Tuesday, March 3, 2015

દારૂબંધી ઉઠાવી લેવી જ જોઈએ --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89517

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી અને સરકારે કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે.

ચેતન ભગત નામ ઘણું પ્રચલિત છે. એ અમદાવાદની પ્રસિદ્ધ આઇઆઇએમ સંસ્થામાં ભણ્યા છે એટલે એ ઇન્ટેલિજન્ટ હશે એવી ધારણા લોકો કરે છે. આ ચેતન ભગત લેક્ચર્સ, ઉદ્ઘાટનો અને ટ્વિટરના માધ્યમથી પોતાના વિચારો છૂટથી રજૂ કરતા ફરે છે. આપણા દેશમાં વાણીસ્વતંત્રતા છે એ વાતનો લાભ લઈ નેતાઓ, અભિનેતાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. એમ પણ.

આ ચેતન ભગતે હમણાં ગુજરાતમાં આવી એવું કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. ભગતસાહેબે દલીલ એવી કરી કે આમેય દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે. કદાચ ભણતી વખતે એમણે એનો લાભ પણ લીધો હશે. આમ દારૂ છૂટથી મળતો જ હોય અને લોકો પીતા જ હોય તો પછી દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. ચેતનભાઈએ એવું પણ કહ્યું કે દારૂબંધીને કારણે ગુજરાતને હજારો કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે. 

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી એવું એમનું માનવું છે. એ કહે છે કે આખા દેશમાં, અને આખી દુનિયામાં દારૂની છૂટ છે અને ત્યાં બધું બરોબર ચાલે છે. આ ભગત એવું પણ કહે છે કે દારૂબંધી ન હોય તો યુવાનોને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહે. 

પણ ભગતના આ સ્ટેટમેન્ટથી તાનમાં આવી ગયેલા બૂટલેગરોએ દેશી દારૂની પ્રીમિયમ પોટલીઓ ‘ભગત પાઉચ’ના નામ હેઠળ પાનની દુકાનોમાં ઠાલવવાનું ચાલુ કર્યું છે એવું સાંભળવા મળે છે. અમુક તો આ ધંધામાં હાલ કેટલી નોકરીઓ છે અને વધુ કેટલા માણસને રોજીરોટી મળી શકે એમ છે એનાં સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં પડ્યા છે. આ સક્સેસ સ્ટોરીઝમાં સ્કૂટરની ટ્યુબમાં દારૂ ભરીને ફેરી કરતાં કરતાં હપ્તાબળે આગળ વધીને હોન્ડા સિટીમાં ફરતી થઈ ગયેલી ‘સફળ’ વ્યક્તિઓના મેનેજમેન્ટ કેસ સ્ટડીઝ પણ છે. સર ચેતન કહે છે કે એ પોતે ‘ખાસ’ દારૂ નથી પીતા, ન એ પીવાની હિમાયત કરે છે. પણ કદાચ ગુજરાતના વિકાસ માટે એમના દિલમાં ઊંડી લાગણી છે એટલે જ એ વગર માગ્યે દારૂબંધી ઉઠાવવાની હિમાયત કરે છે. ભગતજી તો બસ ફ્રીડમ (રસ્તા ઉપર ટુન્ન થઈને પડવાની!), ચેન્જ (પોલીસના ડર વગર પીવાનો!) અને મોડર્નિટી (મા-દીકરો સાથે બેસીને દારૂ પીએ)માં માને છે. 

અમને તો ભગત ચેતનની વાત ખૂબ ગમી ગઈ છે. એટલે જ આ ‘ભચે’ વતી અમે બીજાં ક્ષેત્રોમાં પણ સરકારને લિબરલ બનવા અપીલ કરીએ છીએ. બીજાં ઘણાં એવાં ક્ષેત્રો છે જ્યાં થોડા પ્રક્ટિકલ થઈએ તો આપણે વેસ્ટર્ન ક્ધટ્રીઝની હરીફાઈમાં ઊભા રહી શકીએ એમ છીએ.

અમારા અમદાવાદમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. લોકો રોંગ સાઇડમાં પણ વાહન ચલાવે છે. પોલીસદાદાનું ધ્યાન હપ્તો આપ્યા વગર જતા ટેમ્પો તરફ હોય તેવામાં સિગ્નલ રેડ હોય તો પણ લોકો ઘૂસી જાય છે. નો પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરે છે. સિગ્નલ બતાવ્યા વગર ડાબી-જમણી બાજુ કટ મારવી રસ્તા પર પાનની પિચકારી મારવા જેવું સહજ છે. એકાએક વળવાનું અથવા તો કામ યાદ આવે તો રસ્તા વચ્ચે ઊભી રહી જવામાં કોઈને કાયદાનો ભંગ થતો હોય એવું લાગતું નથી. હેલ્મેટ તો ખુદ પોલીસદાદાઓ જ નથી પહેરતા! તો ગુજરાત સરકારને સર ચેતન ભગત તરફથી અમારી વિનંતી કે અમદાવાદને ફ્રી-ટ્રાફિક ઝોન ડિક્લેર કરવામાં આવે. આ ફ્રી-ટ્રાફિક ઝોનમાં રસ્તાની બંને બાજુ વાહનો ચલાવી શકાય. મન ફાવે ત્યાં પાર્ક કરી શકાય. બદલામાં બસ ઈમ્પેક્ટ ફીની રાહે વન ટાઈમ પોલીસ ટેક્સ ભરી દેવાનો. સરકારને આવક જ આવક.

અને હમણાં પોર્ન ફિલ્મો વિષે ચર્ચા ચાલુ થઈ છે. ઈન્ટરનેટના માધ્યમથી આવી ફિલ્મો આખા દેશમાં જોવાય જ છે. તો પછી ‘ભચે’ થિયરી અનુસાર આ પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ લાવવાને બદલે સરકારે એના પર હેવી ટેક્સ નાખી કાયદેસર કરી નાખવી જોઈએ. સરકારમાન્ય વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ ઘસી લોકો ફિલ્મોનો આનંદ મેળવી શકશે અને સરકાર આ સેવા ઉપર સર્વિસ ટેક્સ નાખી કરોડો કમાઇ શકશે. મોબાઈલ કંપનીઓ પણ ચાર્જ વસૂલી કાયદેસર રીતે એમએમએસ જે તે જગ્યાએ પહોંચાડી આપશે. આવી કંપનીઓને મંજૂરી આપવામાં સરકાર અને નેતાઓને વ્હાઈટ અને બ્લેક બે પ્રકારની કમાણી થાય એ નફામાં. હવે કોઈ ચોખલિયો એમ પૂછે કે ‘પછી આપણા સંસ્કારોનું શું?’, ‘આપણી સંસ્કૃતિનું શું?’, તો એને ભગતના ભાષણ સાંભળવા મોકલી દેવાનો!

અને અમે તો વર્ષોથી લાંચને કાયદેસર કરવાની હિમાયત કરીએ છીએ. આમેય સરકાર ગમે તેટલા કાયદા કરે પચીસ રૂપિયાથી લઈને અમુક લાખ કરોડ સુધીની લાંચ લેવાય છે એ દેશમાં લાંચ કાયદેસર કરી નાખીએ તો કોઈએ પછી ‘અન્ડર ધ ટેબલ’ વ્યવહાર કરવા ન પડે, કોઈનું સમાજમાં ખરાબ ન દેખાય. દરેક પ્રકારની લાંચના બાંધ્યા ભાવ કરી નાખવાના. સરકારી કર્મચારીઓને પછી પગાર નહીં આપવાનો. આવા કર્મચારીઓના સિલેક્શનમાં પણ જે વ્યક્તિ પોસ્ટની હરાજીમાં સૌથી વધારે બોલી બોલે તેને આ પોસ્ટનો ઠેકો આપવાની રીત અપનાવી શકાય. 

ભગતસાહેબ મેનેજમેન્ટ ભણ્યા છે એટલે ઇકોનોમીની વાત કરે છે. એમનું કહેવું છે કે દારૂબંધી ઉઠાવી લેવાય તો વધુ નોકરીઓની તક ઊભી થશે. વાત તો ૧૦૦ ટકા સાચી છે. બાર ટેન્ડર, કેશિયર, બાઉન્સર, સ્ટોર્સ અને લોજિસ્ટિક્સ બધામાં નોકરી જ નોકરી. હા એ અલગ વાત છે કે અત્યારે પણ કોઈ આ કામ જીવના જોખમે કરે જ છે. 

પછી તો દારૂ કાયદેસર થતાં ગુજરાતની વેપારી પ્રજા પછી દારૂના ધંધામાં ઝંપલાવશે. પછી વિજયભાઈ માલિયાને ચોક્કસ ટફ કોમ્પિટિશન મળે અથવા તો એવું પણ બને કે વિજયભાઈ ગુજરાતમાં ઇન્વેસ્ટર બનીને આવે. એનાથી બીજું કશું થાય કે ન થાય, ગુજરાતની છોકરીઓ કિંગફિશરના કેલેન્ડર પર ચમકતી જરૂર થઈ જશે! ચેતનભાઈનો ગુજરાત પ્રેમ કહેવું પડે!

No comments:

Post a Comment