http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155785
અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત

મૃત્યુ બિછાનાની લગોલગ આવીને ઊભું હોય અને જિંદગીની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે એક પણ દર્દીને મેં ખુબસૂરત યુવતી કે યુવાન સાથે સેક્સ કરવાની ઇચ્છા કે સફળતા ન પામી હોવાનો અફસોસ કરતા નથી જોયો’ એવું ગયા વખતે જેના તારણો વિશે વાત શરૂ કરી હતી એ પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સે કહ્યું હતું.
અસાધ્ય રોગથી પીડાતા અને મૃત્યુ પામી રહેલા એ સેંકડો દર્દીઓ સાથે છેવટના દિવસો ગાળનારી આ નર્સે તેમની સાથેની વાતચીતના આધારે એક પુસ્તક લખ્યું છે ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ’ (મૃત્યુ પામી રહેલી વ્યક્તિઓના પાંચ અધૂરાં ઓરતાઓ). જેમાંના બેની વાત ગયા વખતે કરી હતી. એક, પાગલની જેમ ઉંઘુ વાળીને કામ, કામને કામ જ ન કર્યે રાખ્યું હોત તો સારું હતું. પૈસો, પ્રતિષ્ઠા અને સફળતાની દોડમાં પોતે બહુ આગળ નીકળી આવ્યા અને જિંદગી જીવવાનું રહી ગયું એવો અફસોસ. બીજું, જે સપનાંઓ પૂરાં કરવા હતાં એ પૂરા કરવા પાછળ ધ્યાન ન આપ્યું.
ત્રીજી એક વાત જે મૃત્યુની સન્મુખ ઊભેલા દર્દીઓ પાસેથી આ નર્સને સાંભળવા મળી એ કે કાશ, મેં હિંમત કરીને મારી ભીતરની સાચી લાગણીઓ વ્યક્ત કરી હોત! બીજાઓને સારું લાગે, સંબંધોમાં ખળભળાટ ન આવે, અંદર ભલે દ્વેષ કે ગુસ્સાનો ચરુ ઉકળતો હોય તો પણ આપણે અનેક વાર એકબીજા સાથે મીઠું-મીઠું બોલતા રહીએ છીએ. અથવા એનાથી તદ્દન ઉલટું કેટલીય વાર કેટલી બધી લાગણીઓ વ્યક્ત કરવી હોય છે પણ એવું કહેવાની હિંમત ન હોવાથી આપણે એને મનમાં ઠાંસી રાખીએ છીએ. પોતે નૃત્યાંગના બનવા માગતી હોય તોય પપ્પાને નહીં ગમે કે પછી સમાજ શું કહેશે કે ડોક્ટરની દીકરી નૃત્યાંગના બની એવા કારણસર પોતાની ઇચ્છાઓનું ગળું ટૂંપી દે છે. એમબીબીએસમાં એડમિશન ન મળે તો હોમિયોપેથિક ડોક્ટર બનીને જિંદગી વિતાવવાને બદલે નૃત્ય શીખીને મન મૂકીને નાચવું જોઈતું હતું એવી લાગણી મૃત્યુ સમયે બહુ જોરથી ધસી આવે છે. કોઈ સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું કે પછી અણગમતી વ્યક્તિ સાથે જિંદગી ઢસડ્યે રાખવાને બદલે પોતાની સાચી લાગણી વ્યક્ત કરી દીધી હોત તો સારું થયું હોત એવા અફસોસ સાથે લોકોને મરતાં આ નર્સે જોયા હતા. બ્રોની વેઅર નામની આ નર્સ કહે છે કે કેટલાક લોકો તો અમુક રોગનો ભોગ જ એટલા માટે બન્યા હતા કે તેમણે હિંમતપૂર્વક પોતાના મનની વાતને વ્યક્ત કરવાને બદલે એને એક ખૂણામાં સંઘરી રાખી અને પછી એ લાગણી એટલી હદે કહોવાઈ ગઈ કે બીમારી બનીને શરીર પર છવાઈ ગઈ હતી.
મનમાં ધરબી રાખેલી આમાંની કેટલીય વાતો દર્દીઓએ જ્યારે બ્રોની વેઅરને કરી ત્યારે તેને લાગ્યું કે જ્યારે આપણે આપણા મનની વાત રજૂ કરીએ ત્યારે બીજાઓ શું વિચારશે કે કરશે એ આપણા હાથમાં નથી. શક્ય છે કે જ્યારે તમે તમારી લાગણીઓ પ્રામાણિકતાથી રજૂ કરો ત્યારે સામેની વ્યક્તિ દુભાય પણ ખરી પરંતુ પછી ધીમે-ધીમે સ્થિતિ થાળે પડવા માંડે છે અને સંબંધોની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઘણી વાર તો એ સંબંધોને સંપૂર્ણત: નવું જ પરિમાણ સાંપડે છે.
તમારો કોઈ જૂનો મિત્ર હોય જેને તમે વરસોથી મળ્યા ન હો અથવા કોઈ બહેનપણી એવી હોય જેની સાથે તમારે સમય વિતાવવો હોય તો આજે જ હમણાં જ ફોન કરી લેજો એવું આ નર્સ કહે છે કારણ કે મૃત્યુના બિછાને જૂના મિત્રો કે જેમની સાથે દિલના તાર મળ્યા હોય એવા દોસ્તો સાથે સમય ન વિતાવી શક્યાના વસવસા સાથે અનેક દર્દીઓને મરતા તેણે જોયા છે.
મૃત્યુ પામી રહેલા આ દર્દીઓ પોતાના પૈસા કે સંપત્તિની પોતાના પ્રિયજનો અને સ્વજનો માટે ગોઠવણ કરવા માગતા હોય છે પણ તેમના હાથમાં ઘણી વાર સમય એટલો ઓછો હોય છે અને શરીર સાથ નથી આપતું એટલે આવી વ્યવસ્થા કર્યા વિના જ તેમણે વિદાય લઈ લેવી પડે છે. જો કે અંત સમયે પૈસા કે તમારી પાસે કેટલા બંગલા, ગાડી કે ઘરેણાં છે એનું કોઈ મૂલ્ય મરનાર વ્યક્તિ માટે હોતું નથી. એ વખતે તો ભૂખ હોય છે માત્ર સ્નેહ અને સંબંધોની.
આ નર્સે લખ્યું છે કે આ બધા દર્દીઓમાં એક વાત બધાએ જ કહી હતી અને તે એ કે અમારે સુખની પસંદગી કરવી જોઈતી હતી. કેટલાય લોકોને છેલ્લી ઘડીઓમાં સમજાય છે કે ખુશીને પસંદ કરવી પડે છે. જૂની ઘરેડ અને આદતોમાં અટવાયેલા રહીને સતત દુ:ખને જ ગળે લગાડતા રહ્યા છીએ એનું ભાન બહુ મોડે-મોડે થાય છે. કશુંક જુદું, કશુંક નવું કરીને નિર્દોષ અને નિર્ભેળ આનંદ મેળવી શકાયો હોત. જેમ કે કોઈ મહિલાને થાય કે સાડીને પહેર્યા કરવાને બદલે ઘણી વાર મન થયું હતું સલવાર-કમીઝ કે ફોર ધેટ મેટર જિન્સ પહેરવાનું તો પહેરી લેવું જોઈતું હતું. ખભે થેલો નાખીને મનગમતી જગ્યાએ એકલા જ ફરવા ઉપડી જવાની ઇચ્છાને હાય, હાય એવું કઈ રીતે કરાય’ એવું વિચારીને દબાવી દેવાને બદલે નીકળી પડવું જોઈતું હતું એવા કેટલાય આદતવશ કે હિંમતના અભાવે પૂરી ન કરી શકાયેલી અધૂરી ઇચ્છાઓ સાથે આ દર્દીઓ દફન થઈ ગયા હતા.
બ્રોની વેઅર નામની આ નર્સે કહ્યું છે કે જિંદગી આપણને પસંદગીનો અવકાશ આપે છે. આ તમારી પોતાની જિંદગી છે તો સભાનતાપૂર્વક, વિવેકપૂર્વક અને પોતાની જાતને પ્રામાણિક રહીને પસંદગી કરો; સુખ, ખુશી અને આનંદની પસંદગી કરો.
મૃત્યુની આંગળી પકડીને ચાલી નીકળવાનું હોય અને જિંદગીની વિદાય લેવાની હોય તો કેવી રીતે જવું ગમે? રડતાં, ચીડતાં, વસવસો કરતા કે પછી મસ્ત મૌલા થઈને?
પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સ બ્રોની વેઅરે મૃત્યુ પામી રહેલા દર્દીઓ સાથે આખરના સમયે કરેલી વાતચીતના આધારે આ તારણો આપ્યા પણ આપણે ત્યાં આ જ વાત સંતો હંમેશાં જ કહેતા આવ્યા છે. આપણે ત્યાં તો માનવજીવનને દુર્લભ ગણવામાં આવ્યું છે અને એની ક્ષણે-ક્ષણને ઉત્સવની જેમ જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જીવતાજીવત આસક્તિઓથી મુક્ત થઈ ધીમે-ધીમે પરમાત્માની નજીક સરકતા જવાની વાત આપણા શાસ્ત્રો, પુરાણો અને સંત કવિઓ કરતા રહ્યા છે. સમાધાન અને સંતોષ સાથે પ્રભુ સ્મરણ કરતા-કરતા મૃત્યુ મળે એવી માગણી આપણે કરીએ છીએ. આપણા કવિ કરસનદાસ માણેકે ઈશ્ર્વર પાસે એક આવા જ મોતની માગણી કરતી પ્રાર્થના કરી છે જ્યાં આ કરી લીધું હોત ને પેલું કરી લીધું હોત એવી અધૂરી ઇચ્છાઓ અને ઓરતાઓની ગોતાગોત ન હોય. આ સુંદર પ્રાર્થના વાંચવા અને ગણગણવા જેવી છે.
એવું જ હું માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત...
અંત સમે એવા ઓરતડાઓની
હોય ન ગોતાગોત!
કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાંત સરોદ:
જો જે રખે પડે પાતળું કદી યે
આતમ કેરું પોત!
અંતિમ શ્ર્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત!
ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં
તરતાં સરિતા-સ્રોત
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!
અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત
મૃત્યુ બિછાનાની લગોલગ આવીને ઊભું હોય અને જિંદગીની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે એક પણ દર્દીને મેં ખુબસૂરત યુવતી કે યુવાન સાથે સેક્સ કરવાની ઇચ્છા કે સફળતા ન પામી હોવાનો અફસોસ કરતા નથી જોયો’ એવું ગયા વખતે જેના તારણો વિશે વાત શરૂ કરી હતી એ પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સે કહ્યું હતું.
અસાધ્ય રોગથી પીડાતા અને મૃત્યુ પામી રહેલા એ સેંકડો દર્દીઓ સાથે છેવટના દિવસો ગાળનારી આ નર્સે તેમની સાથેની વાતચીતના આધારે એક પુસ્તક લખ્યું છે ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ’ (મૃત્યુ પામી રહેલી વ્યક્તિઓના પાંચ અધૂરાં ઓરતાઓ). જેમાંના બેની વાત ગયા વખતે કરી હતી. એક, પાગલની જેમ ઉંઘુ વાળીને કામ, કામને કામ જ ન કર્યે રાખ્યું હોત તો સારું હતું. પૈસો, પ્રતિષ્ઠા અને સફળતાની દોડમાં પોતે બહુ આગળ નીકળી આવ્યા અને જિંદગી જીવવાનું રહી ગયું એવો અફસોસ. બીજું, જે સપનાંઓ પૂરાં કરવા હતાં એ પૂરા કરવા પાછળ ધ્યાન ન આપ્યું.
ત્રીજી એક વાત જે મૃત્યુની સન્મુખ ઊભેલા દર્દીઓ પાસેથી આ નર્સને સાંભળવા મળી એ કે કાશ, મેં હિંમત કરીને મારી ભીતરની સાચી લાગણીઓ વ્યક્ત કરી હોત! બીજાઓને સારું લાગે, સંબંધોમાં ખળભળાટ ન આવે, અંદર ભલે દ્વેષ કે ગુસ્સાનો ચરુ ઉકળતો હોય તો પણ આપણે અનેક વાર એકબીજા સાથે મીઠું-મીઠું બોલતા રહીએ છીએ. અથવા એનાથી તદ્દન ઉલટું કેટલીય વાર કેટલી બધી લાગણીઓ વ્યક્ત કરવી હોય છે પણ એવું કહેવાની હિંમત ન હોવાથી આપણે એને મનમાં ઠાંસી રાખીએ છીએ. પોતે નૃત્યાંગના બનવા માગતી હોય તોય પપ્પાને નહીં ગમે કે પછી સમાજ શું કહેશે કે ડોક્ટરની દીકરી નૃત્યાંગના બની એવા કારણસર પોતાની ઇચ્છાઓનું ગળું ટૂંપી દે છે. એમબીબીએસમાં એડમિશન ન મળે તો હોમિયોપેથિક ડોક્ટર બનીને જિંદગી વિતાવવાને બદલે નૃત્ય શીખીને મન મૂકીને નાચવું જોઈતું હતું એવી લાગણી મૃત્યુ સમયે બહુ જોરથી ધસી આવે છે. કોઈ સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું કે પછી અણગમતી વ્યક્તિ સાથે જિંદગી ઢસડ્યે રાખવાને બદલે પોતાની સાચી લાગણી વ્યક્ત કરી દીધી હોત તો સારું થયું હોત એવા અફસોસ સાથે લોકોને મરતાં આ નર્સે જોયા હતા. બ્રોની વેઅર નામની આ નર્સ કહે છે કે કેટલાક લોકો તો અમુક રોગનો ભોગ જ એટલા માટે બન્યા હતા કે તેમણે હિંમતપૂર્વક પોતાના મનની વાતને વ્યક્ત કરવાને બદલે એને એક ખૂણામાં સંઘરી રાખી અને પછી એ લાગણી એટલી હદે કહોવાઈ ગઈ કે બીમારી બનીને શરીર પર છવાઈ ગઈ હતી.
મનમાં ધરબી રાખેલી આમાંની કેટલીય વાતો દર્દીઓએ જ્યારે બ્રોની વેઅરને કરી ત્યારે તેને લાગ્યું કે જ્યારે આપણે આપણા મનની વાત રજૂ કરીએ ત્યારે બીજાઓ શું વિચારશે કે કરશે એ આપણા હાથમાં નથી. શક્ય છે કે જ્યારે તમે તમારી લાગણીઓ પ્રામાણિકતાથી રજૂ કરો ત્યારે સામેની વ્યક્તિ દુભાય પણ ખરી પરંતુ પછી ધીમે-ધીમે સ્થિતિ થાળે પડવા માંડે છે અને સંબંધોની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઘણી વાર તો એ સંબંધોને સંપૂર્ણત: નવું જ પરિમાણ સાંપડે છે.
તમારો કોઈ જૂનો મિત્ર હોય જેને તમે વરસોથી મળ્યા ન હો અથવા કોઈ બહેનપણી એવી હોય જેની સાથે તમારે સમય વિતાવવો હોય તો આજે જ હમણાં જ ફોન કરી લેજો એવું આ નર્સ કહે છે કારણ કે મૃત્યુના બિછાને જૂના મિત્રો કે જેમની સાથે દિલના તાર મળ્યા હોય એવા દોસ્તો સાથે સમય ન વિતાવી શક્યાના વસવસા સાથે અનેક દર્દીઓને મરતા તેણે જોયા છે.
મૃત્યુ પામી રહેલા આ દર્દીઓ પોતાના પૈસા કે સંપત્તિની પોતાના પ્રિયજનો અને સ્વજનો માટે ગોઠવણ કરવા માગતા હોય છે પણ તેમના હાથમાં ઘણી વાર સમય એટલો ઓછો હોય છે અને શરીર સાથ નથી આપતું એટલે આવી વ્યવસ્થા કર્યા વિના જ તેમણે વિદાય લઈ લેવી પડે છે. જો કે અંત સમયે પૈસા કે તમારી પાસે કેટલા બંગલા, ગાડી કે ઘરેણાં છે એનું કોઈ મૂલ્ય મરનાર વ્યક્તિ માટે હોતું નથી. એ વખતે તો ભૂખ હોય છે માત્ર સ્નેહ અને સંબંધોની.
આ નર્સે લખ્યું છે કે આ બધા દર્દીઓમાં એક વાત બધાએ જ કહી હતી અને તે એ કે અમારે સુખની પસંદગી કરવી જોઈતી હતી. કેટલાય લોકોને છેલ્લી ઘડીઓમાં સમજાય છે કે ખુશીને પસંદ કરવી પડે છે. જૂની ઘરેડ અને આદતોમાં અટવાયેલા રહીને સતત દુ:ખને જ ગળે લગાડતા રહ્યા છીએ એનું ભાન બહુ મોડે-મોડે થાય છે. કશુંક જુદું, કશુંક નવું કરીને નિર્દોષ અને નિર્ભેળ આનંદ મેળવી શકાયો હોત. જેમ કે કોઈ મહિલાને થાય કે સાડીને પહેર્યા કરવાને બદલે ઘણી વાર મન થયું હતું સલવાર-કમીઝ કે ફોર ધેટ મેટર જિન્સ પહેરવાનું તો પહેરી લેવું જોઈતું હતું. ખભે થેલો નાખીને મનગમતી જગ્યાએ એકલા જ ફરવા ઉપડી જવાની ઇચ્છાને હાય, હાય એવું કઈ રીતે કરાય’ એવું વિચારીને દબાવી દેવાને બદલે નીકળી પડવું જોઈતું હતું એવા કેટલાય આદતવશ કે હિંમતના અભાવે પૂરી ન કરી શકાયેલી અધૂરી ઇચ્છાઓ સાથે આ દર્દીઓ દફન થઈ ગયા હતા.
બ્રોની વેઅર નામની આ નર્સે કહ્યું છે કે જિંદગી આપણને પસંદગીનો અવકાશ આપે છે. આ તમારી પોતાની જિંદગી છે તો સભાનતાપૂર્વક, વિવેકપૂર્વક અને પોતાની જાતને પ્રામાણિક રહીને પસંદગી કરો; સુખ, ખુશી અને આનંદની પસંદગી કરો.
મૃત્યુની આંગળી પકડીને ચાલી નીકળવાનું હોય અને જિંદગીની વિદાય લેવાની હોય તો કેવી રીતે જવું ગમે? રડતાં, ચીડતાં, વસવસો કરતા કે પછી મસ્ત મૌલા થઈને?
પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સ બ્રોની વેઅરે મૃત્યુ પામી રહેલા દર્દીઓ સાથે આખરના સમયે કરેલી વાતચીતના આધારે આ તારણો આપ્યા પણ આપણે ત્યાં આ જ વાત સંતો હંમેશાં જ કહેતા આવ્યા છે. આપણે ત્યાં તો માનવજીવનને દુર્લભ ગણવામાં આવ્યું છે અને એની ક્ષણે-ક્ષણને ઉત્સવની જેમ જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જીવતાજીવત આસક્તિઓથી મુક્ત થઈ ધીમે-ધીમે પરમાત્માની નજીક સરકતા જવાની વાત આપણા શાસ્ત્રો, પુરાણો અને સંત કવિઓ કરતા રહ્યા છે. સમાધાન અને સંતોષ સાથે પ્રભુ સ્મરણ કરતા-કરતા મૃત્યુ મળે એવી માગણી આપણે કરીએ છીએ. આપણા કવિ કરસનદાસ માણેકે ઈશ્ર્વર પાસે એક આવા જ મોતની માગણી કરતી પ્રાર્થના કરી છે જ્યાં આ કરી લીધું હોત ને પેલું કરી લીધું હોત એવી અધૂરી ઇચ્છાઓ અને ઓરતાઓની ગોતાગોત ન હોય. આ સુંદર પ્રાર્થના વાંચવા અને ગણગણવા જેવી છે.
એવું જ હું માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત...
અંત સમે એવા ઓરતડાઓની
હોય ન ગોતાગોત!
કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાંત સરોદ:
જો જે રખે પડે પાતળું કદી યે
આતમ કેરું પોત!
અંતિમ શ્ર્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત!
ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં
તરતાં સરિતા-સ્રોત
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!
No comments:
Post a Comment