Thursday, April 30, 2020

પ્રાચીન ઋષિઓનું જ્ઞાન અર્વાચીન વિજ્ઞાનને પણ પાણી પીવડાવે એવું હતું --- ડૉ. જે. જે. રાવલ

એક જાતકકથામાં રાજા તેના પ્રધાનને કહે છે કે આપણી પાસે હજાર હાથીઓ છે તેમાં સૌથી મોટો હાથી કયો છે તે મને બતાવો. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે આ બાબતે કરવું શું? અડધો ડઝન હાથી તો કદાવર છે અને લગભગ એકસરખા જ લાગે છે. બીજા તો આપણા થોડા નાના હાથી છે જેનો વિચાર કરવો જરૂરી નથી. પ્રધાન તો બિચારો રાત-દિવસ વિચાર કરવા લાગ્યો કે સૌથી મોટો હાથી કેવી રીતે શોધી કાઢવો? જો એમ નહીં થાય તો રાજા મને દંડ દેશે અને પ્રધાન તરીકે પાણીચું મળશે તે જુદું. વિચાર કરતાં કરતાં તેને રસ્તો મળી ગયો. કોઈ પણ મુસીબતનો ઉકેલ હોય જ છે, માત્ર વિચાર કરવો પડે. તેણે પાણી ભરેલો એક કુંડ તૈયાર કર્યો અને ઢાળ વાટે તેણે એક પછી એક હાથીને પાણી ભરેલા કુંડમાં ઉતાર્યાં. સૌથી મોટા હાથીએ કુંડમાં પાણીની સપાટીને સૌથી ઊંચી કરી. આવી રીતે તેણે સૌથી મોટો હાથી શોધી કાઢ્યો. તેની પાછળ જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તે એ છે કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાવવામાં આવે છે, ત્યારે તે તેના ઘનફળ (volume) જેટલું પાણી સ્થળાંતર કરે છે. જોવાનું એ છે કે અઢી હજાર વર્ષ પૂર્વે આપણા લોકો પોતાની સૂઝ-બૂઝથી વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરતા હતા. પછી આર્કિમિડીઝે શોધ્યું કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે અને વધારે કે એ પાણીનું વજન વસ્તુના વજન જેટલું હોય છે. આ આર્કિમિડીઝનો તરતા પદાર્થનો નિયમ છે. જો વસ્તુએ સ્થળાંતર કરેલા પાણીનું વજન વધારે હોય તો તે તરે છે, ઓછું હોય તો ડૂબી જાય છે. રાજ્યના પ્રધાને આ નિયમના પ્રથમ ભાગનો ઉપયોગ કરેલો કે હાથી જ્યારે પાણીમાં ડૂબે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે. ભારતીય ઋષિ-મુનિઓ ઘણી બાબતોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરતા હતા. નિરીક્ષણો અને પ્રયોગોરૂપે તે સાચા હતા પણ કોઈ વાર તેની પાછળના વિજ્ઞાનના સિદ્ધાંતને નહોતા જાણતા અથવા તેઓ તે બાબતનો વિચાર કરવાની તસ્દી નહોતા લેતા. આવું બીજું ઉદાહરણ ચંદ્ર અને તિથિઓ વિષે છે. ચંદ્ર જ્યારે તેની પૃથ્વી ફરતેની કક્ષામાં સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે સૂર્યોદય સમયે તિથિ બદલાય. જો ચંદ્ર સૂર્યોદય સમય પહેલાં ૧૩ અંશે ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થાય અને જો તે ન ચાલી ગયો હોય તો તિથિ બેવડાય. આ કેપ્લરનો નિયમ છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી નજીક હોય ત્યારે તેને તેની પૃથ્વી ફરતેથી કક્ષામાં ઉતાવળથી ચાલવું જ પડે. માટે સૂર્યોદય સમયે તે ૧૩ અંશ ચાલી જાય માટે તિથિનો ક્ષય થાય. પણ જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય ત્યારે તે તેની પૃથ્વીની કક્ષામાં ધીમે ધીમે ચાલે તેથી તે સૂર્યોદય સમયે સૂર્યથી ૧૩ અંશ દૂર ન ગયો હોય તેથી તિથિ બેવડાય. આમ આપણા પૂર્વજોને કેપ્લરના નિયમોની ખબર ન હતી પણ વ્યવહારમાં (પ્રેક્ટિકલી) તેઓ આ તથ્ય જાણતા હતા અને તેથી તિથિમાં વધઘટ કરતા હતા.

૨૮૦૦ વર્ષ પૂર્વે દીર્ઘતમસ ઋષિ હતા. તેમણે ઋગ્વેદમાં અસ્યવામસ્ય સૂક્ત લખ્યું છે. આ સૂક્તની ઋચાઓનું ક, ટ, પ ત્રણ સૂત્રના આધારે અર્થઘટન કરીએ તો તે પૃથ્વીથી સૂર્યનું અંતર ગણી બતાવે છે. તે પ્રકાશવર્ષનું અંતર દર્શાવે છે. તે સૂર્યની નજીકનો તારો આલ્ફા સેન્ટૌરી (મિત્ર તારા)નું સૂર્યથી અંતર દર્શાવે છે. તે પૃથ્વીનો વ્યાસ ગણી બતાવે છે, પૃથ્વીની પરિભ્રમણની ગતિ ગણી બતાવે છે, પૃથ્વીનો ગુરુત્વાકર્ષણીય પ્રવેગ ગણી બતાવે છે અને પૃથ્વીમાં કેટલો પદાર્થ (mass) છે તે પણ ગણી બતાવે છે. આ મહાન આશ્ર્ચર્યની વાત છે કેમ કે ભૌતિકશાસ્ત્ર - ખગોળશાસ્ત્રની આ બધી ગણતરી તો અર્વાચીન વિજ્ઞાનની ઊપજ છે. આ માનવું અધરું પડે પણ આ તથ્ય છે, પણ એ શ્ર્લોકોનું અર્થઘટન ક, ટ, પ આદિ સૂત્રના આધારે કરવું પડે. જેમ રોમન આંકડા અક્ષર L એ ૫૦ માટે હોય છે, C એ ૧૦૦ માટે હોય છે, D એ ૫૦૦ માટે હોય છે અને M એ ૧૦૦૦ માટે હોય છે. રોમન આંકડામાં 376 = 300+70+6

= 3*100+5-+20+6

= 3*100+50+2*10+6

= CCCLXXV1

ઉપરોક્ત પ્રમાણે CCCLXXV1 લખાય છે. આમ જો આપણે ઋષિ દીર્ઘતમસના અસ્યવામસ્ય સૂત્રને ક, ટ, પ આદિ સૂત્રને આધારે અર્થઘટન કરીએ તો તે અર્વાચીન વિજ્ઞાને દર્શાવેલ કેટલીયે ભૌતિક રાશિઓનું મૂલ્ય દર્શાવે છે. ભૂતકાળમાં આમ ઘણી બાબતોને ઉચ્ચ પ્રકારના વિજ્ઞાનને લોકો જલદી સમજી ન શકે તેવી કોડવર્ડની ભાષામાં સૂત્રો લખવાની પ્રથા હતી, કારણ કે આંકડા વગેરે જાણીતા ન હતા.

ચાણક્ય ઈસુ પહેલાંની ચોથી સદીમાં થઈ ગયા. તે પ્રાચીન ભારતની તક્ષશિલા વિશ્ર્વવિદ્યાપીઠમાં ભણેલા અને ત્યાં જ રાજનીતિ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા હતા. મગધના પ્રધાનમંત્રી ચણકના તેઓ પુત્ર હતા, તેથી ચાણક્ય કહેવાય છે. તેમનું નામ વિષ્ણુગુપ્ત હતું. તેમણે રાજનીતિ માટે નીતિશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ ચાણક્યનીતિશાસ્ત્ર કહેવાય છે. ચાણક્યનું એક નામ કૌટિલ્ય પણ છે. ચાણક્યનાં નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આજે પણ એટલાં જ મહત્ત્વનાં ગણાય છે અને ઉચ્ચ અભ્યાસમાં ભણાવાય છે. ગીતાનું પણ એટલું જ મહત્ત્વ છે અને મેનેજમેન્ટ વગેરેમાં પણ ભણાવાય છે. તે ધર્મનું પુસ્તક નથી પણ જ્ઞાન-વિજ્ઞાનનું - મનોવિજ્ઞાનનું પણ પુસ્તક છે. ચાણક્ય જેવો મહાન અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હજુ સુધી થયો નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ગીતા જેવું પુસ્તક પણ આજ સુધી કોઈ લખી શક્યું નથી. મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન તેનાં સગાંઓ સાથે લડવા તૈયાર નથી અને શસ્ત્રોને નીચે મૂકે દે છે ત્યારે તેને સત્ય સમજાવવા ગીતા શ્રીકૃષ્ણના મુખેથી નીકળી હતી, જેને વ્યાસમુનિએ અક્ષરદેહ આપ્યો. ચાણક્યે નીતિશાસ્ત્રમાં ઘણી જ ઉમદા વાત કરી છે - તેમણે લખ્યું છે કે જે માતા-પિતા તેમનાં બાળકોને ભણાવતાં નથી તે તેમનાં શત્રુ છે. બધું સત્યમાં જ સ્થિર છે. ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. સંસારમાં ધર્મ જ શાશ્ર્વત છે. ક્રોધ સમ કોઈ અગ્નિ નથી, આત્મજ્ઞાન જેવું કોઈ સુખ નથી. તેમનો અર્થશાસ્ત્ર પરનો ગ્રંથ કૌટિલ્ય અર્થશાસ્ત્ર તરીકે પ્રખ્યાત છે. ઉપરોક્ત બન્ને ગ્રંથો જ્ઞાન - વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસમાં આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકોમાં ચાણક્યે એ સ્પષ્ટ કરેલું છે કે દેશની આર્થિક સદ્ધરતા ખેતી પર આધાર રાખે છે. માટે રાજાએ ખેતી પર બરાબર ધ્યાન આપવું જોઈએ અને દેશની કુદરતી સંપત્તિનું બરાબર રક્ષણ કરવું જોઈએ. રાજાએ વેપારને મુક્ત રાખવો જોઈએ અને સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. પ્રજાની આર્થિક સુખાકારી અને રાજ્યમાં ચાલતા ખાનગી વેપાર-ધંધાને ગાઢ સંબંધ છે - વિચિત્રતા એ છે કે ચાણક્ય આપણા જીવનનાં દરેકેદરેક પાસાંમા છે, રાષ્ટ્રનાં દરેકેદરેક પાસામાં છે, તેમ છતાં આપણે અને આપણી યુવા પેઢી તેના વિશે અને તેના કાર્ય વિશે જોઈએ તેટલું જાણતી નથી. ચાણક્યે એક બહુ મોટી વાત કહી છે કે જેવો રાજા, તેવી પ્રજા. માણસે સમય, પરિસ્થિતિ અને દેશ પ્રમાણે વર્તવું જોઈએ. રોગ અને શત્રુને ઊગતાં જ ડામી દેવા જોઈએ. નિષ્ણાત અર્થશાસ્ત્રી બનવું હોય તો માણસે ચાણક્યને પચાવવા જ પડે. ચાણક્યે બીજી એક સરસ વાત કરી છે તે એ છે કે શાસ્ત્રો ઘણાં છે, વિદ્યા પણ ઘણી જાતની છે. આ બધા માટે આપણું જીવન ઘણું ટૂંકું ગણાય. તેથી સારભૂત હોય તેને ગ્રહણ કરી લેવું, જેમ હંસ પાણીમાંથી દૂધ ગ્રહણ કરી લે છે.

૧૭૭૬માં એડમ સ્મિથે દેશની સંપત્તિ (Wealth of Nation) નામનું એક પુસ્તક લખ્યું. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના મહાન વિદ્વાનના જ્ઞાનને અને આ શાસ્ત્રોમાં તેમના મહાન યોગદાનને અને ભીષ્મકાર્યને ભૂલીને પરિશ્રમની અસર તળે આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે નવાજ્યા લાગ્યા. સ્મિથની સરખામણીમાં ચાણક્ય તો ક્યાંય આગળ છે, પણ આપણે ચાણક્યને ભૂલી ગયા.

ચાણક્ય ધન સિવાય ઘરવખરી, જમીન-જાગીર અને બીજી સંપત્તિનું મહત્ત્વ પણ ઘણું આંકતા. ૧૯૩૫માં લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રને માનવી સાથે જોડી વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે હેતુ અને સાધનોના સંદર્ભે માનવતા, માનવનું વર્તન અને તેની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. પણ ચાણક્યે આ બાબત ૨૪૦૦ વર્ષ પૂર્વે સ્પષ્ટ કરી છે, ચાણક્યે તેના ગ્રંથોમાં લખ્યું છે કે કરવેરા નાખવાનો રાજાને અધિકાર છે, પણ તે એવી રીતે નાખવા જોઈએ જેમ મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે પણ ફૂલને તેની ખબર પણ પડતી નથી અને ફૂલને તેની પીડા પણ થતી નથી અને તેને કોઈ નુકસાન પણ થતું નથી. માટે રાજાએ કરવેરા એવી રીતે નાખવા જોઈએ કે પ્રજાને પીડા ન કરે. ચાણક્યે મિલિયન રૂપિયાની બીજી એ મહાન વાત કરી કે સુખનું મૂળ ચારિત્ર્ય છે. દેશે સંશોધન પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે છેવટે સંવૃદ્ધિ સંશોધનને લીધે જ થાય છે. દેશે જમીન, જળાશયો, ડેમ, સિંચાઈ અને ખાણોમાં રોકાણ કરવું જોઈએ. વેપારમાં સાહસ કરવું જોઈએ. આ બધા પર દેશના વિકાસનો આધાર હોય છે. ચાણક્યે દ્રવ્યોપાર્જનને મહાન પવિત્ર વસ્તુ ગણાવી છે. ગૃહસ્થી માટે તે મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=493687

--------------------------------------------------------------------------------------------
વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર સઘળું પાણિનિના વ્યાકરણ પર આધારિત છે

કૉમ્પ્યુટરનું એક કાર્ય કોમ્પ્યુટેશનનું બંધારણ સ્થાપવાનું અને તેનો વિકાસ કરવાનું છે જેને આપણે સમજી શકીએ. તેનું બીજું કાર્ય નવા નવા અલ્ગોરિધમ (પ્રમેયો) ઉત્પન્ન કરવાનું છે જે કોમ્પ્યુટરને શક્તિશાળી બનાવે. અને ગણતરી તેમ જ કાર્યમાં વધારે ને વધારે ઝડપી બનાવે. આ કાર્યમાં જ્ઞાનની રજૂઆત કરવાની નવી નવી રીતો, તારણો મેળવવાની નવી નવી રીતો અને તેમાંથી નવા નવા ઉપયોગે સંશોધનો માટે રસ્તા શોધવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કોમ્પ્યુટરનું કામ જ્ઞાનનું પ્રોસેસિંગ કરવાનું છે.

પાણિનિનું વ્યાકરણ ઉપરોક્ત દર્શાવેલ કૉમ્પ્યુટર સાયન્સના કાર્ય પ્રમાણે જ કાર્ય કરે છે. જો કે, પાણિનિનું વ્યાકરણ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે. કોમ્પ્યુટર સાયન્સ પાણિનિના વ્યાકરણ પ્રમાણે વિકસ્યું છે. માટે કોમ્પ્યુટર સાયન્સને વધારે આગળ વધારવા પાણિનિનું વ્યાકરણ કેવી રીતે વિકસ્યું તે કેવી રીતે આગળ વધ્યું, તેણે સંસ્કૃત ભાષાને કેવી રીતે વિકસાવી, કોઈ પણ ભાષાને તે કેવી રીતે આગળ વધારે છે તેનો અભ્યાસ કોમ્પ્યુટર વિજ્ઞાનીઓને કરવો જરૂરી છે અને તે પ્રમાણે જો કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ આગળ વધે તો તે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગને વધારે સબળ બનાવી શકે. કૉમ્પ્યુટર વિજ્ઞાન આમ પાણિનિના વ્યાકરણને સમજી આગળ વધી શકે છે. વ્યાકરણમાં એક મૂળભૂત રૂપ હોય છે, જેને ધાતું કહે છે. તેનું વિવિધ રસ્તે વિસ્તરણ થાય છે અને શબ્દ બને છે તેને ઉપસર્ગ જોડી નવા શબ્દો બનાવાય છે, તેને સારી રીતે રજૂ કરવામાં આવે છે અને તેના અર્થો સમજાવવામાં આવે છે અને વાક્યો બનાવવામાં આવે છે અને આમ જ્ઞાનનું સંસ્કરણ અને સંવર્ધન કરવામાં આવે છે. આને જ્ઞાનનું પ્રોસેસિંગ કહે છે. કોમ્પ્યુટર આ જ કરે છે. વ્યાકરણનો મૂળ આધાર તર્ક છે. કૉમ્પ્યુટર સાયન્સનો પણ મૂળ આધાર તર્ક છે. વ્યાકરણ ગણિતશાસ્ર જ છે, ગણિતશાસ્રના સમીકરણો ભાષા જ છે અને તેનાં ચિહ્નો પણ થોડામાં વધારે કહેનારી ભાષા જ છે. સંશોધન પણ આ જ રસ્તે છે, બીજ-વિચારમાંથી વિસ્તૃત થઈ જેમ બીજ વૃક્ષ થાય તેથી વિચાર એક સઘન જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ બીજ-વિચાર વિસ્તૃત થઈ એક થિયરીમાં વિકાસ પામે છે, થિયરીનું રૂપ ધરે છે. માનવીના ઈન્ટયુશનથી, તેના પ્રાણમાંથી તદ્દન નવો વિચાર ઉત્પન્ન થાય છે. ઈન્ટયુશન પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે. કૉમ્પ્યુટરની ભાષા બાયનરી સિસ્ટમ ૦ અને ૧ છે. તે હકીકતમાં ૦૧૨...૯નું મોડ્યુલો-૯ સિસ્ટમનું નાનું રૂપ છે. દશાંશ પદ્ધતિમાં ૯ પછી ૧૦ આવે પછી તે ૧૯ સુધી ચાલે અને પછી ૨૦ આવે. બાયનરી સિસ્ટમ એ મોડ્યુલો એક સિસ્ટમ છે જે O અને J સુધી ચાલે ૨ માટે ૧૦ લખાય, ૩ માટે ૧૧ લખાય વગેરે. આ દશાંશ પદ્ધતિ તર્ક પર અને વ્યાકરણની રીત પર જ ચાલે છે. માટે જ ભારતીય મનીષીઓ નંબર સિસ્ટમ, દશાંશ પદ્ધતિનો આવિષ્કાર કરી શક્યા. વિજ્ઞાન અને ગણિતમાં ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે, જે મૂળમાં પાણિનિના વ્યાકરણના આધારે ચાલે છે. સંસ્કૃત ભાષાનું સર્જન પાણિનિના વ્યાકરણનું સર્જન છે. તર્કશાસ્રનો વિકાસ પણ પાણિનિના વ્યાકરણ પર છે.

પાણિનિના વ્યાકરણે જ્ઞાનનો વિકાસ કરવા આધાર પૂરો પાડ્યો, એક સૂત્રાત્મક રીતને દર્શાવી બીજમાંથી વૃક્ષ કેવી રીતે વિસ્તાર પામે તેની મૂળભૂત સમજણ આપી. આપણે જ્યારે નજ્ઞાનની ચર્ચાપ કે દલીલ કરીએ ત્યારે આપણને અદૃશ્ય સ્વરૂપે પાણિનિના વ્યાકરણનાં જ દર્શન થાય છે. સામી દલીલો એ પ્રમાણે જ ચાલે છે. વિજ્ઞાનીઓનું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ જ કાર્ય કરે છે.

કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ વિચારે છે કે પાણિનિના વ્યાકરણના કયા કયા નિયમો છે જેને તેઓ હજું સમજ્યા નથી અને સમજે તો તેના આધારે કૉમ્પ્યુટર સાયન્સનો વધારે વિકાસ થઈ શકે. બુલિયન એલ્જિબ્રા (એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા), સેટ થિયરી પણ પાણિનિના વ્યાકરણનો જ એક ભાગ છે. કોઈ વિજ્ઞાની પાણિનિના વ્યાકરણને ભણ્યો હોય કે ન ભણ્યો હોય પણ તેની શોધના પાયામાં પાણિનિના વ્યાકરણનું તર્ક જ કાર્ય કરતું હોય છે. કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને પ્રોસેસિંગ આ જ રસ્તે ચાલે છે.

વિચારોના સાચા ઈતિહાસની પાછળ પણ પાણિનિના વ્યાકરણનું તર્કવિજ્ઞાન કાર્યરત હોય છે. વિદ્યાર્થીઓને જેમ ગણિતશાસ્ર ગમતું નથી તેમ તેમને વ્યાકરણ પણ ગમતું નથી. આ બંનેનું સ્વરૂપ એક જ છે. વ્યાકરણ જેણે આત્મસાત્ કર્યું હોય તેને ગણિતશાસ્ર આસાનીથી આત્મસાત્ થાય છે. તેમ જ કૉમ્પ્યુટર સાયન્સ પણ આસાનીથી આત્મસાત્ થાય છે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાન ગણિતશાસ્ર પર આધાર રાખે છે અને મોટા ભાગે ગણિતશાસ્રીઓ જ આ કાર્યક્ષેત્ર ખેડે છે. બાયનરી સિસ્ટમ ગણિતશાસ્રની ઊપજ છે. કૉમ્પ્યુટર વિજ્ઞાનના અલ્ગોરિધમો ગણિતના જ્ઞાન વગર થઈ શકતા નથી. ગણિતશાસ્રમાં જ તેને બરાબર બનાવી શકે અથવા તો ગાણિતિક મગજવાળા, ભલે તે ગણિત ભણ્યા ન હોય તેઓ જ કોમ્પ્યુટરના અલ્ગોરિધમો સારી રીતે બનાવી શકે. ગણિતશાસ્ર વળી પાછું અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણને જ અનુસરે છે. જેનું ગણિત સારું હોય તે વ્યાકરણને કે કોઈ પણ શાસ્રને આત્મસાત્ કરી શકે. આ વ્યાકરણ અને ગણિતનું દુનિયાના જ્ઞાનમાં મહત્ત્વ છે. ઉચ્ચ કોટીના વકીલો પણ વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્ર પર જ આધાર રાખે છે. તેમનું આ શાસ્રોનું જ્ઞાન સારું હોય છે. પ્રશ્ર્ન એ છે કે કયો વકીલ મહાન બને? જેનું અદૃશ્ય રીતે વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્રોનું જ્ઞાન સારું હોય. વ્યાકરણશાસ્રી, તર્કશાસ્રી અને ગણિતશાસ્રી કે વિજ્ઞાનનો જાણકાર જો વકીલ બને તો તે સારો અને સફળ વકીલ બની શકે.

જ્ઞાનની કોઈ પણ શાખામાં તે પછી વિવિધ વિજ્ઞાનશાખા હોય, વકીલાત હોય, ભાષાશાસ્ર હોય, વેપાર-વાણિજય હોય, ટૅક્નોલોજી હોય, શિલ્પશાસ્ર કે પુરાતત્ત્વ વિજ્ઞાન હોય છેવટે વ્યાકરણના તત્ત્વજ્ઞાન પર જ આધાર રાખે છે, જ્યારે કોઈ પણ નવી શોધ થાય છે તે અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણની તારણ મેળવવાની રીત પર જ આધાર રાખે છે. કોમ્પ્યુટર સાયન્સનો વિકાસ આ જ રીતે થયો છે, થાય છે અને થશે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને પાણિનિના વ્યાકરણનો અને તેનું ડેમોન્સ્ટ્રેશન કરતી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો જરૂરી છે. હા, કોઈ અપવાદરૂપ હોઈ શકે જે કોમ્પ્યુટર સાયન્સમાં વ્યાકરણ અને સંસ્કૃત ભાષાના અભ્યાસ વગર આગળ વધેલો હોય, પણ બારીકાઈથી જોઈએ તો તેના મગજમાં આ વ્યાકરણ અને તર્ક કુદરતી રીતે આવીને બેઠેલાં હોય છે. એમ તો આપણી પાસે કેટલાય એવા દાખલા છે જ્યાં અભણ માણસો મહાન વિચક્ષણ હોય છે. તે તેમનામાં કુદરતની ભેટ છે. રામાનુજન ફેરાડે, એડિસન આવા દાખલા છે. આવા તો દુનિયામાં ઘણાં નાના મોટા ઉદ્યોગપતિઓના દાખલા છે. તેમાં પેઢી દર પેઢી જિન્સમાં ઊતરેલા વ્યાકરણનો જ પ્રભાવ હોય છે, જેથી જન્મજાત તેમની બુદ્ધિ વિચક્ષણ બનેલી હોય છે. આમ જુઓ તો જિન્સમાં જ વર્ણો પેદા થયેલા હોય છે. બારીકાઈથી જોઈએ તો શરીર રચના પણ વ્યાકરણના આધારે થયેલી છે. વ્યાકરણ બ્રહ્માંડનું કુદરતનું ગૂઢ રહસ્ય છે. તે પરમબ્રહ્મનો આવિષ્કાર છે. રૂપ છે. વ્યાકરણ માત્ર વ્યાકરણ જ નથી પણ બ્રહ્માંડની ફિલોસોફી છે. વ્યાકરણ એટલે રચનાની સિસ્ટમ. વ્યાકરણ કોઈ જ પણ મશીનની વિચારશક્તિ કરતાં વધારે શક્તિશાળી છે જે કૉમ્પ્યુટર મશીનને પણ આવરે છે. આપણું મગજ જે ચાલે છે તેની પાછળ વ્યાકરણના પાઠો છે. મગજ પોતે જ વ્યાકરણની માયાજાળ (નેટવર્ક) છે. મગજના માંસના લોચોના કણ કણમાં વ્યાકરણ છે. આપણા શરીરની રચના પર ઊંડો વિચાર કરીએ તો માલૂમ પડે કે તે વ્યાકરણની દેન છે. જે પાણિનિએ આપણા માટે તાદૃશ્ય કર્યું છે. માટે જ પાણિનિ મહાજ્ઞાની ગણાય છે અને તેની અષ્ટાધ્યાયી મહામૂલો ગ્રંથ ગણાય છે.

વેદ-ઉપનિષદોની હારનો તે ગ્રંથ છે. હકીકતમાં તે વેદો-ઉપનિષદોનું ફળ છે. અષ્ટાધ્યાયીનો ભાષ્યકાર પતંજલિ પણ માટે જ મહાન બની ગયો.

પાણિનિની અષ્ટાધ્યાયી માત્ર શબ્દોનું જ પૃથક્કરણ કરતી નથી, પણ વાક્યનું પૃથક્કરણ કરવાનું બંધારણ પૂરું પાડે છે, રીત પૂરી પાડે છે. આનો જ કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે અને વિજ્ઞાન અને ગણિતમાં પણ. આજ પાણિનિના વ્યાકરણનો ભૌતિકશાસ્રીય અર્થ છે. આ આઈન્સ્ટાઈનના ભૌતિકશાસ્રના ભૂમિતિકરણ જેવું છે. આઈન્સ્ટાઈનને કેવી રીતે ભૌતિકશાસ્ર અને ભૂમિતિમાં ઢાળી દીધું. બીજા અર્થમાં ભૂમિતિને ભૌતિકશાસ્ર બનાવી દીધી. તેની પાછળ અદૃશ્ય રીતે વ્યાકરણની માયા છે. આને જ મગજની જ્ઞાન પ્રોસેસિંગની ક્રિયા કહે છે.

અજાણતા પણ કૉમ્પ્યુટરનો જન્મ જ વ્યાકરણના આધારે થયો છે. વૉનનોયમને ગણિતના આધારે જ ડીએનએ (DNA) અને આરએનએ (RNA)ની રચના અને કાર્યને ઉજાગર કરેલું જેને સર ફ્રાન્સિસ ક્રીક અને જેમ્સ વાટ્સને ભૌતિક રીતે તાદૃશ્ય કર્યું અને ડેમોન્સ્ટ્રેશન કર્યું, જ્યાં સુધી તમારું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ કાર્ય ન કરે ત્યાં સુધી તમે નવી શોધ કરી જ ન શકો.

પાણિનિના વ્યાકરણની રચના બીજ ગાણિતિક છે જે પૃથક્કરણની રીતે, પૃથક્કરણની રચનાએ શબ્દો ઉત્પન્ન કરતાં અને એવા વાક્યો ઉત્પન્ન કરતાં અને અર્થ કરતાં કૉમ્પ્યુટરને જન્મ આપ્યો છે, શબ્દો એ વાક્ય ઉત્પન્ન કરતાં મશીનને જન્મ આપ્યો છે, પોતાની મેળે જ્ઞાનના પૃથક્કરણને કરતા મશીનને જન્મ આપ્યો છે. તેમ છતાં તે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજના માંસના લોચાના કણેકણમાં વ્યાકરણનું પૃથક્કરણ સમાયેલું છે. મશીન વિવિધ પાર્ટ્સનું બનેલું હોય તેની ક્ષમતા વધી વધીને કેટલી વધે? કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ કૉમ્પ્યુટરની આ ક્ષમતાને વધારવા માગે છે. માટે તે પાણિનિના વ્યાકરણને આત્મસાત્ કરવા માગે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=494313


No comments:

Post a Comment