Showing posts with label ડૉ. જે. જે. રાવલ. Show all posts
Showing posts with label ડૉ. જે. જે. રાવલ. Show all posts

Monday, May 25, 2020

વિજ્ઞાનની દુનિયામાં ભારતનું મહાન અને પાયાનું પ્રદાન ‘શૂન્ય’ --- ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડને સમજવાના પાયામાં ભારતીય મનીષીઓનું યોગદાન ખૂબ જ ઉત્કૃષ્ટ છે. ભારતીય મનીષીઓએ જે શૂન્ય ૧,૨,૩....૯,૧૦ ના આંકડા, સંખ્યા પદ્ધતિ, દશાંશ પદ્ધતિ શોધી છે તે બેનમૂન છે, બેજોડ છે. જો ભારતીયોએ આ સંખ્યા પદ્ધતિ શોધી ન હોત તો કોઇ પણ વિજ્ઞાન આગળ વધી શક્યું જ ન હોત. ભારતીય આંકડા પદ્ધતિ વિષે આઇન્સ્ટાઇન શું કહે છે તે જાણો : "આખું જગત ભારતીયોનું ઋણી છે જેમણે શૂન્ય, આંકડા અને દશાંશ પદ્ધતિ શોધી આપણને ગણતરી કરતાં શીખવ્યું છે, નહીં તો વિજ્ઞાન આગળ વધ્યું જ ન હોત. ભારતીયોએ ૧૦/૫૭ એટલે કે એક પછી ૫૭ શૂન્ય ધરાવતી બધી સંખ્યાનાં નામો પણ આપ્યાં છે. જૈન ગ્રંથોમાં ૧૦/૧૪૨ સુધીની સંખ્યાનો ઉલ્લેખ છે.

જો ભારતીયોએ શૂન્ય દશાંશ પદ્ધતિ અને આંકડા ન શોધ્યાં હોત તો આપણે આ વિશાળ બ્રહ્માંડને કેવી રીતે સમજી શક્યા હોત. દૃશ્યવિશ્ર્વ ૧૪ અબજ પ્રકાશવર્ષની ત્રિજ્યા ધરાવે છે. એક પ્રકાશવર્ષ એટલે લગભગ દસ હજાર અબજ કિલોમીટર એટલે કે દૃશ્યબ્રહ્માંડની ત્રિજયા એક લાખ ચાલીસ હજાર અબજ અબજ કિલોમીટરની થાય. વિજ્ઞાનની ભાષામાં તે ૧૪ડ૧૦૨૨ કિલોમીટર લખાય. એટલે કે ૧૪ ઉપર ૨૨ શૂન્ય. તે જ પ્રમાણે સૂક્ષ્મ જગત પણ ૧૦-૧૩, ૧૦-૩૪ મીટર જેટલું સૂક્ષ્મ છે. ૧૦-૩૪ એટલે એકના છેદમાં એક ઉપર ૩૪ શૂન્ય થાય. પ્લાંક લંબાઇ ૧૦-૩૪ મીટર છે, અને પ્લાંક સમય ૧૦-૪૪ સેક્ધડ છે. ભારતીય આ આંકડા અને દશાંશ પદ્ધતિ પૂરું જગત રોજેરોજ વાપરે છે. શું દુનિયાના વિજ્ઞાનને ભારતનું આ મહાન અને પાયાનું પ્રદાન નથી? મશ્કરીમાં કહેવાય છે કે ભારતે આ આંકડા શોધ્યા ન હોત તો હજારો કરોડના સ્કેમ, પ્રોજેક્ટ અને બજેટ આપણને કેવી રીતે સમજાત? જેને દુનિયા પાયથાગોરસનો પ્રમેય કહે છે તે r2=x2 +y2
હકીકતમાં પાયથાગોરસે તે પ્રમેયની વાત કરી તે પહેલાં ૨૦૦ વર્ષ પહેલાં તેને ભારતીય ઋષિ બૌધાયને શોધ્યું હતું. પણ આપણને આપણી અસ્મિતાની જ જાણ નથી, તેમાં આપણે બીજા લોકોનો ક્યાં વાંક કાઢવાનો રહે? આ પાયથાગોરસ કે બૌધાયન પ્રમેય બ્રહ્માંડને માપવાની મેઝરિંગ ટેપ છે. તે ત્રિપરિમાણીય વિશ્ર્વમાં માપન કરે છે. આઇન્સ્ટાઇનની સ્પેશિયલ થીઅરીમાં સમય ચોથું પરિમાણ છે, પણ તેમાં પ્રવેગની વાત નથી અને તેથી તેનું વર્ણન કરવા ચાર પરિમાણવાળી યુક્લિડની ભૂમિતિ પૂરતી છે, જેમાં ચોથું પરિણામ સમય છે. પણ જ્યારે બ્રહ્માંડમાં પ્રવેગ હોય અને હકીકતમાં બ્રહ્માંડમાં થોડે અંશે બધે જ પ્રવેગ હોય જ છે, ત્યારે યુક્લિડીએતર ભૂમિતિ ((non-euclidean geometry) ની જરૂર પડે. આમ બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણને માપવા ચાર પરિમાણમાં યુક્લિડીએતર ભૂમિતિની પાર્શ્ર્વભૂમિમાં બૌધાયન પ્રમેય કાર્યરત છે. આટલું મોટું મહત્ત્વ ખગોળ-ભૌતિકશાસ્ત્રમાં બૌધાયન પ્રમેયે કે પાયથાગોરસ પ્રમેયનું છે. આ પ્રમેય જ અવાસ્તવિક સંખ્યાને જન્મ આપ્યો છે. આઇન્સ્ટાઇને જે ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ આણી તેના પાયામાં બૌધાયન-પાયથાગોરસનો પ્રમેય છે. દુનિયાના વિજ્ઞાનમાં ભારતીય ઋષિનું આ મહત્ત્વનું યોગદાન છે.

દુનિયાનો સૌથી પ્રથમ ગ્રંથ ઋગ્વેદ પ્રાચીન ભારતીય ઋષિઓએ લખ્યો હતો.

દુનિયાની પ્રથમ વિશ્ર્વવિદ્યાપીઠ તક્ષશીલા અને પછી વિક્રમશીલા અને નાલંદા ભારતમાં સ્થપાઇ. સુશ્રુત, જીવક, ચરક, ચાણક્ય ત્યાં વિદ્યાર્થીઓ હતા અને પછી ત્યાં આચાર્યો થયા. આર્યભટ્ટ નાલંદા વિશ્ર્વવિદ્યાપીઠના કુલગુરુ હતા. સુશ્રુત સંહિતા, ચરકસંહિતા આજે પણ વિદ્યમાન છે અને તબીબીવિદ્યા અને ઔષધવિદ્યામાં પ્રકાશ પાડે છે. સુશ્રુત જાતજાતના ઓપરેશનો કરતાં. તેમણે ઓપરેશન માટે જાતજાતનાં ઉપકરણો વિકસાવ્યાં હતાં. ઋષિ કણાદે અણુ-પરમાણુ વિષે વિસ્તૃત સંશોધન કર્યું હતું જે આધુનિક વિજ્ઞાનીઓએ ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના પ્રારંભે કર્યું. સહજાનંદ સ્વામીએ અઢારમી સદીમાં કહ્યું હતું કે કોઇ પણ રજકણના કોટીને કોટી ભાગ કરો તેમાં પણ અંતરીક્ષ છે. એટલે કે અણુમાં ડોકિયું કરી શકાય છે, તે સઘન નથી. આ અણુવિભાજનની વાત છે. ઋષિ જીવકે એ સ્પષ્ટ કર્યું હતું કે કોઇ પણ વનસ્પતિ નકામી નથી. તેનો રોગ નિવારવામાં ઉપયોગ છે. જીવક બિંબિસાર અને કનિષ્કના ફેમિલી ડૉક્ટર હતા.

દિલ્હીમાં કુતુબમિનારની નજીક જે લોહસ્તંભ છે તે સદીઓથી કટાયો નથી. પ્રાચીન ભારતમાં લોહશાસ્ત્ર ((metallurgy) નો જબ્બર વિકાસ થયો હતો. ભારતમાં જાતજાતની ગળીઓ બનતી અને ધાતુમાંથી ઉત્કૃષ્ટ આયના બનતા. દશમી સદીમાં થઇ ગયેલા નાગાર્જુને ઇમિટેશન જ્વેલરીનો પાયો નાખ્યો હતો આજે તે ઇલેક્ટ્રોપ્લેટિંગની ક્રિયાથી જાણીતી છે.

દુનિયાનું સૌપ્રથમ કેલેન્ડર ભારતીય અદિતિ કેલેન્ડર હતું

જે ૮૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયું હતું. પછી કૃષ્ણ ભગવાનના નિર્વાણ પછી કલિ કૅલૅન્ડર શરૂ થયું. વર્ષમાં જે દિવસે, દિવસ-રાત સરખા થાય દરેક બરાબર બાર-બાર કલાકના અને જે દિવસે સૂર્ય બરાબર પૂર્વમાં ઊગે તે વસંતસંપાતનો દિવસ કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમમાં ખસે છે અને દર વર્ષે તે ખૂણાની પ૦ સેક્ધડ ખસે છે જે ૭૨ વર્ષ એક અંશે ખસે તેની સૂક્ષ્મ જાણ પ્રાચીન ભારતીય મનીષીઓને હતી. જોકે તેમને વસંતસંપાતનું ચક્ર ૨૫૮૦૦ વર્ષનું છે તે ખબર ન હતી પણ આઠમી સદીમાં ભારતીય ઋષિ મુંજાલે વસંતસંપાત બિન્દુનું સમયચક્ર ૨૫૮૦૦ વર્ષ છે તે શોધી કાઢ્યું હતું. ૭૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત મૃગનક્ષત્રમાં થયોહતો તે ઋગ્વેદમાં સ્પષ્ટ છે. મહાભારતના યુદ્ધ સમયે વસંતસંપાતબિન્દુ કૃત્તિકાનક્ષત્રમાં હતું તે વેદવ્યાસ મુનિએ સ્પષ્ટ કર્યું છે. આપણા પ્રાચીન મનીષીઓને કયા દરે વસંતસંપાત પશ્ર્ચિમમાં ખસે છે તેની જાણ હતી અને તેની જગ્યા મહાભારત યુદ્ધ વખતે કૃત્તિકામાં હતી, અને ૨૦૦૦ વર્ષ પહેલાં તે મેષ રાશિમાં હતું. આમ કૃત્તિકાથી મેષ રાશિના કોણીય અંતરની જાણને લીધે આપણે કહી શકીએ કે મહાભારતનું યુદ્ધ ૫૦૦૦ વર્ષ પૂર્વે થયું હતું. તેવી જ રીતે વેદો લખાયા તે સમયે વસંતસંપાત બિન્દુ મૃગનક્ષત્રમાં હતું, તેથી મૃગનક્ષત્રથી મેષરાશિ સુધીના કોણીય અંતરની જાણને લીધે આપણે કહી શકીએ કે વેદો ૭૦૦૦ વર્ષ પૂર્વે લખાયા હતાં.

૨૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત બિન્દુ મેષરાશિમાં હતું. હાલમાં તે મીનરાશિના પ્રારંભે છે. વસંતસંપાત બિન્દુ જે રાશિ કે નક્ષત્રમાં હોય તે રાશિચક્રની પ્રથમ રાશિ બને છે. આમ જ્યારે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ સરકે છે તેનો અર્થ થાય પૂરું રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે. અને લગભગ ૨૦૦૦ વર્ષે પ્રથમ રાશિનો ઇલ્કાબ તેની પશ્ર્ચિમે રહેલી રાશિને મળે છે.

આમ શા માટે થાય છે તે જાણવું રસપ્રદ છે. પૃથ્વીની ધરી ૨૩.૫ અંશે વાંકી છે, ઢળેલી છે. ઉપરાંત પૃથ્વી તેની ભૂમધ્યરેખા પર ફૂલેલી છે. તેથી સૂર્ય અને ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ બળો તેને સીધી કરવા મથે છે. પણ પૃથ્વી ખૂબ વજનદાર હોવાથી તેની ધરી સીધી થઇ શકતી નથી અને ઘૂમતા ભમરડાની માફક હાલક-ડોલક થાય છે અને આકાશમાં નાનું વર્તુળ બનાવે છે. પૃથ્વીની આ ગતિને પૃથ્વીની પરાંયન ગતિ કહે છે. જે તારો પૃથ્વીની ધરીની સીધી રેખામાં હોય છે તે પૃથ્વીનો ધ્રુવનો તારો બને છે. આમ પૃથ્વીની ધરી જે આકાશમાં નાનું વર્તુળ બનાવે છે, તે વર્તુળ પર જે તારો હોય તો તે જ્યારે પૃથ્વીની ધરી તેની દિશામાં આવે છે, ત્યારે તે તારો ધ્રુવનો તારો બને છે.

ભૂતકાળમાં ૨૦૦૦ વર્ષ પહેલાં શેષનાગ તારામંડળનો થુબન નામનો તારો આપણો ધ્રુવતારો હતો. હાલમાં નાના રીંછની પૂંછડીએ આવેલો તારો ધ્રુવતારો છે. ૧૧૦૦૦ વર્ષ પછી સ્વરમંડળનો અભિજિત તારો આપણો ધ્રુવતારો બનશે. આવું બધું ઉચ્ચજ્ઞાન આપણા પ્રાચીન મનીષીઓને હતું. ધ્રુવતારો બદલાતો રહે છે તેવું જ્ઞાન આપણા ઋષિઓને હતું.

સામાન્ય રીતે આપણે પૃથ્વીને દડા જેવી ગોળ લઇએ છીએ. તે પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે. પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી તેની સપાટી પરનું દરેકે દરેક બિન્દુ તેની સપાટીનું કેન્દ્ર ગણાય અને હકીકતમાં કોઇ પણ બિન્દુ તેનું નિરપેક્ષ કેન્દ્ર નથી.

ભારતીય મનીષીઓને ચંદ્રની કળાએ મહિનો આપ્યો. ભારતીય કેલેન્ડર પ્રમાણે સૂર્યોદય થાય ત્યારે દિવસનો પ્રારંભ થતો, તિથિનો પ્રારંભ થતો. ચંદ્ર જ્યારે સૂર્યથી ૧૩ અંશ દૂર જાય એટલે તિથિ બદલાતી. જો તે સૂર્યોદય વખતે ૧૩ અંશથી વધારે ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થતો અને જો તે હજુ ૧૩ અંશ ચાલી ન ગયો હોય તો તિથિ બેવડાતી. આ હકીકતમાં નિરીક્ષણાત્મક રીતે કેપ્લરના નિયમો છે, કારણ કે કેપ્લરના નિયમો પ્રમાણે પૃથ્વી ફરતે ચંદ્ર અને સૂર્ય ફરતે ગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમા કરતા નથી, પણ દીર્ઘવર્તુળ (લંબવર્તુળ - ઊહહશાતય) કક્ષામાં પરિક્રમા કરે છે. માટે તે તેના પિતૃ આકાશીપિંડથી કોઇ વાર ઘણા નજીક હોય છે અને તેની અર્ધીકક્ષા પછી તે તેના પિતૃઆકાશીપિંડથી દૂર હોય છે. જ્યારે તે તેની પિતૃઆકાશીપિંડથી નજીકમાં હોય છે ત્યારે તેને પોતાને ટકાવી રાખવા જલદીથી ગતિ કરવી પડે છે અને જ્યારે તે તેના પિતૃઆકાશીપિંડથી દૂર હોય છે ત્યારે તે ધીરે ધીરે ગતિ કરે છે. માટે તેનો પિતૃઆકાશીપિંડના નજીકના બિન્દુએ આવતો હોય ત્યારે તિથિનો ક્ષય થાય છે,જ્યારે દૂરના બિન્દુએ હોય ત્યારે તિથિ બેવડાય છે. આ પૂર્ણ રીતે કેપ્લરના નિયમો છે, જે નિરીક્ષણાત્મક રીતે તેમને ખબર હતી.

પ્રાચીન ભારતીય મનીષીઓને એ પણ ખબર હતી કે ચંદ્ર જ્યારે આકાશમાં પૂનમથી પૂનમ કે અમાવસ્યાથી અમાવસ્યા સુધીમાં એક ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે અને ચંદ્ર જ્યારે આકાશમાં બાર ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય આકાશમાં એક ચક્ર લગાવી તેની પ્રારંભની રાશિમાં આવે છે. આને આપણે વર્ષ કહીએ છીએ. આમ વર્ષના ૧૨ મહિના થયા. મહિનાના બે ભાગ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ છે. શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ઘટે છે. શુક્લ પક્ષના પણ બે ભાગ થાય છે. પડવેથી અષ્ટમી સુધીનો અને અષ્ટમીથી પૂર્ણિમા સુધીનો. તેવી જ રીતે કૃષ્ણ પક્ષના પણ બે ભાગ થાય છે. પૂર્ણિમા પછીની પડવેથી અષ્ટમી અને અષ્ટમીથી અમાસ. આપણા પ્રાચીન મનીષીઓને અતિસૂક્ષ્મ સમયની ગણનાની પણ ખબર હતી. નિમિષમાત્ર એટલે એટલો સમય જે આંખના પલકારામાં પસાર થતો સમય. તેનાથી પણ સૂક્ષ્મ સમયગણના તેઓ કરી શકતા.

ચંદ્રને તારાના સંદર્ભે પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતાં ૨૭.૫ દિવસ લાગે છે, પણ પૂનમથી પૂનમના સંદર્ભે તેને ૨૯.૫ દિવસ લાગે છે, કારણ કે પૃથ્વી તે દરમિયાન ૩૦ અંશ ચાલી ગઇ હોય છે તેથી પૂનમથી પૂનમ સુધી પહોંચતા તેને ૨૯.૫ દિવસ લાગે છે. માટે ચાંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ ૩૬૫ દિવસનું હોય છે, ખરેખર તો ૩૬૫.૨૪૫ દિવસનું હોય છે. આમ દર વર્ષે ચાંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષમાં લગભગ ૧૧ દિવસનો ફરક પડે છે. આ બંને ગતિનો મેળ બેસાડવા પ્રાચીન ભારતીય મનીષીઓએ દર ત્રણ વર્ષે અધિક માસની સ્થાપના કરી. અધિકમાસનો ઉલ્લેખ છ હજાર વર્ષ પૂર્વે લખાયેલા ઋગ્વેદમાં છે. એટલે કે ભારતીયો ૬૦૦૦ વર્ષ પૂર્વે સૂર્ય, ચંદ્રની ગતિવિધિ વિષે બરાબર જાણતા હતા. આ ખરેખર મહાન વાત છે. એમાં દિવસના પણ સૂક્ષ્મ વધારાને દિવાળીના દિવસોમાં ધોકા તરીકે બેસાડી દીધો જેથી નામ વગરના દિવસ વિષે કોઇ વધારે પડાપૂછ કરે નહીં. અધિકમાસને તેમણે પુરુષોત્તમ (વિષ્ણુ)ના મહિના તરીકે ઓળખાવ્યો જેથી તેઓ ઇશ્ર્વરની ભક્તિ કરે અને કથાઓ અને પુરાણો સાંભળી ભારતીય સંસ્કૃતિને સ્વસ્થ રાખે.

ગે્રગોરિયન કેલેન્ડર એ ગમે તેમ બેસાડેલું કૅલૅન્ડર છે. તેમાં ૭ મહિના ૩૧ દિવસના અને ચાર મહિના ૩૦ દિવસના, ફેબ્રુઆરી ૨૮ દિવસ અને દર ચાર વર્ષે લીપ યર જેમાં ફેબ્રુઆરી ૨૯ દિવસનો હોય છે. જો સદીનું વર્ષ ૪૦૦એ ન ભગાય તો ૨૮ દિવસનો ફેબ્રુઆરી જો ૪૦૦થી ભગાય તો તે વર્ષ લીપ યર એટલે કે તે વર્ષમાં ફેબ્રુઆરી ૨૯ દિવસનો. આમ ગ્રેગોરિયન કૅલૅન્ડરમાં ૩૬૫.૨૪૫ દિવસ બેસાડી દીધો છે. જુલાઇ, ઑગસ્ટ પાસે પાસેના મહિના ૩૧ દિવસના. આમ તેમાં કોઇ તર્ક નથી. તેમ છતાં એ સારું કૅલૅન્ડર છે.

http://bombaysamachar.com/epaper/e24-2-2019/UTSAV-SUN-24-02-2019-Page-10.pdf

બ્રહ્માંડ પરિવર્તનશીલ છે માટે બ્રહ્માંડનાં સત્યો પણ બદલાવાં જ જોઇએ -- ડૉ. જે. જે. રાવલ

સત્ય એટલે શું? સત્ય કોઇને કહેવાય? સત્ય એટલે જે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યમાં સાચું રહે તે સત્ય. સત્ય પામવાના ઘણા રસ્તા છે જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે. તે જ રીતે સત્ય પામવાના ઘણા રસ્તા છે. તે જ રીતે ઇશ્ર્વરને પામવાના પણ ઘણા રસ્તા છે. માટે તો ભારતમાં ૩૩ કરોડ દેવતા છે, ૬૫ કરોડ પણ હોઇ શકે. સત્ય, ઇશ્ર્વર, જ્ઞાન, અંતરીક્ષ, બ્રહ્મ, સમય, ધર્મ, આ બધાં એકના એક જ છે. માત્ર નામ જુદાં છે. આ બધાં જ નિરંજન-નિરાકાર છે. આ બધામાં આપણને કોઇ પણ દેખાતું નથી, પણ કાર્ય કરે છે. તમને બુદ્ધિ દેખાય છે? ભાવના, કરુણા, ડહાપણ દેખાય છે? ઊર્જા દેખાય છે? અંતરીક્ષ દેખાય છે? નથી દેખાતાં પણ તેઓ છે અને કાર્ય કરે છે.

એક કોન્સ્ટેબલ, પત્રકાર, સરકારી અધિકારી, વિજ્ઞાની, એન્જિનિયર, ડૉક્ટર, ઉદ્યોગપતિ, રાજકારણી, શિક્ષક, સરકારી ઓફિસનો સામાન્ય ક્લાર્ક, બધાં જ પોતપોતાના કાર્યક્ષેત્ર દ્વારા સત્યને, ઇશ્ર્વરને પામી શકે છે.

દરેકે દરેક બાબતના અને ક્ષેત્રના સત્યો અલગ અલગ હોય છે, તેમ છતાં સત્ય તો એક જ છે. આ બાબત આપણા મનીષીઓ હજારો વર્ષ પહેલાં સમજી ગયા હતા, માટે તો તેઓએ કહેલું, એકદ્ સદ્ વિપ્રા: બહુધા વદ્ન્તિ ા અર્થાત્ સત્ય એક જ છે પણ વિદ્વાનો તેને અલગ અલગ રીતે વર્ણવે છે.

વિજ્ઞાનીની કુદરત તે સામાન્ય માનવીનો ઇશ્ર્વર છે અને વિજ્ઞાનીના કુદરતના નિયમો તે સામાન્ય માનવીના ઇશ્ર્વરના નિયમો છે. કુદરત એ જ ઇશ્ર્વર અને ઇશ્ર્વરનું વિશ્ર્વરૂપ દર્શન.

સત્ય દિક્ - કાળ પર પણ આધાર રાખે છે. એક સાધુ મહાત્મા હતા. જંગલમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમની ઝૂંપડી પાસે એક ઝાડ હતું. તેની ફરતે પથ્થરનો ઓટલો હતો. મહાત્મા સત્યવ્રતી હતા. એક દિવસ મહાત્મા ચિંતન - મનન કરતા ઝાડની નીચે ઓટલા પર બેઠા હતા. ત્યાં એક પચ્ચીસ-ત્રીસ વર્ષનો યુવાન હાંફતો-હાંફતો આવ્યો અને મહાત્માને કહ્યું, મહાત્મા, મારી પાછળ બે ચોરો પડ્યા છે અને મારા કુટુંબના નિભાવ માટે મારી પાસે થોડા પૈસા છે તે લઇને મને મારી નાખવા માગે છે. હું દક્ષિણ દિશામાં જાઉં છું. તે બે ચોરો અહીં આવે અને તમને મારા વિષે પૂછે કે હું કઇ દિશામાં ગયો છું તો કહેજો કે હું ઉત્તર દિશામાં ગયો છું, નહીં તો એટલું તો જરૂર કહેજો કે હું તો ધ્યાનમાં હતો મને ખબર નથી કે તે માણસ કઇ દિશામાં ગયો છે. તો જ હું બચી શકીશ. આમ કહી તે તો હાંફળો-ફાંફળો દક્ષિણ દિશામાં ભાગ્યો.

થોડી વાર પછી બે ચોરો આવ્યાં. તેમનાં હાથમાં ધારિયાં હતાં. તેમણે મહાત્માને પૂછ્યું, સાધુ, એક માણસ અહીંથી નીકળ્યો તે કઇ દિશામાં ગયો છે. સત્યવ્રતી મહાત્માએ તો સાચું કહી દીધું કે તે માણસ દક્ષિણ દિશામાં ગયો છે. તે બંને ચોરો પછી દક્ષિણમાં ગયા અને તે માણસને પકડી ધારિયાથી મારી નાખ્યો અને તેને લૂંટી લીધો.

પછી તો સમય વીતતો ગયો અને કાળે કરી એ મહાત્મા મૃત્યુ પામ્યા. યમદૂતો તેના જીવને લઇને યમપુરીમાં ગયા અને તેને યમરાજ સમક્ષ ઊભો રાખ્યો. યમરાજે ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત આ સત્યવ્રતી મહાત્મા સાધુનો શો હિસાબ-કિતાબ છે. ચિત્રગુપ્તે ચોપડો જોઇને કહ્યું, યમરાજ, આને તો નરકમાં ધકેલવાનો છે. સાધુમહારાજે આ સાંભળીને યમરાજને કહ્યું, મહારાજ, મેં તો જીવનમાં સત્યવ્રત ધારણ કરેલું, તો મને નરક શા માટે? યમરાજે વળી પાછું ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત, આ સત્યવ્રતી સાધુમહારાજને નરક શા માટે? તેનો જવાબ આપો. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, મહારાજ તે જે સાચું બોલ્યા તેમાં નિર્દોષ ગરીબ માણસનું મૃત્યુ થયું. માટે એ દોષી છે. અને તેને નરકમાં ધકેલવાનો છે. તો આ કથાનો સંદેશ એ છે કે કોઇ નિર્દોષ માનવીનું સત્ય બોલવાનો આગ્રહ રાખી મૃત્યુ થતું હોય તો એવું સત્ય ન બોલાય, તેઅસત્ય ઠરે છે. શ્રીકૃષ્ણના જીવનમાંથી પણ આ બાબત સ્પષ્ટ બને છે. તેઓ સત્યને કાયમ કરવા અસત્યનો આશરો લેતાં પણ અચકાયા નથી. સત્ય અને અસત્યની આવી માયા છે.

ઘણી વાર સત્ય દેખાતું નથી અને દેખાય છે તે સત્ય હોતું નથી. અખબારોમાં જે બધું આવે છે કે જે બધું આપણે સાંભળીએ છીએ તે સત્ય હોતું નથી.

તર્ક, સત્ય શોધવા ખૂબ જ મદદ કરે છે વિજ્ઞાન, તર્ક પર ચાલે છે.

વિજ્ઞાન, જ્ઞાનનો જ ભાગ છે, પણ તે વિશિષ્ટ જ્ઞાન છે. વિજ્ઞાન એ માટે વિશિષ્ટ જ્ઞાન છે કે તેને સત્ય અને માત્ર સત્ય જ ખપે છે. બીજું તે દરેક વસ્તુની સાબિતી માગે છે.

વિજ્ઞાનીની થીઅરી ગણિત અને ભૌતિકશાસ્ત્રીય ગમે તેટલી સાઉન્ડ હોય પણ છેવટે તેને નિરીક્ષણાત્મક ટેકો હોવો જરૂરી છે,
Observational support હોય તો જ તે સિદ્ધાંત બને law બને. થીઅરીની સચ્ચાઇ માટે એટલે કે કસોટી માટે (આગાહી)ની પણ જરૂર હોય છે.

prediction વગરની થીઅરી નીરસ હોય છે.

ખગોળવિજ્ઞાનીઓએ સૂર્ય કરતાં દસ, વીસ, પચાસ કે તેથી વધારે, ગણા પદાર્થવાળા તારામાં જ્યારે તેના કેન્દ્રભાગમાં આણ્વિક ક્રિયા તદ્દન નબળી પડે છે એટલે કે તેમાં અણુઇંધણ ખૂટી જવા આવે છે ત્યારે તે તારામાં ગુરુત્વીયપતન (gravitational collapse) થાય છે અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું તો પ્રબળ બને છે કે તેમાંથી પ્રકાશ પણ નીકળી શકતો નથી. તેને બ્લેકહોલ કહે છે.

વિખ્યાત ખગોળવિજ્ઞાની સ્ટીફન હૉકિંગનું નામ તમે સાંભળ્યું હશે. તેઓ લગભગ એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા. હૉકિંગે ગ્રેવિટી અને ક્વોન્ટમ ફિઝિક્સને ભેગાં કરી દર્શાવ્યું કે બ્લૅકહોલમાંથી થોડું પણ રેડિયેશન બહાર નીકળે છે. આ બ્લૅકહોલની થીઅરીનું આગળનું સત્ય ગણાય. પણ હૉકિંગના આ રેડિયેશનનું નિરીક્ષણ હજુ સુધી થયું નથી. તેથી તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. જો એ રેડિયેશનનું નિરીક્ષણ થયું હોત તો તરત જ તેમને નોબેલ પ્રાઇઝ મળત. તેઓ ૯૯ ટકા વિકલાંગ હોઇ તેમને તરત જ નોબેલ પ્રાઇઝ મળી જાત કે એવી સ્થિતિમાં પણ તેમણે ઉચ્ચ પ્રકારનું સંશોધન ચાલુ રાખ્યું.

નોબેલ પ્રાઇઝ મરણોત્તર અપાતું નથી, થીઅરીનું સત્ય,નિરીક્ષણાત્મક રીતે સાબિત થવું જ જોઇએ. આમ વૈજ્ઞાનિક સત્ય, જ્યારે તેનાથી ઊંચું સત્ય શોધાય ત્યારે બદલાય છે.

ભારતીય-અમેરિકી ખગોળવિજ્ઞાની સુબ્રમણ્યન ચંદ્રશેખર ૧૯૩૩માં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોટન્મ ફિઝિક્સની મદદથી થીઅરી આપી કે જો સૂર્ય કરતાં દોઢ ગણા પદાર્થના તારાના ગર્ભભાગમાં જ્યારે અણુઇંધણ ખૂટવા આવે છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે અને તારાના ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી તેનો વ્યાસ માત્ર ૧૪૦૦૦ કિલોમીટર બને છે. આવા લગભગ નિસ્તેજ તારાને વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર કહે છે. અને તારાના સૂર્યમાં જે પદાર્થ છે તેના દોઢ ગણા પદાર્થને ચંદ્રશેખર લિમિટી કહેવામાં આવે છે. ચંદ્રશેખરની આ થીઅરી લગભગ ૩૦ વર્ષ પછી નિરીક્ષણાત્મક રીતે સાબિત થઇ અને તે માટે તેને ૧૯૮૩માં, પચાસ વર્ષ પછી નોબેલ પ્રાઇઝ મળ્યું.

બે વર્ષ પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુના વિજ્ઞાનીઓએ જોયું કે ચંદ્રશેખરે તેના કાર્યમાં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ કર્યો છે પણ દરેક તારાને ચુંબકીયક્ષેત્ર પણ હોય છે, તેનો ઉપયોગ નથી કર્યો તે સંપૂર્ણ વાસ્તવિકતા (reality) નથી. તેઓએ મેગ્નેટિકફિલ્ડની અસરને ગણતરીમાં લઇ ચંદ્રશેખરના કાર્યને ફરીથી રચ્યું તો માલૂમ પડ્યું કે તારામાં જો સૂર્યમાં જે પદાર્થ છે તેનાં કરતાં અઢી ગણો પદાર્થ હોય ત્યારે તે વ્હાઇટ ડ્વાર્ફ (શ્ર્વેતપટુ શ્ર્વેતવામન) બને. આમ ચંદ્રશેખરની નોબેલ પ્રાઇઝ વિનિંગ થીઅરી પણ વિસ્તૃત થઇ. આમ વૈજ્ઞાનિક સત્ય બદલાઇ શકે છે. જેમ જેમ જ્ઞાનની ક્ષિતિજ વિસ્તૃત થાય તેમ તેમ વૈજ્ઞાનિક સત્ય બદલાય.

ધર્મના કહેવાતા ધુરંધરો માને છે કે કુરાન, બાઇબલ, ગીતાનાં સત્યો બદલાતાં નથી. માટે તે અચળ છે અને વિજ્ઞાનનાં સત્યો બદલાતાં રહે છે, માટે તે સત્ય નથી. અરે ભાઇ પૂરું બ્રહ્માંડ ક્ષણે ક્ષણે બદલાય છે. તો તે પ્રમાણે સત્યો પણ બદલાય જને ? પ્રાચીન સમયમાં લોકો ઉઘાડા પગે ફરતાં, ચાલીને ફરતાં, તેમનાં ઘરો, ખાણીપીણી અને વસ્ત્રો કેવાં હતાં અને હાલમાં કેવાં છે. મનુસ્મૃતિ અને તુલસીદાસે રામાયણ લખી ત્યારે જુદો જમાનો હતો, અને હાલમાં જુદો છે. બ્રહ્માંડ પરિવર્તનશીલ છે. માટે બ્રહ્માંડનાં સત્યો પણ બદલાવાં જ જોઇએ. (ક્રમશ:)
http://bombaysamachar.com/epaper/e06-1-2019/UTSAV-SUN-06-01-2019-Page-10.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=456787

સત્યમાં માનતું વિજ્ઞાન ધર્મનું વિરોધી નથી

પ્રથમ લેખમાં આપણે જોયું કે વિજ્ઞાનને સત્ય સિવાય કાંઇ ખપતું નથી, પણ વિજ્ઞાનનું સત્ય જેમ જેમ આપણી જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત થતી જાય છે તેમ તેમ તે બદલાતું પણ જઇ શકે છે. તે નિરપેક્ષ ન પણ રહે. તેમ છતાં એ પણ છે કે બ્રહ્માંડમાં બધું સાપેક્ષ છે.

ન્યાય, વકીલોની દલીલ, ફોરેન્સિક સાયન્સ બધું જ સત્ય અને તર્ક પર આધારિત છે. રાજકારણ પોલિટિક્સ સાયન્સ છે.

રાજકારણીઓ તેને અવૈજ્ઞાનિક બનાવી નાખે છે તે જુદી વાત છે. ચાણક્યે તેને ખરા વૈજ્ઞાનિક સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું છે, પણ ચાણક્ય નીતિને ખરાબ રીતે વાપરવાની શરૂઆત થઇ છે. કોઇ પણ રાજકીય પાર્ટી સાચી ચાણક્ય નિતીને અનુસરતી નથી તે આપણા દુર્ભાગ્ય છે. લેખકો અને વિદ્વાનો બિચારા લખી લખીને થાકી જાય છે પણ રાજકારણીઓ તેને ધ્યાનમાં લેતા નથી.

ધર્મના અમુક ધુરંધરો માને છે કે વિજ્ઞાન વિનાશક છે. વિજ્ઞાન તો વિશેષ જ્ઞાન છે તે કેવી રીતે વિનાશક હોઇ શકે? જે વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિનાશ કરે છે તે માનવીની વિકૃત બુદ્ધિ છે.

ધર્મના અમુક ધુરંધરો માને છે કે વિજ્ઞાન ધર્મનું વિરોધી છે. વિજ્ઞાન સત્યમાં માનતું હોઇ તે કેવી રીતે ધર્મનું વિરોધી હોઇ શકે? ધર્મ સત્ય પર તો આધારિત છે અને વિજ્ઞાન પણ સત્ય પર જ આધારિત છે. હકીકતમાં વિજ્ઞાન ધર્મનું હૃદય છે. તે જ ધર્મ સાચો જે વૈજ્ઞાનિક હોય. ધર્મનું પણ વિજ્ઞાન છે અને વિજ્ઞાનને પણ ધર્મ છે. ધર્મમાં જે ધતિંગ ચાલે છે, દોરા-ધાગા, વ્યક્તિપૂજા ભેદભાવ, વેપાર, અંધશ્રદ્ધા તેની સામે વિજ્ઞાન લાલબત્તી ધરે છે. વિજ્ઞાન ધર્મને ચકચકિત રાખવા ઇચ્છે છે. આપણા વેદો-ઉપનિષદો-ગીતા સંસ્કૃત ભાષા બધા જ વૈજ્ઞાનિક છે. માટે હાલ સુધી ટકી રહ્યા છે. કહેવાતા કર્મકાન્ડીઓએ ધર્મમાં જે સ્વર્ગ-નરકની વાતો ઘાલી દીધી છે જે માની શકાય તેમ નથી. આપણાં ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઘણી કથાઓ છે પણ તેમાંથી સંદેશ લેવાનો હોય છે. ધર્મમાં તેના અનુયાયીઓ લડે છે તે પણ ધર્મના આદેશને અનુરૂપ નથી. દરેક ધર્મ પોતાનો એક જ ઇશ્ર્વર છે અને બીજા ધર્મના ભગવાન, તેના ભગવાન નથી એ વાતાવરણ પણ ધર્મના આદેશને અનુરૂપ નથી, કારણ કે ઇશ્ર્વર એક જ છે.

માનવીના જીવનમાં કરૂણા, ભાવના, દયા, આધ્યાત્મિકતાની જરૂર છે. બધા જ કુદરતનાં સર્જનો છે. પૂરું બ્રહ્માંડ એક માળો છે, કુટુંબ છે. પ્રાણીજગત, વનસ્પતિ જગત, માનવ જગત બધાં જ એક કુટુંબનાં જ સભ્યો છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ એમ બધાં જ પંચમહાભૂતોને શાંતિ જોઇએ એ સત્ય હકીકત છે. એને જો આપણે અશાંત કરીએ તો આપણે આપણું જ મોત નોતરીએ છીએ. આ પણ સત્ય છે.

ન્યુટને ગતિશાસ્ત્ર આપ્યું પહેલાં એમ મનાતું કે કોઇ પણ વસ્તુ આપણે આકાશમાં ફેંકીએ તો તે પૃથ્વી પર પાછી આવે અને આવે જ પણ ન્યુટનના ગતિશાસ્ત્રે દર્શાવ્યું કે જો આપણે કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની ઝડપે કોઇ વસ્તુ આકાશમાં ફેંકીએ તો તે કદી પાછી આવે જ નહીં. આ થિયરી થઇ તેની ચકાસણી તો કરવી પડે ને કે સત્ય છે કે નહીં? પણ આટલી મોટી ગતિ કલાકના ૪૦,૦૦૦ કિલોમીટર કેવી રીતે ઉત્પન્ન કરવી? વિજ્ઞાનીઓની આ મુંઝવણ હતી. હાલમાં શતાબ્દિ અને રાજધાની ગાડીઓ કલાકના માત્ર ૧૦૦ કે ૧૩૦ કિલોમીટરની ગતિથી ચાલે. પેટ્રોલ વિમાનને કલાકના ૧૦૦૦ કિલોમીટરની ગતિ આપે છે. તો કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિ કેવી રીતે ઉત્પન્ન કરવી? અને એ ગતિ જો વસ્તુને આપીએ તો તે અંતરિક્ષમાં જાય અને પછી તે પાછી ફરે નહીં જો આ ગતિથી આપણું રોકેટ જાય તો જ તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણને ભેદીને અંતરિક્ષમાં જાય જેથી આપણે ચંદ્ર કે મંગળ પર જઇ શકીએ.

ન્યુટનનું ગતિશાસ્ત્ર તો છેક સત્તરમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું પણ વિજ્ઞાનીઓ રોકેટને આકાશમાં છોડવાની ગતિ કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની મેળવી શક્યા ન હતા. તેથી છેક ૧૯૫૭ની ઓક્ટોબરની ચોથી તારીખે તેઓ રોકેટને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણને ભેદી અંતરિક્ષમાં મોકલી શક્યા જ્યારે તેઓ એવું ઇંધણ શોધી શક્યા જે રોકેટને કલાકની ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિ આપી શકે, આ રીતે તેમણે ન્યુટનના ગતિશાસ્ત્રની છટકગતિને પુરવાર કરી શક્યા. આમ વિજ્ઞાનને માત્ર સત્ય જ નથી ખપતું પણ તેની કસોટી પણ કરી તેને સત્ય પુરવાર કરવું પડે છે. ત્યાં સુધી થિયરી, થિયરી જ રહે છે.

ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમો સાચા છે કે ખોટા તે તપાસવા મોટરની જરૂર પડે, પણ મોટર ક્યારે ચાલે? તેમાં ઇંધણ નાખીએ તો ચાલે. આ દર્શાવે છે કે ન્યુટનના ડાયનામિક્સમાં કેમિસ્ટ્રી ઘૂસી ગઇ. ઇંધણ એટલે કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર). આપણે મોટાં મોટાં દૂરબીનોથી આકાશીપિંડોનો અભ્યાસ કરીએ છીએ. પણ દૂરબીનો કાચની દેન છે. કાચ એ ફરી પાછી કેમિસ્ટ્રી છે. તો ખગોળવિજ્ઞાનમાં વળી પાછી કેમિસ્ટ્રી ઘૂસી આવી.

આપણે સૂક્ષ્મજગતનો અભ્યાસ કરવો હોય તો તે સૂક્ષ્મદર્શકયંત્રથી થાય. તેમાં પણ કાચની જરૂર પડે, કેમિસ્ટ્રીની જરૂર પડે.

ડૉક્ટરનાં બધાં જ સાધનો સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, સોનોગ્રાફી, કોબાલ્ટ મશીન, એક્સ-રે, મેગ્નેટીક રેસોનન્સ ઇમેજિંગ મશીન, (MRI) ભૌતિકશાસ્ત્રના બનાવેલાં છે. કેશાકર્ષણનો નિયમ ભૌતિકશાસ્ત્રનો છે પણ વૃક્ષના મૂળમાંથી પાણી કેવી રીતે વૃક્ષની ટોચ પર પહોંચે છે તે આપણને વનસ્પતિશાસ્ત્રનું સત્ય સમજાવે છે. આ દર્શાવે છે કે જેમ પાણીના ચોસલા પાડી શકીએ નહીં તેમ જ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં. We can not compartmentalize knowledge. જ્ઞાનની ઘણી શાખાઓ છે પણ એ તો જ્ઞાન વધી ગયું માટે. નહીં તો જ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં. આ સત્ય આપણા મનીષીઓએ સાત હજાર વર્ષ પહેલાં જાણી લીધું હતું. તેઓએ વેદોમાં લખ્યું છે કે આનોભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: i અર્થાત્આપણને દરેક દિશામાંથી ઉમદા વિચારો પ્રાપ્ત થાય.

પ્રકૃતિ અને પર્યાવરણ જ ઇશ્ર્વર છે અને એ જ વિશ્ર્વસ્વરૂપદર્શન છે જે આપણને જીવાડે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચમહાભૂત જ આપણા દેવતા છે, ઇશ્ર્વર સ્વરૂપ છે. પ્રકૃતિને આપણે ભોગનું સાધન માનીએ છીએ અને તેનું અતિશોષણ કરીએ છીએ, લૂંટાય તેટલું લૂંટો. આ જ હાલમાં જે પ્રકૃતિ અને પર્યાવરણ દૂષિત થઇ ગયું છે તેની પાછળનું કારણ છે. વિકાસના નામે આપણે પ્રકૃતિ-પર્યાવરણનો નાશ કરતા જઇએ છીએ. પહાડો તોડતા જઇએ છીએ, નદીઓ ગંદી કરતા જઇએ છીએ, ભોગ વિલાસ માટે વાહનો, કારખાનાઓ ખડકતાં જઇએ છીએ. ધનને ઇશ્ર્વર માની બેઠા છીએ. સૂર્ય જ જગતનો આત્મા છે. આ બ્રહ્માંડ પૂરું અગ્નિનો ગોળો છે. પાણી અને વાયુ માટે જ ઉત્પન્ન થાય છે. પૃથ્વી પોતે જ પ્રકૃતિનું ફરજંદ છે.

પદાર્થ તત્ત્વોનાં બનેલા છે. તત્ત્વો ઇલેક્ટ્રોન-પ્રોટોન્સ-ન્યુટ્રોન્સનાં બનેલા છે. સૂક્ષ્મકણો કવાર્કસના બનેલા છે.

છેવટે તે અદૃશ્ય ચેતનાનાં બનેલાં છે જે બ્રહ્માંડની દરેક વસ્તુની કારક છે. આપણું શરીર જે ધબકતું રહે છે તે ચેતનાને લીધે જેને આપણે આત્મા કહીએ છીએ. શ્ર્વાસોચ્છ્વાસ એ ચેતનાના અસ્તિત્વની છડી પોકારે છે. એ ચેતના ચાલી જાય પછી શરીરની કોઇ કિંમત નથી, એ શરીર ભલે શંકરાચાર્ય, વિવેકાનંદ, ગાંધીજી, ન્યુટન, આઇન્સ્ટાઇન કે કોઇ સુંદરીનું હોય. આ બ્રહ્માંડરૂપી ઇશ્ર્વરનો ગોળો તમે કયા પ્લેટફોર્મથી તેને જોવો છો તેવો દેખાય છે. સત્ય અને ઇશ્ર્વરને વિજ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુ વડે સમજી શકાય છે. ઇશ્ર્વરની અદ્ભુત માયાના દર્શન થાય છે.

ગાંધીબાપુએ કહેલું કે આપણી વસુંધરા દરેકની જરૂરિયાત પૂરી પાડી શકે છે, પણ કોઇના લોભને સંતોષી શકે નહીં.

જ્ઞાન જ તમને મોક્ષ અપાવી શકે એટલે કે બ્રહ્માંડની, જગતની સાચી સમજ આપી શકે. માટે જ આપણા મનીષીઓએ વેદોમાં કહ્યું છે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ ા જ્ઞાન જ આપણને ઇશ્ર્વર સમીપે લઇ જાય. એ જ ઇશ્ર્વરનું સ્વરૂપ છે.

કોઇ પણ ક્ષેત્રના સંશોધકો, સત્યશોધકો જ છે અને એ બધા વિજ્ઞાનીઓ જ ગણાય. વિજ્ઞાન અભિગમ જ એક દિવ્ય દૃષ્ટિ છે.

બ્રહ્માંડની વાસ્તવિકતા સમજવી એ જ ઇશ્ર્વરને પામવાની વાત છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ કલ્યાણકારી છે અને ઇશ્ર્વરના પ્રતિનિધિઓ છે.

અંતરિક્ષ ક્યાં નથી, વિજ્ઞાન ક્યાં નથી, પાણી જ બ્રહ્માંડનું અમૃત છે. પિંડ અને બ્રહ્માંડમાં ફરક નથી. ભાષા એ શબ્દ બ્રહ્મ છે. બ્રહ્માંડમાં બધે જ નૃત્ય ચાલે છે. નટરાજ નૃત્યબ્રહ્મ છે. સંગીત નાદ બ્રહ્મ છે. આ બ્રહ્માંડ પોતે જ કુદરતનું મહાકાવ્ય છે. ગણિતશાસ્ત્ર એ ઇશ્ર્વરનું માઇન્ડ અનંતતા ઇશ્ર્વરનું સ્વરૂપ છે. પાઇ, e (ઈ) અવાસ્તવિક સંખ્યાની અનંતતા ઇશ્ર્વરની ઝાંખી કરાવે છે.

http://bombaysamachar.com/epaper/e13-1-2019/UTSAV-SUN-13-01-2019-Page-09.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=467240





શંકરાચાર્ય, નરસિંહ મહેતા, રામાનૂજન, વિવેકાનંદ, આઇન્સ્ટાઇન, ન્યુટન, ડેવીડ હિલ્બર્ટ, હાઇઝેનબર્ગ બધા સત્ય શોધકો હતા, વિજ્ઞાનીઓ હતાં. ઇશ્ર્વરના અસ્તિત્વને સમજાવવા બ્રહ્માંડ પ્રશ્ર્નો ઊભા કરે છે અને જ્ઞાન-વિજ્ઞાન તેના જવાબો આપે છે.

ભારતીય મનીષીઓ બ્રહ્માંડને સમજવામાં પાયામાં હતા. માટે જ તેમણે બ્રહ્મ, બ્રહ્માંડ અનંતતાના વિચારો આપણને આપ્યા છે. પૂર્ણમિંદ પૂર્વાદમિંદ જેવા વિચારો આપ્યા છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદની ફિલોસોફીને તેઓએ તત્ત્વ જ્ઞાનમાં રજૂ કરી હતી.


એપોલો અવકાશયાનો ચંદ્ર પર છોડી આવેલા એ ગંદકી પાછી લાવશે અમેરિકા ----ડૉ. જે. જે. રાવલ


બ્રહ્માંડ મહાવિસ્ફોટ (બિગ બૅંગ)થી જન્મ્યું. ઊર્જા બહાર પડી. તે વખતના ભયંકર ઉષ્ણતામાન અને દબાણ નીચે સબ-એટમિક, સબ-ન્યુક્લીઅર, પરમાણુ, અણુ અસ્તિત્વમાં આવ્યા. આઈન્સ્ટાઈનના E=MC 2ના સિદ્ધાંત મુજબ ઊર્જામાંથી પદાર્થ અસ્તિત્વમાં આવ્યો. ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી હાઈડ્રોજન, હેવી હાઈડ્રોજન, હિલિયમના અણુઓ ઉત્પન્ન થયા. એક ઈલેક્ટ્રોન અને એક પ્રોટોનએ જ હાઈડ્રોજન એટમ. ઈલેક્ટ્રોન ઋણવિદ્યુતભારવાહી નાનો કણ પોતાને જિવાડવા માટે મોટા ઘન વિદ્યુતભારવાહી પ્રોટોનની ફરતે પરિક્રમા કરવા લાગ્યો. તે જ હાઈડ્રોજનનો અણુ. હાઈડ્રોજનનો અણુ કાંઈ લખોટો નથી. તે ઈલેક્ટ્રોન અને પ્રોટોન સાથે યુગ્મ સિસ્ટમ બનાવે છે. ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ખાલી જગ્યા હોય છે. ઊર્જામાંથી ઋણભારવાહક પદાર્થકણો ઈલેક્ટ્રોન બન્યા. માટે સાથે સાથે કુલ વિદ્યુતભાર શૂન્ય બનાવવા માટે ઘન વિદ્યુતભારવાહી પદાર્થકણો પ્રોટોન બનાવ્યાં. બે હાઈડ્રોજનના અણુ ભેગા મળી હાઈડ્રોજન વાયુ બન્યો. તે જ પ્રમાણે હિલિયમ વાયુ બન્યો અને હાઈડ્રોજન અને હિલિયમ વાયુનાં વાદળો બન્યાં. તેમાંથી મંદાકિની બની અને છેવટે તારા બન્યા. ગોળ ગોળ ફરતા સૌરવાદળે સમયે સમયે વલયો છુટ્ટા પાડ્યાં અને વાયુના ભયંકર દબાણ અને ઉષ્ણતામાને કેન્દ્રસ્થાને ઝળહળતો સૂર્ય બન્યો. સૌરવાદળે છુટ્ટાં પાડેલાં વિવિધ વાયુનાં વલયોમાં અલગ અલગ પ્રકારના વાયુઓ ભેગા થઈ અલગ અલગ પ્રકારના વાયુઓનો રગડો બન્યો અને તેમાંથી પૃથ્વી જેવા ગ્રહો બન્યા.

સલ્ફર ડાયોક્સાઈડ, અમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, ઈથેન, નાઈટ્રોજન વગેરે વાયુઓએ ભેગા મળી રગડો બનાવ્યો. આ રગડો વેસ્ટ જ ગણાય. આ રગડો ઠંડો થઈ ગ્રહનું ઉપરી પડ બનાવ્યું અને વાયુમંડળ જન્મ્યું. પૃથ્વી પર સૂર્યપ્રકાશે જીવન ઉત્પન્ન કર્યું. વર્ષા થઈ, વૃક્ષો જન્મ્યાં. વૃક્ષોએ સૂર્યના પ્રકાશમાં વાયુમંડળનો કાર્બન ડાયોકસાઈડ લઈ ઓક્સિજન ઉત્પન્ન કર્યો. આમ પૃથ્વી નંદનવન બની. છેવટે રગડાએ જેને આપણે વેસ્ટમેટર કહી શકીએ તેમાંથી જીવન ઉત્પન્ન થયું. જીવન છેવટે આવા વેસ્ટમેટરમાંથી ઉત્પન્ન થયું છે. છેવટે વેસ્ટમેટર જ જીવન ઉત્પન્ન કરે છે. વેસ્ટમેટરને વેસ્ટમેટર નહીં માનો પણ જીવનતત્ત્વ માનો.

પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું. સાથે સાથે વેસ્ટમેટર પણ ઉત્પન્ન થઈ. જીવનનો ક્રમ અને અંત જ વેસ્ટમેટર છે. પૃથ્વી પરના જીવનનાં મૃત શરીરો વેસ્ટમેટર જ બને. પૃથ્વી પરનું વાયુમંડળ પણ વેસ્ટમેટર જ છે અને ગંદકીમાં જ જીવન પેદા થાય છે અને ગંદકીથી જ જીવન પેદા થાય છે. પેટ્રોલ, ક્રૂડ ઑઈલ, કેરોસીન વગેરે જૈવિક અશ્મિઓનું ફળ છે.

અવ્યસ્થામાં જ બ્રહ્માંડમાં રાજ કરે છે, વ્યવસ્થા તો સાચવવી પડે છે. અસ્વચ્છતા જ બ્રહ્માંડમાં રાજ કરે છે, સ્વચ્છતા તો જાળવવી જ પડે છે. અવ્યવસ્થા જ સર્જકતાને જન્મ આપે છે, ભલે તે નવો વિચાર હોય, નવી ટેક્નોલોજી હોય કે કાલિદાસ કે શેક્સપિઅરનું સર્જન હોય. માટે અવ્યવસ્થા કે ગંદકીની સામે અણગમોે દેખાડવાની જરૂર નથી. ઈશ્ર્વર પોતે જ સ્વચ્છતા અને અસ્વચ્છતા છે. અસ્વચ્છતા છે તો સ્વચ્છતાનું મહત્ત્વ છે. ખેતરો અને વાડીઓમાં જે ખાતર નંખાય છે તે હકીકતમાં ગંદકી છે, પણ તે જ ઉત્તમ પાક નિપજાવે છે.

બરાબર ૫૦ વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન (બઝ) આલ્ડ્રિન અને માઈકલ કોલિન્સે ચંદ્રની મુલાકાત લીધી. તેમાં આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિન ચંદ્ર પર ઊતર્યાં, આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવી છે જેણે ચંદ્ર પર ડગ માંડ્યા. તેના માટે તે થ્રિલિંગ અનુભવ હતો. તેઓ બંને એવી જગ્યાએ ઊતર્યા હતા કે જ્યાં તે પહેલાં કોઈ કાળા માથાનો માનવી ઊતર્યો ન હતો અને તેમના સામે આકાશમાં પૃથ્વી દેખાતી હતી જ્યાંથી તેઓ ૩,૮૪,૦૦૦ કિલોમીટરના અંતરે ચંદ્ર પર આવ્યા હતા. પૃથ્વી પર અમેરિકા, તેમનું કુટુંબ અને બીજા દેશો હતા. તેઓ હેમખેમ પાછા ફરશે તેનો કોઈ ભરોસો ન હતો, અંતરિક્ષમાં તેઓ એવી જગ્યાએ ઊતર્યા હતા. ૨૦ વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉતરાણના ૩૦ વર્ષની ઉજવણી પ્રસંગે મુંબઈમાં આવ્યા હતા અને તાજ હોટેલમાં તેમણે તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, પાછળ જોતાં લાગે છે કે તે હકીકતમાં મહાન સાહસ હતું, કારણ કે એપોલો ૧૧, લેન્ડર એવી બનાવટનાં હતાં કે તેઓ ચંદ્ર પર ઉતરાણ કરવા ખરેખર અયોગ્ય હતાં. માત્ર ચંદ્ર પર ઊતરવાની મહત્ત્વાકાંક્ષાએ જ તેમને ચંદ્રની સફર કરાવી પાછા આણ્યા હતા. લેખકને આર્મસ્ટ્રોંગના વ્યાખ્યાનમાં વિશેષ વ્યક્તિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

તેઓ કીમતી વૈજ્ઞાનિક ડેટા, ચંદ્રના ખડકો અને માટીના નમૂના લઈ આવ્યા હતા પણ પાછળ ઘણી બધી વસ્તુઓ છોડીને આવ્યા હતા. તેમાં નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ પગલાની છાપ, અમેરિકાનો ધ્વજ સાથે સાથે ૯૬ બેગ ભરીને અંતરિક્ષવીરો પોતાની ગંદકી મૂકીને આવ્યા હતા. હવે અમેરિકા વળી પાછું ૫૦ વર્ષ પછી અવકાશવીરો ત્યાં જે ૯૬ બેગ ભરીને

તેમનો વેસ્ટ રાખતા આવ્યા છે, તેને મેળવવા અમેરિકી અવકાશવીરોને ફરી પાછા મોકલવા માગે છે. ૫૦ વર્ષ પહેલાં આર્મસ્ટ્રોંગ જે માનવજાતના કચરાની ૯૬ બેગ મૂકીને આવ્યો છે તે કચરાનો અભ્યાસ કરી અમેરિકી જીવશાસ્ત્રીઓ જીવન વિષે ખૂબ ઉપયોગી માહિતી મેળવવા ઈચ્છે છે.

એપોલો-૧૧ને કેટલાક કેમેરા અને સ્પેસક્રાફટના ઘણા ભાગો પણ પાછળ મૂકતા આવવાની ફરજ પડી હતી. આર્મસ્ટ્રોંગ તેની સાથે ચંદ્રની ભૂમિ પર મૂકવા એક શિલ્પ, સોનાની તક્તી જેમાં ચંદ્ર માટે શુભેચ્છાનું લખાણ હતું અને અકાશવીરના કુટુંબનો ફોટો પણ લઈ ગયા હતા. ૫૦ વર્ષ પછી જોકે નીલ આર્મસ્ટ્રોંગ આપણી વચ્ચે નથી પણ બઝ આલ્ડ્રિન, માઈકલ કોલિન્સ હજુ આપણી વચ્ચે છે.

ચંદ્ર પર અત્યાર સુધીમાં છ એપોલો યાન ઊતર્યાં છે. દરેક વખતે બે અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યાં છે, કુલ ૧૨ અમેરિકી અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યા છે અને તેમની બધી જ પ્રકારની ગંદકીની બેગો ત્યાં મૂકતા આવ્યા છે. દરેક વખતે અમેરિકી ચંદ્રયાત્રીઓ ચંદ્ર પર બે-ત્રણ દિવસ સુધી રહ્યા હતા. એપોલોયાન અને તેનું લેન્ડર અમુક જ વજન પાછું લાવી શકે તેમ હતાં, કારણ કે તેમને ચંદ્રના ખડકો પણ સાથે લાવવાના હતા માટે ચંદ્રયાત્રીઓને તેમની ગંદકીની બેગો ચંદ્ર પર મૂકતા આવવાની ફરજ પડી હતી. એમ ન કરે તો તેમની જિંદગી જ ખતરામાં પડી જાય.

અમેરિકા ૨૦૨૪ પહેલા ચંદ્રયાત્રીઓને ચંદ્ર પર ઉતારશે. ચંદ્રયાત્રીઓના વેસ્ટનો નાસાના જીવ વિજ્ઞાનશાસ્ત્રીઓ અભ્યાસ કરશે, તેઓ જાણવા માગે છે કે ચંદ્ર પરની વિષમ પરિસ્થિતિમાં જીવન ટકી શકે છે કે નહીં.

ચંદ્ર પર રાતે ઉષ્ણતામાન ઓછા ૧૭૩ અંશ સેલ્સિયસ રહે છે અને દિવસે ઉષ્ણતામાન ૧૫૬ અંશ સેલ્સિયસ રહે છે. આમ દિવસ અને રાત વચ્ચે ઉષ્ણતામાનનો તફાવત ૩૨૯ અંશ સેલ્સિયસ રહે છે. ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાથી ચંદ્રયાત્રીઓના વેસ્ટ પર કોસ્મિક કિરણો અને સૂર્યકિરણોનો મારો ચાલતો જ રહે છે. માટે એ વેસ્ટ પર આ બધાં કિરણોની શું અસર થઈ છે, તે પણ વિજ્ઞાનીઓ જાણવા માંગે છે. આ અભ્યાસ સ્પેસટ્રાવલ માટે અતિઉપયોગી પુરવાર થશે.

-----------------------

અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર છોડી આવેલા કેટલીક વસ્તુઓ (૧) અમેરિકાનો રાષ્ટ્રધ્વજ (૨) અવકાશવીરોની ગંદકીની બેગ (૩) જમીન પર પડી ગયેલા અવકાશયાત્રીની નાની પ્રતિમા અને તકતી (૪) ઓલિવની સોનાની ડાળખીનું પ્રતીક (૫) નીલ આર્મસ્ટ્રોંગના પગલાની છાપ (૬) અવકાશયાત્રી ચાર્લી ડ્યુક્સના કુટુંબની તસવીર.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=518074


સત્ય અને ગપગોળા વચ્ચે ફંગોળાતાં બ્રહ્માંડનાં રહસ્યો --ડૉ. જે. જે. રાવલ-

ભારતીય સૈન્યની એક ટુકડી માઉન્ટેનિયરિંગ કરવા હિમાલયમાં ગઇ હતી તેણે મકાલુ બઇમે કેમ્પ ખાતે ૯ એપ્રિલ ૨૦૧૯ના દિને બરફમાં ૩૨x ૧૫ ઇંચ માપનાં રહસ્યમય પગલાં જોયા છે. સામાન્ય માન્યતા એ છે કે તે પૌરાણિક હિમમાનવના છે, પૌરાણિક કથામાં આવતા ‘યેતિ’ નાં છે. આ યેતિનાં પગલાંના ફોટા પણ તેઓએ ટ્વિટર પર મોકલ્યાં છે. આ જો સાચું હોય તો કથામાં આવતા રખડતા હિમમાનવની વાત માત્ર વાત જ ન ગણાય પણ વાસ્તવમાં હિમમાનવ અસ્તિત્વ ધરાવે છે તેને પુષ્ટિ મળે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે તે હિમાલયમાં વસતા સફેદ રીંછનાં પગલાં છે જે બરફમાં વિસ્તરી વિશાળ થઇ ગયાં છે અને પવને પણ તેનો વિસ્તાર કરવામાં ભાગ ભજવ્યો છે. આ પહેલાં પણ આ જ ક્ષેત્રમાં આવાં પગલાં દેખાયાં હતાં. આવું પ્રથમ વાર જ બન્યું નથી. તેમ છતાં આ સમાચાર ભારતીય લશ્કરની ટુકડીએ આપ્યા છે. માટે તેમાં કાંઇક વજૂદ ગણાય. તેનો ગંભીરતાથી અભ્યાસ કરવો ઘટે.

પ્રશ્ર્ન એ થાય કે સદીઓથી કથામાં ચાલી આવતી વાત તે હિમમાનવ અસ્તિત્વ ધરાવે છે તે તદ્દન વાત જ હશે, કે તેમાં કાંઇક વજૂદ હશે? યેતિની કથાને ટેકો આપતી પુરાણોમાં બીજી એક કથા છે. ભૂતકાળમાં માનવીઓનાં શરીરો મોટાં હતાં, તેમની ઊંચાઇ પણ બહુ રહેતી. સમય જતાં માનવીઓ નાના ને નાના થતા ગયા. વૃષભદેવજી કે ભીમ કે મહાવીર સ્વામીનાં શરીરો પણ પડછંદ હતાં. મહાભારતની કથા જણાવે છે કે દ્રોણાચાર્યનો પુત્ર અશ્ર્વત્થામા અમર હતો. કૃપાચાર્ય, નારદજી, હનુમાનજી અને બીજા બે-એક જણ અજર અમર છે.

મહાભારતની લડાઇ સમાપ્ત થઇ તે રાતે અશ્ર્વત્થામા પાંડવોની છાવણીમાં ઘસઘસાટ ઊંઘતા પાંચ પાંડવોને મારવા ઘૂસ્યો હતો, પણ યોગાનુયોગ ત્યાં દ્રૌપદીના પાંચ પુત્રો સૂતા હતા. અશ્ર્વત્થામાએ પાંડવોના પાંચ પુત્રોનો વધ કરી નાખ્યો, અને રાત્રિના અંધારામાં છૂ થઇ ગયો. દ્રૌપદીના રુદનથી પીડાઇને અર્જુને અશ્ર્વત્થામાને પકડી તેનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી. અર્જુને તેને પકડી પાડ્યો અને તેનો વધ કરવા જતો હતો ત્યારે કૃષ્ણે અર્જુનને એમ કહીને વાળ્યો કે અશ્ર્વત્થામા અમર છે, બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે, માટે તેનો વધ કરી શકાય તેમ નથી.

માટે તેના માથામાં ચોટલી નીચે જે મણિ છે તે કાઢી લે એટલે તે મર્યા સમાન જ છે. ત્યારે અર્જુને તેના માથાને ચીરી મણિ કાઢી લીધો. ત્યારથી અશ્ર્વત્થામા પૂરા ભારતમાં રઘવાયો થઇને ફરે છે. તેનું શરીર પડછંદ હતું. તેના મગજનો મણિ કાઢી લેવાયો હતો એટલે તેના માથા પર મધમાખીઓ બણબણતી હતી. આ અશ્ર્વત્થામાને આવી સ્થિતિમાં કેટલાયે લોકોએ રખડતો જોયો છે. તેના પગલાં પણ ૩૨ ડ્ઢ ૧૫ ઇંચનાં હતાં. તો શું આ અશ્ર્વત્થામા જ યેતિરૂપે હિમાલયમાં પણ રખડતો હશે?

પૂના સ્થિત દંડી સ્વામી જે થોડાં વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા તેઓ પૂર્વે શંકરાચાર્ય પણ હતા, પણ કોઇ કારણોસર તેમણે શંકરાચાર્યપદ છોડી દીધેલું. તેમણે તેમના પ્રવાસ વિષે લખ્યું હતું કે જ્યારે તેઓ નર્મદાની પરિક્રમા કરતા હતા ત્યારે તેમને પડછંદ માનવીનો ભેટો થઇ ગયો હતો. તેના માથે માખીઓ બણબણતી હતી. દંડીસ્વામી તો એ જોઇને ખૂબ ડરી ગયા હતા. તેમના તો હોશ-હવાસ ઊડી ગયા હતા તે પડછંદ માનવીએ દંડી સ્વામીની થોડા નજીક આવીને બે હાથનો ખોબો ધરી ખાવાનું માંગ્યું. દંડી સ્વામીએતો તેની પાસે જે ખાવાનું હતું તે ઝટપટ તે પડછંદ માનવીને ડરતાં ડરતાં આપી દીધું અને લગભગ બેહોશ જેવા થઇ ગયા. તે પડછંદ માનવી ખાવાનું લઇને ચાલ્યો ગયો. તેનાં પગલાં ૩૨x ૧૫ ઇંચનાં હતાં. સ્વામી તો એટલા ડરી ગયા કે વાત ન પૂછો. સ્વામીનું કહેવું છે કે તેનું વર્તન અને દેખાવ એવાં હતાં કે તે ભારતમાં રખડતો અશ્ર્વત્થામા હતો. આમ યેતિની કથામાં પણ આ કથા તેને ટેકો આપે છે.

યેતિની વાત ઘણી રહસ્યમય છે. તેમાં સાચું શું અને ખોટું શું તે કહેવું થોડું તો મુશ્કેલ ખરું. યતિ હોઇ પણ શકે.

બીજી એવી વાત ઊડતી રકાબી ફ્લાઇંગ સોસર  છે. લોકો માને છે કે તે પરગ્રહવાસીઓનાં વિમાનો છે જે પૃથ્વી પર આવ્યાં હતાં, આવ્યાં છે, આવતાં રહે છે અને આવતા રહેશે. આપણી મંદાકિની (Galaxy )નું નામ આકાશગંગા મંદાકિની (The milky way galaxy) છે. તેમાં ૫૦૦ અબજ સૂર્યો છે. ખગોળવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે તેમાં ૫૦ ટકા તારા બરાબર આપણા સૂર્યો જેવા છે, એટલે કે ૨૫૦ અબજ તારા બરાબર આપણા સૂર્ય જેવા છે. તેમાંથી માત્ર ૧૦ ટકા લઇએ તો પણ તે ૨૫ અબજ થાય. આ ૨૫ અબજ તારા તો આબેહૂબ કદમાં, ઉષ્ણતામાનમાં, રંગમાં, કાર્યમાં આપણા સૂર્ય જેવા છે. જો આપણા સૂર્યને ગ્રહમાળા છે અને તેમાં જીવનથી ધબકતો પૃથ્વી જેવો ગ્રહ છે. તો તે ૨૫ અબજ તારાની ફરતે ઓછામાં ઓછો એક ગ્રહ આપણી પૃથ્વી જેવો હોય જ. એ તર્ક પ્રમાણે આપણી આકાશગંગામાં ઓછામાં ઓછી ૨૫ અબજ જગ્યાએ જીવન હોવું જોઇએ. માટે આપણી મંદાકિનીમાં આપણે એકલા હોવાનું કોઇ કારણ મળતું નથી. તો આ ૨૫ અબજ જગ્યાએ જીવન હોય તો કોઇ જીવન આપણી પૃથ્વી પરના જીવન કરતાં ઘણું આગળ પડતું પણ હોઇ શકે અને જેમ આપણે બીજે જીવન છે કે નહીં તે શોધી કાઢવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેઓ પણ બીજે જીવન છે કે નહીં તે શોધવા પૃથ્વી પર આવ્યા હોય, આવતા હોય એ શક્ય છે. માટે તે ઊડતી રકાબીઓ જેમ લોકો માને છે તેમ પરગ્રહવાસીના યાનો પણ હોઇ શકે. પણ હજુ સુધી આપણી પાસે એવા સજ્જડ સબૂત નથી કે આપણે કહી શકીએ કે તે ફ્લાઇંગ સોસર પરગ્રહવાસીનાં પૃથ્વી પર આવેલાં વિમાનો છે. તેને આપણે યુએફઓ (UFO) કહીએ છીએ. તે પરગ્રહવાસીઓનાં યાનો પણ હોઇ શકે.

પૃથ્વીની ફરતે કૃત્રિમ ઉપગ્રહોનો મોટો ભંગાર પણ પ્રદક્ષિણા કરે છે. તેના કોઇ એક પર જ્યારે સૂર્યનું કિરણ પડે છે ત્યારે તે ઊડતી રકાબી જેવો આભાસ કે ચિત્ર ખડું કરે છે. આપણી ફરતે વાયુમંડળ છે. આ વાયુમંડળમાં વાયુના નાના નાના પોકેટ સર્જાય છે. તેના પર જ્યારે સૂર્યકિરણ પડે છે તેઓ પણ ઊડતી રકાબીનું ચિત્ર ખડું કરે છે. શુક્ર, ગુરુ, બુધ જેવા ગ્રહો પર પણ દિવસે જ્યારે સૂર્ય કિરણ પડે છે તેઓ પણ ઊડતી રકાબી જેવું ચિત્ર ખડું કરે છે. આમ આ યુએફઓની કથા પણ સાચી અથવા ખોટી હોઇ શકે. ઘણા લોકોએ, ઊડતા વિમાનના પાઇલટોએ પણ ઊડતી રકાબી જોયાના દાવા કર્યા છે પણ અંતિમ કાંઇ કહી શકાય નહીં. આ હજુ સુધી એક રહસ્ય જ રહ્યું છે.

બર્મ્યુડા ટ્રાએંગલ એક ત્રીજા રહસ્યની વાત છે. બર્મ્યુડા ટ્રાયેંગલ ત્રિકોણ આકારનો સમુદ્ર છે. તેમાં ઘણી વાર સ્ટીમર ગાયબ થઇ ગઇ છે અને તેના પરથી ઊડતાં વિમાનો પણ અદૃશ્ય થઇ જાય છે. લોકો કહે છે કે ત્યાં બ્લેકહોલ છે. પણ તે બ્લેકહોલ ન હોઇ શકે, કારણ કે બ્લેકહોલ સૂર્ય, બધા ગ્રહોને અને મોટા મોટા તારાને પણ ગળી જાય. વિજ્ઞાનીઓએ લોકો માટે ત્યાં સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે બર્મ્યુડા ટ્રાએંગલ ઉપર પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર નો છેડો છે. સૂર્યની કાર્યશીલતા પ્રમાણે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વધે છે અને ઘટે છે. તેથી તેનો છેડો પૃથ્વીની નજીક આવે છે અને દૂર જાય છે. આ છેડો બર્મ્યુડા ટ્રાએંગલ પર હોવાથી તે જ્યારે પૃથ્વીની નજીક આવે છે ત્યારે ત્યાં સ્ટીમર કે વિમાન કાંઇ પણ પસાર થતું હોય તેને બાળીને ભસ્મ કરી નાખે છે, કારણ કે તેમાં આકાશમાં થતી વીજળીમાં જે પાવર હોય તેના કરતાં હજારો ગણો પાવર હોય છે. આમ વિજ્ઞાન ઘણી માન્યતાઓ અને અંધશ્રદ્ધાને નાબૂદ કરે છે.

એમ તો એવા મોટા મોટા પથ્થર છે જે પાણી પર તરે છે, કારણ કે તે એવા પદાર્થના બન્યા હોય છે જેની ઘનતા એવી હોય છે કે તે જ્યારે પાણીમાં નાંખવામાં આવે ત્યારે તેના ઘનફળના પાણીનું વજન પથ્થરના વજનથી વધારે હોય છે જે સ્ટીમરની માફક કે હોડીની માફક તરે છે. પથ્થર પાણી પર તરે તે શક્ય છે.

મહારાષ્ટ્રના બુલધાણા નજીક લોનાર ઉલ્કાકુંડ છે. આ ઉલ્કાકુંડ નજીક પહાડમાંથી એક ઝરણું વહે છે. તે સતત વહેતું જ રહે છે. એનું આ પાણી ક્યાંથી આવે છે તે મોટું રહસ્ય છે. પણ વિજ્ઞાનીઓને લાગે છે કે જ્યારે ત્યાં ૧૫૦ ફૂટની ઉલ્કા ધસમસતી આવી પડી તેણે ત્યાં બે કિલોમીટર વ્યાસનો અને ૧૦૦૦ ફૂટ ઊંડો ઉલ્કાકુંડ બનાવ્યો અને તેનું દબાણ એટલું હતું કે બાજુના પહાડમાં ઝરણું ફૂટી નીકળ્યું જે સતત વહે છે. લોકો તેને ત્યાં થયેલું ગંગાવતરણ કહે છે. વિષ્ણુ ભગવાને લવણાસૂર રાક્ષસને માર્યો. તેમના પગમાંથી લોહી નીકળ્યું. તે લોહીને સાફ કરવા ત્યાં ગંગાવતરણ થયું.

લેખકે લોનાર ઉલ્કાકુંડ કેવી રીતે બન્યો તેના વિષે સંશોધન કર્યું છે. લેખક જ પ્રથમ હતા જે લોનાર ઉલ્કાકુંડને લોકોની જાણમાં લાવ્યા હતાં.

હિમાચલ પ્રદેશમાં ચંબા અને ડેલહાઉઝીની વચ્ચે સુંદર, અતિસુંદર ખજિયાર તળાવ છે. તેના વિષે કેટલીયે દંતકથાઓ ચાલતી. લોકો માનતાં કે ખજિયાર તળાવ તળિયા વગરનું તળાવ છે અને તેમાં કોઇ પડી જાય તો તે ગાયબ થઇ જાય. લેખક અને તેમના સહકાર્યકર હિમાચલ પ્રદેશના સાયન્સ વિભાગના વડા ડૉ. એસ. એસ. ચંદેલે હોડી ભાડે કરી ૧૦૦૦ મીટર લાંબી રસ્સી લઇ તેના છેડે ૧૦ કિલોનું વજન બાંધી હોડીમાં બેસી જગ્યાએ જગ્યાએ વજનને પાણીમાં નાખી દર્શાવ્યું કે ખજિયાર તળાવ જેમ લોકો માને છે તેમ તળિયા વગરનું તળાવ નથી. તેની ઊંડાઇ વધારેમાં વધારે ૩૦ ફૂટની જ છે. થોડું દલ-દલ હશે તેથી લોકોમાં જે માન્યતા હતી કે ખજિયાર તળાવ તળિયાવગરનું છે તે ચાલી ગઇ. લેખકે અને તેમના સહકાર્યકરોએ પણ પ્રાથમિક રીતે દર્શાવ્યું કે ખજિયાર તળાવ હકીકતમાં ઉલ્કાકુંડ છે. ખજિયાર તળાવ વિષે ખજિયાર નાગ (શેષનાગ) ભીમ હિડિંબા વગેરે વિષે ઘણી કથાઓ પ્રચલિત છે. હવે લોકો માનતા થઇ ગયા છે કે ખજિયાર તળાવ ઉલ્કાકુંડ છે. તેના વિષેની બધી કથાઓ અદૃશ્ય થઇ ગઇ છે.

એવા કિસ્સા વર્તમાનપત્રોમાં આવ્યા છે કે કોઇ આઠ-દસ વર્ષનું બાળક કહેવા માંડે કે પૂર્વજન્મમાં તેનું ગામ ફલાણું ફલાણું હતું. તે તેનું સરનામું આપે અને થોડી બીજી વિગત પણ આપે તો તેમાંની ઘણી વાત સાચી દેખાઇ હતી અને અમુક વાત ખોટી સાબિત થઇ હતી.

તેમ છતાં અંતિમ રીતે આપણે ન કહી શકીએ કે પુનર્જન્મ છે. હોય પણ ખરો. આ જગતમાં ઇશ્ર્વર, આત્મા, પુનર્જન્મ, ભૂત-પ્રેત એ ઘણાં રહસ્યમય છે. તે છે કે નહીં એ જાણવું ઘણું અઘરું છે. જો કે આપણાં શાસ્ત્રોમાં પુનર્જન્મ છે એમ મનાય છે. આત્મા છે એમ પણ મનાય છે, ઇશ્ર્વર છે એમ પણ મનાય છે. તેમ છતાં આ બધાં ગહન રહસ્યો છે... હોય પણ ખરાં. વિજ્ઞાનનો એક સિદ્ધાંત એ છે કે પ્રમાણની ગેરહાજરી તે ગેરહાજરીનું પ્રમાણ નથી. પ્રમાણ ન હોય તો એમ માની લેવું નહીં કે તે નથી, હોય પણ ખરું. ભવિષ્યમાં તેના અસ્તિત્વનું પ્રમાણ મળી પણ શકે. વિજ્ઞાનની શોધોમાં પહેલા પ્રમાણ હોતાં નથી પછી તે વાસ્તવિકતામાં સાબિત થાય છે.

હજારો લોકો હજારો ભૂતની વાતો કહે છે. બહુ જ આદરણીય માણસો પણ કહે છે કે ભૂત છે અને ભૂત વિષે હજારો વાર્તા પ્રચલિત છે, પણ જ્યારે ભૂતની વાર્તા કહેનારને પૂછીએ કે તમે ખરેખર ભૂત જોયું છે તો તે કહેશે કે જોયું નથી, પણ વાતો સાંભળી છે. મેં પણ ઘણા નજીકના સાચા, પ્રામાણિક અને આદરણીય માણસો પાસેથી ભૂત વિષે વાર્તા સાંભળી છે. કદાચ ભૂત હોય પણ ખરાં. વાત સાંભળી હોય કે ફલાણી જગ્યાએ ભૂત થાય છે. રાતે ૧૨ વાગ્યે ત્યાંથી નીકળીએ તો ડર લાગવા માંડે અને ભૂતના અસ્તિત્વનો ભ્રમ પણ થાય ખરો.

આપણા જ દેશમાં એવી જગ્યાઓ છે જ્યાં મોટરકાર પોતાની મેળે જ ઢાળ ચઢવા માંડે. ત્યાં ઉપરના છેડે ખડકોમાં કે જમીનમાં ખૂબ જ શક્તિશાળી ચુંબક પણ હોઇ શકે.

એવી પણ વાત સાંભળી છે કે એક જગ્યાએ ગાય ઊભી રહે અને તેના આંચળમાંથી દૂધની ધારા વહે ત્યાં પછી જમીનમાંથી શંકર ભગવાનનું લિંગ નીકળે. આમ ઘણી ચિત્ર-વિચિત્ર કથાઓ આપણને સાંભળવા મળે છે.

ઘણી વાર વર્તમાનપત્રોમાં આવે છે કે આવતી કાલે ૧૨ વાગ્યે આપણો પડછાયો અદૃશ્ય થશે. પડછાયો કોઇ દિવસ આપણો સાથ છોડતો નથી પણ આવતી કાલે ૧૨ વાગ્યે તે આપણો પડછાયો આપણો સાથ છોડી દેશે. ઘણાને કૌતુક લાગે, ઘણાં ડરી જાય કે હાય, હાય, આપણું શું થશે, આપણો પડછાયો આપણો સાથ છોડી દેશે. આવું જાહેર કરનારે તેની પાછળનું કારણ દર્શાવતાં નથી. એમ પણ બને છે કે તેમને તેની પાછળના કારણની ખબર નથી હોતી. લોકોમાં થ્રિલ ઉત્પન્ન કરવા, હોશિયારી દર્શાવવા કે પોતે કેટલું બધું જાણે છે તેની લોકોમાં છાપ પાડવા આવા સમાચાર આપે છે. વર્તમાનપત્રોને બિચારાને આવા સમાચાર સારા લાગે છે તેથી છાપે છે. તેની પાછળનું રહસ્ય એ છે કે તે દિવસે સૂર્ય નિરીક્ષકના અક્ષાંશ પર આવે છે. તેથી દિવસે ૧૨ વાગ્યે આપણો પડછાયો અદૃશ્ય થાય છે.

ઘણી વાર વર્તમાનપત્રોમાં આવે છે કે અમુક ગામમાં અમુક મંદિરમાં ભગવાનના કપાળે સૂર્ય કિરણ પડશે. અંધશ્રદ્ધાથી વરેલાં લોકો રાજી રાજી થઇ જાય છે. તેની પાછળનું કારણ પણ ઉપરોક્ત દર્શાવ્યા મુજબનું છે.

કલ્પના કરો કે એક માણસ ઉત્તરધ્રુવ પ્રદેશ પર જાય છે. તેને છ મહિના સુધી રાત દેખાય છે અને પછી છ મહિના સુધી દિવસ હોય છે. તે આ બાબતે શું વિચારે? અહો આ ભગવાનની કુદરતની લીલા છે. તે હકીકતમાં કુદરતની લીલા છે, કારણ કે આપણી પૃથ્વી ૨૩.૫ અંશે ઝૂકેલી છે માટે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશો પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. જો પૃથ્વીની ધરી ૭૦ અંશે ઝૂકેલી હોત કે ઝૂકવવામાં આવે તો મુંબઇ પર પણ છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય. વિજ્ઞાન આમ ઘણાં રહસ્યોનો પર્દાફાસ કરે છે. ત્યારે રહસ્ય, રહસ્ય રહેતું નથી. એવી કેટલીયે પ્રક્રિયા હતી જે રહસ્યમય લાગતી હતી. વિજ્ઞાને તેની પાછળનાં કારણો સમજાવી તે રહસ્યને છતું કર્યુ છે. કે.લાલ કે સરકારના જાદુ, હકીકતમાં કોઇ જાદુ નથી હોતાં તેની પાછળ વિજ્ઞાનના સિદ્ધાંતો કાર્ય કરે છે. એક વખત એક સમારંભમાં લેખક અને દુનિયાના મહાન જાદુગર કે.લાલ એક મંચ પર સાથે થઇ ગયા. લેખકે કે.લાલને પૂછ્યું કે તમે જાદુ કરો છો તે ખરેખર ગજબ છે. તેની પાછળનું રહસ્ય તમે મને જણાવી શકશો. ત્યારે કે.લાલે લેખકને કહેલું કે રાવલ સાહેબ, એ કોઇ જાદુ નથી. માત્ર વૈજ્ઞાનિક ટ્રિક છે જેમ ફિલ્મ જોવા જઇએ અને તે આપણને સર્વત્ર દેખાય છે પણ વાસ્તવમાં એ ફોટો અમુક ક્ષણોમાં આપણી આંખો સમક્ષથી પસાર થઇ જાય અને આપણને હલનચલન દેખાય તેવી આ બધી ટ્રિકો છે. કટિંગ લેડી ઇન ટુ ટુ કે વોટર ઓફ ઇન્ડિયા આ બધી વૈજ્ઞાનિક ટ્રિકો છે જેને અમુક ઝડપથી કરવામાં આવે છે અને આપણને જાદુનો આભાસ ઉત્પન્ન કરે છે.

પત્તાનાં જાદુ, અગ્નિ પર ચાલવાના જાદુ, યજ્ઞમાં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવવાના જાદુ, રસાયણશાસ્ત્રના જાદુ એમ ઘણાં જાદુઓ છે જેની પાછળનાં કારણો વિજ્ઞાન સરસ રીતે સમજાવી શકે છ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=496135

Thursday, April 30, 2020

પ્રાચીન ઋષિઓનું જ્ઞાન અર્વાચીન વિજ્ઞાનને પણ પાણી પીવડાવે એવું હતું --- ડૉ. જે. જે. રાવલ

એક જાતકકથામાં રાજા તેના પ્રધાનને કહે છે કે આપણી પાસે હજાર હાથીઓ છે તેમાં સૌથી મોટો હાથી કયો છે તે મને બતાવો. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે આ બાબતે કરવું શું? અડધો ડઝન હાથી તો કદાવર છે અને લગભગ એકસરખા જ લાગે છે. બીજા તો આપણા થોડા નાના હાથી છે જેનો વિચાર કરવો જરૂરી નથી. પ્રધાન તો બિચારો રાત-દિવસ વિચાર કરવા લાગ્યો કે સૌથી મોટો હાથી કેવી રીતે શોધી કાઢવો? જો એમ નહીં થાય તો રાજા મને દંડ દેશે અને પ્રધાન તરીકે પાણીચું મળશે તે જુદું. વિચાર કરતાં કરતાં તેને રસ્તો મળી ગયો. કોઈ પણ મુસીબતનો ઉકેલ હોય જ છે, માત્ર વિચાર કરવો પડે. તેણે પાણી ભરેલો એક કુંડ તૈયાર કર્યો અને ઢાળ વાટે તેણે એક પછી એક હાથીને પાણી ભરેલા કુંડમાં ઉતાર્યાં. સૌથી મોટા હાથીએ કુંડમાં પાણીની સપાટીને સૌથી ઊંચી કરી. આવી રીતે તેણે સૌથી મોટો હાથી શોધી કાઢ્યો. તેની પાછળ જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તે એ છે કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાવવામાં આવે છે, ત્યારે તે તેના ઘનફળ (volume) જેટલું પાણી સ્થળાંતર કરે છે. જોવાનું એ છે કે અઢી હજાર વર્ષ પૂર્વે આપણા લોકો પોતાની સૂઝ-બૂઝથી વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરતા હતા. પછી આર્કિમિડીઝે શોધ્યું કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે અને વધારે કે એ પાણીનું વજન વસ્તુના વજન જેટલું હોય છે. આ આર્કિમિડીઝનો તરતા પદાર્થનો નિયમ છે. જો વસ્તુએ સ્થળાંતર કરેલા પાણીનું વજન વધારે હોય તો તે તરે છે, ઓછું હોય તો ડૂબી જાય છે. રાજ્યના પ્રધાને આ નિયમના પ્રથમ ભાગનો ઉપયોગ કરેલો કે હાથી જ્યારે પાણીમાં ડૂબે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે. ભારતીય ઋષિ-મુનિઓ ઘણી બાબતોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરતા હતા. નિરીક્ષણો અને પ્રયોગોરૂપે તે સાચા હતા પણ કોઈ વાર તેની પાછળના વિજ્ઞાનના સિદ્ધાંતને નહોતા જાણતા અથવા તેઓ તે બાબતનો વિચાર કરવાની તસ્દી નહોતા લેતા. આવું બીજું ઉદાહરણ ચંદ્ર અને તિથિઓ વિષે છે. ચંદ્ર જ્યારે તેની પૃથ્વી ફરતેની કક્ષામાં સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે સૂર્યોદય સમયે તિથિ બદલાય. જો ચંદ્ર સૂર્યોદય સમય પહેલાં ૧૩ અંશે ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થાય અને જો તે ન ચાલી ગયો હોય તો તિથિ બેવડાય. આ કેપ્લરનો નિયમ છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી નજીક હોય ત્યારે તેને તેની પૃથ્વી ફરતેથી કક્ષામાં ઉતાવળથી ચાલવું જ પડે. માટે સૂર્યોદય સમયે તે ૧૩ અંશ ચાલી જાય માટે તિથિનો ક્ષય થાય. પણ જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય ત્યારે તે તેની પૃથ્વીની કક્ષામાં ધીમે ધીમે ચાલે તેથી તે સૂર્યોદય સમયે સૂર્યથી ૧૩ અંશ દૂર ન ગયો હોય તેથી તિથિ બેવડાય. આમ આપણા પૂર્વજોને કેપ્લરના નિયમોની ખબર ન હતી પણ વ્યવહારમાં (પ્રેક્ટિકલી) તેઓ આ તથ્ય જાણતા હતા અને તેથી તિથિમાં વધઘટ કરતા હતા.

૨૮૦૦ વર્ષ પૂર્વે દીર્ઘતમસ ઋષિ હતા. તેમણે ઋગ્વેદમાં અસ્યવામસ્ય સૂક્ત લખ્યું છે. આ સૂક્તની ઋચાઓનું ક, ટ, પ ત્રણ સૂત્રના આધારે અર્થઘટન કરીએ તો તે પૃથ્વીથી સૂર્યનું અંતર ગણી બતાવે છે. તે પ્રકાશવર્ષનું અંતર દર્શાવે છે. તે સૂર્યની નજીકનો તારો આલ્ફા સેન્ટૌરી (મિત્ર તારા)નું સૂર્યથી અંતર દર્શાવે છે. તે પૃથ્વીનો વ્યાસ ગણી બતાવે છે, પૃથ્વીની પરિભ્રમણની ગતિ ગણી બતાવે છે, પૃથ્વીનો ગુરુત્વાકર્ષણીય પ્રવેગ ગણી બતાવે છે અને પૃથ્વીમાં કેટલો પદાર્થ (mass) છે તે પણ ગણી બતાવે છે. આ મહાન આશ્ર્ચર્યની વાત છે કેમ કે ભૌતિકશાસ્ત્ર - ખગોળશાસ્ત્રની આ બધી ગણતરી તો અર્વાચીન વિજ્ઞાનની ઊપજ છે. આ માનવું અધરું પડે પણ આ તથ્ય છે, પણ એ શ્ર્લોકોનું અર્થઘટન ક, ટ, પ આદિ સૂત્રના આધારે કરવું પડે. જેમ રોમન આંકડા અક્ષર L એ ૫૦ માટે હોય છે, C એ ૧૦૦ માટે હોય છે, D એ ૫૦૦ માટે હોય છે અને M એ ૧૦૦૦ માટે હોય છે. રોમન આંકડામાં 376 = 300+70+6

= 3*100+5-+20+6

= 3*100+50+2*10+6

= CCCLXXV1

ઉપરોક્ત પ્રમાણે CCCLXXV1 લખાય છે. આમ જો આપણે ઋષિ દીર્ઘતમસના અસ્યવામસ્ય સૂત્રને ક, ટ, પ આદિ સૂત્રને આધારે અર્થઘટન કરીએ તો તે અર્વાચીન વિજ્ઞાને દર્શાવેલ કેટલીયે ભૌતિક રાશિઓનું મૂલ્ય દર્શાવે છે. ભૂતકાળમાં આમ ઘણી બાબતોને ઉચ્ચ પ્રકારના વિજ્ઞાનને લોકો જલદી સમજી ન શકે તેવી કોડવર્ડની ભાષામાં સૂત્રો લખવાની પ્રથા હતી, કારણ કે આંકડા વગેરે જાણીતા ન હતા.

ચાણક્ય ઈસુ પહેલાંની ચોથી સદીમાં થઈ ગયા. તે પ્રાચીન ભારતની તક્ષશિલા વિશ્ર્વવિદ્યાપીઠમાં ભણેલા અને ત્યાં જ રાજનીતિ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા હતા. મગધના પ્રધાનમંત્રી ચણકના તેઓ પુત્ર હતા, તેથી ચાણક્ય કહેવાય છે. તેમનું નામ વિષ્ણુગુપ્ત હતું. તેમણે રાજનીતિ માટે નીતિશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ ચાણક્યનીતિશાસ્ત્ર કહેવાય છે. ચાણક્યનું એક નામ કૌટિલ્ય પણ છે. ચાણક્યનાં નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આજે પણ એટલાં જ મહત્ત્વનાં ગણાય છે અને ઉચ્ચ અભ્યાસમાં ભણાવાય છે. ગીતાનું પણ એટલું જ મહત્ત્વ છે અને મેનેજમેન્ટ વગેરેમાં પણ ભણાવાય છે. તે ધર્મનું પુસ્તક નથી પણ જ્ઞાન-વિજ્ઞાનનું - મનોવિજ્ઞાનનું પણ પુસ્તક છે. ચાણક્ય જેવો મહાન અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હજુ સુધી થયો નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ગીતા જેવું પુસ્તક પણ આજ સુધી કોઈ લખી શક્યું નથી. મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન તેનાં સગાંઓ સાથે લડવા તૈયાર નથી અને શસ્ત્રોને નીચે મૂકે દે છે ત્યારે તેને સત્ય સમજાવવા ગીતા શ્રીકૃષ્ણના મુખેથી નીકળી હતી, જેને વ્યાસમુનિએ અક્ષરદેહ આપ્યો. ચાણક્યે નીતિશાસ્ત્રમાં ઘણી જ ઉમદા વાત કરી છે - તેમણે લખ્યું છે કે જે માતા-પિતા તેમનાં બાળકોને ભણાવતાં નથી તે તેમનાં શત્રુ છે. બધું સત્યમાં જ સ્થિર છે. ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. સંસારમાં ધર્મ જ શાશ્ર્વત છે. ક્રોધ સમ કોઈ અગ્નિ નથી, આત્મજ્ઞાન જેવું કોઈ સુખ નથી. તેમનો અર્થશાસ્ત્ર પરનો ગ્રંથ કૌટિલ્ય અર્થશાસ્ત્ર તરીકે પ્રખ્યાત છે. ઉપરોક્ત બન્ને ગ્રંથો જ્ઞાન - વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસમાં આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકોમાં ચાણક્યે એ સ્પષ્ટ કરેલું છે કે દેશની આર્થિક સદ્ધરતા ખેતી પર આધાર રાખે છે. માટે રાજાએ ખેતી પર બરાબર ધ્યાન આપવું જોઈએ અને દેશની કુદરતી સંપત્તિનું બરાબર રક્ષણ કરવું જોઈએ. રાજાએ વેપારને મુક્ત રાખવો જોઈએ અને સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. પ્રજાની આર્થિક સુખાકારી અને રાજ્યમાં ચાલતા ખાનગી વેપાર-ધંધાને ગાઢ સંબંધ છે - વિચિત્રતા એ છે કે ચાણક્ય આપણા જીવનનાં દરેકેદરેક પાસાંમા છે, રાષ્ટ્રનાં દરેકેદરેક પાસામાં છે, તેમ છતાં આપણે અને આપણી યુવા પેઢી તેના વિશે અને તેના કાર્ય વિશે જોઈએ તેટલું જાણતી નથી. ચાણક્યે એક બહુ મોટી વાત કહી છે કે જેવો રાજા, તેવી પ્રજા. માણસે સમય, પરિસ્થિતિ અને દેશ પ્રમાણે વર્તવું જોઈએ. રોગ અને શત્રુને ઊગતાં જ ડામી દેવા જોઈએ. નિષ્ણાત અર્થશાસ્ત્રી બનવું હોય તો માણસે ચાણક્યને પચાવવા જ પડે. ચાણક્યે બીજી એક સરસ વાત કરી છે તે એ છે કે શાસ્ત્રો ઘણાં છે, વિદ્યા પણ ઘણી જાતની છે. આ બધા માટે આપણું જીવન ઘણું ટૂંકું ગણાય. તેથી સારભૂત હોય તેને ગ્રહણ કરી લેવું, જેમ હંસ પાણીમાંથી દૂધ ગ્રહણ કરી લે છે.

૧૭૭૬માં એડમ સ્મિથે દેશની સંપત્તિ (Wealth of Nation) નામનું એક પુસ્તક લખ્યું. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના મહાન વિદ્વાનના જ્ઞાનને અને આ શાસ્ત્રોમાં તેમના મહાન યોગદાનને અને ભીષ્મકાર્યને ભૂલીને પરિશ્રમની અસર તળે આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે નવાજ્યા લાગ્યા. સ્મિથની સરખામણીમાં ચાણક્ય તો ક્યાંય આગળ છે, પણ આપણે ચાણક્યને ભૂલી ગયા.

ચાણક્ય ધન સિવાય ઘરવખરી, જમીન-જાગીર અને બીજી સંપત્તિનું મહત્ત્વ પણ ઘણું આંકતા. ૧૯૩૫માં લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રને માનવી સાથે જોડી વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે હેતુ અને સાધનોના સંદર્ભે માનવતા, માનવનું વર્તન અને તેની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. પણ ચાણક્યે આ બાબત ૨૪૦૦ વર્ષ પૂર્વે સ્પષ્ટ કરી છે, ચાણક્યે તેના ગ્રંથોમાં લખ્યું છે કે કરવેરા નાખવાનો રાજાને અધિકાર છે, પણ તે એવી રીતે નાખવા જોઈએ જેમ મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે પણ ફૂલને તેની ખબર પણ પડતી નથી અને ફૂલને તેની પીડા પણ થતી નથી અને તેને કોઈ નુકસાન પણ થતું નથી. માટે રાજાએ કરવેરા એવી રીતે નાખવા જોઈએ કે પ્રજાને પીડા ન કરે. ચાણક્યે મિલિયન રૂપિયાની બીજી એ મહાન વાત કરી કે સુખનું મૂળ ચારિત્ર્ય છે. દેશે સંશોધન પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે છેવટે સંવૃદ્ધિ સંશોધનને લીધે જ થાય છે. દેશે જમીન, જળાશયો, ડેમ, સિંચાઈ અને ખાણોમાં રોકાણ કરવું જોઈએ. વેપારમાં સાહસ કરવું જોઈએ. આ બધા પર દેશના વિકાસનો આધાર હોય છે. ચાણક્યે દ્રવ્યોપાર્જનને મહાન પવિત્ર વસ્તુ ગણાવી છે. ગૃહસ્થી માટે તે મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=493687

--------------------------------------------------------------------------------------------
વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર સઘળું પાણિનિના વ્યાકરણ પર આધારિત છે

કૉમ્પ્યુટરનું એક કાર્ય કોમ્પ્યુટેશનનું બંધારણ સ્થાપવાનું અને તેનો વિકાસ કરવાનું છે જેને આપણે સમજી શકીએ. તેનું બીજું કાર્ય નવા નવા અલ્ગોરિધમ (પ્રમેયો) ઉત્પન્ન કરવાનું છે જે કોમ્પ્યુટરને શક્તિશાળી બનાવે. અને ગણતરી તેમ જ કાર્યમાં વધારે ને વધારે ઝડપી બનાવે. આ કાર્યમાં જ્ઞાનની રજૂઆત કરવાની નવી નવી રીતો, તારણો મેળવવાની નવી નવી રીતો અને તેમાંથી નવા નવા ઉપયોગે સંશોધનો માટે રસ્તા શોધવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કોમ્પ્યુટરનું કામ જ્ઞાનનું પ્રોસેસિંગ કરવાનું છે.

પાણિનિનું વ્યાકરણ ઉપરોક્ત દર્શાવેલ કૉમ્પ્યુટર સાયન્સના કાર્ય પ્રમાણે જ કાર્ય કરે છે. જો કે, પાણિનિનું વ્યાકરણ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે. કોમ્પ્યુટર સાયન્સ પાણિનિના વ્યાકરણ પ્રમાણે વિકસ્યું છે. માટે કોમ્પ્યુટર સાયન્સને વધારે આગળ વધારવા પાણિનિનું વ્યાકરણ કેવી રીતે વિકસ્યું તે કેવી રીતે આગળ વધ્યું, તેણે સંસ્કૃત ભાષાને કેવી રીતે વિકસાવી, કોઈ પણ ભાષાને તે કેવી રીતે આગળ વધારે છે તેનો અભ્યાસ કોમ્પ્યુટર વિજ્ઞાનીઓને કરવો જરૂરી છે અને તે પ્રમાણે જો કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ આગળ વધે તો તે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગને વધારે સબળ બનાવી શકે. કૉમ્પ્યુટર વિજ્ઞાન આમ પાણિનિના વ્યાકરણને સમજી આગળ વધી શકે છે. વ્યાકરણમાં એક મૂળભૂત રૂપ હોય છે, જેને ધાતું કહે છે. તેનું વિવિધ રસ્તે વિસ્તરણ થાય છે અને શબ્દ બને છે તેને ઉપસર્ગ જોડી નવા શબ્દો બનાવાય છે, તેને સારી રીતે રજૂ કરવામાં આવે છે અને તેના અર્થો સમજાવવામાં આવે છે અને વાક્યો બનાવવામાં આવે છે અને આમ જ્ઞાનનું સંસ્કરણ અને સંવર્ધન કરવામાં આવે છે. આને જ્ઞાનનું પ્રોસેસિંગ કહે છે. કોમ્પ્યુટર આ જ કરે છે. વ્યાકરણનો મૂળ આધાર તર્ક છે. કૉમ્પ્યુટર સાયન્સનો પણ મૂળ આધાર તર્ક છે. વ્યાકરણ ગણિતશાસ્ર જ છે, ગણિતશાસ્રના સમીકરણો ભાષા જ છે અને તેનાં ચિહ્નો પણ થોડામાં વધારે કહેનારી ભાષા જ છે. સંશોધન પણ આ જ રસ્તે છે, બીજ-વિચારમાંથી વિસ્તૃત થઈ જેમ બીજ વૃક્ષ થાય તેથી વિચાર એક સઘન જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ બીજ-વિચાર વિસ્તૃત થઈ એક થિયરીમાં વિકાસ પામે છે, થિયરીનું રૂપ ધરે છે. માનવીના ઈન્ટયુશનથી, તેના પ્રાણમાંથી તદ્દન નવો વિચાર ઉત્પન્ન થાય છે. ઈન્ટયુશન પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે. કૉમ્પ્યુટરની ભાષા બાયનરી સિસ્ટમ ૦ અને ૧ છે. તે હકીકતમાં ૦૧૨...૯નું મોડ્યુલો-૯ સિસ્ટમનું નાનું રૂપ છે. દશાંશ પદ્ધતિમાં ૯ પછી ૧૦ આવે પછી તે ૧૯ સુધી ચાલે અને પછી ૨૦ આવે. બાયનરી સિસ્ટમ એ મોડ્યુલો એક સિસ્ટમ છે જે O અને J સુધી ચાલે ૨ માટે ૧૦ લખાય, ૩ માટે ૧૧ લખાય વગેરે. આ દશાંશ પદ્ધતિ તર્ક પર અને વ્યાકરણની રીત પર જ ચાલે છે. માટે જ ભારતીય મનીષીઓ નંબર સિસ્ટમ, દશાંશ પદ્ધતિનો આવિષ્કાર કરી શક્યા. વિજ્ઞાન અને ગણિતમાં ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે, જે મૂળમાં પાણિનિના વ્યાકરણના આધારે ચાલે છે. સંસ્કૃત ભાષાનું સર્જન પાણિનિના વ્યાકરણનું સર્જન છે. તર્કશાસ્રનો વિકાસ પણ પાણિનિના વ્યાકરણ પર છે.

પાણિનિના વ્યાકરણે જ્ઞાનનો વિકાસ કરવા આધાર પૂરો પાડ્યો, એક સૂત્રાત્મક રીતને દર્શાવી બીજમાંથી વૃક્ષ કેવી રીતે વિસ્તાર પામે તેની મૂળભૂત સમજણ આપી. આપણે જ્યારે નજ્ઞાનની ચર્ચાપ કે દલીલ કરીએ ત્યારે આપણને અદૃશ્ય સ્વરૂપે પાણિનિના વ્યાકરણનાં જ દર્શન થાય છે. સામી દલીલો એ પ્રમાણે જ ચાલે છે. વિજ્ઞાનીઓનું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ જ કાર્ય કરે છે.

કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ વિચારે છે કે પાણિનિના વ્યાકરણના કયા કયા નિયમો છે જેને તેઓ હજું સમજ્યા નથી અને સમજે તો તેના આધારે કૉમ્પ્યુટર સાયન્સનો વધારે વિકાસ થઈ શકે. બુલિયન એલ્જિબ્રા (એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા), સેટ થિયરી પણ પાણિનિના વ્યાકરણનો જ એક ભાગ છે. કોઈ વિજ્ઞાની પાણિનિના વ્યાકરણને ભણ્યો હોય કે ન ભણ્યો હોય પણ તેની શોધના પાયામાં પાણિનિના વ્યાકરણનું તર્ક જ કાર્ય કરતું હોય છે. કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને પ્રોસેસિંગ આ જ રસ્તે ચાલે છે.

વિચારોના સાચા ઈતિહાસની પાછળ પણ પાણિનિના વ્યાકરણનું તર્કવિજ્ઞાન કાર્યરત હોય છે. વિદ્યાર્થીઓને જેમ ગણિતશાસ્ર ગમતું નથી તેમ તેમને વ્યાકરણ પણ ગમતું નથી. આ બંનેનું સ્વરૂપ એક જ છે. વ્યાકરણ જેણે આત્મસાત્ કર્યું હોય તેને ગણિતશાસ્ર આસાનીથી આત્મસાત્ થાય છે. તેમ જ કૉમ્પ્યુટર સાયન્સ પણ આસાનીથી આત્મસાત્ થાય છે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાન ગણિતશાસ્ર પર આધાર રાખે છે અને મોટા ભાગે ગણિતશાસ્રીઓ જ આ કાર્યક્ષેત્ર ખેડે છે. બાયનરી સિસ્ટમ ગણિતશાસ્રની ઊપજ છે. કૉમ્પ્યુટર વિજ્ઞાનના અલ્ગોરિધમો ગણિતના જ્ઞાન વગર થઈ શકતા નથી. ગણિતશાસ્રમાં જ તેને બરાબર બનાવી શકે અથવા તો ગાણિતિક મગજવાળા, ભલે તે ગણિત ભણ્યા ન હોય તેઓ જ કોમ્પ્યુટરના અલ્ગોરિધમો સારી રીતે બનાવી શકે. ગણિતશાસ્ર વળી પાછું અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણને જ અનુસરે છે. જેનું ગણિત સારું હોય તે વ્યાકરણને કે કોઈ પણ શાસ્રને આત્મસાત્ કરી શકે. આ વ્યાકરણ અને ગણિતનું દુનિયાના જ્ઞાનમાં મહત્ત્વ છે. ઉચ્ચ કોટીના વકીલો પણ વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્ર પર જ આધાર રાખે છે. તેમનું આ શાસ્રોનું જ્ઞાન સારું હોય છે. પ્રશ્ર્ન એ છે કે કયો વકીલ મહાન બને? જેનું અદૃશ્ય રીતે વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્રોનું જ્ઞાન સારું હોય. વ્યાકરણશાસ્રી, તર્કશાસ્રી અને ગણિતશાસ્રી કે વિજ્ઞાનનો જાણકાર જો વકીલ બને તો તે સારો અને સફળ વકીલ બની શકે.

જ્ઞાનની કોઈ પણ શાખામાં તે પછી વિવિધ વિજ્ઞાનશાખા હોય, વકીલાત હોય, ભાષાશાસ્ર હોય, વેપાર-વાણિજય હોય, ટૅક્નોલોજી હોય, શિલ્પશાસ્ર કે પુરાતત્ત્વ વિજ્ઞાન હોય છેવટે વ્યાકરણના તત્ત્વજ્ઞાન પર જ આધાર રાખે છે, જ્યારે કોઈ પણ નવી શોધ થાય છે તે અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણની તારણ મેળવવાની રીત પર જ આધાર રાખે છે. કોમ્પ્યુટર સાયન્સનો વિકાસ આ જ રીતે થયો છે, થાય છે અને થશે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને પાણિનિના વ્યાકરણનો અને તેનું ડેમોન્સ્ટ્રેશન કરતી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો જરૂરી છે. હા, કોઈ અપવાદરૂપ હોઈ શકે જે કોમ્પ્યુટર સાયન્સમાં વ્યાકરણ અને સંસ્કૃત ભાષાના અભ્યાસ વગર આગળ વધેલો હોય, પણ બારીકાઈથી જોઈએ તો તેના મગજમાં આ વ્યાકરણ અને તર્ક કુદરતી રીતે આવીને બેઠેલાં હોય છે. એમ તો આપણી પાસે કેટલાય એવા દાખલા છે જ્યાં અભણ માણસો મહાન વિચક્ષણ હોય છે. તે તેમનામાં કુદરતની ભેટ છે. રામાનુજન ફેરાડે, એડિસન આવા દાખલા છે. આવા તો દુનિયામાં ઘણાં નાના મોટા ઉદ્યોગપતિઓના દાખલા છે. તેમાં પેઢી દર પેઢી જિન્સમાં ઊતરેલા વ્યાકરણનો જ પ્રભાવ હોય છે, જેથી જન્મજાત તેમની બુદ્ધિ વિચક્ષણ બનેલી હોય છે. આમ જુઓ તો જિન્સમાં જ વર્ણો પેદા થયેલા હોય છે. બારીકાઈથી જોઈએ તો શરીર રચના પણ વ્યાકરણના આધારે થયેલી છે. વ્યાકરણ બ્રહ્માંડનું કુદરતનું ગૂઢ રહસ્ય છે. તે પરમબ્રહ્મનો આવિષ્કાર છે. રૂપ છે. વ્યાકરણ માત્ર વ્યાકરણ જ નથી પણ બ્રહ્માંડની ફિલોસોફી છે. વ્યાકરણ એટલે રચનાની સિસ્ટમ. વ્યાકરણ કોઈ જ પણ મશીનની વિચારશક્તિ કરતાં વધારે શક્તિશાળી છે જે કૉમ્પ્યુટર મશીનને પણ આવરે છે. આપણું મગજ જે ચાલે છે તેની પાછળ વ્યાકરણના પાઠો છે. મગજ પોતે જ વ્યાકરણની માયાજાળ (નેટવર્ક) છે. મગજના માંસના લોચોના કણ કણમાં વ્યાકરણ છે. આપણા શરીરની રચના પર ઊંડો વિચાર કરીએ તો માલૂમ પડે કે તે વ્યાકરણની દેન છે. જે પાણિનિએ આપણા માટે તાદૃશ્ય કર્યું છે. માટે જ પાણિનિ મહાજ્ઞાની ગણાય છે અને તેની અષ્ટાધ્યાયી મહામૂલો ગ્રંથ ગણાય છે.

વેદ-ઉપનિષદોની હારનો તે ગ્રંથ છે. હકીકતમાં તે વેદો-ઉપનિષદોનું ફળ છે. અષ્ટાધ્યાયીનો ભાષ્યકાર પતંજલિ પણ માટે જ મહાન બની ગયો.

પાણિનિની અષ્ટાધ્યાયી માત્ર શબ્દોનું જ પૃથક્કરણ કરતી નથી, પણ વાક્યનું પૃથક્કરણ કરવાનું બંધારણ પૂરું પાડે છે, રીત પૂરી પાડે છે. આનો જ કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે અને વિજ્ઞાન અને ગણિતમાં પણ. આજ પાણિનિના વ્યાકરણનો ભૌતિકશાસ્રીય અર્થ છે. આ આઈન્સ્ટાઈનના ભૌતિકશાસ્રના ભૂમિતિકરણ જેવું છે. આઈન્સ્ટાઈનને કેવી રીતે ભૌતિકશાસ્ર અને ભૂમિતિમાં ઢાળી દીધું. બીજા અર્થમાં ભૂમિતિને ભૌતિકશાસ્ર બનાવી દીધી. તેની પાછળ અદૃશ્ય રીતે વ્યાકરણની માયા છે. આને જ મગજની જ્ઞાન પ્રોસેસિંગની ક્રિયા કહે છે.

અજાણતા પણ કૉમ્પ્યુટરનો જન્મ જ વ્યાકરણના આધારે થયો છે. વૉનનોયમને ગણિતના આધારે જ ડીએનએ (DNA) અને આરએનએ (RNA)ની રચના અને કાર્યને ઉજાગર કરેલું જેને સર ફ્રાન્સિસ ક્રીક અને જેમ્સ વાટ્સને ભૌતિક રીતે તાદૃશ્ય કર્યું અને ડેમોન્સ્ટ્રેશન કર્યું, જ્યાં સુધી તમારું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ કાર્ય ન કરે ત્યાં સુધી તમે નવી શોધ કરી જ ન શકો.

પાણિનિના વ્યાકરણની રચના બીજ ગાણિતિક છે જે પૃથક્કરણની રીતે, પૃથક્કરણની રચનાએ શબ્દો ઉત્પન્ન કરતાં અને એવા વાક્યો ઉત્પન્ન કરતાં અને અર્થ કરતાં કૉમ્પ્યુટરને જન્મ આપ્યો છે, શબ્દો એ વાક્ય ઉત્પન્ન કરતાં મશીનને જન્મ આપ્યો છે, પોતાની મેળે જ્ઞાનના પૃથક્કરણને કરતા મશીનને જન્મ આપ્યો છે. તેમ છતાં તે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજના માંસના લોચાના કણેકણમાં વ્યાકરણનું પૃથક્કરણ સમાયેલું છે. મશીન વિવિધ પાર્ટ્સનું બનેલું હોય તેની ક્ષમતા વધી વધીને કેટલી વધે? કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ કૉમ્પ્યુટરની આ ક્ષમતાને વધારવા માગે છે. માટે તે પાણિનિના વ્યાકરણને આત્મસાત્ કરવા માગે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=494313


Monday, April 6, 2020

શું બ્લેકહોલ શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે? --- ડૉ. જે. જે. રાવલ

ભારતીય ખગોળવિદ્ મુંજાલે આઠમી સદીમાં શોધી કાઢ્યું કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ ખસવાનું ચક્ર ૨૫૮૦ વર્ષનું છે તે પહેલાં સમયનો લાંબામાં લાંબો એકમ માત્ર એક

વર્ષ હતો.

પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ કરીએ તે વર્તુળને ખગોળીય વિષુવવૃત્ત કહે છે. કારણ કે પૃથ્વીની ધરી તેની કક્ષાની સમતલના લંબ સાથે ૨૩.૫ અંશનો ખૂણો કરે છે તેથી રવીમાર્ગ ખગોળીય વિષુવવૃત્ત સાથે તેટલો જ ખૂણો કરે છે. તેથી રવીમાર્ગનું વર્તુળ ખગોળીય વિષુવવૃત્તના વર્તુળ બે અને માત્ર બે બિન્દુમાં છેદે છે. સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાંથી જ્યારે ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે રવીમાર્ગ અને ખગોળીય વિષુવવૃત્તના જંકશન પર આવે છે. આ બિન્દુને વસંતસંપાત બિન્દુ કહે છે, કારણ કે આ દિવસથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર વસંતઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઊગે છે અને આ દિવસે રાત-દિવસ સરખા થાય છે, દરેક બાર-બાર કલાકનાં. વસંત સંપાતબિન્દુ જે રાશિમાં હોય છે તે રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ ગણાય છે. કેમ કે પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે માટે દર ૨૦૦૦ વર્ષે વસંતસંપાત બિન્દુ રાશિ બદલે છે તે પશ્ર્ચિમ તરફની રાશિમાં આગળ ધપે છે.

વસંતસંપાત પછી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ લાંબો લાંબો થતો જાય છે અને રાત ટૂંકી ટૂંકી થતી જાય છે. ત્રણ મહિના પછી સૂર્ય તેના માર્ગમાં સૌથી ઊંચા બિન્દુએ પહોંચે છે, જ્યારે દિવસ સૌથી લાંબો હોય છે અને રાત સૌથી ટૂંકી હોય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તે તેના માર્ગમાં નીચે અને નીચે ઊતરવાનું શરૂ કરે છે. તેથી આ દિવસ પછી દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકીમાંથી ધીરે ધીરે દિવસ ટૂંકો થતો જાય છે અને રાત ધીરે ધીરે વધતી જાય છે. આ દિવસને સૂર્યનું દક્ષિણાયન કહે છે. સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તેની ગતિ હવે દક્ષિણ તરફ થાય છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં રહે છે તેથી પૃથ્વી પરના તેને સંલગ્ન અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. ત્રણ મહિના પછી સૂર્ય વળી પાછો તેના માર્ગમાં ખગોળીય વિષુવવૃત્ત પર આવે છે તેને શરદસંપાત કહે છે. કારણ કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર હવેથી શરદઋતુ શરૂ થાય છે, આ દિવસે વળી પાછા દિવસ અને રાત સરખા થાય છે, દરેક બાર-બાર કલાકના.

શરદસંપાતના દિવસ પછી સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી સૂર્ય ધીરે ધીરે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, એટલે કે તે ખગોળીય ઉત્તર ગોળાર્ધને સંદર્ભે નીચે અને નીચે ઊતરતો જાય છે. તેથી પૃથ્વીના ઉત્ત્ાર ગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે, પછી ત્યાં ઉનાળો બેસે છે. જ્યારે સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં વિચરતો હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ ટૂંકો અને ટૂંકો થતો જાય છે અને રાત લાંબી અને લાંબી થતી જાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર ઊલટું થાય છે. જ્યારે સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ઊંચા બિન્દુએ હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર લાંબામાં લાંબી રાત થાય છે અને ટૂંકામાં ટૂંકો દિવસ થાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર આનાથી ઊલટું થાય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહાર કરવાનું શરૂ કરે છે. તેને ઉત્તરાયણ કહે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં રહે છે તેની તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંસને મકરવૃત્ત કહે છે. દર વર્ષે ૨૦ કે ૨૧ માર્ચે વસંતસંપાત થાય છે, ૨૧ કે ૨૨ જૂને દક્ષિણાયન થાય છે. ૨૨ કે ૨૩ સપ્ટેમ્બરે શરદસંપાત થાય છે અને ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે. ૨૦૦૦ વર્ષ પહેલાં જ્યારે ઉત્તરાયણ થતી ત્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરતો તેથી ઉત્તરાયણનું નામ મકરસંક્રાંત પડી ગયું અને મકરસંક્રાંતનું નામ ઉત્તરાયણ પડી ગયું, પણ પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે તેથી મકરસંક્રાંત ધીરે ધીરે પશ્ર્ચિમ તરફ સરકે છે. ૨૦૦૦ વર્ષ પહેલાં તે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ વખતે થતી હવે તે ખસીને ૨૧ જાન્યુઆરીએ થાય છે. ધીરે ધીરે તે ૨૨ જાન્યુઆરી, ૨૩ જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરેમાં થશે. આ ચક્ર ૨૫,૮૦૦ વર્ષનું છે. ૨૩,૮૦૦ વર્ષ પછી તે ફરી પાછી ૨૧ કે ૨૨ ડિસેમ્બરે થશે. આ બધું ખગોળ વિજ્ઞાનનું મૂળભૂત જ્ઞાન આપણા પ્રાચીન મનિષીઓને હતું.

ભારતમાં ઋષિઓને ઋતુઓનું સ્પષ્ટ જ્ઞાન હતું. ભારતમાં છ ઋતુઓ છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. દુનિયામાં ઋતુઓ વિષે આટલું સ્પષ્ટ જ્ઞાન કોઈ દેશના લોકોને ન હતું. પ્રાચીન સમયમાં ભારતીયો કુદરતની ખૂબ જ નજીક રહેતાં.

ગ્રીક વિદ્વાનો જ્યારે માનતાં કે બ્રહ્માંડ ચાર ભૌતિક પદાર્થ: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિનું બનેલું છે ત્યારે ભારતીય મનિષીઓ માનતાં કે બ્રહ્માંડ પાંચ ભૌતિક રાશિઓનું બનેલું છે અને તેમની પાંચમી ભૌતિક રાશિ આકાશ (અંતરીક્ષ) હતી. ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે કે બધી જ વસ્તુ અંતરીક્ષમાંથી ઉદ્ભવ પામે છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધી વસ્તુનું પ્રારંભસ્થાન છે અને અંતિમસ્થાન છે. આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે બ્રહ્માંડ એક અદૃશ્ય ઉર્જાની પછેડી છે, જ્યારે તેમાં ઉર્જાનું ગઠન થાય છે ત્યારે તે પદાર્થ (ખફતત) બને છે. આ પદાર્થ બ્રહ્માંડની પછેડીમાં ઝોલો પાડે છે. આ ઝોલાનો ઢાળ એટલે જ ગુરુત્વાકર્ષણ. આ ઝોલાના ઢાળ પર રાખેલો લખોટા ઝોલામાં પડે તે જ ગુરુત્વાકર્ષણ, પણ જો તે ગોળ ગોળ ફરે તો તે તેને બચાવી શકે છે, તે જ ગ્રહની સૂર્ય ફરતે કે નાના આકાશીપિંડથી મોટા આકાશીપિંડ ફરતેની પરિક્રમા. જો ગ્રહ નજીક હોય તો તેને પોતાને સૂર્યમાં પડતા બચાવવા માટે વધારે ઝડપથી સૂર્યની પરિક્રમા કરવી પડે. આ જ તે કેપ્લરના નિયમો.

પ્રાચીન ભારતીય મનિષીઓ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને દેવતા માનતાં. તેમની પૂજા કરતાં, જળને દેવતા માનતાં તેથી નદી, તળાવ, સરોવર, મહાસાગરને પૂજતાં, પૃથ્વીને માતા માનતાં, નદીઓને માતા માનતાં, વાયુને દેવતા માનતાં, અગ્નિને દેવતા માનતાં, સૂર્યને દેવતા માનતાં અને માનતાં કે સૂર્ય જ આ જગતનો આત્મા છે.

સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ર / તેમને સૂર્યની અગત્ય અને શક્તિની સુપેરે જાણ હતી. તેઓ વૃક્ષોની પૂજા કરતા. જરૂરિયાત સિવાય દરેકેદરેક કુદરતી સ્રોતનો ઉપયોગ કરતાં નહીં. તેનો તેમના ઉપભોગ માટે ઉપયોગ કરતાં નહીં. વનસ્પતિ જગત અને પ્રાણી જગતને તેમના પરિવારરૂપે જ જાણતા. પ્રાચીન ભારતીય મનિષીઓ માનતાં કે પૂરી વસુધા એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ્, યત્ર સર્વત્ર વિશ્ર્વં એક નીડમ્ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે તેમની આ સજાગતા હતી. તેઓ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગના સિદ્ધાંતમાં માનતાં એટલે ઓછી જરૂરિયાત અને સુંદર, સાદગીભર્યું, જ્ઞાનભર્યું જીવન. આજે આપણે મુશીબતમાં એટલા માટે છીએ કે આપણે હવે સિમ્પલ થીંકિંગ એન્ડ હાઈ લીવિંગમાં માનતા થઈ ગયા છીએ.

ઋગવેદનો પ્રારંભ અગ્નિની પ્રાર્થના સાથે થાય છે. અગ્નિમીવે પુરોહિતમ્ અગ્નસ્યદેવ મૃત્વિજ્ઞમ્ હોતારમ્ રત્નધાતરમ્॥ તેઓ અગ્નિનું મહત્ત્વ સમજતાં હતાં અને તેથી તેઓ તેમના દરેક કાર્યનો યજ્ઞથી પ્રારંભ કરતાં અને અગ્નિની સાક્ષીએ કાર્ય કરતાં. તેમને ખબર હતી કે અગ્નિ જ બધા બળોનો ચાલક છે, ઊર્જા છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે અહં વૈશ્ર્વાનરોભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત: પ્રાણાપાન સમાયુક્ત પચામ્યાનિ ચતુર્વિધમ॥ અર્થાત્ હું જ વૈશ્ર્વાનર (અગ્નિ) છું અને દરેક પ્રાણીના દેહમાં રહ્યો છું. શ્ર્વાસોચ્છવાસની ક્રિયા સામે દરેક જાતના અન્નને, ખોરાકને પચાવું છું - આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અગ્નિ શું છે અને તેનું કાર્ય કેટલું મોટું છે તે મહાન રહસ્ય જાણતા હતા. આ ભારતીયોનું વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાન યોગ પણ છે. જ્ઞાન સાથે જ વિજ્ઞાન હોય છે. સંસ્કૃતભાષા કેટલી બધી વિજ્ઞાની છે?

પ્રાચીન ભારતીય મનિષીઓએ શૂન્ય અને એકની શોધ કરી જે બાયનરી સિસ્ટમ બની બધાં જ કોમ્પ્યુટરને ચલાવે છે જેણે દુનિયામાં વિજ્ઞાન અને જ્ઞાનક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.

પ્રાચીન મનિષીઓ અનંતતાને અને સૂક્ષ્મતાને બરાબર પામી ગયા હતા. અણુ-પરમાણુના રહસ્યને પણ પામી ગયા હતાં. બ્રહ્માંડ જેવો શબ્દ તેમણે આપેલ છે. પિંડે તે બ્રહ્માંડે જેવું ગહન રહસ્ય તેઓ જાણતા હતાં.

આજે સાબિત થયું છે કે આ બ્રહ્માંડ બીજું કાંઈ જ નથી, પણ અગ્નિનો ગોળો છે, ઊર્જાનો ગોળો છે, અગ્નિ અને ઊર્જા જ આ બ્રહ્માંડમાં સર્વસ્વ છે. માટે તો ભારતીયો શક્તિની પૂજા કરે છે. તેઓ જાણતા હતા કે આ બ્રહ્માંડરૂપી ગરબો શક્તિના માથે છે. ગરબામાં જે છિદ્રો છે અને વચ્ચે દીવો છે તે પ્રકાશિત મંદાકિનીઓને અને ઊર્જાને પ્રદર્શિત કરે છે, તેમણે એ પણ ગાયું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, શાંતિરૂપેણ સંસ્થિતા વગેરે. આ બ્રહ્માંડ શક્તિથી જ ચાલે છે, શક્તિ જ તેની આરાધ્ય દેવી છે.

ગીતામાં અર્જુન, શ્રીકૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આપનું નિવાસસ્થાન ક્યાં છે, ત્યારે શ્રીકૃષ્ણ બહુ રસપ્રદ જવાબ આપે છે. શ્રીકૃષ્ણ કહે છે:

ન તદ્ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક:

યદ્ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ્॥

અર્થાત્, જ્યાં સૂર્ય પ્રકાશતો નથી, જ્યાં ચંદ્ર પ્રકાશતો નથી, જ્યાં અગ્નિ પ્રકાશતો નથી, જેમાં જઈને કોઈ વસ્તુ પાછી આવતી નથી, તે મારું નિવાસસ્થાન છે. આ શ્ર્લોક હકીકતમાં બ્લેકહોલના વર્ણનમાં બરાબર ફીટ થાય છે. તો આપણને લાગે કે શું બ્લેકહોલ ભયંકર ગુરુત્વાકર્ષણની સીટ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે. તેનો અર્થ શું સમજવો?

કણાદ ઋષિ આ પૃથ્વી પરના પ્રથમ ઋષિ હતા. જેમણે દુનિયાને સૂક્ષ્મકણો વિષે માહિતગાર કર્યા હતા. તેમણે આપણને સમજાવ્યું હતું કે, આ દુનિયાનું બંધારણ છેવટે સૂક્ષ્મકણ છે, અણુ-પરમાણુ છે. તેમનું નામ તો કશ્યપ હતું પણ તેઓ બાળક હતા ત્યારે તેમના પિતાજી સાથે કાશી ગયા હતા, તેમણે જોયું કે રસ્તામાં ચોખાના દાણા ઢોળાયેલ છે. તેમણે એક એક ચોખાનો દાણો ભેગો કર્યો. એક સંતે તેમને પૂછ્યું શા માટે તું ત્યજાયેલાં ચોખાના દાણાને ધૂળમાંથી ભેગા કરે છે. ત્યારે કશ્યપે જવાબ આપ્યો કે એક શેર ચોખાના દાણા એક માનવીનું એક દિવસનું ભોજન બની શકે છે. છેવટે તો બધું કણોનું જ બનેલું છે. કણ કણ નથી પણ બંધારણનું બીજ છે. આ જવાબ સાંભળી સંત ખુશ થઈ ગયા અને કશ્યપનું નામ કણાદ પાડ્યું. કણાદ ઋષિએ જીવનભર પદાર્થ, તત્ત્વ અને અણુ-પરમાણુનો અભ્યાસ કર્યો અને તેના અગત્ય વિષે દુનિયાને જણાવ્યું. આમ અણુવિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત પ્રથમ છે.

  http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=470898

સમયના દર્પણમાં બ્રહ્માંડ --- ડૉ. જે. જે. રાવલ

સમયના દર્પણમાં બ્રહ્માંડ
પ્રાચીન ભારતીય મનીષીઓને સૂર્ય-ચંદ્રની ગતિવિધનું અગાધ જ્ઞાન હતું 
પુષ્પક વિમાનની કથા કાલ્પનિક હોય તો પણ મહાન છે
સમય જ ઊર્જા, બ્રહ્મન અને અંતરીક્ષ છે

આપણને કોઇ પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ કે સમય વિષે આપણે બધું જ જાણીએ છીએ. જ્યારે આપણને કોઇ સમય વિશે પૂછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે કે સમય વિશે આપણે કશું જાણતા નથી. આપણી ત્યારે બોલતી જ બંધ થઇ જાય જેમ આપણને ખબર નથી કે મરઘી પહેલી કે ઇંડું પહેલું તેવી રીતે હજુ પણ આપણને ખબર નથી કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. બધા માને છે કે સમય ફેરફાર કરે છે, કારણ કે આપણે નાના હોઇએ, મોટા થઇએ અને છેવટે વૃદ્ધ થઇએ. આ પરથી આપણે માનીએ કે સમય ફેરફાર કરે છે. પણ એવા માણસો મેં જોયા છે જેઓ ૭૫ વર્ષના હોય પણ એકપણ વાળ તેમનો સફેદ ન થયો હોય, બધા જ દાંત હોય અને યુવાન જેટલી સ્ફૂર્તિ હોય. એવી મહિલાઓ-માનુનીને મેં જોઇ છે જે હોય ૫૫ વર્ષની પણ લાગે ૨૨ વર્ષની, ૨૫ વર્ષની પણ નહીં. ત્યારે લાગે કે આ બધા દાખલામાં સમય ફેરફાર કરી શક્યો નથી. તો બીજે છેડે ૩૦ વર્ષના યુવાનના બધા જ વાળ સફેદ થઇ ગયા હોય અને તે પણ સ્ફૂર્તિ વગરનો વૃદ્ધ લાગે.

બીજી બાજુ જો ફેરફાર થાય તો જ આપણને ખબર પડે કે સમય પસાર થાય છે. ઘડિયાળનું લોલક કે ટિક ટિક તમને ફેરફારનો નિર્દેશ કરે છે. તેમ છતાં આ માત્ર સ્કીમ હોય તેમ લાગે છે. પાણી વહે છે, પવન વહે છે માટે આપણે માનવા લાગ્યા કે સમય પણ વહે છે. જળઘટિકાયંત્રમાંથી બીજા પાત્રમાં ટપક ટપક પાણી પડે અથવા એકધારું પાણી પડે તે દ્વારા આપણે સમયને માપવાનું શરૂ કર્યું. સન-ડાયલ, સૂર્યઘટિકા યંત્ર કે રેતીઘટિકાયંત્રથી સમયમાપન શરૂ કર્યું.

મૂળભૂત પ્રશ્ર્ન એ છે કે સમયનો વિચાર કેવી રીતે આવ્યો?

પુરાતન માનવીની કલ્પના કરો. સવાર થાય એટલે સૂર્યોદય થાય. ગરમી લાગવા મંડે, પુરાતન માનવી જાગી જાય. આખો દિવસ રખડ્યા કરે. સાંજે સૂર્યાસ્ત થાય અને બધે જ અંધારું છવાઇ જાય. ત્યારે દીવા-ફાનસ-લાઇટ તો હતાં નહીં. તારા ઝગમગવા લાગે, ચંદ્ર આકાશમાં દેખાય. વળી પાછો રાત પછી સૂર્યોદય થાય. પણ તેને આ બાબતે કાંઇ ખબર પડતી નહીં. પણ રાતે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થીનો ચંદ્ર જોવે અને તેના દર્શન કરે. પછી અષ્ટમીનો અર્ધચંદ્ર થાય. આમ ને આમ ચંદ્ર વધતો જાય. પછી પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર આકાશમાં દેખાય. આમ પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂર્ણિમા એમ બે સ્પષ્ટભાગ પડી ગયા જેને આપણે સુદ કે શુક્લપક્ષ કહીએ છીએ. કૃષ્ણ પક્ષમાં આનાથી ઊલટું થાય અને બીજા બે ભાગ થાય. છેવટે અમાસને દિને ચંદ્ર ગાયબ થઇ જાય. આ જ તે કૃષ્ણપક્ષ અને તેના બે ભાગ. ચંદ્રની આ કળાએ તેને સમય ગણવાનો વિચાર આપ્યો. જોકે તેની પાસે ત્યારે ન હતી નંબર સિસ્ટમ, ન હતી ઘડિયાળ કે કેલેન્ડર. દિવસ અને રાત સૂર્ય, ચંદ્ર, તારા તેની પ્રથમ ઘડિયાળ બની. પણ જ્યારે પૈડાની-ચક્રની શોધ થઇ ત્યારે તેને ખબર પડી કે ચક્ર ઉપરનું એક બિન્દુ ફરીને તેની પ્રથમ સ્થિતિમાં આવે છે, ત્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસના ચક્રની ખબર પડી. તેને એણે મહિનો કહ્યો, જેના ૨૭, ૨૮ કે ૩૦ દિવસ છે. તારાના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૭.૫ દિવસનો છે અને પૂનમથી પૂનમના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૯.૫ દિવસનો છે. પણ આપણને પૂર્ણ દિવસ લેવા પડે માટે મહિનો ૩૦ દિવસનો થયો. આમ ૩૦ દિવસનો મહિનો અસ્તિત્વમાં આવ્યો.

ભારતીય મનીષીઓએ નિરીક્ષણ કર્યું કે ચંદ્ર દરરોજ તારામંડળને બદલે છે, ૨૭ દિવસમાં તે ૨૭ તારામંડળમાંથી પસાર થાય છે. તેમને તેમણે નક્ષત્રો કહ્યાં. આમ ૨૭ નક્ષત્રો બન્યાં પણ ૮૦૦૦ વર્ષ પહેલાં અભિજિત નામનું ૨૮મું નક્ષત્ર હતું જે ખૂબ દૂર હોવા છતાં પણ તે એક જ એવું નક્ષત્ર હતું જે વસંતસંપાતનું નિર્દેશન કરતું હતું. આ અભિજિત નક્ષત્ર દર ૨૫૮૦૦ વર્ષે નક્ષત્ર બને છે.

આરબો રણમાં મુસાફરી કરતા ત્યારે દિવસે ધગધગતા તાપમાં મુસાફરી કરી શકે નહીં માટે તેઓ દિવસે તંબુ તાણી આરામ કરતા અને રાતે મુસાફરી કરતા. રાતે મુસાફરી કરતાં દિશા જાણવા તેમનું ધ્યાન રાત્રિઆકાશમાં જ રહેતું. તેઓ ત્યારે ચંદ્રને, તારાને અને ધ્રુવતારાને જોતા રહેતા. તેમણે જોયું કે ચંદ્ર દર રાતે નક્ષત્ર બદલે છે. માટે તેઓ માનતા કે ચંદ્ર દિવસે મુસાફરી કરે છે, અને રાતે તંબુરૂપી નક્ષત્રમાં આરામ કરે છે. આરબો પોતે દિવસે તંબુમાં આરામ કરતાં અને રાતે મુસાફરી કરતા.

ભારતીય ખગોળવિદોએ ચંદ્રની આ ૨૭ નક્ષત્રો વચ્ચેથી મુસાફરીને આત્મસાત્ કરવા આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓની કલ્પના કરી હતી.

ભારતીય મનીષીઓ કે દુનિયાના કોઇ પણ વિદ્વાનોની એક મહત્ત્વની પ્રવૃત્તિ-ક્રિયા-ફરજ દિવસ-રાત આકાશનો અભ્યાસ કરવાની હતી. તેઓએ જોયું કે સૂર્ય એક રાશિમાં હોય પછી જ્યારે ચંદ્ર આકાશમાં પૂનમથી પૂનમ એક ચક્કર મારી લે ત્યારે સૂર્ય એક તારામંડળમાંથી પસાર થતો, તેને તેમણે રાશિ કહી. તેઓએ એ પણ જોયું કે ચંદ્ર જ્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ બાર ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય બાર રાશિઓમાંથી પસાર થઇ વળી પાછો તેની પ્રથમ રાશિમાં આવે છે. આમ વર્ષના ૧૨ મહિના થયાં. મહિનાના બે ભાગ કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થયા અને દરેક પક્ષના વળી પાછા પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂનમ કે અમાસ એમ બે ભાગ થયા. મહિનાના કુલ ચાર ભાગ થયા.

પ્રાચીન ભારતીય કે ગ્રીક ખગોળવિદોએ જોયું કે રાત્રિ દરમિયાન એક પછી એક એમ ૧૨ પ્રકાશિત તારા લગભગ સમયના સરખા ભાગે ઉદય પામે છે. આ પ્રમાણે રાત્રિના ૧૨ ભાગ થયા. તેવી જ રીતે દિવસના ૧૨ ભાગ થયા. આમ ૨૪ કલાકનો દિવસ થયો.

૮૦૦૦ વર્ષ પહેલાં ભારતીય કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું તેને અદિતિ કેલેન્ડર કહે છે. એ વખતે વસંતસંપાતબિન્દુ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં હતું. વસંતસંપાતબિન્દુના દિવસે, દિવસ અને રાત બંને ૧૨-૧૨ કલાકના હોય છે. તે દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉદય પામે છે. પછીના દિવસોમાં સૂર્ય ઉત્તર દિશાની અલગ અલગ જગ્યાએ ઉદય પામે છે. ત્રણ મહિના પછી તે ઉત્તરમાં હોય છે અને કર્ક રાશિમાં રહે છે, પછી તે વળી પાછો દક્ષિણ તરફ આવતો જાય છે. ત્રણ મહિના પછીના આ દિવસને સૂર્યનું દક્ષિણાયન ગમન કહે છે. સૂર્ય જ્યારે ઉત્તર તરફ આગળ વધતો જાય છે, તેમ તેમ દિવસ લાંબો અને લાંબો થતો જાય છે. ત્રણ મહિના પછી તે સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત થાય છે. ત્યારે તે કર્ક રાશિમાં રહે છે અને પછીના દિવસે દક્ષિણ તરફ આવતો જાય છે. સૂર્ય ત્યાર પછીના ત્રણ મહિના રહે છે તો આકાશના ઉત્તરગોળાર્ધમાં પણ તેની ચાલ દક્ષિણ તરફી હોય છે. સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે ત્યારે તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંશને કર્કવૃત્ત કહે છે.

વસંતસંપાતના દિવસથી પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે. ત્રણ મહિના પછી દક્ષિણાયનના દિવસથી ઉનાળો શરૂ થાય છે, અને પછી ત્રણ મહિને પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વર્ષાઋતુ બેસે છે. અને જ્યારે વળી પાછા દિવસ અને રાત બાર-બાર કલાકના થાય છે ત્યારે શરદસંપાત થાય છે. ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શરદઋતુ બેસે છે.

શરદસંપાત પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણ ગોળાર્ધમાં વિચરે છે. વસંતસંપાત પછી તે ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધ પર ઉપર ચઢે છે, પછી દક્ષિણાયન થાય છે અને પછી સૂર્ય ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધમાં નીચે ઊતરે છે. શરદસંપાત થાય છે અને પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર વિચરે છે. તે ત્રણ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે સૂર્ય નીચે અને નીચે ઊતરતો જાય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર ઉનાળો હોય છે. પછી તે આકાશના દક્ષિણગોળાર્ધના ઊંચામાં ઊંચા બિન્દુએ અને આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે તે નીચામાં નીચા બિન્દુએ હોય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં દિવસ ટૂંકામાં ટૂંકો અને રાત લાંબામાં લાંબી હોય છે. પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર આનાથી ઊલટું હોય છે. પછી સૂર્ય હોય છે તો આકાશના દક્ષિણગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહરવાનું શરૂ કરે છે. આ વખતે તે મકર રાશિમાં હોય છે. આ સંદર્ભે પૃથ્વી પરના સંલગ્ન અક્ષાંશને મકરવૃત્ત કહે છે. આ આકાશમાં સૂર્યની ગતિ છે જેને આપણે ઋતુચક્ર કહીએ છીએ.

૮૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં હતું ત્યારે ભારતીય કેલેન્ડરનો પ્રારંભ થયો. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતિ છે. અદિતિને બે મોઢાં છે, એક આગળ અને બીજું પાછળ. તે વર્ષના પ્રારંભે પણ નૈવેદ્ય લે છે અને વર્ષના અંતે પણ નૈવેદ્ય લે છે. માટે તેને બે મોઢાં છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં આકાશના ઉત્તરગોળાર્ધમાં ઉદય પામે છે. તે ત્યાં જન્મે છે. માટે તે અદિતિનો પુત્ર ગણાય છે અને તેથી તેનું નામ આદિત્ય પડ્યું છે. અદિતિ દેવોની માતા ગણાય છે. સૂર્યના ઉત્તર વિચરણને દેવાયન કહેવાય છે, દક્ષિણના વિચરણને પિતૃઆયાન કહે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=467747

http://bombaysamachar.com/epaper/e20-1-2019/UTSAV-SUN-20-01-2019-Page-10.pdf

પ્રાચીન ભારતીય મનીષીઓને સૂર્ય-ચંદ્રની ગતિવિધનું અગાધ જ્ઞાન હતું

દુનિયાનું પ્રથમ કેલેન્ડર ૮૦૦૦ વર્ષ પહેલાંનું અદિતિ કેલેન્ડર, ભગવાન શ્રીકૃષ્ણના નિર્વાણ પછી થયેલું કલી કેલેન્ડર. જુલિયસ સીઝરે શરૂ કરેલું જુલિયન કેલેન્ડર. પછી ભારતનું વિક્રમ સંવતનું કેલેન્ડર પછી જુલિયન કેલેન્ડરમાં થોડો સુધારો કરીને સ્થાપિત થયેલું ક્રિશ્ર્ચિયન કેલેન્ડર જે બી.સી. અને એ.ડી. દર્શાવે છે. બી.સી. એટલે બિફોર ક્રાઇસ્ટ અને એ.ડી. એટલે આફ્ટર ડેથ ઓફ ક્રાઇસ્ટ. પછી શક સંવતનું કેલેન્ડર અને છેવટે ક્રિશ્ર્ચિયન કેલેન્ડરમાં સુધારો કરી થયેલું ગ્રેગોરિયન કેલેન્ડર જે ગ્રેગોરી ૧૩ના સમયમાં શુક્રવાર ૧૫ ઓક્ટોબર ૧૫૮૨ના રોજ ૧૧ દિવસ કુદાવી અસ્તિત્વમાં આવ્યું. આ લગભગ શુદ્ધ જુલિયન કેલેન્ડર છે. તે હકીકતમાં ૪૦૦ વર્ષનું ચક્ર છે. એટલે કે ૧૫૮૨ થી ૧૯૮૨નું તે ચક્ર છે અને તે પછી તે બીજા ૪૦૦ વર્ષ સુધી પુનરાવર્તિત થાય છે.

જોકે દુનિયામાં ઘણાં જુદાં જુદાં કેલેન્ડરો છે જેમ કે મુસ્લિમ બિરાદરોનું હીજરી સંવત જે પયગંબર સાહેબના મૃત્યુ પછી અસ્તિત્વમાં આવ્યું. મુસ્લિમ કેલેન્ડર માત્ર ચંદ્ર કેલેન્ડર હોવાથી તે ૩૫૪ દિવસનું વર્ષવાળું તરતું કેલેન્ડર છે. તેને સૂર્ય સાથે જોડવામાં આવ્યું નથી. તેથી મોહરમ વગેરે અલગ અલગ મહિનામાં આવે છે, અને મુસ્લિમ બિરાદર વયમાં ૧૧ દિવસ મોટો થતો જાય છે. દર ત્રણ વર્ષે તે એક મહિનો વધારે મોટો થાય છે. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે માનવીની વય ૩૬ વર્ષ હોય ત્યારે મુસ્લિમ બિરાદરની વય ૩૭ વર્ષ બને છે. આમ કેલેન્ડર મોટી માયા છે અને કેલેન્ડરો પર બહુ વિચાર કરીએ તો ભ્રમિત થઇ જઇએ. દુનિયામાં કેટલાંય કેલેન્ડરો ચાલે છે. આમ સમય પોતે જ ગૂંચવણભર્યો છે, તેનું માપન અને કેલેન્ડરો પણ ખૂબ જ ગૂંચવણ ભરેલાં છે. આમ લાગે કે સમયનો કોઇ અર્થ નથી. એ માત્ર સ્કીમ હોય તેમ લાગે અને જુદા જુદા દેશના જાતિના અને રાજ્યના લોકો અલગ અલગ કેલેન્ડર અનુસરે છે.

આપણે પ્લેનમાં સવારે મુસાફરી કરવાની શરૂઆત કરીએ અને આપણું પ્લેન પશ્ર્ચિમમાં જતું હોય જે દિશા સૂર્યની ગતિ કરવાની દિશા છે. તો જ્યાં સુધી સૂર્યની પશ્ર્ચિમમાં જવાની ગતિ સાથે આપણું પ્લેન ચાલે તો કદી રાત આવે જ નહીં. ધારોકે પ્લેનમાં ખૂબ જ ઇંધણ છે અને આપણું પ્લેન સૂર્યને અનુસરતું રહે અને તેમાં બાળક જન્મે તો તેને રાત શું છે, તારા, ગ્રહો, ચંદ્ર શું છે તેની કદી ખબર જ ન પડે. હવે ધારો કે રાતે ૮ વાગ્યે આપણે પ્લેન પકડીએ અને પૂર્વમાં જઇએ તો કદી દિવસ આવે જ નહીં. ધારો કે આવા પ્લેનમાં બાળક જન્મે તો તે બાળકને દિવસ શું છે, સૂર્ય શું છે તેની કદી ખબર જ ન પડે.

તમે પ્લેનમાં સિંગાપોર, જાપાન, ચીન, અમેરિકા વગેરેની મુસાફરી કરતા રહો તો તમને ખબર જ ન પડે કે હકીકતમાં કયો સાચો છે. ત્યારે તમને સમયની નિરર્થકતા સમજાય. તમને એક અઠવાડિયું અંધારી કોટડીમાં રાખવામાં આવે ત્યારે પણ તમે સમયને ગણવાનું ભૂલી જાવ. લોકો તારીખથી એટલા બધા ટેવાઇ ગયા છે કે હવે કોઇને પૂછીએ કે આજે ભારતીય મહિનો કયો છે કે તિથિ કઇ છે તો પણ કહી શકતાં નથી. સમય વિષે આપણી આ સ્થિતિ છે. પ્રાચીન સમયમાં ભારતીયો સમયને ચંદ્રની ગતિવિધિથી માપતા. સૂર્યોદય સમયે તિથિ બદલાતી. ચંદ્ર જ્યારે સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે સૂર્યોદય સમયે તિથિ બદલાતી. જો ચંદ્ર સૂર્યોદય સમયે સૂર્યથી ૧૩ અંશ દૂર ન ગયો હોય તો તિથિ બેવડાતી અને જો તે સૂર્યોદય પહેલાં સૂર્યથી ૧૩ અંશ દૂર ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થતો. સમય માપનમાં તિથિની વધઘટનો પણ સમાવેશ છે. પ્રાચીન સમયમાં લોકોને આની પાછળના કારણની ખબર ન હતી પણ નિરીક્ષણતત્મક રીતે (ઇમ્પિરીકલી - empirically) તેમને ચંદ્રની દરરોજની ગતિવિધિની ખબર હતી એટલું ચોક્કસ તેમનું દરરોજનું આકાશદર્શન હતું. હવે આપણને ખગોળશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે ચંદ્ર પૃથ્વી ફરતે અને ગ્રહો સૂર્ય ફરતે પૂર્ણ વર્તુળમાં પરિક્રમા કરતા નથી, પણ દીર્ઘવર્તુળમાં પરિક્રમા કરે છે. તેથી તેના વર્ષ દરમિયાન ચંદ્ર પૃથ્વીથી નજીક હોય છે અને તેથી તેને જલદી પરિક્રમા કરવી પડે છે તેથી તિથિનો ક્ષય થાય છે અને જ્યારે તે પૃથ્વીથી દૂર હોય છે ત્યારે તે ધીમે ધીમે પરિક્રમા કરે છે અને તિથિ બેવડાય છે. આ જ્ઞાન પ્રાચીન મનીષીઓને નિરીક્ષણ પરથી હતું. પણ તેની પાછળના સૈદ્ધાંતિક વિજ્ઞાનની તેમને જાણ ન હતી. તે કેપ્લરે દર્શાવ્યું. તેમ છતાં ચંદ્ર શા માટે પૃથ્વીની પરિક્રમા કરે છે કે ગ્રહો શા માટે સૂર્યની પરિક્રમા કરે છે તેની પાછળના સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક કારણની કેપ્લરને પણ ખબર ન હતી. આ બાબત ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી સમજાવી.

પ્રાચીન ભારતીય મનીષીઓએ સૂર્ય અને ચંદ્રની ગતિવિધિના નિરીક્ષણ પરથી સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષનો મેળ બેસાડવા દર ત્રણ વર્ષે અધિકમાસની સ્થાપના કરી અને તેમની ખગોળીય પ્રજ્ઞાનું આપણને દર્શન કરાવ્યું છે. તેની પાછળનું હકીકતમાં કારણ એ છે કે ચાંદ્ર મહિનો હકીકતમાં ૨૯.૫ દિવસનો છે તેથી ચાંદ્ર વર્ષ હકીકતમાં ૩૫૪ દિવસનું થાય છે, ત્યારે સૂર્ય વર્ષ ૩૬૫ દિવસનું છે. હકીકતમાં સૂર્ય વર્ષ ૩૬૫.૨૪ દિવસનું છે. આ મેળ બેસાડવા અને ઋતુચક્રને તેની જગ્યાએ રાખવા ભારતીય મનીષીઓએ અધિકમાસની સ્થાપના કરી છે. આ માટે લોકો વધારે પડાપૂછ કરે નહીં માટે તેને ભગવાન વિષ્ણુના નામે પુરુષોત્તમ મહિનો નામ આપવામાં આવ્યું છે. આ મહિનામાં લોકો શાંતિથી ઇશ્ર્વરની ભક્તિ કરે છે, ભારતીય સંસ્કૃતિની કથા અને પુરાણોને સાંભળીને ભારતીયતાને તાજી કરે છે. અધિકમાસનો ઉલ્લેખ વેદોમાં છે. પુરાતનકાળથી ભારતીય મનીષીઓને નિરીક્ષણાત્મક રીતે સૂર્ય અને ચંદ્રની ગતિવિધિનું જ્ઞાન હતું. તેમાં પણ સૂક્ષ્મ રીતે સૂર્ય ચંદ્રની ગતિવિધિની ગણતરીનો મેળ બેસાડવા તેમણે દિવાળીના દિવસોમાં ધોકો બેસાડ્યો છે, જે તિથિની વધઘટ નથી પણ ફાજલ પડતા સમયનો મેળ છે.

ગ્રેગોરિયન કેલેન્ડર જોકે ઠીક ઠીક શુદ્ધ છે પણ તેમાં ભારતીયોની ઉપરોક્ત ખગોળીયજ્ઞાન અને પ્રજ્ઞા નથી. તેમાં ગમે તે રીતે થોડા ૩૦ દિવસના મહિના છે, તો થોડા ૩૧ દિવસના મહિના છે, લીપયર છે તો વળી જો સદીનું છેલ્લું વર્ષ ૪૦૦ થી ન ભગાય તો લીપયર નથી એવી ઉટપટાંગ રીતે તેઓએ સૂર્ય વર્ષ અને ચાંદ્રવર્ષનો મેળ બેસાડવા પ્રયત્નો કર્યા છે.

પ્રાચીન ભારતીય મનીષીઓએ સમય માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ એકમ (યુનિટ) શોધ્યું છે, પછી સેક્ધડ, મિનિટ, કલાક, દિવસ, સપ્તાહ, પખવાડિયું, મહિનો અને વર્ષ સમયમાપનના એકમો તરીકે આવ્યાં. તેમાં વર્ષ લાંબામાં લાંબું સમયમાપનનું એકમ હતું પણ હવે પૃથ્વીની પરારાંયનગતિ ((Wobbling motion, pirecession of axis of the earth )નું ૨૫,૮૦૦ વર્ષનું સમયચક્ર, સૂર્યનું આકાશગંગા મંદાકિનીની ફરતે પરિક્રમા કરવાનું ૨૨ કરોડ વર્ષનું ચક્ર, કે સૂર્ય કલંકનું ૧૧ વર્ષનું સમયચક્ર કે સૂર્યકલંકનું પૂર્ણ મેગ્નેટિક પોલારિટીનું ૨૨ વર્ષનું સમય ચક્ર, આપણી મંદાકિનીનું ૧૦ કરોડ વર્ષનું ધરીભ્રમણ સમયચક્ર, ગ્રહો ઉપગ્રહોના ધરીભ્રમણ અને રિભ્રમણચક્રો કલાકોથી માંડી દિવસો, વર્ષો, સેંકડો વર્ષોના સમયચક્રની આપણને જાણ છે.

૮૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત બિન્દુ પુનર્વસુ નક્ષત્રમાં હતું જ્યારે આપણું અદિતિ કેલેન્ડર શરૂ થયું. ૭૦૦૦ વર્ષ પૂર્વે તે મૃગનક્ષત્રમાં હતું જ્યારે વેદો લખાયાં, ૫૦૦૦ વર્ષ પૂર્વે તે કૃત્તિકા નક્ષત્રમાં હતું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું. ૨૦૦૦ વર્ષ પૂર્વે તે

મેષરાશિમાં હતું અને હાલમાં તે મીનરાશિના પ્રારંભે છે. રસપ્રદ વાત એ છે કે પ્રાચીન ભારતીય મનીષીઓ આ વસંતસંપાત બિન્દુ દર ૭૨ વર્ષે એક અંશ ખસે છે તે પણ જાણતા હતાં. જોકે તે ૨૫ ૮૦૦ વર્ષનું પૂર્ણ સમયચક્ર છે તે સત્ય જાણતાં ન હતા. આના પરથી આપણે કહી શકીએ કે વેદો ક્યારે લખાયાં, મહાભારતનું યુદ્ધ ક્યારે થયું. આમ આકાશ ભૂતકાળ પણ સાચવીને બેઠું છે માત્ર આપણને આકાશ ઉકેલતા આવડવું જોઇએ. તેને ઉકેલવાની, તેના પડળોને ખોલવાની ચાવી આપણી પાસે હોવી જોઇએ. કુદરતે આપણને લાંબા, ટૂંકા સમયચક્ર આપી આપણા પર કૃપા કરી છે.

પૃથ્વીની ધરી વાંકી કરી અને તેને ભૂમધ્યરેખા પર ફુલાવી રાખી આપણને પૃથ્વીની પરાંયનગતિનું ૨૫૮૦૦ વર્ષનું લાંબું એવું સમયચક્ર આપ્યું છે. પૃથ્વીની ધરી વાંકી છે અને તે ભૂમધ્યરેખા પર ફૂલેલી છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણબળો પૃથ્વી પર લાગે છે. પૃથ્વીનું વજન વધારે હોવાથી તેની ધરી સીધી તો નથી થઇ શકતી પણ તે ભમરડાની ધરીની માફક હાલક-ડોલક થાય છે. જો પૃથ્વીની ધરી વાંકી ન હોત અને જો તે ભૂમધ્યરેખા પર ફૂલેલી ન હોત તો આપણને પૃથ્વીની પરાંયનગતિનું ૨૫૮૦૦ વર્ષનું ચક્ર મળ્યું ન હોત. આ બધા સમયચક્રોનું મૂળ ઉદ્ગમસ્થાન અણુની અંદરની ચેતના છે.

વાલ્મીકિ ઋષિએ જ્યારે રામ ભગવાનનો જન્મ થયો ત્યાર વખતના આકાશનું, ગ્રહોની સ્થિતિનું વર્ણન કર્યું છે. વિજ્ઞાનીઓને થયું કે હકીકતમાં રામ ભગવાનનો જન્મ થયો હતો કે તે માત્ર કલ્પનાનું મહાકાવ્ય છે? ઘણા ખરા ડાબેરી વિચારસરણી ધરાવતા અને થોડા ઘણા હિન્દુ સંસ્કૃતિ વિરોધી ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદો માને છે કે રામ ભગવાન જેવો મહાપુરુષ-યુગપુરુષ થયો જ નથી. તે માત્ર વાલ્મીકિની કલ્પનાનું મહાકાવ્ય છે. આ વાતનો તોડ કાઢવા વિજ્ઞાનીઓએ ૨૫ કરોડ રૂપિયાનું કાર્લ ઝાઇમે-યેનાનું સચોટ, પ્લેનેટેરિયમ પ્રોજેક્ટર લીધું. તેને એક દિવસ માટે, એક વર્ષ માટે, ૩૬૫ અને ૭૦૦૦ વર્ષ માટે ૨૫,૫૫,૦૦૦ ચક્કર ફેરવી આકાશ ઉત્પન્ન કર્યું તો ચૈત્રસુદ નોમ ૧૨ વાગ્યે જે ગ્રહોની સ્થિતિ ઉત્પન્ન થઇ તે બરાબર વાલ્મીકિએ રામાયણમાં રામજન્મ વખતે જે આકાશમાં ગ્રહોની સ્થિતિ દર્શાવી હતી બરાબર તે જ ગ્રહોની સ્થિતિ ઉત્પન્ન થઇ. એટલે કે રામના જન્મનો હોરોસ્કોપ (જન્મકુંડળી) ઉત્પન્ન થયો. આ દર્શાવે છે કે હકીકતમાં રામ ભગવાન હતા. અને વાલ્મીકિ ઋષિની રામજન્મની જન્મકુંડળી સાચી છે. (ક્રમશ:)

http://bombaysamachar.com/epaper/e03-2-2019/UTSAV-SUN-03-02-2019-Page-10.pdf

http://bombaysamachar.com/epaper/e03-2-2019/UTSAV-SUN-03-02-2019-Page-09.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=468668

પુષ્પક વિમાનની કથા કાલ્પનિક હોય તો પણ મહાન છે

વિક્રમસંવત ગ્રેગોરીઅન કેલેન્ડરથી ૫૬ વર્ષ આગગ ચાલે છે, જ્યારે શકસંવત ગ્રેગોરીઅન કેલેન્ડરથી ૭૮ વર્ષ પાછળ ચાલે છે.

અંતરીક્ષ આમ દેખાતું નથી, નથી દેખાડી શકાતું, નથી હાથમાં પકડી શકાતું, વણ તે અસ્તિત્વ ધરાવે છે અને તેના ત્રણ પરિમાણો છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સમય પણ દેખાતો નથી, નથી દેખાડી શકાતો, નથી હાથમાં પકડી શકાતો, પણ તે અસ્તિત્વ ધરાવે છે. એમ તો ઈશ્ર્વર, સત્ય, બ્રહ્મ, પ્રાણ, બુદ્ધિ, ભાવના, પ્રેમ પોતાને ક્યાં દેખાડી ખકાય છે. તેની અસરો જોઈ શકાય છે. આ બધા દિવ્ય છે.

આગળ આપણે જોયું કે વાલ્મીકિ ઋષિએ રામના જન્મનો જે હોરોસ્કોપ (જન્મકુંડળી) આપ્યો છે તે તદ્દન સાચો છે. રામના અસ્તિત્વ વિષે બીજી એક વાત છે જે દર્શાવે છે કે રામ ખરેખર હતા, મહાન વિજ્ઞાની પીસારોટી ભારતના હવામાનશાસ્ત્રના ડિરેક્ટર જનરલ હતા, પછી જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમને વિક્રમ સારાભાઈએ તેમની સાથે અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં કાર્ય કરવા આમંત્રણ આપેલું અને તેમણે તે સ્વીકારેલું. તેઓ વિક્રમ સારાભાઈ સાથે કામ કરતા. તેઓ પ્રથમ હરોળના વિજ્ઞાની તો ખરા જ, સંસ્કૃતના મહાપંડિત હતા, તેમનું અમે વ્યાખ્યાન યોજેલું. એ વ્યાખ્યાનમાં તેમણે બહુ સ્પષ્ટ કરેલું અને તે ‘શ્ર્લોકો’ બોલીને બતાવ્યા હતા કે રામ હતા. જ્યારે રામ રાવણનો સંહાર કરી વિજય મેળવી લક્ષ્મણ અને સીતા સાથે પગે ચાલતા અયોધ્યા પાછા જવાની શરૂઆત કરી ત્યારે, કારણ કે તેમના વનવાસના દિવસો પૂરા થઈ ગયા હતા, વિભીષણે રામને વિનંતી કરી કે હવે તમારે પગે ચાલતા અયોધ્યા જવાની જરૂર નથી, તેમાં ઘણો સમય લાગશે તમે પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા જાવ. હવે લંકેશનું પુષ્પક વિમાન તો લંકામાં છે જ. અમે પણ તમારા રાજ્યાભિષેકમાં હાજરી આપવા માગીએ છીએ. રામે વિભીષણની વિનંતીનો સ્વીકાર કર્યો અને રામ-લક્ષ્મણ-સીતા-હનુમાનજી-સુગ્રીવ અને વિભીષણ બધા જ પુષ્પક વિમાનમાં બેઠા અને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. પ્રોફેસર પીસારોટીએ જેઓ કેરળના હતા તેમણે કહ્યું કે જ્યારે પુષ્પક વિમાન લંકામાંથી અયોધ્યા જતું હતું ત્યારે જ્યારે તે કેરળ ઉપરથી ઊડતું હતું ત્યારે કેરળનું સૌંદર્ય જોઈ રામ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા અને સીતાને ઉદૃેશીને કહે, હે સીતે આ કેરળનું સૌંદર્ય જો. તે લીલાછમ નાળિયેરીના ઝૂંડોથી આચ્છાદિત છે. નદીઓ પર નાળિયેરીના વૃક્ષો કેવા સુંદર રીતે ઝૂકી રહ્યાં છે તે જો. આમ રામે સીતાને ઉદૃેશી કેરળના સૌંદર્યનું વર્ણન કર્યું હતું જે વાલ્મીકિએ તેમની રામાયણમાં સ્પષ્ટ કર્યું છે. આ વર્ણન હકીકતમાં કેરળના સૌંદર્યનું અદલોઅદલ વર્ણન કરે છે, એટલે કે રામ હતા અને પુષ્પક વિમાન પણ હતું. તે કેવી રીતે, કયા સિદ્ધાંત અને કયા ઈંધણથી ઊડતું હતું, તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કેવી રીતે ઊડતું હતું તે આપણે જાણવાની જરૂર છે. પ્રશ્ર્નો અહીં છે. પુષ્પક વિમાનના અસ્તિત્વ વિષે હકીકતમાં પ્રશ્ર્ન નથી. આ કથા જો કાલ્પનિક હોય તેમ માનીએ તો પણ તે મહાન છે.

પુષ્પક વિમાનની બીજી ખાસિયત એ હતી કે તેમાં જેટલા માણસો (પ્રવાસીઓ)ને બેસવું હોય તેટલા બેસી શકે, તેમ છતાં એક બેઠક ખાલી રહે. આ ખરેખર નવાઈ પમાડે તેવી વાત છે, માનવામાં ન આવે એવી વાત છે, પણ હાલમાં નાસાના વિજ્ઞાનીઓ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની રચના એવી કરવા માગે છે કે તેમાં જેટલા અંતરિક્ષવીરો, માણસો જાય તેટલું તે મોટું થાય, એટલા મોડ્યુલ વધે. આ પણ એક રસપ્રદ વાત છે. આ પુષ્પક વિમાનની રચનાની નકલ કરવાની વાત છે.

પ્રાચીન સમયમાં લોકો દિવસે સૂર્યની જગ્યા અને રાતે તારા ચંદ્રની જગ્યા પરથી સમય જાણતાં. પછી થાંભલાને ઊભો કરી તેના પડછાયા પરથી, સૂર્યઘટિકા યંત્ર, જળઘટિકા યંત્ર, રેતીઘટિકા યંત્ર પરથી સમય માપતાં. સૂર્ય બરાબર માથા પર આવે એટલે મધ્યાહ્ન થતો. પૃથ્વી ગોળ હોવાથી પૃથ્વીના ગોળા પર અલગ અલગ જગ્યાએ મધ્યાહ્ન અલગ અલગ સમયે થાય. આ સ્થાનિક સમય (local time) કહેવાય. જેમ જેમ લોકો દૂર દૂર રહેવા જતા થયાં, મુસાફરી કરતાં થયાં તેમ દરેક જગ્યાના સમયને જાણવા એક જગ્યાના સમયને સંદર્ભ રાખવાની જરૂર પડે જેના સંદર્ભે પૃથ્વીના ગોળા પરના અલગ અલગ ગામો, શહેરો અને જગ્યાઓનો સમય જાણી શકાય. આ સમય તે પ્રામાણિત સમય (standard time). પ્રામાણિત સમય એ એક મુકરર જગ્યાનો સ્થાનિક સમય.

પ્રાચીન ભારતમાં મહાકાળના બેસણા છે તે ઉજ્જૈનનો સ્થાનિક સમય તે ભારતનો પ્રામાણિત સમય હતો. ઉજ્જૈન કર્કવૃત્ત પર આવેલું છે તેથી સૂર્ય કર્કવૃત્તને કદી ઓળંગતો નથી. મહાકાળની નગરી ઉજ્જૈનને સૂર્ય ઓળંગતો નથી. હાલમાં ભારતનો પ્રામાણિત સમય પ્રયાગરાજ (અલ્હાબાદ)નો સ્થાનિક સમય છે. ભારતભરના બધા જ ઘડિયાળો પ્રયાગરાજના સ્થાનિક સમય પ્રમાણે સમય આપે છે. જ્યારે દેશ-દેશ વચ્ચે આવન-જાવન, વેપાર-ધંધા વગેરે શરૂ થયાં ત્યારે ગ્રીનીચ મીન ટાઈમ - GMT (Greenwich Mean Time ) અસ્તિત્વમાં લાવવામાં આવ્યો. ગ્રીનીચ મીન ટાઈમ ગ્રીનીચ વૈદ્યશાળાના સમયને અનુસરે છે. તે શૂન્યરેખાંશ છે. ભારતનો પ્રામાણિત સમય સાડા પાંચ કલાક આગળ છે, એટલે કે ભારતમાં તારીખ સાડા પાંચ કલાક વહેલી બદલાય છે. તારીખ સ્થાનિક સમયના રાતે બાર વાગ્યે બદલાય છે.

લોકો માનતાં કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) છે. એનો અર્થ એમ થાય કે સૂર્ય કે તારામાં કાંઈ પણ ફેરફાર થાય કે તરત જ આપણને તેની જાણ થાય. ન્યૂટન પણ માનતો કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) છે, માટે જ તેને ગુરુત્વાકર્ષણની ગતિને પણ અસીમિત (Infinite) લીધેલી.

ગેલિલિયો પ્રથમ માનવી હતો જેણે શંકા કરી કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) નહીં હોય પણ સીમિત (Finite) હશે. તે માટે તેણે પ્રયોગ પણ કર્યો. તેણે તેના મદદનીશને ૧૦ કિલોમીટર દૂરની એક ટેકરી પર રાતે ફાનસ (લેન્ટર્ન) લઈને મોકલ્યો અને તે બીજી ટેકરી પર ઊભો રહ્યો. સમજૂતી એવી હતી કે ગેલિલિયો લેન્ટર્નનું શટલ ખોલે તેથી ત્યાંથી પ્રકાશ શરૂ થાય અને જ્યારે તેનો મદદનીશ તે પ્રકાશને જુએ એટલે તે પોતાના લેન્ટર્નનું શટલ ખોલે. માટે ત્યાંથી પ્રકાશ શરૂ થાય અને ગેલિલિયો સુધી પહોંચે. આમ પ્રકાશ બંને વચ્ચે ૨૦ કિલોમીટરનું અંતર કાપે. ગેલિલિયો તે દરમિયાનનો સમય જળઘટિકા યંત્રથી માપે.

આમ પ્રકાશની ગતિ માપી શકાય. ગતિ એટલે પ્રકાશે કાપેલું કુલ અંતર છેદમાં તેણે લીધેલો કુલ સમય. આ રીતે ગેલિલિયોએ પ્રકાશની ગતિ માપવા પ્રયાસ કરેલો. જેટલી વાર ગેલિલિયોએ આ પ્રયોગ કર્યો તેટલી વાર જવાબ અલગ અલગ આવેલો. માટે ગેલિલિયો એ નિર્ણય પર આવ્યો કે પ્રકાશ વારે વારે તેની ઝડપ બદલે છે. મુશ્કેલી એ હતી કે પ્રકાશની ગતિ એક સેક્ધડની ૩ લાખ કિલોમીટર અને ગેલિલિયો અને તેના મદદનીશ વચ્ચેની બે ટેકરીઓનું અંતર માત્ર ૧૦ કિલોમીટર. વધુમાં પૂરું સમય જળઘટિકા યંત્ર માપે જેમાંથી પાણી ટપક ટપક પડે, વધારે વાત એમ હતી કે ગેલિલિયો અને તેના મદદનીશને લેન્ટર્નનું શટલ ખોલતાં કેટલી વાર લાગે ઓછામાં ઓછી એક સેક્ધડ. શટલને ખોલવાની પ્રક્રિયામાં જ ઓછામાં ઓછી ૩ સેક્ધડ લાગે. આટલા સમયમાં તો પ્રકાશ ૯ લાખ કિલોમીટરનું અંતર કાપે અને પૃથ્વીને ૨૩ ચક્કર લગાવી લે. તેમાં ગેલિલિયો અને તેના મદદનીશની જગ્યાઓની બે ટેકરી વચ્ચેના ૧૦ કિલોમીટર અંતરમાં પ્રકાશની ગતિ કેવી રીતે મપાય? આમ ગેલિલિયો પ્રકાશની ચોક્કસ ગતિ માપી શક્યો નહીં પણ તેણે વિજ્ઞાનીઓમાં એક વિચાર નાખી દીધો કે પ્રકાશની ગતિ માપવી જોઈએ. ૨૫૦ વર્ષના ખૂબ પ્રયત્નો પછી વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિ માપી. એટલું જ નહીં તેઓએ પ્રકાશના ત્રણ ગુણધર્મો પ્રકાશમાં આણ્યાં. એક કે પ્રકાશની ગતિ અવકાશમાં સેક્ધડની ૩ લાખ કિલોમીટર છે. પ્રકાશનો બીજો ગુણધર્મ કે પ્રકાશની ગતિ અવકાશમાં અચળ છે અને તેનો ત્રીજો ગુણધર્મ કે પ્રકાશની ગતિથી કોઈ પણ ગતિ વધુ હોઈ શકે નહીં.

પ્રકાશની ગતિ સીમિત હોવાથી આપણી બ્રહ્માંડને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૧૫ કરોડ કિલોમીટરનું અંતર છે. તેથી પ્રકાશને સૂર્યથી આપણા સુધી પહોંચતા લગભગ સવા આઠ મિનિટ લાગે. એનો અર્થ એમ થયો કે જ્યારે આપણે સૂર્યને જોઈએ છીએ ત્યારે આપણે તેની સ્થિતિ તત્ક્ષણની નહીં પણ સવા આઠ મિનિટ ભૂતકાળની જોઈએ છીએ. સૂર્ય સિવાય આપણાથી નજીકનો પ્રકાશિત તારો આલ્ફાસેન્ટોરી આપણાથી સવાચાર પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે જ્યારે આપણે આલ્ફાસેન્ટોરી તારાને જોઈએ છીએ ત્યારે આપણે તેની સ્થિતિ તત્ક્ષણની નહીં પણ સવાચાર વર્ષ પહેલાંની જોઈએ છીએ. આમ આપણે વર્તમાન સમય તો જોઈ જ શકતા નથી. બ્રહ્માંડમાં આપણે ગમે તે જોઈએ, આપણો હાથ પણ, આપણે તેની ભૂતકાળની સ્થિતિ જ જોઈએ છીએ. ભલે તે સેક્ધડનો અબજમો કે દસ અબજમો કે હજાર અબજમો ભાગ હોય, આમ જેને આપણે વર્તમાન કહીએ છીએ તે હકીકતમાં ભૂતકાળની કિનારી છે. આમ ભૂતકાળ આગળ વધતો જાય છે. આ આખું બ્રહ્માંડ ભૂતકાળીયું છે, જેમાં આપણે વર્તમાન પણ જોઈ શકતાં નથી, ત્યાં ભવિષ્ય જોવાની વાત ક્યાં રહી? બ્રહ્માંડની જીવનરેખા ક્ષણે ક્ષણે આગળ વધે છે. બ્રહ્માંડને પોતાને ખબર નથી કે બીજી ક્ષણે શું થવાનું છે. ત્યાં જ્યોતિષીઓ લોકોનું ભવિષ્ય ભાખે તે માનવું અઘરું છે, એક મહાકવિએ સાચું ગાયું છે.

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે,

ન જાણ્યું વશિષ્ઠ જેવાએ સવારે શું થવાનું છે.

હતા કૌરવ અને પાંડવ જગતમાં મહાબળી યોદ્ધા,

ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે.

થયો દક્ષ પ્રજાપતિ યાગ ઉમિયા દેહ ત્યજાશે ત્યાં,

ન જાણ્યું શંભુ જેવાએ સવારે શું થવાનું છે.

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.

http://bombaysamachar.com/epaper/e10-2-2019/UTSAV-SUN-10-02-2019-Page-10.pdf

http://bombaysamachar.com/epaper/e10-2-2019/UTSAV-SUN-10-02-2019-Page-06.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=469213

સમય જ ઊર્જા, બ્રહ્મન અને અંતરીક્ષ છે

સમયનો કોઈ અર્થ નથી. તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી પણ અંતરીક્ષની જેમ તે દિવ્ય છે અને બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનવાના દરેકે દરેક ગુણ તેમાં છે. તે સ્વતંત્ર ભૌતિકરાશિ છે જે પૂરા બહ્માંડમાં સળંગ રીતે અસ્તિત્વ ધરાવે છે. સમયે આપણને વિચાર કરતા કરી દીધા છે. બધું જ સમયમાંથી ઉત્પન્ન થાય છે અને સમયમાં સમાય છે

 આગળના લેખમાં આપણે જોયું કે આપણે વર્તમાન સમય તો જોતા જ નથી. જે જોઈએ છીએ તે ભૂતકાળનો સમય છે. વર્તમાન સમય તો ભૂતકાળની કિનારી છે જે ધીરે ધીરે આગળ વધી રહી છે અને બધાને ગાયબ કરતી જાય છે. ભર્તૃહરિએ કહ્યું છે કે હું એ મહાકાળને પ્રણામ કરું છું જે વાસ્તવિકતાને યાદગીરીમાં ફેરવતો જાય છે. એક જમાનામાં મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય, ન્યૂટન, આઈન્સ્ટાઈન, મહાત્મા ગાંધી વાસ્તવિકતા હતા અને આજે તેઓ આપણી યાદગીરીમાં જ છે. હાલમાં આપણે વાસ્તવિકતામાં છીએ. પાંચ, દશ, વીસ, પચ્ચીસ, પચ્ચાસ, સો વર્ષે આપણે આપણી ભવિષ્યની પેઢીની યાદગીરીમાં જતાં રહીશું. જેમ વીંટળેલો ગાલીચો હોય અને એને આપણે રોલ આઉટ (Roll Out) કરીએ તેમ સમયની ચાદર આગળ અને આગળ વધતી જ જાય છે અને તેની નીચે બ્રહ્માંડને, ભૂતકાળરૂપી બધાને છુપાડતી જાય છે, ગાયબ કરતી જાય છે. હવે જો આપણે આ ગાલીચાનું વળી પાછું ફિન્ડલું વાળીએ (Roll In) તો તેની નીચેથી બધી વસ્તુ, બધો કચરો નીકળે. ગાલીચાને roll in કરી શકાય પણ સમયની ચાદર જે આગળ ધપતી જાય છે તેને શું roll in કરી શકાય? એટલે કે શું સમયને આપણે પાછો વાળી શકીએ? રિવર્સ કરી શકીએ? શું આપણે ભૂતકાળમાં જઈ શકીએ? આ એક રસપ્રદ પ્રશ્ર્ન છે. વિજ્ઞાનીઓ કહે છે કે સૈદ્ધાંતિક રીતે સમયને પાછો વાળી શકીય. (રિવર્સ કરી શકાય) એટલે કે આપણે ભૂતકાળમાં જઈએ છીએ. આપણે કોલેજ, શાળામાં ભણયા હતા તે જોઈ શકીએ. આપણે જન્મ્યા તે દિવસે આપણે કેવા હતા તે આપણે જોઈ શકીએ. ત્યારે આપણા માતા-પિતા કેવાં હતા તે પણ આપણે જોઈ શકીએ. છે ને ન માની શકાય તેવી વાત? આ કેવી રીતે બની શકે તે આપણે જોઈએ.

ન્યૂટનના ડાયનામિક્સમાં ગુરુત્વાકર્ષણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પ્રસરે છે તે સમજાતું નથી. તેમાં ગુરુત્વાકર્ષણની ગતિવિધિ અસીમિત (Infinite) ગતિથી પ્રસરે છે. હવે જ્યારે પ્રકાશની ગતિ અંતરીક્ષમાં પ્રતિ સેક્ધડની 3 લાખ કિલોમીટરની છે અને તે અચળ છે અને તેનાથી વધારે ગતિ કોઈ પણ હોઈ શકે નહીં. તેણે ન્યૂટનના ડાયનામિકસને પ્રકાશની કે પ્રકાશની ગતિની નજીકની ગતિ માટે અપૂરતું પુરવાર કર્યું. માટે આઈન્સ્ટાઈનને ન્યૂટનના ડાયનામિક્સની ક્ષતિ દૂર કરવા તરફ વાળ્યા.

આઈન્સ્ટાઈને જોયું કે ન્યૂટને સમયને બહારથી માપ્યો છે. બ્રાહ્માંડમાં કોઈ પણ ઘટના બને તો તેની સાથે સમય જોડાયેલો જ હોય છે તો આઈન્સ્ટાઈનને થયું કે શા માટે સમયને જ ચોથું પરિમાણ ન લેવામાં આવે. તેને બૌધાયન- પાયથાગોરસના પ્રમેયમાં સમયને ચોથું પરિમાણ લઈ ન્યૂટનના ડાયનામિક્સને સુધાર્યું જેને આપણે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષભાવ કહીએ છીએ. તેમાં પાર્શ્ર્વભૂમિતિ યુક્લિડની ભૂમિતિ છે અને તેમાં દરેક પરિસ્થિતિમાં પ્રવેગની ગેરહાજરી છે. આઈન્સ્ટાઈનના વિચિત્ર સાપેક્ષવાદે બ્રહ્માંડના અજાણ્યા છ ગુણોને આપણી સમક્ષ રજૂ કર્યાં. એક જ્યાં અંતરીક્ષ છે ત્યાં સમય છે અને જ્યાં સમય છે ત્યાં અંતરીક્ષ છે. તે બંને એકમેકમાં જોડાયેલાં છે. બીજું પદાર્થ એ જ ઊર્જા. ત્રીજું વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ગાઢ રીતે એકમેકમાં જોડાયેલાં છે. ચોથું સમય ઘડિયાળની ગતિ પર આધાર રાખે છે, ઘડિયાળની ગતિ વધારે તેમ સમય ધીમો ચાલે છે અને પાંચમું વસ્તુની લંબાઈ તેની ગતિની દિશામાં ટૂંકી બને છે. જેમ જેમ વસ્તુની ગતિ વધતી જાય છે તેમ તેમ તેની ગતિની દિશામાં લંબાઈ ઘટતી જાય છે છઠ્ઠું વસ્તુનો પદાર્થ તેની ગતિ પર આધાર રાખે છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદો ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ આણી. તેણે સમયની નિરપેક્ષતાનો છેદ જ ઉડાડી દીધો. વસ્તુના પદાર્થની નિરપેક્ષતાનો પણ છેદ ઉડાડી દીધો. આ બધું આઈન્સ્ટાઈને સમયને, બ્રહ્માંડનું ચોથું પરિમાણ લઈ ન્યૂટનના ડાયનામિકસને સુધાર્યું તેને લીધે શક્ય બન્યું.

આપણા પેટમાં અંતરીક્ષ છે. પેટની બહાર આ ઓરડામાં પણ અંતરીક્ષ છે. તેની બહાર પણ અંતરીક્ષ છે. આમ અંતરીક્ષને આપણે કેદ કરી શકીએ નહીં. તેવું જ ગુરુત્વાકર્ષણનું છે. આપણે ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકીએ નહીં માટે આઈન્સ્ટાઈને ‘ગુરુત્વાકર્ષણ’ને અંતરીક્ષના રૂપમાં વર્ણન કરવાનો વિચાર કર્યો. ગુરુત્વાકર્ષણ એટલે પ્રવેગ. પ્રવેગનું વર્ણન કરવું હોય તો આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ ચાલે નહીં અને બ્રાહ્માંદમાં પ્રવેગ (acceleration) ક્યાં નથી. પૃથ્વીને ગુરુત્વાકર્ષણ છે જે ગુરુત્વીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૃથ્વીની ફરતે પણ ગુરુત્વાકર્ષણ છે.

ગુરુત્વાકર્ષણને અંતરીક્ષના રૂપમાં વર્ણવવું હોય તો યુક્લિડની સપાટ ભૂમિતિ ચાલે નહીં. માટે યુક્લિડીએતર ભૂમિતિનો ઉપયોગ કરવો પડે. Non Euclidean ભૂમિતિમાં બૌધાયન- પાયથાગોરસ પ્રમેયને લખવું પડે. આઈન્સ્ટાઈને તે કર્યું. આ યોજના મુજબ અંતરીક્ષ એક અદૃશ્ય ઊર્જાની ચાદર છે. ઊર્જા ભેગી થવાથી તે પદાર્થ બને છે. આ પદાર્થ અંતરીક્ષની ચાદરમાં ઝોલો પાડે છે. આ ઝોલો એ જ ગુરુત્વાકર્ષણનો ખાડો. તેની કિનારી પર રાખેલો લખોટો, નાનો પદાર્થ ઝોલાના ઢોળાવ વાટે કેન્દ્રમાં પડે જ, આને આપણે ગુરુત્વાકર્ષણનું આકર્ષણ (Attraction) કહીએ છીએ. પદાર્થ અંતરીક્ષને વાંકું વાળે છે સાથે સાથે સમયને પણ વાંકો વાળે છે. ગુુરુત્વાકર્ષણ સીધી રેખામાં જતાં પ્રકાશના કિરણને પણ વાંકું વાળે છે અને સુરેખામાં જતા સમયને પણ વાંકો વાળે છે. ગુરુત્વાકર્ષણ એટલું તીવ્ર હોઈ શકે જો પ્રકાશના કિરણને પણ રિવર્સ કરી શકે અને સમયને પણ રિવર્સ કરી શકે.

આમ આપણે સમય સાથે ભૂતકાળમાં જઈ શકીએ. સૈદ્ધાંતિક રીતે આ સ્પષ્ટ છે. તેનાં પરિણામો શું આવે તે જોવાનું રહે છે. આમ જોઈએ તો સમયનો કોઈ અર્થ નથી. તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી પણ અંતરીક્ષની જેમ તે દિવ્ય છે અને બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનવાના દરેકે દરેક ગુણ તેમાં છે. તે સ્વતંત્ર ભૌતિકરાશિ છે જે પૂરા બહ્માંડમાં સળંગ રીતે અસ્તિત્વ ધરાવે છે. સમયે આપણને વિચાર કરતા કરી દીધા છે. બધું જ સમયમાંથી ઉત્પન્ન થાય છે અને સમયમાં સમાય છે. સમય જ બધી વસ્તુઓનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમ સ્થાન છે. તે જ ઊર્જા છે, તે જ બ્રહ્મન છે, તે જ અંતરીક્ષ છે. આ સમજાવે છે કે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શા માટે કહ્યું છે કે અહં કાલોસ્મિ

અંતરીક્ષમાં આપણા જીવન દરમિયાન કે હજારો વર્ષ સુધી બધું સ્થિર જ લાગે. ન તો ત્યાં સૂર્યોદય કે સૂર્યાસ્ત થાય. ત્યાં સમયનું અસ્તિત્વ દેખાય નહીં.

જ્યારે વસંતસંપાત બિન્દુએથી સૂર્ય ખગોળીય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશે છે તો તે સરકમપોલર સ્ટાર બને છે. તે છ મહિના સરકમપોલર સ્ટાર બની રહે છે. માટે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર છ મહિનાના દિવસ બને છે અને પછી છ મહિના રાત રહે છે. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આનાથી ઊલટું બને છે. જેમ જેમ ખગોળીય ઉત્તરગોળાર્ધ પર તે ઊંચે ચઢતો જાય તેેમ તેમ પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર દિવસ લાંબો અને લાંબો થતો જાય અને રાત ટૂંકી અને ટૂંકી થતી જાય. પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર આનાથી ઊલટું બને છે.

સમય પોતે ગૂંચવણ ભરેલો છે, અને આપણને ગૂંચવણમાં નાખે છે. એક બહુ રસપ્રદ ઉક્તિ છે: સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટયો એ જ ધનુષ અને બાણ. આટલી ચર્ચા પછી, તમને હવે લાગે છે કે સમય વિષે આપણે જાણ્યું છે? લગભગ નહીં. (સમાપ્ત)

http://bombaysamachar.com/epaper/e17-2-2019/UTSAV-SUN-17-02-2019-Page-10.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=469733