Sunday, August 30, 2015

હળવદનો પૂજારી બન્યો પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી! --- આશુ પટેલ



                            

ઘણી વાર કુટુંબ માણસના જીવનમાં કલ્પનાતીત વળાંક લાવી દેતું હોય છે.

સુખનો પાસવર્ડ - આશુ પટેલ


અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત ખગોળવિદ્ માર્ક સોવેલ્ટરે નેપ્ચુનનો નવો ઉપગ્રહ શોધી કાઢ્યો એ સાથે ભારતના વિખ્યાત ખગોળશાસ્ત્રી અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉક્ટર જે. જે. રાવલ પણ સમાચારોમાં ચમક્યા છે.

ખગોળવિદ્ માર્ક સોવેલ્ટરે હબલ સ્પેસ ટેલિસ્કોપે લીધેલી તસવીરોનો અભ્યાસ કરતાં કરતાં નેપ્ચુનનો નવો ઉપગ્રહ શોધ્યો, પણ એ ઉપગ્રહની મૂળશોધ આપણા ખગોળશાસ્ત્રી ડૉક્ટર જે. જે. રાવલે કરી હતી. ડૉક્ટર જે. જે. રાવલે ૧૯૮૧માં આ થિયરી આપી હતી કે નેપ્ચ્યુનને અજાણ્યાં વલયો છે અને એની આજુ બાજુ નવા ઉપગ્રહો છે. તેમની એ થિયરી તેમણે ૧૯૮૧માં ખગોળશાસ્ત્ર માટે પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ જર્નલ ‘અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ’ને એક રિસર્ચ પેપર દ્વારા મોકલી આપી હતી. આઠ વર્ષ સુધી ચકાસણી કર્યા પછી ૧૯૮૯માં ‘અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ’ જર્નલે તેમની એ થિયરી દર્શાવતું રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું, કારણ કે ઑગસ્ટ, ૧૯૮૯માં વૉએજર-ટૂ અંતરિક્ષયાને એ ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. જોકે ડૉક્ટર જે. જે. રાવલે નેપ્ચુનથી એક લાખ કિલોમીટરના અંતરે આવેલા એક ઉપગ્રહની આગાહી કરી હતી એ વૉએજર શોધી શક્યું નહોતું. પણ એ ઉપગ્રહ હવે હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી શોધી કાઢ્યો છે.

ડૉક્ટર જે. જે. રાવલે ખગોળશાસ્ત્રમાં આવું ઘણું બધું કલ્પનાતીત પ્રદાન કર્યું છે પણ આજે આપણે એમની કલ્પનાતીત જિંદગીની વાત કરવી છે. ડૉક્ટર જે. જે. રાવલનો જન્મ ૩૦ માર્ચ, ૧૯૪૩ના દિવસે ગુજરાતના હળવદમાં થયો હતો. એમના પિતા જટાશંકર રાવલ એ જમાનામાં કરોડપતિ વેપારી હતા. આઠ દાયકા અગાઉ તેમની પાસે બગીઓ હતી અને એમનાં મહેલ જેવાં મકાનો હતાં. જટાશંકર રાવલની ઊઠબેસ ઘણા રાજા-મહારાજાઓથી માંડીને અત્યંત શ્રીમંત ગણાતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે હતી. ધ્રાંગધ્રાના રાજા અને મોરબીના મહારાજા દ્વારા એમની હૂંડીઓ સ્વીકારાતી હતી. એમનો ઉનનો મોટો વેપાર હતો અને તેઓ લાકડાનો વેપાર પણ મોટે પાયે કરતા હતા. તેઓ ચર્ચગેટ સ્ટેશનથી ચાર ગણી મોટી લાટીના માલિક હતા જ્યાં લાકડાનો સંગ્રહ થતો હતો. એમના મહેલ જેવા નિવાસસ્થાનમાં અમુક ઓરડાઓમાં પૈસા રખાતા હતા. એ ઓરડાઓમાં ચલણી નોટો ભરેલી ગૂણીઓની થપ્પીઓ ખડકાતી હતી. જટાશંકર રાવલનાં પત્ની પાસે એકમણ સોનું હતું! એમનાં પત્ની એટલે કે ડૉક્ટર જે. જે. રાવલના માતા બગીમાં બેસીને બહાર નીકળતાં ત્યારે તેમને જોવા માટે લોકો ટોળે વળતા. જટાશંકર રાવલનાં ત્રણ પત્ની અકાળે મૃત્યુ પામ્યાં હતાં એટલે તેમણે ચોથી વાર લગ્ન કર્યાં હતાં. એમનાથી એમને નવ બાળકો થયાં હતાં, જેમાં ચાર દીકરીઓ અને પાંચ દીકરાનો સમાવેશ થતો હતો.

હળવદમાં જટાશંકર રાવલની એવી અકલ્પ્ય જાહોજલાલી એક દિવસ અચાનક છીનવાઈ ગઈ. એમને વેપારમાં મોટું નુકસાન ગયું કે પછી સટ્ટામાં તેઓ મોટી રકમ હારી ગયા. ૧૯૩૫માં ચોક્કસ શું બન્યું એની તો કોઈને ખબર ના પડી પણ માથા પર ચડી ગયેલું દેવું ઉતારવા માટે જટાશંકર રાવલે મિલકતોથી માંડીને ઘરેણાં અને બગીઓ અને ઘોડાઓ તથા બીજા ઢોર-ઢાંખર પણ વેચી નાખ્યાં. તેમણે અકલ્પ્ય સમૃદ્ધિ મેળવી હતી પણ લક્ષ્મીની સાથે સરસ્વતીના પણ તેઓ ઉપાસક હતા. તેમણે ઘણાં શાસ્ત્રો અને પુસ્તકો વાંચીને અને જીવનના અનુભવોમાંથી જ્ઞાન મેળવ્યું હતું એટલે તેમણે નાસીપાસ થઈ જવાને બદલે જીવનમાં આવી પડેલા સંઘર્ષ સામે ઝઝૂમવાનું પસંદ કર્યું. તેમણે બધું વેચીસાટીનેય લેણદારોની પાઈએ પાઈ ચૂકવી દીધી અને તેઓ કંગાળ થઈ ગયા.

જટાશંકર રાવલનાં પત્ની અભણ હતાં પણ તેમણે ભણતરને બદલે ગણતર મેળવ્યું હતું. પતિના મુશ્કેલીના સમયમાં તેઓ તેમના પડખે અડીખમ ઊભાં રહ્યાં. જેને જોવા માટે ક્યારેક હળવદના લોકો ઊમટી પડતા હતા અને જેની પાસે ભૂતકાળમાં એક મણ એટલે કે વીસ કિલો સોનું હતું એવા એ જાજરમાન મહિલાએ પતિને સધિયારો આપ્યો અને ટૂંકા ખર્ચ સાથે ઘર ચલાવવા માડ્યું. પડે છે ત્યારે સઘળું પડે છે એ કહેવત પ્રમાણે પણ જાન્યુઆરી, ૧૯૪૩માં તેઓ સગર્ભા હતાં ત્યારે અચાનક જટાશંકર રાવલ મૃત્યુ પામ્યા અને જે થોડી ઘણી આવક તેઓ કરતા હતા એ પણ બંધ થઈ ગઈ. પેટમાં છ મહિનાનો ગર્ભ, પતિનું અકાળે મૃત્યુ થયું અને ઘરમાં ફૂટી કોડી પણ નહીં, એવી સ્થિતિમાં પણ તેઓ હામ ન હાર્યાં. તેઓ શાળાનું પગથિયું પણ ચડ્યાં નહોતાં પણ જીવનની પરીક્ષા આપવા તેઓ તૈયાર થઈ ગયાં. તેમણે ૩૦ માર્ચ, ૧૯૪૩ના દિવસે નવમા સંતાનને જન્મ આપ્યો. એ નવમા સંતાને અત્યારે વૈશ્ર્વિક સ્તરે નામના મેળવી છે. ડૉક્ટર જે. જે. રાવલના જન્મ વખતે તેમનું કુટુંબ કારમી ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યું હતું.

ડૉક્ટર રાવલ થોડા દિવસોના થયા ત્યારે જ તેમનાં માતાએ પાડોશીઓનાં ઘરોમાં કપડાં ધોવાનું અને વાસણો માંજવાનું કામ શરૂ કરી દીધું. એ વખતે કપડાં ધોવા માટે તેમણે કૂવાઓમાંથી જાતે પાણી સીંચી લાવવું પડતું. જે હાથમાં ક્યારેય ઝાડુ પણ ન પકડાયું હોય એવા કોમળ હાથોથી પાણી સીંચવાને કારણે તેમના હાથ છોલાઈ જતા પણ હામ હાર્યા વિના તેમણે પોતાનાં સંતોનોને એકલે હાથે ઉછેરવાનો પડકાર ઝીલી લીધો હતો. વર્ષો સુધી તેમણે હળવદમાં પાડોશીઓનાં ઘરોમાં કામ કર્યું.

ડૉક્ટર જે. જે. રાવલના ભાઈઓ અને બહેનો મોટાં થયાં એ સાથે તેમણે પણ માતાને મદદ કરવા માંડી. મોટા ભાઈએ હળવદના જોગેશ્ર્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે કામ સંભાળી લીધું અને તેઓ લગ્ન અને મરણ કે બીજા પ્રસંગોમાં કર્મકાંડ કરાવવા જવા લાગ્યા. એ માટે તેમને ચાર કે આઠ આના દક્ષિણારૂપે મળતા થયા. એ દરમિયાન ડૉક્ટર જે. જે. રાવલનાં મોટાં બહેન હંસા બહેનને પ્રાથમિક શાળામાં ૬૦ રૂપિયાના પગારથી નોકરી મળી ગઈ. એટલે ઘરમાં એક નિશ્ર્ચિત આવક શરૂ થઈ ગઈ. હંસાબહેન નોન મેટ્રિક હતાં પણ એ સમયમાં લોકો બહુ ભણતા નહીં એટલે તેમને શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. બીજી બાજુ સૌથી મોટા ભાઈ ઉપેન્દ્ર રાવલને મિલિટરીમાં નોકરી મળી ગઈ. અને થોડા સમય પછી એમનાથી નાના, બીજા નંબરના ભાઈ અનિલ રાવલે મુંબઈ જઈને કાપડ બજારમાં સેલ્સમેન તરીકે, ૭૫ રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી દીધી.

મોટા ભાઈ અનિલ રાવલે મુંબઈમાં નોકરી મેળવી લીધી એ વખતે ડૉક્ટર રાવલ હળવદના જોગેશ્ર્વરી મહાદેવ મંદિરમાં ટોકરી વગાડીને પૂજા કરતા થઈ ગયા હતા અને સારા-નરસા પ્રસંગોએ હળવદના લોકોને ત્યાં કર્મકાંડ કરાવવા પણ જવા માંડ્યા હતા. હળવદના વિદ્વાન હરિશંકર આચાર્ય અને નંદલાલ દવે તેમના મિત્ર જટાશંકર રાવલના આ દીકરાને સંસ્કૃત ભણાવતા અને કર્મકાંડ પણ શીખવતા હતા. જટાશંકર રાવલના આ સૌથી નાના દીકરાના મનમાં એ વખતે કથાકાર બનવાની ઈચ્છા હતી. પણ મોટા ભાઈ અનિલ રાવલ મુંબઈમાં થોડા સેટ થયા એટલે તેમણે ઘરમાં બધા સાથે વાત કરીને ૧૯૬૧માં નાના ભાઈને ભણવા માટે મુંબઈ બોલાવવાનું નક્કી કર્યું અને ૧૮ વર્ષની ઉંમરે ડૉક્ટર રાવલે મુંબઈની પાર્લે કૅલેજમાં (અત્યારની સાઠ્યે કૉલેજ) પ્રવેશ મેળવ્યો. તેઓ ભણવામાં હોશિયાર હતા અને હંમેશાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતા હતા.

પાર્લે કૉલેજમાં ઈન્ટર સુધી (એટલે કે બારમા ધોરણ સુધી) અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈના ફોર્ટ વિસ્તારની ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં અભ્યાસ કરીને બી.એસસી.ની ડિગ્રી મેળવી. એ પછી મુંબઈ યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં એમ.એસસી.ની ડિગ્રી પણ તેમણે મેળવી. આ દરમિયાન તેમને સાયન્સ પ્રત્યે લગાવ થઈ ગયો હતો. તેઓ કથાકાર બનવા ઈચ્છતા હતા પણ તેમનાં મોટા ભાઈ-બહેનોની ઈચ્છા હતી કે તેજસ્વી નાના ભાઈને સાયન્સ પ્રવાહમાં ભણાવીએ એટલે એને સારી નોકરી મળી શકે અને જન્મ સાથે જ કારમી ગરીબીમાં ઊછરેલા નાના ભાંડુને જિદગીમાં સંઘર્ષ ન કરવો પડે. એટલે એમ.એસસી. થયા પછી કલકત્તામાં આગળ ભણવાની ઈચ્છા થઈ એટલે જટાશંકર રાવલના આ નાના દીકરાને ભાઈ બહેનોએ કલકત્તા ભણવા મોકલવાનુંં નક્કી કર્યું. ડૉક્ટર રાવલે કલકત્તામાં સત્યેન્દ્રનાથ બૉઝ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી એમ ફિલ.ની ઉપાધિ મેળવી.

કલકત્તામાં અભ્યાસ દરમિયાન તેમનો પરિચય કેટલાક જિનિયસ બંગાળી વૈજ્ઞાનિકો સાથે થયો અને એ સાથે ડૉક્ટર રાવલના જીવનમાં વળાંક આવ્યો. એ સમયથી તેમને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ જાગ્યો અને તેમણે સૂર્યમંડળ અને ઉપગ્રહમંડળોનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૬માં તેમણે મુંબઈ આવીને પ્રતિષ્ઠિત નેહરુ સેન્ટરમાં પ્રોજેક્ટ મેનેજર કમ લેક્ચરર તરીકે નોકરી મેળવી. યુવાન વયે તેમણે મહાન વિજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થિયરી પર પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કર્યું. ‘ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઈન જનરલ થિયરી ઑફ રિલેટિવિટી ઑફ આઈન્સ્ટાઈન’ શીર્ષક હેઠળ તેમનું પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં છપાયું. એ સાથે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે (ખગોળજગતમાં) નોંધ લેવાઈ. ૧૯૭૬માં નેહરુ સેન્ટરમાં જોડાયેલા ડૉક્ટર જે. જે. રાવલને ૧૯૭૯માં એટલે કે માત્ર ત્રણ જ વર્ષમાં નેહરુ પ્લેનેટેરિયમના ડાયરેક્ટર બનવાની તક મળી, પણ એ ઓફર તેમણે એટલા માટે ઠુકરાવી દીધી કે તેમને પોતાનો સમય સંશોધન પાછળ ખર્ચવો હતો. જોકે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખગોળવિજ્ઞાની બની ગયા એ પછી ૧૫ વર્ષ બાદ ૧૯૯૪માં તેમણે નેહરુ પ્લેનેટેરિયમના ડાયરેક્ટર તરીકે જવાબદારી સ્વીકારી અને છ વર્ષ સુધી એ ફરજ બજાવીને ર૦૦૦માં તેઓ નિવૃત્ત થયા. એ પછી તેમણે ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીની સ્થાપના કરી અને તેમનું સંશોધન ચાલુ જ રાખ્યું. અનેક વાર ‘નાસા’ની મુલાકાતે જઈ આવેલા અને જગવિખ્યાત ‘નાસા’ના મહારથી વૈજ્ઞાનિકો સાથે ઊઠબેસ કરનારા આ ખગોળવિજ્ઞાનીએ કદાચ કથાકાર બનીને હળવદમાં જિંદગી વિતાવી દીધી હોત પણ તેમનાં કુટુંબે તેમને સાયન્સ પ્રવાહમાં ભણવા મૂકીને તેમની જિંદગીને નવો જ વળાંક આપી દીધો. ગુજરાતી પ્રજાને આ અલગારી ખગોળ વિજ્ઞાનીની સિદ્ધિ વિશે બહુ ખબર નથી, પણ વૈશ્ર્વિકસ્તરે તેમને અકલ્પ્ય સન્માન મળ્યું છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99688

No comments:

Post a Comment