Wednesday, August 3, 2016

એક યોગી, એક યોદ્ધા - સૌરભ શાહ

21-06-2016

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈદ અલીપુર નામના એક નાનકડા ગામમાં જન્મ. પિતા રામનિવાસ એક સાધારણ કિસાન. મા ગુલાબદેવી ધાર્મિક વૃત્તિની ગૃહિણી. દીકરાનું નામ રાખ્યું રામકિશન. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ - બેઉના આશીર્વાદ. બાળપણથી જ પિતાના ખેતી-પશુપાલનના કામકાજમાં રામકિશન સાથ આપતો. ગામમાં સ્કૂલ નહોતી. નજીકના શહબાજપુર ગામની સરકારી શાળામાં બધા છોકરાં ભણવા જતાં. રામકિશને પણ ત્યાં પ્રવેશ લીધો. આગલા ધોરણના વિદ્યાર્થીઓ માટે નકામા થઈ ચૂકેલાં પાઠ્યપુસ્તકોથી કામ ચલાવી લેવાનું. ગાડીનાં ટાયરોમાંથી બનેલા જાડા ચંપલ પહેરવાનાં. અભ્યાસમાં તેજ. સ્મરણશક્તિ બેજોડ. શિક્ષકોનો પ્રિય થઈ ગયો રામકિશન. સખત મહેનત અને પ્રામાણિકતા એની રગ રગમાં.

સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની સરકારી યોજના હેઠળ જમવાનું બને. રાંધવા માટે તેલ આવે. થોડાક તોફાની છોકરાઓએ તેલ ચોરીને એમાં ભજિયા તળીને ખાધાં. રામકિશન એ ટોળીથી દૂર હતા. પણ ચોરી કરનારા છોકરાઓએ વાત ફેલાવી કે રામકિશન પણ એમની ટોળીમાં સામેલ હતો જેથી એ ક્યાંય જઈને કોઈને ફરિયાદ ન કરી બેસે. વાત ઊડતી ઊડતી રામકિશનના પિતાને કાને આવી. પિતાએ કોઈ પૂછપરછ કે ઊલટતપાસ કર્યા વિના રામકિશનનાં હાથ બાંધીને એને ઘરની દીવાલના ખીલા પર ટિંગાડી દીધો અને પછી ડંડો લઈને ખૂબ માર્યો, ખૂબ પીટ્યો. રામકિશન ચીખતો-ચિલ્લાતો રહ્યો: મેં ચોરી નથી કરી. કઠોર સ્વભાવના પિતા પર એની કોઈ અસર પડી નહીં. મા વચ્ચે પડવા ગઈ તો બાપે એને પણ ધમકાવી: તું આ નઠારાની તરફદારી કરીશ તો તને પણ મારીશ. પિતા મારતા મારતા થાકી ગયા ત્યારે રામકિશનનો છુટકારો થયો.

બીજે દિવસે ચોરી કરનારા છોકરાઓ પકડાયા. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું, પણ પિતાજી પર આ વાતની કોઈ અસર થઈ નહીં. પોતે ભૂલ કરી છે એવો કોઈ અફસોસ એમને થયો નહીં.

આઠમા ધોરણમાં આવ્યા પછી રામકિશનમાં સમજણ પ્રગટવા માંડી. ઘરે રહેવું નહોતું. શાળામાં મહાપુરુષોનાં ચરિત્રોનું અધ્યયન કર્યું હતું. સંસ્કૃતના શ્ર્લોક અને ભજનો કંઠસ્થ હતા. એ જ ગાળામાં ગામમાં એક યુવા સંન્યાસી આવ્યા. ધર્મશાળામાં ઉતારો હતો. ગામના છોકરાઓ તથા કિશોરોને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓ સમજાવતા. સ્વામી દયાનંદ સરસ્વતીના ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ વિશે કહેતા. વેદ-ઉપનિષદ અને ગુરુકુળો દ્વારા અપાતી પરંપરાગત શિક્ષણ પદ્ધતિની જાણકારી આપતા.

કિશોર રામકિશન રોજ એમને સાંભળવા જતો. ‘સત્યાર્થ પ્રકાશ’નું વાંચન શરૂ કર્યું. યુવા સ્વામી તો થોડા દિવસમાં બીજે ગામ જતા રહ્યા પણ રામકિશનના દિમાગમાં દિવસરાત ‘સત્યાર્થ પ્રકાશ’ના વિચારો ચાલતા. એણે નક્કી કર્યું કે હવે મારે સરકારી સ્કૂલમાં નથી ભણવું, ગુરુકુળમાં જ ભણીશ. સ્વામી દયાનંદ સરસ્વતી જેવો સંન્યાસી બનીશ. એના માટે અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ જરૂરી અને તે ગુરુકુળમાં જ શક્ય છે. ખબર હતી કે માબાપને આવું કહેશે તો ડાંટ અને માર બેઉ પડશે અને પછી એના પર એવો પહેરો લાગી જશે કે ઘરેથી ભાગવું મુશ્કેલ બની જશે.

આઠમાનું પરિણામ આવી ગયું. રામકિશનની ઉંમર ૧૬ વર્ષની. સારું રિઝલ્ટ આવ્યું હોવાથી માબાપ ખુશ હતા. ૧૯૮૫ની આસપાસની કોઈ સાલ હતી. ઑક્ટોબરનો મહિનો. ગાંધી જયંતીની ઉજવણીના બરાબર બે દિવસ પછી રામકિશને ગૃહત્યાગ કર્યો. સવારના ચાર વાગ્યે ખાખી ફુલ પેન્ટ અને બ્લ્યુ શર્ટના સ્કૂલ યુનિફૉર્મમાં રામકિશને ઘર છોડ્યું. એક મિત્રને સાધી રાખ્યો હતો. ઘરે બધાં સૂતા હતા. ઘરની બહાર મિત્ર સાઈકલ લઈને તૈયાર હતો. નક્કી કર્યા પ્રમાણે દોસ્તાર રામકિશન માટે બે જોડી સફેદ વસ્ત્ર અને થોડી રોકડ રકમ લઈને આવ્યો હતો. રામકિશને મિત્રને કહ્યું કે તું જેટલે દૂર સુધી મને લઈ જઈ શકે એટલે દૂર લઈ જા જેથી ઘરવાળાઓને ખબર પડે ત્યાં સુધી હું એટલો દૂર પહોંચી ગયો હોઉં કે કોઈ મને શોધી ન શકે. દોસ્તાર ડબલ સવારી કરીને હરિયાણાના નાંગલ ચૌધરી નામના ગામ સુધી રામકિશનને છોડી આવ્યો ત્યાંથી નારનૌલની બસ પકડીને રામકિશન દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી હરદ્વારની બસ પકડી. પહેલી વાર બસની યાત્રા કરી રહ્યો હતો. મનમાં ડર હતો, ક્યાંક પિતાજી રસ્તામાં મળી ન જાય. ડરના માર્યા રસ્તામાં ક્યાંય ખાધુંપીધું પણ નહીં. સવારના ચાર વાગ્યાનો નીકળેલો રામકિશન સાંજે બસમાં રુડકી ગામે પહોંચ્યો. બસ ડ્રાઈવરે મુસાફરોના ચાપાણી માટે બસ રોકી હતી પણ રામકિશનને લાગ્યું કે હરદ્વાર આવી ગયું છે. ડરના માર્યા કોઈને પૂછીને ચોકસાઈ કરવાનું પણ સૂઝયું નહીં. બસ સ્ટેશનથી ચાલતાં ચાલતાં શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી કે હરદ્વાર તો હજુ ૨૫ કિલોમીટર દૂર છે. રામકિશન દોડીને પાછો બસ પકડવા આવ્યો, પણ બસ ઊપડી ગઈ હતી. બીજી બસ સવારે આવશે. એક ઔર મુસીબત.

સ્કૂલનો યુનિફૉર્મ બદલવાનો ટાઈમ જ નહોતો મળ્યો. રુડકી શહેરમાં અંધારામાં રખડતાં રખડતાં એક કૉલોની પાસે ખાલી પ્લૉટ જોયો. સૂમસામ પ્લૉટમાં જઈ યુનિફૉર્મ કાઢીને ફેંકી દીધો અને સફેદ વસ્ત્રો ધારણ કરી લીધાં. ત્યાં જ કૉલોનીમાં કોઈએ એને કપડાં બદલતાં જોઈ લીધો. ચોર... ચોર... બૂમો પડી. રામકિશન કોઈને ખુલાસો કરવા રોકાવાને બદલે સીધો ત્યાંથી દોડ્યો. દોડતાં દોડતાં કોઈ દુકાને આવીને પૂછયું કે રાતે ગામમાં રોકાવું હોય તો કોઈ જગ્યા છે. દુકાનદારે એક ધર્મશાળા બતાવી. ધર્મશાળામાં જઈને રજિસ્ટરમાં ખોટું નામ-સરનામું લખાવીને દસ રૂપિયામાં સૂવા માટે એક ખાટલો લીધો. ભોજનની વ્યવસ્થા અહીં નહોતી. બહાર જઈને કોઈ હૉટેલમાં ખાઈ લેવાનું સૂઝયું નહીં. ભૂખ્યા પેટે જ રામકિશન સૂઈ ગયો.

બીજા દિવસે હરદ્વારની બસ પકડી. હરદ્વાર ઊતરીને જવાલાપુર પહોંચીને જે એક નામ યુવા સ્વામી પાસે સાંભળ્યું હતું તેનું ઠેકાણું પૂછયું. ત્રીસ કલાકની રખડપટ્ટીનો હવે અંત આવી રહ્યો હતો. સ્વામી દિવ્યાનંદના ‘યોગ ધામ’ પર પહોંચીને ત્યાંના વ્યવસ્થાપકોને કહ્યું કે હું આ ગુરુકુળમાં ભરતી થઈને અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરવા માગું છું. વ્યવસ્થા સંભાળનારાએ કહ્યું કે આ તો આશ્રમ છે, તમારે જેનો અભ્યાસ કરવો છે તેના માટે તો ગુરુકુળમાં જવું પડે. બાકી અહીં આશ્રમમાં રહીને ગાયોની સેવા કરવી હોય તો ગૌશાળામાં સાથ આપી શકો છો. થોડી વાર રોકાઓ. સ્વામીજી આવશે ત્યારે મળીને વાત કરી જુઓ!

રામકિશન કહે કે મારે તો ગુરુકુળમાં ભણવું છે. ગાયોની સેવા તો હું મારા ઘરે પણ કરતો હતો.

આશ્રમવાળાઓએ જવાલાપુરના આર્ય સમાજનું ઠેકાણું બતાવ્યું - ત્યાં જઈને તપાસ કરો. યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

રામકિશન ત્યાં ગયો. માર્ગદર્શન મળ્યું. મેરઠમાં ગુરુકુળ પ્રભાત આશ્રમ છે. ત્યાં સ્વામી વિવેકાનંદજી નામના ગુરુ અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરાવે છે. મેરઠના ટિકરી વિસ્તારના ભોલાઝાલમાં નાની નહેરને કિનારે આ આશ્રમ છે. ત્યાં જવાનો રસ્તો અને બસનો રૂટ સમજી લઈને રામકિશન મેરઠ જવા રવાના થયો.

ગુરુકુળ પ્રભાત આશ્રમમાં એક બ્રહ્મચારી મળ્યો - ચિંતામણિ નામ. એણે કહ્યું કે સ્વામી આજે તો નહીં મળે, સવારે મળશે. આજ રાત આશ્રમમાં વિશ્રામ કરો. રામકિશનને રાતવાસો કરવાની જગ્યા મળી, સાથે જમવાનું પણ. બે દિવસ પછી પેટમાં અન્ન પડ્યું.

સવારે સ્વામી વિવેકાનંદજી સાથે મુલાકાત થઈ. એમણે પૂછયું, ‘અત્યારે તું કયા ધોરણમાં ભણે છે?’ રામકિશને કહ્યું, ‘આઠમું પાસ કરીને નવમામાં આવ્યો.’

સ્વામીજીએ કહ્યું, ‘અમારા ગુરુકુળમાં તો પાંચમું પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ. તેં તો આઠમું પાસ કરી લીધું છે. તું બીજા વિદ્યાર્થીઓ કરતાં ઉંમર અને સમજમાં મોટો છે. એક કામ કર જિન્દ જિલ્લામાં પીલૂખેડાની પાસે કાલવા ગુરુકુળ છે. ત્યાં આચાર્ય બલદેવ છે. એ મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને અષ્ટાધ્યાયી અને મહાભાષ્ય પણ શીખવાડે છે.’

રામકિશન એ જ દિવસે નીકળીને રાતે જિન્દના કાલવા ગુરુકુળ પહોંચ્યા. આચાર્ય રાતે મળે એવું નહોતું. રાત રોકાઈને સવારે આચાર્ય બલદેવને મળીને ગુરુકુળમાં પ્રવેશ માટે વિનંતી કરી. આચાર્યે પૂછયું, ‘બેટા, કિસ કક્ષા મેં પઢતે હો.’

‘જી ગુરુજી, નૌંવી કક્ષા મેં અભી પ્રવેશ લિયા હૈ...’

‘બેટા, તુમ સમય સે પહલે આ ગએ. ઈસ ગુરુકુલ મેં તો કમ સે કમ દસવીં યા બારાવીં પાસ વિદ્યાર્થીયોં કો હી લિયા જાતા હૈ...’

રામકિશનના પગ તળેથી ધરતી સરકી ગઈ. ઘર છોડી દીધું હતું. હવે એક ગુરુકુળ તરફથી કહેવાયું કે ઉંમર મોટી છે, બીજા ગુરુકુળ માટે ઉંમર નાની હતી. ઘરે પાછા ફરવું નથી એવો નિશ્ર્ચય અડગ હતો. સોળ વર્ષના રામકિશનને ૧૯૮૫ના અરસામાં ખબર નહોતી કે પાંચ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી પતંજલિની આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવતા યોગગુરુ બાબા રામદેવ બનતાં પહેલાં હજુ કેટલાં કષ્ટ અને કેટલી દુવિધાઓમાંથી પસાર થવાનું છે. સંદીપ દેવ લિખિત ‘સ્વામી રામદેવ: એક યોગી-એક યોદ્ધા’ એમના જીવન પર લખાયેલી સૌપ્રથમ અને એકમાત્ર સત્તાવાર બાયોગ્રાફી છે.

આજનો વિચાર

બાબા રામદેવજી એવા વ્યક્તિત્વના માલિક છે જે એક વાર જે નક્કી કરે તેનો અમલ કર્યા વિના જંપે નહીં.


22-06-2016

‘ઈસ પાગલ લડકે કો કોઈ ન સમઝા પાવેગા’

કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવે રામકિશનને પ્રવેશ તો ન આપ્યો પણ એક સૂચન કર્યું:

‘બેટા, ચિંતા મત કરો. એક દિન યહાં રુક જાઓ ઔર કલ ખાનપુર ચલે જાઓ. વહાં આર્ષ ગુરુકુલ કે સંચાલક આચાર્ય પ્રદ્યુમ્નજી અષ્ટાધ્યાયી ઔર મહાભાષ્ય કે પ્રકાંડ વિદ્વાન હૈં ઔર વે તુમ્હારી ઉમ્ર કે બચ્ચોં કો પ્રવેશ ભી દેતે હૈ.’

સૂચન તો સારું હતું પણ એક પ્રૉબ્લેમ હતો. ખાનપુરનો આશ્રમ રામકિશનના ગામ સૈદ અલીપુરની નજીક જ હતો. રામકિશનને ડર હતો કે ઘરવાળા જો ખાનપુર આવી ગયા તો ઘસડીને એને પાછો લઈ જશે. એક બાજુ ઘરથી ખૂબ દૂર એવી કોઈ જગ્યાએ રહેવું હતું તો બીજી બાજુ મન કહેતું હતું કે જ્યાં ભણવા મળતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.

કાલવાના આશ્રમમાં રાત રોકાઈને બીજે દિવસે રામકિશન ખાનપુરના આર્ષ આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં પ્રવેશતાં જ રામકિશનનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ગુરુ પ્રદ્યુમ્નની હાજરીમાં યજ્ઞ વેદી પર મંત્રોચ્ચાર કરી રહેલા બાળકો અને કિશોરોને જોઈને રામકિશનને થયું કે સંસ્કૃતના અભ્યાસનું પહેલું પગથિયું અહીં જ છે.

રામકિશનને જોઈને આચાર્ય પ્રદ્યુમ્ને પૂછયું કે, ‘તારું નામ શું? અહીં આવવાનું પ્રયોજન શું?’ રામકિશને આપવીતી સંભળાવી. આચાર્ય પ્રદ્યુમ્ન આ નવા વિદ્યાર્થીની તાલાવેલી સમજી ગયા. એના હાથમાં અષ્ટાધ્યાયી મૂકીને કહ્યું, ‘ભલે, આ વાંચ. હું તને અહીં પ્રવેશ તો આપું છું પણ મારી એક શરત છે. તારે તારા માબાપને જણાવી દેવાનું કે તું અહીં ભણવા માટે આવ્યો છે. તું નહીં જણાવે તો હું મારી રીતે જણાવી દઈશ. માબાપથી છુપાવીને વિદ્યા મેળવવી યોગ્ય ન ગણાય.’

આચાર્ય પ્રદ્યુમ્ન પાસેથી અષ્ટાધ્યાયી મળતાં જ રામકિશને એનાં સૂત્રો કંઠસ્થ કરવા માંડ્યાં. વ્યાકરણશાસ્ત્રી પાણિની લિખિત અષ્ટાધ્યાયીમાં ૪,૦૦૦ સૂત્રો છે જે મોઢે થઈ જાય, સમજાઈ જાય એ પછી જ સંસ્કૃતનું ખરું જ્ઞાન મેળવી શકાય. અષ્ટાધ્યાયીનું અધ્યયન કર્યા વિના લોકો સંસ્કૃતના શ્ર્લોકોના અર્થનો અનર્થ કરી બેસે છે. જર્મન વિદ્વાન મેક્સમૂલરે આવા જ અનર્થો કર્યા છે.

આચાર્ય પ્રદ્યુમ્ને રામકિશનના ઘરે પત્ર મોકલી આપ્યો. પત્ર મળ્યો ત્યારે રામકિશને ઘર છોડ્યાને આઠ દિવસ વીતી ચૂક્યા હતા. નવમા દિવસે પિતાજી ધૂંઆંપૂઆ થતા આર્ષ ગુરુકુળ પર પહોંચ્યા. આવતાંવેંત રામકિશન પર વરસી પડ્યા: ‘બધાના જીવ અધ્ધર કરી નાખ્યા છે તેં. તારી મા રડી રડીને કેટલી સુકાઈ ગઈ છે. બસ, હવે બહુ થયું. ચુપચાપ અહીંથી નીકળ અને ઘરે ચાલ નહીં તો હાથપગ તોડીને ઠેકાણે કરી નાખીશ.’

ગુરુજીએ પહેલેથી જ રામકિશનને કહી દીધું હતું કે, ‘કોઈ માબાપ આજના સમયમાં પોતાના બાળકને ગુરુકુળમાં ભણાવવા નથી માગતા. એટલે તારા ઘરવાળા તને આવીને પાછો લઈ જ જવાના. ગુરુકુળમાં ભણવાની તારી ઈચ્છા જો અટલ હશે તો જ તું પાછો આવવાનો, અન્યથા ઘરે જ રહેવાનો.’

પિતાજી ઘસડીને રામકિશનને ઘરે પાછો લઈ ગયા. સવારથી નીકળ્યા હતા. બપોરે ઘરે પહોંચ્યા. મા ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. આઠ દિવસમાં પાગલ જેવી થઈ ગઈ હતી. ભૂખી-તરસી તાંત્રિક, જ્યોતિષ, પંડિત - ક્યાં ક્યાં ભટકી હતી. રડતાં રડતાં બોલ્યા કરતી હતી: તારે જવું જ હતું તો મને કહીને જવું હતું. તેં જરા સરખું વિચાર્યું નહીં કે તારા ગયા પછી તારી માનું શું થશે? તારા ચાચા-તાઉ કોણે કોણે અમારા પર શું શું જુલમ નથી કર્યા. આખું જીવન કષ્ટમાં ગયું છે. એ લોકોની મારપીટ, એમની સાથેના ઝઘડા... મને હતું કે તારા પિતાએ મારા માટે કંઈ ન કર્યું પણ તું મોટો થઈને મને સુખી કરશે. તને મોટો કરવામાં મેં શું શું દુખ નથી વેઠ્યું? તને તો કંઈ ખબર જ નથી. મેં કેટકેટલાં સપનાં સેવ્યાં હતાં તારા માટે, પણ તેં તો તારી માને જીવતેજીવ મરવા દીધી. બોલ, હવે તો ભાગીને ક્યાંય નહીં જાય ને?’

બાબા રામદેવ માના એ શબ્દો યાદ કરીને પોતાની જીવનકથાના આલેખક સંદીપ દેવને કહે છે: તે વખતે હું વિચાર્યા કરતો કે મા કેમ રડતી હશે? હું ભણવા માટે જ તો ગયો હતો. પણ મેં નક્કી કરી લીધું કે હું ફરી ભાગી જઈશ. મારે ગુરુકુળમાં જ રહેવું છે અને ત્યાં રહીને ભણવું છે. મા થોડી શાંત થાય પછી ફરી ભાગી જવાનો મેં પ્લાન બનાવ્યો.

મા ગરમાગરમ બાજરાના રોટલા સાથે ઘરનું માખણ અને દહીં પીરસીને લાડકા દીકરાને જમાડતી અને આ બાજુ પિતાજીનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો: ‘રામકિશન, તેરી પઢાઈ તો અબ હો ચૂકી પૂરી! માંને તુઝે બિગાડ રખા હૈ. અબ તુઝે ગુરુકુલ તો ક્યા, સ્કૂલ મેં ભી પઢને નહીં જાના હૈ. અબ તુ ચૂપચાપ મેરે સાથ મિલકર ખેતી કર. તુમ્હારા બ્યાહ કર દેતા હૂં. દેખતા હૂં કૈસે ઘર છોડતા હૈ?’

ત્રણ દિવસ થઈ ગયા. રામકિશન માતાપિતા સાથે ખેતરમાં જતો, ત્યાં કામ કરતો. ઘરે આવીને ગૌશાળાની સફાઈ કરતો. ચોવીસે કલાક માબાપની નજર હેઠળ રહેતો. ઘરથી ભાગીને સહેજ પણ દૂર જવાની કોઈ તક મળતી નહીં. ગુરુકુળથી આવતી વખતે અષ્ટાધ્યાયી છુપાવીને લઈ લીધી હતી. વખત મળતો ત્યારે છાનાં છાનાં વાંચ્યા કરતો. પણ આવું કેટલા દિવસ ચાલે?

એક દિવસ રામકિશને કાવતરું કર્યું. ખેતરમાં કામ ચાલુ હતું ત્યારે માને કહ્યું: ‘મને કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવું છે.’ માએ કહ્યું, ‘જા, આ ચાવી લે. ઘરે જઈને રોટી ખાઈ લે. પણ આવતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલતો નહીં, કૂતરાં ઘૂસી જશે...’

રામકિશન ચાવી લઈને દોડ્યો. ઘરમાંથી અષ્ટાધ્યાયી લીધી, ઘરના દરેક ખૂણે નજર કરી, માતાપિતાનું સ્મરણ કરીને મનોમન એમની માફી માગી લીધી અને દરવાજો બંધ કરીને દોટ લગાવી. બસ સ્ટેશને જવામાં ખતરો હતો. કાચી સડક પર જ દોડવાનું શરૂ કર્યું. સૈદ અલીપુરથી ખાનપુરનું ૨૫-૩૦ કિલોમીટરનું અંતર દોડી દોડીને જ કાપ્યું.

ગુરુકુળ પહોંચતાં પહોંચતાં સાંજ થઈ ગઈ. આચાર્ય પ્રદ્યુમ્ન રામકિશનને જોઈને પ્રસન્ન થયા. ‘આ ગયે બ્રહ્મચારી? મૈં તુમ્હારી હી રાહ દેખ રહા થા. મુઝે ભરોસા થા કિ તુમ્હારા સંકલ્પ દૃઢ નિકલેગા. ચલો અપની અષ્ટાધ્યાયી નિકાલો.’

સવારથી કંઈ ખાધું નહોતું. ઉપરથી દોડી દોડીને પગ સૂજી ગયા હતા. શરીર તૂટતું હતું. આમ છતાં રામકિશને તરત જ અષ્ટાધ્યાયીનો પાઠ શરૂ કરી દીધો. ગુરુ વધારે ખુશ થયા. બોલ્યા, ‘કાલથી અભ્યાસ શરૂ કરજે. અત્યારે હાથમોઢું ધોઈને જમી લે.’

બીજે દિવસે ઍઝ એક્સ્પેક્ટેડ પિતાજી ગુરુકુળમાં!

‘તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? ફરી ભાગીને આવ્યો? તું આવે છે કે તારા હાથપગ તોડી નાખું?’

‘બાપુ, અબ ચાહે હાથ-પૈર તોડો, જાન સે મારો યા ઝમીન મેં ગાડ દો. ન મૈં સરકારી સ્કૂલ મેં પઢૂંગા, ન હી ઘર મેં રહૂંગા. અબ મેં રહૂંગા તો ગુરુકુલ મેં, અન્યથા રસ સંસાર મેં નહીં રહૂંગા.’ બાબા રામદેવ જૂના દિવસો યાદ કરતાં કહે છે કે પોતે કેવા દૃઢ સંકલ્પ સાથે પિતાજીને કહી દીધું હતું.

પિતાજી ખાલી હાથ પાછા જતા રહ્યા. મા પાછી રડવા લાગી. પિતાજીએ માને સમજાવી: ‘એ જિદ્દી છે, નહીં માને. બહુ જોર કરવા જઈશું તો કોણ જાણે શું નું શું કરી બેસશે. પાછો ભાગીને ક્યાંક બીજે જતો રહેશે. એના કરતાં અહીં ખાનપુરમાં જ છે તો સારું છે. નજીક જ છે. સલામત છે. વચ્ચે વચ્ચે મળવા જતા રહીશું. આમેય કંઈ ખોટું કામ તો નથી કરતો. ભણવા જ ગયો છે ને. હા, એનું ભણવાનું એવું છે કે મને ફિકર છે કે ક્યાંક સાધુ ન બની જાય. પણ જિંદગી છોડીને જતો રહે એના કરતાં દુનિયા છોડીને સાધુ થાય તો ભલે થાય.’

આ બાજુ રામકિશનના મોસાળમાં આ સમાચાર પહોંચી ગયા. નાનાજી સવાર સવારમાં ઊંટગાડી જોડીને ગુરુકુળ આવી ગયા. પાછી એ જ રેકર્ડ: ‘ચલતા હૈ કિ નહીં, માં કો રુલા રખા હૈ... હાથ-પૈર તોડ દૂંગા... તુઝે શર્મ નહીં આતી, માબાપ કો તંગ કરતે હુએ...’

પણ પથ્થર પર પાણી. નાનાજીની ઊંટગાડી પાછી જતી રહી: ‘ ચલો, ઈસ પાગલ લડકે કો કોઈ ન સમઝા પાવેગા...’

23-06-2016

અપમાનો સહન કરી લો, અહંકારથી મુક્ત થઈ જશો

આચાર્ય પ્રદ્યુમ્નની દેખરેખ હેઠળ રામકિશનના ગુરુકુળજીવનની શરૂઆત થઈ. આચાર્યે સૌપ્રથમ તો રામકિશનનું નામ બદલ્યું: ‘રામકિશન શુદ્ધ નામ નથી. અપભ્રંશ છે.’ આચાર્યે રામકિશનનું નામ બ્રહ્મચારી રામકૃષ્ણ આર્ય કર્યું.

ગુરુકુળમાં વૈદિક શિક્ષણ ઉપરાંત શારીરિક અને માનસિક મજબૂતી પર પણ ધ્યાન આપવામાં આવતું હતું. આ ઉપરાંત સફાઈથી લઈને પશુપાલન અને રસોઈ બનાવવાની જવાબદારી તેમ જ ચારો લાવવાની જવાબદારી પણ ઉઠાવવી પડતી. પ્રાચીન ગુરુકુળીય પ્રથાનુસાર વિદ્યાર્થીઓએ ભિક્ષા માગવા પણ જવું પડતું જેથી નમ્રતા, ઉદારતા અને સેવાના ભાવો જાગૃત થાય.

ગુરુકુળના રસોડે દાળ અને શાક બનતાં. રોટી ભિક્ષાથી લાવવાની રહેતી. દૂધનો ખર્ચ બ્રહ્મચારીઓના ઘરવાળાઓએ મોકલવાનો રહેતો. જેમના ઘરે રકમ મોકલવાની સ્થિતિ ન હોય એમને દૂધથી વંચિત રહેવું પડતું.

રામકૃષ્ણના પિતાનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો. ગુરુકુળમાં પૈસા મોકલતા નહીં. એમણે ધાર્યું હતું કે પૈસા નહીં મોકલું તો છોકરો થાકી હારીને પાછો આવી જશે, ત્રણ મહિના સુધી પિતા મક્કમ રહ્યા. રામકૃષ્ણને ફરક પડતો નહોતો. દૂધ ભલે ન મળે, વિદ્યા તો મળતી હતી. એક દિવસ ગુરુજીને શું સૂઝયું કે એમણે રામકૃષ્ણને રોજ એક ગ્લાસ દૂધ આપવાની મંજૂરી આપી. ત્રણ મહિના પછી પિતાજી ગુરુકુળ આવ્યા. એક વરસના દૂધ માટે રૂપિયા ત્રણસો જમા કરાવી દીધા એટલું જ નહીં પાછલા પૈસા પણ ચૂકતે કરી દીધા. રામકૃષ્ણ ખુશ થયા. ચાલો, પિતાજીનો ગુસ્સો તો ઓસરી ગયો.

બાબા રામદેવ આજથી માત્ર પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંના એ અનુભવો યાદ કરતાં કહે છે:

‘અમારે રોટી માટે ભિક્ષા માગવા નજીકના ગામોમાં જવાનું રહેતું. બાલદી ભરીને આશ્રમના બધા માટે રોટી ભેગી કરવાની. હું ને મારાથી ઉંમરમાં નાના એવા એક દેવેન્દ્ર બ્રહ્મચારી ભિક્ષા માગવા નીકળી પડતા. હાથમાં બાલદી રાખીને કોઈ પણ ઘરની બહાર ઊભા રહીને હું બૂમ પાડતો: ‘ઓમ ભિક્ષામદેહિ!’ ઘરમાંથી કોઈ મહિલા બહાર આવીને અમને બ્રહ્મચારીના વેશમાં જોતી એટલે સમજી જતી કે અમે ભિક્ષા માગવા આવ્યા છીએ. અમે કહેતા, ‘માતાજી, નમસ્તે’. એ રસોડામાંથી રોટી લાવીને અમારી બાલદીમાં મૂકતી અને અમે ‘જી, ખૂબ ખૂબ આભાર’ કહીને બીજા ઘરે જતા.

‘ગુરુકુળમાં બીજાં કાર્યો વારાફરતી બધા ભ્રહ્મચારીઓએ કરવાનાં આવતાં. પણ ભિક્ષા માગવાની કાયમી જવાબદારી મારા પર આવી ગઈ હતી. કારણ કે હું બાલદી ભરીભરીને રોટીઓ લઈ આવતો. આને કારણે ગુરુકુળના બધા બ્રહ્મચારીઓ અને ગુરુજનોને બેઉ ટંક રોટી ખાવા મળતી. શરૂમાં ભિક્ષા માગવામાં સંકોચ થતો પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સંકોચ ઓછો થતો ગયો અને પછી તો ટેવ પડી ગઈ.’

‘ભિક્ષામાં અમને ઘઉંની રોટી અને બાજરાના રોટલા મળતા. સબજી અને દાળ તો ગુરુકુળમાં બનતાં જ હતાં. દૂધની પણ વ્યવસ્થા હતી. વારતહેવારે ગૃહસ્થ લોકો ભિક્ષામાં ખીર અને શીરો પણ આપતા હતા. શીરો તો એટલો મળતો કે બે દિવસ સુધી અમને બધાને ચાલતો. ખીર એક જ દિવસમાં પૂરી કરી નાખવી પડતી. થોડા વખત પછી એક ધનાઢ્ય વ્યક્તિએ મારી પ્રતિભા જોઈને મને છાત્રવૃત્તિ મોકલવાનું શરૂ કર્યું. મહિનાના રૂપિયા ૩૦૦ને હિસાબે વર્ષે દહાડે ૩,૬૦૦ રૂપિયાની છાત્રવૃત્તિ હું ગુરુકુળમાં રહ્યો ત્યાં સુધી આવતી રહી’, એમ સ્વામી રામદેવ કહે છે!

આજે બાબા રામદેવને કૉન્ગ્રેસ સહિતના વિરોધપક્ષો ગાળો આપતા રહે છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર એમના વિશે ભૂંડામાં ભૂંડી મજાકો થતી રહે છે પણ એમના પર આ બધાની કોઈ અસર થતી નથી. રામદેવ કહે છે: ‘હું તો બચપણથી જ ગાલી-પ્રૂફ થઈ ગયો હતો. એટલે કોઈ મને ગાળો આપે, મારા વિશે અપશબ્દો કહે કે મારી અભદ્ર મજાકો ઉડાવે તો મારું રુંવાડુંય ફરકતું નથી. હું તો બસ મારી ધૂનમાં ચાલ્યો જાઉં છું.’

એ વખતના દિવસોની એક ઘટના યાદ કરતાં બાબા કહે છે:

‘ખાનપુર ગામમાં એક માતાજી હતી. ગામમાં છેલ્લું ઘર એમનું જ હતું. હું જ્યારે એમને ત્યાં ભિક્ષા માગવા જઉં ત્યારે ગાળો આપીને અમારું સ્વાગત કરતી: ગુરુકુલ ને હમારે ભરોસે હી ઐસે ઐસે ખાગડ (આખલો) સાંઢ પાલ રખે હૈં. કમા કર ખાયા નહીં જાતા, ઐસે ભીખ માંગને ચલે આતે હૈં...’ અને આવું કહ્યા પછી એ બે રોટી આપતી પણ હતી! પછી તો અમારો નિત્યક્રમ થઈ ગયો કે બીજે ક્યાંય જઈને ભિક્ષા માગીએ કે ન માગીએ, એ મૈયાના ઘરે જરૂર પહોંચી જતા. જે દિવસે એમની ગાળો ન સાંભળીએ એ દિવસે સુનું સુનું લાગતું. ગાળોની સાથે બે રોટી - જાણે પ્રેમથી લપેટીને અપાતી હોય એવું લાગતું. આ ગાળોએ મારામાં અપમાન સહન કરવાની શક્તિ સર્જી, હું માન-અપમાનના અહંકારમાંથી બહાર આવી ગયો.’

જુવાનજોધ દીકરો ભિક્ષા માગીને ખાય છે એ વાત ઘરવાળાઓથી કેટલા દિવસ સુધી છૂપી રહેવાની હતી! એક સવારે રામકૃષ્ણનાં મા-બાપ, બેઉ ગુરુકુળ આવી પહોંચ્યા. રામકૃષ્ણ એમના આવવાનું કારણ પૂછે - સમજે એ પહેલાં જ પિતાજી વરસી પડ્યા: ‘તુમને મેરી નાક કટા દી. ઘર સે ભાગા હી, અબ ભીખ ભી માંગને લગા હૈ.’ મા પણ જોડાઈ: ‘પૈસે તો તેરે બાપૂ ભેજતે હી હૈં. કમ પડ ગયા તો ઔર મંગવા લેતા, લેકિન કમ સે કમ ભીખ તો ન માંગતા.’

વાત એમ બની હતી કે સૈદ અલીપુરની એક છોકરીનાં લગ્ન ખાનપુરમાં થયા હતાં અને એક દિવસ ભિક્ષા માગતાં માગતાં અજાણતાં જ રામકૃષ્ણ એ છોકરીના સાસરિયે પહોંચી ગયા હતા. એ બહેને ભિક્ષા તો આપી દીધી પણ પોતાનાં પિયરિયાંઓમાં ચાડી ખાધી કે રામનિવાસચાચાનો છોકરો જે ઘરેથી ભાગી ગયો હતો તે હવે ઘરે ઘરે ભીખ માગીને ખાય છે. એ છોકરીના પિતાએ આ વાત રામનિવાસ યાદવને તો પહોંચાડી જ, સાથોસાથ પંચાયત પણ બેસાડી. પંચે વ્યંગ કરતાં કહ્યું, ‘રામનિવાસ, જો અનાજની કમી હતી ઘરમાં તો અમને કહેવું હતું. અમે લોકો તારી આબરૂ ઢાંકવા આવી જાત. પણ બેટાને બીજે ગામ ભીખ માગવા માટે મોકલવાની શું જરૂર હતી?’

રામનિવાસ યાદવ આખા ગામમાં થયેલું આવું અપમાન સહન નહીં કરી શક્યા. પત્નીને લઈને દીકરા પાસે ગુરુકુળ છોડાવવા આવી પહોંચ્યા. પણ દીકરો અડગ હતો. ઘરે પાછા જવાનો તો સવાલ જ નહોતો. ‘તો કયા યહીં રહકર જિંદગીભર ભીખ માંગેગા?’ પિતાએ આવેશમાં પૂછયું.

રામકૃષ્ણે બાપુની ક્ષમા માગતાં કહ્યું: ‘બાપુ, આ ભીખ નથી ભિક્ષા છે. ગુરુકુળમાં ગુરુ પોતાના વિદ્યાર્થીઓને અભાવ, તપ અને સંઘર્ષોની ભઠ્ઠીમાં તપાવે છે જેથી જીવનમાં જ્યારે પણ સંઘર્ષ અને પ્રતિકૂળતાના સંજોગો આવે ત્યારે એનો આત્મવિશ્ર્વાસ ન તૂટે અને એ સફળતાના શિખરે આસાનીથી પહોંચી જાય. આ ભીખ ત્યારે થઈ જાય જ્યારે અમે કામચોરી કરતા થઈ જઈએ. પણ પ્રાચીન ભારતીય વિદ્યા પદ્ધતિમાં ભિક્ષા માગવી એ તો વિદ્યાર્થીજીવનમાં અહંકારને ઓગાળવાની ઉત્તમ રીત છે. જો અહંકાર મનમાં રહી જાય તો જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય ન થાય અને આમેય જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અમને ભિક્ષા આપે છે અને અમે એના ઘરનું અન્ન-જળ ગ્રહણ કરીએ છીએ ત્યારે જિંદગીભર અમને એ અહેસાસ રહેતો હોય છે કે અમારા લોહી માંસ મજ્જામાં એમનો પરસેવો ભળેલો છે. આ અહસાસ જ આખી જિંદગી ગરીબો માટેના અમારા કર્તવ્યમાં અમને અડગ રાખે છે.’

એ પ્રસંગને યાદ કરતાં સ્વામી રામદેવના પિતાજી રામનિવાસ યાદવ કહે છે: ‘મૈં બેહદ ગુસ્સે મેં થા. મૈને ઉસે હડ્ડી-પસલી તોડને કી ધમકી ભી દી. માને ભી ઉસે અપના વાસ્તા દિયા થા. કહા - ‘તૂ ગુરુજી સે કહકર ભીખ માગને કા કામ છોડકર કોઈ દૂસરા કામ લે લે...’ લેકિન ઉસને માં કો કહા કિ ‘જો ગુરુજી કહેંગે મૈં તો વહી કરૂંગા.’ અપની ઔર સે કોઈ આગ્રહ નહીં કરૂંગા.’ આખિર માંને કહા, ‘ઠીક હૈ, તૂ ભિક્ષા માંગ, લેકિન કમ સે કમ ઉસ લડકી કે ઘર ભીખ માંગને મત જાના. ગાંવ મેં બડા અપમાન હોતા હૈ...’

આ સાંભળીને રામકૃષ્ણે કહ્યું હતું: ‘નહીં મા, ભિક્ષા મેં દો રોટી કે સાથ પ્રતિદિન ગાલી દેનેવાલી એક માતા કે સમાન હી અબ તો મૈં ગાંવવાલી ઉસ બહન કે ઘર ભી ભિક્ષા માંગને રોજ જાઉંગા. મેરે અંદર કા માન - અપમાનરૂપી અહંકાર ઈસસે ટકરાકર હી ધ્વસ્ત હોગા.’

ઘઉંનો પાક તૈયાર થઈ જાય એ પછી ભિક્ષામાં પશુઓ માટે ઘઉંના દાણા કાઢી લીધા પછી વધતું ભૂસું અને બ્રહ્મચારીઓ માટે અનાજ પણ માગવામાં આવતું. મોટાભાગના લોકો એક પોટલું ભરીને ભૂસું કે અનાજ ભિક્ષામાં આપતા. એક પોટલામાં જેટલું ભરાય એટલું ભૂસું ભરી લેવાનું. એક મણ, બે મણ, જેટલું ભરાય એટલું. પણ એક પોટલાથી વધારે નહીં. આચાર્ય પ્રદ્યુમ્ન શારીરિક રીતે પણ ઘણા શક્તિશાળી હતા. આજે પણ છે. તેઓ એક પોટલામાં ૧૦૦ કિલો ભૂસું બાંધીને ખભા પર ઉઠાવી ગુરુકુળ સુધી ચાલીને આવતા. રામકૃષ્ણે પણ ગુરુકુળમાં વ્યાયામ, દંડ-બેઠક વગેરે કરીે શરીરને મજબૂત બનાવી દીધું હતું. એ ૮૦ કિલો જેટલું ભૂસું એક પોટલામાં લાદીને ઊંચકી લેતા. ગુરુકુળમાં ગુરુજી પછી ભૂસાની સૌથી વધુ ક્ષિભા રામકૃષ્ણ દ્વારા આવતી. આ ભૂસાને ભૂસાદાનીમાં ચડાવવાનું કામ સૌથી કઠિન રહેતું. એ કામ કરવામાં આખા માથામાં, નાક-કાન-મોઢામાં બધે જ ભૂસું ભરાઈ જતું. શ્ર્વાસ લેવાની તકલીફ થઈ જતી. ભૂસું ચઢાવવાનું કામ એક-એક મહિના સુધી ચાલતું. ગુરુકુળનો આ સૌથી કઠોર મહિનો રહેતો.

સંસારની આ બધી કષ્ટભરી ગતિવિધિઓમાંથી સંન્યાસીના આથીય કઠિન અનુભવો સુધી પહોંચવા માટે રામકૃષ્ણે હજુ ઘણાં વર્ષો સુધી આકરી તપશ્ર્ચર્યા કરવાની હતી.

24-06-2016

‘સમાજ સે કટ કર નહીં, સમાજ સે જુડ કર ચલના હૈ’

ખાનપુરના ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને રામકૃષ્ણે કાલવાના ગુરુકુળમાં પ્રવેશ લીધો. ખાનપુરથી સોએક કિલોમીટરના અંતરે આવેલા કાલવાના આશ્રમે અન્ડર એજ હોવાને લીધે રામકિશનને પ્રવેશ નહોતો આપ્યો, પણ હવે વાંધો નહોતો. કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવ રામકિશનનને ઓળખી ગયા. રામકિશને હવે પોતાનું નામ રામકૃષ્ણ રાખવામાં આવ્યું છે એવી જાણકારી આપીને પોતે વીતેલાં વર્ષોમાં શું શું શીખ્યા તેની વિગતો આપી. આચાર્ય બલદેવે પ્રસન્ન થઈને કહ્યું, ‘ઘણું સરસ... પણ અહીં તારે તારા નામમાંથી કોઈ એક પસંદ કરવું પડશે. રામકૃષ્ણ - એવું બે નામવાળું વ્યક્તિત્વ નહીં ચાલે. તને જોઈએ તો તું તારું નામ રામ રાખી લે અથવા કૃષ્ણ...’

રામકૃષ્ણ વિચારમાં પડી ગયા. એમને અચાનક યાદ આવ્યું,

‘માને રામ નામ પસંદ છે. એજ નામ રાખી લઉં.’

‘ભલે, બ્રહ્મચારી. આજથી તારું નામ રામદેવ,’ આચાર્ય બલદેવે નામકરણ કર્યું. નવા ગુરુકુળમાં ઉચ્ચ અભ્યાસની સાથે ભિક્ષાટન, ગૌસેવા વગેરે રૂટિન ચાલુ જ હતાં.

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ગુરુકુળ નજીકના ધડોલી ગામના સજ્જનોએ ગૌશાળા માટે ૧૦ એકર જમીન ગુરુકુળને દાનમાં આપી. આ આખીય જમીન પર બાવળનું જંગલ હતું. રામદેવે બીજા બ્રહ્મચારીઓ સાથે કુહાડીથી બાવળનાં તમામ ઝાડ કાપ્યા, કોદાળીથી એનાં મૂળિયાં ઉખાડ્યા. પાવડા - ઘમેલાથી આ બધા બિનઉપયોગી થડ - ડાળખાં - મૂળિયાંને હટાવીને બાવળના જંગલવાળી જમીન પર ગૌશાળાનું નિર્માણ કર્યું. રામદેવે પોતાને મળતી છાત્રવૃત્તિની તમામ રકમ આ ગૌશાળાને આપી દીધી.

કાલવાના આ નવા ગુરુકુળમાં સિનિયર વિદ્યાર્થીઓ જે કંઈ શીખી લે તે વિદ્યા એમણે જુનિયર બ્રહ્મચારીઓને પાસ કરવાની. ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતા આ આશ્રમમાં રામદેવ ભણતા અને ભણાવતા પણ ખરા. જે કંઈ ભણાવવાનું હોય તે જો એક કલાક માટે ભણાવવાનું હોય તો એ માટે પહેલાં તેઓ પોતે બે કલાક સુધી એ વિષયને પાકો કરી લેતા.

સવારે સૌ કોઈએ પોણા ચાર વાગ્યે ઊઠી જવાનું અને રાત્રે બરાબર ૧૦ વાગ્યે સૂઈ જવાનું. સ્વામી રામદેવ ગુરુકુળનાં એ વર્ષોને યાદ કરતાં કહે છે: ‘પાંચ સાલ તક ગર્મ કપડા તો નહીં હી પહના, કભી ઉસ દૌરાન કંબલ યા રજાઈ ભી નહીં ઓઢી. મૈંને અપની પૂરી પઢાઈ કેવલ દો જોડી વસ્ત્રોં મેં પૂરી કી હૈ. સુબહ ઉઠને કે બાદ સભી કો ઠંડે પાની સે હી નહાના પડતા થા, ચાહે કિતની હી કડાકે કી ઠંડ હો. ગુરુકુલ મેં કભી નહાને કે લિએ ગર્મ પાની નહીં દિયા જાતા થા... પૂરે જીવન એક દિન ભી નહાને મેં સાબુન કા ઈસ્તેમાલ નહીં કિયા...’

ગુરુકુળમાં સવારે આસન - પ્રાણાયમ કરવાના અને સાંજે કુશ્તી અને દંડબેઠક. રામદેવ રોજના પાંચસો દંડ લગાવતા. યુ ટ્યુબ પરના એક વિડિયોમાં એમને આ ઉંમરે અનુભવી કુશ્તીબાજો સાથે ફ્રેન્ડલી કુશ્તી રમતાં જુઓ કે બીજા ભારેખમ વ્યાયામ કરતાં જુઓ તો પચ્ચીસ વર્ષ પહેલાં રોજના પાંચસો દંડ કરવાના દાવામાં કોઈને અતિશયોક્તિ નહીં લાગે. આટલા દંડ લગાવવાની પ્રેક્ટિસને લીધે શરીર પરસેવે રેબઝેબ થઈ જતું અને બે-ચાર ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં પણ શરીરની આંતરિક ગરમી જળવાઈ રહેતી.

ખાનપુર ગુરુકુળમાં રામદેવનો પરિચય બાલકૃષ્ણ સાથે થયો હતો. રામદેવ કરતાં એમની ઉંમર નાની. રામદેવ કાલવાના આશ્રમમાં દાખલ થયા એ પછી બાલકૃષ્ણ પણ ખાનપુર ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને કાલવામાં આવ્યા. અહીં ધીરે ધીરે બંને વચ્ચેનો પરિચય ગાઢ મૈત્રીમાં પલટાયો. રામદેવ માટે બાલકૃષ્ણ સગા નાના ભાઈ સમાન બની ગયા. કાલવા આશ્રમનાં આચાર્ય બલદેવ સ્વામી રામદેવની બાયોગ્રાફીના લેખક સંદીપ દેવને કહે છે: ‘રામકિશનને કાલવા ગુરુકુલ મેં શિક્ષા કે ઉપરાંત ભારતીય દર્શન, વેદ, ઉપનિષદ કે ગહન અધ્યયન કે લિયે લગાતાર પૂરે દેશકી યાત્રા કી ઔર વિદ્વાનો કે સાથ સત્સંગ કિયા. હિમાલય કી ગુફાઓ ઔર કંદરાઓ મેં ઉસને લંબે સમય તક તપસ્યા કર રહે તપસ્વીયોં ઔર યોગિયોં સે યોગ કી બારીકિયાં સીખીં હૈં.’

કાલવાના આશ્રમમાં અભ્યાસ પૂરો થયા પછી રામદેવ ‘આચાર્ય’ની ઉપાધિ (ડિગ્રી) માટે લાયક બન્યા. ગુરુ બલદેવે એમને આચાર્ય રામદેવ બનાવીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા અને કાલવા આશ્રમની સંપૂર્ણ જવાબદારી એમના ખભા પર નાખી દીધી. બલદેવજી કાલવાનો આશ્રમ અને એની જમીન રામદેવના નામે કરવા માગતા હતા પણ રામદેવ એ જંજાળમાં પોતાને બાંધવા નહોતા માગતા.

આચાર્ય રામદેવે સેંકડો ભારતીય યુવાનોને દેશના જાહેરજીવનને ચારિત્ર્યવાન બનાવાવમાં ઉપયોગી થાય એવું ભણતર આપવા માગતા હતા. આ માટે સૌથી પહેલાં એ હરિયાણાના કિશનગઢ ઘાસેડાસ્થિત ગુરુકુળમાં પહોંચ્યા. ત્યાંના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું પણ એ જ ગાળામાં એક દુર્ઘટના બની ગઈ. ગુરુકુળના એક બાળકે ચોરી કરી. આચાર્ય રામદેવે સીસમના ડંડાથી એને ખૂબ માર્યો. બાળક લોહીલુહાણ થઈ ગયું. તાવ ચડી ગયો.

આચાર્ય રામદેવને દિવસો સુધી પોતાના આ વર્તન બદલ પસ્તાવો થતો રહ્યો. ગુરુકુળમાં બ્રહ્મચારીઓની આ રીતની પિટાઈ કંઈ નવી વાત નહોતી. પણ રામદેવ પોતાના આ વર્તાવથી અંદરથી હચમચી ગયા. છેવટે શાંતચિત્તે એમણે એક નિર્ણય લીધો. ગુરુકુળ છોડીને હિમાલય જતા રહેવું.

એજ ગાળામાં બાલકૃષ્ણનો પત્ર આવ્યો હતો. મોટા ભાઈ સમાન આચાર્ય રામદેવને એમણે લખ્યું હતું: ‘તમે જે જ્ઞાન મેળવ્યું તેની જરૂર આખા દેશને છે. તમે ગુરુકુળ પૂરતું તમારું જ્ઞાન કેવી રીતે સીમિત રાખી શકો? વૈદિક જ્ઞાન પરંપરા, યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા (નેચરોપથી અથવા કુદરતી ઉપચાર)ના જ્ઞાનને જન-જન સુધી પહોંચાડવા માટે તમારે ગુરુકુળના સીમિત દાયરામાંથી બહાર નીકળીને આખા દેશને સંબોધિત કરવાનો છે.’

આચાર્ય રામદેવ અને એમના જૂના મિત્ર બાલકૃષ્ણ હરદ્વારની પવિત્ર ભૂમિ પર વર્ષો બાદ ફરી ભેગા થાય છે. બાલકૃષ્ણને પણ આચાર્યની ઉપાધિ પ્રાપ્ત થઈ ગઈ છે. બીજે જ દિવસે બેઉ આચાર્યોએ દલિત બસ્તીઓમાં જઈ જઈને સ્વચ્છતા કાર્ય શરૂ કરી દીધું. બીમાર લોકોને આયુર્વેદના ઉપચારોથી સાજા કરવા માંડ્યા. સાથોસાથ બેઉ આચાર્યોએ અહીંના લોકોને નશાખોરી, અશિક્ષણ, ભ્રષ્ટાચાર, અપરાધ વગેરેની ખિલાફ સમજાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બંનેની ખ્યાતિ ફેલાતી ગઈ. છેક આસામથી લોકો આયુર્વેદના ઉપચાર માટે આવતા થયા. પ્રસિદ્ધિ જેમ વધતી ગઈ તેમ વિઘ્નનો સૌથી પહેલો પડાવ આવ્યો - પોતાના જ લોકો તરફથી. ધર્મના ઠેકેદારો અને મઠાધીશોના પેટમાં આ જોડીનું કામ ખૂંચવા લાગ્યું. કારણ કે આ બંનેના કાર્યને લીધે પોતાના સંપ્રદાયમાં થતો વધારો અટકી જતો હતો. ધર્માંતરણનું કાર્ય કરનારાઓ તરફથી બીજું વિઘ્ન ઊભું થયું. આ બંને વિઘ્નોનો સામનો કરીને બેઉ આચાર્યોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. આ બંને તરફથી મળતી આયુર્વેદની દવા માટે કોઈએ એક પૈસો આપવાનો નહોતો, પોતાનો ધર્મ પણ બદલવાનો નહોતો.

આ ગાળામાં હરદ્વારના એક સંત શ્રી શંકરદેવ મહારાજે બેઉ આચાર્યોની સમાજસેવાથી પ્રભાવિત થઈને એમને વિનંતી કરી કે તમે બંને મારા કૃપાલુ બાગ આશ્રમમાં આવી જાઓ, એનું સંચાલન કરો અને તમારી પ્રવૃત્તિ આગળ વધારો.’

આચાર્ય રામદેવે એમના ચરણસ્પર્શ કરીને કહ્યું, ‘ભ્રષ્ટાચાર, અપરાધ, ઉત્પીડન અને નશાખોરીની દેશવ્યાપી ઘટનાઓથી મન વિચલિત થઈ ગયું છે. પીડિત માનવતાનો ઉદ્ધાર જરૂરી છે પણ એક સાથે આટલી બધી સમસ્યાઓનો સામનો કરવાનું કોઈ ગજું નથી. અમારી પાસે જે આત્મશક્તિ જોઈએ તે નથી. આ બધી સમસ્યાઓનું નિરાકરણ શોધવા અમારે અમારી પોતાની અંદર ઝાંકીને જોવું પડશે. સ્વયંને જાગૃત કરીને જ બીજાને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકાય. ધ્યાન અને તપ દ્વારા આત્મશક્તિનો સંચય કરીને હમ જરૂર આપની પાસે આવીશું, ત્યાં સુધી અમને આજ્ઞા આપો.’

સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારથી ગંગોત્રી ભણી પ્રયાણ કર્યું.

આચાર્ય રામદેવના શબ્દોમાં: ‘બસ મેં બૈઠકર હમ ગંગોત્રી પહુંચે. ગંગોત્રી મેં પહુંચતે હી ઉસકે આકર્ષણને હમેં જકડ લિયા. ગંગા કી લહરોં ઔર ગુફાઓ ને મન કો અજીબ શાંતિ સે ભર દિયા. હમારે મન મેં ભી થા કિ દુનિયા સે એકદમ કટકર ગુફાઓં મેં રહના હૈ. તપસ્યા કરને કી ધુન સવારથી. વહાં પહુંચ કર હમ ઘંટોં બૈઠકર ધ્યાન કરને લગે. હમ વહાં લગભગ તીન સાલ રહે ઔર ઈસ દૌરાન તીન ગુફાઓં કો બદલા...’

સ્વામી રામદેવ કહે છે: ‘હમારી પહલી ગુફા ગંગોત્રી કે ઉપર તપોવન મેં થી. દૂસરી ગુફા સૂરજકુંડ કે સામને થી. યહાં ગંગા કી લહરેં ગુફા કી દીવાર સે ટકરાતી રહતી થી. ભયંકર ગર્જના હોતી થી. રાત-રાત ભર ગર્જના ચલતી રહતી થી. કઈ બાર ધ્યાન ભી ભંગ હો જાતા થા. ઈસલિયે હમને ઈસ ગુફા કો ભી છોડ દિયા. હમારી તીસરી ગુફા પાંડુ ગુફા કી તરફ બાયીં ઓર થી. અભી ભી વહાં એક સંત રહ રહે હૈં. ઈસ ગુફા મેં હમેં પૂર્ણ શાંતિ કી પ્રાપ્તિ હુઈ, ઐસી શાંતિ કી પ્રાપ્તિ હુઈ કિ મેરા મન યહાં સે હટન કો હુઆ હી નહીં. મૈં લગાતાર સાધના મેં રહને લગા. દુનિયા કો પૂરી તર સે ભૂલ ગયા...’

અહીં ખાવાપીવાની કોઈ સગવડ નહોતી. નીચે ઈશાવાસ્યમ્ આશ્રમમાં સદાવ્રત ચાલતું હતું ત્યાં અન્ય સંન્યાસીઓ અને સાધુઓની જેમ આ બંને આચાર્યો પણ લાઈનમાં ઊભા રહીને એક ટંકનું ભોજન મેળવી લેતા. આશ્રમ તરફથી મળતા ભોજનની સબ્જીમાં મરીમસાલા એટલા લાગતા કે એને પાણીમાં ધોઈને તેઓ ખાતા!

સ્વામી રામદેવ કહે છે: ‘વહાં સ્વાધ્યાય કે તૌર પર મૈં મહર્ષિ પતંજલિ કા યોગદર્શન ઔર ઉપનિષદ પઢતા થા. સુબહ-શામ ગાયત્રી મંત્ર કા જાપ કરતે થે. વહીં યોગિયોં સે યોગ શીખા. સુબહ પ્રાણાયમ કરતે ઔર યોગ સાધના કો પ્રબલ બનાને મેં જુટે રહતે. ઉસ સમય મન મેં વિચાર આયા કિ સેવા કા બડા કામ નહીં કરેંગે, બલ્કિ સાધના પથ પર હી આગે બઢેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કરેંગે ઔર ઈસકે લિએ યદિ પૂરા જીવન લગ જાએ તો ભી લગા દેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કે લિયે કઈ તરહ કી સાધનાએં ઔર પ્રયોગ કિએ. સાધના કી અલગ - અલગ વિધિયોં કો આજમાયા.’

ત્યાં અનેક યોગીઓ પાસેથી યોગની ક્રિયાઓ શીખવા મળી. યોગનો અભ્યાસ વધતો ગયો. ‘યોગ હી મેરા જીવન બન ગયા,’ સ્વામી રામદેવ કહે છે, ‘તીન સાલ તક મૈં સાધના કરતા રહા. ચૌથે સાલ ગંગોત્રી મેં અપના આશ્રમ ભી લે લિયા. લોગોં સે દાન ઔર ઉધાર માંગ-માંગ કર મૈંને પાંચ લાખ મેં અપના આશ્રમ લિયા ઔર હમેશા કે લિયે હિમાલય મેં હી, બસ જાને કા નિર્ણય લે લિયા.

આચાર્ય રામદેવના આ વિચારો જાણીને અને સેવાને બદલે સાધનાના માર્ગે જ આગળ વધવાના નિર્ધારને દૃઢ થતો જોઈને આચાર્ય બાલકૃષ્ણે એમને સમજાવ્યા:

‘સમાજ સે કટ કર નહીં, સમાજ સે જુડકર સાધના પથ પર ચલના હૈ. સમાજસેવા કો હી સાધના બનાના હૈ. ગુરુકુળના વિદ્યાર્થીઓ દીન-હીન બનીને નહીં પણ સમાજની સમક્ષ આદર્શ બને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. ગુરુ, રાષ્ટ્ર અને પૃથ્વીનું ઋણ ચૂકવવાનું છે.’

આચાર્ય રામદેવને ગળે આ વાત ઊતરી. એમણે હિમાલયના એકાંતવાસની સાધના છોડીને સંસારમાં પ્રવેશી સમાજની સેવા કરવાનો નિર્ણય કર્યો. પણ સંસારમાં પુન:પ્રવેશ કરતાં પહેલાં જગતમાં રહેલાં કંચન અને કામિનીનાં આકર્ષણોથી આજીવન દૂર રહેવા એક સંકલ્પ જાહેર કરવાનો હતો. મન તો ભગવા રંગે રંગાઈ ચૂક્યું હતું. શરીર પરનાં વસ્ત્રોને પણ ગેરૂઆ રંગે રંગવાનાં હતાં.

25-06-2016

રામકિશનમાંથી સ્વામી રામદેવની યાત્રા

હિમાલયથી ઊતરીને આચાર્ય રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારના કનખલસ્થિત કૃપાલુબાગ આશ્રમને પોતાની પ્રથમ કર્મભૂમિ બનાવી. આશ્રમમાં સુવિધાઓ પણ હતી અને આશ્રમની પોતાની સમસ્યાઓ પણ હતી. આવી વિષમ પરિસ્થિતિમાં ૧૦ નવેમ્બર ૧૯૯૪ના રોજ બેઉ આચાર્યોએ સૌ પ્રથમ ‘યોગ સાધના એવં યોગ ચિકિત્સા શિબિર’નું આયોજન કર્યું. એના બે મહિના પછી બીજા કેટલાક સાધુસંતો તથા કર્મયોગીઓના સહકારથી ૫ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ની સ્થાપના કરી. એ પછી કૃપાલુબાગ આશ્રમમાં રોજેરોજ યોગ અને આયુર્વેદ ચિકિત્સાની શિબિરો થવા માંડી. ધીમે ધીમે કૃપાલુબાગ આશ્રમ યોગ, પ્રાણાયમ અને આયુર્વેદિક ચિકિત્સાના પ્રમુખ કેન્દ્ર તરીકે જાણીતો થવા માંડ્યો. આચાર્ય રામદેવ લોકોેને યોગ અને પ્રાણાયમ દ્વારા સ્વાસ્થ્ય લાભ કરાવતા જ્યારે આચાર્ય બાલકૃષ્ણ લોકોને આયુર્વેદિક તથા એક્યુપ્રેશર ચિકિત્સા દ્વારા સ્વસ્થ કરતા.

એક દિવસ એક રોગીએ આચાર્ય બાલકૃષ્ણને ફરિયાદ કરી, ‘તમે જે દવા લખી આપો છો તે બજારમાં તો ક્યાંય મળતી નથી. આવી દવાઓ શું કામ લખી આપો છો?’

કૃપાલુબાગ આશ્રમના ગુરુ સ્વામી શંકરદેવે કહ્યું, ‘એમાં વળી કઈ મોટી વાત છે. શુદ્ધ આયુર્વેદિક દવા જો બજારમાં ન મળતી હોય તો જડીબૂટી વિશે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેનો લાભ ઉઠાવો અને તમારી જાતે દવા બનાવીને રોગીઓને સાજા કરો.’

બેઉ આચાર્યો બીજા જ દિવસે જંગલમાં નીકળી પડ્યા. શહેરમાં કરિયાણાની દુકાને જે જે જડીબુટ્ટી ઉપલબ્ધ હોય તે મેળવીને બાકીનાની શોધમાં પહાડીઓમાં, જંગલોમાં ભટકવાનું, જાણકાર લોકોની મદદ લેવાની. પાછા આવીને મંડપ-વાસણ ભાડે આપનારાઓ પાસેથી રોજના દસ રૂપિયાના ભાડે તોતિંગ તપેલું લઈ એમાં દવાઓ બનાવવાની. કામ પૂરું થઈ જાય એટલે તરત ભારેખમ તપેલું જાતે ઊંચકીને પાછું આપી આવવાનું જેથી બીજા દિવસનું ભાડું ચડી ન જાય. જડીબુટ્ટીની ગૂણીઓ ભરી ભરીને ક્યારેક સાઈકલ પર, ક્યારેક હાથ રિક્સામાં તો ક્યારેક ગંગાનાં ઉછળતાં પાણીમાં તરીને આશ્રમમાં લાવવામાં આવતી. ક્યારેક કેટલાય કિલોમીટર સુધી ઊંચકીને ચાલવું પડતું. આજેય હરદ્વારમાં કેટલાય લોકો છે જેમણે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આવું કરતાં જોયા છે.

સેવાનું કામકાજ ધમધોકાર ચાલતું થઈ ગયું હતું. આ બાજુ રામદેવનાં માતાજીની ઈચ્છા હતી કે દીકરો સામાન્ય લોકોની જેમ ઘર વસાવે, પોતાને પૌત્ર-પૌત્રીઓનું સુખ પ્રદાન કરે. પણ રામદેવના મનમાં કોઈક અલગ જ ધૂન સવાર હતી. વર્ષોથી ઈચ્છા તો થતી જ રહેતી હતી પણ હવે એનો અમલ કરવાનું અનિવાર્ય લાગતું હતું. સ્વામી શંકરદેવે રામદેવની આ ઈચ્છા સાંભળીને કહ્યું, ‘સોચ લો ફિર રામદેવ. સંન્યાસ આસાન બાત નહીં હૈં. તુમ પરિવાર કે બંધન મેં નહીં બંધ સકોગે. સંન્યાસી કો ખુદ કો મારકર સમાજ કો જાગૃત કરના પડતા હૈં.’

રામદેવે કહ્યું: ‘સંન્યાસ દીક્ષા કે બાદ મૈં એક પરિવાર નહીં, બલ્કિ અનેક પરિવાર કો પ્રેમ કર સકૂંગા. ખુદ કો મારકર હી તો મૈં પૂરી માનવતા સે અસીમ પ્રેમ કર સકૂંગા.’

સ્વામી શંકરદેવે આચાર્ય રામદેવનાં માતાપિતા સહિત એમના બંને ગુરુઓ આચાર્ય પ્રદ્યુમ્ન તથા આચાર્ય બલદેવને સંદેશાઓ મોકલી દીધા કે બ્રહ્મચારી આચાર્ય રામદેવ ગૃહસ્થ જીવનને બદલે સંન્યાસ જીવનમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક છે માટે આપ સૌ આશીર્વાદ આપવા પધારો.

૯ એપ્રિલ, ૧૯૯૫. રામનવમીનો પવિત્ર દિવસ. હરદ્વારના પાવન ગંગાતટ પર મંત્રોચ્ચારણ, યજ્ઞ તથા હવન સાથે આચાર્ય રામદેવની દીક્ષાવિધિ શરૂ થઈ. સ્વામી શંકરદેવ, આચાર્ય પ્રદ્યુમ્ન, આચાર્ય બલદેવ, માતા-પિતા, આચાર્ય બાલકૃષ્ણ તેમ જ અન્ય સાધુ - સંન્યાસીઓની હાજરીમાં આચાર્ય રામદેવે મા ગંગાની ગોદમાં ઊતરીને સંન્યાસ ધર્મનો સંકલ્પ કર્યો:

‘મૈં આજ સે સભી પ્રકાર કી એષણાઓં વ આસક્તિયોં કે મોહ સે ઉપર ઉઠકર અપને સંન્યાસ ધર્મકા પાલન કરુંગા. મૈં ધન કે પ્રલોભન સે મુક્ત રહકર આર્થિક વ આધ્યાત્મિક સામર્થ્ય કા ઉપયોગ લોકકલ્યાણ હેતુ કરુંગા. મૈં માન-સમ્માન કા ત્યાગ કરતે હુએ અનાસક્ત રહકર અપને કર્તવ્યોં કા વહન કરુંગા.’

સ્વામી શંકરદેવે ગંગાના પ્રવાહમાં સ્થિર ઊભેલા આચાર્ય રામદેવના વાળની લટ કાપી અને પહેરવા માટે એમને ભગવાં વસ્ત્રો આપ્યાં. સ્વામી શંકરદેવ આ લટ અને રામદેવની જનોઈને પોતાના હાથે ગંગાને સમર્પિત કરી દીધાં. દીક્ષા ગુરુ સ્વામી શંકરદેવના હાથે આચાર્ય રામદેવ હવે સ્વામી રામદેવ બન્યા. ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે સ્વયંનો સ્વામી બની જાય છે, જે પોતાને જાણતો થઈ જાય છે તે ‘સ્વામી’ કહેવાય છે. રામદેવે સ્વનો સાક્ષાત્કાર કરી લીધો હતો, પોતે કોણ છે, પોતે શું કરવા માગે છે, પોતાનામાં કેટલી શક્તિ છે - આ બધા પ્રશ્ર્નોનોસંતોષકારક ઉત્તર, એમણે પોતાની પાસેથી મેળવી લીધો હતો. અને એટલે હવે તેઓ સમાજમાં સૌ કોઈના માટે સ્વામી રામદેવના માનભર્યા સંબોધનને લાયક બની ગયા હતા.

યોગ વિશે સ્વામી રામદેવની આ એક વાત સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવી છે. યોગ દ્વારા ચમત્કારો કરવા, હવામાં ઊડવું કે પાણી પર ચાલવું એવા દાવાઓ અવારનવાર કેટલાક ઢોંગીઓ કરતા રહે છે. બાબા રામદેવ આપણા જેવી આકરી ભાષા નથી વાપરતા પણ નમ્રતાપૂર્વક સાફ સાફ શબ્દોમાં કહે છે:

‘મુઝે યોગદર્શન કંઠસ્થ હૈં. લેકિન પરકાયા પ્રવેશ, આકાશગમન, જલ-અગ્નિ-કાંટોં પર યોગ. સાધના કે બલ પર ચલના, અણિમા-સધિમા જૈસી સિદ્ધિઓં કો કરતે મૈંને તો અપની આંખોં સે કિસી મહાપુરુષ કો નહીં દેખા. પ્રાચીન કાલ મેં હી યે સિદ્ધિમાં હોતી થીં. ઈન્હેં ખોજને કે લિયે પૂરે હિમાલય ક્ષેત્ર, તિબ્બત - સભી જગહ મૈંને લગાતાર યાત્રા કી, ખાક છાની, લેકિન આજ તક મુઝે ઐસા કોઈ સિદ્ધ પુરુષ નહીં મિલા હૈ...’

૫ જાન્યુઆરી, ૧૯૯૫માં શરૂ કરેલા ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ને આમ જનતાથી માંડીને કૉર્પોેરેટ સેક્ટર સુધીના સૌ કોઈના તરફથી દાન મળતું થઈ ગયું. પાંચ રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આવતા. ૧૦ વર્ષમાં, ૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો રોજ આમાંથી ‘પતંજલિ યોગપીઠ’નો જન્મ થયો. યોગ, આયુર્વેદ, સ્વદેશી, વૈદિક તથા પ્રાકૃતિક જ્ઞાનના બીજમાંથી એક વટવૃક્ષ ઊભું થયું. શરૂઆતમાં તો દાનની રાહ જોયા વિના બૅન્કમાંથી લોન લઈ લઈને બાંધકામ વગેરેનું કામકાજ થતું. થોડાં વર્ષો પહેલાં જે ‘આસ્થા’ ચૅનલ પર બાબા રામદેવની યોગ શિબિરનું કલાકેક માટે પ્રસારણ થતું એ આખેઆખી ચૅનલ એમણે ખરીદી લીધી. એમણે એટલે? એ તો સંન્યાસી છે. એક પણ પૈસાની માલિકી એમની નથી. જે કંઈ છે તે બધું જ ટ્રસ્ટનું છે. બિલકુલ ઓપન કારભાર છે. હિસાબ કિતાબ કોઈપણ સરકારી એજન્સી જઈને જોઈ શકે છે.

સોળ વર્ષની ઉંમરે જેઓ બસમાં પણ નહોતા બેઠા તેઓ આજે વર્ષના હજારો કિલોમીટરના પ્રવાસો કરીને દેશવિદેશમાં યોગ - આયુર્વેદનો નિ:સ્પૃહ બનીને પ્રચાર કરી શકે છે. પણ એક વખત એવો હતો જ્યારે સ્વામી રામદેવના માથે રોજ કોઈને કોઈ વાતે માછલાં ધોવાતાં. એમને બનતી આયુર્વેદિક દવામાં માનવ અસ્થિનો ભુકો વાપરવામાં આવે છે એવો તદ્દન જુઠ્ઠો આક્ષેપ સામ્યવાદી પક્ષના મુખિયા પ્રકાશ કરાતનાં પત્ની બ્રિન્દા કરાતે એટલો ઉછાળ્યો એટલો ઉછાળ્યો કે ઘડીભર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું. બ્રિન્દાનાં બહેન રાધિકા રૉય એનડીટીવીના સ્થાપક અને માલિક પ્રણય રૉયનાં પત્ની થાય. એમની ચૅનલે બાબાને બદનામ કરવાની આગેવાની લીધેલી. આ ઉપરાંત આર્થિક અને ક્રિમિનલ બાબતોની અનેક ફરિયાદો સ્વામી રામદેવ, એમના સાથીઓ તેમ જ એમની સંસ્થાઓ વિરુદ્ધ થતી રહી. આજની તારીખે પણ ક્યાંક ક્યાંકથી એમની પ્રોડક્ટ્સ વિશે કોઈને કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ દ્વારા આવી હેરાનગતિ થતી જ રહે છે. સ્વામી રામદેવે આ બધું પાર્ટ ઑફ ધ ગેમ તરીકે સ્વીકારી લીધું છે. તમે જેટલા મોટા માણસની અને જેટલા વધારે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હશો તેટલી વધુ વિઘ્ન પ્રવૃત્તિઓ તમારી સાથે થવાની. સ્વામી રામદેવ આવી સેંકડો આપત્તિઓ વચ્ચે અડીખમ રહ્યા તે પોતાની તાકાતને કારણે. સેંકડો પોલીસ કેસ, કોર્ટ કેસ, ઈન્ક્વાયરીઝ વગેરેની અગ્નિપરીક્ષામાં તેઓ વધુ ઉજળા થઈને, અણિશુદ્ધ સ્વરૂપે બહાર આવ્યા. આજે પતંજલિ પ્રોડક્ટ્સનું ટર્નઓવર વર્ષે પાંચ હજાર કરોડનું છે તે કંઈ મોદી સરકારની મહેરબાનીને કારણે નથી. આ સરકારને તો બે જ વર્ષ થયાં છે હજી. બાબાએ ખરી પ્રગતિ તો અગેન્સ્ટ ઑલ ઑડ્સ કરી છે. કૉન્ગ્રેસની - સોનિયાજીની - મનમોહન સિંહની સેક્યુલર સરકાર એમની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી, છતાં આટલી પ્રગતિ એમણે કરી. મોદીની જેમ રામદેવ પર પણ વર્ષો સુધી એમના વિરોધીઓ પથરા ફેંકતા આવ્યા છે. દસ વર્ષ તો શું પાંચ વર્ષ પહેલાં પણ કોઈએ નહોતું વિચાર્યું કે મોદી પ્રાઈમ મિનિસ્ટર બનશે કે રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સ દેશની ભલભલી મલ્ટિનેશનલ કંપનીઓના મોઢે ફીણ લાવી દેશે.

આપણે ત્યાં સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સમાં ભગવાં કપડાંધારીઓની મજાક કરવાની પ્રથા પડી ગઈ છે. ભારતીય સંસ્કૃતિની જે કોઈ વાતો કરે એમને પછાત, ગામડિયા અને અક્કલના ઓથમીર કહેવાની પ્રથા પડી ગઈ છે. આ પ્રકારના તમામ સેક્યુલરિયાઓને ભોંયભેગા કરીને સ્વામી રામદેવે દેશની નવી પેઢી સામે એક જબરજસ્ત રોલ મૉડેલ ઊભું કર્યું છે. આ કંઈ બિઝનેસની વાત નથી. તમારે ફેક્ટરી ખોલીને મધ, ટુથપેસ્ટ, ઘી, શેમ્પુ કેવી રીતે બનાવવાં અને કેવી રીતે હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવું એનું રોલ મૉડલ કંઈ તમારે બાબા પાસેથી શીખવાનું નથી. કોઈ જો એવું તમને ભરમાવતું હોય તો તમારે પહેલાં તો આ સંસારમાંથી સંન્યાસ લેવો પડે, પછી એક પણ રૂપિયાનો વહીવટ તમારી પાસે રાખ્યા વિના સાદીસીધી જિંદગી જીવવી પડે. બોલો, છે એવી તૈયારી? સ્વામી રામદેવ પાસેથી હજારો કરોડનો બિઝનેસ કરતાં શીખવાનું નથી. એથી આગળ એવું ઘણું ઘણું શીખવાનું છે. મારે હિસાબે સૌથી મોટી આ ત્રણ વાત શીખવાની છે.

૧. મોટી પ્રાપ્તિ માટે મોટો ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવાની તૈયારીરૂપે લાલચો પર કાબૂ રાખવાની પ્રેક્ટિસ કરવી પડે. બાબા હોય, મોદી હોય કે પછી વિરાટ કોહલી કે શાહરૂખ ખાન દરેક વ્યક્તિએ પોતાની જિંદગીમાં ઘણું બધું જતું કર્યું હોય છે ત્યારે જઈને તેઓ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી શકે છે.

૨. અપમાનોથી ડરવું નહીં અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને ભોંયભેગા કરી નાખવામાં શરમાવું નહીં. બાબા ખુલ્લેઆમ સાબુ બનાવતી કે મધ - ટૂથપેસ્ટ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓને પડકારે છે. કારણ કે એમની સ્પર્ધા કરવાની બાબામાં તાકાત છે.

૩. ધ્યેય સ્પષ્ટ રાખો. આજે વિચારો કે આમ કરીશું ને કાલે વિચારો કે તેમ એ રીતે જિંદગીમાં આગળ નહીં વધાય. અટવાયા કરશો. આંખ સામેનું નિશાન સ્પષ્ટ હોવું જોઈએ અને જિંદગીના કોઈપણ તબક્કે એ ટાર્ગેટ આઉટ ઑફ ફોકસ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું.

‘સ્વામી રામદેવ: એક યોગી - એક યોદ્ધા’ સંદીપ દેવે લખેલી સ્વામી રામદેવની પહેલી અને એકમાત્ર ઑફિશ્યલ બાયોગ્રાફી છે. પતંજલિ આયુર્વેદ ડૉટ નેટ પર આ અને બીજાં ઘણાં યોગ - આયુર્વેદ - કુદરતી ઉપચાર વિશેનાં પુસ્તકો તથા ડીવીડી તેમ જ પતંજલિની તમામ પ્રોડક્ટસ તમને ઑનલાઈન ખરીદી માટે મળી જશે. યુટયુબ પર એમની અઢળક વીડિયોઝ છે.

સ્વામી રામદેવ જે કંઈ કરી રહ્યા છે તે મારા-તમારા ને આખા દેશના ભલા માટે કરી રહ્યા છે. આવી શ્રદ્ધા જો કોઈનામાં ન હોય તો પણ એણે યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારને પોતાના જીવનમાં અનિવાર્ય બનાવી દેવાં જોઈએ. તનથી અને મનથી સ્વસ્થ રહેવું હશે તો આ બધું જ છેવટે કામ આવવાનું છે. તમે જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં કામ કરીને એના સર્વોચ્ચ સ્થાને પહોંચવાની તમન્નાને સાકાર કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા તમારું કશું જ નુકસાન કર્યા વગર, તમારી પાસે કોઈ ઝાઝો ખર્ચ કરાવ્યા વગર તમને ત્યાં સુધી લઈ જવામાં મદદ કરશે. કમ સે કમ મને તો પર્સનલી કરી જ રહી છે.
[આજનો વિચાર

૨૦૧૪ કા ચુનાવ જન આંદોલન કા રૂપ ધારણ કર ચુકા થા ઔર ઈસમેં સ્વામી રામદેવજી કી બહોત બડી ભાગીદારી થી. વે મિશન પર નિકલે ઔર ઈસકો જન આંદોલન કા રૂપ દે દિયા.

- નરેન્દ્ર મોદી ]


એક સાધુ ને યોગ કો ગુફા સે નિકાલકર લોગોં કે હૃદય કે આંગન મેં, નગર કે આંગન મેં, રાષ્ટ્ર કે આંગન મેં ઔર પૂરે વિશ્ર્વ કે આંગન મેં રખ દિયા હૈ. વિશ્ર્વ યોગ દિવસ મનાયા જાતા હૈ તો ઈસમેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા બડા યોગદાન હૈ, લેકિન સબસે બડા યોગદાન યદિ કિસી કા હૈ તો ઈસ ફકીર બાબા રામદેવ કા હૈ...

- મોરારી બાપુ

આજનો વિચાર

કિનારાને તમારી આંખોથી ઓઝલ થવા દેવાની તૈયારી ન હોય ત્યાં સુધી નવી ક્ષિતિજો સુધી તમારું જહાજ પહોંચવાનું નથી.

- વિલિયમ ફૉકનર


Thursday, January 28, 2016

‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો! -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા

8-11-2015
‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો!  
જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. રાજ્યપાલ જગમોહન કેન્દ્ર સરકારને મામલાની ગંભીરતા તેમના રિપોર્ટ દ્વારા આપી રહ્યા હતા, પરંતુ રાજીવ ગાંધી સરકાર અને રાજ્યમાં ફારુક સાથે સત્તા ભોગવતી કોંગ્રેસ ચૂપ હતાં. ઝિયાના મૃત્યુ પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે પછી પાકિસ્તાનમાં જાણે કોઈ બાળક ઘરેથી નીકળે ને મેદાનમાં રમીને પાછો આવે એટલી સરળતાથી કાશ્મીરના યુવાનો જવા લાગ્યા. તેમનો હેતુ પ્રવાસ કે પર્યટનનો નહોતો. તેમને ત્યાં કાયદેસર શસ્ત્ર તાલીમ અપાઈ રહી હતી. 

રાજ્યપાલ જગમોહને ઑગસ્ટ ૧૯૮૮ની તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ૫૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી પ્રવૃત્તિ માટેની તાલીમ લઈને પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમાંના કેટલાક પાસે ચીનના આક્રમક હથિયારો હતાં. અહીં આપણે નોંધવું જોઈએ કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી હિલચાલ થાય છે કે કોઈ દેશ પર હુમલો કરવાની નોબત આવે છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો એક થઈને હુમલો કરે છે. એ પણ જાણીતી વાત છે કે આ દેશોમાં મુખ્યત્વે ખ્રિસ્તીઓની બોલબાલા છે. આ દેશોમાં ઇસ્લામી ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી લેવાતી નથી. બીજી તરફ, પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન સહિતના ઇસ્લામિક દેશોનો ટેકો મળતો રહે છે. ચીન બૌદ્ધ ધર્મી છે. ક્યારેક લોકશાહી દેશની નબળાઈ બની જતી હોય છે. એક જ પક્ષનું શાસન હોવાના કારણે ચીન પોતે જ શક્તિશાળી છે. ચીનની પડખે મહદંશે રશિયા ઊભું રહે છે. 

ભારતની વાત કરીએ ત્યારે ભારતને કયા દેશનો ટેકો મળે છે? ભારત હિન્દુ બહુલ દેશ છે. પણ પહેલાં મહાત્મા ગાંધી-પં.નહેરુ-સરદારે અઘોષિત રીતે અને પછી ઈન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે ભારતને સેક્યુલર દેશ બનાવી દીધો. આ વિશ્ર્વમાં એકમાત્ર નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ ચીનની નીતિઓના કારણે આપણા શાસકો ઊંઘતા રહ્યા ને નેપાળ ચીનના ખોળામાં સરી પડ્યું. ત્યાં માઓવાદીઓ વર્ષ ૨૦૦૮માં શાસનમાં આવ્યા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં માઓવાદીઓ ત્રીજી સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવ્યા છે. હમણાં ડીઝલ-પેટ્રોલનું જે થયું તે નેપાળનું ભારતને બ્લેકમેઇલિંગ જ હતું. નેપાળના તાજા બંધારણમાં પણ તેને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરાયું નથી. જોકે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે પણ અને આજે નથી રહ્યું ત્યારે પણ ખાસ શક્તિશાળી નથી રહ્યું. તે ભારત પર જ મહદંશે આધારિત રહ્યું છે અને એક રીતે ભારતના એક અઘોષિત રાજ્ય જેવું જ રહ્યું છે. 

ક્યાંક ને ક્યાંક હિન્દુઓની એ નબળાઈ રહી કે ધર્મના નામે રીતિરિવાજો-કર્મકાંડોને જેટલું પ્રાધાન્ય આપ્યું તેટલું સત્તાને નહીં. ખોટા કર્મકાંડો, ખોટી પ્રતિજ્ઞાઓ ને ખોટા લાગણીવેડાના કારણે સત્તાથી હંમેશાં દૂર રહ્યા. ત્યાગને વધારે પડતું પ્રાધાન્ય આપી દેવાયું. દેશમાં અન્ય પંથ-ધર્મોને આવવા દેવાયા. તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર રહ્યા. તેમના પર પહેલેથી કોઈ નિયંત્રણ ન રાખ્યું. પરિણામે પરધર્મીઓની જનસંખ્યા વધતી ગઈ. અને તેમાંના અનેક લોકોનો પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોએ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. ૧૯૮૭માં શાહબાનો કેસથી જે રાજીવ ગાંધીએ મુસ્લિમોનું તુષ્ટિકરણ શરૂ કર્યું તે આજે એટલી હદે વધી ગયું છે કે જો આજની સ્થિતિએ કોઈ પણ સંસ્થાનાં મૂળ વિચારને કડીબદ્ધ કરવાનો હોય તો તે સંસ્કૃતમાં સંભવ જ ન બને. એલઆઈસીનો મૂળ વિચાર છે- યોગ ક્ષેમં વહામ્યહમ્, ન્યાયાલયનો મૂળ વિચાર છે - યતો ધર્મસ્તતો જય:, આકાશવાણીનો મૂળ વિચાર છે- બહુજન હિતાય, બહુજન સુખાય. દૂરદર્શનનો મૂળ વિચાર છે-સત્યમ્ શિવમ્ સુંદરમ્ આ લોગોને દૂર કરી દેવાયો હતો. જોકે તેને પાછો લવાયો. સારું છે કે મૂળ આ સૂત્રો કોંગ્રેસના સમયમાં આવ્યાં. આ બધાં સૂત્રો હવે જો મોદી સરકાર લાવે તો ભગવાકરણના આરોપો લગાવી દેવામાં આવે! 

ટૂંકમાં, ભારતની પડખે મજબૂતાઈથી ઊભાં રહે તેવાં રાષ્ટ્રો કોઈ નથી! આપણે રશિયાને વર્ષોથી સાચું ટેકેદાર માનતા આવ્યા છીએ, પણ તાશ્કંદ સમજૂતી વખતે પોતાને મહાસત્તા સાબિત કરવા રશિયાએ (તત્કાલીન સોવિયેત સંઘ) આપણને દગો દઈ દીધો હતો. આપણી આર્થિક શક્તિ ઘણી બધી રહી છે. આજે પણ છે. સાંસ્કૃતિક રીતે પણ આપણે હંમેશાં મહાન રહ્યા છીએ. પણ રાજકીય રીતે?

તો, આપણા મજબૂત અને મક્કમ સાથીદારો ન હોવાના કારણે આપણને વર્ષોથી તકલીફ પડતી રહી છે. પેલા સાપની વાર્તા જેવું થતું આવ્યું છે. સાપ અહિંસક હોવાથી તેને બધા પથ્થર મારતા. ઋષિએ તેને કહ્યું કે તને કરડવાની ના પાડી છે, ફૂંફાડો મારવાની નહીં. આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો ન કર્યો, પરંતુ તેનો અર્થ એવો થોડો છે કે આપણી પર કોઈ હુમલો ન કરે? તેના કારણે યુનાનીઓ, શક, હુણ, એલેક્ઝાન્ડર, તુર્કો, મોગલો એમ અનેક લોકોએ હુમલાઓ કર્યા. આ બધા હુમલામાં ક્યારેય આખું ભારત દાસ (ગુલામ) ન બન્યું, પરંતુ બ્રિટિશરો વખતે બની ગયું. અને બ્રિટિશરો આપણા ઇતિહાસ અને શિક્ષણમાં એવા ચેડાં કરતા ગયા કે આપણામાંના મોટા ભાગના માનસિક રીતે એમના ગુલામ થઈ ગયા. 

આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ભૂલી ગયા પણ હવે મધર્સ ડે, ફાધર્સ ડે યાદ કરવા લાગ્યા. ભાદરવામાં શ્રાદ્ધ ભૂલતા ગયા પણ હવે હેલોવીનને ઘુસાડાઈ રહ્યું છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા:’ ભૂલી ગયા ને વીમેન્સ ડે યાદ રાખવા માંડ્યા. વસંતપંચમી ભૂલી ગયા ને વેલેન્ટાઇન્સ ડેએ તેનું સ્થાન લઈ લીધું. ચૈત્ર સુદ એકમ કે કારતક સુદ એકમનું બેસતું વર્ષ ભૂલી ૩૧ ડિસેમ્બર ઉજવવા લાગ્યા.

ટૂંકમાં ૨૦૦ વર્ષમાં માનસિક રીતે પાંગળા બનાવવા તમામ પ્રયાસો અંગ્રેજોએ કર્યા ને તેમાં તેઓ સફળ રહ્યા. તેમને જેવા જોઈતા હતા તેવાના હાથમાં શાસન સોંપીને તેઓ ગયા. કેટલાક કાયદાઓ એવા ને એવા રાખ્યા. જેમ કે લંડનના સમાચારપત્ર ડેઇલી મેઇલના એક અહેવાલ પ્રમાણે, ૨૦૦ વર્ષથી ચાલ્યો આવતો કાયદો છે કે બ્રિટનના રાણી કે રાજા ભારતના કોઈ પણ ન્યાયાલયના નિર્ણયોની સમીક્ષા ધારે તો કરી શકે! નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી આ જરીપુરાણા કાયદાઓને કાઢવાનું હાથમાં તો લીધું હતું પરંતુ જે રીતે છેલ્લા અનેક મહિનાઓથી કામકાજ ઠપ કરાયું છે તે જોતાં તે કેટલું આગળ વધ્યું હશે તે કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રકુળ (કોમનવેલ્થ)માં હજુ પણ આપણે સભ્ય તરીકે ચાલુ છીએ. આ રાષ્ટ્રકુળ એવા દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટનના દાસ હતા. પંડિત નહેરુએ તેમાં સભ્ય બનવાનું નક્કી કર્યું ત્યારે જબરદસ્ત ઊહાપોહ થયો હતો. કોમનવેલ્થ નામ જ દાસત્વ (ગુલામી)નું સૂચક છે. બ્રિટિશની સામાન્ય સંપત્તિ એવો સામાન્ય અર્થ થાય. સ્વતંત્ર ભારતમાં બજેટ પણ અંગ્રેજોને અનુકૂળ સમયે રજૂ કરાતું! 

સ્વતંત્ર ભારતમાં પણ કેન્દ્રીય અંદાજપત્ર સાંજે પાંચ વાગે શરૂ થતું. કેમ? તો કે, બ્રિટિશકાળથી પરંપરા ચાલી આવતી હતી. બ્રિટિશરોએ આ પરંપરા એટલે પાડી કે ભારતના બજેટ વિશે તે ત્યાં બેઠા તેના સમય પ્રમાણે જાણી શકે. આપણે ત્યાં પાંચ વાગ્યા હોય એટલે ત્યાં બ્રિટનમાં સવારના ૧૧.૩૦ આસપાસ સમય થયો હોય. આ પરંપરા છેક વર્ષ ૨૦૦૦ સુધી એટલે કે અટલ બિહારી વાજપેયીની બિનકોંગ્રેસી સરકારના શાસન સુધી ચાલુ રહી. આ સરકારને પણ આ પરંપરા બદલતાં ત્રણ વર્ષ થયાં! હજુ વકીલોના કાળા કોટ ને શિક્ષણ પછી પદવીદાન સમારંભમાં કાળા ગાઉનની પરંપરા જેવી ઘણી બુડથલ બ્રિટિશ પરંપરાઓ ચાલુ જ રહી છે. 

આમ, આપણી પડખે મજબૂત રીતે ઊભો રહે તેવો કોઈ દેશ નથી. અને અંગ્રેજો આપણને સતત હેરાન કરતું રહે તેવું પાકિસ્તાન મૂકતા ગયા છે જેને અંગ્રેજો નબળા પડ્યા પછી અમેરિકા અને હવે ચીન પાળતું-પોષતું આવ્યું છે. તો બીજી તરફ, ચીન, બાંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશો પણ આપણા મિત્રો નથી. ઈઝરાયેલની જેમ આપણે ચોતરફ શત્રુ નહીં તોય વિરોધીઓથી તો ઘેરાયેલા છીએ જ અને કરુણતા એ છે કે ઇઝરાયેલની જેમ આપણી સરેરાશ પ્રજાની માનસિકતા લડાયક નથી. (આમ પાછી અંદરોઅંદર લડવામાં બહાદુર ખરી.)

એટલે કાશ્મીરમાં જે યુવાનો પાછા ફરેલા તેને પાકિસ્તાન, અમેરિકા અને ચીન એ ત્રણેયની મદદ મળતી હતી તે સાબિત થયું. કેમ કે તેમની પાસેથી ચીનનાં શસ્ત્રો મળ્યાં હતાં. તેમની તાલીમ પાકિસ્તાનમાં થઈ હતી અને અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું હતું. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની મદદથી બ્રિટનથી પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન આવેલો જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો નેતા અમાનુલ્લા ખાન કાશ્મીરના યુવાનોને ત્રાસવાદીઓ બનાવવાનું કામ કરી રહ્યો હતો. અને કાશ્મીરમાં રહેલા જમાત-એ-ઇસ્લામી જેવાં સંગઠનો, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી જેવાં પાકિસ્તાન તરફી તત્ત્વો કાશ્મીરના યુવાનોને ભારત વિરુદ્ધ સતત ભડકાવી રહ્યા હતા. કાશ્મીરની ફારુક અબ્દુલ્લાની કોંગ્રેસના સમર્થનવાળી સરકાર પણ ભ્રષ્ટ અને કોમવાદી હતી. 

આવી પરિસ્થિતિમાં ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૮ની મોડી સાંજે શ્રીનગરના રાણીબાગ મંદિર પર કેટલીક અજાણી વ્યક્તિઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ૧૭ સપ્ટેમ્બરની મધરાતે કાશ્મીર રેન્જના ડીઆઈજી અલી મોહમ્મદ વતાલી અને તેમના પરિવારજનો પર અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ચાર યુવાનોએ જીવલેણ હુમલો કર્યો. એક ત્રાસવાદી વળતા ગોળીબારમાં માર્યો ગયો. તેની પાસેથી રશિયાની બનાવટની ગન મળી આવી. આ સભ્યો જેકેએલએફ સંગઠનના હોવાનું મનાતું હતું અને તેમને પાકિસ્તાનમાં તાલીમ મળી હતી. ૨૨ સપ્ટેમ્બરે મકબૂલ બટને ફાંસીની સજા સંભળાવનાર નિવૃત્ત સેશન્સ જજ એન.કે. ગંજૂ પર ગોળીબાર થયો. ૨૩ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગે કાશ્મીરના ડીઆઈજી અને સીઆઈડીના આઈજી પર અંધાધૂંધ ગોળીબાર થયો. ૨૪ સપ્ટેમ્બરે શ્રીનગરના મ્યુઝિયમના સુરક્ષાકર્મી પર મોટરસાઇકલ પર આવેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો. 

અત્યારે કોંગ્રેસના ઈશારે સાહિત્યકારો, ફિલ્મકારો, ઇતિહાસકારો ને વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે કે દેશમાં અસહિષ્ણુતા છે, પણ જ્યારે કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા સાથે કોંગ્રેસનું શાસન અને કેન્દ્રમાં પણ રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે કાશ્મીરમાં કેવી અસહિષ્ણુતા હતી તેનો એક આ અજબ નમૂનો છે. ૨ ઑક્ટોબર, ૧૯૮૮ના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિન હતો. શ્રીનગરમાં નવા બનેલા હાઇ કોર્ટના સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ગણ્યાગાંઠ્યા મુસ્લિમ વકીલોએ તેનો વિરોધ કર્યો. તેમણે ધમકી આપી કે તેઓ ઉદ્ઘાટન સમારંભમાં તોફાન કરશે. 

ફારુક અબ્દુલ્લા જેઓ પણ અત્યારે નરેન્દ્ર મોદી સામે ચાલતી અસહિષ્ણુતાની ઝુંબેશમાં કૂદી પડ્યા છે, તેમણે તે વખતે એ સમારંભ જ રદ્દ કરી નાખેલો! અત્રે બરાબર નોંધવા જેવું છે કે જે પ્રતિમા સ્થાપિત કરાવાની હતી તે કોઈ હિન્દુ દેવી-દેવતા ભગવાન રામ, કૃષ્ણ કે ભારત માતાની નહોતી, જેની સામે મુસ્લિમોને વાંધો હોય. તે તો મહાન સેક્યુલર મહાત્મા ગાંધીની પ્રતિમા હતી! જેઓ મહદંશે મુસ્લિમોના પક્ષે જ રહ્યા હતા, ચાહે તે ખિલાફત મૂવમેન્ટ હોય કે પછી ઝીણાને વડા પ્રધાન બનાવવાની ઓફર હોય કે પછી પાકિસ્તાનને તેના ભાગના ૫૫ કરોડ તેણે પચાવી પાડેલું કાશ્મીર પાછું લીધા વગર આપી દેવા માટે ઉપવાસ આદરવાની વાત હોય. અને તો પણ કાશ્મીરના મુસ્લિમ વકીલોએ વિરોધ કર્યો ને ફારુક માની ગયા. ખરી અસહિષ્ણુતા કોની?

(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178221

15-11-2015
ધાર્મિક સંસ્થાઓના દુરુપયોગનો કાયદો કાશ્મીરમાં લાગુ ન કરાયો!

કાશ્મીરમાં ધાર્મિક અસહિષ્ણુતા અને અલગાવવાદ સતત વધી રહ્યો હતો. જગમોહને કેન્દ્ર સરકારને પહેલાં જ ચેતવણીના સંકેતો આપી દીધા હતા જે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધા નહોતા. પણ જગમોહન પાસે હવે પ્રત્યક્ષ રજૂઆત કરવાનો સમય આવ્યો હતો. ૧૯૮૮ના ઑક્ટોબરની ૧૦ અને ૧૧ તારીખે નવી દિલ્હીમાં રાજ્યપાલોની પરિષદ હતી. તેમાં સ્વાભાવિક જ અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ જ હોય. જોકે આ પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. જગમોહને અહીં પણ પોતાની વાત રજૂ કરી, પરંતુ છતાં કોઈ પગલાં લેવાયાં નહીં. 

દરમિયાનમાં વઝીર કમિશને જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લો રચવા ભલામણ કરી હતી. પરંતુ તે માટે ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસની સરકારે કોઈ પગલાં લીધાં નહીં. આથી સપ્ટેમ્બરથી આ જિલ્લાની રચના માટે આંદોલન શરૂ થયું હતું. જમ્મુથી માત્ર ૬૪ કિમી દૂર અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારના વિકાસ માટે સરકારને કોઈ પડી જ નહોતી. અને આંદોલન શરૂ થયું એના પહેલા દસ દિવસ સુધી પણ સરકારે આંખ આડા કાન કર્યા. આથી આંદોલનકારીઓએ પોતે જ રિયાસીને જિલ્લો જાહેર કરી દીધો અને તેમની રીતે ડેપ્યુટી કમિશનર પણ નીમી દીધા. પરિણામે આંદોલનના નેતાઓની ધરપકડ કરાઈ. બે મહિના ચાલેલા આંદોલનમાં હડતાળ, ધરણા અને સરઘસ જેવાં ગાંધીચીંધ્યા માર્ગોનો સહારો લેવાયો હતો. છેવટે સરકારે બાંયધરી આપી એટલે આંદોલન અટકાવી દેવાયું હતું. 

૨૭ ઑક્ટોબર, ૧૯૮૮. જમ્મુ-કાશ્મીર માટે આ દિવસ ખરેખર તો શુભ દિવસ હોવો જોઈએ કેમ કે આ દિવસે ભારતીય સેના પાકિસ્તાનના આક્રમણને ખાળવા શ્રીનગરના હવાઈ મથકે ઉતરી હતી અને જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું, પરંતુ કાશ્મીર ખીણમાં તેને શુભ દિવસ મનાતો નથી!

પંડિત જવાહરલાલ નહેરુ, શેખ અબ્દુલ્લા અને તેમના સંતાનો- ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ફારુક અબ્દુલ્લા-આ પાંચ જણા મારી દૃષ્ટિએ જમ્મુ-કાશ્મીરની દુર્દશા માટે સૌથી જવાબદાર છે. નહેરુ કલમ ૩૭૦ લાવ્યા. ઇન્દિરા ગાંધીએ કાશ્મીરના રાજકારણમાંથી સાવ ફેંકાઈ ગયેલા શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને તેમના પક્ષનો એક પણ ધારાસભ્ય ન હોવા છતાં તેમને મુખ્યપ્રધાન બનાવ્યા. રાજીવ ગાંધીએ પણ ફારુક અબ્દુલ્લાને પહેલાં રાષ્ટ્રવિરોધી કહ્યા અને પછી તેમની સાથે સમજૂતી કરી તેમની સાથે ભાગીદારીમાં સરકાર બનાવી. અને તે પછી આટલી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ વિશે ગવર્નર જગમોહને ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લીધાં નહીં. 

હવે આ કલમ ૩૭૦ કેટલી નડી ગઈ તે જુઓ. ૧, સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ કેન્દ્ર સરકાર એક સારો કાયદો લાવી હતી અને આ કાયદો મુખ્યત્વે શીખ અંતિમવાદી જર્નૈલસિંહ ભીંદરાનવાલે અમૃતસરના સુવર્ણમંદિરમાં છુપાઈ ગયો હતો તેને ધ્યાનમાં લઈને બનાવાયો હતો. આ કાયદાનું નામ હતું ધાર્મિક સ્થળોનો દુરૂપયોગ અટકાવવો. (રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્રિવેન્શન ઑફ મિસયુઝ ઍક્ટ, ૧૯૮૮). આ કાયદો ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ કરાયો પરંતુ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન કરાયો. કેમ? કારણ કે કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ પડતી હતી અને આ કલમ મુજબ, જો ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકાર ઈચ્છે તો જ આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડી શકે. આ કાયદાની સૌથી વધુ જરૂર અહીં હતી કેમ કે અહીં મસ્જિદ-મદરેસાઓનો સૌથી વધુ દુરૂપયોગ થતો હતો અને રાજકીય રીતે ઉશ્કેરણીઓ કરાતી હતી, પરંતુ ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકારે તેને મંજૂરી ન આપી અને તે માટે કારણ શું આપ્યું? જમ્મુ-કાશ્મીર અલગ છે. તેનું વ્યક્તિત્વ, તેની ઓળખ જુદાં છે. કેટલું વાહિયાત કારણ! જ્યારે રોમ ભડકે બળતું હતું અને નીરો ફીડલ વગાડતા હતા તેમ કાશ્મીર ભડકે બળવા લાગ્યું હતું અને દિલ્હીમાં રાજીવ ગાંધી પોતાની આસપાસની ચમચા ચોકડીના ચડાવેલા નશામાં હતા. તેમને, સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કે ફારુક અબ્દુલ્લાને ખબર નહોતી કે ઉપરોક્ત કાયદો જમ્મુ-કાશ્મીરમાં ન લાગુ થવાથી નજીકના ભવિષ્યમાં જ કેવી ભયંકર વિષમ પરિસ્થિતિ સર્જાવાની છે. 

નવેમ્બર ૧૯૮૮માં ફારુક અબ્દુલ્લા અને રાજીવ ગાંધીની સમજૂતીની બીજી વાર્ષિક તિથિ હતી પરંતુ રાજ્યની રાજધાનીમાં તેની કોઈ ઉજવણી થઈ નહીં. ખીણમાં હિંસા વધી રહી હતી. તો આ તરફ હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેય ઝઘડા શરૂ થઈ ગયા હતા. વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂ. ૧૧ અબજની સહાય (પેકેજ) આપવાની જાહેરાત કરી હતી પણ તે આપ્યું તો નહોતું. આથી ફારુક અબ્દુલ્લા હવે આ સહાય ન આપવા માટે રાજીવ ગાંધીની ટીકા કરવા લાગ્યા. તેમણે કહ્યું, મારી સહનશક્તિની કસોટીની કોઈ મર્યાદા તો હોય કે 

નહીં? (ઇન્ડિયા ટુડે, તા.૧૫ જાન્યુઆરી ૧૯૮૯).

૬ નવેમ્બરના દિવસને પણ કાશ્મીરીઓ ઇતિહાસમાં કાળા દિવસ તરીકે મનાવે છે. પાકિસ્તાન તરફી કટ્ટર મુસ્લિમોનું માનવું છે કે આ દિવસે વર્ષ ૧૯૪૭માં ભારતીય સેનાએ કાશ્મીરમાં મુસ્લિમોની મોટા પાયે હત્યા કરી હતી. કેવું જૂઠાણું! જે સેના કાશ્મીર અને કાશ્મીરીઓને પાકિસ્તાનથી બચાવવા ગઈ હતી તેના વિશે આવી વાતો ફેલાવવાની?

આ તરફ પાકિસ્તાનમાં લશ્કરી પ્રમુખ ઝિયા ઉલ હકના કમૃત્યુ પછી શું સ્થિતિ હતી? ૧૭ ઑગસ્ટ ૧૯૮૮એ ઝિયાના મૃત્યુ પછી સેનેટના પૂર્વ અધ્યક્ષ ગુલામ ઈશાક ખાને વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી હતી. તેમણે નવેમ્બર ૧૯૮૮માં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનમાં એક પ્રકારના ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. જેમ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને ઝિયા ઉલ હક આવ્યા અને ઝુલ્ફીકારને ફાંસી અપાઈ. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પુત્રી બેનઝીર દેશબહાર ચાલ્યાં ગયાં. ઝિયા ઉલ હકે જ્યારે ૧૯૮૬માં લશ્કરી કાયદો (માર્શલ લો) ઉઠાવી લીધો ત્યારે તેઓ ફરી પાકિસ્તાનમાં આવ્યાં હતાં. તે પછી તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ત્યારે તેમણે વર્ષ ૧૯૯૯માં ફરી પાકિસ્તાન છોડવું પડ્યું હતું. આ જ વર્ષમાં લશ્કરી વડા જન. પરવેઝ મુશર્રફે બળવો કરી સત્તા કબજે કરી અને પછી નવાઝ શરીફને દસ વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો. 

તો, નવેમ્બર ૧૯૮૮માં પાકિસ્તાનમાં જે ચૂંટણી યોજાઈ તેમાં સ્વાભાવિક જ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે થયેલા વર્તન અને તેમને અપાયેલી ફાંસીની સહાનુભૂતિ બેનઝીર ભુટ્ટોને મળી અને માત્ર ૩૫ વર્ષની વયે તેઓ પાકિસ્તાનનાં પહેલાં વડાં પ્રધાન બન્યાં. હવે બંને દેશોમાં યુવાન વડા પ્રધાન હતા. બંને દેશોમાં એ વ્યક્તિઓ વડા પ્રધાન હતા જેમના માતાપિતાએ સીમલા સમજૂતી કરી શાંતિ માટે પાયો નાખવાની (એ વખતના દાવા મુજબ) ઐતિહાસિક પહેલ કરી હતી. આથી અપેક્ષા તો સ્વાભાવિક જ એવી થાય કે હવે ભારત-પાકિસ્તાનના સંબંધો કાયમી ધોરણે સુધરી જશે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે.

બેનઝીરે સત્તાગ્રહણ કર્યાની શરૂઆતમાં તો ભારત-પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને સુધારવા પ્રયાસો કરવા ખાતરી આપી. એક વાત નોંધવી જોઈએ કે ભારતીય માધ્યમોના એક મોટા વર્ગમાં પાકિસ્તાનના શાસકો પ્રત્યે ખબર નહીં કેમ કૂણો ભાવ અને આદરનો ભાવ હંમેશાં દેખાઈ આવે છે. દા.ત. પાકિસ્તાનના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફ સ્વીકારી ચુક્યા છે કે તેમણે જ કારગિલ યુદ્ધ છેડ્યું હતું. તો પણ એનડીટીવીની બરખા દત્ત હોય કે રાજદીપ સરદેસાઈ (અત્યારે ઇન્ડિયા ટુડે ચેનલ, પહેલાં સીએનએન-આઈબીએન) કે રજત શર્મા યા અન્ય કોઈ ઇલે. મિડિયાના મોટાં માથાં ગણાતા પત્રકાર, મુશર્રફને સંબોધતી વખતે મુશર્રફ સાહબ જ કહેશે. જ્યારે ભારતના વડા પ્રધાનને મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદી કહીને જ સંબોધશે. મનમોહનસિંહજી કે મોદીજી પણ નહીં કહે. તેમાંય બેનઝીર ભુટ્ટોના રૂપના કામણથી અનેક પત્રકારો પ્રભાવિત હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે. માત્ર બેનઝીર જ શું કામ, થોડા સમય પહેલાં પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન હીના રબ્બાની ખાર માટેય આવો જ મામલો હતો. 

આમ પણ અમેરિકાના પ્રમુખ કે બ્રિટનના રાજા કે રાણી કે તેમનાં સંતાનો આવે છે તો પણ આપણા માધ્યમો, તેઓ કેટલા વાગ્યે ઊઠ્યા, કેટલા વાગે પ્રાત:ક્રિયા કરીથી માંડીને કેટલી વાર છીંક ખાધી જેવી ક્ષુલ્લક વાતો અને તસવીરોથી પાનાં અને ટીવી પર સ્લોટ ભરી દેતા હોય છે. આ આપણી માનસિક ગુલામી સિવાય બીજું કંઈ દર્શાવતું નથી. આપણા વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં જાય છે ત્યારે તેમની ખપ પૂરતી અને ઘણી વાર તો નેગેટિવ નોંધ વધુ લેવાતી હોય છે. આ તો ઠીક, હજુ પણ આપણાં માધ્યમો પૂર્વ રાજવીઓના વંશજોને પણ મહારાજા અને મહારાણી તરીકે સંબોધે છે- છાપે છે. શું તે લોકશાહીનું અપમાન નથી? શું તે આપણી માનસિક ગુલામીનું પ્રતીક નથી? પત્રકારોએ કોઈ પણ વ્યક્તિને આદર આપવો જોઈએ પરંતુ અહોભાવ કે મુગ્ધપણાથી મુક્ત રહેવું જોઈએ- ખાસ કરીને જ્યારે કેમેરા સામે તમે ઇન્ટરવ્યૂ કરતા હો.

આવું જ અત્યારના રાજકારણીઓ બાબતનું છે. વ્યક્તિઓ ચાહે તે નરેન્દ્ર મોદી હોય કે લાલુપ્રસાદ, શાહરુખ ખાન હોય કે સન્ની લિયોનને એટલા બધા ગ્લોરિફાય કરવામાં આવે છે, કે વાત ન પૂછો. અને અમુક ચેનલો પર તો વારંવાર કોઈ ને કોઈ બહાને દાઉદ ઇબ્રાહિમના ગુણગાન આડકતરી રીતે ગાવામાં આવતા હોય છે. આ બધું તો જવા દો, પટેલો માટે અનામત આંદોલન છેડનાર અને જેણે નક્સલી અને આતંકવાદી ભાષા બોલીને પોલીસોને મારી નાખવાની ઉશ્કેરણી કરી હતી, જેણે અનેક વર્ષો પછી ગામડેગામડે પહોંચેલા વીજળીના થાંભલાને ઉખાડી નાખવાની ઉશ્કેરણી કરી હતી તે હાર્દિક પટેલ જેવા હજુ ઉગતા અને નેતા બનવા મથતા વ્યક્તિ સાથે ફોટા પડાવીને કેટલાક પત્રકારો પોરસાતા હોય તેને કેવી વિટંબણા કહેવી! હાર્દિક પટેલના ઇન્ટરવ્યૂમાં પણ ઇન્ટરવ્યૂ લેતો મોટો પત્રકાર ચેનલનો હેડ હોય તે અત્યંત પ્રભાવિત દેખાતો હોય તો પછી ચોથી જાગીરના નામે ફાંકા મારવાનો આવા પત્રકારોને કોઈ હક નથી. 

તો, પાકિસ્તાનમાં બેનઝીરના સત્તામાં આવ્યા પછી શું થયું? કાશ્મીર મુદ્દે સંબંધો સુધર્યા? ના. ઝિયાએ જે અપકૃત્યો શરૂ કર્યા હતાં અને કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ કરાવ્યો હતો તે વધુ ને વધુ આગળ વધવાનો હતો!

(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178734

22-11-2015

ન ઉદાસ દેખાજે, ન ખુશ: ઝુલ્ફીકારે બેનઝિરને સલાહ આપેલી

તો, ૧૯૮૮માં પાકિસ્તાનમાં બેનઝિર ભુટ્ટો સત્તામાં આવ્યાં હતાં. ત્રણ રીતે આ વાત ભારત માટે મહત્ત્વની હતી. સર્વ પ્રથમ તો પાકિસ્તાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર લગભગ એક દાયકા પછી આવી હતી. બીજું, પાકિસ્તાનમાં સર્વ પ્રથમ વાર મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. ત્રીજું, તેઓ રાજકીય વારસો (લિગેસી) લઈને આવ્યાં હતાં. કયો રાજકીય વારસો? તેમના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો રાજકીય વારસો, જેમાં તેમણે ૧૯૭૧નું ભારત સામેનું યુદ્ધ હાર્યા પછી ભારત સાથે સીમલા સમજૂતી કરી હતી. 

આ સીમલા સમજૂતી જ્યારે થઈ ત્યારે પિતા સાથે બેનઝિર પણ ભારત આવ્યાં હતાં. આ મુલાકાત વખતની કેટલીક રસપ્રદ વાતો કરીએ જેથી તેઓ પોતે સત્તામાં આવ્યા તે પછી વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે ૧૯૮૮માં સમજૂતી કરી તેને આપણે સારી રીતે સમજી શકીએ. 

બેનઝિર ભુટ્ટોએ પોતાની આત્મકથા ડોટર ઑફ ઇસ્ટ’માં પોતાની સીમલા મુલાકાતનું રસપ્રદ વર્ણન કરેલું છે. તે ઉપરાંત સીમલા સમજૂતી અંગે અન્ય અહેવાલોમાંથી પણ બેનઝીર વિશે માહિતી મળે છે. પહેલાં બેનઝીરનું વર્ઝન જોઈએ. તેમણે લખ્યું છે:

૨૮ જૂન, ૧૯૭૨. મારા પિતા અને ઈન્દિરા ગાંધી વચ્ચે શિખર પરિષદ થવાની હતી. આ સમગ્ર ઉપખંડનું ભાવિ તેના પરિણામ પર નિર્ભર હતું. મારા પિતા મને પણ સાથે લઈ જવા ઈચ્છતા હતા. હું જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના જુનિયર વર્ષમાંથી ઉનાળાના વેકેશન માટે પાછી ફરી તેના એક અઠવાડિયા પછી તેમણે (ઝુલ્ફીકાર) મને કહ્યું હતું, જે કંઈ પરિણામ આવે તે, આ બેઠક પાકિસ્તાનના ઇતિહાસમાં વળાંક સાબિત થશે. હું તને તેમાં હાજર રાખવા માગું છું. તે વખતે મારા પિતા ખાલી હાથે જઈ રહ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી પાસે સોદાબાજી માટેના હુકમનાં તમામ પત્તાં હતાં.

મારા પિતાએ મને વિમાનમાં જ સલાહ આપી દીધી, મુલાકાત કઈ રીતે પ્રગતિ કરે છે તેના સંકેતો પર બધાની નજર હશે, તેથી જરા વધુ ધ્યાન રાખજે. તારે હસવું નહીં અને એવી છાપ પણ ન ઊભી થવા દેવી કે આપણા સૈનિકો ભારતના કેદીઓ બન્યા છે ત્યારે તું મજા કરી રહી છે. તારે ઉદાસ પણ ન દેખાવું કારણકે લોકો તેનું અર્થઘટન નિરાશાના સંકેત તરીકે કરશે. તેમની પાસે એ કહેવાનું કારણ ન હોવું જોઈએ કે તેના ચહેરાને જુઓ. મંત્રણા નિષ્ફળ જ ગઈ છે. પાકિસ્તાનીઓ હારી 

ગયા છે.

તો પછી મારે કેવા દેખાવું? બેનઝિરે પૂછ્યું. 

મેં તને પહેલાં જ કહી દીધું. ન તો ઉદાસ દેખાજે કે ન તો ખુશ.

એ તો બહુ મુશ્કેલ છે. 

જરા પણ નહીં.

તેઓ ખોટા હતા. જ્યારે અમે ચંડીગઢ ખાતે પ્રેસિડેન્શિયલ પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ગયાં જે અમને બ્રિટિશ રાજ વખતની ઉનાળાની રાજધાનીમાં લઈ જવાનું હતું ત્યાં આવો તટસ્થ દેખાવ રાખવો મુશ્કેલ હતો. એમાંય જ્યારે અમે ફૂટબોલ પિચ પર, ટેલિવિઝન કેમેરાઓની ચાંપતી નજર હેઠળ હેલિકોપ્ટરમાંથી ઊતર્યા ત્યારે શ્રીમતી ગાંધીએ પોતે અમને આવકાર્યાં ત્યારે આ (ન હસવું કે ન ઉદાસ રહેવું) ખૂબ જ મુશ્કેલ હતું. મેં તેમને કહ્યું, સલામ અલૈકુમ. જે મુસ્લિમોની અભિવાદન કરવાની રીત હતી. તેના જવાબમાં શ્રીમતી ગાંધીએ નમસ્તે કર્યા. 

થોડી બ્રેક મારીને એક વાત કરી લઈએ. ઈન્દિરા ગાંધી વખત સુધી કોગ્રેસનું તુષ્ટીકરણ સાવ નીચી હદ સુધી ગયું નહોતું, જે રાજીવ ગાંધીના આવ્યા પછી જવા લાગ્યું, ખાસ કરીને શાહબાનો કેસ પછી. યાદ હોય તો જ્યારે પાકિસ્તાનના લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ ૨૦૦૧માં કારગિલના યુદ્ધ પછી ૧૪ જુલાઈ, ૨૦૦૧એ ભારત આવ્યા ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સુષમા સ્વરાજે આદાબ કે કુર્નિશ જે કહેવાય તે કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ શું યોગ્ય કહેવાય? આના કારણે પાકિસ્તાની મીડિયામાં આનંદ છવાઈ ગયો હતો. હિન્દુવાદી ગણાતા પક્ષ ભાજપનાં એક નેતા આ રીતે કુર્નિશ કરે અને તે પણ કારગિલ યુદ્ધ છેડનાર સામે!

ફરી સીમલા સમજૂતીની વાત પર પાછા ફરીએ. બેનઝિર આગળ લખે છે: 

જ્યારે એક તરફ સમજૂતી અંગે સઘન વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે બીજી તરફ, હું જ્યારે પણ હિમાચલ ભવન, જે પંજાબના બ્રિટિશ ગર્વનરોનું પૂર્વ નિવાસસ્થાન હતું, તેની બહાર જતી ત્યારે લોકો લાઇન લગાવીને ઊભા રહેતા જોવા મળતા. તેઓ મને તાક્યા કરતા. ચિચિયારી કરતાં ટોળાં મારી પાછળ પાછળ આવતાં. ભારતમાં આવવા માટે મને આવકારતા પત્રો અને તાર (ટેલિગ્રામ)નો ઢગલો થઈ ગયો. એકમાં તો સૂચન પણ કરાયું હતું કે મને મારા પિતાએ ભારતમાં દૂત તરીકે નિમવી જોઈએ! પત્રકારો અને લેખો લખનારાઓએ મારો ઇન્ટરવ્યૂ લેવા ધસારો કર્યો. 

બેનઝિર લખે છે: મારાં કપડાં રાષ્ટ્રીય ફેશન થઈ ગઈ, પણ મારા માટે એ શરમજનક વાત હતી કેમ કે એ બધાં કપડાં મારી બહેનપણી સામિયાની બહેનના હતાં જે મેં પહેરવા માગ્યાં હતાં! મારા પોતાના કપડાંના કબાટમાં તો જીન્સ, સ્વીટશર્ટ, ઇન્ફોર્મલ ખમીઝ હતા. મને એમ હતું કે મને યુદ્ધ અને શાંતિ વિશે પ્રશ્ર્નો પુછાશે પરંતુ મને તો મારાં કપડાં અંગે પ્રશ્નો પુછાતા રહ્યા. છેવટે મેં જવાબ આપ્યો, ફેશન તો મધ્યમ વર્ગનો પાસ્ટાઇમ છે.

મારા પિતા અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના અન્ય લોકો સમજી ન શક્યા કે મને શા માટે આટલું મહત્ત્વ મળી રહ્યું છે. ગંભીર મુદ્દાથી વાતને ફંટાવવા માટે તને મહત્ત્વ અપાઈ રહ્યું લાગે છે. મારા પિતાએ સમાચારપત્રમાં ટોળા સામે હાથ હલાવીને અભિવાદન કરતી પહેલા પૃષ્ઠ પર છપાયેલી મારી તસવીર જોઈને કહ્યું, સાવધ રહેજે. તેમણે મને 

ચિડવી, તું મુસોલિની જેવી લાગે છે.

તેમની વાત સાચી હતી. મંત્રણાઓ સંપૂર્ણ ગુપ્ત રખાતી હતી. આના કારણે જે આંતરરાષ્ટ્રીય પત્રકારો ભેગા થયા હતા તેમને મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પરંતુ મને લાગે છે કે મને જે અભૂતપૂર્વ સત્કાર મળતો હતો તેનું બીજું પણ કારણ હતું. 

હું નવી પેઢીનું પ્રતીક હતી. હું ક્યારેય ભારતીય નહોતી. હું સ્વતંત્ર પાકિસ્તાનમાં જ જન્મી હતી. હું જટિલતાઓ અને પૂર્વગ્રહથી મુક્ત હતી. આ પૂર્વગ્રહોના કારણે તો વિભાજન વખતે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે લોહિયાળ રમખાણો થયાં હતાં. કદાચ લોકોને આશા હતી કે જે દુશ્મનીના કારણે ત્રણ-ત્રણ યુદ્ધો ભારત-પાકિસ્તાન વચ્ચે થયાં છે તે આ નવી પેઢી અવગણી શકશે. માતાપિતા અને દાદા-દાદીનો કડવો ભૂતકાળ આ પેઢી ભૂલી જશે. મને લાગ્યું કે આ તદ્દન શક્ય છે. શું આપણે નફરતની દીવાલોથી વિભાજિત જ રહેવાનું છે કે પછી લડીને બાદમાં એક થયેલા યુરોપની જેમ આપણે એક થઈ શકીએ છીએ?

બેનઝિર ઈન્દિરા ગાંધી વિશે પોતાનો અનુભવ લખે છે: 

૩૦ જૂને તેમણે યોજેલા ભોજન સમારંભમાં તેઓ સતત મને જોતાં રહ્યાં, જેના કારણે મને ચિંતા થઈ ગઈ. ઈન્દિરા ગાંધીની હું પ્રશંસક હતી...તેમના વિશે હું માહિતી જાણતી હતી...તેમને શરૂઆતમાં કોંગ્રેસીઓ ગૂંગી ગુડિયા સમજતા હતા, પરંતુ તેમણે બધાને પછાડી દીધા હતા. મેં તેમની સાથે વાત કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ખૂબ જ મિતભાષી હતાં. તેઓ અંતર્મુખી હતા. એક સતત તણાવ રહેતો જે તેઓ હસે ત્યાર જ દૂર થતો.

મને બીજી ચિંતા એ વાતની હતી કે મેં સિલ્કની સાડી પહેરી હતી જે મને મારી માતા (નૂસરત ભુટ્ટો)એ ઉછીની આપી હતી. જોકે તેમણે મને શીખવ્યું હતું કે શરીર ઢંકાઈ રહે તે રીતે તેને કેમ પહેરવી, પરંતુ મને ચિંતા હતી કે ક્યાંક સાડી ખૂલી ન જાય! મને મારી ફઈ મુમતાઝની વાત યાદ આવી ગઈ. તેઓ જર્મનીમાં હતાં ત્યારે એક સુપરમાર્કેટમાં એસ્કેલેટરમાં તેમની સાડીનો છેડો ફસાઈ ગયો હતો. સાડી ખૂલી ગઈ હતી. છેવટે એસ્કેલેટર બંધ કરાયું ત્યારે ફરી તે પહેરી શકાઈ. પણ આ યાદથી કોઈ મદદ ન મળી. શ્રીમતી ગાંધી (ઈન્દિરા) મારા સામું જોતાં જ રહ્યાં. 

કદાચ તેઓ મને જોઈને ડિપ્લોમેટિક મિશનને યાદ કરતા હશે જ્યારે તેઓ પણ મારી જેમ તેમના પિતા સાથે ગયાં હતાં, તેમ મેં મારા મનમાં વિચાર્યું. શું તેમને મારામાં પોતાની જાત દેખાતી હશે? શું તેમને મારામાં અન્ય એક રાજનીતિજ્ઞની દીકરી દેખાતી હશે? શું તેઓ એક દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ યાદ કરતા હશે? તેઓ ખૂબ જ ઠીંગણા અને નાજુક હતાં. તો પછી પેલી જાણીતી સખ્તાઈ ક્યાંથી આવી હશે? તેમણે તેમના પિતા સામે બળવો કરીને એક પારસી રાજકારણી સાથે લગ્ન કર્યાં હતાં અને એ લગ્ન સફળ ન રહ્યાં અને બંને જણાં અલગ-અલગ રહેવા લાગ્યાં. હવે તેમના પિતા અને પતિ બંને મૃત્યુ પામ્યાં છે. શું તેઓ એકલતા અનુભવતાં હશે?

મને વિચાર આવ્યો કે કદાચ સિમલામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળથી કેટલીક ઐતિહાસિક સ્મૃતિઓ જીવંત બની હશે. આ એ જ શહેર હતું જ્યાં તેમના પિતા મોહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાનને હિન્દુ ઇન્ડિયા (યાદ રાખો આ શબ્દો બેનઝિરના છે.)માંથી મુસ્લિમ પાકિસ્તાનનો નવો દેશ બનાવવા ભેગા થયા હતા. અને હવે વડાં પ્રધાન તરીકે પોતે પણ અલગ મુસ્લિમ દેશ ટકી રહે તે સુનિશ્ર્ચિત કરી શકે છે. અથવા તેઓ તેનો નાશ કરવા પ્રયાસ કરી શકે છે. તેઓ કયા રસ્તે જશે? તેનો જવાબ ચાર દિવસ પછી આવ્યો...
(ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmSearch.aspx

29-11-2015










બ્રહ્માંડમાં દેખાતી નિયમિતતા અને ગતિનું મૂળ ક્યાં? --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


                                          


આપણે સવારે ઊઠીએ ને સૂર્યોદય થાય. હકીકતમાં સૂર્યોદય થાય અને સવાર થાય અને આપણે ઊઠીએ. સૂર્યોદય બરાબર નિયમિત રીતે થાય. કોઈ પણ એક દિવસ એવો ન હોય જે દિવસે સૂર્યોદય ન થાય. હાં, વાદળા હોય તો સૂર્યના દર્શન ન થાય તે જુદી વાત છે. તેવી જ રીતે સૂર્યાસ્ત પણ નિયમિત રીતે થાય છે. રાત્રે ચંદ્રોદય પણ નિયમિત રીતે થાય છે અને સવારે ચંદ્રાસ્ત પણ નિયમિત રીતે થાય છે. સૂર્ય અને ચંદ્રની આકાશમાં થાળીઓ લગભગ સમાન લાગે છે પણ તેમની સાઈઝ સમાન નથી. ઘણા લોકો માને છે કે સૂર્ય અને ચંદ્ર સમાન સાઈઝના છે અને બંને સૂર્યો છે. એક દિવસનો અને એક રાતનો, સૂર્ય, ચંદ્ર કરતાં કદ ()માં ૮ કરોડ ૩૨ લાખ ગણો મોટો છે અને પૃથ્વી કરતાં કદ ()માં ૧૩ લાખ ગણો મોટો છે. સૂર્ય સ્વયંપ્રકાશિત તારો છે. જ્યારે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર સ્વયં-પ્રકાશિત નથી, ચંદ્ર પૂર્ણિમાને દિવસે પૃથ્વીના સંદર્ભે સૂર્યની બરાબર સામે આવી જતો હોવાથી પૂર્ણ દેખાય છે. હકીકતમાં તે અર્ધ છે. ચંદ્રના ગોળાનો એક અર્ધ ભાગ જ આપણને દેખાય છે. ચંદ્રની ગતિ એવી છે કે તેનો એક જ અર્ધગોળો પૃથ્વી સમક્ષ રહે છે. સૂર્ય, પૃથ્વીના સંદર્ભે ચંદ્ર કળા કરતો દેખાય છે. અમાસને દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જતો હોવાથી અને તે સ્વયંપ્રકાશિત ન હોવાથી રાતે ગાયબ થયેલો લાગે છે. હકીકતમાં તે ગાયબ થતો નથી. આકાશમાં જ હોય છે પણ તેનો જે ભાગ પૃથ્વી સામે છે તેના પર સૂર્યપ્રકાશ પડતો નથી માટે તે દેખાતો નથી. 

ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે અને નિયમિત રીતે કળા કરે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતા જે સમય લાગે છે તે જ સમય તેને કળાનું ચક્ર પૂરું કરતાં થાય છે એને આપણે મહિનો કહીએ છીએ. ચંદ્ર જે કળા કરે છે તેથી જ પુરાતન માનવીને સૌપ્રથમ સમયનો વિચાર આવ્યો. આમ ચંદ્ર નિયમિત કળા કરે છે. સૂર્ય અને ચંદ્રે સૌપ્રથમ આપણને સમયનું ભાન કરાવ્યું અને નિયમિતતા અર્પી. આમ આપણને બ્રહ્માંડમાં નિયમિતતાના પ્રથમ દર્શન કરાવનાર સૂર્ય અને ચંદ્ર છે.

શું સૂર્યોદય-સૂર્યાસ્ત, ચંદ્રોદય-ચંદ્રાસ્તે આપણને નિયમિતતા આપી? બ્રહ્માંડમાં જે સાચું છે તે ઘણીવાર દેખાતું નથી અને દેખાય છે તે ઘણીવાર સાચું હોતું નથી. સૂર્ય અને ચંદ્રે આપણને નિયમિતતા આપી જ નથી. નિયમિતતા આપનાર આપણી પૃથ્વી છે. તે તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સ્વયંપ્રકાશિત નથી અને ગોળો છે માટે દિવસ-રાત થાય છે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની નિયમિતતા આપનાર સૂર્ય અને ચંદ્ર નથી પણ પૃથ્વી પોતે જ છે.

દિવાળી આવે ઠંડીની ઋતુ શરૂ થાય. હુતાશની આવે વસંતઋતુ આવે પછી ઉનાળો આવે અને પછી વર્ષાઋતુ શરૂ થાય. ઋતુઓને આ નિયમિતતા કોણે અપી? પૃથ્વીની વાંકી ધરીએ. બોલો લો. પૃથ્વી થોડી વાંકી વળી ગઈ અને આપણને ઋતુઓની નિયમિતતા મળી ગઈ. વર્ષની નિયમિતતા જે આપણને મળી છે તે છેવટે તો પૃથ્વીએ જ તો આપણને આપી છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેથી આપણને વર્ષની નિયમિતતા મળી છે. 

ચંદ્ર મહિનાના ચાર ભાગ પાડી સમયને થોડા નાના યુનિટમાં વહેંચ્યો છે. તે પડવેથી સુદ આઠમ, સુદ આઠમથી પૂર્ણિમા અને પૂર્ણિમાથી વદ આઠમ અને વદ આઠમથી અમાસ. આમ સમયને નાના યુનિટમાં વહેંચી શકાય છે તે બાબતની જાણ આપણને ચંદ્રે કરી. પૃથ્વીની વાંકી ધરીએ સૂર્યના માર્ગને ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં વહેંચી વર્ષના છ, છ મહિનાના બે ભાગ કરી વર્ષને બે સબ યુનિટમાં વહેંચ્યું. 

પ્રકાશિત તારા લગભગ સરખા અંતરે સ્થિત હોવાથી પૃથ્વીના ધરીભ્રમણે રાત્રિના લગભગ સરખા ૧૨ ભાગ કર્યા. તેથી દિવસના પણ ૧૨ ભાગ થયા અને આપણને ર૪ કલાકનો દિવસ મળ્યો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી હોવાથી તારા દરરોજ ૪ મિનિટ વહેલા ઊગે છે. તેણે કલાકની ૬૦ મિનિટ આપી. પૃથ્વીના સૂર્ય ફરતેના પરિભ્રમણે આપણને અલગ અલગ ઋતુમાં અલગ અલગ તારા-નક્ષત્રોના દર્શન કરાવી ઋતુઓની ઓળખાણ કરાવી. દા. ત. મૃગશીર્ષ તારામંડળ આકાશમાં નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું કે શિયાળો બેઠો છે. રાત્રિ આકાશમાં વિંછુડો નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું વર્ષાઋતુ શરૂ થવાની છે. આકાશમાં સિંહ રાશિ દેખાવાની શરૂ થાય એટલે સમજવું કે ઉનાળો શરૂ થશે. આમ આપણને લાગે કે આ બધી નિયમિતતા આપણને છેવટે પૃથ્વીએ આપી છે.

હકીકતમાં આ બધી નિયમિતતા આપણને પૃથ્વીએ આપી નથી, પણ ભૂતકાળમાં સંકોચન પામેલી સૌર-નિહારિકાએ આપી છે. સૌર નિહારિકા ધરીભ્રમણ કરતી હતી અને ગુરુત્વાકર્ષણને લીધે સંકોચન પામતી હતી તેણે ગ્રહોને અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ અપ્યાં અને આપણને નિયમિતતા મળી. પણ સૌર-નિહારિકાને અક્ષભ્રમણની નિયમિતતા કોણે આપી? તો કહે આપણી આકાશગંગા મંદાકિનીએ. આકાશગંગા તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે. માટે સૌર-નિહારિકાને પણ તે ગતિ મળી હતી.

આપણી આકાશગંગા મંદાકિનીને તેનું અક્ષભ્રમણ કોણે આપ્યું? આકાશગંગા મંદાકિનીમાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયાં અને બંને વચ્ચે ખૂણો બન્યો તેણે આકાશગંગાને ગોળ ગોળ ઘુમાવવાનું શરૂ કર્યું. પણ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આકાશગંગા મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો કેવી રીતે ઉત્પન્ન થયાં? એ ગુરુત્વાકર્ષણે ઉત્પન્ન કર્યાં, કારણ કે ગુરુત્વાકર્ષણે મંદાકિનીના પદાર્થને આકર્ષી તેમની વચ્ચે ટક્કર શરૂ કરાવી. તેમાંથી ઈલેક્ટ્રોન્સ બહાર પડ્યાં. મંદાકિનીમાં આયોનાઈઝેશન (આયનીકરણ) શરૂ થયું. પ્રવેગી ઈલેક્ટ્રોન્સે ચૂંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થયું. આ બે ક્ષેત્રની અસમતુલાએ મંદાકિનીને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. આમ છેવટે ગુરુત્વાકર્ષણે આ બધાં ચક્રો શરૂ કર્યાં. ભલે પ્રારંભ ગુરુત્વાકર્ષણે કર્યો પણ પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો તેને સહારો મળ્યો. પણ પદાર્થનો ગુણ તો ગુરુત્વાકર્ષણ જ ગણાય. એ પદાર્થમાં જે ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હતા જે પદાર્થ જ છે પણ તે વિદ્યુતભારવાળા છે. તેણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. આમ છેવટે પદાર્થની નાભિમાં રહેલાં ગુરુત્વાકર્ષણબળ, વિદ્યુતબળ અને ચૂંબકીયબળ બ્રહ્માંડના જાત જાતના અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. નથી સૂર્ય, નથી ચંદ્ર, નથી પૃથ્વી. સૂર્યને પોતાને જે અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ છે તે છેવટે પદાર્થની નાભિસ્થિતિ ઉપરોક્ત બળોને જ આભારી છે. છેવટે બધું સૂક્ષ્મમાંથી જન્મે છે. માટે જ અણુ-પરમાણુને સમજવા ખૂબ જ જરૂરી છે. અણુ-પરમાણુ છે તો નાના પણ નાના નથી. પૂરા બ્રહ્માંડની તાકાત તેમાં સમાયેલી છે. વિશાળ જગતને સમજવાની ચાવી આ સૂક્ષ્મજગત તેની પાસે લઈને બેઠું છે. 

વિજ્ઞાનીઓ માટે જ સૂક્ષ્મજગતને સમજવા પાછળ લાગ્યાં છે. તેઓ સૂક્ષ્મજગત અને વિશાળ જગત વચ્ચેના બ્રિજના અનુસંધાનને શોધવા મથે છે. હજુ સુધી તે અનુસંધાન દેખાતું નથી. આ બ્રહ્માંડમાં દેખાતી બધી જ ક્રિયાઓનું મૂળ ભલે તે ગ્રહોનું અક્ષભ્રમણ હોય કે કક્ષાભ્રમણ કે કોઈ પણ ગતિ હોય કે કોઈ પણ નિયમિતતા હોય તે છેવટે સૂક્ષ્મજગતને આભારી છે. અણુ-પરમાણુને આભારી છે. માટે જ નિયમિતતા અને ગતિ દૈવી છે. આપણો આ દેહ છેવટે તો નાની નાની પેશીઓ-અણુ-પરમાણુ પર જ ઊભો છે. નાના-નાના-જીન્સ પર બંધાયેલ છે. આ વિશાળ બ્રહ્માંડ સૂક્ષ્મ અણુ-પરમાણુ પર ઊભું છે. એ અણુ-પરમાણુએ જ ગુરુત્વાકર્ષણ, વિદ્યુત, ચુંબકીય, આણ્વિક, રેડિયો-એક્ટિવિટી ક્ષત્રોને બળોને જન્મ આપી બ્રહ્માંડમાં નિયમિતતા સર્જી છે. 

અણુમાં ઈલેક્ટ્રોન્સને કક્ષાભ્રમણ આપેલ છે અને અક્ષભ્રમણ પણ આપે છે. આમ ગતિનું ઉત્પન્ન સ્થાન અણુ-પરમાણુ છે. માટે જ કણ્વઋષિએ બ્રહ્માંડનો છેવટનો આધાર કણ છે અને કણને જરા પણ નજરઅંદાજ કરવું નહીં જોઈએ તે વાત કરી સૂક્ષ્મ કણોને સમજવાની અને સમજાવવાની શરૂઆત કરી. કણ્વઋષિ નામ પ્રાપ્ત કર્યું. રસપ્રદ વાત એ છે કે કણ્વઋષિ પ્રભાસ-પાટણ-ગુજરાતના હતા અને ઈસુની પહેલાની છઠ્ઠી સદીમાં થઈ ગયા હતા. જગતને-બ્રહ્માંડને સૂક્ષ્મકણોના જ્ઞાનની દિશામાં લઈ જનાર પ્રથમ માનવી ઋષિ કણ્વ હતા. આપણા ગણપતરાય ર. જાની જે માટુંગામાં રહે છે તેઓએ ગીતામાંથી સૂક્ષ્મ જ્ઞાન સમજીને આ ભૌતિકજગત છેવટે સૂક્ષ્મજગતને આભારી છે તે પ્રતિપાદન કરતા આવ્યા છે. કણ્વઋષિ પ્રથમ ઋષિ હતા જેમણે સૂક્ષ્મજગતમાં ડૂબકી મારી હતી જેનો હજુ સુધી તાગ નીકળ્યો નથી. સૂક્ષ્મજગત વિશાળ બ્રહ્માંડ કરતાં અબજોગણું ઊંડું સાબિત થયું છે એટલે કે વિશાળ સાબિત થયું છે. વિશાળતાને તેણે અબજોગણી સંકીર્ણ બનાવી દીધી છે અને વિશાળતાએ તેનો અર્થ ગુમાવી દીધો છે. તે તાકાત સૂક્ષ્મ બ્રહ્માંડની છે. છેવટે બધું નાભિમાંથી ઉત્પન્ન થયું છે, વિષ્ણુ ભગવાનની નાભિમાંથી.

સૂક્ષ્મ એ સૂક્ષ્મ નથી, વિરાટ છે, વિરાટ એ વિરાટ નથી સૂક્ષ્મ છે, આ જ તો બ્રહ્માંડની માયા છે. વિરાટમાં સૂક્ષ્મ સમાયેલ છે. સૂક્ષ્મમાં વિરાટ સમાયેલ છે. તેમાં કોઈ ભેદ નથી બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું એ નરસિંહ મહેતાના ભજનની કડી યથાર્થ સાબિત થાય છે. માટે જ્યારે તમે નિયમિતતા અને ગતિની વાત કરો ત્યારે અણુ-પરમાણુને યાદ કરવાં જરૂરી છે. છેવટે બધું નાના અણુ-પરમાણુમાં સમાયેલું છે. જ્યારે પશ્ર્ચિમ અંધકારયુગમાં હતું ત્યારે ભારતે વિશાળ બ્રહ્માંડ અને ઊંડાં સૂક્ષ્મ બ્રહ્માંડને આત્મસાત્ કર્યાં હતાં. આજે આપણે ક્યાં છીએ તે વિચારવું રહ્યું.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=179353

બ્રહ્માંડ ન્યુટ્રિનોનો મહાસાગર: કોઈ રોકટોક નહીં -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આ વર્ષનું નોબેલ પ્રાઈઝ બે વિજ્ઞાનીઓને આપવામાં આવ્યું છે. એક જાપાનના છે અને બીજા કેનેડાના. આ બંને વિજ્ઞાનીઓએ એમ શોધી કાઢ્યું અને સાબિત કર્યું કે ન્યુટ્રિનોને દળ છે. તે દળ વગરના કણો નથી. એ પહેલાં ત્રણ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું કે ન્યુટ્રિનો ત્રણ પ્રકારનાં છે અને તે જે સ્ત્રોતમાંથી નકળે છે ત્યારે રસ્તામાં તે તેની જાત બદલે છે, માટે પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની ગણતરીનો તાળો મળતો આવતો નથી. ન્યુટ્રિનોના ત્રણ પ્રકારમાં ઈલેક્ટ્રોન ન્યુટ્રિનો, મ્યુઓન ન્યુટ્રિનો અને ટાઉ ન્યુટ્રિનોો છે. આ બધા ન્યુટ્રિનો વળી પ્રતિપદાર્થકણો છે. આમ ન્યુટ્રિનોના કુટુંબમાં છે ન્યુટ્રિનો છે. જોવાનું એ છે કે ન્યુટ્રિનો અને તેનો પ્રતિપદાર્થ બંને એક જ છે. 

ન્યુટ્રિનો ૧,૬૦૦૦૦ અબજ કિલોમીટરની દીવાલમાંથી પસાર થઈ જાય છે તો આવી જાડી દીવાલ પણ તેને રોકી શકતી નથી. તો દીવાલની સાથે જરાપણ ઘર્ષણમાં ઊતરતો નથી અને પસાર થઈ જાય છે. તેથી તે બ્રહ્માંડના છેડેથી પણ પૃથ્વી પર આવી શકે છે. તે જરા પણ રોકટોક વગર પૂરા બ્રહ્માંડમાં વિહાર કરે છે. તે કોઈ પણ પદાર્થમાં શોષાતો નથી. તે કોઈ પણ પદાર્થની સાથે ગતિવિધિ કરતો નથી, નથી સંઘર્ષમાં ઊતરતો. તે વિરકત છે. તેને કોઈ પણ વસ્તુનો રંગ લાગતો નથી. તે નાશ પામતો ન હોઈ અને પૂરા બ્રહ્માંડમાં વિહાર કરતો હોવાથી તે બ્રહ્માંડનો ખરો મેસેન્જર (સંદેશવાહક) છે, તે લગભગ પ્રકાશની ગતિથી ચાલે છે. તેને નહિવત્ પદાર્થ તો છે. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું મોટું રહસ્ય છે અને તે આપણને બ્રહ્માંડનું રહસ્ય બતાવી શકે છે. તે કાંઈ જ નથી પણ કાંઈક છે. હકીકતમાં તે સર્વસ્વ છે. 

ન્યુટ્રિનોનું નામ પાડનાર વિખ્યાત અણુવિજ્ઞાની એન્રીકો ફર્મી હતા. ન્યુટ્રિનોના અસ્તિત્વની આગાહી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી વોલ્ફગાંગ પૌલીને ૧૯૩૦માં કરી હતી, પણ તેની શોધ છેક ૧૯૫૬માં થઈ પણ ત્યારથી માંડી ૫૯ વર્ષ પછી તેને વિજ્ઞાનીઓ સમજ્યા અને ઓળખવા પામ્યાં છે. તેને નહીંવત્ પદાર્થ () છે, પણ તે લગભગ ઊર્જારૂપમાં છે.

ન્યુટ્રિનોેક્ષેત્રે કાર્ય કરતા કેટલાય વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઈઝ મળ્યા છે. એક જ ક્ષેત્રમાં ત્રણ નોબેલ પ્રાઈઝ દેવાયા છે તે જ દર્શાવે છે કે આ વિષય કેટલો અગત્યનો છે. 

ભૌતિકશાસ્ત્રીઓએ ગણતરી કરી કે સૂર્યમાંથી કેટલા ન્યુટ્રિનો મળવા જોઈએ, પણ જે પૃથ્વી પર આવે છે તેની સંખ્યા તો અડધી કે એક તૃતીયાંશ જ છે. તો તેમને થયું કે આ ગુમ થયેલા ન્યુટ્રિનોે જાય છે ક્યાં? આ કોયડો લગભગ ૪૦ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્રીઓને પજવતો રહ્યો. પછી વિજ્ઞાનીઓને ખબર પડી કે રસ્તામાં ન્યુટ્રિનોો તેની જાત બદલે છે અને આ બધી જાતનો તાળો મેળવીએ તો ખબર પડે કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની સંખ્યા બરાબર છે. 

ન્યુટ્રિનો તારાના ગર્ભભાગમાં, મહાતારાનો વિસ્ફોટ થાય ત્યારે, મંદાકિનીના કેન્દ્ર વગેરે જગ્યામાં ઉત્પન્ન થઈ બહાર પડે છે, દર સેક્ધડે અબજો ન્યુટ્રિનો આપણા શરીરમાંથી કે પૃથ્વીમાંથી પસાર થઈ જાય છે. આપણને ખબર પણ પડતી નથી હવે પૂરેપૂરી ન્યુટ્રિનો એસ્ટ્રોનોમી ઉત્પન્ન થઈ છે. તેમાં ભારતનું પણ યોગદાન રહ્યું છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં ભારતના નેતૃત્વ નીચે ન્યુટ્રિનોે ઓબ્ઝર્વેટરી ઊભી કરવામાં આવી છે, પણ સ્થાનિક લોકો માને છે કે તે નુકસાનકારક છે. તેમને સમજ નથી કે આ કેટલું મોટું કાર્ય ભારતમાં થઈ રહ્યું છે. જેમ નર્મદા પર સરદાર સરોવર ડેમ બાંધવામાં એક્ટિવિસ્ટોએ વાંધો લીધો હતો. તેવો જ વાંધો ભારત સ્થાપિત ન્યુટ્રિનો વેદ્યશાળાની આજુબાજુના માણસો સમજ્યા વગર કોઈના ચઢાવે વાંધો લઈ રહ્યા છે. સરકાર જ્યાં અણુમથક નાખે છે ત્યાં પણ લોકો સમજ્યા વગર વાંધો લે છે. તે દેશને નુકસાનકારક છે. ન્યુટ્રિનો સર્વવ્યાપી છે. પૂરું બ્રહ્માંડ ન્યુટ્રિનોથી ભરેલું છે. ન્યુટ્રિનો અજર-અમર ઊર્જા છે. હકીકતમાં આપણે ન્યુટ્રિનોના મહાસાગરમાં દરેક ક્ષણે નાહી રહ્યા છીએ. જેટલા ન્યુટ્રિનો આપણા શરીરમાં કે પૃથ્વીમાં એક બાજુથી પ્રવેશે છે તેટલાં જ તે બીજી બાજુથી બહાર નીકળે છે.

આવા ન્યુટ્રિનોની શોધ કેવી રીતે થઈ હશે? યુરેનિયમ જેવા રેડિયો-એક્ટિવ પદાર્થના વિસર્જનમાં છેક અણુના ગર્ભભાગમાં આ ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. તેની સાથે સાથે આલ્ફા પદાર્થકણો (હિલીયમ અણુનું નાભિ) બીટા પદાર્થકણો (ઈલેક્ટ્રોન્સ) બહાર પડે છે. આ ક્રિયામાં કુલ ઊર્જાનો તાળો મેળવીએ તો બેસે નહીં. આ તાળો મેળવવાના પ્રયત્નમાં વોલ્ફગાંગ પૌલી નામના ભૌતિકશાસ્ત્રીએ ધારણા કરી કે આ ક્રિયામાં એવો પદાર્થકણ બહાર પડતો હોવો જોઈએ જેને નથી દળ કે નથી વિદ્યુતભાર, ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત ગમી નહીં કે વળી એવો પદાર્થ હોઈ શકે જેને નથી દળ (Mass) કે નથી વિદ્યુતભાર. આ તો પૌલીના મગજની કલ્પના છે. આવું બની શકે જ નહીં. તો પૌલીએ કહ્યું કે જો આવું ન બનતું હોય તો શક્તિસંચય, વેગમાન સંચય, કોણીયવેગમાન સંચયના નિયમો ખોટા પડે અને આ બધા નિયમો તો પૂર્ણ રીતે પ્રસ્થાપિત છે. તો વાંધો લેનારા વિજ્ઞાનીઓએ કહ્યું કે ભલે બધા સંચયના નિયમો ખોટા પડે. અમે તે સ્વીકારવા તૈયાર છીએ પણ નવો પદાર્થકણ કે જેને નથી દળ કે નથી વિદ્યુતભાર તેને સ્વીકારવા અમે તૈયાર નથી. કદાચ તેના પાછળ બીજાં કારણો પણ હોય. આમ ૧૯૩૦થી ૧૯પ૬ સુધી આવી ચર્ચાઓ ચાલી પણ ૧૯પ૬માં બ્રુકહેવન વેદ્યશાળાના રીએક્ટરની નજીક ન્યુટ્રિનો શોધાયાં, ત્યારે તેમના વાંધા નકામા બની ગયાં. આમ વિજ્ઞાનમાં સાચી શોધનો પણ જલદી સ્વીકાર થતો નથી અને ઘણી વાર ખોટી શોધોનો જલદી સ્વીકારક થઈ જાય છે. હકીકતમાં ન્યુટ્રિનોની શોધ ન્યુટ્રિનો નામના વિદ્યુતભાર વગરના ભારે પદાર્થકણોની શોધ થયા પહેલા થઈ હતી. પ્રારંભે ન્યુટ્રિનોનું નામ ન્યુટ્રિનો જ પૌલીએ પાડ્યું હતું, પણ ન્યુટ્રિનો શોધાયા પછી તેનું નામ ન્યુટ્રિનો રાખવામાં આવ્યું. ન્યુટ્રિનો અણુ-પરમાણુના ગર્ભભાગમાંથી આવતા હોઈ તે બ્રહ્માંડનું ઊંડું રહસ્ય લઈને બેઠાં છે. તેમનો અભ્યાસ આપણને પદાર્થ (matter)ના અણુના ગર્ભભાગના રહસ્યને બતાવી શકે છે. ન્યુટ્રિનો કોઈ પણ બંધનથી મુક્ત હોવાથી તેને પકડવો અઘરો છે. આ વખતે આપણને યાદ આવે શંકરાચાર્ય જેમણે કહ્યું.

અહં નિર્વિકલ્પો નિરાકતરૂપો

વિભૂર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણી

સદામે સમત્વ ન મુક્તિર્નબન્ધ:

ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્

ઉપરોક્ત શંકરાચાર્યની વાત ન્યુટ્રિનોને બરાબર લાગુ પડે છે. બ્રહ્મન્ કેવું હોય તેની ન્યુટ્રિનો આપણને ઝાંખી કરાવી શકે છે. હકીકતમાં તે બ્રહ્મન્ સ્વરૂપ છે, કારણ કે તે કોઈની પણ સાથે ગતિવિધિ (interaction) કરતો નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178225