Thursday, July 3, 2014

અતીન્દ્રિય શક્તિનો વિજ્ઞાન પાસે પણ જવાબ નથી --- સ્પોટ લાઈટ - સંજય વોરા

યુરોપ અને અમેરિકાના ભવિષ્યવેત્તાઓએ વિજ્ઞાનીઓને આત્માની શક્તિ બાબતમાં વિચારતા કરી મૂક્યા હતા

આર્યાવર્તના તમામ ધર્મો કહે છે કે આપણા બધાનો આત્મા અનંત જ્ઞાનનો સ્વામી છે પણ તેના ઉપર કર્મરૂપી વાદળનાં આવરણો ચડી ગયાં છે એટલે આ જ્ઞાન ઢંકાઇ ગયું છે. જે આત્માઓ આ કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થાય તેઓ સર્વજ્ઞ બની શકે છે અને જેઓ આંશિક મુક્ત થાય તેઓ ભવિષ્યવેત્તા બની શકે છે. આધુનિક વિજ્ઞાન ભલે ભવિષ્યને નિહાળવાની આત્માની શક્તિનો કે આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરતું હોય, તો પણ યુરોપ અને અમેરિકામાં જ એવા બનાવો બને છે, જેણે વિજ્ઞાનીઓને વિચારતા કરી મૂક્યા છે. પીટર હરકોસ અને જેની ડિક્સન જેવા ભવિષ્યવેત્તાઓ તો એટલા વિશ્ર્વવિખ્યાત બની ગયા હતા કે તેમની આ અગાધ શક્તિ ક્યાંથી પેદા થાય છે તેનો વિજ્ઞાનીઓ પાસે કોઇ જ જવાબ નહોતો. પીટર હરકોસનો જન્મ હોલેન્ડના એક મધ્યમવર્ગીય પરિવારમાં ઇ.સ. ૧૯૧૧ની સાલમાં થયો હતો. તેના પિતા રંગારાનું કામ કરતા હતા. પીટર હરકોસ પણ યુવાન વયે બાપદાદાના આ વ્યવસાયમાં જોડાઇ ગયો હતો. પીટર હરકોસે પોતાની જિંદગીનાં પ્રથમ ૨૯ વર્ષ તદ્દન સામાન્ય માનવી તરીકે પસાર કર્યાં હતાં. ઇ.સ. ૧૯૪૦માં એક એવી ઘટના બની કે તેનામાં અચાનક અતીન્દ્રિય શક્તિઓ પ્રગટી ઊઠી હતી.

એક વખત પીટર હરકોસ એક ઊંચા મકાનની ભીંત ઉપર રંગકામ કરી રહ્યો હતો. અચાનક તેનો હાથ છટકી ગયો અને તે જમીન ઉપર પટકાઇ ગયો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્રણ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધાં પછી છેવટે તે ભાનમાં આવ્યો ત્યારે જાણે તેનો પુનર્જન્મ થયો હતો. પોતાની બાજુના જ ખાટલા ઉપર સારવાર લઇ રહેલા દર્દીને જોઇ પીટર હરકોસ બોલી ઉઠ્યો : "તેં તારા પિતાને આપેલું વચન તોડીને સારું નથી કર્યું. પિતાજીએ તને સાચવી રાખવા માટે આપેલી સોનાની ઘડિયાળ તેં કેમ વેચી મારી? પેલો દર્દી તો આભો જ બની ગયો. આ વાત અત્યાર સુધી તેણે પોતાની પત્નીને પણ નહોતી કરી તે અજાણ્યા માણસને કેમ ખબર પડી ગઇ? 

એટલામાં હોસ્પિટલની નર્સ પીટરની ખબર કાઢવા તેની પાસે આવી. નર્સ તેની નાડીના ધબકારા માપી રહી હતી ત્યાં જ પીટર હરકોસ બોલવા લાગ્યો, "તમે આગગાડીના એક ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છો. તમારી પાસે તમારી બહેનપણીની સૂટકેસ છે. તમે આ સૂટકેસ ગુમાવી બેસશો એવો મને ડર લાગી રહ્યો છે. આ વાત સાંભળીને નર્સ સ્તબ્ધ બની ગઇ. હમણાં જ તે આમ્સ્ટરડામથી ટ્રેનમાં આવી રહી હતી ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવી કે બહેનપણીને તેની જાણ કરવી એ બાબતની અવઢવમાં નર્સ હતી ત્યાં જ પીટર હરકોસને તેની જાણ થઇ ગઇ હતી. તરત જ આખી હોસ્પિટલમાં વાત ફેલાઇ ગઇ કે પીટર હરકોસ નામના રંગારામાં કોઇ અતીન્દ્રિય શક્તિ પેદા થઇ છે.

એક દર્દી હાિેસ્પટલમાંથી વિદાય લઇ ઘરે જઇ રહ્યો હતો. અન્ય દર્દીઓ સાથે હાથ મિલાવતો તે પીટર હરકોસ પાસે આવ્યો. જેવો તે હાથ મિલાવીને હોસ્પિટલના દરવાજાની બહાર નીકળ્યો કે પીટર હરકોસ બૂમાબૂમ કરવા લાગ્યો, "પેલા માણસને રોકો! તે બ્રિટિશ જાસૂસ છે. જર્મનો તેની હત્યા કરી નાંખશે. પેલો માણસ વિદાય લઇ ચૂક્યો હતો. બરાબર બે દિવસ પછી સમાચાર આવ્યા કે જર્મનોએ બ્રિટિશ જાસૂસની હત્યા કરી નાંખી છે. પીટર હરકોસમાં જે અતીન્દ્રિય શક્તિ પેદા થઇ હતી તે અત્યંત વિશિષ્ટ પ્રકારની હતી પણ તેની એક મર્યાદા પણ હતી. તે એવા લોકો વિશે જ ભવિષ્યવાણી કરી શકતો જેમને તે પ્રત્યક્ષ મળ્યો હોય અથવા જેમણે વાપરેલી કોઇ પણ ચીજવસ્તુના તે સંપર્કમાં આવ્યો હોય. શરૂઆતમાં તો યુરોપના લોકો પીટર હરકોસની ચમત્કારિક શક્તિમાં વિશ્ર્વાસ નહોતા ધરાવતા પણ એક વખત પેરિસની પોલીસે તેની પરીક્ષા કરી. તેમાં પીટર હરકોસ પાસ થયો તે પછી તો લંડનના સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ પણ અનેક જટિલ કિસ્સાઓ ઉકેલવા માટે પીટર હરકોસની મદદ લેવા માંડી હતી.

પેરીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્યંત ગુપ્તતા હેઠળ પીટર હરકોસની પરીક્ષા કરી હતી. તેને ઘડિયાળ, લાઇટર, કૅમેરા, કાંસકી, સિગારેટ, પાકિટ વગેરે વસ્તુઓ સ્પર્શ કરવા માટે આપી અને આ ચીજોનો સંબંધ કઇ ઘટના સાથે છે તે જણાવવા કહ્યું. પીટર હરકોસને આપવામાં આવેલી વસ્તુઓ પૈકી ત્રણ વસ્તુઓ જુદી પાડી બતાવી અને જાણે ફિલ્મના કોઇ દૃશ્ય વર્ણન કરતો હોય તેમ કહેવા માંડ્યું : " એક સ્ત્રીનો મૃતદેહ મકાનની બાજુમાં પડેલો છે. બાજુમાં નાનકડો સ્ટોર રૂમ છે. મૃતદેહની બાજુમાં દૂધની બોટલ પડેલી છે. તેમાં ઝેર ભેળવીને આ સ્ત્રીની હત્યા કરવામાં આવી છે. ઝેર ભેળવનાર સ્ત્રીનો દારૂડિયો પતિ જ છે. તેને જેલમાં પૂરવામાં આવ્યો છે. તે મરી ગયો છે. આ વર્ણન સાંભળીને પેરીસના પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા. તેની બધી વાતો પરફેક્ટ હતી પણ પેલા હત્યારાના મરણની વાત બરાબર નહોતી જણાતી. ત્યાં જ ફોન ઉપર સમાચાર આવ્યા કે સ્ત્રીના હત્યારાએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે. પીટર હરકોસની સ્ટૉરી સો ટકા સાચી પુરવાર થઇ હતી.

સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ ફિલ્મ અભિનેત્રી શેરોન ટેટની હત્યાનું રહસ્ય ઉકેલી શકતી નહોતી. આ વિખ્યાત અભિનેત્રી પોતાના ચાર મિત્રો સાથે ઘરમાં બેઠી હતી ત્યારે કોઇ વિકૃત મગજ ધરાવતો ખૂની ત્યાં આવ્યો હતો અને પાંચેયની ક્રૂર હત્યા કરી તેમના મૃતદેહોના ટુકડા કરી, ઘરમાં વેરીને ચાલ્યો ગયો હતો. પોલીસની તનતોડ મહેનત પછી પણ હત્યારાનો કોઇ પત્તો ન લાગ્યો એટલે તેમણે પીટર હરકોસની મદદ લીધી. હરકોસને તેઓ અભિનેત્રીના ઘરે લઇ ગયા અને તેનાં વસ્ત્રોનો સ્પર્શ કરાવ્યો. તરત જ હરકોસે આખી ઘટનાનું આબેહૂબ વર્ણન કરી બતાવ્યું અને હત્યારાની પણ ચિક્કાર વિગતો આપી. પીટર હરકોસે આપેલી વિગતોના આધારે સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે હત્યારાને પકડી લીધો અને ખૂનનું રહસ્ય ઉકેલી કાઢ્યું. આવા તો અનેક કિસ્સાઓમાં પીટર હરકોસે પોલીસને અતીન્દ્રિય શક્તિ વડે મદદ કરી હતી.

હૉલેન્ડના પીટર હરકોસ જેવી જ અતીન્દ્રિય શક્તિ અમેરિકાની જેની ડિક્સન નામની સાધારણ ગૃહિણી ધરાવતી હતી. જેની ડિક્સનને સપનાંઓ દ્વારા અથવા સ્ફટિકના ગોળામાં જોઇને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની એંધાણીઓ મળી જતી હતી. એક વખત જેની ડિક્સન વ્હાઇટ હાઉસમાં પહોંચી ગઇ અને અમેરિકાના પ્રેસિડન્ટ ફ્રેન્કલિન રુઝવેલ્ટને કહેવા લાગી,"મને જોવા મળ્યું છે કે હવે તમારું ખૂબ થોડું આયુષ્ય બચ્યું છે. તમારે જે કાર્યો કરવાં હોય તે આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં પૂરાં કરી લેવાં જોઇએ. આ વાત તેણે ઇ.સ. ૧૯૪૪ની સાલમાં કરી હતી. બરાબર ઇ.સ. ૧૯૪૫ના મધ્ય ભાગ પહેલાં જ રુઝવેલ્ટનું અવસાન થતાં જેની ડિક્સનને ભારે પ્રસિદ્ધિ મળી ગઇ હતી. અમેરિકાના પ્રેસિડન્ટના મૃત્યુ વિશેની જેની ડિક્સનની ભવિષ્યવાણી સાચી પડી તે પછી પત્રકારો તેને બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વિશે આગાહી કરવાનું કહેવા લાગ્યા. એ સમયે બીજું વિશ્ર્વયુદ્ધ પૂરું થયું હતું અને તેમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો હોવાથી બ્રિટનમાં ચર્ચિલ લોકપ્રિયતાની ટોચ ઉપર હતા. જેની ડિક્સને ભવિષ્યવાણી ભાખી કે ચર્ચિલ ટૂંક સમયમાં પોતાનો હોદ્દો ગુમાવશે ત્યારે એ વાત માનવા પણ કોઇ તૈયાર નહોતું. ટૂંક સમયમાં બ્રિટનમાં ચૂંટણીઓ થઇ અને જેની ડિક્સનની ભવિષ્યવાણી સાચી પુરવાર થઇ હતી. 

ઇ.સ. ૧૯૪૫માં ભારતના એક લશ્કરી અધિકારીએ જેની ડિક્સનને ભારત વિશે કંઇક આગાહી કરવા કહ્યું હતું. થોડો સમયપોતાના સ્ફટિકના ગોળામાં તાકી રહ્યા પછી જેની ડિક્સને કહ્યું, "બે જ વર્ષમાં ભારતના ભાગલા પડશે એટલું મને દેખાઇ રહ્યું છે. ગાંધીજીની હત્યા એક ઝનૂની હિન્દુના હાથે થશે એવી આગાહી પણ જેની ડિક્સને તે સમયે કરી હતી. જેની ડિક્સનનો જન્મ ઇ.સ. ૧૯૧૮માં અમેરિકામાં એક નાનકડા ગામડામાં થયો હતો. તે નાની હતી ત્યારથી જ તેનું કુટુંબ કેલિફોર્નિયામાં આવીને વસ્યું હતું. જેની ડિક્સન નવ વર્ષની હતી ત્યારથી જ તેની અંદર અતીન્દ્રિય શક્તિ પ્રગટ થઇ હતી. લગ્ન થયાં પછી તે પોતાના પતિને રિયલ એસ્ટેટના ધંધામાં મદદ કરતી હતી. જેની ડિક્સને જે કેટલીક યાદગાર ભવિષ્યવાણીઓ કરી તેમાં અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીની હત્યાની આગાહી મુખ્ય હતી. જેની ડિક્સન એક ચર્ચમાં પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે જહોન એફ. કેનેડીની હત્યા થવાની છે. તેણે આ સમાચાર પ્રેસિડન્ટ કેનેડી સુધી પહોંચાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યાં પણ તેમાં તેને સફળતા ન મળી. 

છેવટે ઇ.સ. ૧૯૬૩માં કેનેડીની હત્યા થઇને જ રહી હતી. 

જહોન એફ. કેનેડીની હત્યા પછી લોસ એન્જલસના એક અગ્રણી નાગરિકે જેની ડિક્સનને પ્રશ્ર્ન કર્યો, "શું રોબર્ટ કેનેડી ક્યારેય અમેરિકાના પ્રમુખ બની શકશે ખરા? જેની ડિક્સન કહે, "આપણે અત્યારે જે એમ્બેસેડર હોટેલમાં બેસીને આ વાત કરી રહ્યા છીએ તે જ હૉટેલમાં થોડા સમયમાં તેમની ઉપર ગોળીબાર કરવામાં આવશે. આ વાત પણ સાચી પડી. એક જ સપ્તાહમાં રોબર્ટ એફ. કેનેડી પણ હત્યારાની ગોળીનો શિકાર થઇ ગયા. જેની ડિક્સને સેનેટર એડવર્ડ કેનેડીને પણ સલાહ આપી હતી કે, "બે અઠવાડિયા સુધી ખાનગી વિમાનમાં મુસાફરી કરવાનું ટાળજો. સેનેટર કેનેડીએ આ સલાહની અવગણના કરી. બીજા જ દિવસે સમાચાર આવ્યા કે ખાનગી વિમાન તૂટી પડતાં એડવર્ડ કેનેડીને ગંભીર ઇજાઓ થઇ છે પણ તેમનો જીવ બચી ગયો છે. કેનેડી ભાઇઓ વિશે સચોટ આગાહીઓને કારણે જેની ડિક્સન તે વિશ્ર્વવિખ્યાત બની ગઇ હતી. 

પીટર હરકોસ અને જેની ડિક્સન જેવા ભવિષ્યવેત્તાઓ લાખોમાં એક જ પાકે છે. જૈન ધર્મની થિયરી મુજબ આ એક પ્રકારનું અવધિજ્ઞાન છે, જેમાં સ્થળ તેમ જ કાળની અમુક ચોક્કસ મર્યાદામાં રહીને ઘટનાઓની જાણકારી મળે છે. પીટર હરકોસની મર્યાદા એ હતી કે તેની વસ્તુના સંપર્કમાં આવે તેના વિશે જ આગાહી કરી શકતો. જેની ડિક્સનને ભવિષ્યની ઘટનાઓ સપનામાં કે સ્ફટિકના ગોળામાં દેખાતી. આ બધી શક્તિ તેમનામાં બહારથી નહોતી આવી પણ તેમની અંદરથી જ પ્રગટ થઇ હતી. આ કારણે જ બધા આર્ય ધર્મો આત્માને સર્વશક્તિમાન અને ત્રિકાળજ્ઞાની માને છે. વિજ્ઞાન જે ઘટનાઓનો ખુલાસો નથી કરી શકતું ત્યાં ધર્મશાસ્ત્રોની વાતોની કિંમત સમજાય છે.


No comments:

Post a Comment