શક્તિ હોય છે કે તે મોટરકારને ઉઠાવી ક્યાંય ફેંકી શકે છે. પાણીમાં દેખાતા વમળો પણ સ્પ્રિંગાકારનાં જ હોય છે. દોરડા, ઢાંકણાના પેચ વગેરે સ્પ્રિંગાકારનાં જ હોય છે. સ્પ્રિંગ આકાર સ્થિતિસ્થાપકતાનો દ્યોતક છે. મંદાકિની (ગેલેડન)ની ભૂજાઓ પણ સ્પ્રિંગ આકારની હોય છે. સ્ક્રૂમાં પણ એ જ આકાર હોય છે.

આદર્શ અને વાસ્તવિકતા --- રતિલાલ બોરીસાગર

અમથું અમથું હસીએ - રતિલાલ બોરીસાગર


‘તમે વીસ વર્ષના થાઓ અને કોઈ આદર્શ ન સેવો તો સમજવું કે તમારે હૃદય નથી. તમે ત્રીસ વર્ષના થાઓ અને છતાં આદર્શો સેવવાનું ચાલુ રાખો તો સમજવું કે તમારે મગજ નથી.’

ઉપરનું વાક્ય મારું હોય એવું લાગે છે, પણ મારું નથી. મેં ક્યાંકથી ઉઠાવ્યું છે. ક્યાંથી ઉઠાવ્યું છે તે અત્યારે યાદ નથી આવતું. પણ વાક્યમાં મહાન સત્ય ઉચ્ચારાયું છે તે નક્કી.

ભાગ્યે જ એવાં કોઈ યુવક-યુવતી હશે, જેમણે વીસની ઉંમરની આસપાસ આદર્શોના મહેલ નહિ બાંધ્યાં હોય! આદર્શોના મહેલ બાંધવા માટે ટેન્ડરો બહાર પાડવાની કે કૉન્ટ્રેક્ટ આપવાની જરૂર પડતી નથી. યુવતીઓ માટે તો આપણા દેશમાં એક જ આદર્શ નક્કી કરવામાં આવ્યો છે : આદર્શ પત્ની બનવાનો-આદર્શ માતા બનવાનો. પતિ સાવ ઉધાર હોય, સનમાઇકા (માવડિયો) હોય તોય એની સેવા કરવી એ પત્નીનો ધર્મ ગણાય. આ આદર્શ સેવવામાં હિન્દી ફિલ્મોએ ઘણી મદદ કરી છે. પરિસ્થિતિ જોકે બદલાતી જાય છે. આ એકવીસમી સદીનો અંત પાસે હશે ત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ હશે. ત્યારે ૨૧૯૮માં હું નવેસરથી આ લેખ લખીશ. જોકે એ વખતે હું નવેસરથી જન્મી ચૂક્યો હોઈશ. પણ આવતા જન્મમાં પણ હું હાસ્યલેખક જ થવાનો છું એટલે આ લેખ નવેસરથી લખીશ જ એ મને શ્રદ્ધા છે. અલબત્ત, મારો એ અદ્ભુત લેખ વાંચવા માટે તમારે ફરી ગુજરાતમાં જન્મવું પડશે.

વીસની ઉંમરે ઘટમાં ઘોડા થનગને છે, કેટલાક્ધાા ઘટમાં તો તોફાની ઘોડા થનગને છે. આતમ પાંખો વીંઝે છે. ‘મને શું થવું ગમે?’ એ વિષય પર નિબંધો લખાવાય છે, વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે. પહેલાના વિદ્યાર્થીઓને શિક્ષક થવું ગમતું. હવે શિક્ષક થવા માટે ઢગલાબંધ રૂપિયા આપવા પડે છે એટલે શિક્ષક થવાના વિચારો યુવાનોને બહુ આવતા નથી. પણ નેતા બનીને, ડૉક્ટર બનીને માનવજાતની ઉમદા સેવા કરવાના કસુંબલ સપનાં હૃદયમાં ઘૂંટાય છે. આમ બનવું તદ્દન સ્વાભાવિક છે. કારણ કે ભગવાને હૃદય બધાંને આપ્યું છે અને આ ઉંમરે હૃદયનું મુખ્ય કામ બ્લડ સરક્યુલેશન મેનટેઇન કરવાનું ને સપનાંઓનું પ્રોડક્શન કરવાનું હોય છે. કેટલાંક્ધાાં હૃદય તો આ ઉંમરે ત્રણેય શિફ્ટમાં સપનાંઓનું પ્રોડક્શન કરે છે.

હૃદય ભગવાન દરેક્ધો આપે છે, પણ મગજનો, મગજની અંદરના મસાલાનો પુરવઠો ભગવાન પાસે મૂળથી જ ઓછો હોય એમ લાગે છે. હજાર હાથે હૃદય આપવાવાળા ભગવાનનો જીવ મગજ આપવાની બાબતમાં એટલો ઉદાર નથી હોતો. ભગવાન મગજવાળાઓનું લિસ્ટ ઘણું નાનું બનાવે છે. (જે લિસ્ટમાં આપણો સમાવેશ ન થયો હોય એ લિસ્ટ આપણને નાનું જ લાગે!) જેવું, જેવડું, જેટલું મગજ મળ્યું હોય-ઉંમર જેમજેમ વધતી જાય છે તેમતેમ હૃદયની સત્તા ઘટતી જાય છે ને મગજની સત્તા વધતી જાય છે. વીસ વર્ષની ઉંમરે સેવેલા આદર્શો ખરતા જાય છે. તમારી ઉંમર વધે ને તોય આદર્શો ન છૂટે તો સમજવું કે તમારા માથામાં મગજ ફિટ કરવાનું બાકી રહી ગયું છે!

મારી સાથે કૉલેજમાં ભણતો એક મિત્ર બહુ જ આદર્શવાદી હતો. એ જમાનામાં ફક્ત સારા માણસો જ ખાદી પહેરતા. એ ખાદી પહેરતો. ચા પણ નહોતો પીતો. અઠવાડિયે એક દિવસ ઉપવાસ કરતો, મૌન પાળતો, ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા કરતો. ગાંધીજીનાં અગિયારેય વ્રતો ગાંધીજી બોલી શકતા હશે એના કરતાંય વધારે કડકડાટ રીતે બોલી શકતો. આ અગિયારેય વ્રતો પોતે જીવનભર પાળશે એવું કહ્યા કરતો. પછી અમે છૂટા પડ્યા. વર્ષો સુધી અમારે મળવાનું બન્યું નહીં. ઓ’ હૅનરીની એક વાર્તામાં બે મિત્રો બરાબર વીસ વર્ષ પછી અમુક દિવસે, અમુક સમયે, અમુક સ્થળે મળવાનું નક્કી કરી છૂટા પડે છે એવું અમે કંઈ નક્કી નહોતું કર્યું તોય અમે મળી ગયા. ‘મને શિક્ષક થવું ગમે.’ એવું મેં નિબંધમાં ક્યારેય લખ્યું નહોતું તોય હું શિક્ષક થયો. ગાંધીજીનાં અગિયાર વ્રતો તો નહીં, પણ પગાર ઘણો ઓછો મળતો હતો એટલે અપરિગ્રહનું (સંઘરો નહીં કરવાનું) અને સ્વભાવમાં જન્મથી જ સાહસિકતાનો અભાવ એટલે અસ્તેયનું (ચોરી ન કરવાનું) - આ બે વ્રતો બરાબર પાળતો હતો. મારા એ મિત્રને મળવાનું થયું તો મારા આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. મિત્રે ભવ્ય સૂટ પહેર્યો હતો. આવો સૂટ પહેરેલાં માણસો આ પહેલાં મેં ફક્ત ફિલ્મોમાં જ જોયા હતા. એણે સિગારેટ સળગાવી ત્યારે તો આઘાતથી હું ધ્રૂજી ગયો. એ સમજી ગયો. એણે કહ્યું, ‘સૂટ અને સિગારેટથી તને આઘાત લાગ્યો, ખરું? પણ હું તો દારૂય પીઉં છું ને નોન-વેજ પણ ખાઉં છું. ટૂંકમાં ‘નો ચોખલિયાવેડાં’!’ એ વખતે મને હજુ હાર્ટની તકલીફ નહોતી, હોત તો એ વખતે જ મને ઍટૅક આવી જાત. મેં કહ્યું, "ગાંધીજી, ખાદી, અગિયાર વ્રતો...

"ઑલ હંબગ, યાર! દુ:ખી થવાના ધંધા! ભગવાનની દયા કે બધું વેળાસર છૂટી ગયું. ગાંધીજી અત્યારે આઉટડેટેડ ગણાય. મને આ જ્ઞાન થયું ત્યારે પહેલું કામ ગાંધીજીનાં તમામ પુસ્તકો પસ્તીવાળાને આપી દેવાનું કર્યું ને પછી લાગી ગયો કમાવા તે પાછું વળીને જોયું નથી. ને અત્યારે પૈસાની છોળો ઊડે છે. તું જે નિશાળમાં પંતુજીગીરી કરે છે એવી પાંચ નિશાળોમાં મેં દાન આપ્યાં છે. પાપ કરવાનાં પણ વચ્ચે વચ્ચે પુણ્ય પણ કરી લેવાનું. પુણ્ય પણ પાપના પૈસામાંથી જ કરવાનું, શું? કહી એ હસી પડ્યો.

*

એક યુવાન ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે આવવાનું કારણ પૂછ્યું. પેલો કહે, "મારે દીર્ઘાયુષી થવું છે. મને લાંબુ જીવન જીવવાનો ઉપાય બતાવો. ડૉક્ટરો આયુષ ટૂંકાવવામાં કારણરૂપ બને છે એવી સામાન્ય માન્યતા છે એની ડૉક્ટરને ખબર હતી, પણ ડૉક્ટરો આયુષ્ય લંબાવી પણ શકે છે એવું માનનાર પણ કોઈ છે એ જાણી ડૉક્ટરને ઘણો આનંદ થયો. ડૉક્ટરે પેલા યુવાનને પૂછ્યું, "તમારી અત્યારની ઉંમર કેટલી?

"ત્રીસ વર્ષ પેલાએ જવાબ આપ્યો.

"દારૂ પીઓ છો?

"ના સાહેબ, હું મોરારજી દેસાઈ જેટલો જ દારૂનો વિરોધી છું.

"સિગારેટ પીઓ છો?

"અરે ડૉક્ટરસાહેબ, હું તો ચા પણ નથી પીતો.

"ફિલ્મો જુઓ છો?

"ના સાહેબ! ગાંધીજીએ તો ‘રામરાજ્ય’ જેવી એકાદ ફિલ્મ પણ જોયેલી. મેં તો આજ સુધીમાં એકેય ફિલ્મ નથી જોઈ.

"ટીવી પર સીરિયલો જુઓ છો?

"ના સાહેબ, મેં ચૅનલ નખાવી જ નથી. હું માત્ર દૂરદર્શન પર સમાચાર જ જોઉં છું.

"સમાચાર સાંભળો છો કે જુઓ છો?

"કોઈ ભાઈ સમાચાર બોલે છે ત્યારે જોઉં પણ છું અને સાંભળું પણ છું. પણ કોઈ બહેન સમાચાર બોલે છે ત્યારે નીચું જોઈને ફક્ત સમાચાર સાંભળું જ છું.

"પણ તો પછી જખ મારવા લાંબું જીવવું છે? તમે ઘેર જતા રહો, તમે લાંબુ જીવો કે ટૂંકું, તમારા માટે બંને સરખું જ છે. ડૉક્ટરે કંટાળીને કહી દીધું.

* * *

વીસ-પચ્ચીસ વરસની ઉંમરે તમે સેવેલા આદર્શો ત્રીસ-ચાળીસ વરસની ઉંમરે છૂટી ન જાય તો તમારું મગજ તપાસનો વિષય છે એમ નક્કી માનજો ને કોઈ સારા મનોચિકિત્સક્ધાી સલાહ લેજો.

માગેલ ઘીએ ચૂરમું ન થાય -- ડૉ. દિનકર જોશી

આજે રવિવાર છે. નિરાંત છે. સવારે થોડાક મોડા ઊઠશો તોય ચાલશે પણ રાત્રે સમયસર જ નહીં પણ થોડાક વહેલા સૂઈ જવું પડશે. આવતી કાલે સવારે સાડાદશ વાગ્યે એક મીટિંગમાં પહોંચવાનું છે. રોજ જાઓ છો એ કરતાં એક ગાડી વહેલી પકડવી સારી. કાલની મીટિંગ ભવિષ્યનાં કેટલાંય કામ માટે ભારે ઉપયોગી છે. સમયસર ન પહોંચાય તો પહેલી જ મીટિંગમાં એવી છાપ પડે કે-

બીજે દિવસે સવારે તમે વહેલા સ્ટેશને પહોંચી જાઓ છો. પ્લેટફોર્મ ઉપર ભારે ભીડ છે. ગાડી આજે મોડી પડી છે. ક્યાંક ભાયંદર કે કલ્યાણ કે વલસાડ કે ઈગતપુરી અકસ્માત થયો છે. તમારું ટેન્શન વધી જાય છે. ગાડીઓને હવે તમે સમયસર કરી શકો એમ નથી. ટેક્સી લઈને પહોંચી શકો પણ ટેક્સી ઉપર તો ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ ઉપર કાગડાઓ તૂટી પડે એમ સહુ ઝળૂંબી રહ્યા છે. પ્રતિક્ષણ તમારા હૈયાની ધડકન વધે છે. 

રોજ સાંજે સાડાસાત વાગ્યે તમે ઘરે પહોંચો છો. તમે નહીં તો તમારા લાઈફ પાર્ટનર આ સમયે ઘરે આવે છે. તમારી પત્ની કે પતિ, પુત્ર કે પુત્રી કોઈક તો આ સમયે પહોંચે જ છે. આજે સવાઆઠ થવા આવ્યા છે અને સાડાસાતે ઘરે પહોંચનાર હજુ પહોંચ્યું નથી. તમે મોબાઈલ ઉપર આંગળીઓ ફેરવો છો. ફોન લાગતો નથી. હવે શું કરવું? ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય? એનો સ્વભાવ બહુ ઉતાવળિયો છે, આકરો પણ છે. નજીવી વાતમાં વણજોઈતી મારામારી વહોરી લે, ક્યાંક મારામારી કરી હશે તો-

તમારી આંખ સામે એક ક્ષણમાં કોઈક અકસ્માતનું અરેરાટી ઊભરાવી દે એવું દૃશ્ય ખડું થાય છે. પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોનું વાતાવરણ નજરે તરે છે. બાપ રે! હવે શું થશે? કંઈ થયું નથી અને છતાં ‘થશે’ એની ચિંતા શરૂ થઈ 

જાય છે. 

આવું તમને જ થાય છે એવું નથી. મને પણ થાય છે. વાતમાં કંઈ માલ ન હોય અને ટેન્શનનો કોઈ પાર ન હોય! આવા ટેન્શન કંઈ નવી વાત નથી. ગાયો ચરાવવા ગયેલો કાનજી સાંજે સમયસર પહોંચતો નહીં ત્યારે નંદલાલ અને યશોદાજી પણ આવી જ ચિંતા કરતાં. વાત નાની નાની હોય પણ ટેન્શન મોટાં મોટાં. નંદ-યશોદા ચિંતા કરતાં હોય અને કાનો રાસ રમતો હોય. હવે નંદ-યશોદાને કોણ સમજાવે કે કાનાની ચિંતા છોડો, કાનો તો લીલાલહેર કરે છે. 

તમારુંય બરાબર આવું જ છે. કાનજી કોઈનીય ચિંતા કરતો નહીં. ભગવાન બુદ્ધે કોઈની ચિંતા કરી હોય કે પછી એમને ટેન્શન થયું હોય એવું તમે ક્યાંય વાંચ્યું છે? સાંભળ્યું છે? ઘટનાઓ તો ત્યારે પણ ઘટતી હતી, ત્યારે પણ નંદ-યશોદા કે રાજા શુદ્ધોધન તો હતાં જ. એમને ટેન્શન થતું પણ કાનજીને કે બુદ્ધને નહોતું થતું. કાનજીને કે બુદ્ધને એવું કેમ નહોતું થતું એ તમને સમજાય છે? એ તમને નથી સમજાતું એટલે તમે તનાવમુક્તિ માટેના સેમિનારમાં જાઓ છો, શિબિરોમાં જાઓ છો. ત્રણ દિવસના કે પાંચ દિવસના પ્રશિક્ષણ માટે થોકડોએક નવી નોટો ભરીને પ્રશિક્ષણ આપતા આચાર્યને શરણે જાઓ છો. આચાર્ય તમને શિક્ષણ આપે છે. દુનિયાભરનાં ક્વોટેશનો આપે છે. જેમને તમારી આજની પરિસ્થિતિનો કક્કો સુધ્ધાં ખબર નથી એવા ઢગલોએક ઊછીનાં વાક્યો ખડકીને તમને તનાવમુક્ત થવાનું શીખવવામાં આવે છે. વર્ગમાં બેઠા હોવ ત્યાં સુધી તમે તનાવમુક્ત હો છો. સાંજે ઘરે જતી વખતે પેલાં સુવાક્યો કડકડાટ મોઢે હોય છે અને છતાં રસ્તા ઉપર કશીક બઘડાટી જોઈને તમારું ટેન્શન વધી જાય છે. કાઠિયાવાડમાં એક કહેવત છે. (ઘણુંખરું બ્રાહ્મણોએ બનાવેલી હશે.) ‘માંગેલ ઘીએ ચૂરમા ન થાય.

ચૂરમું સ્વાદિષ્ટ છે, પૌષ્ટિક છે, પણ ચૂરમું કરનારે ઘીનો ઘાડવો અગાઉથી જ તૈયાર રાખવો જોઈએ. ચૂરમાનો લાડુ વાળતી વખતે પડોશી પાસેથી ઘીની વાટકી માંગવાથી ઘરમાં ચૂરમું તૈયાર થાય નહીં. તનાવ મુક્તિના વર્ગો ભરવાથી સુવાક્યો સાંપડશે, પણ સુવાક્યોની પૂર્વશરત એ હોય છે કે એને તમારે અંદર ઉતારવા જોઈએ. નર્યાં સુવાક્યોથી તમે તનાવમુક્ત નહીં થાઓ. બહુ બહુ તો આવાં વાક્યોથી તમે વોટ્સઅપ પર ધમ્માલ મચાવી શકો. આવા વર્ગોના આયોજકો આ દરમિયાન ટેન્શનમુક્ત થઈ ગયા હોય છે.

અહીં લાખ રૂપિયાનો સવાલ એ પેદા થાય છે કે આમાંથી રોગમુક્ત શી રીતે થવું? તમે તમારી જાતનો અભ્યાસ કરી જોજો. આ અભ્યાસના અવતરણો કોઈને આપવાની જરૂર નથી. તમારું આંતરવિશ્ર્વ જેટલું નાનું હશે, તમારા ટેન્શનના પહાડો એટલા જ મોટા હશે. આ દુનિયામાં તમે આવ્યા ત્યારે તમે પરમાત્માને અહીં જન્મ લેવાની કોઈ અરજી કરી હતી ખરી? ના, તમારી ઈચ્છા, અનિચ્છાની બિલકુલ પરવા કર્યા વિના ઈશ્ર્વરે તમને અહીં મોકલી આપ્યા છે. માતા-પિતાની પસંદગી તમે નથી કરી. તમારા ભાઈ કે બહેન, પતિ કે પત્ની, સંતાનો આ બધા કોઈક અજાણ પરિબળે તમારી આસપાસ સજીવન કર્યા છે. (કોઈક યોગીબાબાઓ અને અગમ્ય વ્યક્તિત્વો ભલે તમને એમ કહેતા હોય કે ચોર્યાસી લાખ ભવની આત્માની યાત્રામાં તમારા પોતાનાં કર્મો તમને આ બધા તરફ દોરી જાય છે. આમાં કર્મોની ગાણિતિક ચોક્સાઈની વાત કદાચ સાચી હોઈ શકે, પણ એવી જ ચોક્સાઈપૂર્વક આ વાત સિદ્ધ નથી થઈ. આમાં મતમતાંતર હોઈ શકે.)

હવે બને છે એવું કે જે જગતમાં તમારું હોવું તમારા હાથમાં નથી, જે જગતમાં તમારી આસપાસ જે કંઈ છે એમાં તમારો ફોળો નહીંવત્ છે એ જગત વિશે તમે ચિંતા કરવા માંડો છો અથવા તો તમને ચિંતા થવા માંડે છે. જેમાં તમે કંઈ કરી શકવાના નથી એ ઘટનાઓ વિશેનું ટેન્શન તમને પીંખી નાખે છે. તમે તમારા વ્યવસાયને, પરિવારજનોને, મિત્રોને, તમારી સામાજિક પ્રતિષ્ઠાને અને તમે સેવેલાં સ્વપ્નાઓને કેન્દ્રમાં રાખીને ચિંતા કર્યા કરો છો.


જાપાનમાં ત્સુનામી મોજાંઓ કાંઠા પ્રદેશ ઉપર ત્રાટક્યાં. હજારો ઘરો નાશ પામ્યાં. હજારો માણસો ડૂબી મર્યા. હજારો નિરાધારો ઉપર આભ અને નીચે ધરતી એમ ભટકી રહ્યા. આ દુર્ઘટનાના સમાચાર વાંચીને તમને માનવ સહજ અનુકંપા થાય છે, કોઈ ટેન્શન નથી થતું. આવા જ વિનાશના 

સમાચાર કાશ્મીરમાં પણ થઈ રહ્યાં છે એ વાંચીને તમને દુ:ખ અને ચિંતા બંને થાય છે. આનું કારણ સ્પષ્ટ છે. જાપાન તમારું નથી, અને કાશ્મીર તમારું છે એવું તમે માનો છો. આમ મારું હોવું કે મારું ન હોવું એ બે વચ્ચેનો તફાવત ટેન્શનની માત્રાને પેદા કરે છે. હવે આવા જ કોઈ કુદરતી હોનારતની આગાહી તમે રહો છો એ સ્થળ કાંઠે થાય છે ત્યારે તમારું ટેન્શન એકદમ વધી જાય છે, કારણ કે હવે આ વાત તમને પોતાને સ્પર્શે છે, તમારા પોતીકાંને સ્પર્શે છે જેને તમે તમારા માનો છો એવા લોકો સુધી આ વાત સ્પર્શી જાય છે. તમારું ટેન્શનનું કારણ આ જ છે-મારું હોવું!

આમ હું જે સ્થળે રહું છું એ સ્થળ ઉપર ત્રાટકનારી આપત્તિની આગાહીમાત્રથી હું વિચલિત થયો છું, ચિંતિત થયો છું, ટેન્શન હેઠળ દબાયો છું. હવે ભાવનગર વિશે આવા જ કોઈ સમાચાર મને આપે છે. ભાવનગરમાં કશીક કુદરતી આપત્તિ ત્રાટકી છે. મારા મનમાં ભાવનગરના બધા જ વિસ્તારો તાજાં થઈ જાય છે. કૃષ્ણનગર, ઘોઘા સર્કલ, વડવા, પીરછલ્લા આ બધા સ્થળોનો ફાળો મારા ઘડતરમાં છે. આ સ્થળોએ મારા ઘડતરમાં ક્યાં અને કેવો ફાળો આપ્યો છે એ બધું સાંભરી આવે છે. નજર સામે આ સ્થળોમાં ‘હું’ સંકળાઈ જાય છે. જેના વિશે હું હવે કશું કરી શકું એમ નથી એના વિશે મારું ટેન્શન એકાએક વધી જાય છે. 

જો એક વાર આ વાત સમજાઈ જાય તો એ પછી ટેન્શનનું મૂળ હાથમાં આવી જાય છે. આપણા ભાવ-વિશ્ર્વનો વિસ્તાર જેમ ઓછો થતો જાય છે એમ ટેન્શનની માત્રા વધતી જાય છે. ભગવાન બુદ્ધે આ વિષયમાં એક ઉપાસિકા મિગાર માતા વિશાખાને આ વાત આ રીતે સમજાવી છે. વિશાખાની એક પૌત્રી મૃત્યુ પામી એટલે એ બહુ વ્યગ્ર થઈ ગઈ. એણે આંસું સાર્યાં. એની નિદ્રા હણાઈ ગઈ. એણે ભોજન ત્યજ્યું. બુદ્ધે એને કહ્યું, ‘વિશાખા, તું શોક શા માટે કરે છે? બીજા પૌત્ર વિશાખાએ કહ્યું. પૌત્રી તો તારે છે જ.’

હા, પણ મને હવે એમના વિશેય ચિંતા થાય છે.’

‘તો પછી શું તારા ગામમાં બીજા કોઈ બાળકનું મૃત્યુ નથી થયું?’

‘થયું છે.’ વિશાખા બોલી ‘પણ મને આવું નહોતું લાગ્યું.’

‘હવે પણ નહીં લાગે, જો તું તારા બાળકો અને અન્ય બાળકો વચ્ચે એકાત્મતા સાધી લઈશ. હવે પછી કોઈ બાળક તારું નહીં હોય. તું સહુની સાથે હોઈશ પણ તારી સાથે કોઈ નહીં હોય. બસ પછી તું આ રૂદનથી મુક્ત થઈ જઈશ.’ બુદ્ધે એને સમજાવ્યું. 

બુદ્ધે ચીંધેલો તનાવમુક્ત થવાનો આ રાજમાર્ગ નથી, પણ કાંટાળી કેડી છે. ગંતવ્યસ્થાન દૂર છે, પણ દિશા આ જ છે.

Friday, June 2, 2017

અસીથી મણિકર્ણિકા વાયા દશઅશ્ર્વમેધ - બનારસ યાત્રા - સૌરભ શાહ

ન મુઝે કિસીને ભેજા હૈ, ન મૈં (ખુદ ચલ કે) યહાં આયા હૂં, મુઝે તો માં ગંગાને બુલાયા હૈ - નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ક્ષેત્ર પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ આ મશહૂર થઈ ચૂકેલા શબ્દો ઉચ્ચાર્યા હતા.

આપણું પણ કંઈક આવું જ હતું. ફરક માત્ર એટલો હતો કે ગંગામૈયાને બદલે મને મિત્રે બોલાવ્યો હતો. નૅચરલી. મા ગંગાનું આમંત્રણ મળે તો મોદીજી જેવી હસ્તીને મળે, આપણા જેવાને મા શું કામ યાદ કરે. કારણ કે યાદ તો આપણે કરવાની હોય માને. જે નહાતી વખતે માથા પર લોટો ભરીને પાણી રેડતી વખતે રોજ કરતા હોઈએ છીએ. મા ગંગાને, મા યમુનાને, મા નર્મદાને, મા ગોદાવરીને, મા તાપીને.

ગંગામૈયાની આરતીની પ્રથા હરદ્વારે શરૂ કરી અને ઈ.સ. ૨૦૦૦ની સાલમાં બનારસે એને અપનાવી. અમારે આગમનના પહેલા જ દિવસે આ ભવ્ય આરતી નિહાળવાની હતી. પ્રથા પ્રાચીન હોય કે નવી શરૂ થયેલી હોય, જો એમાં આમ લોકોનો સાથ ભળે તો તે પરંપરા બની જતી હોય છે, સંસ્કૃતિનો એક ભાગ બની જતી હોય છે. વારાણસીમાં ગંગામૈયાની સંધ્યાઆરતી આવી જ એક પરંપરા બની ગઈ છે જેનો વિશ્ર્વવ્યાપી પ્રચાર નરેન્દ્ર મોદીએ (પીએમ બનતાં પહેલાં પણ લોકસભાની ચૂંટણી જીત્યા પછી) વારાણસી આવીને કર્યો. ચૂંટણીપ્રચાર વખતે મોદીને જીલ્લા શાસને અહીં આરતી કરવાની મનાઈ ફરમાવી હતી. રિઝલ્ટ આવ્યા પછી, સોગંદવિધિ પહેલાં મોદીએ વારાણસીના ફેમસ દશઅશ્ર્વમેધ ઘાટ પર ગંગામાની આરતી કરતાં પહેલાં પ્રવચનમાં કહ્યું હતું: ‘આ દેશમાં ગઠબંધનથી સરકારો તો બનતી આવી છે પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ગઠબંધનથી વિપક્ષ બનાવવો પડશે.’

યુપીમાં આઠમી માર્ચે વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો દૌર છે. વારાણસી અને અન્ય મતવિસ્તારોમાં આઠમીએ ચૂંટણી છે. ૧૧મી માર્ચે રિઝલ્ટ આવશે. પીએમની કન્સ્ટિટ્યુઅન્સી છે એટલે સ્વાભાવિક રીતે અહીં ભાજપતરફી વાતાવરણ છે. અમે વારાણસી પહોંચ્યા ત્યારે સટ્ટાબજાર યુપીમાં ભાજપને ૧૫૫ સીટ્સ આપતું હતું. પાંચ દિવસ પછી અમે નીકળ્યા ત્યારે ૧૯૫ સીટ્સ આપતું હતું. (આ ૪૦ સીટ્સની બઢૌતરીમાં અમારી મુલાકાતનો કોઈ ફાળો નથી).

બનારસ જઈને અમારે ન તો ત્યાંના રાજકારણની આંટીઘૂંટી સમજવી હતી, ન ત્યાંના ચૂંટણી માહૌલનો અનુભવ લેવો હતો. અમારે તો માત્ર ભારતની આ સૌથી પ્રાચીન નગરીની હવામાં રહેલો પ્રાણવાયુ બને એટલો વધારે શ્ર્વાસમાં ભરી લેવો હતો.

સાંજે નૌકાયન માટે અસ્સી ઘાટ જતાં પહેલાં સંકટ મોચન હનુમાનજીનાં દર્શન કર્યાં. હવે નદીમાં અમારી નૌકા તરે કે ડૂબે એ બધી જવાબદારી હનુમાનજીને સોંપીને અમે નિશ્ર્ચિંત થઈ ગયા. બાકી, પાણીની અમને બહુ બીક લાગે.

સાંજે અસ્સી ઘાટ પર પહોંચીને અમારા મિત્રે સવારે કહ્યું હતું એમ સૌથી પહેલાં ચા પીધી. દૂધ વગરની. બ્લેક ટી. થોડાં ટીપાં લીંબુનાં. અને થોડો મરીમસાલો. મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં એને ‘સુલેમાની ચાય’ કહે છે અને માટુંગાના કિંગ્સ સર્કલ પર આવેલી ઈરાનીમાં એને ‘અફઘાની ચા’ કહે છે. ફરક એટલો કે અસ્સી ઘાટની આ ચા વધારે સ્વાદિષ્ટ હતી. ચા પીધા પછી મુડી ખાવાની હતી. કલકત્તાના મુડી મસાલામાં સરસવનું તેલ પડે. અહીં જરા જુદા જુદા ઈન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે. બમ્બૈયા સુખા ભેલ અને કલકત્તી મુડીમસાલાનાં લગ્ન પછી જે બાળક પેદા થઈ શકે એવું મિશ્રણ પુડીમાં લઈને અમે નૌકામાં બેઠા. સીધી સાદી નૌકા. પણ હલેસાંને બદલે એન્જિન લગાડેલું એટલે મોટર બોટ બની ગઈ.

સ્વચ્છ ગંગાનું મોદીજીએ શરૂ કરેલું મિશન આ નૌકાવાળા માઝીએ પણ અપનાવ્યું છે. નૌકામાં વેસ્ટ પેપર બાસ્કેટ રાખી છે જેથી અમારા જેવા પર્યટકો મુડી ખાઈ લીધા પછીની ખાલી પુડીને ગંગામાં પધરાવવાની ધૃષ્ટતા ના કરે.

વારાણસીમાં દક્ષિણ તરફનો અંતિમ ઘાટ અસીઘાટ છે. ઘાટ એટલે ગંગાના પશ્ર્ચિમ કિનારે બનાવેલાં પગથિયાં, ઓટલો અને એની પાછળ ઊભી કરેલી ઈમારત. અસીઘાટથી અમે નૌકા કરી. ગંગા અને નાની મોટી અસ્સી (એંશી) નદીઓનો સંગમ થાય છે એવી માન્યતા છે. બીજી એક માન્યતા છે કે આ એંશીમો ઘાટ છે. સૌથી પહેલો ઘાટ ઉત્તરમાં રાજઘાટ છે. જોકે, ગણવા જઈએ તો કુલ ૮૪ જેટલા ઘાટ થાય છે. આ તમામ ઘાટનાં નાના-મોટાં, લાંબા - પહોળા પગથિયાં પરથી ઉપરનીચે ચાલતાં ચાલતાં જવું હોય તો પણ તમે જઈ શકો. દરેક ઘાટ પર નહાઈ શકો એવી સુવિધા (ચેન્જિંગ રૂમ્સ વગેરે) ન પણ હોય. આમાંના બે ઘાટ પર સ્મશાન છે - હરિશ્ર્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ. બંને ખૂબ જાણીતા છે. (‘મસાણ’ ફિલ્મ આખી આ ઘાટની પ્રથાની ઈર્દગિર્દ વણાયેલી છે).

વરુણા અને અસી નદીઓની વચ્ચે વસેલું નગર વારાણસી. છેક સવા ત્રણ હજાર વર્ષ પહેલાં રચાયેલા અથર્વવેદમાં વારાણસીનો ઉલ્લેખ છે. એટલા જ પ્રાચીન આર્કિયોલોજિકલ પુરાવાઓ પણ અવશેષોરૂપે અહીંથી મળી આવ્યા છે.

સાંજ પડી રહી છે. ઢળતો સૂરજ અહીંથી દેખાતો નથી. પશ્ર્ચિમમાં આખું નગર વસેલું છે એટલે ઢંકાઈ જાય છે. પણ ગંગાનો પૂર્વનો કિનારો આખો ખાલી છે. સવારે ત્યાંથી સૂરજ ઊગશે ત્યારે એ દૃશ્ય જોવા જેવું હશે. આમેય કહેવત છે ને કે સુબહ - એ - બનારસ ઔર શામ - એ - અવધ. લખનૌની - અવધની સાંજ/રાત રંગીન હોય, નવાબી રંગીન. ઈન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરાવાળી રાત્રિઓ માટે અવધની ગલીઓ જાણીતી. એ ભૌતિક સુખોની સામે બનારસની સવારનું અધ્યાત્મિક સુખ જક્સ્ટાપોઝ થાય.

અસી ઘાટનું લંગર છોડીને અમારી નૌકા ગંગાના પ્રવાહમાં ઉત્તર તરફ પ્રયાણ કરી રહી છે. બાજુમાં જ તુલસી ઘાટ છે. એનું જૂનું નામ લોલાર્ક ઘાટ હતું. પાછળથી ગોસ્વામી તુલસીદાસની સ્મૃતિમાં આ નવું નામ પ્રચલિત થયું. રામચરિત માનસ, વિનયપત્રિકા, હનુમાન ચાલીસા અને બીજી અનેક કૃતિઓના સર્જક તુલસીદાસનું મોટાભાગનું જીવન વારાણસીમાં વીત્યું. તુલસીદાસે રામલીલાની ભજવણી કરવાની શરૂઆત કરી. સંસ્કૃત તેમ જ અવધિ - બેઉના તેઓ પ્રકાંડ પંડિત. વારાણસીમાં વ્યાયામશાળા (અખાડા)ની પ્રથાનો પણ એમણે આરંભ કર્યો. આજે પણ કોઈ પણ શહેરના અખાડામાં વ્યાયામ માટે જતા યુવાનો ત્યાં રાખેલી હનુમાનજીની છબિની વંદના કરીને શારીરિક કસરતોનો આરંભ કરે છે.

તુલસી ઘાટ અને હરિશ્ર્ચન્દ્ર ઘાટની વચ્ચે જાનકી ઘાટ છે જે ૧૮૭૦ની સાલમાં સુરસંદ (બિહાર)ની મહારાણી કુંવરે બનાવડાવ્યો હતો, આ ઉપરાંત વચ્છરાજ ઘાટ અને જૈન ઘાટ પણ છે. ૭મા જૈન તીર્થંકર ભગવાન શ્રી સુપાર્શ્ર્વનાથનો અહીંથી નજીકના જ સ્થળે જન્મ થયો હતો. ૧૮મી સદીમાં અહીંના એક જૈન વ્યાપારીએ આ ઘાટ બનાવડાવ્યો. જૈન ઘાટ અગાઉ વચ્છરાજ ઘાટનો જ એક હિસ્સો હતો. ૧૯૩૧માં જૈન સમુદાયે એના એક ભાગમાં પાકું બાંધકામ કરીને નવું નામ આપ્યું. આ બેઉ ઘાટ નજીક જૈન પરિવારની વસતિ રહે છે. હરિશ્ર્ચન્દ્ર ઘાટ આવે એ પહેલાં શિવાલા ઘાટ છે. નેપાળના મહારાજા સંજય વિક્રમ શાહે ૧૯મી સદીમાં અહીં ભવન બનાવ્યું. એક શિવ મંદિર પણ બનાવ્યું. એની બાજુમાં જ પ્રાચીન હનુમાન ઘાટ છે જેના માટે માન્યતા એવી છે કે ૧૫મી સદીના વૈષ્ણવ સંત વલ્લભાચાર્યજીનું અહીં જન્મ સ્થળ છે. પુષ્ટિ સમ્પ્રદાયના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીને કારણે ઉત્તર ભારતમાં કૃષ્ણ ભક્તિનું પુન: જાગરણ થયું ને હવે દેખાય છે તે હરિશ્ર્ચન્દ્ર ઘાટ. સત્યવાદી રાજા હરિશ્ર્ચન્દ્રે પોતાના સત્ય અને દાનધર્મના વ્રતની રક્ષા કરવા માટે આ ભૂમિ પર ચાંડાળની ભૂમિકા ભજવીને મૃતદેહને દાહકર્મ આપવાનું કાર્ય કર્યું હતું. એ કથા ખૂબ જાણીતી છે. આ સ્મશાન ઘાટ છે. અહીં કોઈપણ સમયે તમે પ્રજવલિત ચિતા જોઈ શકો છો.

હરિશ્ર્ચન્દ્ર ઘાટ ને મણિકર્ણિકા ઘાટ વચ્ચે બીજા ઘણા ઘાટ છે. દરેક ઘાટના ઈતિહાસમાં ઊંડા ઊતરીશું તો વાત ખૂબ લંબાઈ જશે. મણિકર્ણિકા ઘાટ વિશેની પૌરાણિક કથામાં ભારોભાર સર્જકતા છે. સૃષ્ટિની રચના સમયે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્ર દ્વારા અહીં પવિત્ર કુંડની રચના કરીને અહીં કઠોર તપસ્યા કરી ત્યારે એમના પ્રસ્વેદથી આખો કુંડ છલકાઈ ગયો. શિવજીએ વિષ્ણુજીની પ્રશંસા કરતાં માથું હલાવ્યું ત્યારે શિવજીના કાનમાંનું એક મણિ આ કુંડમાં, ખાડામાં અર્થાત્ મણિકમાં પડ્યું. એટલે આ જગ્યાનું નામ મણિકર્ણિકા ઘાટ પડ્યું. અહીં મણિકર્ણિકેશ્ર્વર, મહેશ્ર્વર (ખુલ્લામાં રાખેલું શિવ લિંગ) મંદિર પણ છે.

અમે જોઈએ છીએ કે સંધ્યાના આછા પ્રકાશમાં અહીં એક સાથે નવ-નવ ચિતા ભડ ભડ બળી રહી છે. હજુ બીજા એકાદ ડઝન મૃતદેહો આવે તો પણ વેઈટિંગમાં રહેવું ના પડે એવી વ્યવસ્થા છે. ઘાટની નજીકની ત્રણ ચાર જગ્યાઓએ વીસ-ત્રીસ ફીટ ઊંચી એવી લાકડાની થપ્પીઓ છે. દિવસરાત આ સ્મશાન ધમધમતું રહે છે. ‘ધમધમતું’ એટલા માટે કહ્યું કે આ સ્મશાન પર એક આખી પ્રજાનાં સેંકડો કુટુંબોનો જીવનનિર્વાહ ચાલે છે. આપણે જેમને મસાણિયા કહીએ છીએ તે ડોમ પ્રજા આ કાર્યને લીધે જ પોષાય છે. નજીકમાં જ ડોમરાજાનું ઘર છે. કહેવાય છે કે એમના ઘરમાં દેશી દારૂની ટાંકી હતી અને સીધા પાઈપવાટે જ તેઓ પીતા. હવે તેઓ જીવિત નથી. સ્મશાનમાં ચિતા બાળવાનું આજીવન કામ કરનારાઓએ સતત આ વાતાવરણમાં રહેવાનું હોવાથી દારૂ એમના જીવનનું અગત્યનું અંગ બની જતું હોય છે.

મણિકર્ણિકા ઘાટ માટે કહેવાય છે કે અહીં ક્યારેય તમને એક પણ ચિતા પ્રગટેલી ન હોય એવું જોવા નહીં મળે કારણ કે એક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી જો બીજો મૃતદેહ લાઈનમાં ન હોય તો લોટનું બાવલું બનાવીને એને ચિતામાં પધરાવી દેવાનું, પણ ચિતા ટાઢી ન થવી જોઈએ, ચોવીસે કલાક પ્રજ્વલિત રહેવી જોઈએ.

આપણે તો સ્મશાનમાં જઈએ ત્યારે આપણા સ્વર્ગસ્થ સ્વજનની ચિતા જોઈ હોય અને મન વિષાદભર્યું થઈ જાય. પણ અહીં તો અજાણ્યાઓના અંતિમસંસ્કાર થતાં જોઈને તમે ગમગીન થઈ જાઓ. કદાચ આટલી મોટી સંખ્યામાં થતી આ વિધિ ન જોઈ હોય એટલે. મણિકર્ણિકા ઘાટ તો આમેય સર્જન - વિસર્જનના પ્રતીક તરીકે વિશ્ર્વભરમાં ખૂબ જાણીતો છે. અહીં તસવીર લેવાની સત્તાવાર મનાઈ છે. અમારા માઝીએ કહ્યું: ફોટુ ખીંચ લો. અમે ના પાડી. સત્તાવાર આદેશની આમન્યા રાખવા માટે નહીં, અમારી સ્મૃતિમાં અમારે આવી કોઈ યાદ નથી રાખી મૂકવી. મરવાનું તો છે જ. ઈચ્છા નહીં હોય તો પણ મરણ આવવાનું જ છે. આપણા હાથની ક્યાં વાત છે? તો પછી એને ભૂલીને જીવવું જોઈએ, ભરપૂર જીવવું જોઈએ. ઉલ્લાસ અને પ્રકાશ સાથે જીવવું જોઈએ.

નૌકાના અને મનોવ્યાપારના યુ ટર્ન પછી અમે દશઅશ્ર્વમેધ ઘાટ પર આવી જઈએ છીએ. એને અડીને જ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ છે. અહીં ગંગા આરતીનો માહોલ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ઘાટનાં પગથિયાં પર હકડેઠઠ ભીડ છે. આ બાજુ ગંગાના તટ પરની તમામ નાની મોટી નૌકાઓ ઘાટની આસપાસ સાંકડેમાંકડે ગોઠવાઈ ગઈ છે. હજારોની મેદનીને ઈંતેજાર છે શંખનાદનો. સાતના શંખ ગગનભેદી નાદ સાથે ગંગા આરતીનાં હૃદયંગમ દર્શન શરૂ થવાને હવે થોડીક જ પળોની વાર છે.

ગંગોત્રી સેવા સમિતિના વડા પૂજારીના નેતૃત્વ હેઠળ વેદ તથા ઉપનિષદનો ઉચ્ચ અભ્યાસ કરી રહેલા પાંચ-પાંચ યુવાનો પિતાંબર પહેરીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવના શ્ર્લોક સાથે દીર્ઘ સમય સુધી શંખનાદ કરે છે. વારાણસીના દશઅશ્ર્વમેધ ઘાટ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ પર સાંજની ગંગા આરતીનો આરંભ થાય છે. ઘંટનાદથી આખું વાતાવરણ ગુંજી ઊઠે છે. દરેકની પાસે સાત સ્તર ઊંચી આરતીના દીવા છે. છેક ઉપરના સ્તરે એક દીવો છે, એની નીચેના સ્તરે ત્રણ, એ પછીના સ્તરે હજુ વધારે એમ છેક સાતમા સ્તરે એક ડઝન કરતાં વધુ દીવાઓની જ્યોત છે. આરતી માટે દીપ પ્રાગટ્ય કરતાં પહેલાં ધૂપદાની દ્વારા વારાફરતી ચારેય દિશાઓનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે, પંચમહાભૂતોનું સ્મરણ કરવામાં આવે છે. દરેક યુવાન પૂજારી એકમેક સાથે તાલ મિલાવીને દરેક ક્રિયા કરી રહ્યા છે.

દીપ પ્રાગટ્ય કરીને દરેક પૂજારી ઊંચા દીવાને વર્તુળાકારમાં ઘુમાવીને આરતી શરૂ કરે છે. એક સાથે આટલા બધા દીવાની જ્યોત તમારી આંખને ઠારે છે. મા ગંગાના આશીર્વાદથી આ ભારેખમ દીવાઓ યુવાન પૂજારીઓના હાથમાં ફૂલ જેવા હળવા થઈ ગયા હોય એવું લાગે. બીજે દિવસે મેં આ બંને ધૂપદાની અને આરતીનો દીવો વારાફરતી એક હાથે ઊંચકવાની કોશિશ કરી. એમાં ઘીનું વજન નહોતું તોય ભારેખમ હતો. આટલી બધી વાર ધીરજપૂર્વક એને ઉપાડીને આરતી કરવા માટે બાવડામાં પણ જોર જોઈએ. આવું જ જોર હલેસાંવાળી હોડી ચલાવવામાં જોઈએ. હલેસાંને અહીં ચપ્પુ કહે. જોકે, અત્યારે અમારી નૌકામાં મોટર એન્જિન છે જે આરતી દરમ્યાન શાંત છે. લગભગ પોણો કલાકની ગંગા આરતીના સાક્ષી થયા પછી અમે પાછા અસ્સી ઘાટ જવાને બદલે દશઅશ્ર્વમેધ ઘાટ પર જ હોડી છોડી દીધી. દશઅશ્ર્વમેધ ઘાટનો ઉચ્ચાર દશાશ્ર્વમેધ ઘાટ થાય છે પણ સંધિ છૂટી પાડીને જાણી જોઈને લખી રહ્યો છું જેથી અર્થ સ્ફુટ થાય. બ્રહ્માજીએ અહીં દસ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા હતા જેથી નિર્વાસન બાદ ભગવાન શિવ માટે બનારસ પાછા ફરવાનું આસાન બને. ગઈ કાલે હનુમાન ઘાટ વિશે વાત કરતાં મારી ચૂક થઈ ગઈ. વલ્લભાચાર્યનો જન્મ નહીં પણ એમનો દેહત્યાગ આ જગ્યાએ થયો - આષાઢી બીજના દિવસે. વલ્લભાચાર્યજીનો જન્મ ચંપારણમાં થયો એ તો બહુ જાણીતી માહિતી છે છતાં ચૂક થઈ ગઈ. ચંપારણ એક જમાનામાં બિહાર રાજ્યમાં ગણાતું. નવાં રાજ્યો બન્યા પછી છત્તીસગઢમાં આવે છે.

દશઅશ્ર્વમેધ ઘાટ પર ઊતરીને અમે અહીંના વિશ્ર્વ વિખ્યાત કાશી વિશ્ર્વનાથનાં દર્શને જઈ રહ્યા છીએ. આ ઘાટ પરથી બહાર આવો કે તરત તમને મુંબઈનો ભૂલેશ્ર્વર વિસ્તાર યાદ આવે એવું તળ વારાણસી દેખાય. કાપડ વેચતી એક નાનકડી દુકાન પાસે રોકાઈને એક ગમછો લીધો. એકથી મન ન ભરાયું એટલે બીજો એક જરા મોટી સાઈઝનો ગમછો પણ લીધો. આ બીજો ગમછો મુંબઈ પાછા આવતી વખતે બૅગમાં મૂકવાનો જ રહી ગયો. લાલચ બડી બૂરી ચીજ છે. હવે મુંબઈમાં એક ગમછાથી ચલાવી લેવું પડશે. સાવ સસ્તો છે. માત્ર ત્રીસ રૂપિયાનો. આર્થર રોડ જેલનિવાસી છગન ભુજબળ એમના સારા દિવસોમાં ગળામાં લંડનની બર્બરી બ્રાન્ડનો ચેક્સવાળી ડિઝાઈનનો ‘ગમછો’ પહેરતા જેની કિંમતમાં અમે વારાણસીથી ખરીદ્યા એવા એકથી દોઢ હજાર ગમછા આવી જાય!

ગમછો ગળામાં લગાવી વટભેર અમે ઝડપી પગલે કાશી વિશ્ર્વનાથના મંદિર તરફ ચાલ્યા. ભારતભરમાં શિવજીનું આ સૌથી વધુ મહાત્મ્ય ધરાવતું મંદિર. બાર જ્યોતિર્લિંગોમાંનું એક.

પં. નહેરુની કૉન્ગ્રેસ સરકારે દિલ્હીના એક રાજ માર્ગને જેનું નામ આપ્યું છે અને જેને બદલવાની વાત થાય તો સેક્યુલરોની પૂંઠે ઝાળ લાગે છે એ છઠ્ઠા મોગલ બાદશાહ ઔરંગઝેબે આ મંદિર તોડીને એના અવશેષોમાંથી એ જ સ્થળે જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. ઔરંગઝેબ આલમગીર એવું આખું નામ એનું એટલે આ આલમગીર મસ્જિદ તરીકે પણ જાણીતી છે. આ મસ્જિદમાં અત્યારે હિંદુઓને પ્રવેશ નથી. દૂરથી જુઓ તો ખ્યાલ આવે કે ઢાંચો મંદિરનો જ વાપર્યો છે. નંદીનું કદ જોતાં ખબર પડે કે શિવલિંગનું કદ કેટલું મોટું હશે. ૧૭૮૦માં આ મંદિરવાળી જગ્યાને અડીને ઇંદોરનાં મરાઠા શાસક અહિલ્યાબાઈ હોળકરે અત્યારે જે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તે બનાવ્યું. ૧૯૮૩થી આ મંદિરનું મૅનેજમેન્ટ ઉત્તર પ્રદેશ સરકાર કરે છે. ભારતનાં અનેક પ્રમુખ મંદિરોનાં ટ્રસ્ટ સરકાર મૅનેજ કરે છે. મસ્જિદો અને ઈસ્લામનાં બીજાં ધર્મસ્થળો પર તેમ જ હિન્દુ સિવાયનાં અન્ય ધર્મોનાં સ્થાનકો પર સરકારની કોઈ આણ નથી, કોઈ દખલગીરી નથી.

સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તે આ કાશી વિશ્ર્વનાથના મંદિરને ઔરંગઝેબે ૧૬૬૯ની સાલમાં રગદોળ્યું તે પહેલાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતબુદ્દીન ઔબકે ૧૧૯૪માં કનૌજના રાજાને પરાસ્ત કર્યા બાદ ધ્વસ્ત કર્યું હતું. એ પછી એક ગુજરાતી વેપારીએ દિલ્હીના સુલતાન ઈલ્તુતમિશ (૧૨૧૧-૧૨૬૬)ના શાસન દરમ્યાન આ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. આ ફરી બંધાયેલા મંદિરને હુસૈન શાહ શાર્કી (૧૪૪૭-૧૪૫૮) કે સિકંદર લોધી (૧૪૮૯-૧૫૧૭)એ ફરી એકવાર તોડી નાખ્યું. અકબરના શાસન દરમ્યાન રાજા માનસિંહે ફરી આ મંદિર બંધાવ્યું પણ એ નવા બંધાયેલા મંદિરમાં કોઈ હિન્દુ દર્શન કરવા જતા જ નહીં. હિન્દુઓ અને શિવભક્તોના આ બૉયકોટનું કારણ એ કે રાજા માનસિંહે પોતાના કુટુંબની સ્ત્રીઓને મોગલો સાથે પરણવા દીધી હતી. છેવટે ૧૫૮૫માં રાજા ટોડરમલે એ મંદિરનું ફરી બાંધકામ કર્યું, પણ લેસ ધૅન અ સેન્ચ્યુરીમાં ઔરંગઝેબે ફરી આ મંદિર તોડ્યું.

ઈસ્લામમાં અડગ શ્રદ્ધા રાખતા મોગલ શાસકો જે મંદિરની પાછળ પડી ગયા હોય. ૧૧૯૪થી ૧૬૬૯ દરમ્યાનના પાંચ પાંચ દાયકા સુધી સતત જે મંદિરનો ધ્વંસ કરતા રહ્યા હોય તે મંદિરની મહત્તા એ જમાનામાં પણ કેટલી હશે તેની કલ્પના તમે કરી શકો છો. જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરના અવશેષો પર બનેલી છે તે પ્રુવન ફેક્ટ છે. અનેક આર્કિયોલોજિકલ પુરાવાઓ છે. ઐતિહાસિક દસ્તાવેજો પણ છે.

મંદિરમાં પ્રવેશવાના એકાધિક દ્વાર છે. અમે જે દ્વારમાંથી પ્રવેશ્યા ત્યાં અમારી જમણી તરફ એક ઊંચી વાડ બાંધેલી જેની આરપાર જ્ઞાનવાપી મસ્જિદ અમે જોઈ શકતા હતા. કાશી વિશ્ર્વનાથની રક્ષા કરવા માટે સેંકડો પોલીસો, સુરક્ષા દળના જવાનો ઠેર ઠેર જોવા મળે છે. ત્રણ-ત્રણ જગ્યાએ અમારી શારીરિક જાંચ થઈ. મોબાઈલ અને ધાતુના બક્કલવાળો ચામડાનો કમરપટ્ટો તેમ ચામડાનું પૈસાપાકીટ અમે પ્રવેશતાં પહેલાં જ સોંપી દીધેલું - ખપ પૂરતી રોકડ રકમ ખિસ્સામાં લઈ લીધેલી.

કાશી વિશ્ર્વનાથના દર્શને આવનારાઓમાં તમિળનાડુથી આવેલા જાત્રાળુઓ સૌથી વધારે જોવા મળે છે. આપણે લોકો તિરુપતિ જઈને વાળ ઊતરાવીએ છીએ. કેટલાય તમિળયનો અહીં આવીને મુંડન કરાવતા હોય છે. ફૂલ અને બીજો પૂજાપો વેચનારાઓ પણ એમને જોઈને તમિળમાં ભાવ બોલતા થઈ જાય છે, જે ભાષા તમને ધંધો અપાવે તે શીખી લેવાની. (અમારા માટે તો ગુજરાતી પૂરતી છે).

અમે સંધ્યા આરતી સમયે પહોંચ્યા છે એટલે ગર્ભગૃહ સુધી જવાની કોઈ ગુંજાઈશ નથી. ગર્ભગૃહની બહાર એક નાનકડો છતવાળો ચોક છે. ત્યાં ક્લોઝ સર્કિટ ટીવી પર એ આરતી દેખાડવામાં આવી રહી છે. અન્ય શિવભક્તોની સાથે અમે પણ ત્યાં પલાંઠી મારીને બેસી જઈએ છીએ. જોકે, મને સીસીટીવીના લાઈવ કવરેજમાં રસ નથી. શિવજીને હાજરાહજૂર મળવું છે. થોડી રાહ જોવી પડશે. કાને આરતી સંભળાય છે પણ મન આલમગીર ઉર્ફે જ્ઞાનવાપી મસ્જિદ તરફ ભટક્યા કરે છે. વાપી એટલે કૂવો. તે જગ્યામાં ખરેખર એક કૂવો છે એવું સાંભળ્યું છે. એને જ્ઞાનનો કૂવો કહેતા હશે, એટલું સારું છે કે આ મસ્જિદને પ્રશાસન દ્વારા ચીતરાયેલા સાઈન બોર્ડ્સમાં ક્યાંક આલમગીર મસ્જિદ નથી કહેતા, જ્ઞાનવાપી જ કહે છે. વિસ્તાર પણ જ્ઞાનવાપી તરીકે જ ઓળખાય છે.

આરતી પૂરી થઈ ગઈ છે. ગર્ભગૃહ તરફ જવા માટે ધમાચકડી મચી છે. એ પહેલાં અંદર જમા થયેલા શ્રદ્ધાળુઓને તો બહાર આવવા દઈએ. બધા બહાર આવી ગયા પછી અમારા લોકોની ભીડ અંદર જવા ઉતાવળી થઈ છે. દરેક જગ્યાએ આપણે ભીડમાં હોઈએ ત્યારે વિચારીએ છીએ કે કેટલી ભીડ છે અહીં, પણ એ નથી વિચારતા કે આપણે પણ આ ભીડનો જ એક હિસ્સો છીએ. મુંબઈના રસ્તા પર કારમાં કે ટેક્સીમાં જતી વખતે વિચારીએ છીએ કે કેટલો બધો ટ્રાફિક છે પણ એ નથી વિચારતા કે આ ટ્રાફિકમાં ઉમેરો કરનારી એક ગાડી તમારી પોતાની જ છે. બીજાઓને બ્લેમ કરવામાં આપણે સૌ ઉસ્તાદ છીએ.

ભીડ ચસક્તી નથી. અમારી બાજુમાં ઊભેલો યુ.પી. પોલીસનો એક ગણવેશધારી ઈન્સ્પેક્ટર મોટેથી બૂમ પાડીને અંદર સૂચના આપે છે કે ‘અંદર કોઈ ખેંચનારાઓ છે કે નહીં?’ અમને સમજ નથી પડતી કે આ સૂચના શું કામ આપી હશે. થોડી મિનિટોમાં અમારો વારો આવે છે. ગર્ભગૃહમાં દાખલ થતાંવેંત અમારા બે હાથ જોડાઈ જાય છે પણ ત્યાં જ બે પોલીસવાળાઓ એક-એક હાથે અમને પકડીને શિવલિંગ તરફ નમાવે છે. અમે દર્શન કરીએ ન કરીએ ત્યાં જ એ બે પોલીસવાળા પાસેથી બીજા બે પોલીસવાળા અમને ખેંચી લે છે. એ પછી બીજા બે અમને ખેંચે છે અને અમે ગર્ભગૃહની બહાર આવી જઈએ છીએ. આ રીતે ખેંચમતાણી ન થાય તો હજારો દર્શનાર્થીઓનો વારો જ ન આવે. મને આ વ્યવસ્થા સામે કોઈ જ વાંધો નથી. કોઈ અન્ય વિકલ્પ ન શોધાય ત્યાં સુધી શ્રીનાથજીના મંદિરના ઝાપટિયાઓ જેવી સેવા યુપીની પોલીસે બજાવવી જ પડે. ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં એ પૂજારી સૌના ભાલ પર શિવજીની ભસ્મનો પ્રસાદ લગાડતા દેખાય છે. અમે પણ દક્ષિણા મૂકીને અમારા કપાળને પવિત્ર કરીએ છીએ. વધુ જરૂર તો એ કપાળની પાછળ રહેલા દિમાગને પવિત્ર કરવાની છે. પણ જેવી મહાદેવજીની કૃપા. આટલું તો આટલું.

થોડી વાર શાંતિથી ઊભા રહીને, શિવલિંગ તરફ મોઢું રાખીને પ્રાર્થના કરીએ છીએ. ભારતની મહાન પરંપરાઓ કેવી રીતે સચવાઈ છે એનો સાચો ઈતિહાસ જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એનું મૂલ્ય સમજી શકતા નથી. ભોળાનાથની કૃપાથી આજે અમે એમનાં દર્શન કરી શક્યા છીએ.

અને હવે અમને કકડીને ભૂખ લાગી છે.

ટમાટર, ટિકિયા, ગોલગપ્પા, મલાઈ ટોસ્ટ અને જલેબી-કચૌડી

કાશી વિશ્ર્વનાથનાં દર્શન કરીને અમે સીધા ભાગ્યા નજીકના લક્સા વિસ્તારમાં. અહીં દીના ચાટ અને કાશી ચાટ બેઉ અતિપ્રસિદ્ધ જગ્યાઓ છે. આજના માટે અમે દીના ચાટ પસંદ કરી. કાશી ચાટનો સ્વાદ કાલે કે પરમ દિવસે. દીના ચાટમાં સૌથી વધુ વખણાતી વાનગીનું નામ છે ‘ટમાટર’. બસ, ટમાટર. માટીની કુલડીમાં ગરમાગરમ આવે. લાકડાની ચમ્મચથી ખાવાનું. ટમાટરમાં ઉપર એકદમ બારીક સક્કરપારા ભભરાવવામાં આવે. બારીક એટલે સાવ બારીક. સક્કરપારાનો ભુક્કો નહીં પણ રાઈ અને મરીના દાણાની વચ્ચેની સાઈઝના સક્કરપારા. એ તો માત્ર ક્રન્ચ માટે. ઘણી જગ્યાએ રગડા પેટીસની ઉપર પૂરી તોડીને જે કારણોસર ભભરાવવામાં આવે તે જ કારણોસર. ટમાટરનો ભરપૂર સ્વાદ. મીઠાશ અને ખટાશનો પણ. વિવિધ મસાલાનો સ્વાદ. પણ એ બને છે કેવી રીતે? અમે વિશાળ તવા ઉપર ગોઠવાયેલા બે ભાઈઓને વારાફરતી પૂછી જોયું. - બંનેએ કહ્યું: બસ, આ રીતે! અને બનાવતા રહ્યા. કાઉન્ટર સંભાળતા માલિકને પૂછયું કે આમાં શું શું પડે? એણે તવા તરફ આંગળી ચીંધીને કહ્યું: આ બધું જ!

છેવટે અમને સમજાયું કે સિન્સ અમારા ગળા પર ગમછો લટકાવેલો એટલે એમનો પોટેન્શ્યલ રાઈવલ માની લીધો હશે. ક્યાંક અમારી અને કાશી ચાટની વચ્ચે ગુડ મૉર્નિંગ ચાટનો ખૂમચો ના નાખી દે. આમેય આપણા લખ્ખણેય એવાં જ. લખવા કરતાં પાણીપૂરી ને ભેળપૂરી બનાવવાનું વધારે ફાવે.

દીના ચાટમાં ટિકી તો ખાવી જ પડે. પડિયામાં પીરસાતી આપણી રગડા પેટીસની ટિકી પણ ફરક એટલો કે આપણે ત્યાં માત્ર આલુની બને, અહીં વટાણાને કચરીને એમાં બીજો મસાલો - કોથમીર વગેરે ઉમેરીને ટિકી બને. સાથે વટાણાનો રગડો. મીઠી ચટણી અને અહીં બધે જ જોયું કે પ્યાજ કે કાંદાને બદલે ઉપર મૂળાની છીણ ભભરાવે. વધારે સ્વાદિષ્ટ લાગે. પાપડી ચાટ અને ગોલગપ્પા ખાધા પછી પેટમાં ભાગ્યે જ જગ્યા હતી. પણ બીજાઓને પડિયામાં ‘જામુન’ ખાતાં જોઈ અમારું પણ મન લલચાઈ ગયું. એકદમ મોટી સાઈઝના ગુલાબજાંબુ. અંદરથી પણ માવાદાર અને એકદમ સોફટ. ગરમ એટલા કે ઉતાવળ કરી અને જો રાહ ન જુઓ તો જીભ દાઝી જાય. આજના દિવસ માટે આટલું પૂરતું હતું.

રાત્રે છૂટા પડતી વખતે અમારી તહેનાતમાં મૂકવામાં આવેલા સેવક કુંવર પ્રતાપ સિંહે ગાડીના ડ્રાઈવરને સૂચના આપી કે કલ સુબહ ઈન કો ચાય-ટોસ્ટ ઔર કચૌડી-જલેબી કરાના હૈ!

બીજે દિવસે સવારે ચાર વાગ્યે ઊઠી જવાના ટેન્શનમાં રાતે ઊંઘ પણ મોડી આવે છે. બનારસ આવ્યાને હજુ બાર જ કલાક થયા હતા અને કેટકેટલું અનુભવી લીધું, માણી લીધું. આગળ તો પૂરા ૪ દિવસ બાકી છે.

સવારે ચાર વાગ્યે ઊઠીને નહાઈને જવાને બદલે અમે નહાવાનો સમય બચાવીને પાંચ વાગ્યે ઊઠ્યા હોત તો ચાલી જાત પણ તો અમે એક સુંદર ધાર્મિક વિધિથી વંચિત રહી જાત. આ વાતની અમને જાણ કરવામાં આવી હતી એટલે જ અમે આળસ કર્યા વિના નહાઈધોઈને બરાબર સાડાપાંચ ને પાંચે અસ્સી ઘાટ પહોંચી ગયા.

સુબહ-એ-બનારસનો નજારો જોવા માટે ગમે એટલા ઉજાગરા કરવા પડે, વસૂલ છે. હજુ સૂર્યોદય થવાને વાર છે. પૂર્વાકાશમાં લાલિમા પણ નથી ફૂટી. ઘાટ પર થોડી બેઠકો ગોઠવવામાં આવી છે. સંસ્કૃતનો અભ્યાસ કરતી છ કુમારિકાઓ વેદના મંત્રોનું સમૂહગાન શરૂ કરે છે:

ઓમ પ્રાતરગ્નિં પ્રાતરિન્દ્રં હવામહે

પ્રાતર્મિત્રાવરુણા પ્રાતરશ્વિના

પ્રાતર્ભગં પૂષણં બ્રહ્મણસ્પતિં

પ્રાત: સોમમુત રુદ્રં હુવેમ

ભાવાર્થ: પ્રભાત વેળાએ સ્વપ્રકાશ સ્વરૂપ પરમ ઐશ્ર્વર્યના દાતા, પરમ ઐશ્ર્વર્યયુક્ત પ્રાણ, ઉદાન સમાન પ્રિય અને સર્વશક્તિમાન સૂર્ય-ચન્દ્રને જેમણે ઉત્પન્ન કર્યા તે પરમાત્માનું અમે આહ્વાન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. ભજનીય, સેવનીય, ઐશ્ર્વર્યયુક્ત પુષ્ટિકર્તા તમારા ઉપાસક, વેદ અને બ્રહ્માંડના પાલનહાર, અન્તર્યામી પ્રેરક અને પાપીઓને રડાવનારા અને સર્વરોગનાશક પ્રભુની અમે સ્તુતિ - પ્રાર્થના કરીએ છીએ.

શાંત વહેતી નદીના ઘાટ પરથી વહેતા આ વેદોચ્ચારો આખા વાતાવરણમાં ગુંજ્યા કરે છે. એક પછી એક શ્ર્લોક બોલાતા જાય છે. આકાશમાં પંખીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ઓમ શાંતિ:, શાંતિ:, શાંતિ: સાથે મંત્રગાન સમાપ્ત થાય છે અને પાંચ કુમારો ચારે દિશાઓનું પૂજન કરવા બેએક ફીટ ઊંચા નાના-નાના પ્લેટફોર્મ પર હાથમાં ધૂપદાની લઈને ચડી જાય છે. પ્રથમ સામે દેખાતી ગંગા સામે એમનું મુખ છે. એ પૂર્વ દિશા છે. ચારે દિશા અને પાંચેય તત્ત્વની પૂજા-આરતી બાદ અમને સૌને અસ્સી ઘાટની યજ્ઞશાળામાં લઈ જવામાં આવે છે. કેટલાક વિદેશીઓ છે જેમાં કેટલાક બૌદ્ધ ભિખ્ખુઓ પણ છે. ભારતની પચરંગી પ્રજા તો છે જ. યજ્ઞશાળા ચારે તરફથી ખુલ્લી છે. માથે વાસ્તુ મુજબનું છાપરું છે. વચ્ચોવચ હવનકુંડ છે. એક વિદુષી મહિલા વિધિ અનુસાર યજ્ઞક્રિયા આરંભે છે. ભારતીય પરંપરાઓમાં યજ્ઞવિધિનું બહુ મોટું પ્રદાન છે. યજ્ઞને કારણે યજ્ઞ કરાવનાર રાજા કે વ્યક્તિ પોતાના શુભ સંકલ્પને પ્રજા સુધી, પોતાના હિતેચ્છુઓ સુધી પહોંચાડતો. આને લીધે એ સૌનો સાથ સાંપડતો અને સંકલ્પસિદ્ધિ થતી. હોમ તથા યજ્ઞમાં હોમવામાં આવતા જવ જેવા અનાજ કે પછી ઘી ઈત્યાદિને કારણે લાખોકરોડો રૂપિયાનો વ્યય થાય છે એવી બુમરાણ ખોટી છે. એવો કંઈ લાંબો પહોળો ખર્ચ નથી થતો. અહીં કંઈ ગાડાં ભરીને કે પછી તપેલાં ભરીને ઘી હોમવામાં નથી આવતું કે અનાજ પણ કંઈ ટનબંધ નથી ઠલવાતું. બધું થોડીક ચમચીઓ કે મુઠ્ઠીઓ જેટલું જ હોય છે. આની સરખામણીએ બીજા ધર્મોના પવિત્ર તહેવારોમાં બકરા જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે તેમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. નિર્દોષ જીવોની હત્યા થાય છે અને પારાવાર ગંદકી થાય છે. યજ્ઞમાં અમે પણ સમિધ મૂકીએ છીએ. શુભ સંકલ્પો દ્વારા સમાજનું ભલું થતું જેઓ જોઈ શકતા નથી તે રાક્ષસો આવા હવનમાં હાડકાં નાખતા એવી પ્રાચીન કથાઓ આપણે જાણેલી છે. હવનમાં આ રીતે વિઘ્ન કરનારાઓના ઈરાદાઓને સફળતા ન મળે એ માટે જ તો કિશોર ઉંમરના રામ-લક્ષ્મણની મદદ ઋષિમુનિઓએ માગી હતી.

યજ્ઞની પૂર્ણાહુતિની સાથે જ પૂર્વાકાશમાં કેસરી છાંટની લહેરખી દેખાવા માંડી છે. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ સૂર્યપૂજાની ક્ષણ આવી પહોંચે છે. ગંગાના જળમાં ઊતરીને તાંબાની લોટીમાં એને ભરીને સૂર્યદેવતાને એ જળ અર્ધ્યરૂપે આપીને પૂજા કરીએ છીએ. સૂર્ય અગ્નિ દેવ છે. ગંગામાં જળદેવતા છે. ઉપર ખુલ્લું આકાશ છે અને પગ તળે ભીની રેતીવાળી જમીન છે. મંદ મંદ પવન આ બધાયનો સાક્ષી છે. પાંચેય તત્ત્વોનું સ્મરણ કરીને પંચ મહાભૂતોમાંથી બનેલો આ જીવ હવે જમણી તરફના નાનકડા મંચ પર શરૂ થઈ રહેલા ધ્રુપદ ગાનના સૂરોને માણવા તૈયાર છે. પખવાજની સંગતમાં ધ્રુપદ શૈલીનું સંગીત સાંભળતાં સાંભળતાં દૂર ક્ષિતિજ પરથી ઊભરી રહેલા સૂરજનાં કિરણો વહી જતા ગંગાજળ પર પડીને આખાય તટને સોનેરી આભા બક્ષે છે. ધ્રુપદ સાંભળવા માટે જે નિરાંત જોઈએ તે આ વાતાવરણમાં સૌ કોઈની પાસે છે. અત્યાર સુધીની જિંદગીમાં આવી રીતે સવારની શરૂઆત ક્યારેય કરી નથી. સુબહ-એ-બનારસે આવો અમૂલ્ય લ્હાવો આપ્યો. સંગીત પછી યોગનો કાર્યક્રમ છે પણ અમારો જીવ અત્યારે યોગમાં નહીં પણ ભોગમાં છે. યોગાસાન અને પ્રાણાયમ શીખવતા આચાર્યની ક્ષમા માગી, એમની રજા લઈને અમે ચૌક તરફ જઈએ છીએ. અહીંથી જરા દૂર છે. દૂર એટલે? દસ મિનિટ!

લક્ષ્મી ચાયની દુકાન આપણા મૂળજી જેઠા માર્કેટની આજુબાજુ આવેલી કોઈપણ શંકરવિલાસ ચાવાળાની દુકાન કરતાંય સાદીસીધી છે. અહીં બધું કામકાજ ઊંચી ભઠ્ઠી પર જ થાય છે. ચા પણ ભઠ્ઠી પર ઉકળે અને ટોસ્ટ પણ ભઠ્ઠી પર બને. લોખંડના તારમાંથી બનેલા બે મોટી જાળીવાળા ‘ટોસ્ટર’ની વચ્ચે પ્રાઈવેટ બેકરીમાંથી આવેલા બ્રેડના લોફની જાડી જાડી ચાર સ્લાઈસો મૂકીને પાપડ શેકીએ એમ ભઠ્ઠી પર સુલટાવી - ઉલટાવીને ટોસ્ટ તૈયાર. મખ્ખનવાળા ટોસ્ટ જોઈએ કે મલાઈવાળા? મખ્ખનવાળા કહો તો પૂછે કે: સફેદ કે અમૂલ? અને મલાઈવાળા કહો તો પૂછે કે: મિસરી કિતની?

બહોત સારી જ હોય ને, મલાઈ ખાઈને ડાયેટ ક્ધટ્રોલની ઐસીતૈસી જ કરવી હોય તો પૂરેપૂરી વસૂલાત કેમ નહીં કરવાની? ટોસ્ટ ઉપર મલાઈનો જાડો, આટલો જાડો, થર અને ઉપર ઢેરસારી મિસરી. કુલડીમાં ચા. ટોસ્ટનું એક બાઈટ ભરો એટલે કેટલી કેલરી થઈ એની ગણતરી કરવી હોય તેના માટે લક્ષ્મી ચાયના દરવાજા બંધ છે. એક પ્લેટમાં પાછા આવા બે ટોસ્ટ. અમે વ્યક્તિ દીઠ એક-એક આખી પ્લેટ મગાવી હતી. પણ પૂરી કરી નાખી. ચા બેવાર પીવી પડી, એટલું જ.

બ્રેકફાસ્ટ જ નહીં, અલમોસ્ટ બ્રન્ચ થઈ ગયું હતું. પણ હજુ બ્રેકફાસ્ટનો ઉત્તરાર્ધ બાકી હતો. લંકા ચૌરાહા યાદ છે? જ્યાંના કેશવ તામ્બુલ ભંડારમાં પહેલું બનારસી પાન જમાવ્યું હતું? એ ડાબી તરફ. આ છે તે જમણી તરફની ગલીના નાકે જ. નાનકડી છાપરી જેવી અતિ સાધારણ દુકાનમાં વારાણસીની સૌથી ફેમસ જલેબી-કચૌડી મળે છે. કોઈ કૃત્રિમ રંગ નાખ્યા વિના નાની નાની જલેબીઓ તળાઈ રહી છે. પછી ચાસણીમાં ડુબાડાઈ રહી છે. પણ એ પહેલાં કચૌડી ખાવાની છે. અમે ઑર્ડર આપ્યો. એક પર એક ગોઠવાયેલી પાંચ કચૌડી અને એની સાથે બટાટાનું વિવિધ ચાટમસાલા નાખેલું ખાટુંમીઠું શાક. અહીં આ ફૂલેલી સાદી ઘઉંની પૂરીને કચૌડી કહે છે. નિરાશ નહીં થતા. બીજી એક પ્રકારની કચૌડી આવી જ પૂરીમાં વટાણા વગેરેનું આછું મિશ્રણ ભરીને બનાવવામાં આવે છે અને ત્રીજી એક પ્રકારની કચૌડી કડક પડવાળી, પેટીસની સાઈઝની, અંદર ભરપૂર પૂરણ ભર્યું હોય એવી પણ બને છે. આપણે શહેરીઓ આ ત્રીજા પ્રકારની કચોરીની જ કચૌડી તરીકે અપેક્ષા રાખીએ. એ કચૌડીને દહીં - ચટણી વગેરે નાખીને ખાવાની. પણ અત્યારે આ પાંચ કચૌડી અર્થાત્ પુરીને ઝાપટવાની છે. આટલા સમ્પ્ચ્યુઅસ મલાઈ ટોસ્ટ ખાધા પછી આ પણ ખવાઈ જશે એવી કલ્પના નહોતી. અમે તો એ પછી જલેબી પણ ઝાપટી. અહીંથી મેઈન રોડ પર પહલવાનની લસ્સીનું પાટિયું દેખાય છે. એ પણ અમારા ટાર્ગેટમાં છે. પણ ભઈ, અત્યારે નહીં. આજે હવે ખાવા સિવાય બીજું ઘણું કરવાનું છે. જેમાંથી પહેલું ડેસ્ટિનેશન છે - બનારસ હિન્દુ યુનિવર્સિટી. નાલંદા અને તક્ષશિલાની વિશ્ર્વવિદ્યાપીઠો કેવી હશે તેની ઝાંખી કરવી હોય તો મહામના પંડિત મદન મોહન માલવીયાજીએ અકિંચન હોવા છતાં આજથી સો વર્ષ પહેલાં - ૧૯૧૬માં - આટલી વિશાળ અને ભવ્ય યુનિવર્સિટીની મુલાકાત લેવી જોઈએ - કોઈ જ ઉતાવળ વિના, શાંતિથી અહીં ફરવું જોઈએ, વિવિધ વ્યક્તિઓને મળવું જોઈએ. અમે એ જ કરવા જઈ રહ્યા છીએ.

મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની

વારાણસી શહેરનો નકશો જુઓ તો નીચે દક્ષિણ તરફના લંકા વિસ્તારનો એક ખાસ્સો મોટો એવો ચન્ક તમને બનારસ હિન્દુ યુનિવર્સિટી-(બીએચયુ)નો દેખાય. આ યુનિવર્સિટી ફરતે બાઉન્ડરી વૉલ બનાવવાનો ખર્ચ જ ઘણો મોટો થયો હતો. પંડિત મદન મોહન માલવીય આ કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાપીઠના નિર્માણ માટે સૌ કોઈની આગળ ઝોળી ફેલાવતા. હૈદરાબાદના કંજૂસ નિઝામ આગળ પણ ફેલાવી. નિઝામને કોઈએ ફૂંક મારી દીધેલી કે પંડિતજી તો હિંદુ યુનિવર્સિટી બાંધવા માટે ફંડફાળો ઉઘરાવવા આવી રહ્યા છે. નિઝામે પંડિત મદન મોહન માલવીયને કહું કે મારી પાસે તો કંઈ ધન છે નહીં, જોઈએ તો મારી આ મોજડીઓ પણ પગમાંથી ઉતારીને તમને આપી દઉં, બાકી તો હું કંગાળ છું.

પંડિતજી નિઝામની દાનત સમજી ગયા. નિઝામે ધાર્યું હતું કે મારાં પગરખાંને ઊંચકીને લઈ જવાનું અપમાનજનક કામ તો પંડિતજી કરવાના નથી. પણ પંડિતજીએ નિઝામનો આભાર માનીને મોજડીઓ લઈ લીધી. થોડા વખત પછી નિઝામને ખબર પડી કે યુનિવર્સિટી જ્યાં ઊભી થવાની છે તેના ચૌરાહા પર ઓટલો બનાવીને પંડિતજીએ મોજડીઓ મૂકી છે અને જતાઆવતા સૌની પાસે બોલી લગાવીને હરાજી શરૂ કરી છે, એમ કહીને કે, આપણા નિઝામની આર્થિક હાલત અત્યંત કપરી થઈ ગઈ છે, એમણે પોતાની મોજડી પણ વેચવી પડે એમ છે તો આપણે એની સારામાં સારી કિંમત એમને અપાવીએ.

નિઝામે પોતાની આબરૂનું લિલામ થતું અટકાવવા પંડિતજીને પાછા બનારસથી હૈદરાબાદ આવવાનું આમંત્રણ આપ્યું અને દાન માટે રકમ આપવાની તૈયારી દેખાડી. નિઝામના નામની હૉસ્ટેલ બાંધવાનું કહીને દાનની રકમ લઈને પંડિતજી પાછા આવ્યા. થોડા મહિના પછી નિઝામને ખબર પડી કે હૉસ્ટેલનું બાંધકામ તો હજુ શરૂ થયું નથી અને પંડિતજીએ બધા પૈસા વાપરી કાઢ્યા છે. પૂછતાછ કરતાં ખબર પડી કે બધી જ રકમ બાઉન્ડરી વૉલ બાંધવામાં વપરાઈ ગઈ છે અને હજુય એ અધૂરી છે. નિઝામે પૂછ્યું તો માલવીયજીએ કહ્યું કે હૉસ્ટેલના જે વિદ્યાર્થીઓ રહેશે તેમને આસપાસના જંગલ વિસ્તારમાંથી આવી શકનારા પ્રાણીઓથી બચાવવા પહેલાં બાઉન્ડરી વૉલ તો બાંધવી જ પડે ને. તમે હજુ થોડા પૈસા આપો તો પહેલાં બાઉન્ડરી વૉલનું બાંધકામ પૂરું કરી લઈએ પછી હૉસ્ટેલનું મકાન ચણીએ. આમ કરતાં કરતાં માલવીયજી નિઝામ પાસેથી પૈસા લેતા ગયા, લેતા ગયા અને કહે છે કે નિઝામનો સાઠ ટકા ખજાનો એમણે બાઉન્ડરી વૉલ બનાવવામાં જ વાપરી નાખ્યો. બાકીના પૈસામાં ભવ્ય હૉસ્ટેલો બનાવી અને નિઝામ ખરેખર કંગાળ થઈ ગયો!

આવી તો અનેક કથાઓ પંડિત મદનમોહન માલવીય અને બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. યુનિવર્સિટીનો કૅમ્પસ પગે ચાલીને તો એક દિવસમાં જોવો અશક્ય એટલો લાંબો-પહોળો વિસ્તાર. બીએચયુમાં આઈ.આઈ.ટી. છે અને આયુર્વેદિક ફેકલ્ટી પણ છે. એગ્રીકલ્ચરથી માંડીને બિઝનેસ મૅનેજમેન્ટ સુધીની વિદ્યાઓનું આ મોટું ધામ છે. આયુર્વેદ ફેકલ્ટીના પેથોલોજિ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા યુવાન અનુભવી ડૉ. અનુરાગ પાન્ડેય એમની કારમાં અમને આખી યુનિવર્સિટી ફેરવી રહ્યા છે. આંતરિક રસ્તાઓ એટલા પથરાયેલા છે કે એક વખત તો એ પોતે ભૂલા પડી ગયા અને યુટર્ન મારીને પાછા સીધા રસ્તે ગાડી લીધી. સંસ્કૃત, સાહિત્ય, કૉમર્સ, વિજ્ઞાન, લૉ, પરફોર્મિંગ આર્ટ્સ ઉપરાંત અહીંની વિઝયુઅલ આર્ટ્સની ફેકલ્ટી પણ ઘણી જાણીતી છે. ‘બાહુબલી’ ફિલ્મના એનિમેશન માટે આ ફેકલ્ટીના બસોથી વધુ વિદ્યાર્થીઓએ રાતદિવસ મહેનત કરી હતી. ફિલ્મમાં એ સૌની ક્રેડિટ છે.

ડૉકટર અનુરાગ સાથે વાત કરતાં મેં કહ્યું કે અહીં આવીને મને તો ખબર પડી કે કાશી માત્ર સંસ્કૃતની વિદ્યા પ્રાપ્ત કરવાનું જ કેન્દ્ર નથી, સંગીત અને આયુર્વેદ જેવી ઘણી વિદ્યાઓનું આ ધામ છે. ડૉ. અનુરાગે તરત જ ઉત્સાહમાં આવીને અમને કહ્યું: ‘સૌરભજી, આપને હમારી યુનિવર્સિટી કા કુલગાન સુના હૈ? યુ ટ્યુબ પર હૈ: મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની...’

બીએચયુનું આ જોશીલું કુલગાન ડૉ. અનુરાગનું ત્રણ ચાર વરસનું પોયરું ઘરમાં રોજ સાંભળે અને સાથે સાથે ગાય પણ. ડૉ. શાન્તિસ્વરૂપ ભટનાગર રચિત આ અતિ પ્રસિદ્ધ કુલગાનથી અમે અત્યાર સુધી સાવ બેખબર હતા. (ડૉ. ભટનાગર સાહિત્યના નહીં કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા. ૧૯૩૦ પહેલાં અહીં ભણાવતા. અંગ્રેજોએ એમને નાઈટહૂડ બક્ષીને ‘સર’ની પદવી આપી હતી).

અમારે આજે અહીં એક સંસ્કૃતના વિદ્વાન અને એક હિન્દી સાહિત્યના વિદ્વાનને મળવાનું છે. મુલાકાતોનો સમય ગોઠવાઈ ગયો છે. પણ પ્રથમ અમારે અહીંની દસ લાખ પુસ્તકો ધરાવતી સેન્ટ્રલ લાઈબ્રેરીની મુલાકાત લેવી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દાનથી બનેલી આ લાઈબ્રેરી એમના જ નામે ઓળખાય છે. લાઈબ્રેરીનું વિશાળ મકાન બહારથી મહેલ જેવી ભવ્યતા ધરાવે છે. બીએચયુની આ એકમાત્ર લાઈબ્રેરી નથી. કેમ્પસમાં દરેક ફેકલ્ટીની પોતાની અલાયદી લાઈબ્રેરી પણ ખરી. એ તમામ પુસ્તકોની સંખ્યા ગણો તો બીજા છ લાખ જેટલા પુસ્તકો થાય. કુલ સોળ લાખ પુસ્તકો. અહીંના એક ઈન્ચાર્જ ડેપ્યુટી લાઈબ્રેરિયન ડૉ. વિવેકાનંદ જૈન અમારી જ રાહ જોઈ રહ્યા છે. ઔપચારિક પરિચયવિધિ પૂરી કરીને તેઓ અમને પુસ્તકાલયની ટૂર કરાવે છે. અમારું તો મગજ ચકરાવે ચઢી જાય છે. આટલાં પુસ્તકોની ખરીદી, જાળવણી, વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવાની અને પાછા લેવાની પદ્ધતિ - આ બધું કેટલી મહેનત અને વ્યવસ્થા માગી લેતું કામ હશે. પુસ્તકાલયની વચ્ચોવચ્ચ ગોળાકારમાં ફેલાયેલો રીડિંગ રૂમ છે જેની અત્યારે પંચોતેર ટકા જગ્યાઓ વિદ્યાર્થીઓથી ભરાયેલી છે. આ ઉપરાંત બીજા અનેક નાનામોટા રીડિંગ રૂમ્સ છે પણ આ ખંડની વિશિષ્ટતા એ છે કે પંડિત મદન મોહન માલવીયજીએ બ્રિટનની પાર્લમેન્ટનો એક ખંડ જોઈને આવી ગુંબજવાળી ડિઝાઈન બનાવડાવી. અહીં જે પ્રાચીન પંખા છે તે ઉપરથી લટકતા નથી પણ જમીનમાં ખોડેલી થાંભલી પર ઉપરના છેવાડે પાંખિયાં હોય એવાં છે. જૂની ડૉક્યુમેન્ટરી ફિલ્મોમાં તમે ભારતના સંસદ ગૃહમાં આવા પંખા જોયા હશે. જોકે, અહીંના પંખા બંધ છે પણ પરંપરાના પ્રતીકરૂપે મૂકી 

રાખ્યા છે.

એક આખો વિભાગ જૂની હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોનો છે જ્યાંનું એસી ચોવીસે કલાક ચાલુ રાખવું પડે છે. ફાયરપ્રૂફ કેબિનેટમાં સચવાયેલો આ અમૂલ્ય વારસો જોવા માટે જેવા અમે એ ખંડમાં પ્રવેશ્યા કે અમારી ઓળખાણ એક વયોવૃદ્ધ દક્ષિણ ભારતીય વિદ્વાન સાથે કરાવવામાં આવી: ‘આ છે મિસ્ટર કે. ચન્દ્રમૌલી...’ હું ધારીને એમનો ચહેરો જોતો રહ્યો. તરત જ બત્તી થઈ. ગઈ કાલે મોડી સાંજે મારા ઉતારે મેં મગાવેલાં કેટલાંક પુસ્તકો આવ્યાં હતાં તેમાંનું એક દળદાર પુસ્તક જે મેં પસંદ કરેલું એના લેખક છે આ તો! મેં કહ્યું: ‘તમે ‘આનંદ કાનન કાશી’ના લેખક તો નહીં?’ એમને આશ્ર્ચર્ય થયું: ‘તમે કેવી રીતે ઓળખો મને?’ ‘મેં કાલે જ એ પુસ્તકના ફલેપમાં તમારો ફોટો જોયો.’ ‘બહુ વર્ષ જૂનો ફોટો છે એ.’ ‘પણ તોય તમને ઓળખી ગયા અમે!’

અત્યંત વિદ્વત્તાપૂર્ણ પુસ્તકના લેખકને મળીને ખૂબ હર્ષ થયો. પુસ્તક માત્ર ઉપરથી જ જોયું હતું પણ બીજી ઘણી વાતો થઈ એમની સાથે. અહીં તેઓ જૂનાં દુર્લભ પુસ્તકો રિફર કરીને પંડિત મદનમોહન માલવીયજીનું જીવનચરિત્ર નવેસરથી તૈયાર કરી રહ્યા છે. આ સિરીઝ લખવાનું કાર્ય પૂરું થયા પછી એમનું આ મહામૂલું પુસ્તક વાંચવા લઈશું.

લાઈબ્રેરીમાં ભોજપત્ર અને તાડપત્રની પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી કરવાનો એક અલગ વિભાગ છે જે અમને જોવા મળ્યો. એમાં કામ કરતા નિષ્ણાતોએ બહુ ઉત્સાહથી અમને આખીય પ્રક્રિયા સમજાવી. ખૂબ ઝીણવટભર્યું, થકવી નાખનારું અને ધીરજ માગી લે એવું આ કાર્ય છે. આ વિભાગમાં કામ કરનારાઓ માત્ર ટેક્નિકલ એક્સપર્ટ્સ જ નથી. તેઓ હસ્તપ્રતમાં લખાયેલી ભાષા ઉકેલી શકે છે.

અહીંથી અમારે સંસ્કૃત ફેકલ્ટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયને મળવા જવાનું છે, હિંદીના પ્રાધ્યાપકને પણ મળવાનું છે. પણ એ પહેલાં આજનું બીજું એક અગત્યનું કામ કરવાનું છે. બીજા દિવસ ાટે ‘ગુડ મોર્નિંગ’ મોકલવાની ડેડલાઈન નજીક આવી ગઈ છે. સ્વામી સચ્ચિદાનંદે શીખોના ઈતિહાસ વિશે લખેલા પુસ્તકની શ્રેણીનો અંતિમ હપ્તો અમે આ ભવ્ય લાઈબ્રેરીના ગુંબજાકાર રીડિંગ રૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને લખ્યો અને ઈમેલ પર મોકલી આપ્યો.

હવે અમે છુટ્ટા છીએ બચ્ચનજીના જ્યોતિષાચાર્યની મુલાકાતે જવા.
આજે બનારસ શહેરની નહીં પણ એક એવા બનારસીબાબુની વાત કહું જે જગમશહૂર છે. વેલ, અલમોસ્ટ. અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકરના જ્યોતિષ ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયનો ઉલ્લેખ સિરીઝના આરંભે જ કર્યો. ઉપાધ્યાય ગુરુજીને મળવા જતાં પહેલાં જ્યોતિષ વિશેના મારા અંગત અભિપ્રાયોને મેં એક ખૂંટે બાંધી દીધા હતા. મારો મત તો મેં એક કરતાં વધારે વાર મારાં લખાણોમાં વ્યક્ત થવા દીધો છે અને મારા કોઈ એક જૂના પુસ્તકમાં પણ એક દીર્ઘ લેખ એ વિષેનો મેં લીધો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીની લાઈબ્રેરી જેટલી સમૃદ્ધ છે એટલી જ સમૃદ્ધ અહીંની સંસ્કૃત ફેકલ્ટી છે,. સ્વાભાવિક છે. સંસ્કૃત માટે તો આ શહેર જગતઆખામાં રાજધાનીનું નગર ગણાય છે. બનારસમાં એક આખી અલગ જ સંસ્કૃત વિદ્યાપીઠ છે પણ એ પવિત્ર વિદ્યાધામની અમારી મુલાકાત ગોઠવાય એટલો સમય જ રહ્યો નહીં. બીએચયુની સંસ્કૃત ફેકલ્ટીમાં એક આખો ડિપાર્ટમેન્ટ જ્યોતિષ વિદ્યાનો છે. આ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયે અમને આપેલા સમય કરતાં અમે ખાસ્સા એવા મોડા છીએ. હૃદયપૂર્વક ક્ષમાપ્રાર્થીને અમે એમની ડેસ્ક સામેની મુલાકાતીઓ માટેની ખુરશીમાં ધીમેકથી ગોઠવાઈ જઈએ છીએ, કારણ કે અત્યારે એમના હાથ નીચે ભણતો વિદ્યાર્થી એમને પોતાની કુંડળી બતાવી રહ્યો છે. કોઈની અંગત વાત સંભળાય નહીં અને સાંભળી હોય તો બીજાને કહેવાય નહીં એવું અમે સજ્જડપણે માનીએ છીએ પણ અહીં તમને ખબર નથી પડવાની કે એ વિદ્યાર્થી કોણ હતો એટલે કોઈની પ્રાઈવસીમાં ભંગ નથી થઈ રહ્યો. વિદ્યાર્થીની મૂંઝવણ એ હતી કે એ પિતાની ફેક્ટરીમાં જોડાવા માગે છે પણ પિતા એને પોતાના ધંધામાં આવવા નથી દેતા! જરાક કૉમિક સિચ્યુએશન હતી. નૉર્મલી આના કરતાં જુદી જ સમસ્યા હોય. યંગસ્ટર પોતે બાપના ધંધામાં પડવાને બદલે પોતાની રીતે કોઈ બીજા ક્ષેત્રમાં ઝંપલાવવા માગતો હોય તે બાપા એના પર ઈમોશનલ અત્યાચાર કરતા હોય કે બેટા, આ જે કંઈ છે તે તારું જ છે ને, તું આ ફેક્ટરી નહીં સંભાળી લે તો બીજું કોણ આનું ધ્યાન રાખશે.

ગુરુજી એને ગણતરી સાથે સમજાવે છે કે અત્યારે તારી સારી સાડા સાતી ચાલી રહી છે એટલે જે થશે તે સારા માટે થશે અને પ્રિસ્ક્રિપ્શનરૂપે એને ગોમેદનું રત્ન પહેરવાનું લખી આપ્યું.

વિદ્યાર્થીના ગયા પછી અમને કહે કે આપ મોડા આવ્યા છો, કોઈ વાંધો નહીં, પણ આ રીતે ત્રણેક જણ બીજા આવવાના છે તો વચ્ચે વચ્ચે વિક્ષેપ પડતો રહેશે, વાંધો નથી ને?

અમને શું વાંધો હોય. વળી વાંક તો અમારો જ હતો. અમે ગુરુજીને પ્રશ્ર્નો પૂછતા ગયા, તેઓ વિગતે ઉત્તર આપતા ગયા. પછી તો એવા ખિલ્યા કે અમારા પૂછ્યા વિના જ ઘણી બધી વાતો કરતા રહ્યા. આ છે એમની જીવનકહાણી.

ડૉ. ચંદ્રમૌલીએ અમને કહ્યું કે ૩૫ વર્ષની ઉંમર સુધી તો મારે દર મહિને ખાવા-પીવાનાય સાંસાં હતા. લગ્ન તો થઈ જ ચૂકેલા. દીકરો પણ મોટો થઈ રહ્યો હતો. પૈસાના અભાવે ક્યારેક પિતા પાસે સોએક રૂપિયા જેવી મામુલી રકમ માટે પિતા પાસે હાથ લાંબો કરવો પડે તો શરમના માર્યા ભોંયમાં પેસી જવા જેવું થતું. પિતા એ વખતે આ જ ડિપાર્ટમેન્ટના હેડ હતા. ડૉ. ચંદ્રમૌલીના કહેવા મુજબ અનુપમ ખેર અને એ એક જ ઉંમરના. અનુભવના પણ તેઓ ગુરુજી છે. બેઉ અત્યારે ૬૧ વર્ષના. મીન્સ કે પચીસેક વર્ષમાં જ ગુરુજીએ આટલી વિરાટ પ્રગતિ કરી.

આર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવવા ઉપાધ્યાયજીએ લોકોની કુંડળીઓ બનાવવાનું કામ શરૂ કર્યું. કોઈની પાસે પૈસા તો મગાય નહીં. ક્યારેક કોઈ મહેનત કરાવીને એક રૂપિયોય ન પરખાવે એવું બને. તો ક્યારેક દસ-વીસ રૂપિયાની દક્ષિણા મૂકતા જાય. એમાંથી એમણે લોકોને કુંડળી જોઈ આપવાનું કામ શરૂ કર્યું. પિતાજી ઑલરેડી મોટા જ્યોતિષાચાર્ય હતા. ઈન્દિરા ગાંધી એમને ક્ધસલ્ટ કરતા. પુત્રે પણ ભવિષ્ય ભાખવાનું નક્કી કર્યું છે એ જાણીને પિતાએ કહી દીધું: મારા એક પણ કલાયન્ટને હું તારી પાસે મોકલવાનો નથી, અને તારે પણ એમની પાસે જવાનું નહીં, એ સામેથી આવે તો પણ નહીં લેવાના... તું તારા કલાયન્ટો જાતે શોધી લેજે.

નરેશ ગોયલ એમના પહેલા ક્લાયન્ટ. પોતાની જેટ ઍરવેઝની ટિકિટ મોકલીને એમને દિલ્હી બોલાવ્યા. ધીમે ધીમે ક્લાયન્ટો વધતા ગયા. એક દિવસ અમરસિંહ સાથે મુલાકાત થઈ. અમરસિંહના એ ચડતીના દિવસો હતા, પણ એમના મોટાભાઈ જેવા મિત્ર અમિતાભ બચ્ચનના પડતીના. બૅન્ગલોરમાં મિસ વર્લ્ડની ઈવેન્ટ ફલોપ જતાં એબીસીએલ ભારે મુસીબતમાં આવી ગઈ હતી. એ પછી એમબીએની ડિગ્રી ધરાવતા મેનેજરો બચ્ચનજીને ફલૉપ કેવી રીતે જવું એની પ્રેરણા આપતા રહ્યા. એક તબક્કે જુહુના દસમા રસ્તા પરના કૉર્નરનો ‘પ્રતીક્ષા’ બંગલો કૅનેરા બૅન્કવાળા ટાંચમાં લેવાના હતા. જયા બચ્ચને ઘર ચલાવવા ‘બા રિટાયર થાય છે’ના હિન્દી વર્ઝનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ગાળામાં અમરસિંહ ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયને અમિતાભ બચ્ચન સાથે મેલવે છે. બચ્ચન માટે બનારસના સંકટ મોચન હનુમાનજીના મંદિરમાં મોટી પૂજા થાય છે. બચ્ચનજી પરનાં કાળાં ડિબાંગ વાદળાં ધીમે ધીમે વિખેરાતાં જાય છે. સંકટો દૂર થવાની શરૂઆત થઈ. બીપીએલની ઍડ માટેનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ, કૌન બનેગા કરોડપતિનો આરંભ, એ પછી યશ ચોપરાની ‘મહોબ્બતે’માં શાહરુખ ખાન સામે ટક્કર. એક નવા જ બચ્ચનજી ઊભર્યા. એમને જેટલી હાશ થઈ હશે એના કરતાં વધારે આપણા જેવા એમના કરોડો ચાહકોને હાશ થઈ હશે. આપણા પર આવું સંકટ આવે તો બંગલો વેચીને ફલેટમાં કે પછી ફલેટ વેચીને મુંબઈના દૂર દૂરના સબર્બમાં કે પછી મુંબઈ છોડીને દેશમાં જતા રહીએ. બચ્ચનજી કેવી રીતે જઈ શકે? અને જાય પણ શું કામ?

બચ્ચનજીના ઘરે અભિષેકના લગ્ન પ્રસંગે સચિન તેન્ડુલકર પણ મહેમાન હતા. ઓળખાણ થઈ. ઘણા વખત પછી સચિન આઉટ ઑફ ફૉર્મ છે એવી બૂમરાણ મચી. ટીમમાંથી પડતો મૂકો એવી માગણી ઊઠી. પણ સચિન માટે એ માત્ર એક ખરાબ પિરિયડ હતો. ડૉ. ચંદ્રમૌલીને તેડું આવ્યું. તે વખતે સચિનનો બાન્દ્રામાં બંગલો નહોતો, ફલેટમાં રહેતા. જ્યોતિષાચાર્યને ક્ધસલ્ટ કર્યા પછી સચિનનો આત્મવિશ્ર્વાસ વધ્યો. બીજી અનેક સેન્ચ્યુરીઓ ફટકારી, બીજા ઘણા વિશ્ર્વવિક્રમો સર્જ્યા.

અમારે ગુરુજી પાસેથી જે જાણવી હતી તે એક જ વાત હતી કે ગુરુજી, આવું શું કામ થતું હોય છે જીવનમાં. માણસ છેક શિખરે પહોંચી જાય ત્યારે જ શું કામ ધડામ દઈને પટકાતો હોય છે?

ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયે અમને ગાંઠે બાંધી રાખવા જેવી વાત કરી: સૌરભજી, ચડતી પછી પડતી આવતી જ હોય છે અને લખી રાખો કે દરેક પડતી પછી ચડતી પણ આવવાની જ હોય છે. ઊંચે પહોંચેલી વ્યક્તિ નીચે પટકાય છે તેનું કારણ એ કે હવે એણે અગાઉના કરતાં પણ મોટી ઊંચાઈ મેળવવાની હોય છે.

ગુરુજીની વાતોમાં સચ્ચાઈનો રણકો હતો, અનુભવસિદ્ધ રણકો હતો એ.

એક આસિસ્ટન્ટ આવીને કહી જાય છે કે બહાર ત્રણ જણ રાહ જોઈને બેઠા છે. ગુરુજીએ કહ્યું: ‘એમને કહો કે હજુ રાહ જોવી પડશે. મુંબઈથી મહેમાનો આવ્યા છે.’

કાળ ભૈરવનાં દર્શને

બનારસી પાન જેટલું જ જગમશહૂર છે બનારસી સંગીત. બીએચયુની મુલાકાત પછી રાત્રે સંગીતના જલસામાં જવાનું છે. આજે સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા પધારવાના છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી (બી.એચ.યુ.)માં હિંદીના પ્રૉફેસરની મુલાકાત નક્કી હતી પણ હવે સમય રહ્યો નહોતો. આવતી કાલે મહાશિવરાત્રિ નિમિત્તે અહીં રજા હતી અને આમેય આવતી કાલથી તેઓ થોડાક દિવસ રજા પર બહારગામ જવાના છે એટલે એમને મળવાનું થશે કાશીની આવતી મુલાકાતે. આમેય ફરી અહીં આવવા માટે કશુંક નિમિત્ત તો જોઈશે જ. જેમ કે, આ પ્રથમ મુલાકાતનું નિમિત્ત બન્યું હતું મિત્ર કૃષ્ણકુમાર જાલાનનું ત્રિદિવસીય સંગીત મહોત્સવ માટેનું નિમંત્રણ. જાલાનજીના પિતા તેમ જ એમના પિતાની સ્મૃતિમાં આ પરિવાર ૨૬ વર્ષથી નિયમિત ત્રણ દિવસનો સંગીતનૃત્યનો કાર્યક્રમ કરે છે. સૌને આમંત્રણ સૌનું સ્વાગત. આ વર્ષે આજના પહેલા દિવસે પં. શિવકુમાર શર્મા છે અને આવતી કાલે પં. રોનુ મઝૂમદારનું વાંસળીવાદન છે.

સંગીતના કાર્યક્રમમાં જતાં પહેલાં થોડી પેટપૂજા કરી લેવાની છે. કાર્યક્રમ સ્થળ પર તો બનારસની વિશિષ્ટ વાનગીઓના ભોજનનો સ્વરુચિ થાળ (આય મીન બુફે) છે જ પણ તે લાભ નવ વાગ્યે મળવાનો. અત્યારે સાંજે છ વાગ્યા છે. ત્રણ કલાક ચાલે એટલું પેટ્રોલ પુરાવી લેવું છે. જાલાનજીએ અમને કહી રાખેલું કે બીએચયુ જાઓ તો ત્યાંના પનીર પરાઠા અને કોલ્ડ કૉફી માણવાનું ભૂલતા નહીં. કૅમ્પસમાં ખાવાપીવાની ઘણી જગ્યાઓ છે. કાશી વિશ્ર્વનાથના મંદિરની બહાર તમે કોઈને પણ પૂછશો તો બતાવશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કૅમ્પસમાં આવેલું કાશી વિશ્ર્વનાથનું મંદિર ભલે મૂળ મંદિર જેટલું પ્રાચીન નથી પણ એનો મહિમા ઘણો છે. અનેક લોકો એ મૂળ મંદિરમાં દર્શન કરીને આ મંદિરે આવતા હોય છે. અહીં ફાયદો એટલો કે ભીડ ઓછી એટલે નિરાંતે દર્શન કરવા મળે. ઉપરાંત મંદિરના પરિસરની આજુબાજુમાં કોઈ ઔરંગઝેબે મસ્જિદ બાંધી દીધી નથી એટલે સિકયુરિટી ઓછી જેને લીધે દૂરથી, નજીકથી મંદિરના પરિસરમાં ફરીને એનું સ્થાપત્ય માણવા મળે.

યુનિવર્સિટી કૅમ્પસમાં તોતિંગ મંદિર ઊભું કરવાનો ક્ધસેપ્ટ પણ યુનિવર્સિટીના જન્મદાતા પં. મદનમોહન માલવીયજીનો જ. અમને આર્કિટેક્ટની મૂળ બ્લ્યુપ્રિન્ટ બતાડીને કહેવામાં આવ્યું કે મંદિરના પરિસરમાં જે ગાર્ડન છે એમાં પહેલાં બેઉ બાજુથી અર્ધ ગોળાકારમાં પાણીની નહેર કાઢવાની હતી. ગંગાજીનું પાણી અહીં સુધી લાવવાની યોજના હતી. એટલું જ નહીં, મંદિરના ગુંબજની હાઈટ અત્યારે છે એના કરતાં પણ સો ફીટ વધારે હતી પણ માલવીયજીના જીવતે જીવ એમને અંગ્રેજોની સરકાર નડી અને એમના મૃત્યુ બાદ, જ્યારે આઝાદી મળી તે પછી સ્વતંત્ર ભારત દેશની પહેલી સરકાર નડી. ન ગંગાજળની નહેર અપ્રુવ થઈ, ન ગુંબજની મૂળ ઊંચાઈને મંજૂરી મળી. મધ્ય ગુંબજની બેઉ બાજુના ગુંબજ. પણ નીચા જ રહી ગયા. આઝાદી મળ્યા પછી ભારતના અનેક સપૂતોને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા. પંડિત મદનમોહન માલવીયજીને આ સન્માન મોદીજી સત્તા પર આવ્યા તે પછી જ પ્રાપ્ત થયું.

પનીર પરાઠા માટે ફેમસ જે દુકાન હતી ત્યાં આજે પનીર નહોતું. તેઓ પનીર બહારથી નથી લાવતા. પોતાનું તાજું જ બનાવે છે. પણ કાલે મહાશિવરાત્રિનો ઉપવાસ હશે એટલે પનીર કોઈ નહીં ખાય એટલે આજે ઓછું બનાવ્યું હતું જે બપોર સુધીમાં પૂરું થઈ ગયું. હશે, જેવી ભોળાનાથની ઈચ્છા. અમે છોલે ભટૂરે મગાવી લીધા. એ પણ લાજવાબ. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. ગળું સાચવવા કોલ્ડ કૉફીને બદલે આઈસ વિનાનો ગંગાજમના જ્યુસ પીધો.

અહીંથી હવે દુર્ગા મંદિર જવાનું છે. મંદિરની પાછળના દુર્ગાકુંડની સામે જ અંધજન શાળા છે જ્યાંના નાનકડા એકદમ સાદાસીધા બેઠકખંડમાં ગાદલાં - પાથરણાં પાથરીને શ્રોતાઓને આવકારવામાં આવે છે. સામેના બહુ ઊંચા નહીં એવા આરસના સ્ટેજ પર પં. શિવકુમાર શર્મા ક્યારે પધારે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બેઠક નાનકડી છે પણ આયોજન ભવ્ય છે. બનારસ દૂરદર્શનના ત્રણ મોટા કૅમેરા ટ્રોલી પર ગોઠવાયેલા છે. એ સિવાય બીજા બે નાના વીડિયો કેમેરા પણ ફરી રહ્યા છે. હૉલની બહાર દૂરદર્શનની આઉટડોર બ્રોડકાસ્ટિંગ (ઓ.બી.) વાન છે.

દુર્ગા મંદિર બાજુમાં જ છે છતાં દર્શન કરવા જવાયું નથી. આજે સવારે બનારસના બીજા એક વિખ્યાત મંદિરનાં દર્શને ગયા હતા. કાળ ભૈરવના આ મંદિરે રવિવારે મોદીજી પણ એમના ચૂંટણી પ્રચારના એક ભાગરૂપે ગયા હતા. તે જ કાળ ભૈરવના મંદિરે અમે સવારે દર્શનાર્થે ગયા ત્યારે વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિમાં કાળનું કેટલું મોટું મહત્ત્વ છે. કાળને આપણે દેવતા ગણીએ છીએ. એને નમન કરીને કહીએ છીએ કે કાલાય તસ્મેં નમ:. સમયને હંમેશાં પગે જ લાગવાનું હોય. એની શરણાગતિ સ્વીકારી લેવાની હોય. તમે ગમે એટલો પુરુષાર્થ કરીને તૂટી જાઓ, ગમે એટલાં ભવ્ય આયોજનોનાં મનોરથ કરો, તમારું નસીબ ગમે એટલું જોરદાર હશે, તમારી પાસે ઓળખાણોનો, ધનનો, કામ કરનારા માણસોનો અખૂટ જથ્થો હશે તો પણ સમય પોતાનું કામ કરવાનો જ. આ કાળ તમારા પર મહેરબાન હશે તો તમને એક ફૂંકે અહીંથી એવરેસ્ટ પર ચડાવી દેશે અને જો રૂઠશે તો માત્ર એક લાત મારશે ને તમને પાતાળમાં પણ જગ્યા નહીં મળે.

મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરીને એનું પૂજન કરતા થયા એ પહેલાંની આપણી સંસ્કૃતિમાં, વેદ કાળથી આપણે પંચ મહાભૂતોની પૂજા કરતા આવ્યા છીએ. કાળની પૂજા કદાચ ત્યારથી શરૂ થઈ હશે. પછી એને મૂર્તિ સ્વરૂપે, કાળ ભૈરવ તરીકે પૂજતા થયા હોઈશું. વિદ્યા અને ધર્મ આપણે ત્યાં પરાપર્વથી એકબીજા સાથે સંકળાયેલાં છે. મદરેસાઓ તો દોઢેક હજાર વર્ષ પહેલાં આવી. ખ્રિસ્તી શાળા-કૉલેજોમાં અચૂક ચર્ચ હોવાનાં. આપણી શાળાઓમાં મંદિર હશે તો આપણા પર આક્ષેપ આવવાનો કે ‘તમે સેક્યુલર નથી’! ભારતની સૌથી મોટી યુનિવર્સિટી નામે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કાશી વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર જોઈને હૃદયને અતિ સંતોષ થયો.

બનારસ આવીને તમે બીજાં ત્રણ કામ ન કરો તો અહીંની તમારી મુલાકાત અધૂરી ગણાય. કાશીનું જ્યારે રાજ્ય હતું ત્યારે કાશી નરેશ બનારસમાં રહીને નહીં પણ ગંગાજીના સામેના કિનારે રામનગરમાં કિલ્લો બાંધીને રહેતા અને ત્યાંથી જ શાસન ચલાવતા. કાશીમાં એક રાજા તો ઓલરેડી છે જ જે જગત આખાનું રાજ્ય ચલાવે છે - મહાદેવ - તો અહીં બીજા રાજાને સ્થાન નથી એવું કહીને એમણે સામે પાર રહેવાનું પસંદ કર્યું હતું. એ રામનગરમાં ભજવાતી વિશ્ર્વ પ્રસિદ્ધ રામલીલાનો ઈતિહાસ ઘણો જૂનો છે. બનારસમાં એક વિશિષ્ટ પ્રકારની પુસ્તકોની દુકાન છે. પુસ્તકોનું ભવ્ય મંદિર છે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. અને ભગવાન બુદ્ધે જ્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો તે પવિત્ર ભૂમિ પણ બનારસથી બાર-તેર કિલોમીટરના અંતરે જ છે. સારનાથની આ ભૂમિએ આપેલો ચાર સિંહવાળો અશોક સ્તંભ ભારતે રાજમુદ્રા તરીકે સ્વીકાર્યો છે અને અશોક ચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપેલું છે. હવે પછીના દિવસોની રૂપરેખા તમને આપી દીધી.

સંગીતના જલસામાં પાછળ એક ખૂણે ચાનું મોટું થર્મોસ છે. બાજુમાં માટીની કુલડીઓનો ઢગલો છે. ચા જમાવીને અમે ગાદીતકિયે ગોઠવાઈ જઈએ છીએ. જાલાનજીનો સેવક પાન લઈને આવે છે. બનારસમાં હોઈએ અને સંગીતની બેઠકમાં હોઈએ ને બનારસી પાનનું બીડું મોઢામાં ન હોય એવું કેવી રીતે ચાલે. પંડિત શિવકુમાર જોશી રાગ હંસધ્વનિથી મહેફિલનો આરંભ કરે છે. કર્ણાટકી સંગીતના આ રાગને હવે હિન્દુસ્તાની સંગીત શૈલીમાં ખૂબસૂરતીથી આપનાવી લેવામાં આવ્યો છે. રાત્રિના બીજા પ્રહરનો આ રાગ છે. સ્થળ, સમય અને શ્રોતા - સઘળુંય અનુરૂપ છે. પંડિત શિવકુમાર શર્માની સંતૂરના સૂરમાં ડૂબકી મારવી એ અમારા માટે ગંગાજીમાં માથાબોળ ડૂબકી લગાવવા જેટલું જ પવિત્ર કાર્ય છે.

પંડિત રવિશંકર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનું બનારસ

પંડિત શિવકુમાર શર્મા પર્સનલી અમારા માટે શાસ્ત્રીય સંગીતનો કક્કો ઘૂંટાવનાર સંગીતકાર છે. હાલાં કિ હજુય અમે આ ક્ષેત્રે કક્કાથી સહેજ પણ આગળ નથી વધ્યા પણ એમના સંતુરવાદનથી શાસ્ત્રીય સંગીત સાંભળવાની અમે શરૂઆત કરી ત્યારે જઈને હવે અમે કાનસેન બની શક્યા છીએ અને છેલ્લે છેલ્લે ધ્રુપદ શૈલીમાં ગવાતા રાગોને પણ માણી શકીએ છીએ. કાનસેન છીએ એ જ પૂરતું છે. તાનસેન તો આવતી સાત નહીં, આગામી ૭૦૦ પેઢીમાંય નહીં થઈ શકીએ.

પંડિત શિવકુમાર શર્મા (ઉં. વ. ૭૯)એ ૧૯૬૭માં બાંસૂરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (અને બ્રિજભુષણ કાબરા-ગિટાર) સાથે મળીને ‘કૉલ ઑફ ધ વેલી’ નામની એક એલ.પી. બનાવેલી જેની કૅસેટ વર્ષો પછી સાંભળી અને ત્યારથી શાસ્ત્રીય સંગીતમાં રસ પડવા માંડેલો. ઈન્સિડેન્ટલી દસેક વર્ષ અગાઉના કોઈ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહેલું કે સંગીતમાં આ એમનું સૌથી પ્રિય આલબમ છે. આર. ડી. બર્મન વિશેની આ કૉલમમાં લખાયેલી સિરીઝના એક લેખમાં તમે વાંચ્યું હશે કે પંડિત શિવકુમાર શર્મા તબલાં અને સંતુર-બેઉ સરસ વગાડતા. પણ ૬૦ના દાયકામાં એમણે નક્કી કર્યું કે હવે માત્ર સંતુર પર જ કૉન્સન્ટ્રેટ કરવું છે. તબલાં વગાડવાનું છોડી દીધે વરસો વીતી ગયા બાદ એક દિવસ આર. ડી.એ એમને કહ્યું કે પિતાજીની ફિલ્મ આવી રહી છે ‘ગાઈડ’, એના એક ગીત માટે તમારે તબલાં વગાડવાનાં છે. મિત્રને પંડિતજી ના ન પાડી શક્યા. મૌસે છલ કિયે જાય ગીતમાં આરંભમાં તમે પંડિત શિવકુમાર શર્માએ તબલાં પર જમાવેલી રમઝટ સાંભળી શકો છો. એ પછી શિવજીએ ફિલ્મોમાં ક્યારેય તબલાં વગાડ્યાં નથી. સંતુર ઘણી ફિલ્મોમાં વગાડ્યું અને અફકોર્સ પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથે ‘સિલસિલા’ (૧૯૮૦), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧) અને ‘ડર’ જેવી ફિલ્મોમાં (બધી યશ ચોપરાની) યાદગાર સંગીત પણ આપ્યું. 

પદ્મવિભુષણ પંડિત શિવકુમાર શર્માને અત્યારે બનારસમાં જે રીતે સાંભળવાનો લહાવો મળ્યો તે જ રીતે ગયા વર્ષે મુંબઈમાં એક મિત્રના જુહુના બાર માળના બંગલાની અગાસી પર સાંભળવાનો મોકો મળ્યો હતો. હૉલ કે ઑડિટોરિયમમાં પહેલી હરોળમાં બેઠા હો તેનાથી પણ સાવ નજીક બેસીને આત્મીયતાથી આવા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા કળાકારને સાંભળવાનું સદ્ભાગ્ય એક નહીં પણ બે વાર મળે ત્યારે ગંગામાં નહાયા વગર જ તમારાં બધાં પાપ ધોવાઈ જાય. 

પંડિતજીના સંતુરવાદનને બૅકગ્રાઉન્ડમાં સાંભળતાં સાંભળતાં બનારસના સંગીત વારસાની થોડીક વાતો ટૂંકમાં ફરી લઈને પ્રવાસડાયરી આગળ લંબાવીએ. 

બનારસ ભારતની જ નહીં, વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની નગરી છે. ભગવાન શિવજીએ આ શહેર વસાવ્યું એટલે સ્થાપનાથી જ અહીં સંગીત અને નૃત્યની પરંપરા વિકસી છે. અપ્સરાઓ, ગાંધર્વો અને ક્ધિનરોએ અહીં સંગીત-નૃત્યની આરાધના કરી. 

સુરદાસ, કબીર, રવિદાસ, તુલસીદાસ અને વલ્લભાચાર્યે ભક્તિસંગીતમાં પોતપોતાની રીતે અનોખું યોગદાન આપ્યું. આ પરંપરા આધુનિક સમયના સંગીતકારોએ પોતાની રીતે આગળ ધપાવી જેમાં સિતારવાદક પંડિત રવિશંકર, શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને કંઠ્ય સંગીતમાં ગિરિજા દેવીએ આગળ વધારી. યુનેસ્કોેએ વિશ્ર્વના ‘સંગીત શહેરો’ (સિટીઝ ઑફ મ્યુઝિક)ની યાદીમાં વારાણસીને મોખરાનું સ્થાન આપેલું છે. 

પં. કિસન મહારાજ, પં. સામતા પ્રસાદ, પં. કુમાર બોસ અને પં. સમર સાહાના ઉલ્લેખ વિના વારાણસીનો સંગીત ઈતિહાસ અધૂરો રહે. મિયાં તાનસેનનો જન્મ પણ વારાણસીમાં થયો હતો એવું મનાય છે. 

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંસાહેબનું નામ પંડિત શિવકુમાર શર્મા કરતાં ઘણું સિનિયર પણ એ અમારા જીવનમાં બીજા આવ્યા. પછી તો અનેક મહારથીઓ આવ્યા. ઉસ્તાદ અલ્લારખા, પંડિત રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાં, પંડિત પન્નાલાલ ઘોષ વગેરે શાસ્ત્રીય સંગીતના મહારથીઓનાં નામ સાવ નાનપણમાં અમને મોઢે થઈ ગયેલાં, તેઓ કયું વાદ્ય વગાડવામાં પારંગત છે અને સદેહે કેવા દેખાય છે એની છાપ નાનપણમાં જ ચિત્ત પર અંકિત થઈ ગયેલી. અમારા વાણિયા કુટુંબમાં સંગીત તો માત્ર રેડિયો સિલોન પર વાગતા બિનાકા ગીતમાલા અને આકાશવાણી મુંબઈ ‘એ’ કેન્દ્ર પર સવારે પોણા નવ વાગ્યે આવતા ગુજરાતી સુગમ સંગીતના પંદર મિનિટના કાર્યક્રમ ‘ગીતગુંજન’ પૂરતું જ સીમિત હતું, પણ ઘરમાં દર વર્ષ એર-ઈન્ડિયાનું મોટું ભીંતકૅલેન્ડર કોઈકના તરફથી આવતું જેમાં દરેક વખતે અલગ અલગ થીમ રહેતી. આવા જ એક કૅલેન્ડરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની થીમ. એક આખો મહિનો પંડિત રવિ શંકરને જોયા કરીએ અને ક્યારે મહિનો પૂરો થાય અને ક્યારે એ પાનું ફાડીને સ્કૂલની ચોપડીનું પૂઠું બનાવીને મિત્રોમાં વટ પાડીએ એટલું જ આકર્ષણ આ મહાનુભાવો માટે. પણ કેવું છે ને નંઈ? મોટા થયા પછી આ જ બધા મહારથીઓ જે સબકૉન્શિયસમાં વસી ગયા હશે તે વખત જતાં કાયમી ધોરણે ચિત્તમાં વસી ગયા. 

બનારસ અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં એકબીજાથી અભિન્ન એવાં નામ. વર્ષો પહેલાં નામી ફોટોગ્રાફ્ર રઘુ રાયે એક મેગેઝિન માટે બિસ્મિલ્લા ખાંની એમના બનારસના ઘરમાં તેમ જ બનારસના વિવિધ સ્થળોએ ખેંચેલી તસવીરોનું ફોટો આલબમ જોયું હતું. થોડાક વર્ષ પહેલાં બિસ્મિલ્લા ખાં સાહેબ પર ફિલ્માવેલી એક ડૉક્યુમેન્ટરી પણ ડીવીડી પર જોઈ હતી. હમણાં ગયા એક-બે મહિના પહેલાં જ યતીન્દ્ર મિશ્ર લિખિત ‘સુર કી બારાદરી’ નામનું પેન્ગવિને પ્રગટ કરેલું ઉ. બિસ્મિલ્લા ખાં વિશેનું નાનકડું (૯૦ પાનાં) હિંદી પુસ્તક વાંચ્યું અને એ જ ગાળામાં એમના ઘરમાંથી કેટલીક દુર્લભ શરણાઈઓની ચોરી થઈ જવાના સમાચાર પણ જાણ્યા. 

ઉસ્તાદજી તો ર૦૦૬માં ૯૦ વર્ષની ઉંમરે જન્નતનશીન થઈ ગયા પણ, શરણાઈને એમણે આપેલો દરજ્જો કાયમ રહેવાનો. શરણાઈ એક જમાનામાં લોકસંગીતનું વાદ્ય ગણાતું. ઉસ્તાદજીએ એને શાસ્ત્રીય સંગીતની મહેફિલમાં લઈ આવ્યા. છ વર્ષની ઉંમરે એ કાશી આવ્યા. કાકા અલી બક્ષ ‘વિલાયતુ’ના શાગીર્દ તરીકે તાલીમ લીધી. આ કાકા કાશી વિશ્ર્વનાથના મંદિરમાં શરણાઈ વાદન કરતા. અમારું સદ્ભાગ્ય જુઓ આજે પંડિત શિવકુમાર શર્માના સંતુરવાદન પહેલાંનો કંઠ્ય સંગીતનો કાર્યક્રમ બીજા દિવસ પર મુલતવી રહ્યો એટલે અમને એની અવેજીમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંના શિષ્યનું શહેનાઈ વાદન સાંભળવા મળ્યું. કાશીમાં આવી ધન્ય ઘડીઓ આવતી જ રહેવાની. 

આખો દિવસ ગંગાકિનારે પડ્યાપાથર્યા રહેવાની મઝા

બનારસમાં હજુ ઘણું જોવાનું છે, પણ એમાંથી કેટલુંક અમે બાકી રાખવાના છીએ કારણ કે એટલો સમય અમે બનારસને માણવાના છીએ. સંસ્કૃત વિદ્યાપીઠ તો ન જોઈ, ઉપરાંત બનારસનો ઈતિહાસ કહેતું ભારત કલા ભવનનું મ્યુઝિયમ જોવાનું પણ મુલતવી રાખીએ છીએ. આ સિવાયની પણ પર્યટકો માટે મસ્ટ કહેવાય એવી કેટલીક જગ્યાઓએ અમે જઈ શકવાના નથી, કારણ કે આજે મહાશિવરાત્રિનો આખો દિવસ અમે ગંગાજીના ઘાટ પર પડ્યાપાથર્યા રહેવાના છીએ. ગંગાજી બનારસનું, બનારસની સંસ્કૃતિનું હાર્દ છે. અહીંના અનેક ઘાટ પર પગપાળા રખડવું, પગથિયાંઓ પર બેસી રહેવું, આકાશના બદલાતા રંગો જોવા અને મા ગંગાનું સ્મરણ કરવું એ જ અમારો એજન્ડા છે, અને બાય ધ વે, બમ બમ ભોલેના બહાને ન તો અમને આજે ભાંગ પીવામાં રસ છે, ન ચિલમ. ભગવાનને વચ્ચે લાવ્યા વિના એ બધાં કામ થઈ જ શકે છે અને કર્યાં પણ છે. શિવનગરીમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ બધું યાદ કરવું પણ સાચા ભક્તને શોભે નહીં.

અમે સવારે નાસ્તો કરી, એક લેખ લખી, બપોરે બારના સુમારે ગંગાકિનારે પહોંચી ગયા. બપોરનો સન્નાટો હતો, પણ તહેવારની ઉજવણીનો માહોલ ક્યાંક ક્યાંક અહીંની નીરવ શાંતિને ખલેલ પહોંચાડતો હતો. વેદોના મંત્રોચ્ચાર કે ભજનો સાંભળવાની જુદી જ મઝા છે, પણ અહીં ઘાટ પર માઈક લગાડીને આવું બધું થાય છે ત્યારે તે ગંગાના પ્રદૂષણમાં ઉમેરો કરે છે. અને એમાંય કોઈ ભોજપુરી ગીત હતું જેમાં શંકર-પાર્વતી એકબીજાને ‘ઓ ગણેસ કે પાપા’ અને ‘ઓ ગણેસ કી મમ્મી’ કહીને સંબોધતા હતાં તે તો ખરેખર ત્રાસ હતું. 

પણ અહીં અમે કોણ કેવો ત્રાસ ગુજારે છે એની નોંધ કરવા નહોતા આવ્યા. એકાગ્ર થવાનું નક્કી કરીએ તો થોડીક પ્રેકટિસ બાદ તમારા કાન પાસે જ કોઈ ધડાકો કરે તોય તમે વિચલિત નથી થતાં. કંઈક એવા જ ટ્રાન્સમાં અમે સામેની ગંગાજીનાં દર્શન કરતાં કરતાં, ભરબપોરે ઘાટના પગથિયાં પર બેસીને આ સિરીઝનો પ્રથમ લેખ લખ્યો. પૂરો કર્યો ત્યારે જાણે ટ્રાન્સમાંથી બહાર આવ્યા હોઈએ એવું લાગ્યું. ભવિષ્યમાં આ ઘાટ ‘ગુડ મૉર્નિંગ ઘાટ’ તરીકે ઓળખાવાનો! કેમ નહીં? 

બપોર પછી ભૂખ ઉઘડી. બે ઑપ્શન હતા, જો શહેરમાં અંદર ન જવું હોય તો. એક ‘જુકાસો ગેન્જીસ’ કરીને વેલકમ ગ્રુપની ફાઈવ સ્ટાર હૉટેલની રેસ્ટોરાંમાં જઈને ખાવું, અને બીજો વિકલ્પ હતો ‘વાટિકા’ નામના ઓપનએર પિઝેરિયામાં જવું. પેલી અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી ઘણી દૂર છે, મણિકર્ણિકા ઘાટથી પણ આગળ. અને ‘વાટિકા’ નજીકમાં જ છે, તુલસી ઘાટ પાસે. બેઉ જગ્યાએથી તમે ગંગાજીના દર્શન કરતાં કરતાં ભાવતાં ભોજન કરી શકો છો. ‘જુકાસો’નું ખાવાનું ઓકીડોકી છે અને ‘વાટિકા’ના પિત્ઝા વખણાય છે એવું અમે સાંભળ્યું હતું. છેવટે અમે નક્કી કર્યું કે દૂર જવાને બદલે નજીકની ‘વાટિકા’માં જ જઈએ. અમારા કન્સિડરેશનમાં એક માત્ર ગણતરી મોંઘી કે સસ્તી જગ્યાની જ હતી! જોકે, ‘વાટિકા’ પણ કંઈ સાવ સસ્તી જગ્યા નથી. અહીં વિદેશીઓ ઘણા આવે છે એટલે પિત્ઝાનો અને એપલ પાઈના સ્વાદમાં એમને ધ્યાનમાં રાખવામાં આવે છે જે સાદું જ છે. ‘વાટિકા’માં બેસીને એક વધુ લેખ લખ્યો. આજે કુલ ત્રણ લેખ લખાયા, પણ જાણે રમતાં રમતાં લખાઈ ગયા હોય એવું લાગ્યું. 

આકાશમાં સંધ્યાના રંગો ઉતરી રહ્યા છે. એક વાર તો ગંગાજીમાં નૌકાયન કરીને ઘણા બધા ઘાટ જોઈ લીધા છે. આજે ઘાટ જોવા માટે નહીં, પણ નૌકાવિહારનો આનંદ માણવા માટે ફરી એકવાર હોડીવાળા પાસે જઈએ છીએ. મોટરવાળી નૌકા નથી જોઈતી, હલેસાંવાળી જોઈએ છે જેથી નિરાંતે વહ્યા કરે અને કોઈ અવાજ ન કરે. માત્ર પાણીમાં હલેસાં પડે અને જળ કપાય તે વખતે જે કર્ણમધુર અવાજ આવે તે જ સંભળાય.

સાંજના પાંચ વાગ્યાથી બે કલાક સુધી ભરપૂર નૌકાયન કરીને અમે અસ્સી ઘાટ પાછા ઊતર્યા. કોઈ પૂછે કે આજે તમે બનારસમાં શું શું કર્યું? તો શું જવાબ આપવાનો? કશું જ નહીં, બસ બનારસને માણ્યું.

પ્રવાસો બે રીતના હોય છે. એક વ્હિસલ સ્ટૉન ટૂર્સ. આઠ દિવસ સાત રાત્રિમાં અડધું યુરોપ ફરી વળવાનું. દાયકાઓ પહેલાંની એક અંગ્રેજી ફિલ્મ છે: ‘ઈફ ઈટ્સ ટ્યુઝડે ઈટ મસ્ટ બી બેલ્જિયમ.’ શહેરમાં જોવાં જેવાં સ્થળો પર થપ્પો મારીને તરત બીજા શહેરમાં આ રીતે એક પછી એક દેશ પતાવતાં જવાનું અને પાસપોર્ટ પર થપ્પા લગાવડાવતાં જવાનું. પિક્ચર પોસ્ટકાર્ડ મેમરીઝને લઈને અને બૅગમાં સુવેનિયરો ભરીને ઘરે પાછા આવી જવાનું. આ વર્ષે યુ.એસ.નો ઈસ્ટ કોસ્ટ પતાવી દીધો છે, નેકસ્ટ સમર વેસ્ટ કોસ્ટ પતાવી દઈએ એટલે પછી ખાલી અલાસ્કા બાકી. એક આ રીત છે પ્રવાસની.

બીજી રીત છે કોઈ પણ શહેરમાં જઈને દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રહીને ત્યાંનું કલ્ચર, ત્યાંની પ્રજાની વિશિષ્ટતાઓ, ત્યાંની હવાને શ્ર્વાસમાં ભરીને સમૃદ્ધ થવાનું. ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું કોઈ કામ કરવા આવ્યો છું’ એવી કવિતા સર્જનારા નિરંજન ભગત પોતાના પ્રિય ફ્રેન્ચ કવિ બોદલેરની કવિતાને જાતે ઓરિજિનલમાંથી ટ્રાન્સલેટ કરી શકે એ માટે ફ્રેન્ચ શીખેલા એટલું જ નહીં પેરિસ જઈને મહિનાઓ સુધી ત્યાં રહેલા, રખડેલા. મારે હિસાબે રિયલ પ્રવાસી આમને કહેવાય. જીવ્યા કરતાં જોયું ભલું અહીં સાર્થક થાય. બાકી તો ગાઈડબુક્સમાંથી કે ગૂગલ પરથી તમને જે સ્થળની જે માહિતી જોઈએ તે મળી જ રહેવાની છે. ડિસ્કવરી જેવી ચેનલો પર કે યુ ટ્યુબ પર તમને એ સ્થળોનું સૌંદર્ય પણ જોવા મળવાનું છે. દેશના પર્યટન વ્યવસાયને બઢાવો આપવા માટે દરેક જગ્યાએ ટૂરિસ્ટ કલ્ચર હોવાનું અને ઘરે બેસીને પંચાત કરવા કરતાં આ રીતે તો આ રીતે ફરવા નીકળી પડવું સારું જ છે. પણ મારી અંગત ચોઈસ કવિ નિરંજન ભગત ટાઈપના પ્રવાસની છે. જે સ્થળે ગયા હોઈએ તે સ્થળ પોતીકું ન બની જાય ત્યાં સુધી ત્યાં રહેવાનું, એને માણવાનું. કોને ખબર ભવિષ્યમાં એ તમારું બીજું ઘર બની જાય! હું બહુ ફર્યો નથી, ફરતો નથી, ફરી શકતો નથી, પણ માથેરાન મારા માટે આવું સેક્ધડ હોમ છે. બનારસમાં આવ્યા પછી બીજે-ત્રીજે દિવસે રાધેશ્યામજી પોદ્દાર નામના એક વડીલે મને પૂછ્યું કે અહીં આવીને બોર તો નથી થતા ને! મેં કહ્યું: તાઉજી, અહીં તો દિવસો ઓછા પડશે એવું લાગે છે ને ટૂંક સમયમાં ફરી વાર આવવું પડશે.

અને ખરેખર અમે નીકળતા હતા ત્યારે અમારા મિત્ર જાલાનજીએ પણ કહ્યું: બહુ ઓછા દિવસ માટે તમે આવ્યા, હવે નેકસ્ટ ટાઈમ નિરાંત કાઢીને આવો!

ટિપિકલ ટૂરિસ્ટ મેન્ટાલિટી ધરાવનારાઓને એક જ શહેરમાં પાંચ-પાંચ દિવસ સુધી ‘પડી રહ્યા’ પછી ‘નિરાંત કાઢીને’ ફરી પાછા આવવાનો અર્થ જ નહીં સમજાય.

આજે રાત્રે પંડિત રોનુ મજુમદારનું વાંસળીવાદન સાંભળ્યું. એમની સાથે જુગલબંદીમાં એમનાથી ય સિનિયર એવા વાદક હતા. કાદરી ગોપાલનાથ જેઓ સેક્સોફોન વગાડતા હતા, અને તેય કર્ણાટકી શૈલીમાં! હેલનજી સંપૂર્ણ અંગ ઢંકાય એ રીતે મીરાંનું ભજન ગાતા હોય એવી ફીલિંગ થાય. સેક્સોફોનના આ પ્રકારના વાદનને બાંસુરીવાદન સાથે સાંભળવાનો રોમાંચ અનેરો હતો. કાર્યક્રમમાં અમારી ઓળખાણ રામાનન્દજી નામના સજ્જન સાથે થઈ. એમનો ભગવો પહેરવેશ, માળા, સફેદ દાઢી, તિલક વગેરે જોઈને અમે એમને સાધુ માનીને પરંપરા અનુસાર વંદન કરીને આદર આપીએ છીએ ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે તેઓ સાધુ જેવા લાગે છે, પણ સાધુ નથી, પણ બાય ધેટ ટાઈમ અને અમે નીચા વળીને એમને વંદન કરી ચૂક્યા હતા. અજાણતાં કોઈનું અપમાન થઈ જાય એના કરતાં અજાણતામાં કોઈને વંદન કરીને આદર અપાઈ જાય તે સારું. જોકે, બીજા દિવસે મોડી સાંજે અમે રામાનન્દજીને નિરાંતે મળ્યા ત્યારે છૂટા પડતી વખતે અમે એમને ફરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું: ગઈ કાલે તમારા વેશને વંદન કર્યાં હતાં, આજે તમારા કાર્યને કરું છું.

એવું તે કયું કાર્ય કરી રહ્યા હતા રામાનન્દજી, કૅન યુ ગેસ?

એક ટિપ: એ જે ક્ષેત્રમાં હતા તે ક્ષેત્ર મારા ભાવવિશ્ર્વની ખૂબ નજીકનું છે. (આયમ, શ્યોર કે તમે ખોટી કલ્પના કરી રહ્યા છો! આ હતી બીજી ટિપ!)


વધુ કાલે.


ગંગા, કુંભમેળો, સંસ્કૃત, આયુર્વેદ અને નોર્થ-સાઉથ ડિવાઈડ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ

વારાણસી જઈને પ્રતીતિ થઈ કે કેટલીક વાતો આપણા માનસમાં એવી યુક્તિથી ઘુસાડી દેવામાં આવે છે કે આપણે તરત માની લઈએ છીએ અને લાખ પુરાવાઓ છતાં એને ત્યજવા તૈયાર થતા નથી.

આવી એક માન્યતા છે કે ગંગા નદી હવે પવિત્ર નથી રહી, એમાં ગંદકી પુષ્કળ છે અને એનું પાણી પ્રદૂષણયુક્ત છે. હિંદી ફિલ્મ પણ આવી ગઈ: રામ તેરી ગંગા મૈલી. અને આનું કારણ આપતાં કહેવામાં આવે છે કે આપણે લોકોએ નહાઈને, ડૂબકીઓ લગાવીને ગંગાનું પાણી મેલું કરી નાખ્યું. પાપીઓના પાપ ધોવામાં ને ધોવામાં ગંગામૈયા પ્રદૂષિત થઈ ગઈ.

હકીકત કંઈક જુદી જ છે. ગંગોત્રીથી વહી આવતી ગંગા પવિત્ર જ છે. એનું જળ પવિત્ર છે. જો એ પાણી મેલું હોત, તબિયતને માટે હાનિકારક હોત તો પૂજ્ય મોરારિબાપુનું સ્વાસ્થ્ય અત્યારે છે એવું તંદુરસ્તીભર્યું ન હોત. ઈન ફૅક્ટ, વારંવાર બદલાતાં પાણીને કારણે તબિયત પર અવળી અસર ન પડે તે માટે ગંગાજળ સતત સાથે રાખવાનો એમનો આગ્રહ આવકાર્ય છે. તો ગંગા મેલી છે એવું શું કામ કહેવાય છે? હરદ્વાર પછી જેમ જેમ ગંગા આગળ વધતી જાય છે તેમ તેમ એના કાંઠા નજીક વસેલાં ગામ-શહેરોનો બે પ્રકારનો કચરો એમાં ઠલવાતો જાય છે એટલે એ પ્રદૂષિત થતી જાય છે, નહીં કે લોકોના નહાવાથી એનું પાણી ગંદું થઈ જાય છે. ગંગા કિનારે વસેલાં ગામ-શહેરોની વસ્તી જે મળમૂત્રનું વિસર્જન કરે છે તે ગંદકીનો નિકાલ કરવાનું સરળ અને સૌથી ઝડપી માધ્યમ આ નદી બની ગઈ છે. એમાં ઉમેરાય છે આ ગામ-શહેરોની ઔદ્યોગિક વસાહતો દ્વારા ઊભો થતો કેમિકલયુક્ત ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ. આ બંનેને કારણે ગંગામાં પ્રદૂષણ ફેલાય છે, ગંગામાં ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓને લીધે એ અપવિત્ર નથી થતી. આટલો પાયાનો ડિફરન્સ સમજવા જેવો છે. ગંગામાં પધરાવાતાં અસ્થિ તેમ જ ફૂલપાંદડાં વગેરેને કારણે પણ એટલું પ્રદૂષણ નથી સર્જાતું જેટલું આ બે કારણોસર સર્જાય છે. આ સમજવાની વાત છે. લંડન જે નદીના કાંઠે વસેલું છે તે થેમ્સ નદીને પણ પ્રદૂષણનો ઘણો મોટો પ્રશ્ર્ન નડ્યો હતો. વેનિસ જેના માટે વખણાય છે તેની નહેરો પણ એક જમાનાના ધારાવી જેટલી ગંધાતી હતી. લંડન કે વેનિસ જઈને લોકો ડૂબકી નથી લગાવતા કે ત્યાં અસ્થિ-ફૂલ નથી પધરાવતા છતાં ત્યાંનું જળ પ્રદૂષિત છે. આપણે આપણી નબળાઈ ઢાંકવા બીજાની નબળાઈઓ ગણાવીએ ત્યારે ભૂંડા લાગીએ પણ નબળાઈઓ આખી દુનિયામાં એકલા તમારામાં જ છે અને બાકીના બધા જ સતના પૂતળા છે એવું બીજાઓ કહેતા હોય છે ત્યારે ચૂપચાપ સાંભળી લઈએ ત્યારે આપણે નમાલા, બાયલા અને ભીરુ લાગીએ. ભીરુ લાગવા કરતાં ભૂંડા દેખાવું સારું - જો આ જ બે ચોઈસ હોય તો.

ગંગામાં ઠલવાતી ગંદકીને રોકવાની યોજના નરેન્દ્ર મોદી વારાણસીમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા પછી જોરશોરથી આગળ વધી રહી છે. સ્વચ્છ ગંગાનું અભિયાન ગ્રાસરૂટ લેવલ સુધી પ્રસરી રહ્યું છે. પહેલીવાર અમે જે નૌકામાં બેઠા એમાં મુડી ખાધા પછીની ખાલી પુડી ફેંકવા માટે નાનકડી કચરા ટોપલી હતી. દિવસ દરમિયાન ગંગાના ઘાટ પર યુનિફોર્મ પહેરેલા સફાઈ કર્મચારીઓ સતત કામ કરતા જોવા મળે. ઈન્ડસ્ટ્રિયલ કચરો તેમ જ માનવદેહનો નૈસર્ગિક કચરો ગંગામાં ન ઠલવાય પણ એને ચોખ્ખો કરીને એમાંથી કુદરતી ખાતર તેમ જ બિનહાનિકારક વેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે એની યોજનાઓ પણ ધમધમતી થઈ ગઈ છે. પણ આ બધાનું રિઝલ્ટ કંઈ રાતોરાત તમને મળવાનું નથી. વર્ષોથી, વર્ષોથી નહીં દાયકાઓથી, અને દાયકાઓથી નહીં સૈકાઓથી જે કચરો ઠલવાતો રહ્યો છે તેને રોકીને મોદી પાંચ વરસમાં જ ગંગાને ચોખ્ખીચણાક બનાવી દેશે એવી આશા વધારે પડતી છે.

આવી જ એક મિથ ચલાવવામાં આવે છે દેશમાં વિવિધ સ્થળોએ યોજાતાં કુંભમેળાઓ વખતે. કુંભમેળામાં અવ્યવસ્થા સર્જાય છે, ધમાચકડીમાં ક્યારેક અકસ્માતો સર્જાય છે, માણસો મરી જાય છે અને એવા વખતે હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતા રિપોર્ટ્સ ટીવી પર રાજદીપ - રવિશકુમાર આણિ કંપની તમારા માથા પર ઠોકે છે. હજયાત્રા વખતે કેટલીય વાર સેંકડો આસ્થાળુઓ ચગદાઈને મરી ગયા છે. ત્યારે કોઈ ઈસ્લામની ધાર્મિક પરંપરાને ભાંડવાની હિંમત નહીં કરે. માત્ર કુંભમેળાની અવ્યવસ્થા જ તમને દેખાશે.

કુંભમેળાઓ જે જમાનામાં કમ્યુનિકેશનની આસાન સુવિધાઓ નહોતી ત્યારે એની ખોટ પૂરવા માટે સર્જાયા. એના પાછળની પૌરાણિક કથાઓ ઈન્ટરેસ્ટિંગ છે. પણ વાસ્તવિક કારણ એ હતું કે દર ચાર કે બાર વર્ષે ભારતના કોઈને કોઈ નગરમાં આખા દેશમાંથી આવેલા પ્રબુદ્ધજનો - સાધુસંતો ભેગા થાય, પોતપોતાના પ્રદેશોમાં શું શું થઈ રહ્યું છે તેની માહિતીનું આદાનપ્રદાન કરે, નવા જ્ઞાનપ્રવાહો વિશે ચર્ચા કરી એકમેકને સમૃદ્ધ કરે અને આ રીતે દેશની એકતા, અખંડિતતા વધુ મજબૂત બને. આવી ભલી પરંપરા છે કુંભમેળાની અને આપણને ટીવીવાળાઓ કુંભમેળાનાં ક્યાં દૃશ્યો વારંવાર દેખાડે છે? નાગા બાવાઓનાં, વિવિધ અખડાઓ વચ્ચે શાહી સ્નાન અંગે થતી તકરારોના, ભીડના, ગંદકીના.

તમે વિચાર કરો કે ભારતના નૉર્થ-સાઉથ ડિવાઈડ વિશે અત્યાર સુધીમાં કેટલા ટન વાંચન તમારા માથા પર ફટકારવામાં આવ્યું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સંસ્કૃતિની, ભાષાની, પરંપરાની કેટલી મોટી ખાઈ છે એવું તમને ઈતિહાસની તમારી ટેકસ્ટબુકોથી માંડીને તમારા છાપાં-ટીવીવાળાઓ કહ્યા કરે છે. વારાણસી જઈને તમે શું જુઓ છો? તમિળનાડુથી મેક્સિમમ જાત્રાળુઓ મહાશિવરાત્રિ નિમિત્તે અહીં આવ્યા છે. આગળ લખી ગયા એમ આપણે તિરુપતિ જઈને વાળ ઉતરાવીએ એમ ત્યાંથી આવનારા યાત્રાળુઓ અહીં કાશી વિશ્ર્વનાથનાં દર્શન કરીને વાળ ઉતરાવે. મંદિરની ગલીઓમાં ફૂલો વેચનારાઓ પણ આ યાત્રાળુઓની માતૃભાષા તમિળમાં ફૂલોના ભાવ બોલતા થઈ ગયા છે એ પણ તમે વાંચ્યું. હવે તમે જ કહો કે ભાષા, સંસ્કૃતિ કે બીજાં કોઈપણ કારણોસર આ દેશને કોણ તોડી શકવાનું છે? આવી ભાવનાત્મક, સામાજિક તથા પારંપરિક એકતાનો સામ્યવાદી વિચારસરણી ધરાવતા એન્ટી હિન્દુ સેક્યુલરો કેવી રીતે ભંગ કરાવી શકવાના છે. હા, અત્યાર સુધી તેઓ મોટી અને વગ ધરાવનારી ખુરશીઓ તથા હોદ્દાઓ પર બેઠા હતા એટલે તમને લાગતું હતું કે તેઓ જે કહે છે તે સાચું છે. પણ મોદીના પીએમ બન્યા પછી બીજી ઘણી બાબતો સહિત આ વાતમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ રહ્યું છે.

રહી સંસ્કૃત ભાષાની વાત. ‘સંસ્ક્રીત ઈઝ અ ડેડ લેન્ગવેજ’ એવું તમે કેટલીવાર સાંભળ્યું? હકીકત એ છે કે સંસ્કૃત ડેડ લેન્ગ્વેજ નથી. હજુય એ જીવે છે, તંદુરસ્તીથી જીવે છે. સ્કૂલમાં તમારો દીકરો ફ્રેન્ચ લે કે દીકરી જર્મની લે એટલે કંઈ સંસ્કૃત મરી પરવારવાની નથી. ફ્રેન્ચ - જર્મન જેવી શીખવામાં અત્યંત કઠિન ભાષાને સિલેબસમાં મૂકીને એવો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે કે તમે એમાં ચિક્કાર માર્ક્સ સ્કોર કરી શકો, ભાષા ન આવડતી હોવા છતાં, ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ર્ચન્સને કારણે તમને વધારે પર્સન્ટેજ આવે.

ફ્રેન્ચ-જર્મન જ નહીં, અંગ્રેજીની બાબતમાં પણ એવું જ થયું છે. નવી એસ.એસ.સી.નો પ્રથમ બૅચ મારો. અંગ્રેજીમાં આખી સ્કૂલમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. વિચાર કરો ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં. કેવી રીતે? એક દાખલો આપું. દસ માર્ક્સનો નિબંધ. તમારી લેખનકળાની ચકાસણી કરવા માટે નિબંધ પૂછાતો હોય. અમારા પ્રશ્ર્નપત્રમાં આખેઆખો નિબંધ છાપીને એમાંથી દર થોડાક વાક્યમાંથી એક એક શબ્દ કાઢી લઈને ત્યાં ખાલી જગ્યા મૂકવામાં આવી હતી. નીચે એ દસે દસ શબ્દોને જમ્બલ અપ કરીને મૂકવામાં આવ્યા હતા. તમારે એમાંથી એક એક શબ્દ પકડીને પેલી ખાલી જગ્યામાં મૂકી દેવાનો. રોકડા દસ માર્ક્સ તમારા ગજવામાં નિબંધમાં તે વળી કોઈ દિવસ દસમાંથી દસ માર્ક્સ હોતા હશે? પણ આ રીતે આપી દેવામાં આવતા. અંગ્રેજીના ૧૦૦ માર્ક્સના પેપરની સામે સંસ્કૃત ૫૦ માર્ક્સનું પણ એનો અભ્યાસક્રમ એટલો અઘરો કે તમે રામા, રામૌ, રામ: ની વિભક્તિઓની ગોખણપટ્ટીમાંથી જ ઊંચા ના આવો. સંસ્કૃતનો અભ્યાસ જાણી જોઈને કંટાળાજનક બનાવી દેવામાં આવે અને પછી ડિકલેર કરવામાં આવે કે ‘સંસ્ક્રીત ઈઝ એ ડેડ લેંગ્વેજ’.

સંસ્કૃતમાં લખાયેલા આપણા આયુર્વેદના ગ્રંથોને ભુલાવી દેવાનું કાવતરું સૈકાઓ સુધી ચાલ્યું પણ નાકામિયાબ રહ્યું. આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં શસ્ત્રક્રિયા, દાંતની શલ્ય ચિકિત્સા વગેરે બધું જ થતું. પણ ક્રમશ: ભુલાઈ ગયું. એમાં આગળ સંશોધન ન થયું. એલોપથીવાળા કહેશે કે આયુર્વેદવાળા શું બાયપાસ સર્જરી કરી શકવાના હતા?

મારો જવાબ એ છે કે આયુર્વેદની જેમ એલોપથીને પણ ગળું ઘોંટીને સદીઓ પહેલાં સ્થગિત કરી દેવામાં આવ્યું હોત તો એલોપથીમાં પણ આજે શસ્ત્રક્રિયાઓ ન થતી હોત અને વધારે સાચો જવાબ એ છે કે આયુર્વેદને જનસામાન્ય સુધી પહોંચતા રોકવામાં એલોપથિક કાવતરાઓ પર કાવતરાં ન થયાં હોત તો આયુર્વેદ, યોગ, પ્રાણાયમને લીધે પ્રજાનું આરોગ્ય જ એટલું સુધરી ગયું હોત કે આવી બાયપાસ, ફાયપાસની જરૂરો જ ઊભી ન થઈ હોત. મારી આ વિચારસરણીને વધુ દૃઢ કરવામાં વારાણસીની મુલાકાતે ઘણો મોટો ભાગ ભજવ્યો.

ફરી જલદી પાછો આવું છું, બનારસ

વારાણસીમાં આજે અમારો છેલ્લો દિવસ છે. ગઈકાલે સવારે અમે કાશીના રાજાનો કિલ્લો જોવા રામનગર ગયા હતા. કાશીના રાજા કાશીમાં રાજમહેલ બનાવવાને બદલે સામા કાંઠે કિલ્લો બાંધીને શું કામ રહેતા હશે તેની એક વાયકા લખી હતી કે કાશીના સમ્રાટ શંકર કહેવાય એટલે કાશીનરેશ માનતા કે એક શહેરમાં બે રાજા ક્યાંથી રહી શકે એટલે કાશી છોડીને રામનગર રહેવા ગયા. 

લોકવાયકા તરીકે આ કથા ઠીક છે, પણ કોઈ રાજા પ્રજાનું રક્ષણ કરવા એમની વચ્ચે મહેલ કે કિલ્લો બાંધીને રહેવાને બદલે ગંગાપાર જઈને રહે એ જરા અજુગતું લાગે. ઈતિહાસમાં એનાં સાચાં કારણો કદાચ દટાઈ ગયાં હશે. કાશીનરેશ વિશે વર્ષો અગાઉ ટીવીના એક ફૂડ શૉમાંથી જાણેલું કે આ રાજાઓની પરંપરા એવી છે કે તેઓ કોઈના દેખતાં જમતા નથી. ભોજનખંડમાં પાટલો મૂકીને જમવા બેસે ત્યારે પીરસણિયાઓ નાનાં નાનાં પાત્રોમાં એમની થાળીની આસપાસ વધારાની તમામ વાનગીઓ ગોઠવીને બારણું ભીડી દે પછી રાજા એકલા જ ભોજન આરોગે. આસપાસ કોઈ ન હોય. વારાણસીથી 

રામનગરનું અંતર માત્ર ગંગાના પટ જેટલું જ છે અને પાંચ વર્ષથી બંધાઈ રહેલો નવો પુલ તૈયાર થઈ જશે એ પછી દસ-પંદર મિનિટમાં જ ત્યાં પહોંચી શકાશે. અત્યારે જરા લાંબું ચક્કર કાપવું પડે છે એટલે ટ્રાફિકને લીધે પોણોએક કલાક થઈ જાય. નવો પુલ જે બંધાઈ રહ્યો છે તેની બાજુમાં પૈદલ જવા માટે કે સાઈકલ અને ટુ વ્હીલરની અવરજવર માટેનો સાવ નીચો અને જૂનો પુલ છે પણ ફોર વ્હીલર માટે એ નથી. 

કાશીનરેશનો એક જમાનામાં આખા હિન્દુસ્તાનમાં ભારે દબદબો હતો. કાશી અતિ શ્રીમંત રાજ્ય હતું. વ્યાપારના ધામ તરીકે પણ કાશીની મોટી ખ્યાતિ હતી. રામનગરનો કિલ્લો જોતાં તમને અહીંની એક જમાનાની જાહોજલાલીનો અંદાજ આવે. વીસમી સદીના આરંભમાં બનેલી અનેક વિન્ટેજ ગાડીઓનું કલેકશન અહીંના મ્યુઝિયમમાં છે. સાથે જાતજાતની પાલખીઓ અને અંબાડીઓ પણ સચવાયેલી છે. સંગ્રહાલયનું સૌથી મહત્ત્વનું પાસું મને અહીંના શસ્ત્રાગારનું લાગ્યું. બેનાળી અને ચતુર્નાળી બંદૂકો, તમંચા, ઑટોમેટિક ગન્સ, રિવોલ્વર્સ, વિવિધ પ્રકારની તલવારો તથા ખંજરો. આ તો સોથી બસો વર્ષ પછી સચવાયેલાં પ્રતીક રૂપનાં શસ્ત્રો છે. એ જમાનામાં તો ઘણો મોટો ભંડાર હતો. આપણા રાજાઓ પાસે આટલાં શસ્ત્રો હોય એનો મતલબ હોવાનો કે સૈનિકો પણ રહેવાના. લશ્કર રાખવાનો મતલબ કે તેઓ આક્રમણખોરોનો સામનો પણ કરવાના. અમસ્તા જ આપણે આપણા જ પૂર્વજોને બદનામ કરતા રહીએ છીએ કે આપણે કોઈની સામે લડતા નહોતા, આપણે લડાખ નહોતા. 

બપોરે રામનગરથી પાછા આવીને લંચ માટે કાશી ચાટ જઈએ છીએ પણ હજુ દુકાન મંડાઈ રહી છે. અડધો કલાક લાગશે. અમે સામેની લાઈનમાં આવેલી દીના ચાટમાં ફરી એક વાર ટમાટર, ટિકિયા વગેરે માણીએ છીએ. 

રામનગર ગયાની આગલી સાંજે રામાનન્દજી સાથે મુલાકાત થઈ હતી. એમને અમારે આજે સાંજે મળવાનું હતું. દુર્ગા મંદિરની સાવ નજીકમાં જ પિલગ્રિમ્સ નામની એમની પુસ્તકોની દુકાન છે. દુકાન કહીએ તો આ સ્થળને અન્યાય થઈ જાય. મંદિર છે પુસ્તકોનું. આનાં કરતાં વિશાળ બુક શૉપ્સ તો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓએ ઘણી જોઈ હશે, પણ આ પુસ્તક-મંદિરનું ઈન્ટિરિયર તમને જોતાવેંત ટ્રાન્સમાં લઈ જાય. નીચે અને ઉપર બે માળ. ઉપરના માળે જવા માટે બેઉ બાજુથી લાકડાના કઠેડાવાળા પગથિયાં. ઉપલા માળે ચડીને તમે નીચેની આખી દુકાન જોઈ શકો. ‘માય ફેર લેડી’માં પ્રોફેસર હિગિન્સના સ્ટડી રૂમનું વિશાળ વર્ઝન જોઈ લો. ઈન્ટિરિયર જેટલું જ મહત્ત્વ અહીં વેચાઈ રહેલાં પુસ્તકોનું ઈતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, અધ્યાત્મ વગેરે વિષયોના પુસ્તકનું આટલું મોટું કલેકશન એકસાથે જુઓ તો તમે પાગલ થઈ જાઓ. રામાનન્દજીની કાઠમંડુમાં આના કરતાંય ઘણી મોટી બુક શૉપ હતી જે ત્રણચાર વર્ષ પહેલાં આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. સાથે દુર્લભ હસ્તપ્રતો, ચીજવસ્તુઓ તથા ચિત્રો વગેરેનું હ્યુજ કલેકશન પણ બળીને ખાખ થઈ ગયું. પાંચસો કરોડ રૂપિયા કરતાં વધુની મિલકતો નષ્ટ પામી. રામાનન્દજી કોઈ અફસોસ વિના, મસ્ત મૌલાની જેમ, તદ્દન નિર્લેપ ભાવે આ વાતો કરે છે. એ પોતે પ્રકાશક પણ છે. જે પ્રકારનાં પુસ્તકો નોર્મલ કમર્શિયલ પ્રકાશક ન છાપે તેને છાપે અને ખૂબ વેચે એવું નેટવર્ક છે એમનું. અમારી વાતો ખૂટતી નહોતી. રામાનન્દ તિવારી એમનું મૂળ નામ. પછી અટક છોડી દીધી. સાધુ નથી પણ વૃત્તિ સાધુની. પુસ્તકો છાપવાનો અને વેચવાનો બહોળો ધંધો કરે છે છતાં વેપારી નથી કે નથી વાણિયાવૃત્તિ. અને સાથોસાથ નથી એમનામાં લાખના બાર હજાર કરવાની વૃત્તિ. ધંધો છે તો એમાંથી કમાણી પણ થવી જોઈએ જેથી વધુ ને વધુ સારા કામ થઈ શકે. એમની દુકાનમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ નથી મળતું, એમનાં પોતાનાં પ્રકાશનો પર પણ. મ્યુઝિકનું પણ સારું એવું કલેકશન છે એમની દુકાનમાં. એમનાં પત્ની પોતે અમારા માટે જલપાન લઈને આવે છે. (બાય ધ વે જલપાન એટલે માત્ર જળનું પાન નહીં. આપણે જેને ચાનાસ્તો કહીએ તેને ઉત્તરમાં બધે જલપાન કહે.) વાતો હજુ અધૂરી હતી અને અમારે જાલાનજી યોજિત સંગીત મહોત્સવમાં જવાનું હતું જ્યાં પોરબંદરના સાંદીપનિ આશ્રમથી પધારેલા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે મુલાકાત થવાની હતી. રામાનન્દજીએ સવારે બ્રેકફાસ્ટ (બાલભોગ!) માટે આમંત્રણ આપ્યું. અમારે સારનાથ જવાનું હતું અને એ પહેલાં એક છેલ્લી વાર પ્રભાતે નૌકાયન કરવું હતું, પણ એમના આગ્રહને કારણે સમયમાં ફેરફારો કરીને હા પાડી. 

બીજે દિવસે સાડાપાંચ વાગ્યે ફરી એક વાર હલેસાંવાળી હોડીમાં નૌકાયન કરવા નીકળી પડ્યા. ફરી સુબહ-એ-બનારસનો નજારો. દશાશ્ર્વમેધ ઘાટ નજીક જઈને તમે નદીમાં ભુજિયા (સેવ) નાખો તો બહારગામથી આ ઋતુમાં અહીં આવેલાં સીગલ્સ એને ખાવા ટોળે વળે. સેવનો એક દાણો ન છોડે. સૂર્યના ઉદય સાથે પંખીઓને ચહકતા સાંભળવાની આ મઝા બે કલાક ચાલી. પાછા અસ્સી ઘાટ આવીને મલાઈ ટોસ્ટ અને ચા માટે ફરી એક વાર ચૌક ગયા. ત્યાંથી બ્રેકફાસ્ટ માટે રામાનન્દજીના ઘરે. દુકાનની ઉપર જ ત્રણ માળનું ઘર. ફરી ફરીને બધું બતાવ્યું. એમના અંગત ખંડમાં અનેક દુર્લભ હસ્તપ્રતો તથા વિવિધ રામાયણોનું કલેકશન છે. પાંચ-સાત વિવિધ પ્રકારના નવાં નવાં ફ્રૂટ્સના મોટા બૉલમાં મૂસળી તથા ડ્રાયફ્રૂટ્સ અને ઉપર દહીં. આટલો સમ્ચ્યુઅસ બાલભોગ ખાધા પછી બીજા એક મોટા બૉલમાં દલિયાની સાથે વિવિધ બોઈલ્ડ વેજિટેબલ્સ. સાંજ સુધી હવે ભૂખ લાગવાની નથી. ચાની સાથે લોકલ બેકરીના બ્રેડના લોફની સ્લાઈસ. આટલી વજનદાર કેવી રીતે? હોલ વ્હીટ અને મલ્ટિ ગ્રેઈન બ્રેડની એક જ જાડી સ્લાઈસ ટોસ્ટ કરીને ખાધા પછી થયું કે રામાનન્દજીએ લંચ કે ડિનર માટે ન બોલાવ્યા તે સારું થયું. અન્યથા સારનાથ તો શું મુંબઈ જવાનું માંડી વાળવું પડત. 

સારનાથના ભગવાન બુદ્ધે સૌથી પહેલું પ્રવચન આપ્યું હતું. ખૂબ વિશાળ સ્તૂપ એમની યાદગીરીમાં બંધાયેલો છે. બૌદ્ધ સાધુઓની પ્રાચીન વસાહતોના અવશેષો મળી આવ્યા છે. આપણી રાજમુદ્રા સમો અશોક સ્તંભ પણ અહીંથી મળી આવ્યો અને અશોકચક્ર પણ. આ બધું જ અહીંના ઍરકંડિશન્ડ મ્યુઝિયમમાં સરસ રીતે સચવાયેલું છે. 

ભગવાન બુદ્ધના તત્ત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત છું, પણ બૌદ્ધ ધર્મની અસર હેઠળ સમ્રાટ અશોક જેવા ભારતના પ્રતાપી અને ચક્રવર્તી રાજાએ અહિંસાવ્રત લઈ લીધું એવા ઈતિહાસ પ્રકરણને હું ભારત માટે ગૌરવપ્રદ નથી ગણતો. અશોકના ચાર સિંહોવાળા અશોક સ્તંભને તથા અશોકચક્રને રાજચિહ્ન બનાવીને કે રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપીને પંડિત નહેરુની કૉન્ગ્રેસી સરકાર કયો સેક્યુલર ઉપદેશ આપવા માગતી હશે તે ભગવાન જાણે. આપણો રાષ્ટ્રધ્વજ તો વચ્ચેથી ત્રિકોણાકારે કપાયેલો ભગવો જ હોવો જોઈતો હતો અને એમાં નમાલા અશોકચક્રને બદલે ત્રિશૂળ કે સૂર્યના પ્રતીકને સ્થાન હોવું જોઈતું હતું. સારનાથની યાત્રા કરી તો મારા આ વિચારો વધારે સ્પષ્ટ થયા. 

સાંજે વારાણસીની વિદાય લેતાં પહેલાં જાલાનજીએ મલાઈની ગિલ્હૌરી નામની મીઠાઈ બંધાવી આપી, સાથે ઓરેન્જ (સંતરા)ની પણ મીઠાઈ હતી. આ ઉપરાંત ઘર માટે આલુના પાપડ અને મિર્ચીનું આચાર પણ હતું. મુંબઈથી આવ્યા ત્યારે સામાનનું જેટલું વજન હતું તેના કરતાં બમણું વજન લઈને પાછા જઈ રહ્યા છીએ. અને આમાં જો સ્મૃતિમાં સચવાયેલો ભંડાર ઉમેરો તો એક આખું કાર્ગો વિમાન ભરાય. ફરી જરૂર આવીશુ વારાણસીમાં. બહુ જલદી આવીશું.
--------------------------------------------------------------------------------------------------------------------------
આજનો વિચાર

અંતે તો જે યાદ રહેશે તે આપણા દુશ્મનોના શબ્દો નહીં હોય, 

પણ આપણા મિત્રોનું મૌન હશે.

- માર્ટિન લ્યુથર કિંગ, જુ.

એક મિનિટ!

રાહુલબાબાની એક વાત તો કહેવી પડે હોં.

આટઆટલાં રાજ્યોમાં ભાજપની સરકારો બનાવી આપી

પણ ઘમંડ બિલકુલ નહીં!
-------------------------------

આજનો વિચાર

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં

હું તને મળી શકું તારા જ શ્ર્વાસમાં



ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે?

સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં

- અંકિત ત્રિવેદી

---------------------------------

એક મિનિટ!

પત્ની: હું તમારી યાદમાં ૧૫ દિવસમાં અડધી થઈ ગઈ. ક્યારે લેવા આવો છો?

પતિ: ૧૫ દિવસ પછી...

---------------------------


આજનો વિચાર

લગ્ન પહેલાં દુનિયા ફરી લેવી જોઈએ.

લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

-સ્વામી પરણેલાનંદ

(વૉટ્સઍપ પર વાંચેલું)

એક મિનિટ!

અતિશય ગરમીમાં 

શેરડીનો રસ 

લીંબું શરબત 

તરબૂચનો રસ 

કે ગમે તેટલાં કોક-પેપ્સી પીઓ 

પણ ઠંડક તો ત્યારે જ થાય 

જ્યારે ઘરવાળી પિયર હોય 

ને ફ્રિજમાં ચિલ્ડ બિયર હોય.

-----------------------------------
વે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે હોળીના દિવસે દિલ્હીવાળાઓ પ્રહલાદને બદલે કેજરીવાલને બેસાડવાના છે. પ્રામાણિક હશે તો ઊની આંચ નહીં આવે. 

-વૉટ્સ એપ પર વાંચેલું

એક મિનિટ!

આજકાલ લોકોના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં વાંચવા મળે છે: મમ્મી ન્યુ, પાપા ટુ, વાઈફ ઑલ્ડ, વાઈફ ટુ, સાસુ જિયો...
-------------------------------

આજનો વિચાર

આમ હરા હોતા હૈ લેકિન ઉસે એક દિન ભગવા હોના હી પડતા હૈ.

ઔર જો આમ ભગવા નહીં હોતા હમ ઉસકી ચટની બના દેતે હૈ.

- વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

એન.ડી.ટી.વી.: આપ કો કૈસે પતા થા કી વો એબીવીપી કે ગુંડે થે?

ગુરમહેર કૌર: વો ભારત માતા કી જય કે નારે લગાતે રહે થે...
-------------------------------------------------


આજનો વિચાર

ત્રાજવે મીનમેખ બહુ ભારે પડ્યો

જોખનારો, દેખ! બહુ ભારે પડ્યો



સંસ્કૃતિ પૂરેપૂરી પિંખાઈ ગઈ

ભવ્ય શિલાલેખ બહુ ભારે પડ્યો



કાવાદાવામાં ખૂંપાયું નહિ કદી

ઓલિયાને ભેખ બહુ ભારે પડ્યો

- શોભિત દેસાઈ

એક મિનિટ!

કૅશલેસ ઈકોનોમીની ગભરામણ:

લાગે છે કે

થોડા દિવસ પછી તમે

બૅન્કની આજુબાજુમાં પણ દેખાયા

તોય તમને પકડીને

દોઢસો રૂપિયા

વસૂલવામાં આવશે!




આજનો વિચાર

સુના હૈ લોગ ઉસે આંખ ભરકે દેખતે હૈં,

સો ઉસકે શહર મેં કુછ દિન ઠહર કે દેખતે હૈં.

- અહમદ ફરાઝ 
-----------------------------


આજનો વિચાર

મૈં તુઝ સે રોઝ મિલના ચાહતા હૂં

મગર ઈસ રાહ મેં ખતરા બહુત હૈ



ઉસે શોહરત ને તન્હા કર દિયા હૈ

સમંદર હૈ મગર પ્યાસા બહુત હૈ



મૈં એક લમ્હે મેં સદિયાં દેખતા હૂં

તુમ્હારે સાથ એક લમ્હા બહુત હૈ

- બશીર બદ્ર

એક મિનિટ!

જે લોકો હોળી પર પાણી બચાવવાનો મેસેજ મોકલે એમને કહેવું કે:

મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું શરૂ કરશો તો કબ્રસ્તાન માટે વપરાતી વિશાળ જગ્યાઓની બચત થશે.
-----------------------------------------

આજનો વિચાર

એક દર્યા હૈ યહાં પર દૂર તક ફૈલા હુઆ,

આજ અપને બાજુઓં કો દેખ, પતવારેં ન દેખ.



રાખ કિતની રાખ હૈ, યારોં તરફ બિખરી હુઈ,

રાખ મેં ચિનગારિયાં હી દેખ, અંગારે ન દેખ.

એક મિનિટ!

ગુજરાતના ગધેડાઓ ભાગ્યશાળી છે કે જેમનો પ્રચાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા થાય છે.

યુપીમાં બે ગધેડા એવા છે જેમના પ્રચાર માટે એમનાં સગાં માબાપ પણ નથી આવતા.

- વૉટ્સએપ પર વાંચેલું




આજનો વિચાર

તમામ ઉમ્ર મૈં ઈક અજનબી કે ઘર મેં રહા,

સફર ન કરતે હુએ ભી કિસી સફર મેં રહા.

હજારોં રત્ન થે ઉસ જૌહરી કી ઝોલી મેં

ઉસે કુછ ભી ન મિલા જો અગર-મગર મેં રહા.

- ગોપાલદાસ ‘નીરજ’