Showing posts with label તંત્રીલેખ. Show all posts
Showing posts with label તંત્રીલેખ. Show all posts

Wednesday, September 17, 2014

ન્યાયતંત્રની સ્વતંત્રતા?: વાસ્તવિકતા જુદી હોય છે -- તંત્રીલેખ -- 16-09-2014

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140421

ન્યાયતંત્રની સ્વતંત્રતા એ બાબત ચવાઈ ચવાઈને કુચ્ચો થઈ ગઈ છે. પગ હેઠળ પાણી આવે છે તેવે વખતે જ ન્યાયતંત્રને તેની સ્વતંત્રતા યાદ આવે છે. જ્યારે ચીફ જસ્ટિસ નિવૃત્ત થવાના હોય છે તેવે વખતે મગરના આંસુ પાડે છે. આવો ક્રમ વર્ષોથી પ્રજા જોઈ રહી છે. સામાન્ય વ્યક્તિ તો ન્યાયતંત્રથી દૂર ભાગી રહી છે કારણ કે "ન્યાય માગવા કોણ જાય છે તે સૌ કોઈ જાણે છે.

બીજાઓની ટીકા કરતું ખુદ ન્યાયતંત્ર કેવું છે? ભ્રષ્ટાચારથી ખદબદતું ન્યાયતંત્ર ન્યાય અને કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યું છે. મુદતો પાડવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કયા અને કેવા સંજોગોમાં મુદતો આપવી તે અંગે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેનો સબોર્ડીનેટ કોર્ટ દ્વારા કદી અમલ કરવામાં આવતો નથી.

એક સિવિલ મેટર કે ક્રિમિનલ મેટરમાં મુદતો કેટલી હોય શકે? કબૂલ છે કે નવી નવી વિગતો રજૂ થતી હોય તો ન્યાયમૂર્તિને પણ અભ્યાસ કરવા - ચિંતન અને વિચાર કરવા પૂરતો સમય મળવો જોઈએ. વિગતો રજૂ થયા પછી ૧૫-૨૦ કે ૨૫ દિવસની વિચારણાનો સમય હોવો જોઈએ, પરંતુ સામાન્ય અને પરચુરણ બાબતમાં ૧૧-૧૧ મહિનાની મુદતો પડે છે!

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ભલે ગમે તે કહે, પરંતુ આજે સમાજમાં સૌથી વધુ ધિક્કાર અને હાંસીને પાત્ર ન્યાયતંત્ર છે. ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટમાં જે પિટિશન કરવામાં આવે છે તે ૨૦૦ થી ૪૦૦ કે ૫૦૦ પાનાંની હોય છે. કયો ન્યાયમૂર્તિ આટલા પાનાં વાંચતા હશે? જાહેરમાં ચર્ચા કરવા પડકાર છે.

નીચલી કોર્ટમાં ન્યાયમૂર્તિઓની બુદ્ધિપ્રતિભા તદ્દન કંગાળ છે. ઘણાને તો કાયદાનું પૂરતું જ્ઞાન હોતું નથી. ચાલુ અદાલતે દલીલબાજી થતી હોય છે તેવે વખતે ઘણા ન્યાયમૂર્તિઓ ઝોકાં ખાતા જોવામાં આવ્યા છે. શું આવી દરેક બાબતોના ફોટા પ્રસિદ્ધ થાય તો જ તેવી બાબતો સાચી છે તેમ પુરવાર થાય?

ન્યાયતંત્ર બદનામ થઈ રહ્યું છે તેમાં ખુદના કરતૂતો છે. કોલેજીયમ સિસ્ટમમાં સગાવાદ અને પ્રાંતવાદ કોણે ઘુસાડ્યા? ડૉ. અભિષેક મનુ સિંઘવીએ કેવા ધંધા કર્યા હતા - તેની ચર્ચા કેમ બંધ થઈ ગઈ? ચીફ જસ્ટિસે પહેલા આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. ત્યારબાદ ન્યાયતંત્રની સ્વતંત્રતાના ફીફાં ખાંડવા જોઈએ.

સુધરાઈ અને મહાપાલિકાની ગટરોમાં સ્વચ્છતા આવી છે - જાળવણી થાય છે અને નિયમિત સફાઈ કરવામાં આવે છે, પરંતુ ન્યાયતંત્રમાં આટલા વર્ષમાં કોઈ જ પ્રક્રિયા બદલાણી નથી અને જડ નિયમો દૂર કરવાની તો કોઈ વાત જ બાકી રાખવી. આટલા વર્ષો બાદ ત્યાં ફાઈલોના ઢલગા - ખોટેખોટા કાગળિયા લઈને દોડતા અરજદારો અને વકીલો સિવાય ત્યાં કોઈ જોવા મળતું નથી.

બાર કાઉન્સિલ અને બાર એસોસિયેશન તો સ્થાપિત હિતોના અડ્ડા બની ગયા છે. જે વ્યવસાય બુદ્ધિનો ગણાતો હતો - તર્કસંગત ન્યાયની જે અપેક્ષા રાખવામાં આવતી હતી તે જ વ્યવસાય આજે શું છે અને પ્રજા તેમના માટે કેવો અભિપ્રાય આપે છે તે જાણવા એક મોજણી કરાવવાની જરૂર છે. આવો પડકાર ઝીલનાર કોઈ મળતું નથી.

જ્યાં "સત્યમેવ જયતે લખાયું છે તે જ અદાલતોના કંપાઉન્ડમાં સાક્ષીઓને ફોડવામાં આવે છે, ખોટી જુબાની બદલ લેતીદેતી થાય છે અને ન્યાયનું વેચાણ થાય તેવી કામગીરી થઈ રહી છે. આમાંનું કશું જ અદાલતોના ધ્યાન બહાર નથી, પરંતુ તેમના દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવે વખતે પ્રશ્ર્ન છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા કયાં છે?

સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટની કામગીરીનું રેકોર્ડિંગ કરવાની દરખાસ્ત કેમ આગળ વધતી નથી? આવી બાબતથી કોની સ્વતંત્રતા પર તરાપ પડવાની છે? પ્રજાને શંકા જાય તેવી કામગીરીમાં ખુદ ન્યાયતંત્રની સામેલગીરી છે. થોડામાં ઘણું કહેવાયું છે હવે તેમાં સચ્ચાઈ કઈ છે તે પુરવાર કરવાનું કામ તેમનું છે.

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે અને તેને છાવરી શકાય તેવું રહ્યું નથી. જે રીતે ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા બાદ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે તે દર્શાવે છે કે જળ કેટલા ઊંડા છે. ન્યાયતંત્ર પણ સગાવાદ - પ્રદેશવાદ અને ભાઈ-ભતીજાવાદથી ખદબદી રહ્યું છે. ન્યાય જેવું કશું જ રહ્યું નથી માત્ર તંત્ર રહ્યું છે.

ન્યાયતંત્ર સાથે સંકળાયેલાઓ માત્ર અંગ્રેજી ભાષાના દૈનિકો અને તેમની જ ટીવી ચેનલો જુએ છે. તેમને પ્રાદેશિક ભાષાના માધ્યમો શું પ્રત્યાઘાત આપે છે તે જાણવાની પરવા રહી નથી, પરંતુ સૌથી મોટો બેઝ ભાષાના માધ્યમોનો છે અને તેઓ ન્યાયતંત્રના તમામ ભાંડા ફોડવાના છે.

જ્યાં હજારો - લાખો કેસ પડતર હોય અને પ્રજામાં ન્યાયતંત્ર સામે વ્યાપક નારાજગી હોય ત્યાં સ્વતંત્રતાની વાત કરવી વ્યર્થ છે. આવી ચર્ચામાં કોઈને રસ નથી. ન્યાયતંત્રએ પહેલા પોતાનું ઘર સંભાળવાની જરૂર છે. ગામને મોઢે ગળણું બાંધી શકાતું નથી. તમામ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા નવો ઓપ માગે છે.

Friday, September 12, 2014

કાશ્મીર: દૈવી કૃત્ય સામે જવાનોનું માનવતાવાદી કાર્ય --- તંત્રીલેખ 12-09-2014

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140001

જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફતના સમયે ભારતીય લશ્કરના જવાનો અને અધિકારીઓ દ્વારા જે માનવતાભર્યાં રાહતના કાર્ય કરવામાં આવ્યાં છે તે અવર્ણનીય છે, અને પ્રશંસાને પાત્ર છે. આટલાંં વિપરીત વાતાવરણમાં - પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટાંચાં સાધનો છતાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તે કોઈ નાની બાબત નથી.

ભારતીય લશ્કરની ત્રણેય પાંખ દ્વારા ખૂબ જ સુંદર રીતે સંકલિત રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા સાથે છ લાખ લોકોને વિવિધ મદદ આપવામાં આવી છે. સેંકડોની સંખ્યામાં બોટ કામે લાગી છે. મધ્યપ્રદેશ-ગુજરાત-રાજસ્થાન અને મહારાષ્ટ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરની પ્રજાને મદદની જાહેરાત કરવામાં આવી છે.

કુદરતી આપત્તિમાં કોઈની ટીકાટિપ્પણ યોગ્ય નથી છતાં એમ કહી શકાય કે હજુ ૨૦ દિવસ અગાઉ કાશ્મીરના જે અલગતાવાદી તત્ત્વો પાકિસ્તાનના હાઈ કમિશ્નરને મળવા ગયા હતા તેમાંના કોઈ પ્રજાની મદદ માટે બહાર આવ્યા નથી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર સરકારના ૯૦ ટકા પ્રધાનો અને સેંકડોની સંખ્યાના અધિકારીઓ ક્યાં છે તેની કોઈ માહિતી મળતી નથી.

કાશ્મીરની પ્રજાને બહેકાવવામાં કોઈ બાકી રાખી નથી તેવા કહેવાતા બૌદ્ધિકો જેમાં દિલીપ પડગાંવકર અને કુલદીપ નાયર જેવી વ્યક્તિનો સમાવેશ થાય છે તેઓ તો દિલ્હીમાં પણ શોધ્યા ય જડતા નથી!! કાશ્મીરની પ્રજાને આ બધી બાબતના રહસ્ય અને ભેદ સમજાવવા પડે તેમ નથી - તેઓ સઘળું જાણે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તદ્દન પ્રભાવહીન પુરવાર થયા છે. તેમણે પોતાની સરકારની કોઈ નિષ્ફળતાનો સ્વીકાર કર્યો નથી. આખો દિવસ તેઓ શું કરે છે તે સમજવું અતિ મુશ્કેલ છે. બાકી જો દિલ્હીનો દોષ શોધવો હોય તો તેઓ હંમેશાં અગ્રેસર હોય છે. કામ કર્યું છે તે ભારતીય લશ્કરના જવાનોએ કર્યું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસ તો ક્યાંય દેખાતી જ નથી. જમ્મુ-કાશ્મીરમાં પૂરથી નુકસાન વ્યાપક માત્રામાં થયું છે, પરંતુ પૂરના માત્ર કુદરતી કારણ નથી. દૈવી કારણ પણ છે. જે બહુ ઓછા લોકો સ્વીકાર કરે તેવું છે ખાવું એકનું અને વફાદારી બીજા સાથે રાખવી, બોલીને ફરી જવું અને કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવા અને તેમની મિલકતો પડાવી લેવી - અલગતાવાદી તત્ત્વો સાથે સાંઠગાંઠ રાખવી, આ તમામ બાબતનો સંયુક્ત પ્રત્યાઘાત આ પૂરમાં હોય તેમ લાગે છે.

અબ્દુલ્લા કુટુંબ તો દિલ્હીમાં સત્તામાં જે હોય તેમની સાથે નાતરું કરે છે. કૉંગ્રેસ હતી તોે કૉંગે્રસની સાથે અને હવે ભાજપ છે તો ભાજપની સાથે રહેવું તે તેમનો ક્રમ છે. તેઓએ તો સ્પષ્ટ કહ્યું કે પ્રજાનો રોષ સમજી શકાય તેવો છે, પરંતુ તેમની નિષ્ફળતા છે તે વાત કેમ સ્વીકારતા નથી? જોકે હવે કાશ્મીરી પ્રજા ઘણું સમજી રહી છે.

પૂર માત્ર ભારત હસ્તકના જમ્મુ-કાશ્મીરમાં જ નથી, પરંતુ પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં પણ તેટલી જ નુકસાની થઈ છે. ત્યાં જે બરબાદી થઈ છે તેનો એક શબ્દ કોઈ બોલતું નથી તેની તુલનામાં ભારતીય લશ્કરના જવાનોએ જે કામગીરી કરી તે અન્યને માટે પ્રેરણારૂપ છે જેમની પર પથ્થર ફેંકવા માટે કાશ્મીરી નેતાઓ પ્રજાને ચડાવતા હતા તેજ ભારતીય લશ્કરના જવાનો આજે બોટ લઈને લોકોને બચાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરની પ્રજા માટે આ ઘડી એક મનોમંથનની છે કે તેઓએ ક્યાં ભૂલ કરી - કોની ચઢવણીથી ભૂલો કરી અને હવે શું કરવું? ભારતની સાથે જવામાં અને રહેવામાં જ જમ્મુ-કાશ્મીરની પ્રજાનું શ્રેય છે તેટલી વાતનો મૌન રીતે સ્વીકાર થાય તો તેમનો કાયમ ખાતે ઉદ્ધાર થઈ જવાનો છે.

લેફ. જનરલ ડી.એસ.હુડાએ જમ્મુ-કાશ્મીરની પ્રજાને એક જ લીટીનો સંદેશ પાઠવ્યો હતો કે ભારતીય લશ્કરમાં વિશ્ર્વાસ મૂકવા બદલ આભાર - તમારું લશ્કર દરેકને ઉગારી લેશે આ પ્રકારના માનવતાવાદી શબ્દો જ કાશ્મીરની પ્રજા માટે માવજતભર્યા બની ગયા છે. કુદરતે જે ફટકો માર્યો છે તેના સૂચિતાર્થ હવે ખુદ કાશ્મીરની પ્રજા અને તેમની સાથે સંકળાયેલાઓ કરે તે જરૂરી છે. 

હવે જમ્મુ-કાશ્મીરની પ્રજાનો વિશ્ર્વાસ સંપાદન કરવા તેમને ચીજવસ્તુના સ્વરૂપે મદદ મોકલવા સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે તેમાં વાસણ-પ્લાસ્ટિકની ચીજવસ્તુ - ધાબળા - ખાવાપીવાની ચીજો જેમ કે દાળ-ચોખા-ચા અને અન્ય ખાદ્ય સામગ્રી મોકલવી રહી. વળી તેનું વિતરણ સ્વયં હસ્તક રાખવું કોઈ જ સરકારી વિભાગને તેમાં સામેલ કરવાની જરૂર નથી. હાલની પરિસ્થિતિનો દેશદ્રોહી તત્ત્વો લાભ ન ઉઠાવે તેટલા માટે ચીજવસ્તુના સ્વરૂપે કાશ્મીરી પ્રજાને મદદ મોકલવી રહી. કાશ્મીરમાં વર્ષ ૨૦૦૭માં ધરતીકંપ અને ત્યારબાદ સતત રાજકીય અશાંતિ-અનિશ્ર્ચિતતા અને હવે પૂરપ્રકોપ એકપણ રીતે ગાડી પાટે ચઢતી નથી તેના માટે આંતરિક મનોમંથન પ્રજાએ કરવાની જરૂર છે.

કાશ્મીરી પ્રજા માત્ર ગુસ્સો કે આક્રોશ વ્યક્ત કરે તે યોગ્ય નથી. તેમણે પણ ચિતાં કરવાની જરૂર છે કે કુદરતના કયા સિદ્ધાંત કે નિયમથી વિપરીત તેમના કાર્ય છે, જેથી આવા પરિણામ જોવા મળી રહ્યાં છે. કાશ્મીરી પંડિતોના નિસાસા લાગ્યા છે? દરેક ધર્મ કહે છે કે જેવું કરો તેવું પામો છો. આ વાત સમગ્ર વિશ્ર્વને સમાન રીતે લાગુ પડે છે.

Saturday, June 7, 2014

ધર્મસત્તા વગરની લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે --- તંત્રીલેખ 12-08-2013

છેલ્લાં ૧૫૦-૨૦૦ વર્ષમાં વિશ્ર્વમાં લોકશાહી વ્યવસ્થા પાંગરી છે. તેમાં એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. બ્રિટન પોતાને લોકશાહીનું કેન્દ્ર ગણાવે છે. બ્રિટનની લોકશાહી વ્યવસ્થાએ અનેક નવાં પરિમાણ સ્થાપિત કર્યાં છે. એક દૃષ્ટાંતરૂપ લોકશાહી વ્યવસ્થા વિકસાવવાનું અભિમાન બ્રિટન લઈ શકે છે.

ભારતમાં લોકશાહી તેથી પણ જૂની છે, પરંતુ આ વ્યવસ્થામાં ધર્મસત્તા પ્રભાવક પરિબળ હતું જેનો આજે કાંકરો કાઢી નાખવામાં આવ્યો છે. આથી જ હવે ભારતમાં લોકશાહી વ્યવસ્થા પાંગળી અને પરવરશ બની છે. લોકશાહીના શાસકો પર નિયંત્રણ અને અંકુશ કોનો? પ્રજાને તો ગણકારતા જ નથી. તેઓ પોતાના સ્વાર્થ - મતલબ માટે બંધારણ અને કાયદો સુધારવા મક્કમ છે.

વળી બંધારણમાં સુધારો શા માટે? જવાબ મળે છે કે ન્યાયતંત્રે નિર્ણય કર્યો છે કે એક પણ કક્ષાએ ફોજદારી ગુનામાં સંડોવણી પૂરવાર થઈ હોય તો પછી ચૂંટણી લડી ન શકાય. હવે આ બાબતે બંધારણમાં ફેરફાર કરીને તમામ રાજકીય પક્ષો એક થઈને બંધારણ પોતાને યોગ્ય અને અનુકૂળ રહે તેમ કરવા તૈયાર થઈ ગયા છે!! આ બાબતને કેવી લોકશાહી ગણવી? આમાં પ્રજાનો અવાજ

ક્યાં છે?

પ્રાચીન ભારતનું એક દૃષ્ટાંત સમજવા જેવું છે. રાજા દુષ્યંત એક વખત શિકાર માટે નીકળ્યા હતા. તેમની નજરમાં એક હરણ આવ્યું. હરણને મારવા તેઓ રથ લઈને દોડ્યા, પરંતુ હરણ અધિક ગતિથી આગળ જતું રહ્યું. વધારે ઝડપ રાખી તેની પાછળ ગયા તો કણ્વ ઋષિના આશ્રમ પાસે એક ઋષિકુમાર બહાર આવ્યા. તેમણે કહ્યું કે ‘રાજન તમારાં તીર - બાણ નીચે મૂકો - આ આશ્રમનું હરણ છે અને તે અવધ્ય છે.’

રાજાએ આ આદેશને સ્વીકારવો પડ્યો, કારણ કે ઋષિકુમાર ધર્મસત્તાના પ્રતિનિધિ હતા. અહીં રાજસત્તા ધર્મસત્તા પાસે નમે છે. ભારતીય જનસમાજે ધર્મને હંમેશાં અમૃત સમાન ગણ્યું છે. ઋષિ અને સંતોએ જે પરંપરા સ્થાપિત કરી છે તે અપૂર્વ છે. તેમાં સ્વાર્થ નથી, પરંતુ સમર્પણ છે. ધનસત્તા પણ ધર્મસત્તા પાસે નમન કરે છે.

આજે રાજકીય પક્ષો - તેમની વિચારધારા અને તેમના નેતૃત્વનાં કરતૂતો - કામગીરી આ બધાથી પ્રજા ગળે આવી ગઈ છે. લોકો હિંસક બને તેટલી જ વાર છે. જો એકવાર ભડકો થયો તો બધા રાજકીય પક્ષો સંપી જશે તો પણ આગ બુઝવાની નથી તેટલો ભયંકર રોષ પ્રજામાં પ્રજવળી રહ્યો છે. પ્રજા હવે તો સ્વરાજને સોનાનું પિંજરું ગણે છે.

ધર્મ એટલે ન્યાય, નીતિ - મૂલ્યો - સિદ્ધાંત એમ સમજવાનું છે. આજની રાજકીય પ્રક્રિયામાં ક્યાંય આમાંનો કોઈ અંશ જોવા મળે છે ખરો? વિચારોની દૃષ્ટિએ પણ તેઓે કંગાળ છે. ખોટું બોલવાનું તો એટલું સહજ છે કે પાંચ વર્ષમાં એકાદ-બે વાત જ સાચી કહી હોય છે બાકી જુઠ્ઠાણાં પર જુઠ્ઠાણાં હોય છે!!

જુઠ્ઠાણાની હદ તો ત્યાં આવી જાય છે કે સુપ્રીમ કોર્ટને ખાતરી આપ્યા પછી પણ તેમના આદેશને ઘોળીને તેઓ પી જતા હોય છે!! રંગેહાથ પકડાયા બાદ તેમને શરમ ન હોય તેવા લોકો આજે કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળી રહ્યા છે. આવા લોકોને વહેલી તકે રવાના કરવા તે જ હવે તો પ્રજાધર્મ બનવો જોઈએ.

ધર્મ એટલે સારા સંસ્કાર, અન્યની ભલાઈની વાત, સદ્ગુણ વિકાસ, પવિત્રતા, આચાર, વિચારની શુદ્ધતા - સત્ય અને ન્યાયપ્રિયતા - અપરિગ્રહ સંયમી જીવન - આવાં તો અનેક લક્ષણથી ધર્મ ઓળખાય છે. ધર્મની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ તેના જે ગુણ છે તેનાથી ધર્મની ઓળખ બને છે. ત્યાગ એ ધર્મની સૌથી મોટી બાબત છે. આજે કોઈ રાજકારણી ત્યાગ કરવામાં માનતો જ નથી.

ધર્મ અને રાજ્યસત્તા બન્નેની ભેળસેળ થઈ જવાથી લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે. લોકશાહી પ્રતિ પ્રજાની નફરત જોવા મળે છે. પ્રજાનો વિશાળ વર્ગ કહે છે કે લોકશાહી છે એટલે જ આવું ચાલે છે!! પરંતુ લોકશાહીમાં નિયંત્રણ - અંકુશ જે હોવા જોઈએ તેનો અભાવ છે, અંકુશ વગર તો હાથી પણ મદોન્મત્ત થઈ જાય છે.

આપણી રાજ્યવ્યવસ્થા જે ખૂટે છે તે સ્વ નિયંત્રણ - સ્વયંશિસ્ત અને સ્વઅંકુશની ખામી દરેકને બકવાસ કરવાની છૂટ છે!! જેમણે બોલવું જોઈએ તે બોલતા જ નથી!! વડા પ્રધાને હજુ સુધી સરહદ પર બનેલી ઘટના અંગે ટીકા કે રોષ કરીને વ્યક્ત કર્યો નથી. આ કઈ જાતની લોકશાહી ગણવી કે જેમાં શાસક જ અસંવેદનશીલ હોય!!

પ્રજા આજે ત્રાસી ગઈ છે. તેમને પરિણામ જોઈએ છે. એટલા માટે જ પરિવર્તન માગી રહી છે. લોકશાહી એટલે પ્રજાનો અવાજ - લોકશાહી એટલે પ્રજાનાં હિતમાં કલ્યાણકારી નિર્ણય - લોકશાહી એટલે પ્રજાની સુખાકારી - લોકશાહી એટલે ન્યાયની શુદ્ધતા સાથેનો વહીવટ - લોકશાહી એટલે ધર્મમય વ્યવહાર, લોકશાહી એટલે સત્ત્વશીલતા આચાર અને વિચાર સાથેની હોવી જોઈએ.

Saturday, March 29, 2014

તંત્રીલેખ -- ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં

ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં


રાજકીય અસ્થિરતાની અતિ ભારે કિંમત ભારતે ચૂકવવી પડે તેવું દેખાય છે. હાલમાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીની વર્તણૂક અને કાર્યપદ્ધતિ છે તે જોતાં એમનું નિશાન ડૂબતી જતી કૉંગ્રેસ નથી, પરંતુ ભાજપ છે, પરંતુ રાજકીય અસ્થિરતાની કિંમત મધ્યમવર્ગનો માણસ જ ચૂકવવાનો છે કે જેમને આગળ જવું છે, નવા લક્ષ્યાંક સિદ્ધ કરવા છે અને જીવનધોરણ સુધારવું છે.

જે રીતે આમ આદમી પાર્ટી કોઈ જ એજન્ડા વગર કાર્ય કરે છે અને વાવાઝોડાની જેમ ફરે છે તેમનો આશય શું છે? તેઓ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે, ઉદ્યોગપતિઓ પર દોષારોપણ કરે છે, પરંતુ તેમના 

ખુદના પક્ષમાં શું બધા દૂધે ધોયેલા છે? કેજરીવાલ પણ તરંગી પ્રકૃતિના છે, તેમણે અનેક નોકરી બદલી છે અને સાથી કાર્યકરો સાથે વિવાદ ઊભા 

કર્યા છે.

કૉંગ્રેસ પક્ષે તેમને આગળ કર્યા છે. કૉંગ્રેસનું કલ્ચર એવું રહ્યું છે કે ૧૯૯૬-૯૭ અને ૧૯૯૭-૯૮ એ બે વર્ષમાં તેમણે ‘બહારથી ટેકો’ આપીને દેવગૌવડા અને આઈ. કે. ગુજરાલ એમ બે વડા પ્રધાનથી કામ ચલાવ્યું હતું. ત્યારબાદ પણ વાજપેયી સરકારને સ્થિર થવા દીધી નહોતી, પરંતુ તેમણે કામકાજ આગળ વધાર્યું હતું.

ત્યારબાદ ૨૦૦૪ અને ૨૦૦૯માં કૉંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો અને વિવિધ પક્ષના ટેકાથી સરકાર ચલાવી. તેમાં સ્વયં 

કામગીરી કરવાને બદલે સીબીઆઈ અને ઈન્કમટેક્સના દરોડા દ્વારા વેપારી - ઉદ્યોગપતિ અને કોર્પોરેટ જગતને બાનમાં પકડીને પોતાની સત્તા વિસ્તૃત કરી અને શાસન ચલાવ્યું. ‘બહારથી ટેકો’ એ સૌથી મોટો, રાજકીય ભ્રષ્ટાચાર હતો.

હવે કેજરીવાલને આગળ કરીને રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. કેજરીવાલ પણ છેલ્લાં ૧૦ વર્ષ કેન્દ્રમાં નિષ્ફળ શાસન ચલાવનાર કૉંગ્રેસ પક્ષને નિશાન બનાવવાને બદલે ભાજપ પર પથ્થર ફેંકે છે. આ રહસ્ય સમજાતું નથી. સૌથી વધુ ભ્રષ્ટાચાર, ગેરરીતિ કૉંગ્રેસે કર્યા છે તો પછી તોપનું નાળચું કેમ બદલાય જાય છે?

અગ્રણી કૉંગ્રેસી નેતાઓ ચૂંટણી લડવાને બદલે મેદાન કેમ છોડી રહ્યા છે? શા માટે ચિદમ્બરમ રાજ્યસભા માટે હવે આગ્રહ રાખે છે? મોદી લહેર સમગ્ર દેશમાં છે તેનું પ્રમાણપત્ર ખુદ કૉંગ્રેસ પક્ષ આપે છે. લોકશાહીમાં પરાજય સ્વીકારી લેવાની તૈયારી રાખવી જોઈએ. કારણ કે જય - પરાજય એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ કાયમી વિજેતા કે કાયમી પરાજિત 

નથી.

ભારતને રાજકીય અસ્થિરતા - જૂથવાદી રાજકીય પક્ષો અને સોદાબાજી પોસાય તેમ નથી. આ સઘળી બાબતો જ ભ્રષ્ટાચાર ફેલાવે છે. આવે વખતે ‘આમ આદમી પાર્ટી’એ પોતાનું મિથ્યાભિમાન પ્રગટ કર્યા વગર ઓછા ભ્રષ્ટ છે તેમની સાથે કોઈક એવી રીતે ગોઠવણ કરવી જોઈએ કે જેથી પ્રજા અને સમાજને ફાયદો થાય અને સારો વહીવટ આપી શકાય.

બાકી હાલમાં જે ‘ભાંગી નાખીશ’, ‘તોડી નાખીશ’ની જે રાજનીતિ આમ આદમી પાર્ટી અપનાવે છે તે સામાન્ય વ્યક્તિને જરા પણ સ્વીકાર્ય નથી. કૉંગ્રેસ પક્ષે જે રીતે આટલાં વર્ષો સુધી પ્રજાને ગેરમાર્ગે 

દોરવી તેનો પ્રત્યાઘાત યુવાન વર્ગમાં છે. આજનો યુવાન હવે કંઈ પણ ચલાવી લેવા માગતો નથી તેની સંબંધિત રાજકીય પક્ષોએ નોંધ લેવી 

જોઈએ.

કૉંગ્રેસ પક્ષ હંમેશાં કોઈકને ઢાલ બનાવીને જ કામ કરે છે. પહેલા દેવગૌવડા અને પછી ગુજરાલ ત્યારબાદ સીબીઆઈ દ્વારા મુલાયમસિંહ 

અને માયાવતી બન્ને એકબીજાના રાજકીય હરીફને પોતાની સાથે રાખીને કૉંગ્રેસે શાસન કર્યું છે તે હકીકત છે. આવી રાજકીય દગાખોરી માત્ર ભારતની પ્રજા સાથે જ સંભવી શકે છે. કૉંગ્રેસે કદી નૈતિક જવાબદારી સ્વીકારી જ નથી.

કૉંગ્રેસની આવી હલ્કી મનોવૃત્તિની કિંમત ભારતની પ્રજા ભાવવધારો, ભ્રષ્ટાચાર અને તદ્દન નબળી સરકારી સેવાઓ પેટે ચૂકવી રહી છે. મુંબઈ મહાનગરમાં ફૂટપાથ ચાલવા યોગ્ય રહી નથી. તમામની લાદીઓ ઊખડી ગઈ છે. આવો ભ્રષ્ટાચાર કોઈને દેખાતો નથી કારણ કે બધા જ સંપેલા છે. દરેક પક્ષ ‘હપ્તા’ અને ‘સુપારી’ દ્વારા ચાલે છે.

દિલ્હી જેવા રાજ્યના મુખ્યમંત્રીપદે રહી ચૂકેલી વ્યક્તિ આવી ‘છેલબટાઉ’ હોય તે પ્રજાને સ્વીકાર્ય બાબત બનતી નથી. તેમનામાં ગંભીરતા હોવી જોઈએ, બાકી વાતનું વતેસર તો આજે કોઈપણ કરી શકે છે. આવી બાબતમાં કોઈ જ બુદ્ધિની જરૂર નથી.

મતનું વિભાજન એ સ્પષ્ટ રીતે કૉંગ્રેસ પક્ષ માટે લાભની બાબત બની શકે છે. આ વખતની ચૂંટણી પહેલી વાર સાંસદોની જવાબદારી અને ફરજ ઉપરાંત તેમની કામગીરીની આસપાસ કેન્દ્રિત થયેલી છે. હવે માત્ર પ્રચાર કરવાથી જ ચૂંટણી જીતી શકાય તેમ નથી. પ્રજા સાંસદોની કામગીરીના લેખાંજોખાં કરે છે અને કંઈકને રવાના કરી દેવાની વાત માત્ર આ વખતે જ બનવાની છે.

Monday, January 13, 2014

તંત્રીલેખ - બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત

બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત


ભારતભરમાં એક જ ટાઈમ ઝોન છે. મતલબ કે જે સમય છે તે ઘડિયાળ અનુસાર આખા ભારતમાં એકસરખો સમય બતાવે છે. દિલ્હી અને ક્ધયાકુમારી ભલે એકબીજાથી સેંકડો માઈલ દૂર છે, પરંતુ બન્નેનો સમય એક જ છે. તેવી જ રીતે કોલકાતા અને ભૂજ બન્નેની ઘડિયાળ એકસરખો જ સમય બતાવે છે.

ભારત એક વિશાળ દેશ છે. તે ૬૮ અને ૯૭ રેખાંશ વચ્ચે પથરાયેલો છે. વિશ્ર્વસ્તરે બે રેખાંશ વચ્ચે ચાર મિનિટનો તફાવત રહે છે. ૩૬૦ રેખાંશ છે તેને ૨૪ કલાક વડે ભાગવામાં આવે તો પૂર્વ અને પશ્ર્ચિમનાં નગરો વચ્ચે ૧૧૬ મિનિટ એટલે કે લગભગ બે કલાકનો ગાળો છે. ૧૯૪૭માં જ્યારે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ સ્વીકારવામાં આવ્યો હતો તે વખતે ૮૨.૫ રેખાંશને સ્વીકૃત કરવામાં આવ્યો હતો. તેના આધારે સમયની ઘડિયાળ ફરતી હતી.

આ રેખાંશને કારણે બને છે એવું કે અરુણાચલ, આસામ, મેઘાલય જેવાં પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્ય સવારે ચાર વાગે ઊગે છે જ્યારે ગુજરાતના ભૂજ, અમદાવાદ વગેરે સ્થળે સૂર્યોદય સવારે સાત વાગ્યે થાય છે. આ બધાને કારણે ઓફિસ તો ત્યાં સવારે ૧૧ વાગ્યાથી કાર્યરત થાય છે. જ્યારે સાંજે વહેલી બંધ કરી દેવી પડે છે અથવા તો ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ સાંજે વધી જાય છે. આ બાબત પૂર્વોત્તર રાજ્યોને લાગુ પડે છે.

સવારે અને સાંજે બન્ને સમયે ઈલેક્ટ્રિસિટીનો વ્યય થાય છે. આસામના મુખ્યમંત્રી દ્વારા ઈલેક્ટ્રિસિટીના બચાવ માટે બે ટાઈમ ઝોનની માગણી કરવામાં આવી છે. કારણ કે પૂર્વનાં રાજ્યોની બૅન્ક, સરકારી ઓફિસ તેમજ વ્યાપારી સંસ્થાઓ દૂરના ભારતનાં મથકો સાથે તાલ મિલાવી શકતા નથી. કારણ એ છે કે તેમને ત્યાં અંધારું વહેલું થઈ જાય છે અને સૂર્યોદય સવારે વહેલો થાય છે.

૧૯૪૭ પૂર્વે બે ટાઈમ ઝોન હતાં. તે વખતે આટલો વેપાર, વ્યવહાર, રેલવે અને સંદેશા વ્યવહારની સુવિધા નહોતી છતાં કોલકાતા ૫=૩૦=૨૧ જીએમટીથી આગળ અને બોમ્બે ટાઈમ ૪=૫૧=૦૦ જીએમટીથી આગળનો હતો. પૂર્વોત્તર રાજ્યોથી બંગલાદેશ જે ભારતનો જ ભાગ હતું ત્યાં આજે અડધી કલાક આગળનો સમય પ્રવર્તમાન છે.

વર્ષ ૨૦૧૨માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા જણાવાયું હતું કે જો આ રીતે સમય ઝોનમાં ફેરફાર કરીને ઉચિત નિર્ણય કરવામાં આવે તો વાર્ષિક બે અબજ કિલોવોટ અવર્સની વિદ્યુત બચે તેવું છે. આ ફેરફારથી રેલવે, ટ્રાન્સપોર્ટ તેને કોઈ નકારાત્મક અસર થવાની નથી. એક વખત તેમાં સમયોચિત ફેરફાર થશે તો તેની રીતે ગોઠવણી પણ થઈ જવાની છે.

પૂર્વ ભારતનાં રાજ્યોમાં આથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે. આસામના ચાના બગીચામાં શ્રમિકો વહેલી સવારથી કામ શરૂ કરે તો સાંજે સૂર્યાસ્ત સુધીમાં ઘણું કામ પૂરું થઈ શકે છે. સમય ઝોનમાં ફેરફાર કરવાથી ૧૭ થી ૧૮ ટકા ઈલેક્ટ્રિસિટીનો બચાવ થવાનો છે. આ બચત નાનીસૂની નથી. પૂર્વ ભારત આમ પણ ઈલેક્ટ્રિસિટીના પુરવઠાની તંગી ભોગવે છે. ત્યાં બચત થવાથી ઈલેક્ટ્રિસિટીનો પુરવઠો વધવાનો છે.

અમેરિકા, બ્રિટનમાં શિયાળાની સિઝનમાં નવેમ્બર-માર્ચ દરમિયાન ઘડિયાળમાં એક કલાકનો ફેરફાર થાય છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૧ કલાક આગળ અને શિયાળામાં પાછળ ઘડિયાળના કાંટા કરી નાખવામાં આવે છે. આ માટેની જાહેરાત રેડિયો અને ટીવી પર જોરદાર રીતે થાય છે. લોકોને પૂરતું શિક્ષણ અને સમજદારી આપવામાં આવે છે એટલે કોઈ મોટા પ્રશ્ર્ન ઊભા થતા નથી.

જ્યારે ઈલેક્ટ્રિસિટી નહોતી તે વખતે ૧૦૦-૧૨૫ વર્ષ અગાઉ વહેલા જાગીને કાર્યની શરૂઆત કરવાનો ક્રમ હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું વર્ક કલ્ચર હતું. ગાંધીજી સ્થાપિત ખાદી ભંડાર અને ખાદી મંદિરોમાં સૂર્યાસ્તના સમયે કામકાજ બંધ કરી દેવાનો રિવાજ હતો. આથી ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ બચી જતો હતો. કોઈ ખાદી ભંડાર ઈલેક્ટ્રિસિટીનો હદ બહાર ઉપયોગ કરતા નહોતા.

આજના વ્યાપાર, વાણિજ્યમાં ઈલેક્ટ્રિસિટી અને ટેલિફોન (ઈન્ટરનેટ, ફેક્સ, મોબાઈલ સાથે) ખર્ચા અનહદ વધી રહ્યા છે. કેટલાક લોકો ઈલેક્ટ્રિસિટીના બિલ વધી રહ્યા છે તેની ફરિયાદ કરે છે, પરંતુ ઘરમાં પંખા, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન અને મિક્સચર, વોટર પ્યોરીફાયર જેવાં ઉપકરણો કેટલાં છે? તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટીવી મધ્યરાત્રિ સુધી ચાલે છે. ત્યારબાદ ફરિયાદ કરે છે કે બિલ વધી રહ્યું છે!

સમયના બે ઝોન બાબતે નિર્ણય લેવાનું કાર્યક્ષેત્ર કેન્દ્ર સરકારનું છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નિર્ણય કરે તો સમગ્ર રાષ્ટ્રને ફાયદો થવાનો છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે આવી બાબત પ્રતિ કોઈનું ધ્યાન કેમ જતું નથી? વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેન્દ્ર સરકારના કોઈ જ પ્રધાને આટલા વર્ષમાં આ બાબતે કોઈ જ પ્રત્યાઘાત આપ્યો નથી.

સૂર્ય એ સમસ્ત બ્રહ્માંડને જાગ્રત કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સૂર્ય એ જગતના નિયંત્રા છે, સંચાલન કરે છે. સૂર્યથી જ વિશ્ર્વની પ્રવૃત્તિ શરૂ થાય છે અને સૂર્યના અસ્તથી પ્રવૃત્તિઓને વિરામ મળે છે. બીજે દિવસે સવારે ફરીથી તે જ સૂરજ જગતને પ્રવૃત્તિમય કરે છે. સૂર્યને સમાંતર પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં માનવીનું શ્રેય અને હિત છે.

Sunday, January 5, 2014

તંત્રીલેખ - વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે

વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે



ભાગ્યે જ કંઈ બોલતા અને અભિપ્રાય આપતા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની પત્રકાર પરિષદમાં મૂઆ નહીં, પરંતુ પાછા થયા જેવી વાતો નાગરિકોને સાંભળવા મળી છે!! દરેક બાબતે નિષ્ફળ નીવડેલા વડા પ્રધાન કૉંગ્રેસ પક્ષ અને દેશ માટે બોજો બની ગયા છે. આવી વ્યક્તિને વડા પ્રધાનપદ માટે ચલાવી લેવી તે પણ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે.

જે વડા પ્રધાન ૮૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે, ત્રણવાર બાયપાસ થઈ ચૂકી છે તેમની પાસેથી બીજી અપેક્ષા રાખવી યોગ્ય નથી, પરંતુ કમસે કમ નિષ્ઠાની અપેક્ષા ચોક્કસ રાખી શકાય. છતાં પ્રજાને તેમાં નિષ્ફળતા મળે તેવું તેમનું વક્તવ્ય હતું. ૧૦ વર્ષમાં રોજગારી વધી નથી તેવી કબૂલાત તેમણે કરી છે તે હકીકત સ્વીકાર્ય છે, પરંતુ જવાબદારી કોની?

કૉંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર ડૉ. મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. તેમાં સાંસદોને ગેરલાયક ઠરાવતો ખરડો ફાડી નાખવાની પક્ષના જ મહામંત્રી રાહુલ ગાંધીની ચેષ્ટા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના ધબડકા બાદ જાહેરમાં પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવા વડા પ્રધાનનું નામ ટૂંક સમયમાં જાહેર થશે તેવી કરેલી જાહેરાત. આ બે મુદ્દા સ્પષ્ટ રીતે વડા પ્રધાનનું અપમાન સમાન હતા.

તેમ છતાં નારાજગી સુદ્ધાં વ્યક્ત કરવાની તસ્દી તેમણે લીધી નથી. વડા પ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આટલી હદ સુધી સત્તાલાલચુ હોઈ શકે ખરી? સ્વમાન જેવી કોઈ ચીજ તેમનામાં નથી? પ્રજા આવો પ્રશ્ર્ન વારંવાર પૂછી રહી છે, પરંતુ કોઈ સંતોષ થાય તેવો જવાબ મળતો નથી.

પ્રજાને તુચ્છકાર તો ત્યારે થાય છે કે જ્યારે વડા પ્રધાન તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણ એ અમેરિકા સાથેના ન્યૂક્લિઅર સોદાને ગણાવે છે!! ડૉ. મનમોહન સિંહ આ કક્ષાની વ્યક્તિ હશે તેની કોઈએ કલ્પના કરી ન હોય. તેવે વખતે સૌથી વધુ ભ્રષ્ટ અને રાષ્ટ્રદ્રોહી સોદાને તેઓ વખાણે છે. તેથી કોઈને પણ તેમની નિષ્ઠા પ્રતિ શંકા જાય છે.

આ ન્યૂક્લિઅર સોદાની લેતીદેતી કેવી અને કઈ રીતની હતી તે સંસદમાં દર્શાવાયેલા ચલણી નોટના જથ્થા પરથી નક્કી થઈ શકે તેવું છે. આ સોદામાં તપાસ પણ "સરકારી પદ્ધતિથી થઈ અને હવે તે કેસ ફાઈલ કરી દેવાયો છે!! કોઈને તેની લજ્જા કે શરમ રહી નથી અને દેખિતી રીતે તેમાં ઉચ્ચકક્ષાની સંડોવણી છે તેથી કંઈ વળવાનું નથી. આ સઘળું છે તેઓ જ સોદાને "શ્રેષ્ઠ ગણાવે છે!!

વર્ષ ૨૦૦૪થી સત્તામાં રહેલી કૉંગ્રેસે વર્ષ ૨૦૦૯ની બીજી ટર્મમાં કોલસાકાંડ, રમતોત્સવ અને ટેલિકોમકાંડ દરમિયાન જે ગેરરીતિ થઈ છે તેમાં વડા પ્રધાનની જવાબદારી કેમ ન ગણાય? જો તેમની જવાબદારી નથી તો પછી કોની જવાબદારી? અમેરિકાના પ્રમુખને આવી ગેરરીતિ માટે જવાબદાર ગણવા? આ જવાબ તેઓ આપી શકતા નથી.

આવે વખતે વડા પ્રધાન એવો લૂલો બચાવ કરે છે કે માત્ર એક રાજકીય પક્ષ કદી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકે તેમ નથી!! આવું વિધાન તેમની પલાયનવાદી મનોવૃત્તિ સૂચવે છે એટલું જ નહીં માત્ર નિષ્ફળ વ્યક્તિ જ આવું બોલે છે. ૧૦ વર્ષમાં ઘણું થઈ શક્યું હોત, પરંતુ તેમને હાથા બનાવીને "અન્ય લોકોએ પોતાના કામ કરાવી લીધાં છે!!

તેમના જ પ્રધાનમંડળના રેલવેમંત્રી અને કાનૂનમંત્રી બન્ને પંજાબના હતા અને ગેરરીતિ બદલ ગયા. છતાં જો તેઓ એવો બચાવ કરે છે કે ગેરરીતિમાં તેમના કોઈ સગાંસંબંધી નથી અને મિત્રોને કે સગાને કોઈ ફાયદો કરાવ્યો નથી. આવી વાત કરવાથી તેમના હાથ ચોખ્ખા છે તે સાબિત થઈ શકતું નથી. ઊલટું તેમની નબળી બાજુ છે કે સુપ્રીમ કોર્ટે કોલસાકાંડમાં વડા પ્રધાનના મંત્રાલયને જવાબદાર ગણ્યું છે.

ભ્રષ્ટાચાર અને ભાવ મોરચે ડૉ. મનમોહન સિંહ સંપૂર્ણ નિષ્ફળ છે. પોતાની નિષ્ફળતાને અન્ય પર ઢોળવાનો પ્રયાસ પણ ટીકાને પાત્ર છે. માત્ર તેઓ જ વડા પ્રધાન બની શકે અને બીજું કોઈ જ નહીં? તેઓ કઈ રીતે વડા પ્રધાન બન્યા છે તે પણ જાણીતી બાબત છે. સોનિયા ગાંધી ઈચ્છે તેજ વ્યક્તિ વડા પ્રધાન બને તે કૉંગ્રેસનો નિયમ છે.

હવે તેઓ બાકી રહેલા સમયગાળામાં કામ કરવાની વાત કરે છે, પરંતુ જે કાર્ય બે ટર્મમાં ન કરી શક્યા તે હવે કઈ રીતે પૂરું થશે? ખરેખર તો તેમને હાથો બનાવીને કૉંગ્રેસ પક્ષમાં રહેલી એક ટોળકીએ ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે કૉંગ્રેસ સત્તાભ્રષ્ટ થશે તે વખતે જ કઈ રીતે ગેરરીતિ થઈ તેના રહસ્ય બહાર આવશે.

બાકી, વડા પ્રધાને જે કંઈ વાત કરી તેમાં નિરાશા અને હતાશા સિવાય કશું જ નથી. કોઈ જોમજુસ્સો પ્રેરે તેવા મુદ્દા નથી. કોઈ દૃષ્ટિ કે આગળનું આયોજન આટલા વર્ષમાં નહીં દેખાયું તો પછી હવે શું બાકી રહ્યું છે? વડા પ્રધાન હજુ માનભેર નિવૃત્ત થાય તો તેમની બાંધી મુઠ્ઠી રહી જવાની છે.

Wednesday, January 1, 2014

તંત્રીલેખ -- સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

તંત્રીલેખ

સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

ત્રાસવાદનો વ્યાપ અનેક રીતે વધી રહ્યો છે. માનવબૉમ્બથી આગળ વધીને હવે તેઓ નાના અણુબૉમ્બ સુધી પહોંચી રહ્યાની વાત એક ચિંતાનો વિષય છે. સુરક્ષા માટે નવા - નવા વિકલ્પ વિચારીને નાગરિકો પણ તેના માટે તૈયારી કરે તે હાલના સંજોગોની માગ છે. આવી બાબતમાં સરકાર કરતાં નાગરિકો વધુ સક્રિય રીતે વિચારણા કરી શકે તેમ છે.

સુરક્ષા પાછળ પણ ખર્ચ થાય છે છતાં જે રીતે આંતરિક સુરક્ષામાં છીંડાં જોવામાં આવે છે તે ટીકાને પાત્ર છે. પકડાયેલા ત્રાસવાદી યાસીન ભટકલે સુરતમાં નાની આવૃત્તિ જેવા અણુબૉમ્બના પ્રયોગની કામગીરી માટે પ્રયાસ કર્યો હતો. આ વાત પરથી આપણે ત્યાં સુરક્ષા ક્ષેત્રે કેવી બાબતો બની રહી છે તેની જાણકારી મળે છે.

આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ ખુદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ઈશરત જહાં ત્રાસવાદી નહોતી અને આઈ.બી.ના અધિકારીએ માહિતી આપવામાં ભૂલ કરી હતી જેવી બાબતોમાં ફીફાં ખાંડી રહ્યા છે. આવા નપાવટ સુરક્ષા અધિકારીઓ જો પ્રજાના હાથમાં આવશે તો લોકો તેમના હાડકાંપાંસળા એક કરી નાખવાના છે.

જ્યારે જ્યારે ભાંગફોડિયા કે ત્રાસવાદીઓ પકડાય છે તેવે વખતે તેઓ કોઈ ચોક્કસ વર્ગના છે તેમ કહીને દેકારો બોલાવીને સુરક્ષા એજન્સીઓનો નૈતિક જુસ્સો ભાંગી નાખવાનું કાર્ય થાય છે. આટલા વર્ષે હજુ કોઈ કહી શકતું નથી કે ઈશરત જહાંની સાથે મોટરમાં પાછળ બેઠેલી બે વ્યક્તિ કોણ હતી? તેઓ પાકિસ્તાની નાગરિક હતા તે વાત જણાવવાની નૈતિક હિંમત નથી.

નાનો અણુબૉમ્બ પણ ઘણો વિનાશ વેરી શકે છે. વળી પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયાં તેમાંથી તેને એકપણ વખત જીત મળી નથી. આવે વખતે જો હવે કોઈ રીતે અણુબૉમ્બનો નાના સ્વરૂપે ત્રાસવાદીઓ મારફતે ભારત પર પ્રયોગ થાય તો શું થાય - તે અંગે ભાગ્યે જ કોઈએ વિચાર કર્યો છે અથવા તો તે માટે વ્યૂહ વિચાર્યો છે.

કારણ કે જો પ્રતિ હુમલો ભારતે કરવો હોય તો કોની પર કરવો? એટલું જ નહિ, પાકિસ્તાને તો કદી ત્રાસવાદી હુમલા અંગે કોઈ જવાબદારી સ્વીકારી નથી. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાકિસ્તાને તો કહ્યું હતું કે તેઓ "સ્ટેટલેસ એક્ટર છે. આશ્ર્ચર્યની વાત છે કે હુમલાના બીજા જ દિવસે આ વાત કહેવામાં આવી હતી. તેના પરથી પાકિસ્તાનની તૈયારી કેટલી હતી તે નક્કી થાય છે.

સુરક્ષા વ્યૂહરચનાના ઘડવૈયાઓ માટે એક નવો પડકાર આ રીતે ત્રાસવાદીઓના હાથમાં અણુસામગ્રી છે. જોકે આવી બાબત બની હશે તો પણ બીજે દિવસે ઈનકાર કરવામાં આવશે અથવા તો ગોળ ગોળ વાતો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કહેશે કે આવી વાત સત્યથી વેગળી છે, પરંતુ જે રીતે ભૂતકાળમાં ઘટના બની છે તે જોતા હવે આવી વાતમાં કોઈને વિશ્ર્વાસ રહેવાનો નથી.

ત્રાસવાદની સેંકડો ઘટના બની છે તેમાં પાકિસ્તાનની સંડોવણીની સાબિતી છતાં પલાયનવાદી મનોવૃત્તિ ભારતે બતાવી છે. આવી બાબત કેમ બને છે તે સમજવું મુશ્કેલ છે. માત્ર અમેરિકામાં રાજદૂત સાથે બનેલી ઘટનામાં જ વિદેશી મંત્રાલય આકરા પાણીએ છે તે સિવાય હંમેશા દૂધ અને દહીંમાં પગ રાખવાની મનોવૃત્તિ ધરાવે છે તેવી સામાન્ય લોકોના મનમાં છાપ છે.

શ્રીલંકાએ પોતાને ત્યાં તેમને પસંદ નથી તેવા ત્રાસવાદ અને ત્રાસવાદી પ્રવૃત્તિનો સફાયો કરી નાખ્યો, પરંતુ આપણે ત્યાં આવી સખતાઈ આટલા વર્ષમાં દાખવવામાં આવી નથી. પાકિસ્તાન સાથે મિત્રતા વધારવી જોઈએ તેવું કહેનાર દેશદ્રોહીઓનો એક વર્ગ ઘરઆંગણે છે, કારણ કે તેમને ત્રાસવાદનો વરવો અનુભવ થયો નથી અને તેમના ઘરમાંથી કોઈ ત્રાસવાદીઓની એકે-૫૬ રાઈફલની ગોળીનો શિકાર બન્યા નથી.

એવી કોઈ રાજકીય સર્વસંમતિ પણ દેખાતી નથી કે કમસેકમ પ્રજાની સુરક્ષાના મામલામાં મતભેદ કે મતમતાંતર નહિ હોવા જોઈએ. જ્યારે આવી ભાવનાત્મક એકતા જોવા મળશે તે વખતે જ સામેના પક્ષને કોઈક સંદેશો મળવાનો છે. બાકી હાલમાં જે રીતે કાર્ય ચાલી રહ્યું છે તે જોતાં ભારત એક ખૂબ જ સોફટ ટાર્ગેટ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે બની ગયું છે.

૨૬/૧૧ના હુમલા બાદ કયો પદાર્થપાઠ શીખવા મળ્યો છે? કઈ જગ્યાએ કેટલા સુધારા થયા? કેટલા યુવાનોને ત્રાસવાદ સામે પ્રતિકાર માટેની ટ્રેનિંગ આપવામાં આવી? આવા પ્રશ્ર્નનો જવાબ ગૃહમંત્રી કે સુરક્ષા મંત્રી આપી શકવાના નથી, કારણ કે ખુદ તેઓ જ કોઈ વિચાર કે બાબતને સાધ્ય કરી શકે તેમ નથી. બાકી રાષ્ટ્રપ્રેમ હોય તેવી વ્યક્તિ કદી બાંધછોડ કરવા માટે તૈયાર હોતી નથી.

જ્યારે જ્યારે ત્રાસવાદની ઘટના બની છે તેવે વખતે માત્ર આશ્ર્વાસન આપવા સિવાય કોઈ વાત થઈ નથી. આવી બાબતમાં પ્રજાને હવે ભરોસો નથી તેવી જ રીતે કાશ્મીર કે અન્યત્ર ત્રાસવાદી ઘટના બને છે તેવે વખતે તેમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ થતો નથી તે બાબતને સંગઠનની નબળાઈ ગણવી કે પછી પ્રજા તરીકેની આપણી નિર્માલ્યતા?

Monday, December 30, 2013

Editorial -- Mumbai Samachar- 28-12-2013

નિરર્થક તપાસ પંચો: નાણાંની બરબાદી કરે છે

કમિશન ઓફ ઈન્કવાયરી ઍક્ટ, ૧૯૫૨ હેઠળ ગુજરાતમાં કથિત જાસૂસી બાબતે તપાસ પંચ નીમવા કેન્દ્ર સરકારનો નિર્ણય ખુદ કૉંગ્રેસ પક્ષને માટે ઘાતક પુરવાર થવાનો છે. સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીની વાત પરથી હોબાળો મચાવનાર આ બાબતમાં છેલ્લે તો દળી દળીને ઢાંકણીમાં એવું બનવાનું છે.


કેન્દ્ર સરકારના અકાર્યક્ષમ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ ગૃહ વિભાગની નોંધ પ્રધાનમંડળને મોકલી હતી. તેના આધારે તપાસપંચ નીમવા નિર્ણય થયો છે. હવે સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયધીશને "કામ મળી જશે!! તેઓ જુદી - જુદી રીતે ચૂંથણા ચૂંથ્યે રાખશે અને રિંછના મોઢામાં લાકડું આપ્યું હોય અને તે ચગળ્યે રાખે તેમ આવા કોઈ "ધંધા વગરના ન્યાયધીશ વાતનું પુનરાવર્તન કર્યે રાખશે!!


પ્રજાને આવી બાબતમાં તલભાર પણ રસ નથી કારણ કે આટલા તપાસપંચ અને કોર્ટ કચેરી પછી પણ કંઈ જ ભલીવાર થતી નથી તો આ મુદ્દે હવે શું થઈ શકે? આશ્ર્ચર્યની વાત એ છે કે જાસૂસી કેસમાં કોઈએ ફરિયાદ કરી નથી - કોઈએ કાયદા હેઠળ કંઈ માગણી કરી નથી છતાં કેન્દ્ર સરકારે આ તપાસ પંચ નીમી દીધું છે તે ગૃહમંત્રાલયની "કાર્યક્ષમતા દર્શાવે છે!!


મહારાષ્ટ્રમાં નારાયણ દાભોલકરની હત્યા થઈ તેના આરોપી પડકાયા નથી - અંગ્રેજી દૈનિકના પત્રકાર જે. ડેની હત્યા ધોળે દિવસે થઈ તેના ગુનેગાર હાથ આવ્યા નથી, પરંતુ જાસૂસીકાંડમાં આવા તપાસ પંચ નીમવામાં આવે છે અને તપાસ કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ તૈયાર પણ થઈ જાય છે. તેના પ્રત્યાઘાત પ્રજામાં કેવા હોય છે તેની કોઈને પરવા નથી.


ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સામે સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક કેસમાં સીબીઆઈએ ધારાશાસ્ત્રી કે. ટી. એસ. તુલસીની નિમણૂક કરી હતી. અગાઉ તે જ ધારાશાસ્ત્રી ગુજરાતના પ્રતિનિધિ તરીકે તે જ કેસમાં હતા. જ્યારે કાયદા પ્રમાણે એડવોકેટ ઍક્ટ, ૧૯૬૧ કલમ - ૩૫ હેઠળ ફરિયાદી અને સામાવાળા એમ બન્ને રીતે વારાફરતી એડવોકેટ બની શકે નહિ છતાં આ બખડજંતર સુપ્રીમ કોર્ટમાં ચાલ્યું હતું.


જે "સાહેબનો ઉલ્લેખ ટેપમાં આવે છે તેનું નામ લેવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર આ બાબત નરેન્દ્ર મોદીને જ લાગુ પડે છે તે કઈ રીતે કહી શકે છે? શું તેમણે નિર્ણય કરી લીધો છે? પહેલા ગુજરાતમાં ટેપ થયાની વાત પ્રસિદ્ધ થઈ અને હવે કહે છે કે બીજા રાજ્યોમાં પણ જાસૂસી થઈ!! કાલે અમેરિકા અને રશિયાની વાતનો ઉમેરો પણ વેબસાઈટ કરશે કે જેની કોઈ જવાબદારી નથી.


ક્રિમિનલ પ્રોસીજર કોડ કલમ ૪૪ અને ૧૪૯ જો અલગ અલગ રીતે વાંચવામાં આવે તો પોલીસને તકેદારીના પગલાં લેવાનો અધિકાર છે. આમાં કાયદાના કે વ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગની વાત ક્યાંથી આવી? વર્ષ ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ પાસે કોઈ જ મુદ્દા રહ્યા નથી. દિલ્હીમાં ઉંધા માથે પડવા છતાં કૉંગ્રેસ પક્ષ સુધરવાનું નામ લેતો નથી.


ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ કટોકટી દરમ્યાન ઘણાના ફોન ટેપ કરાવ્યા હતા. બહુ દૂર જવાની જરૂર નથી. ૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા બાદ ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે હાલના રાષ્ટ્રપતિ અને તે વખતના નાણાપ્રધાન પ્રણવ મુખરજીની ઓફિસમાં જાસૂસી માટેના સાધનો ગોઠવ્યાં હતાં!! આ બાબતે ત્યારબાદ દેકારો થવાથી પ્રકરણ ભીનુ સંકેલાયું હતું તેની જાણકારી સુશીલકુમાર શિંદેને અવશ્યપણે છે.


તપાસ પંચની રેવડી કરવા માટે કૉંગ્રેસ પક્ષનો ઈતિહાસ જાણીતો છે. કટોકટી દરમ્યાન થયેલા જોર-જુલ્મ સામે તપાસ કરવા નીમવામાં આવેલા શાહ તપાસ પંચના શું હાલહવાલ થયા હતા? આદર્શ તપાસ પંચનો અહેવાલ કોણે નકારી કાઢ્યો છે? જરા અરીસામાં ચહેરો જોવાની જરૂર છે. કાયદાને ઠોકરે મારનારા વિશે પ્રજાને કંઈ જ સમજાવવાની જરૂર નથી.


દિલ્હીમાં આટલો ખરાબ દેખાવ થવા છતાં કૉંગ્રેસ પક્ષના નેતૃત્વને કેમ પૂર્વ જાણકારી નહોતી? માત્ર આઠ બેઠક મળી તેમાંથી પાંચ તો અલ્પસંખ્યક વિસ્તારની છે. છેલ્લા ૧૫ વર્ષથી ત્યાં કૉંગ્રેસનું જ શાસન હતું. કારણ એક જ છે કે સત્તાના ગુમાનમાં કૉંગ્રેસ પક્ષ છકી ગયો હોવાથી કોઈની વાત સાંભળવાની પરવા રહી નથી.


હવે આવા જાસૂસીકાંડ જેવી નિરર્થક બાબતમાં કે જ્યાં કોઈ ને કોઈ જ બાબતે લાભ થવાની વાત નથી. તે મુદ્દે તપાસમાં સમય અને શક્તિ બરબાદ કરી નાખવાની વાત થાય છે. પરિણામલક્ષી કામગીરી કે રોજગાર વધે તેવી તો કોઈ વાત કૉંગ્રેસના પ્રધાનો દ્વારા થતી નથી. માત્ર નકારાત્મક અને ખંડનાત્મક બાબતોમાં વ્યસ્ત રહીને પગ પર કુહાડો મારી રહ્યા છે.


વર્તમાન કેન્દ્ર સરકારમાં ભેગી થયેલી ટોળકી અસુરોની છે. તેમની પાસે કોઈ સારો વિચાર, બાબત કે પ્રજાને રાહત થાય તેવી કોઈ જ વાત હોતી નથી. કોઈએ જાસૂસીની વાત અંગે ફરિયાદ કરી નથી અને માગણી કરી નથી તો પછી કોઈ રાજ્યની બાબતમાં કેન્દ્રને તપાસ કરવાનો અધિકાર છે ખરો? જસ્ટિસ બેનરજીએ ગોધરાકાંડ રેલવે કંપાર્ટમેન્ટમાં આગ બાબતે આવા જ લોચા માર્યા હતા અને ખુદ સુપ્રીમ કોર્ટે તપાસને ગેરકાયદે ગણાવી હતી.

Friday, December 20, 2013

Editorial - એક જ દેશમાં બે બંધારણ! દોષ આર્ટિકલ-૩૭૦માં છે

 
Editorial

એક જ દેશમાં બે બંધારણ! દોષ આર્ટિકલ-૩૭૦માં છે

જમ્મુ-કાશ્મીરને બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ આપવામાં આવેલા વિશેષ દરજ્જાની જાહેર ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. એક જ દેશમાં બે બંધારણ ચાલે ખરા? આ વિષય પર ચર્ચા થવી જોઈએ, કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના કાયદા ચાલતા નથી અને તે માટે કોઈ ચર્ચા આટલા વર્ષમાં થઈ નથી.

અનુચ્છેદ-૩૭૦માં જે પરિસ્થિતિ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર અપાયા હતા તે બાબત આજે સાવ અપ્રસ્તુત છે. સમય અને સંજોગો અનુસાર કાયદા-બંધારણ બદલવા જોઈએ. હાલના બંધારણમાં ઘણી બાબતો સમય બહારની છે. આવે વખતે હવે ૩૭૦ની જરૂર શું છે? વળી તે અનુચ્છેદ હેઠળ જમ્મુ-કાશ્મીરને જે બાબતોનું આરક્ષણ મળ્યું છે તેનાથી તો સમગ્ર કાશ્મીર મુખ્ય પ્રવાહમાં ભળી શકતું નથી.

વળી જે વિશેષાધિકાર મળ્યા તેનાથી માત્ર કાશ્મીરી રાજકારણીઓનાં ઘર ભરાયાં છે. તેમને પાકિસ્તાન પાસેથી પણ અઢળક નાણાં મળ્યાં છે. હજુ પણ તે પ્રક્રિયા ચાલુ છે. કાશ્મીરના અલગતાવાદી નેતાઓના પુત્ર-પુત્રી બેંગલોર-દિલ્હી-ભુવનેશ્ર્વર ખાતે અભ્યાસ કરે છે અને તેઓ સમગ્ર રાજ્યને બદનામ પણ કરી રહ્યા છે. જ્યારે પોતાનો મતલબ પૂરો ન થાય તો કાશ્મીરની પ્રજાને અન્યાયનાં ગાણાં શરૂ થઈ જાય છે.

હુર્રિયતના નેતાઓ અલગતાવાદી છે. તેમને બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ તો ભારે સુવિધા થઈ ગઈ છે. કંઈક થાય તો ભારત અન્યાય કરે છે તેનો ગોકીરો બોલાવે છે!, પરંતુ તેઓ ભારત સરકારના કોઈ કરવેરા ભરે છે ખરા? આવકવેરો કે અન્ય કર ભરવામાં આવે છે? એક્સાઈઝ કે અન્ય વેરા કાશ્મીરમાં કોઈ ભરે છે ખરા?

જમ્મુ-કાશ્મીરમાં ઈલેક્ટ્રિસીટીના બિલ કોઈ ભરતું નથી, ગેસ સિલિન્ડર તદ્દન રાહતના ભાવે પૂરાં પાડવામાં આવે છે, કેન્દ્ર સરકારને કરવેરાની કોઈ આવક થતી નથી- આ તમામનો સરવાળો એટલે જમ્મુ-કાશ્મીરની બરબાદી છે. ત્યાર બાદ સ્થાનિક યુવાનોને રાજકીય પક્ષો અને ખાસ કરીને હુર્રિયતના આગેવાનો બહેકાવી રહ્યા છે.

હુર્રિયતના નેતાઓ છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં અબજપતિ થઈ ગયા છે. તેમની પાસે આટલાં નાણાં ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીરમાં એવો કયો વેપાર-ઉદ્યોગ છે કે જેથી તેઓની પાસે અઢળક સંપતિ આવી ગઈ છે? આ બધા પાછળ અનુચ્છેદ-૩૭૦ની ઈજારાશાહી છે. બીજા કોઈને આવવા દેવા નથી અને તેમના હાથ નીચેથી જ પસાર થવું પડે છે. જેમાં લાંચ-રુશ્વત થકી જ પરવાનગી મળે છે.

શેખ અબ્દુલ્લા અને તેમના ત્યારબાદના વારસદારોએ જમ્મુ-કાશ્મીરને જે રીતે બેહાલ કર્યું છે તે જોતાં જાહેર ચર્ચાનો સમય પાકી ગયો છે, કારણ કે ૧૯૮૫થી કાશ્મીર ખીણમાં આતંકવાદની ઘટનામાં અંદાજે ૭૦ હજાર નાગરિકો-સુરક્ષા કર્મી અને લશ્કરના જવાનો, અધિકારીઓના મૃત્યુ થયાં છે, પરંતુ અબ્દુલ્લાઓને કોઈ જ વાંધો આવ્યો નથી. તેઓ શાસનમાં પણ છે- પૈસા બનાવે છે અને સુરક્ષા હેઠળ ફરી રહ્યા છે.

કાશ્મીર ખીણમાં હવે પૂરા ૫ હજાર હિન્દુ પંડિતો રહ્યા નથી. ત્યાં સુપ્રીમ કોર્ટની કોઈ "સીટ નીમવામાં આવી નથી તેમજ માનવ અધિકાર પંચ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી- આ સઘળું આર્ટિકલ-૩૭૦ના પાપને કારણે થયું છે. જ્યાં સુધી સમગ્ર ઈતિહાસ બહાર આવે નહીં ત્યાં સુધી આ ચર્ચા ચાલવી જોઈએ, કારણ કે હિન્દુ-મુસ્લિમ ભાગલા પાછળ આર્ટિકલ-૩૭૦ નો નોંધપાત્ર ફાળો છે.

કાશ્મીરી પંડિતોની અબજો રૂપિયાની પ્રોપર્ટી જમ્મુ-કાશ્મીરના લુચ્ચા રાજકારણીઓ હડપ કરી ગયા છે. આવા ચોર-ડાકુઓને આર્ટિકલ-૩૭૦ હેઠળ આરક્ષણ મળી રહ્યું છે. તેને નાબૂદ કરવાનો સમય ક્યારનોય પાકી ગયો છે. જમ્મુ-કાશ્મીરની લોકસભાની પાંચ બેઠકો પૈકી કોઈ બેઠક ભાજપને મળે નહીં તો પણ સત્યનો આગ્રહ રાખીને આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાની વાતને આગળ કરવાની જરૂર છે.

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિ વર્ષ અબજો રૂપિયાનો ખર્ચ સુરક્ષા દળોની જાળવણી માટે થઈ રહ્યો છે. ત્રાસવાદ છતાં એક ઇંચ જમીન કોઈ મેળવી શક્યું નથી. ભારત કોઈ પણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે નમતું જોખવાનું નથી, કારણ કે ૧૯૪૭માં ધર્મના નામે એક વખત ભાગલા પડી ગયા છે તે ભૂલનું પુનરાવર્તન ગમે તેવી પરિસ્થિતિમાં પણ હવે શક્ય બનવાનું નથી.

મુખ્ય પ્રવાહમાં ભળી જવું તે એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જમ્મુ ક્ષેત્રનો વિકાસ માતા વૈષ્ણોદેવી જતાં યાત્રાળુઓને કારણે થયો છે. પ્રતિ વર્ષ બે કરોડ યાત્રાળુઓ ત્યાં દર્શન માટે જાય છે. તેમના હોટલ, લોજ, ખાવા-પીવા અને ટ્રાન્સપોર્ટ પાછળ થતો ખર્ચ એ સ્થાનિક પ્રજાને માટે આવક બની રહે છે. છતાં અલગતાવાદી તત્ત્વો આવું અર્થશાસ્ત્ર સમજવા તૈયાર નથી.

એક ધર્મમાંથી બીજા ધર્મનો સ્વીકાર કેવી સમસ્યા પેદા કરે છે તેનું ઉદાહરણ જમ્મુ-કાશ્મીર-આર્ટિકલ-૩૭૦ છે. કોઈ જ રાજકીય પક્ષ આવી સ્પષ્ટ વાત કહેવાની તૈયારી રાખતો નથી. જમ્મુ-કાશ્મીરમાં જો ધર્મ બદલાયો નહીં હોત તો પાકિસ્તાનના ટેકેદારની સંખ્યા કેટલી હોત? કાશ્મીર ખીણમાંથી હિન્દુ પ્રજાનો સફાયો કોણે કરી નાખ્યો? આર્ટિકલ-૩૭૦ સુધી તેના મૂળ નીકળે છે.

અનુચ્છેદ ૩૭૦ની નાબૂદીથી કોનો ગરાસ લૂંટાઇ જવાનો છે?

બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો અને તેના ઐતિહાસિક કારણ હવે ચર્ચામાં આવ્યાં છે. કૉંગ્રેસ પક્ષ ભલે ચર્ચાનો ઈનકાર કરે, પરંતુ પ્રચાર માધ્યમો, ટીવી, રાજકીય પક્ષો અને પ્રજાના વિવિધ વર્ગમાં તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ચર્ચાથી પલાયનવાદી મનોવૃત્તિ ધરાવનારા હવે ખુલ્લા પડી રહ્યા છે.

હેબતાઈ ગયેલું અબ્દુલ્લા કુટુંબ ભરબજારે લાળા ચાવી રહ્યું છે! તેમનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેવું હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રજા આજે પ્રશ્ર્ન પૂછે છે કે શેષ ભારત અને જમ્મુ-કાશ્મીર બન્ને અલગ અલગ કેમ જોવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે અને તેનો ઠરાવ સંસદમાં કરવામાં આવ્યો છે, આવે વખતે હવે અબ્દુલ્લા કુટુંબ પીછેહઠ કેમ કરી રહ્યું છે?

૧૯૪૭ના ઓક્ટોબર-નવેમ્બરમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર હડપ કરી જવા જે આક્રમણ કર્યું હતું તે વખતની પરિસ્થિતિને આધીન ૧૯૫૦માં બંધારણમાં તે પ્રદેશને વિશેષ દરજ્જો આપવા નક્કી થયું હતું. કોઈ પણ બાબત કાયમી હોતી નથી. તેવી જ રીતે આવો દરજ્જો કાયમી નહોતો. ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નહોતો છતાં તેવી બાબત કાયમી હતી તેમ આજે કહેવું તે અસ્વીકાર્ય બને તેવું છે.

કૉંગ્રેસ પક્ષ જવાબ આપી શકશે કે રાજાઓના સાલિયાણા નાબૂદ કર્યા તે વખતે સરદાર પટેલે રજવાડાઓને આપેલા વચનનો ભંગ નહોતો થયો? આ પ્રશ્ર્નનો ઉત્તર આપવા કેમ કોઈ આગળ આવતું નથી? માહિતી અને પ્રસારણમંત્રી મનીષ તિવારી તે વખતે જનમ્યા પણ નહોતા. તેઓ જે રીતે ૩૭૦ બાબતે વાત કરી રહ્યા છે તેના ઈતિહાસ-ભૂગોળની તેમને કશી જ જાણકારી નથી.

જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં ૧૦૦ વર્ષ અગાઉ ૪,૫૦૦ શિવ મંદિરો હોવાનું બ્રિટિશ સરકારના રેકોર્ડમાં નોંધાયું છે. આજે માત્ર ૨૦ જેટલાં મંદિર છે. આ તમામ મંદિરો કાં તો તોડી નાખવામાં આવ્યાં છે અથવા તો ત્યાં મસ્જિદ બની છે. આવી હકીકતનો સ્વીકાર કરતાં દંભી સેક્યુલારિસ્ટ કેમ ગભરાય છે? તેઓ તદ્દન ભળતી જ દલીલ કરી રહ્યા છે.

ખૈબરઘાટના રસ્તેથી આવેલાં યવન આક્રમણોનું સૌપ્રથમ ભોગ તો કાશ્મીર બનતું હતું. કુદરતી સંપત્તિ અને બુદ્ધિપ્રધાન આધ્યાત્મિકતા ધરાવતા કાશ્મીરી પંડિતોને કારણે તે પ્રદેશ વિશ્ર્વવિખ્યાત બન્યો હતો. કાશ્મીરના મહારાજા દર પૂનમે ખીણ વિસ્તારનાં પુષ્પો સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા સોમનાથ મંદિરમાં અર્પણ કરવા ખાસ ખેપિયા મોકલતા હોવાનું પણ ઈતિહાસમાં નોંધાયેલું છે.

આર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા કાશ્મીરમાં ધર્માંતરની પ્રક્રિયા છેલ્લાં ૧ હજાર વર્ષમાં થવા છતાં કેટલાક હજાર કાશ્મીરી પંડિતો બચી શક્યા હતા, પરંતુ આજે હવે તેઓ ટકી શકે તેવું રહ્યું નથી તેનું એકમાત્ર કારણ અનુચ્છેદ - ૩૭૦ છે જે કોઈ એક ચોક્કસ વર્ગને જ આરક્ષણ પૂરું પાડે છે. જમ્મુ-કાશ્મીરના લોકો પણ હવે તે વાતનો સ્વીકાર કરી રહ્યા છે.

કાશ્મીરી પંડિતો શિક્ષિત અને બુદ્ધિશાળી હોવાથી તેમનો વિદેશમાં પણ નોંધપાત્ર વસવાટ છે, તેઓ મૂડીરોકાણ કરીને રોજગારી વધારી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ અનુચ્છેદ-૩૭૦ નડતરરૂપ બને છે. તેમના ભાગીદાર તરીકે કોઈ ભારતીય આવી શકતો નથી. આવું વિશ્ર્વના કયા દેશમાં છે? કૉંગ્રેસ પક્ષના નેતૃત્વએે આ બાબતે સ્પષ્ટ અને તર્કબદ્ધ જવાબ આપવાની જરૂર છે.

મનીષ તિવારી અને કપિલ સિબ્બલ કે ફારૂખ અબ્દુલ્લા આ બાબતે જવાબ આપવાની ક્ષમતા ધરાવતા નથી. ભારતની પ્રજા એક જ પ્રશ્ર્ન પૂછે છે કે કરવેરાના પૈસા ભરનારા કરદાતાઓનાં નાણાંનો વ્યય કાશ્મીરમાં થાય છે તે માટે કોની જવાબદારી? ફારુખ અબ્દુલ્લા અને તેમના નજીકના કુટુંબીઓના હાથમાં અબજો રૂપિયાની પ્રોપર્ટી કઈ રીતે એકત્ર થઈ છે? તેઓ ભારતને તો એક પૈસાનો ટેક્સ ભરતા નથી.

ખાવું ભારતનું અને વફાદારી પાકિસ્તાન સાથે એ વાત હવે ચાલવાની નથી. ભારત જાગી ઊઠ્યું છે. પ્રજા અને યુવાનો જાગી ગયા છે. વિશેષ અધિકારને નામે બન્ને હાથમાં લાડવો માગનારા સીધી રીતે મુખ્ય પ્રવાહમાં ભળી જાય તે ખુદના હિતમાં છે. પાકિસ્તાન પણ હવે કંઈ કરી શકવાનું નથી. ત્રણ વાર યુદ્ધ કરવા છતાં પાકિસ્તાન કાશ્મીરને લઈ શક્યું નથી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સંજોગો જોઈને નિર્ણય થવો જોઈએ કે હવે અનુચ્છેદ - ૩૭૦ની આવશ્યકતા છે ખરી? યુરોપમાં બે જર્મની એક થઈ ગયા - પ્રથમ અને બીજા વિશ્ર્વયુદ્ધના ઐતિહાસિક કારણ આજે ભૂતકાળ બની ગયાં છે તેવે વખતે હવે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો શા માટે અને કોના કલ્યાણ અર્થે છે?

જમ્મુ-કાશ્મીરની પ્રજા મુખ્ય પ્રવાહમાં ભળી જવા તૈયાર છે. ૭૦ ટકા લોકો રાજી છે - ૧૦ ટકા આડા ચાલે છે અને ૨૦ ટકા વાડ પર બેઠા છે. આવા ૧૦ ટકામાં અબ્દુલ્લા કુટુંબ અને તેમના મળતિયા છે, જે બાબત ૧૯૪૭માં બની હતી તે વર્ષ ૨૦૧૩માં સમય બહારની ગણાય - અનુચ્છેદ ૩૭૦નું પણ તેવું જ છે.

Editorial. M S. સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે


સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે

ભારત જેવા દેશને લાભની વાત બને તેવા સમાચાર છે. સ્વિસ બેન્કમાં પડેલી રકમની જાણકારી કરવેરાના સંદર્ભે હવેથી અન્ય રાષ્ટ્રને પૂરી પાડવા તેમ જ તેની વહીવટી સુગમતા માટેની ભૂમિકા સ્વિસ બૅન્ક તૈયાર કરશે. સ્વિસ બૅન્કો સામે જગતભરમાંથી દબાણ વધી રહ્યું હતું કે તેઓ અન્યને માહિતી આપતા નથી તે આપવી જોઈએ. આ અંગે ઘણી ચર્ચા-વિચારણા થઈ અને કાનૂની અવઢવ પણ હતી.

સ્વિસ ફેડરલ ઓથોરિટી કે જે સ્વિટ્ઝરલેન્ડની સૌથી ટોચની નિર્ણય લેનારી સત્તા છે, તેના દ્વારા પણ તે વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે હવેથી વિશ્ર્વના દરેક રાષ્ટ્રને આવી માહિતી પૂરી પાડવામાં આવે. સ્વિસ બૅન્કોમાં પડેલાં નાણાં વિશ્ર્વની ગરીબ પ્રજાના છે અને ત્યાં એટલી સંવેદના છે કે આવી વાતને સાંભળીને યોગ્ય નિર્ણય થયો છે.

ભારતના વિવિધ રાજકીય પક્ષોએ પણ સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાં પરત લાવવાં ઘણી રજૂઆત અને માગણી કરી હતી. તે સિવાય ચીન - ફિલીપાઈન્સ - પાકિસ્તાન - બંગ્લાદેશ અને આફ્રિકાના ઘણાં રાષ્ટ્રોએ પણ સ્વિસ બૅન્કમાં તેમના રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓના નાણાં હોવાનો દાવો કર્યો હતો. સ્વિસ બૅન્કો દ્વારા વર્ષોથી આવાં નાણાંની ‘રખેવાળી’ કરવામાં આવતી હતી.

જોકે કદી પણ આ મુદ્દે કોઈ કામગીરી થઈ નહોતી. કારણ કે દરેકના સ્થાપિત હિત હોય છે. કોને પોતાનો વેપાર - ધંધો ઓછો થાય તેમાં રસ હોય? વળી દરેક લોકશાહી રાષ્ટ્રના શાસકો ભ્રષ્ટ હોય છે. તેમની સાથે કામ કરનારા અધિકારીઓ પણ તેમને જ અનુસરતા હોય છે. આ રીતે સમગ્ર બાબત ગૂંચવાડાભરી બની હતી. તેનો કોઈ ઉકેલ દેખાતો નહોતો.

સ્વિસ બૅન્કમાં પડેલી રકમનો કોઈ ચોક્કસ અંદાજ મળવો મુશ્કેલ હતો. ભારતની રકમ માટે ઘણા અતિશયોક્તિભર્યા દાવા થતા હતા. ભારતને ૩૦ વર્ષ સુધી કોઈ કરવેરા લાદવા ન પડે તેટલી રકમ હોવાનો અંદાજ હતો. કોઈ એમ કહેતું હતું કે શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો સમગ્ર દેશમાં બાંધી શકાય તેટલી મોટી આ રકમ સ્વિસ બૅન્કમાં પડેલી છે.

માત્ર અનુમાન આધારિત આ બાબત છે. છતાં આ રકમ વર્ષોથી ત્યાં છે એટલે ખાસ્સી મોટી હોઈ શકે છે. હવે મુદ્દો તેમાં કર ભરવામાં આવ્યો નથી એટલે જે-તે રાષ્ટ્રનો તેના પર અધિકાર છે તે સ્થાપિત કરવાની પ્રક્રિયાને સહજ બનાવી દેવામાં આવી છે. આવી રીતે આ રકમ પર જે-તે રાષ્ટ્રનો અધિકાર સાબિત કરે છે. જે ત્યાંની પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે વાપરવી જોઈએ.

આજે વિશ્ર્વ બે ભાગમાં વિભાજિત છે તેનું કારણ આવી સ્વિસ બેન્કની સંપત્તિ છે. ગરીબ અને શ્રીમંત એમ બે ભાગ પડી ગયા છે અને તેનાથી વિશ્ર્વશાંતિ સામે જોખમ ઊભું થયું છે. યુરોપ તેની ટેકનોલોજી અને ઔદ્યોગિક સંપત્તિને કારણે શ્રીમંત બન્યું છે, જયારે ખેતી આધારિત રાષ્ટ્રો સંગઠિત 

અને મજબૂત નહીં હોવાથી શોષિત રહ્યાં છે. તેમના નાણા આવી સ્વિસ બૅન્કમાં છે.

આફ્રિકા અને એશિયાનાં અનેક રાષ્ટ્રના નાણાં માત્ર સ્વિસ બૅન્કમાં નથી પરંતુ યુરોપના ઘણાં રાષ્ટ્રોમાં આવી રીતે નાણાં પડેલાં છે. તેમાં બ્રિટન - જર્મની અને ઈંગ્લિશ આઈલેન્ડ જેવા ટચુકડા રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જોકે બહુ ઊંડાણથી વિશ્ર્લેષણ કરવામાં આવે તો કેટલાક રાષ્ટ્રોની કરવેરા નીતિ પણ આવી વિદેશી થાપણ માટે જવાબદાર બને છે.

કરચોરી - કાળાં નાણાં અને વિદેશી બૅન્કની થાપણને આ તમામ બાબત સાથે સીધો સંબંધ છે. જો કરવેરાના પ્રમાણ ઓછા કરી નાખવામાં આવે અને સરકારી ખર્ચા ઓછા થાય તો સ્વિસ બૅન્કનો કારોબાર નબળો પડી જાય. પરંતુ કદી આવી કામગીરી લોકશાહી રાષ્ટ્રમાં થવાની નથી, કારણ કે દરેકના સ્થાપિત હિત તેમાં છે.

ભારતમાં સ્વિસ બૅન્કની શાખા ખોલવાની પરવાનગી છેલ્લાં પાંચ વર્ષોથી આપવામાં આવી નથી. કારણ સ્પષ્ટ છે, અહીંથી રકમ ત્યાં ટ્રાન્સફર કરવી અતિ સરળ બાબત બની જાય તેવું છે. આથી તો સ્વિસ બૅન્કની એક પણ બ્રાન્ચ માટે અરજી મંજૂર થઈ નથી. આ બાબતે હવે ખુદ સ્વિસ બૅન્ક સત્તાવાળાઓએ જ વિચારણા કરવી રહી કે આવું કેમ બને છે.

દરેક બાબતને હવે તો વૈશ્ર્વિક સ્તરે પણ માનવ કલ્યાણ અને પ્રજાના અધિકારના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તદ્દન નાની વ્યક્તિની સુખાકારી અને કલ્યાણના નવા આધાર વિકસ્યા છે. આવે વખતે જો સમૃદ્ધ રાષ્ટ્ર અન્યની લાગણી માટે કોઈ ખેવના નહીં રાખે તો કોઈ અર્થ રહેવાનો નથી.

સ્વિસ બૅન્ક દ્વારા થયેલો નિર્ણય ખૂબ જ ઉચિત છે. હવે ભારત સરકારે તે મુદ્દે સત્તાવાર રીતે પત્ર લખીને કેટલી રકમ પડી છે અને તેના પર કરવેરા વસૂલ કરવાના બાકી છે તેને આધાર બનાવીને કાર્યવાહી શરૂ કરવી જોઈએ. આ બાબતે ખૂબ વિલંબ થયો છે. તદ્દન મામુલી રકમ પણ ભારતની બેન્કિંગ સિસ્ટમમાં આવશે તો તે લાખની પાણ બની રહેશે.

Saturday, September 21, 2013

ચંદ્રકાંત બક્ષી - ગુજરાત અને બિહાર: સમાન અને મહાનનો ફર્ક...

સર્જનનો ઈતિહાસ વિદ્વાનો માટે રહસ્ય રહ્યો છે. સામાન્ય લાગતી બાબતોમાં પણ રહસ્ય છુપાયેલું હોય છે અને એ રહસ્ય ખોલવા માટે લગભગ વૈજ્ઞાનિક સ્તરનું અનુસંધાન કરવું પડે છે. કાઠિયાવાડના ગાંઠિયા ગુજરાતી પ્રજાનું વ્યંજન બની ગયા. છે. આ ગાંઠિયા ચણાના આટાના એટલે કે બેસનના બને છે અને કાઠિયાવાડમાં મુખ્ય પાક મગફળીનો છે. મગફળીને પ્રોસેસ કરીને એમાંથી ગાંઠિયા કેમ બનતા નથી? અને કાઠિયાવાડમાં ચણાનો ‘પાક’ કેટલો થાય છે? કયા ભેજામાંથી આ ગાંઠિયાની ઉત્પત્તિ થઈ હશે? ગાંઠિયા એક અદ્ભુત વ્યંજન છે, જલેબી સાથે અને મરચાં સાથે ખાઈ શકાય છે. દાંત વગરના અને દાંતવાળા ખાઈ શકે છે, શ્રમિકથી શેઠ સુધી બધા એ ખાય છે, ગમે તે સીઝનનો સંભારો એની સાથે ચાલી શકે છે. આ માત્ર એક દૃષ્ટાંત છે, પ્રજાજીવનની વિચિત્રતા અને વિશેષતાનું, અને અભ્યાસીઓ આવાં પ્રમાણોની પાછળનાં સૂત્રસંધાનો શોધતા રહે છે.

પ્રજાઓ સમાન હોય છે કે કોઈ પ્રજા બીજી પ્રજા કરતાં વધારે મહાન હોય છે? મનુષ્યની શિરાઓમાં લોહી તો એક જ વહેતું હોય છે, તો સમાન-મહાનનો ભેદ હોઈ શકે? હોય છે! બિહારમાં વિશાળ નદીઓ છે. દેશનો ૩૦ ટકા વરસાદ પૂર્વ ભારતમાં પડે છે. બિહારની ધરતીમાં લોખંડ, કોલસો, મેંગેનીઝ, લાઈમસ્ટોન બધું જ છે, જમીન ફળદ્રુપ છે, વસતિ ભરપૂર છે, પણ બિહાર હિંદુસ્તાનના સૌથી ગરીબ પ્રદેશોમાંનો એક છે. સામે ગુજરાતનું દૃષ્ટાંત છે. ગુજરાતના પાંચ હિસ્સાઓ છે. કચ્છમાં રણ છે, ઉત્તર ગુજરાત બંજર પ્રદેશ છે. સૌરાષ્ટ્રમાં માત્ર મગફળી થાય છે. મધ્ય ગુજરાતમાં તમાકું અને દૂધ છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેળાં થાય છે. ધરતીની નીચે, બિહારની તુલનામાં ગુજરાત પાસે કાંઈ જ નથી અને ગુજરાત દેશના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાં છે. ગુજરાતની પ્રજા પાસે પથ્થરમાંથી સમૃદ્ધિ પેદા કરવાનું ખમીર છે. ભૂગોળ અને ઈતિહાસે ગુજરાતને અન્યાય કર્યો છે, પણ પ્રજા મહાન છે. લેખક સમરસેટ મોેમે મલાયા જોઈને ઘણાં વર્ષો પહેલાં લખ્યું હતું કે મલાયા એ ‘ફર્સ્ટ ક્લાસ ક્ધટ્રી, વિથ સેક્ધડ ક્લાસ પીપલ’ છે. (ફર્સ્ટ ક્લાસ દેશ, પણ સેક્ધડ ક્લાસ લોકો). આજે મલેશિયા બદલાઈ ગયું છે અને એ વ્યાખ્યા અપ્રસ્તુત થઈ ગઈ છે. પણ હિંદુસ્તાનમાં આજે ઘણા પ્રદેશો એવા છે જેમને માટે કહી શકાય કે ફર્સ્ટ ક્લાસ ધરતી છે અને થર્ડ કે ફોર્થ ક્લાસ લોકો છે! જોકે ગુજરાતના રાજકારણમાં છેલ્લાં ૪૪ વર્ષમાં એવી સ્થિતિ ઘણી વાર આવી છે ત્યારે મેં વિધાન કર્યું છે કે ગુજરાતી પ્રજા ફર્સ્ટ ક્લાસ છે, પણ એમના નેતાઓ થર્ડ ક્લાસ છે અને આ વિધાન દરેક પક્ષને લાગુ પડે છે.

ઈતિહાસના જન્મથી આજ સુધી જોવામાં આવ્યું છે કે કેટલીક પ્રજાઓ અન્ય પ્રજાઓ કરતાં વધારે પ્રગતિ કરે છે, એની પાછળ કયાં કારણો હોય છે? નાનકડા પોર્ટુગલની વસતિ ૧૫મી, ૧૬મી સદીમાં એક કરોડ જેટલી હશે એવો અંદાજ કરવામાં આવ્યો છે, અને પોર્ટુગલ આખા જગત પર ફેલાઈ ગયું હતું. અંગોલા, બ્રાઝિલ, કેપ વર્દે, ગોવા, મકાઓ, ગીનીબિસાઉ, મોઝામ્બિક અને આજે વિશ્ર્વમાં ૧૭ કરોડ લોકો પોર્ટુગીઝ ભાષા બોલે છે! ફ્રાન્સનું સામ્રાજ્ય ક્યાં ક્યાં ફેલાયેલું હતું? દક્ષિણ અમેરિકા તરફના, ફ્રેંચ પોલિનેશિયાથી ઓસ્ટ્રેલિયા પાસેના ન્યુ કેલેડોનીઆ સુધી ફ્રેંચોની સત્તા હતી, જેમાં ઈન્ડો-ચાઈના (આજનું વિયેતનામ), પોંડિચેરી અને અલ્જિરિયા આવી જતાં હતાં. વિશ્ર્વમાં સાથી વિસ્તૃત બ્રિટિશ સામ્રાજ્ય હતું. આજે પણ ઇંગ્લેન્ડની વસતિ માત્ર પ કરોડ ૯૦ લાખ જેટલી છે. ગુજરાતની વસતિ પ કરોડની છે અને એમાં મુંબઈ અને ડાયાસ્પોરા ગુજરાતીઓ ઉમેરવામાં આવે તો એ વસતિ પ કરોડ પ૦ લાખ જેવી થવા જાય છે. એટલે લગભગ ગુજરાત જેટલું ઇંગ્લેન્ડ દુનિયામાં ક્યાં ક્યાં છવાઈ ગયું હતું? કેનેડા, જમૈકા, બાર્બાડોસ, ટ્રિનિડાડ, એંગુલા, નાઈજીરિયા, ગોલ્ડ કોસ્ટ, કેેમેરૂન, સિયેરા લિયોન, ગેમ્બીઆ, કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, ન્યાસાલૅન્ડ, દક્ષિણ રહોડેશિયા, ઉત્તર રહોડેશિયા, દક્ષિણ પશ્ર્ચિમ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સેશલ્સ, પાકિસ્તાન, ઈન્ડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલાયા, બોર્નાઓ, હૉંગકૉંગ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, નાઉરુ, ફિજી! (આમાં હિન્દુસ્તાની ઉપખંડના નામો સિવાય બીજા બધા દેશો-પ્રદેશોનાં નામો બ્રિટિશ સામ્રાજ્યના સમયનાં જ રખાયાં છે.)

મહાનતાની કોઈ ફોર્મ્યુલા હોતી નથી, પણ અમુક લક્ષણો જરૂર સાફ દેખાય છે. પ્રાચીન સુમેરિયન પ્રજા તત્કાલિન સમયમાં લાકડાંનાં મોટાં મોટાં જહાજો બાંધવા માટે મશહૂર હતી અને એમના દેશ સુમેરિયામાં એ પ્રકારનું લાકડું (ટિમ્બર) થતું જ ન હતું.! આ સુમેરિયનો ઈતિહાસકારો માટે એક રહસ્યરૂપ રહ્યા છે. ઈરાકની ટાઈગ્રિસ અને યુક્રેટિસ નદીઓની વચ્ચેના પ્રદેશમાં સુમેરિયા એ પ્રથમ મનુષ્ય સંસ્કૃતિ હતી એવું મનાય છે. એમણે કાંસા (બ્રોન્ઝ)ની વસ્તુઓ બનાવી જયાં કોઇ ધાતુ મળતી ન હતી. એમણે મોટાં નગરો વસાવ્યાં, પથ્થર વિના હેંગિગ-ગાર્ડનો ઊભાં કર્યાં અને નદીઓ પર માત્ર માટી અને બ્રશવુડના સૂકા છોડ દબાવીને બંધો બાંધ્યા! પ્રાચીન સુમેરિયાથી અર્વાચીન જાપાન સુધી ઘણા દેશો અને પ્રજાઓનો આવો સમાંતર સાંસ્કૃતિક ઈતિહાસ છે. જાપાનમાં પેટ્રોલ નથી, કોલસો નથી, લોખંડ નથી દરિયો છે માટે માછલાં મળી રહે છે અને જે ધરતી છે એમાં માત્ર ડાંગર-ચાવલ ઉગાડી શકાય છે. ભાત અને માછલી એ જ લગભગ આખી પ્રજાને મળી શકે છે, બહારનું લગભગ બધું આયાત કરવું પડે છે અને જાપાનીઝ પ્રજા, ભૂતકાળની સુમેરિયન પ્રજાની જેમ, લોખંડ કે કોલસા કે પેટ્રોલ કે મેંગેનીઝ વિના મોટાં જહાજો, ટર્બાઈન્સ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ટ્રાન્સમિશન ટાવરો જેવી સેંકડો વસ્તુઓ બનાવીને દુનિયાભરમાં વેચે છે! સમાન અને મહાન વચ્ચેનો ફર્ક પ્રજાઓના ચારિત્ર્યમાં સ્પષ્ટ દેખાય છે.

અમુક પ્રજાઓની અમુક ખાસ વિષયમાં જ વિશેષતા હોય છે એ જીન્સ કે વંશી કારણોસર હોય છે? આ પ્રશ્ર્નનો ઉત્તર ઈતિહાસકાર કરતાં સમાજશાસ્ત્રી પાસે મળી શકે છે. હિંદુસ્તાનીઓ સ્નૂકર કે બિલીઅર્ડ્ઝમાં વિશ્ર્વકક્ષાના છે. તો પાકિસ્તાનીઓ સ્ક્વોશમાં પ્રથમકક્ષ છે, ચામડાનું કામ કરનારાં ચર્મકારો હિન્દુ હોય છે, પણ કસાઈના વ્યવસાયમાં મુસ્લિમો વધારે છે, કારણ કે પૂરી ગિલ્ડ ધર્મપરિવર્તન કરે છે એમ ઈતિહાસ કહે છે. સોની બધા જ હિન્દુ હોય છે. ચીનાઓ રમકડાં અને રંગીન કાગળનાં ફાનસો અને સુશોભનો બનાવવામાં નિપુણ હોય છે. કચ્છી સ્ત્રીઓ ભરતકામ અને આભલાંની કઢાઈમાં વિશ્ર્વભરમાં નામ કમાઈ ચૂકી છે.

લખનૌની સ્ત્રીઓ ચિકનવર્ક અને ગૂંથણકાર્યમાં માહિર હોય છે. મુંબઈમાં પસ્તીનો ધંધો કરનાર કચ્છીઓ, રસોઈયા ઈડરના, વૉચમેન નેપાલી અને ટેક્સી ડ્રાઈવરો ઉત્તર ભારતીય હોય છે. પહેલાં દાંતના બધા જ ડૉક્ટરો ચીના રહેતા હતા, સિલ્ક વેચવા એ લોકો જ આવતા. પઠાણો હિંગ વેચતા, કાચનો વ્યવસાય વહોરાઓ પાસે છે, હાડવૈદો પારસી રહેતા, સોનાના કારીગરો બંગાળી હોય છે, નર્સો કેરળથી આવે છે અને બ્રેડ-બિસ્કિટની બેકરીઓમાં ઈરાનીઓ અને પારસીઓની મોનોપોલી છે. ઝવેરીઓ અને હીરાના વેપારીઓમાં જૈનોનું પ્રમાણ ઘણું મોટું છે. મુંબઈના કવિઓ અને પત્રકારોમાં લગભગ કાઠિયાવાડીઓ છે અને કાર્ટૂનિસ્ટોમાં કચ્છીઓનું બાહુલ્ય છે. નાટકોમાં મુખ્ય અભિનેતાઓ અને અભિનેત્રીઓમાં બ્રાહ્મણોની ટકાવારી બહુ વધારે છે. ઉચ્ચારશુદ્ધિ એ એક કારણ હોઈ શકે છે?

ક્રિકેટ કે હોકીના ખેલાડીનો પુત્ર ક્રિકેટ કે હોકી પ્લેયર થઈ જાય એ સમજાય એવું છે, પણ રાજકારણીનો સુપુત્ર રાજકારણી કેવી રીતે બની જાય છે? નહેરુ-ગાંધી પરિવારમાં જન્મ્યા વિના? એની બુદ્ધિ જરૂર અસામાન્ય હોવી જોઈએ...!



ક્લૉઝ અપ

અગ્નિ=અંગતિ ઊર્ધ્વ ગચ્છતિ ઈતિ

(અર્થ: ઉપર તરફ જે જાય છે એ અગ્નિ છે.)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103699

ચંદ્રકાંત બક્ષી - જૂનું ગુજરાતી: પેંગડા છાકની મજા વન ફોર ધ રોડમાં ક્યાં છે?

૧૯૭૫માં ઈમર્જન્સી આવી ત્યારે ગુજરાતી પાસે કટોકટી શબ્દ હતો, મરાઠી પાસે આણીબાણી શબ્દ હતો, પણ હિન્દીવાળાઓને તકલીફ પડી. એમની પાસે ઈમર્જન્સીનો કોઈ હિંદી પર્યાય ન હતો. એમણે એક લાંબો શબ્દ બનાવ્યો: આપાતકાલીન સ્થિતિ! ગુજરાતી ભાષા હિન્દુસ્તાનના મધ્ય ભાગની હિંદી કરતાં જુદી પડે છે. ગુજરાતી પર પ્રાકૃતની અસર છે. ગુજરાતી ભાષામાં અપભ્રંશ સ્વીકારવામાં આવ્યો છે. અપભ્રંશ એક અશુદ્ધિ છે, પણ ગુજરાતી ભાષાના લચીલાપણાએ અપભ્રંશને ભાષાનો જ એક ભાગ બનાવી દીધો છે. ગુજરાતી ભાષામાં દૃેશ્ય શબ્દોની ભરમાર છે. ગુજરાતીમાં એવા પણ શબ્દો છે જે રવાનુકારી છે અથવા જે અવાજ થાય છે એને અનુરૂપ ધ્વન્યાત્મક ઉચ્ચારણવાળા છે. ‘ધડાધડ’ અથવા ‘ગડગડાટ’ આવા રવાનુકારી શબ્દોનાં પ્રમાણો છે. મૂળ તત્સમ્ સંસ્કૃત શબ્દનું ક્યારેક સામાન્યીકરણ થઈ જાય છે. એ શબ્દ બોલવો ફાવે છે. દૈનિક વ્યવહારમાં વપરાય છે, એ તત્સમ્ શબ્દ તદ્ભવ બને છે. ઉદાહરણરૂપે, રાત્રિ શબ્દ તત્સમ્ છે અને રાત શબ્દ તદ્ભવ છે. કઠિન શબ્દ બોલાતો નથી.પણ તદ્ભવ સ્વરૂપ ‘કઠણ’ વાતચીતમાં વપરાય છે. પ્રાકૃત, અપભ્રંશ, તળપદી, દૃેશ્ય, રવાનુકારી, તદ્ભવ શબ્દોએ ગુજરાતી ભાષાને એવા શબ્દો આપ્યા છે જે આપણી ભાષાને અન્ય ભાષાઓથી જુદી પાડે છે, ઘણી ક્રિયાઓ, વિચારો, વર્તનો આ શબ્દોને લીધે આપણે સરળતાથી પ્રસ્તુત કરી શકીએ છીએ, કટોકટી એક એવો શબ્દ છે.

ગુજરાતીનું હિન્દીકરણ અને સંસ્કૃતીકરણ થઈ રહ્યું છે. એ સારી વાત છે. પણ જૂની ગુજરાતીમાં કેટલાક શબ્દ એવા છે જેના પર્યાય મળતાં મુશ્કેલી પડે છે. એ શબ્દો ભૂંસાઈ રહ્યા છે અથવા સ્થાનિક કે પ્રાદેશિક બની રહ્યા છે. અવસાન પછી આપણે ‘ખરખરો’ કરવા જઈએ છીએ જે એક લાક્ષણિક ગુજરાતી શબ્દ છે. ગળું ખંખેરીને રડવું? સહરુદન? કદાચ એ શબ્દમાંથી અર્થ ઊભરે છે અને ઘણા આ પ્રકારના શબ્દો અનુવાદ કે તરજુમાથી પર છે.

આ પ્રકારના શબ્દો કદાચ સુશ્રાવ્ય નથી. બરછટ પણ લાગે છે. પણ એ અર્થસભર છે, ગુજરાતી ગ્રામ્ય કે ગ્રામીણ બોલી મટીને એક નાગરિક ભાષા બની ચૂકી છે. હજારો નવા શબ્દો ઉમેરાયા છે. હજારો જૂના શબ્દો લોપ થતા જાય છે. જૂની કહેવતો જોતાં કે સો વર્ષ જૂનાં વૃત્તાંતો વાંચતાં સમજાય છે કે જૂની ગુજરાતીમાંથી કેટલા શબ્દો આપણે સાચવી શક્યા નથી. સન ૧૯૨૫-૧૯૨૬ આસપાસ ગાંધીજી આત્મકથામાં એક શબ્દ વાપરે છે: ‘હું વર્ષના ૩૦૦ પાઉંડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું. તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાય...’ આપણે આજે ૧૯૮૮માં બાંયધરી શબ્દ નિરકુંશ વાપરીએ છીએ પણ ‘ખોળાધરી’ શબ્દ સંભળાતો નથી. દરેક શબ્દનું એનું પોતાનું એક વૈશિષ્ટ્ય છે.

ગુજરાતી ભાષાના કેટલાય શબ્દો આપણે અચેત અવસ્થામાં સદૈવ વાપરતા રહીએ છીએ અને એના શબ્દાર્થ તરફ બેધ્યાન રહીએ છીએ. કેટલાય શબ્દપ્રયોગો એટલા બધા સરસ અને વ્યાપક છે કે એ અલ્પમાં ઘણું બધું સમાવી લે છે. દા.ત. ‘વત્તેઓછે અંશે!’ આવો શબ્દ કાયદાબાજ પ્રજા જ વાપરી શકે. આવા કેટલાક ગુજરાતી શબ્દો આપણે રોજ વાપરીએ છીએ, ‘જોઈતુંકરતું’ મગાવશો. ‘જડબાતોડ’ જવાબ આપ્યો, બધું ‘બંધબેસતું’ આવ્યું. ગુજરાતીઓમાં એક ‘કોઠાસૂઝ’ છે. ‘લાગતાવળગતા’ઓને સમાચાર અપાઈ ગયા છે. મારી ‘લાગવગ’ છે, ‘જાણીજોઈને’ જ એણે કર્યું છે. ‘લેણીદેણી’ની વાત છે. ‘ખૂણેખાંચરે’થી સાફ કર્યું...

લાગ જોઈને વગ લગાડવાની ક્રિયા લાગવગ કહેવાઈ હશે? ખૂણામાંથી અને ખાંચામાં (ખાંચરે)થી સાફ કરવું. બંધ થવું અને બરાબર બેસી જવું (ફિટ થવું). આ ક્રિયાઓ ગુજરાતી ચોકસાઈ બતાવે છે. જડબાતોડ આપણે સમજીએ છીએ પણ આડેધડ એવો જ કોઈ શબ્દ છે? આડેધડ કાપવું એટલે અસ્તવ્યસ્ત, જેમ આવે તેમ, અવ્યવસ્થિત વેતરવું? જાણીને અને જોઈને કરવું એ વેપારનીતિ છે.

આપણા સામંતશાહી કાઠિયાવાડના દિવસોએ એક નવો શબ્દકોશ જન્માવ્યો હતો. એ શબ્દો આજે પણ જરા જુદા સંદર્ભમાં વપરાવા માંડ્યા છે. થોડા નમૂના: પડખિયા, વળાવિયા, ઢંઢોરિયા, આડતિયા, લાગવગિયા, ખટપટિયા, બોચિયા, મળતિયા, આંગડિયા આવા શબ્દો બેશુમાર છે. બહુ ઓછી ભાષાઓ પાસે આ દરબારી સંસ્કૃતિના શબ્દો હશે. ગુજરાતી ભાષામાં જીહજૂરિયા ભાષાના શબ્દોનું વૈવિધ્ય પ્રજાજાગૃતિ દર્શાવે છે.

વાત શબ્દોના ગોત્ર કે વ્યુત્પત્તિની પણ નથી. પ્રજાની પ્રતિભા શબ્દો જન્માવે છે. નવા અનુભવો અથવા નવા શબ્દો બંધાય છે એવું પણ બન્યું છે. ‘તોફાની બાર્કસ’ શબ્દ વિષે હું વિચાર કરતો હતો કે આ ક્યાંથી આવ્યો હશે? અને એક વાર મેં વાંચ્યું કે બાર્કસ એક નાનું ઝડપી વહાણ હતું જે પોર્ટુગીઝો ગુજરાતના કિનારા પાસે ફેરવતા હતા. મોટાં મોટાં વહાણોની વચ્ચે ઘૂસીને એ નુકસાન કરતું, તોફાન મચાવતું. કદાચ ચાંચિયાઓ દરિયામાર્ગ પર એ વાપરતા હશે. આપણા પરિવારોમાં નાના તોફાની છોકરાને તોફાની બાર્કસ કહેવાતો હતો. એને કદાચ આ પોર્ટુગીઝ શબ્દ સાથે સંબંધ હશે.

‘ભૂખ્યો ડાંસ’ શબ્દમાં ડાંસ એ મચ્છર અથવા નાનું જંતુ છે જેની રક્તપિપાસાનો અંત નથી. ‘આડોશીપાડોશી’ શબ્દ એના અર્થ પ્રમાણે જોઈએ તો એવી વ્યક્તિઓ જે પાડોશમાં કે પાસે રહે છે અને એવી વ્યક્તિઓ જે આડશ કે આડ કે પડદા પાછળ રહે છે? આગળ અને પાછળ બંને અર્થો આમાં આવી જાય છે. કર્તાહર્તા પણ એક ગુજરાતી શબ્દ છે. બંગાળીમાં દુકાન પ્રતિષ્ઠાનના માલિક અથવા શેઠને માટે કહેવાય છે કે આ શ્રીમાન આ દુકાનના ‘કર્તા’ છે. પણ ગુજરાતીઓએ શ્રીમાનને એટલા જલદીથી છોડી દેતા નથી. એ ‘કર્તાહર્તા’ છે. ‘કર્તા’ એટલે કરનારા, જમાવનારા, બનાવનારા અને ‘હર્તા’ એટલે? નાશ કરનારા?

આપણાં આધુનિક રસોડાંઓમાં પ્રેશર-કૂકર સંસ્કૃતિ ચાલી રહી છે. બે મોઢાવાળો ઓવન છે અને ઉપર સ્ટીમથી રસોઈ થઈ જાય એવું કૂકર છે. આપણી જૂની ગુજરાતીમાં કહેવત હતી કે ઓલામાંથી ચૂલામાં પડ્યો. કોઈ જંતુ કે નાનું જાનવર ઓલાની આગમાંથી ભાગવા માટે કૂદયું અને ચૂલાની આગમાં પડ્યું એવો અર્થ છે. ઓલા શબ્દનો દૃશ્ય ઉચ્ચાર ઉલ્લી પણ થાય છે. ગામોમાં રસોડામાં બે નાના ચૂલા રહેતા હતા, એકમાં કદાચ ગરમી ઓછી રહેતી હતી અને એમાં રસોઈ ધીમે તાપે થતી હતી. એ ઓલો હતો. બીજામાં પ્રખર તાપ રહેતો, એ ચૂલો હતો. એ ચૂલાઓની રચના જ એ પ્રકારની હતી. આજે ગેસના ઓવન કે ચૂલામાં એક ઓછા તાપવાળો છે અને એક વધારે તાપવાળો છે જેની રચના એ જ સિદ્ધાંત પર આધારિત છે. આપણે ત્યાં એક શબ્દ છે: વીસમવું, જે હજી પણ વપરાય છે. રસોઈ થઈ ગયા પછી વરાળ અંદર જ બેસી જાય ત્યાં સુધી એને ઢાંકી રાખવાની ક્રિયાને વીસમવું કહેવાય છે. પ્રેશર-કૂકરવાળી જ આ વાત છે. આમાં ‘કાચર-કૂચર’ ખોરાકની વાત નથી. આમાં ‘કાચરકૂચર’ એટલે કાચું અને કોરું અન્ન.

પણ એક ગુજરાતી શબ્દ જે ખરેખર અદ્ભુત છે એ છે: અંજળ! જ્યાં સુધી અન્ન અને જળનો સંબંધ છે. જ્યાં સુધી અંજળ છે ત્યાં સુધી આપણે નોકરી કરીએ છીએ. અંજળ છે ત્યાં સુધી એ ઘર કે નગર કે વ્યક્તિની સાથે રહીએ છીએ. હિંદી-ઉર્દૂમાં આવો જ એક શબ્દ છે: આબોદાના! પણ આબોદાનાનો અર્થ મર્યાદિત છે, ગુજરાતી અંજળ જેવો ઉદાત્ત નથી. આબોદાના રોટી અને નોકરી સુધી જ સીમિત છે. ગુજરાતી શબ્દ અંજળ લગભગ કિસ્મત કે વિધાતા જેટલી ઊંચાઈએ જાય છે.

કેટલાય જૂના દૃેશ્ય શબ્દો ખોવાઈ ગયા છે, કેટલાય ખોવાવાની પ્રક્રિયામાં છે. આંગળિયાત એટલે પહેલા પતિનાં સંતાનો જે આંગળી પકડીને માની સાથે બીજા ઘરમાં આવ્યાં હતાં. ઘરખવું કે ઘરઘરણું એટલે પુનર્લગ્ન. ક્રિયાપદરૂપે વપરાય છે: એ ઘરઘીને આવી હતી. ઘણા શબ્દોનાં ગોત્ર મળતાં નથી. ‘બેબાકળો’ ક્યાંથી આવે છે? ‘ઉછેદિયું’. એટલે નિર્વંશ ગયો. એનો માલ. ‘ખોગીર’ એટલે ગુણ વગરનો માણસ. ‘આઝા’ એટલે ગાતા જવું અને છાતી કૂટતા જવું. એક જૂની કહેવત છે: વિવાહમાં વાજાં અને મરણમાં આઝા.

ગુજરાતી ભાષામાં બજારોની એક પૂરી વેપારી ભાષાનો સમાવેશ થઈ ગયો છે. મુંબઈમાં વેપાર કરવો હોય તો ગુજરાતી શબ્દો જ વાપરવા પડે. ‘ઘટતું કરશો’નું અંગ્રેજી વેપલો શબ્દ ગુજરાતી છે. કિકબેક જેવા શબ્દ ગુજરાતી ‘કટકી કૌભાંડ’ જેવા કોમિક શબ્દ શોધી શકે છે. ‘ચોખ્ખો’ શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને ‘નક્કી’? ‘ઊથલપાથલ’ એક રવાનુકારી શબ્દ છે, સાંભળવાથી જ એનો અર્થ સમજી શકાય છે. બંગાળીમાં ધંધાના શબ્દો ઓછા છે (‘ધંધો’ શબ્દ કોંકણીમાં પણ છે. એનું ગોત્ર પોર્ટુગીઝ છે?) બંગાળીઓ આંદોલનવાદી પ્રજા છે. એમની એક ગમ્મતી નોકરિયાત કહેવત: આશિ જાઈ માહિને પાઈ... કાજ કોરે બેશિ ચાઈ... (આવશું જઈશું, પગાર લઈશું પણ જો કામ કરીશું તો વધારે માગીશું).

ભાષા અવાવરું (અવ્યવહારુ પરથી?) વસ્તુ નથી. અમેરિકનોએ એક શબ્દ બનાવ્યો છે: ‘રેઈનચેક’. અર્થ વાયદા જેવો થાય છે. કોઈ કંપની ૧૫૦ ડોલરની વસ્તુ ૧૦૦ ડોલરમાં આપે પણ માલ ખતમ થઈ ગયો હોય તો રેઇનચેક આપે. એટલે કે નવો માલ આવે ત્યારે ૨૦૦ ડોલરની કિંમત હોય તો પણ જેની પાસે રેઈનચેક હોય એને એ માલ વાયદા પ્રમાણે ૧૦૦ ડોલરમાં જ મળે. ગુજરાતી વેપારીને તો આ વિચારથી જ લો બ્લડપ્રેશર થઈ જાય.

શબ્દભૂમિની યાત્રાનો એક રોમાંસ હોય છે. હવે એ છોડીને જઈએ. પણ આવજો કહેતાં પહેલાં શરાબીઓ કહે છે એમ: વન ફોર ધ રોડ! જતાં જતાં છેલ્લો એક પેગ પીતા જાઓ! આપણી મહાન ગુજરાતી સંસ્કૃતિમાં આ ‘વન ફોર ધ રોડ’ માટે અસ્સલ ગુજરાતી શબ્દપ્રયોગ છે. બાપુ! એક ‘પેંગડા છાક’ થઈ જાય. થાવા દો. છૂટા પડતી વખતે ઘોડાના પેંગડામાં પગ હોય અને એડી મારતાં પહેલાં એક છાક (પેગ) પી જાઓ એ થયો ‘પેંગડા છાક.’ આ પેંગડા છાક શબ્દમાં જે મજા છે એ ‘વન ફોર ધ રોડ’માં ક્યાં છે?...



ક્લૉઝ અપ

જીવન રમૂજી નથી. જીવનમાંથી ઉલ્લાસ નિચોવવા માટે તમારે ફિલસૂફ બનવું પડે છે.

ફ્રાંસના સૌથી સફળ હાસ્યકાર ફિલિપ બુવાર્ડ.

Saturday, September 14, 2013

વિદેશી બૅન્કમાં પડેલી થાપણોને પરત લાવો

કેન્દ્ર સરકારની કરન્ટ એકાઉન્ટની ખાધ ખાસ્સા પ્રમાણમાં વધી છે. આ માટે ઘણી બાબત જવાબદાર છે, પરંતુ પેટ્રોલ આયાતનું જંગી પ્રમાણ અને સોનાની આયાત એ બે મુદ્દા તેમાં મહત્ત્વના છે. સોનાની આયાત ઘણા કારણથી થાય છે, છતાં એમ કહી શકાય કે ભારતમાં સોનાનો સંગ્રહ પરંપરાગત રીતે થાય છે અને થતો રહ્યો છે.

સોનું-દાગીના-ઝવેરાત વગેરે જણસ બચત છે અને તેને સ્ત્રીધન ગણવામાં આવે છે, જ્યારે પતિને આર્થિક મુશ્કેલી પડે તે વખતે તેનો ઉપયોગ કરવા મહિલા વર્ગ તે આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની અનામત આર્થિક સધ્ધરતાની નિશાની ગણાય છે. આવે વખતે ભારત પર વધતી આર્થિક ભીંસ હળવી કરવા સોના પર કેન્દ્ર સરકારની નજર પડી હતી.

ભારતના હિન્દુ મંદિરો પાસે સોનાનો જથ્થો છે તેથી પહેલા તો ત્યાં પ્રયાસ કરવામાં આવ્યો. હિન્દુ મંદિરો પાસે સોનાનો જે જથ્થો છે તે સમાજનો છે તેને દેવદ્રવ્ય ગણવામાં આવે છે. તેના પર કોઈનો અધિકાર નથી. તેવે વખતે પોતાના જ કરતૂતોથી આર્થિક સંકટમાં આવેલી કેન્દ્ર સરકાર શા માટે આવી સંપત્તિ પર નજર નાખે છે?

ભૂતકાળમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ ટ્રસ્ટોની અબજો રૂપિયાની સંપત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. પ્રજાના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓના વહીવટ પર દેખરેખ રાખવાને બહાને બે ટકા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં તેમને બરાબર ટિંગાડી દઈને કાયદો ઘડનારાઓને કાયદો બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સમજાવવામાં આવ્યો છે!

વધારે પ્રમાણમાં આયાત અને ખાસ કરીને પેટ્રોલ - ડીઝલ પાછળ અઢળક વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે, પરંતુ આયાતો કેમ વધી? જવાબ મળે છે કે ખોટી નીતિઓની કારણે. તો પછી આવી ખોટી આર્થિક નીતિ કેમ બદલવામાં આવતી નથી? રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ દક્ષિણ ભારતના મંદિરો પાસે સોનાનો કેટલો જથ્થો છે તે જાણવા એક પત્ર લખ્યો છે.

વિકાસ કરવાના નેજા હેઠળ જે મૂળભૂત વ્યવસ્થા હતી તે તોડી નાખવામાં આવી છે અને હવે રઘવાયા થયા છે. ૧૯૫૦ સુધી ડીઝલ - પેટ્રોલની આયાત માત્ર રૂ. ૩૦ કરોડની પ્રતિ વર્ષ હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઈંધણ અને ઘરગથ્થુ ઊર્જા લગભગ નિ:શુલ્ક હતી. તે બાબતની સાથે ચેડાં થયા અને આજે હવે મંદિરોનું સોનું હડપ કરી જવા સુધી વાત પહોંચી છે.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાને કયા મંદિર પાસે કેટલા પ્રમાણમાં સોનાનો જથ્થો છે તે જાણવાનો અધિકાર કઈ રીતે પ્રાપ્ત થયો છે? રિઝર્વ બૅન્કને આવો સરક્યુલર મોકલવાની પ્રેરણા કોણે આપી છે? દક્ષિણના મંદિરો જે ટ્રસ્ટ સંચાલિત છે તેમની પર કાર્યવાહી થયા બાદ વ્યક્તિગત સોનાનો સંગ્રહ ધરાવનાર સામે પણ આવી કાર્યવાહી થવાની પૂરી શક્યતા છે.

પ્રશ્ર્ન એ છે કે કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે મંદિરોએ શા માટે સોના માટે કોઈ ખાતરી આપવી જોઈએ? છેલ્લાં ૫૦-૬૦ વર્ષથી માત્ર થીંગડા મારવાની આર્થિક નીતિ અમલી બની છે. પ્રજાને બેહાલ બનાવીને ભ્રષ્ટ રાજકારણીઓ અને લાંચિયા સરકારી અધિકારીઓએ તેમના નાણાં વિદેશી બૅન્કમાં જમા કરાવ્યા છે તે નાણાં પરત લાવવા કેમ કંઈ થતું નથી?

તિરૂપતિ બાલાજી મંદિર પાસે ૧૨૦૦ થી ૧૫૦૦ ટન સોનાનો જથ્થો હોવાની જાણકારી છે, જ્યારે સમગ્ર ભારતમાં જે સોનાનો જથ્થો છે તે ૩૦ થી ૩૫ હજાર ટનનો હોવાનો અંદાજ છે. રાજકારણીઓ પૈસા ઉડાવે અને દેવદ્રવ્ય તરીકે મંદિરોનું સોનું હડપ કરીને આયાત - નિકાસના આંકડાનો મેળ ત્યારપછી બેસાડવામાં આવે છ, પરંતુ આયાત ઓછી કરવા અને સરકારી ખર્ચા ઘટાડવા શું થયું છે?

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે આર્થિક બાબતો પરથી પક્કડ ગુમાવી છે. ૧૦ વર્ષના શાસનમાં જેટલા ખોટા નિર્ણયો થયા છે તેનાથી માત્ર ભ્રષ્ટ વ્યક્તિઓને જ લાભ થયો છે. પ્રમાણિક અને નિષ્ઠાવાનના ભાગે તો ભૂખમરો જ આવ્યો છે. છતાં કહેવાતી વિકાસની યોજનાઓ ચાલી રહી છે કે જેમાં માત્ર ગરીબોની જ જમીન પડાવી લેવામાં આવે છે.

સિદ્ધાંત, આદર્શ-ધ્યેય, કર્તવ્ય અને આવશ્યકતા આ બધી બાબત અને વર્તન તથા પ્રવૃત્તિ બન્ને અલગ અલગ છે. પ્રવૃત્તિ કરતાં સિદ્ધાંત અને તેનો નિર્ણય એ વધુ મહત્ત્વની બાબત છે, પરંતુ પ્રધાનો દ્વારા લેવાતા નિર્ણય પ્રજાને આજે વિનાશક જણાય છે. વળી ખોટો નિર્ણય લેનારની કોઈ જવાબદારી જ નથી તે બાબતને હવે કેવી ગણવી?

"સોને કી ચિડિયા ગણાતા ભારતમાં આજે કેન્દ્ર સરકાર હવે મંદિરોના સોના પર નજર બગાડી રહી છે તે વાત ભલે હાલમાં ઠંડી પડી ગઈ હોય, પરંતુ "રાષ્ટ્રના હિતના નામે ભવિષ્યમાં તેને સક્રિય કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. તેવે વખતે કંઈક નવી ભાષા - નવી પરિસ્થિતિ અને નવા જ સંજોગોને રજૂ કરવામાં આવે તેમ છે. પ્રજાએ હવે જાગૃતિ અને સાવધાની રાખવી રહી.

તંત્રીલેખ, Mumbai Samachar,14-09-2013

Thursday, September 12, 2013

એવો અભિપ્રાય પ્રજાને સ્વીકાર્ય બને તેવો નથી

વડા પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહ ખૂબ જ ધીરગંભીર અને મિતભાષી છે. પરંતુ તેમણે જ્યારે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધી વડા પ્રધાન બને અને તેમના હાથ નીચે કામ કરવાનું તેમને ગમશે તેવો જે અભિપ્રાય આપ્યો છે તે રાજકારણ પ્રેરિત છે અને કમસે કમ વડા પ્રધાનને તેમ જ તેમના હોદ્દાને શોભા આપે તેવી બાબત તેમાં નથી. પરંતુ આવી અભિવ્યક્તિથી એક વાત નિશ્ર્ચિત થઈ ગઈ છે કે તેઓ હવે વર્ષ ૨૦૧૪ પછી હોદ્દા પર રહેવા માગતા નથી. હજુ સુધી રાહુલ ગાંધીનું કોઈ જ કૌવત કે રાજકીય કુનેહ પ્રજાને જોવા મળ્યા નથી. રાહુલ ગાંધી હાલમાં સાંસદ છે અને કૉંગ્રેસ પક્ષના મહામંત્રી છે. તેઓ પક્ષના મહામંત્રી બની શક્યા છે કારણ કે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે અને તેઓ નહેરુ - ગાંધી કુટુંબના હોવાથી તે હોદ્દા સુધી પહોંચી શક્યા છે.

જેમને કોઈ અનુભવ નથી, વહીવટી કાબેલિયત નથી તેવા રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાનું ગમશે તેમ કહેવું તે વડા પ્રધાનના હોદ્દાને લાંછન થાય તેવી બાબત છે. ડૉ. મનમોહન સિંહે રિઝર્વ બેન્કના ગવર્નર, નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકે ૧૦ વર્ષ કામ કર્યું છે. તેમને એવી કઈ લાચારી અને મજબૂરી છે કે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવું પડે?

સમગ્ર બાબત જ તદ્દન અયથાર્થ છે. આવો અભિપ્રાય ડૉ. મનમોહન સિંહને શોભતો નથી. પ્રજાને તેમના પ્રતિ જે આદર છે તે આવી બાબતથી ઓછો થઈ જાય છે. વડા પ્રધાનનો હોદ્દો એક ગૌરવ અને મોભાનું સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ તે હોદ્દા સુધી પહોંચી શકતી નથી. વળી રાહુલ ગાંધી તો ઉત્તર - પ્રદેશમાંથી કઈ રીતે લોકસભામાં ચૂંટાય છે તે સૌ કોઈ જાણે છે. તેમાં લાયકાત કરતાં બીજી બાબતો વધુ હોય છે. કૉંગ્રેસ પક્ષમાં એ દિવસો ગયા કે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી જેવી અકિંચન - નિર્ધન બ્રાહ્મણ કુટુંબની વ્યક્તિ વડા પ્રધાન બની શકતી હતી. આવી બાબતની હવે અપેક્ષા રાખી શકાય તેમ નથી. આજે કૉંગ્રેસમાં જૂથબંધી, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ અને કોમી ધોરણે ભાગલા ભરપેટ જોવા મળે છે. વળી ત્યાં આગળ વધવાનું અને ઉપર સુધી પહોંચવાનું કાર્ય અતિ મુશ્કેલ બની ગયું છે. કૉંગ્રેસ પક્ષમાં સફળ થવું આકાશકુસુમવત્ છે.

ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે કેવી નાટકીય ઢબે પસંદ થયા હતા તે વર્ષ ૨૦૦૪ની ઘટના આજે પણ રાજકારણની અજાયબી ગણાય છે. પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગેરહાજર રહીને સર્વાનુમતે ઠરાવ પસાર થયો, બાદમાં કહ્યું કે તેઓ વડા પ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારવા માગતાં નથી. બાદમાં ધીમે ધીમે ડૉ. મનમોહન સિંહનું નામ આગળ કરવામાં આવ્યું હતું.

હાલના વડા પ્રધાન કદી લોકસભામાં ચૂંટાયા નથી. રાજ્યસભાના મેમ્બર હોવાથી તેઓ સાંસદ ગણાય છે અને આસામના પ્રતિનિધિ તરીકે તેઓ રાજ્યસભામાં છે. તેમણે રહેણાંકના પુરાવા - રેશનકાર્ડ વગેરે સઘળું આસામના રહેવાસી તરીકે આપ્યું છે. તેમના જન્મ તારીખના દાખલા અને સરકારી નોકરી કરી છે ત્યાં દર્શાવેલી જન્મ તારીખ બન્ને વિરોધાભાસી છે. આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ થઈ છે. નહેરુ - ગાંધી કુટુંબને વફાદાર વ્યક્તિ ગમે તે કાયદાનો ભંગ કરે, પરંતુ તેમને કોઈ તકલીફ પડતી નથી. આથી તે ૧૯૬૯માં જગજીવનરામ કે જેઓ દલિત - હરિજનના ઉદ્ધારક તરીકે ઈંદિરાજી સાથે કૉંગ્રેસના ભાગલા વખતે રહ્યા હતા. તેમણે ૧૦ વર્ષના આવકવેરાના રિટર્ન ભયાર્ં નહોતાં તે વાત બહાર આવી હતી. તેમના માટે પાછલી અસરથી કાયદો સુધારવામાં આવ્યો હતો. જ્યારે નાણામંત્રી તરીકે પ્રણવ મુખરજી હતા, તેમના પર જાસૂસી કરવા તે વખતના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એવી યંત્રણા ગોઠવી હતી તે વાત જાહેર થઈ ગઈ અને દેકારો થયા બાદ બન્નેએ માફામાફી કરી હતી. આ કલ્ચર હવેની કૉંગ્રેસનું છે. તેવે વખતે દેખિતી રીતે જ ડૉ. મનમોહન સિંહને તે જ દિશામાં ચાલવું પડે છે. આથી જ કદાચ તેમણે રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હશે!!

છેલ્લાં ૧૦ વર્ષની કામગીરીમાં ડૉ. મનમોહનસિંહ સફળ છે કે નિષ્ફળ તે વાતનો નિર્ણય હવે પછી મતદારો કરશે, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે પ્રજાની અપેક્ષા અનુસાર કામ થયું નથી અને ચૂંટણીમાં આપવામાં આવેલા વચન પ્રમાણે કશું થયું નથી. પક્ષનાં અધ્યક્ષા અને વડા પ્રધાનની વિચારધારા પરસ્પર વિરોધાભાસી છે. સોનિયા ગાંધી સસ્તા દરે અનાજ આપીને ચૂંટણી જીતવા માગે છે તે વાત વડા પ્રધાનની વિચારધારાથી વિપરીત છે.

ગઠબંધન સરકારની અનેક મજબૂરી હોય છે તે વાતનો સ્વીકાર ડૉ. મનમોહન સિંહે વારંવાર કર્યો છે. વર્ષ ૨૦૦૪-૦૯ના ગાળામાં ડાબેરીઓએ તેમની વિચારધારા, મુક્ત અને ખાનગી ક્ષેત્રના હિમાયતી વડા પ્રધાન પર અનેક દબાણની નીતિ અપનાવી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૦૯થી હાલ સુધીના સમયમાં કૌભાંડ, ગેરરરીતિ અને ભ્રષ્ટાચારની જે ઘટના બની છે તે પ્રજા ભૂલવાની નથી. દરેક વ્યક્તિ અને તેના હોદ્દાની ગરિમા હોય છે. તેનાથી નીચે ઊતરવું જોઈએ નહીં. પરંતુ રાહુલ ગાંધી માટે અહોભાવ વ્યક્ત કરીને જે રીતે વડા પ્રધાને અભિપ્રાય આપ્યો તે સામાન્ય નાગરિકને સ્વીકાર્ય બને તેવો નથી. લોકશાહીમાં વ્યક્તિપૂજાને કોઈ સ્થાન નથી, પરંતુ આજે સિદ્ધાંતો અને વિચારધારાનું સ્થાન વ્યક્તિપૂજાએ લીધું છે તે હકીકત છે.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103505

Wednesday, September 11, 2013

ઉ. પ્રદેશના કોમી દંગલ: ‘ફેંકું’ અંગ્રેજી માધ્યમો!!

કોમી તોફાનો માટે પંકાયેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હિંસાને કારણેે મૃત્યુઆંક ૩૮ સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ તદ્દન અકાર્યક્ષમ અને ડફોળ મુખ્ય મંત્રી પુરવાર થયા છે. માત્ર ભાગ્યને કારણે તથા મત રોકડાની રાજનીતિ થકી મુખ્ય મંત્રી બનેલા અખિલેશ યાદવના શાસનમાં કોમી દંગલોની ૫૦ ઘટના છેલ્લાં દોઢ વર્ષમાં બની છે.

આવી બાબતો છતાં કેટલાક ફેંકું અંગ્રેજી મીડિયા અને ટીવી ચેનલો તો જાણે કશું જ બન્યું નથી તેવો વ્યવહાર અને વર્તન કરી રહી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ઉત્તર પ્રદેશમાં આવી ઘટના બનશે તેવી ચેતવણી દિવસો પૂર્વે આપવામાં આવી હતી, તેમ છતાં વહીવટીતંત્રએ તેવી બાબતને ગંભીરતાથી લીધી નહોતી. ઉત્તર પ્રદેશમાં તો દરેક નિર્ણય વૉટ બેન્કને આધારે જ થઈ રહ્યો છે.

મુઝફ્ફરનગરમાં બે પત્રકારોને મારી નાખવાની ઘટના બની છે તે ગંભીર બાબત છે. હાલમાં તો ત્યાં કોઈપણ પત્રકાર કે ટીવીના કેમેરામેનને જવા દેવામાં આવતા નથી. એક પણ દૈનિક સમાચાર પત્ર કે પત્રિકાનું વિતરણ થવા દેવામાં આવતું નથી. તમામ પ્રકારના સમાચાર ઉપર પ્રતિબંધ મૂકીને સેન્સરશિપ કોઈને પૂછયા વગર જ લાદવામાં આવી છે.

ત્યાં રહેતાં લોકો જીવ બચાવવા નાસી છૂટ્યા છે તેમ છતાં ઉત્તર પ્રદેશના પ્રશાસને કોઈ જ પગલાં ભર્યાં નથી. ઉત્તર પ્રદેશમાં છેલ્લાં કેટલાક સમયથી લઘુમતી તુષ્ટિકરણની પ્રક્રિયા એટલી પ્રબળ રીતે ચાલી રહી છે કે બહુસંખ્યક વર્ગ દ્વારા હવે ઉગ્ર પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યો છે. મુલાયમસિંહ અને માયાવતીએ વાવેલા પાપ હવે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફૂટી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ અને બિહાર એ દેશના બે મોટા રાજ્ય આજે "ક્રિમિનલ સ્ટેટબની ગયા છે. ત્યાં સૌથી વધુ ગુનાખોરી પ્રવર્તમાન છે. સૌથી વધુ જનસંખ્યા ધરાવનાર આ બે રાજ્યમાં રોજગારીની ઘણી પાંખી તક છે. ખેતીવાડીની જમીન શ્રેષ્ઠ કક્ષાની અને સિંચાઈ માટે પાણીની પૂરી સુવિધા છતાં આ રાજ્યોની આવક ઘણી ઓછી છે, તેનું કારણ નપાવટ રાજકીય નેતૃત્વ છે.

છેલ્લાં ૨૫ વર્ષથી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ એ બે પક્ષોની મંડળીનું જ શાસન રહ્યું છે. તેમણે આટલાં વર્ષોમાં શું કર્યું છે? સમાજના વિવિધ વર્ગોને લડાવીને તેમણે બંનેએ સત્તા જાળવી રાખી અને અબજો રૂપિયા એકત્ર કર્યા છે, એટલું જ નહિ તેઓ ન્યાયતંત્રની તપાસની આંટીમાં પણ આવતા નથી તેવી તો સિફતપૂર્વકની તેમની ગોઠવણ હોય છે.

મુલાયમસિંહ અને માયાવતીએ આટલી ગેરરીતિઓ કરી છે છતાં તેઓ કાયદાની ચુંગાલમાંથી કઈ રીતે બચી જાય છે તે સમજવું અતિ મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં કોમી દંગલો ભૂતકાળમાં સેંકડોની સંખ્યામાં થતાં હતા. દોઢ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં આવી ૫૦ ઘટના બની છે તેને અંગ્રેજીભાષી દૈનિકો અને કેટલીક ટીવી ચેનલો હેતુપૂર્વક જ દબાવી રાખે છે. સૌથી વધુ ભ્રષ્ટ રીતરસમ આવા મીડિયા દ્વારા થઈ રહી છે. ટીવી ચેનલોના રાજદીપ સરદેસાઈઓ, બરખા દત્ત, તિસ્તા સેતલવાડ અને મેધા પાટકર દ્વારા આવી ઘટના પ્રતિ આંખ આડા કાન કરવામાં આવે છે તેની નોંઘ સમગ્ર પ્રજા લઈ રહી છે. "બિકાઉ અંગ્રેજી માધ્યમો આવે વખતે હૈયા ફૂટેલાં સાબિત થઈ રહ્યા છે. આવી એકાદ ઘટના નથી, સેંકડો દૃષ્ટાંત આપી શકાય જેમાં પૂર્વગ્રહ અને દ્વેષ આપોઆપ છતાં થઈ રહ્યા છે. લઘુમતી તુષ્ટિકરણ હેઠળ ઉત્તર પ્રદેશમાં તમામ સરકારી યોજનાનો લાભ એક ચોક્કસ વર્ગને જ મળી રહ્યો છે. કરવેરાની આવકમાંથી તેમના માટે બનતી યોજનાઓમાં રોજગારી - આવક અને વ્યવસાય તેમને ફાળે જઈ રહ્યા છે તેવે વખતે બહુસંખ્યક વર્ગ શું આંખો બંધ કરીને બેસવાનો છે? બહુમતી વર્ગ આવી તમામ હરકતો જોઈ રહે છે અને પ્રસંગ આવ્યે જ પ્રત્યાઘાત આપે છે. કોમવાદના મૂળ વૉટ બેન્ક (મત રોકડા)ની રાજનીતિમાં પડેલા છે. સામાન્ય વ્યક્તિના મનમાં કોઈ કડવાશ નથી, પરંતુ એકને લાભ થાય અને બીજાને નુકસાન તેવી અર્થનીતિ અમલી બને તો દેખીતી રીતે જ તેનો પ્રત્યાઘાત સમાજમાં આવે છે. જે ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના પરથી સ્પષ્ટ રીતે જાણવા મળે છે. તુષ્ટિકરણની પણ કોઈ હદ હોય છે.

ઉત્તર પ્રદેશમાં રોજગારી અને વ્યાપાર વ્યવસ્થાની તક ઘણી મર્યાદિત છે, કારણ કે શાસન માત્ર રાજકારણ ખેલી રહ્યું છે. અખિલેશ યાદવ કદી સફળ મુખ્ય મંત્રી બની શકે તેવું નથી, કારણ કે તેમની દૃષ્ટિમાં જ કોમવાદ અને ભેદભાવ છે. માત્ર અંગ્રેજી દૈનિકોને વિજ્ઞાપન આપી દેવાથી જ પ્રજાનો વિશ્ર્વાસ જીતી શકાતો નથી. વિશ્ર્વાસ જીતવા માટે શ્રેણીબદ્ધ કાર્ય કરવા પડે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાતિવાદ - જ્ઞાતિ - ધર્મ અને કોમનું વર્ચસ્વ ઘણું વ્યાપક છે ત્યાં લોકોને રોજગારી વ્યવસાય જોઈએ છે તે વખતે રાજકીય પક્ષો રાજકારણનાં આટાપાટા ખેલે છે. વળી આવું લાંબો સમયથી ચાલે છે. કૉંગ્રેસ પક્ષની રાજનીતિના પાઠ ભણીને સમાજવાદી પક્ષ અને બસપાએ ઉત્તર પ્રદેશને ઊંધે માથે કરી નાખ્યું છે, જ્યાં સુધી આવા છાપેલાં કાટલાઓ છે ત્યાં સુધી રાજ્યનો કોઈ ઉદ્ધાર થવાનો નથી.

Source: Mumbai Samachar dated 11 September (Good Morning)